Opinion Magazine
Number of visits: 9577519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બની જજો !

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2019

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૪૬૪ પક્ષોએ ભાગ લીધો હતો. આમાંથી ચૂંટણી પંચે જેને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા છ પક્ષો છે, ચૂંટણી પંચે જેને પ્રાદેશિક પક્ષ તરીકેની માન્યતા આપી છે એવા ૩૯ પક્ષો છે અને બાકીના નોંધયેલા પક્ષો છે, પણ માન્યતાપ્રાપ્ત પક્ષો નથી. આનો અર્થ એ થયો કે એવા પક્ષો ચૂંટણીની બાબતમાં ગંભીર નથી અને ચૂંટણી પંચની માન્યતા મેળવવા જેટલા મત મેળવી શકતા નથી. આમ છતાં એવા પક્ષો દરેક ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. જે પક્ષો નોંધાયેલા નથી એને ઉમેરો તો ભારતમાં ૨,૨૯૩ પક્ષો છે. આમાંથી ૧૪૯ પક્ષો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નોંધાયા છે.

જે દેશમાં ૨,૨૯૩ પક્ષો હોય, ૪૧૯ પક્ષો કોઈ પણ પ્રકારની ગંભીરતા વિના, એટલે કે જીતવાના કોઈ ઈરાદા વિના ચૂંટણી લડતા હોય અને ૧૪૯ પક્ષો ચૂંટણીની પૂર્વસંધ્યાએ માત્ર દોઢ મહિનામાં નવા રચાતા હોય અને રજીસ્ટર્ડ થતા હોય તો અબૂધ માણસ પણ સમજી શકશે કે આમાં કોઈક ગોલમાલ ચાલે છે. ચૂંટણી પંચે છેલ્લા દાયકાઓમાં અનેક વાર કહ્યું છે કે આપણી ચૂંટણી પ્રક્રિયામાં કેટલીક ગંભીર ખામીઓ છે જેને દૂર કરવાની જરૂર છે. પ્લીઝ, કાંઇક કરો, પણ આપણા શાસકો ટાઢા ડીલે બેઠા છે અને કોઈ કહેતા કોઈ કાંઈ કરતું નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાનાં વચનો આપતા હતા ત્યારે તેમને એટલી તો જાણ હશે જ કે રામરાજ્યનો રસ્તો ક્યાંથી પસાર થાય છે.

જગતમાં ગર્વ લઈ શકાય એવા દેશનું નિર્માણ કરવું હોય તો શું શું કરવું જોઈએ અને કેટલી ખામીઓ દૂર કરવી જોઈએ એની જાણ નવનિર્માણના દાવા કરનારા શાસકને હોવી જોઈએ. પાછી આમાં કોઈ વિશેષ મહેનત પણ કરવી પડે એમ નથી. કાયદાપંચે કાયદામાં શું સુધારા કરવાની જરૂર છે અને કયા કાયદા નાબૂદ કરવાની જરૂર છે એ કહ્યું છે. ચૂંટણીપંચે અને બીજા અભ્યાસકોએ ચૂંટણીકીય સુધારાઓની ભલામણો કરી છે. નાણાપંચે નાણાકીય બાબતો વિષે, વહીવટી સુધાર પંચે વહીવટી બાબતો વિષે, સરકારિયા પંચે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો વિષે એમ જુદા જુદા અભ્યાસપંચોએ બીમારીઓનું નિદાન અને ઈલાજો આ પહેલાં જ બતાવી દીધા છે. ભારતમાં એવી એક પણ બીમારી નથી જે અજાણી હોય, જેની પંચો અને સમિતિઓ દ્વારા તપાસ ન થઈ હોય, ઈલાજો બતાવવામાં આવ્યા ન હોય અને રાષ્ટ્રીય સ્તરે તેના વિષે આમુલાગ્ર ચર્ચા ન થઈ હોય. આય રિપીટ એક પણ બીમારી અજાણી નથી.

દાયકાઓથી બીમારીની જાણ છે, તેનાં સ્વરૂપની જાણ છે, તેનાં કારણોની જાણ છે, ઈલાજની જાણ છે; તો કાંઈ કરવામાં કેમ નથી આવતું? મેં ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ભારતને અંદરથી કોરી રહેલી અને ચીન અને બીજા પ્રતિસ્પર્ધીઓ સામે ભારતને પાછળ રાખનારી બીમારીઓનો ઈલાજ હાથ ધરે તો સમજવું કે તે પ્રામાણિક માણસ છે, ૫૬ ઈંચની છાતી ધરાવે છે અને સાચો દેશભક્ત છે અને જો એમ ન કરે તો માનવું કે તેમનો ઈરાદો સત્તા ભોગવવાનો અને હિન્દુત્વનો છે.

માત્ર નરેન્દ્ર મોદી શા માટે? તેમના પહેલાના અને તેમની પછીના શાસકોને પણ આ એક માત્ર એરણે ચકાસવા જોઈએ. આવતા મહિને નરેન્દ્ર મોદીની જગ્યાએ જો કોઈ બીજી વ્યક્તિ વડા પ્રધાન બને (અને એવી શક્યતા નજરે પડે છે) તો એ વ્યક્તિને પણ આ જ એરણે ચકાસજો. ‘ભાઈ, વાતો તો મોટી મોટી કરી, હવે વ્યવસ્થામાં ક્યારે સુધારા કરો છો? બીમારીનો ઈલાજ ક્યારથી શરૂ કરો છો? તમને માર્ગદર્શન જોઈતું હોય તો તમારા મંત્રાલયમાંના બાબુને પૂછી જુઓ, તે દરેક બીમારી વિશેના રિપોર્ટ અને ઈલાજના પ્રિસ્ક્રીપ્શનો તમારી સામે ધરી દેશે. તેના વિષે જાણકારોએ કરેલી ચર્ચાના તારણો પણ ઉપલબ્ધ છે. દરેકે દરેક સમસ્યા સમજાઈ ચૂકી છે, એટલે બતાવો સાહેબ, કામે ક્યારે વળગો છો?’ જો એ કાંઈ ન કરે તો અને તેની જગ્યાએ ન કરવાના કામ કરે અથવા ગલ્લાતલ્લા કરે તો એ માણસને દરવાજો બતાવી દેજો.

વૈદકશાસ્ત્રની પરિભાષામાં બીમારીઓ ક્રોનિક છે. આટલા બધા રાજકીય પક્ષો એટલા માટે છે કે તેના સ્થાપકોને ખબર છે કે ચૂંટણીપ્રક્રિયામાં ખામી છે એટલે તેનો દુરુપયોગ કરી શકાય છે અને વળી કોઈ જો અદાલતમાં લઈ જાય તો ક્યાં બે દાયકા સુધી ચુકાદો આવવાનો છે. ત્યાં સુધીમાં તો આપણે બધું ભોગવીને ઉપર જતા રહીશું. આ જે નિર્લજ્જતાજન્ય હિંમત છે એ વ્યવસ્થામાં રહેલી ખામીમાંથી આવે છે. કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ ન હોય ત્યારે નીચ માણસોની હિંમત વધી જતી હોય છે અને નિર્લજ્જ બની જતા હોય છે.

આપણને એવા શાસકની જરૂર છે જેનામાં કોઈનો વાળ વાંકો કરવાની ત્રેવડ હોય. નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે જો તેમના કાર્યકાળમાં કોઈનો વાળ વાંકો કર્યો હોય, વ્યવસ્થામાં સુધારા કર્યા હોય, બીમારીઓનો ઈલાજ કર્યો હોય તો તેમને બીજી વાર મત આપીને વડા પ્રધાન બનાવવા જોઈએ. મત ન આપીએ તો આપણે નગુણા કહેવાઈએ. પરંતુ જો એવું કાંઈ ન કર્યું હોય અને ગરીબ-સામાન્ય માણસની હાલાકીમાં વધારો થયો હોય તો તેમને દરવાજો બતાવી દેવો જોઈએ. એક બીજો માપદંડ પણ ઉપયોગમાં લેવો જોઈએ. સત્તાને અને ભયને સંબંધ છે એટલે તો સત્તા સામે શાણપણ ન ચાલે એવી આપણે ત્યાં કહેવત છે. નાગરિકની અંદર ભયમાં વધારો કરનારા શાસકોને પણ જાકારો આપવો જોઈએ.

આ બે માપદંડોના આધારે ભારતના નાગરિકોએ નરેન્દ્ર મોદીના શાસનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આ બે માપદંડોના આધારે જ આવનારા શાસકોનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ, પછી એ કોઈ પણ હોય. આપણને કૉન્ગ્રેસ ગમે છે માટે રાહુલ ગાંધીની નિષ્ફળતા માફ, આપણે મરાઠી છીએ એટલે નીતિન ગડકરી કે શરદ પવારની નિષ્ફળતા માફ, આપણે બંગાળી છીએ એટલે મમતા બેનર્જીની નિષ્ફળતા માફ એમ ઓળખના ધોરણે શાસકોનો બચાવ કરશો તો તેઓ તો સત્તા ભોગવીને જતા રહેશે, તમે હતા ત્યાંને ત્યાં જ રહેશો.

આપણે ત્યાં રાજકીય પક્ષો અને નેતાઓ ઓળખનું રાજકારણ કરીને સત્તા સુધી પહોંચે છે અને પછી એ ઓળખના નામે સત્તામાં ટકી રહેવાનો પ્રયાસ કરે છે. હું તો ઝોળી લઈને જતો રહીશ પણ … હિંદુઓનું/મરાઠાઓનું/દ્રવિડોનું/બ્રાહ્મણોનું કે દલિતોનું રાજ જશે એવું જે તે સમાજવિશેષના નેતાએ કહ્યું કે તરત એ સમાજવિશેષના લોકો નિષ્ફળ શાસકને બચાવવા નીકળી પડે છે. આવી માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. તમારે જે ઓળખ સાથે જીવવું હોય એ ઓળખ સાથે જીવો, પણ કમસે કમ શાસકને મૂલવવાનું અને મત આપવાનું કામ ભારતના નાગરિક બનીને કરો.

પાંચ વરસે એક વાર નાગરિક બનવાનું છે, બહુ અઘરું કામ નથી અને જો કાયમ માટે નાગરિક બની શકતા હો તો એના જેવું ઉત્તમ બીજું શું હોય! તમે જે દિવસે નાગરિક બનશો એ દિવસે બીમારીઓનો ઈલાજ થવા લાગશે. કારણ કે તમે તેમને પાંચ પાંચ વરસે તગેડી મૂકશો એટલું જ નહીં, રસ્તા પર ઊતરશો, અદાલતના દરવાજા ખખડાવશો, તેમની સાથે ચર્ચામાં ઊતરશો વગેરે. એક દિવસે તેમને સમજાઈ જશે કે ઝોળો લઈને જતા રહેવાનો ડર હું શું બતાવવાનો હતો, નાગરિકો પોતે જ ઝોળો પકડાવતા થઈ ગયા છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019

Loading

કેન્દ્રની રાજકીય ચોપાટમાં ગુજરાતના આંકડા કરતાં નેતૃત્વના ચહેરા અગત્યના

ચિરંતના ભટ્ટ|Samantar Gujarat - Samantar|21 April 2019

ગુજરાતનું આંતરિક રાજકારણ ધ્રુવીકરણનું રહ્યું છે પણ કેન્દ્રિય સ્તરે રાજ્યના નેતાએ પોતાનો પ્રભાવ જાળવવામાં પાછી પાની નથી કરી

ચૂંટણીનું રણશિંગું દૂર દૂરથી સંભળાતું હવે કાનની સાવ પાસે આવીને વાગી રહ્યું છે. ૨૩મી તારીખે આપણે ત્યાં, ગુજરાતમાં મતદાન થશે. ૨૦૧૯ની ચૂંટણીનાં પરિણામ દેશની ઓળખ અને તેના તાણાવાણા બંન્નેને ઘડવામાં બહુ મોટો ફાળો ભજવનારી સાબિત થશે. આમ તો ઉત્તર પ્રદેશ અને બિહાર, આ બન્ને રાજ્યને લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશે દેશને અત્યાર સુધીમાં આઠ વડાપ્રધાન આપ્યા છે. દરેક પક્ષ માટે ઉત્તર પ્રદેશની વ્યૂહરચના સૌથી મહત્ત્વની રહે છે. કૉન્ગ્રેસનાં ઉદય અને પતન માટે તથા ભા.જ.પા.ને દિલ્હીની સત્તા અપાવવામાં પણ આ રાજ્યોની, તેમાં ય ખાસ કરીને ઉત્તર પ્રદેશની મહત્તા ખૂબ રહી છે. જો કે આપણે ઉત્તર પ્રદેશ કે બિહારની મહત્તાની નહીં પણ આપણા ગુજરાતનાં મહત્ત્વની ચર્ચા કરવી રહી.

આમ જોવા જઇએ તો ગુજરાત રાજ્યની ભૂમિકા કેન્દ્રમાં સરકાર બનાવવા માટે બહુ અગત્યની નથી રહી, છતાં પણ તેનો પાવર નકારી શકાય તેમ નથી. ગુજરાતમાં બેઠકના આંકડા અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા છે, એટલે ગુજરાત ‘મેકર સ્ટેટ’ ન ગણાય એ ખરું, પરંતુ છતાં ય આઝાદી પછીનાં સિત્તેર વર્ષનાં શાસનમાં ગુજરાત રાજ્યનું કેન્દ્રનાં રાજકારણ પર વ્યક્તિગત વર્ચસ્વ હંમેશાંથી રહ્યું છે. ગુજરાતનાં રાજકીય ઇતિહાસમાં કેન્દ્ર સુધી અને એ પણ વડાપ્રધાન પદે પહોંચવાને મામલે નરેન્દ્ર મોદી પહેલાં બે જ નામો યાદીમાં છે. ગુલઝારીલાલ નંદા તો એક્ટિંગ વડાપ્રધાન હતા, એટલે ગણતરીનાં દિવસોમાં તે ગાદી પરથી ઊતરી ગયા, પણ ઇંદિરા ગાંધીને હરાવનારા મોરારજી દેસાઇનું નામ ગુજરાતી વડાપ્રધાન તરીકે દરેકની સ્મૃતિમાં અંકિત છે. ગુજરાતનાં ઇતિહાસ પર નજર કરીએ તો ક્રાંતિ કરવી એ ગુજરાતનો સ્વભાવ રહ્યો છે, પછી એ મુઘલકાળની વાત હોય કે બ્રિટિશરો સામેની લડત હોય. ગુજરાતનાં રાજકારણના ઇતિહાસમાં સાંઇઠના દાયકા પછીથી માંડીને સિત્તેરના દાયકાની શરૂઆત વચ્ચેનો સમય ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઇ વચ્ચેની ચડસાચડસીનો રહ્યો.

સિત્તેરના દાયકામાં ક્ષત્રિય, કોળી, વાણિયા અને આદિવાસીનો જાતિવાદ પણ રાજકારણમાં અગત્યનો ફાળો ભજવવા માંડ્યો. આ એ સમય હતો જ્યારે કૉન્ગ્રેસમાં (ઓ) અને (આર) એમ ફાંટા પડી ચૂક્યા હતા, અને આ ફાંટા પડ્યા એ પહેલાં પક્ષને બ્રાહ્મણો અને વાણિયાઓનો બહુ મોટો ટેકો હતો અને પટેલો રાજકારણમાં સક્રિય થયા એટલે આ બંન્ને જ્ઞાતિઓનું તેજ જરા ઝાંખુ પડ્યું. આ બધાં વચ્ચે ચિમન પટેલ મુખ્ય મંત્રી બન્યા અને ગુજરાતનાં રાજકારણ પર પટેલોની પકડ મજબૂત બની. ત્યારે કેન્દ્રમાં સત્તા લાવવામાં ભલે ગુજરાતનું મહત્ત્વ ન હોય પણ દિલ્હીનાં રાજકારણમાં તેમનો પ્રભાવ નોંધપાત્ર હતો. જો કે ગુજરાતમાં જ્ઞાતિ અને જાતિનું રાજકારણ ચિમન પટેલના નેતૃત્વ પછી બદલાયું. વળી કૉન્ગ્રેસની ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાન પણ ૧૯૭૫ની સાલમાં ખૂબ ચાલી હતી, પણ તેનો પ્રભાવ ગુજરાતનાં રાજકારણ પણ અમુક સમય સુધી ચોક્કસ રહ્યો, તેને કેન્દ્ર સાથે સ્વાભાવિક રીતે જ કોઇ જોડાણ નહોતું. પણ એંશીના દાયકામાં કૉન્ગ્રેસને ‘ખામ’નો ફાયદો મળ્યો. માધવસિંહ સોલંકી તથા અમરસિંહ ચૌધરી જેવા મુખ્યમંત્રીઓને પગલે પછાત વર્ગ અને આદિવાસીઓના નેતૃત્વને ઓળખ મળી.

ગુજરાત નંબર્સની દ્રષ્ટિએ ક્યારે ય પણ કેન્દ્રનાં રાજકારણ માટે અગત્યનું નહોતું પણ ગુજરાતમાં જે પણ મુખ્યમંત્રી આવતા તેને કારણે ગુજરાતની મહત્તામાં ફેર પડતો. ગુજરાતમાં આંતરિક રાજકારણ હંમેશાં જાતિ-જ્ઞાતિની ચોપાટ પર જ ખેલાતું. સાંઇઠના દાયકા પછીનાં વીસ વર્ષ દરમિયાન કૉન્ગ્રેસનાં રાજમાં બે બાબતો બની. એક તો કૉન્ગ્રેસનો વોટર બેઝ વિસ્તર્યો જેમાં પછાત વર્ગો અને મુસલમાનો ઉમેરાયા, જેને કારણે આ બન્ને રાજકારણમાં પણ મહત્ત્વના બન્યા, અને સાથે કૉન્ગ્રેસ પાર્ટી ઉચ્ચ જ્ઞાતિવાળાને જ મહત્ત્વ આપે છેની માનસિકતા પણ બદલાઇ. જો કે આ વ્યૂહરચનાને પગલે ઉચ્ચ જ્ઞાતિઓને નવા બનેલા પક્ષ ભા.જ.પા.માં મળેલું મહત્ત્વ ‘વ્હાલું’ લાગ્યું.

કૉન્ગ્રેસનાં પતનની ધીમી શરૂઆત થઇ. ભા.જ.પા.એ પહેલાં તો સ્થાનિક તંત્રમાં પગપેસારો કર્યો. ગ્રામીણ સ્તરે સંઘ પરિવારે પોતાની પહોંચ વિસ્તારી. બહુ વ્યૂહાત્મક રીતે શહેર અને ગામડાંમાં ભા.જ.પા.એ પોતાની જમાવટ કરી. ભા.જ.પા.નો ચહેરો ઉભરવા માંડ્યો હતો ખરો, પણ હજી રાષ્ટ્રીય સ્તરે પહોંચવાને વાર હતી. ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પા.ને માત્ર બે બેઠક મળી હતી. જેમાંની એક ગુજરાતનાં મહેસાણાનાં એ.કે પટેલની જીતથી મળી હતી. આ ભા.જ.પા.નાં ધીમા પણ મક્કમ પગલાંની પહેલી ‘પા પા પગલી’ હતી એમ કહી શકાય. ભા.જ.પા. માટે ગુજરાત એ હિંદુત્વની લેબોટરી સાબિત થયું. પચાસના દાયકામાં શરૂ થયેલી રામજન્મભૂમિની હિલચાલને અડવાણીનુ નેતૃત્વ મળ્યું. ૧૯૮૪માં મંદિર આંદોલને વેગ પકડ્યો અને ૧૯૯૦ના દાયકામાં રામ મંદિરનાં નિર્માણના હેતુ સાથે અડવાણીએ દેશભરમાં રથયાત્રા શરૂ કરી, જેની શરૂઆત ગુજરાતના સોમનાથથી કરવામાં આવી. વિશ્વ હિંદુ પરિષદના આખલાએ માથું ઊંચક્યું અને બાબરી ધ્વંસની ઘટના ૧૯૯૨ની સાલમાં થઇ.

આ બધાંની વચ્ચે વળી જેણે ક્યારે ય રાજકારણમાં સીધેસીધું નથી ઝંપલાવ્યું એવા પ્રવીણ તોગડિયાએ અમદાવાદમાં રહ્યે રહ્યે ‘હિંદુત્વ લેબોરેટરી’ના નાના-માટો-જંગી પ્રયોગો કર્યે રાખ્યા. તેનું યોગદાન ગમે કે ન ગમે એ પછીની વાત છે, પણ તેની ગણતરી તો કરવી જ રહી. ગુજરાતમાં ૧૯૯૫ની સાલમાં ભા.જ.પા.એ પહેલીવાર સરકાર રચી અને ત્યારથી માંડીને આજ સુધી ભા.જ.પા.એ ગુજરાતને હાથમાંથી જવા નથી દીધું. ભા.જ.પા.નાં બીજા તબક્કામાં ગુજરાતની છબી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાવા માંડી. ગુજરાતનું જે રાજકારણ પહેલાં સવર્ણો અને અવર્ણોની વચ્ચે ખેલાતું તે હવે સીધેસીધું હિંદુ-મુસ્લિમ સંઘર્ષ પર જ ખેલાવા માંડ્યું. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બ્રાહ્મણ-વાણિયાનાં પ્રભુત્વ ધરાવતા પક્ષને ઓ.બી.સી.નો બહુ મોટો ટેકો મળ્યો.

૨૦૦૨નાં રમખાણોનો ફટકાર ભા.જ.પા.એ ભોગવ્યો પણ મોદી ‘ઇમેજ મેનેજમેન્ટ’માં પાવરધા નિકળ્યા અને પક્ષને ધ્રુવીકરણને પગલે મતદારોનો લાભ પણ મળ્યો. ગુજરાતમાં કોમી રમખાણો પહેલાં પણ થયા હતા, અને આ જ ધર્મ વિગ્રહને આધારે થયા હતા પણ આ વખતે સંઘ પરિવારના પૉપ્યુલારિટી મીટરનો પારો ખાસ્સો ઉપર ચઢ્યો હતો, જેની અસર ગુજરાતનાં રાજકારણમાં સ્પષ્ટ વર્તાઇ.

ગુજરાત હજી પણ ભા.જ.પા.નો ગઢ રહ્યો છે અને કેન્દ્ર સુધી પહોંચવા માટે મોદીએ પક્ષમાં ‘લેફ્ટ-રાઇટ-સેન્ટર’ બધે જે પણ નિંદણ લાગ્યું હતું તે હટાવ્યું, પોતાનું મહત્ત્વ સતત ઘુંટ્યું અને માર્કેટિંગ ટેકટિક્સથી માંડીને જરૂર પડ્યે ત્યાં પોતાનું કૌવત દાખવીને માર્ગ બનાવી લીધો. ઉપરોક્ત બાબતો બહુ સ્પષ્ટતાપૂર્વક એ જ સાબિત કરે છે કે કેન્દ્રનાં રાજકારણમાં ગુજરાતનું મહત્ત્વ તેને મળેલા લિડર્સને કારણે જ રહ્યું છે. આમ જોવા જઇએ તો કૉન્ગ્રેસના જાણીતા ચહેરાઓ ગુજરાતમાં ભલે કંઇ બહુ કાઠું નથી કાઢી શકતા અથવા તો બહુ મર્યાદિત પ્રભાવ ધરાવે છે, પણ આખે આખી કૉન્ગ્રેસને ચલાવનાર માણસ ગુજરાતનો છે, એ આક્ષેપથી આપણે અપરિચિત નથી. ભરુચના અહેમદ પટેલે જે રીતે કૉન્ગ્રેસમાં પોતાનું સ્થાન બનાવીને આટલાં વર્ષો સુધી જાળવી રાખ્યું છે તે જ સાબિત કરે છે કે ગુજરાતનું તો ઠીક પણ ગુજરાતીનું મહત્ત્વ કેન્દ્રનાં રાજકારણમાં કેટલી હદ સુધીનું હોઇ શકે છે. આ ઉપરાંત છેલ્લાં દસ વર્ષમાં એલ.કે. અડવાણી, અરુણ જેટલી અને સ્મૃતિ ઇરાની જેવાં કેન્દ્રીય રાજકારણ માટેનાં ઉમેદવારોએ ગુજરાતમાંથી જ દિલ્હી સુધીની દોટ માટે ‘ગેટ સેટ ગો’ કર્યું છે.

પક્ષનાં રાજકારણ ઉપરાંત ગુજરાતમાં આંદોલનનું રાજકારણ પણ રાષ્ટ્રીય સ્તરે એટલે કે કેન્દ્રનાં રાજકારણમાં અસર કરે એવું છે. સાંઇઠના દાયકામાં મહાગુજરાતની ચળવળે ઇંદુલાલ યાજ્ઞિક જેવા નેતા આપ્યા, જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અમર થઇ ગયા. વળી વી.પી. સિંઘે મંડલ કમિશનનો જે જીન બહાર કાઢ્યો હતો, તે હજી સુધી ધુણ્યા કરે છે. ત્યારે પણ ગુજરાતમાં સૌથી વધારે આંદોલનો થયાં હતાં. ગુજરાતમાંથી અનામત આંદોલને ત્યારે તો કોઇ મહાન નેતા નહોતા આપ્યા, પણ આ વખતે હાર્દિક પટેલે માથું ઊંચક્યું અને જેને માટે અંગ્રેજીમાં ‘મેન બૉય’ શબ્દ વપરાય છે હાર્દિક હવે કૉન્ગ્રેસમાં જોડાઇ ચુક્યો છે. વળી જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે પણ આંદોલનનો સહારો લઇને નેતા તરીકેની ઓળખ કેળવી લીધી છે. અલ્પેશ ઠાકોર કૉન્ગ્રેસમાં જોડાઇ ચુક્યા છે તો જિજ્ઞેશ મેવાણીની દલિત નેતા તરીકેની ઓળખ ધારદાર બનાવી છે અને કનૈયા કુમારને માટે પ્રચાર પણ કર્યો છે.

આ આંદોલનમાંથી અથવા તો આંદોલનની આંગળી પકડીને જન્મેલા ‘નેતા’ઓ ખરેખર શું ઉકાળશે એ તો કહેવું મુશ્કેલ છે પણ જોવાનું એ છે કે આ બધાની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવી પડી છે. આમ ફરી એકવાર સાબિત થાય છે કે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વના ચહેરાઓને કારણે જ રાજકારણમાં ગુજરાતનું મહત્ત્વ રહ્યું છે અને રહેશે. ગુજરાતનું આંતરિક રાજકારણ લાંબા સમયથી ધ્રુવીકરણનું જ રહ્યું છે, એ વાત સ્વીકારતાં આપણે એ પણ નોંધવું રહ્યું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જેટલી ધ્રુવીકૃત થશે એટલી પહેલાં ક્યારે ય નથી થઇ. ધ્રુવીકરણ જે એક સમયે જ્ઞાતિ, ધર્મ, જાત, પાત આધારિત હતું એ હવે પહેરવેશ, ખોરાક, વ્યવસાયથી માંડીને શક્ય હોય તે બધા જ પાસામાં ઘુસી ચૂક્યું છે. રાજકારણને નામે હવે દેશમાં આંતરિક વાડાબંધી અને ભાગલા જાણે વધી રહ્યાં છે અને એમાં ય સોશ્યલ મીડિયા અને ચેટ સર્વિસીઝ બળતામાં ઘી હોમવાનું કામ અવિરતપણે કરી રહ્યાં છે.

બાય ધી વેઃ

બહુ જ (ન અને અ) રાજકીય બાબતે અભિવ્યક્તિ કરવી પડશે એવું લાગે છે. માળું ગુજરાત આંકડા નહીં પણ નેતાઓના ચહેરાથી કેન્દ્રીય રાજકારણમાં પોતાનો ડંકો વગાડે છે તો આપણા નેતાઓને થોડા વધારે દેખાવડા થવાનું મન કેમ નહીં થતું હોય?? એટલે જે છે એમાં કંઇ વાંધો નથી (વાંધો હોય તો હું, તમે કે પેલા નેતા પોતે પણ કંઇ નહીં કરી શકે) પણ આ તો એક વાત થાય છે કે ભાષણબાજી અને વ્યૂહરચનાઓનાં પ્લાનિંગની વચ્ચે દેખાવ અંગે પણ કંઇ આમ થોડું મેનેજ થઇ જાય તો જરા સારું લાગે.

જોક્સ અપાર્ટ પણ ગુજરાતની રાજનીતિ કેન્દ્રિય રાજનીતિ પર ધીમી પણ મક્કમ અસર કરનારી સાબિત થઇ છે. એમાં ય વળી મોદી-શાહની દોસ્તી તો જય-વીરૂને શરમાવે એવી રહી છે. હવે અંદર અંદર વિખવાદ હોય તો એ તો વખત આવ્યે ખબર પડશે. એમણે એટલું ધ્યાન રાખવું પડશે કે દિલ્હી સાચવવામાં ‘દિલ’ સમું ગુજરાત વિસરાઇ ન જાય. કારણ કે ગુજરાતમાં આંકડાઓની ખોટ હોઇ શકે છે, નેતાઓની નથી, કોને ખબર ક્યાંક કોઇ મજબૂત નેતા ધીમા અને મક્કમ પગલે પોતાની સફરની તૈયારી કરતો હોય?

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2019

Loading

આનંદ પટવર્ધનની ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘વિવેક’ : હિન્દુત્વનાં રાજકારણની ચડતી સામે રૅશનાલિઝમની પડતીનો દુ:ખદ અને દાહક દસ્તાવેજ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|20 April 2019

દેશના સો કરતાં વધુ ફિલ્મ મેકર્સે ભારતીય જનતા પક્ષને મત નહીં આપવાની હાકલ કરી છે. તેમનામાંથી મોટા ભાગના સમાંતર સિનેમા સાથે સંકળાયેલા છે. તેમણે ગયા મહિનાના આખરે એક નિવેદન બહાર પાડ્યું છે. તે મુજબ ભા.જ.પ.નું ‘નુકસાનકારક શાસન’ દેશમાં કોમી વિખવાદ, આર્થિક નિષ્ફળ, દલિતો-મુસ્લિમો પરની હિંસા, દેશભક્તિની લાગણીના રાજકીય દુરુપયોગ, અવૈજ્ઞાનિકતા, પ્રગતિશીલ વ્યક્તિઓ તેમ જ સંસ્થાઓ પરનાં આકમણ, વેરઝેરભરી સોશ્યલ મીડિયા કૅમ્પેન, ખેડૂતોની અવદશા જેવી અનેક બાબતો માટે જવાબદાર છે. ભા.જ.પ. વિરોધી નિવેદનમાં જોડાયેલામાં દસ્તાવેજી ફિલ્મ મેકિન્ગના એક અગ્રણી આનંદ પટવર્ધન પણ છે.

આનંદની નવી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘વિવેક’ તાજેતરમાં યુ-ટ્યુબ પર રિલીઝ થઈ છે. ચારેક કલાકની આ ફિલ્મ તેર-ચૌદ મિનિટના દરેક એવા સોળ ભાગમાં વહેંચાયેલી છે. તેમાં આનંદે રૅશનાલિસ્ટ વિચારધારાના આપણા સમયના જ્યોતિર્ધર નરેન્દ્ર દાભોલકર(1945-1913)ની પૂનામાં તેમ જ ગોવિંદ પાનસરે(1933-2015)ની કોલ્હાપુરમાં હત્યા, અને તેમાં ‘સનાતન સંસ્થા’ નામનાં ઝનૂની હિન્દુત્વવાદી સંગઠનની ભૂમિકા, માલેગાંવ ઉપરાંત અનેક બૉમ્બ વિસ્ફોટો સાથે જહાલ જમણેરીઓનાં જોડાણ, ગૌરક્ષાનાં નામે દાદરી સહિત અનેક જગ્યાએ મુસ્લિમોની હત્યાઓ, ઉનામાં દલિતો પરના અત્યાચાર સામે પ્રચંડ વિરોધ જેવી બાબતોને આવરી લીધી છે.

વિદ્યાર્થી શક્તિ ફિલ્મનો મહત્ત્વનો વિષય છે એટલે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)માં કન્હૈયાકુમારને આગેવાની હેઠળ ચાલેલો વિરોધ, હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત તરીકેના ભેદભાવને કારણે વિદ્યાર્થી રોહિત વેમુલાએ કરેલી આત્મહત્યાને પગલે ચાલેલું આંદોલન, પૂનાની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે મોદીભક્ત ગજેન્દ્ર ચૌહાણની નિમણૂક સામે ચાલેલી હડતાળ પરના એપિસોડસ પણ ફિલ્મમાં છે. વૈશ્વિકરણ પછી ગરીબો પાસેથી છિનવાતું જતું શિક્ષણ, ઘડતર વિનાનું શિક્ષણ મેળવેલા બેકારીના ઓળા હેઠળ જીવતા વિદ્યાર્થીવર્ગનું અજ્ઞાનમૂલક ધર્મઝનૂન અને કુમારવયની પેઢીના કોમવાદી ઘડતરની પ્રક્રિયા આનંદ માર્મિક રીતે બહાર લાવે છે. મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મુલન સમિતિનાં વ્યાખ્યાનો, સત્ય સાઈબાબા સહિતના બાવાઓને ખુલ્લાં પાડતાં નિદર્શનો (ડેમોન્સ્ટ્રેશન્સ) અને તેના ‘સોક્રેટીસથી દાભોલકર-પાનસરે વાયા તુકારામ’ શેરીનાટક ઉપરાંત શીતલ સાઠે નામની મરાઠી જનવાદી કવિ-ગાયક અને તેની મંડળી થકી રૅશનાલિઝમના પ્રસારના અનેક દૃશ્યો આનંદ મૂકે છે.

શીતલના એક સુંદર ગીતમાં સૉક્રેટીસથી કલબુર્ગી સુધીનાં બાર માનવતાવાદીઓને અંજલિ છે. પ્રગતિશીલ શ્રમજીવી સંતોએ રચેલાં સાહિત્યની પરંપરાનો ઉલ્લેખ પણ એક કરતાં વધુ વખત આવે છે. બીજી બાજુ, શિવાજી મહારાજનાં નામનો અને ગણેશચતુર્થીની જાહેર ઉજવણીનો ધર્મવાદી રાજકારણ માટે દુરુપયોગ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિનાયક દામોદર સાવરકર થકી હિન્દુત્વવાદના ઉદ્દભવ તેમ જ વિકાસને લગતાં એપિસોડસ પણ અહીં  છે. શિવાજીના મહત્ત્વના અને મજબૂત તોપખાનાનો વડો ઇબ્રાહિમ ખાન હતો. દુશ્મનોએ પન્હાળા ગઢને કરેલા  ઘેરાવમાંથી બહાર નીકળવામાં શિવાજીને મદદ કરનાર શિવા વાળંદ હતો.

શિવાજીના ખુદના દસ્તાવેજોમાં ક્યાં ય ‘ગોબ્રાહ્મણ પ્રતિપાલક’ એવા શબ્દપ્રયોગ નથી. પાનસરેનાં વ્યાખ્યાનો અને ‘શિવાજી કોણ હોતા? ‘નામના તેમના પુસ્તક થકી શિવાજી મહારાજને ધર્મનિરપેક્ષ, ગરીબતરફી, ખેડૂતોની કાળજી લેનાર રાજા તરીકે પુરાવા સાથે સાબિત કર્યા છે. તેની સામે સરકારોના અભ્યાસક્રમોમાં અને બજારુ માધ્યમોમાં શિવાજી જાણે ઘાતકી હોય તેવી ઊભી થતી છબિ આનંદ સામે લાવે છે. પૂનામાં યુવા મુસ્લિમ મોહસિનની હિન્દુ રાષ્ટ્ર સેનાના કાર્યકર્તાઓએ કરેલી હત્યા પર ફિલ્મ ઠીક સમય આપે છે. પ્લાસ્ટર ઑફ પેરિસની ગણપતિની દોઢ કરોડ મૂર્તિઓ નદી-સમુદ્રમાં વિસર્જન કરવાથી થતાં પ્રદૂષણ સામેની તદ્દન સાદી વાત પણ ધર્માંધો સમજતાં નથી. ગણેશોત્સવમાં ભપકો ભારે હોય છે. નિવેદક એ મતલબનું કહે છે : ‘માફિયામેં ધાર્મિક બટવારા હૈ. ડૉન ઇબ્રાહિમ કા હિન્દુ અવતાર હૈ છોટા રાજન. દોનોં ભારત કે બાહસ સે કામ ચલાતે હૈ. નેતા, અભિનેતા, બાવા, જનતા સભી દેશ છોડકર ભાગે ઇસ ડૉન કા ગણેશ પંડાલ દેખને ભીડ લગાતે હૈ …’

ફિલ્મનું અંગ્રેજી નામ ‘રીઝન’ છે. આ શબ્દનો અર્થ વિચાર, તર્ક, બુદ્ધિ થાય છે. યુરોપના ઇતિહાસમાં અઢારમી સદીમાં આવેલા બુદ્ધિપ્રામાણ્યવાદ કે રૅશનાલિઝમને કેન્દ્રમાં રાખનાર યુગને ‘એઇજ ઑફ રિઝન’ કહેવામાં આવે છે. રૅશનાલિઝમ એ વિશ્વ માટેની એક ઉપકારક વિચારધારા છે. તેના માટેનો મરાઠી શબ્દ વિવેક (વાદ) છે. રૅશનાલિઝમના અનેક લક્ષણોમાં વૈજ્ઞાનિક અભિગમ, ઇશ્વર કે ધર્મ નહીં પરંતુ માનવજાતને કેન્દ્રમાં રાખતો દૃષ્ટિકોણ, સમાજવ્યવસ્થામાં તમામ પ્રકારની સમાનતા, રાજ્યવ્યવસ્થામાં રાજ્યસત્તાની ધર્મસત્તાથી ફારકત જેવી બાબતોનો સમાવેશ થાય છે. અંધશ્રદ્ધા, જીર્ણમત, ધર્મસત્તા, ગુરુબાજી, તમામ પ્રકારના ભેદભાવ અને અસમાનતા, કોમવાદ, બિનલોકશાહી રાજ્યવ્યવસ્થા જેવાં દૂષણોનો વિવેકવાદ અથવા રૅશનાલિઝમ વિરોધ કરે છે. ફિલ્મના પહેલા ભાગમાં દાભોલકરના પ્રેરક જીવનકાર્ય સાથે પટવર્ધન દુનિયાના રૅશનાલિઝમની ઐતિહાસિક અને સૈદ્ધાન્તિક સમજ બહુ રસપ્રદ કૉમેન્ટરી તેમ જ વિઝ્યુઅલ્સ દ્વારા આપે છે. ફિલ્મમાં બીજો ભાગ પાનસરેનાં જીવન ઉપરાંત તેઓ પોતાના ભાષણોમાં ગાંધીહત્યા સાથે સંઘના સંબંધ, સામાજિક સમાનતા જેવી બાબતો કેવી રીતે આવરી લેતા તે બતાવે છે. સમગ્રતયા તો ફિલ્મ ગયા પાંચ વર્ષ દરમિયાન ભારતમાં વિવેકહીનતાના સામાજિક-રાજકીય સ્વરૂપોનો ઊંચો જતો અને તેની સામે માનવતાવાદી મૂલ્યોનો નીચો પડતો અસ્વસ્થકારી આલેખ આપે છે. આ ફિલ્મનું પ્રિમિયર સપ્ટેમ્બર 2018માં ટૉરેન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું. ત્યારથી અત્યાર સુધી તેને ચાર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે.

ફિલ્મનો દરેક ભાગ અંધારામાં જતી મોટરસાયકલના ધગધગાટ અને બંદૂકની ગોળીઓના ધડાકાના અવાજને સમાંતરે દાભોળકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશની તસવીરોના એક કૉમન સિક્વેન્સથી ચાલુ થાય છે. મોટરસાયકલ પર આવેલા હત્યારાઓએ લગભગ એક જ સરખી રીતે દાભોળકર અને પાનસરેને બંદૂકની ગોળીથી વીંધી નાખ્યા હતા. ત્યાર બાદ લગભગ એ જ રીતે કન્નડ ભાષાના નૉનકન્ફર્મિસ્ટ વિવેચક-ચિંતક એમ.એમ. કલબુર્ગી (1930-2015) અને હિન્દુત્વ તેમ જ ભા.જ.પ.નાં નીડર ટીકાકાર એવા બંગલોરનાં કન્નડા પત્રકાર ગૌરી લંકેશ(1962-2017)ની હત્યા કરવામાં આવી.  

શાસકપક્ષનો સહુથી વધુ પર્દાફાશ કરનારા ચૌદમા અને પંદરમા ભાગમાં આનંદ એ બતાવે છે કે 2005 થી 2008 દરમિયાન દેશમાં થયેલા 17 બૉમ્બ ધડાકાના આરોપો દાખલ થયા હતા. તેમાં દયાનંદ પાંડે, પ્રજ્ઞાસિંગ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત, મેજર ઉપાધ્યાય, સાધુ અસીમાનંદ જેવાં અનેકનો સમાવેશ હતો. (આ લખાય છે ત્યારે ભા.જ.પે. લોકસભાની ચૂંટણી માટે પ્રજ્ઞા સિંગને ઊભાં રાખવાની જાહેરાત કરી છે). તેમાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વાડના અધિકારી હેમન્ત કરકરેની નિષ્પક્ષ ભૂમિકા કેન્દ્રમાં વિરોધપક્ષ ભા.જ.પ.ને મુશ્કેલીમાં મૂકી રહી હતી. આ ધડાકાની તપાસ નવેમ્બર 2008માં મુંબઈ પરના આતંકવાદી હુમલાના પગલે ધીમી પડી. એમાં કરકરે શહીદ થયા. તેમના રહસ્યમય મૃત્યુ વિશે મહારાષ્ટ્રના પૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ એસ.એમ. મુશ્રીફે ‘હુ કિલ્ડ કરકરે ?’ પુસ્તક લખ્યું છે. કરકરે મૃત્યુના થોડા કલાક પહેલાં તેમને કાનૂની સહાય કરનાર સરકારી વકીલ રોહિણી સાલિયાનને મળ્યા હતા. મુશ્રીફ અને સાલિયાનની લાંબી મુલાકાતો આનંદ બતાવે છે. તેમાંથી હિન્દુત્વવાદી સંગઠનોની ધડાકાઓમાં ભૂમિકા અને મુંબઈ પરના હુમલાની કેટલીક રહસ્યમય બાબતો બહાર આવે છે. આ બંને અધિકારીઓ એ પણ બતાવે છે કે મે 2014માં ભા.જ.પ.ની સરકાર આવતાની સાથે ધડાકાના ઉપર્યુક્ત આરોપીઓ જામીન પર છૂટતા ગયા અને તપાસનું ફિંડલું વળતું ગયું. પાંચમો ભાગ ગોવાના રામનાથી ગામમાં આવેલી સનાતન સંસ્થા પર છે. આનંદ બતાવે છે કે રામનાથી ગામના લોકો તેનો સતત વિરોધ કરતા રહ્યા છે, કારણ કે તેમાં લોકો પર સંમોહન ઉપરાંત યૌનક્રિયાઓ, હથિયાર તાલીમ, બાળકીઓનું અજૂગતું ઘડતર, કોમી જૂથોની સભાઓ, કોમવાદ પ્રેરનારા જાહેર કાર્યક્રમો જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓનાં  અસ્વસ્થકારક દૃશ્યો આનંદ બતાવે છે. સનાતન સંસ્થા દાભોલકર અને પાનસરેની હત્યા સાથે સંકળાયેલી હોવાનું બહાર આવતું રહ્યું છે.

અખંડ હિન્દુ રાષ્ટ્રના લડાયક ધ્યેય સાથેનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશમાં સાંપ્રદાયિકતાનાં અનેક રૂપોનું અને જમણેરી જૂથોનું ઉદ્દભવસ્થાન છે એવી પટવર્ધનની પાકી સમજ છે. એટલે આઝાદીની લડતમાં સંઘની નિષ્ક્રિયતા, ફાસીવાદ સાથનો તેનો નાડસંબંધ, ગાંધીહત્યામાં તેનો ફાળો, સાવરકરનાં માફીપત્રો, સંઘ પરનો પ્રતિબંધ અને તેમાંથી શરતી મુક્તિ, નરેન્દ્ર મોદીએ ગુરુ ગોળવલકર પર લખેલું પુસ્તક જેવી સંખ્યાબંધ બાબતો તે પુરાવા સાથે ફિલ્મમાં મૂકે છે. એકબીજાને પૂરક એવા સંઘ અને ભા.જ.પ.ની કોમવાદી, બ્રાહ્મણવાદી, લશ્કરવાદી, ગરીબવિરોધી, ફાસીવાદી સંગઠનો તરીકેની છબિ આનંદ પ્રતીતિજનક રીતે ઉપજાવે છે. તેના માટે  આધાર તરીકે દૃશ્યો, રૂબરૂ મુલાકાત, દસ્તાવેજો, ન્યૂઝ ક્લિપ્સ, સમાચારપત્રોનાં કતરણો, ઐતિહાસિક કતરણો  જેવી ભાગ્યે જ નકારી શકાય તેવી ખડકલાબંધ સામગ્રી તે મૂકે  છે. સાથે કૉમેન્ટરીમાં પણ અનેક વખત સાફ વાત કરતા જાય છે. જેમ કે ગણેશોત્સવ પરના ભાગમાં તે આ મતલબનું કહે છે : ‘હિન્દુ સંસ્કૃતિ, સ્થાનીય સંસ્કૃતિ ઔર દેશવિદેશકી ગુજરતી ધારાઓંકા એક અનોખા મેલ હૈ. મગર સનાતન, આર્ય, વૈદિક હિન્દુત્વ બ્રાહ્મણવાદી તાનાશાહી કે અલગ અલગ નામ હૈ, જો નિર્બલોં કો અજ્ઞાનમેં રખકર ઉન્હેં કાલ્પનિક દુર્જનોં કે ખિલાફ જંગમેં ઊતારતી હૈ.’ અલબત્ત, મુસ્લિમ કટ્ટરવાદ સામે થોડાક ઐતિહાસિક સંદર્ભના ક્રિટિકલ ઉલ્લેખો સિવાય આનંદને ભાગ્યે જ કશું કહેવાનું થાય છે એવી ટીકા ચોક્કસ જ થઈ શકે. હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશ આંદોલનનાં દૃશ્યોમાં તે મુસ્લિમ પુરુષો ઉપરાંત સ્ત્રીઓના ખુદનાં સ્ત્રી-વિરોધી માનસની સાથે હિન્દુ અને મુસ્લિમ બંનેને સ્ત્રીઓના વિરોધમાં એક થતા બતાવ્યા છે.  જો કે દાદરીમાં જેની હત્યા થઈ તે અખલાકનો વાયુસેનામાં નોકરી કરતો પુત્ર સરતાજ કહે છે : ‘યહાં લોગોં મેં પ્યાર કી ભાવના હૈ … ઐસા દેશ મિલના મુશ્કિલ હૈ ઔર મૈં ભાગ્યશાલી હું કી મૈં યહાં પર જન્મા હૂં. પર કુછ ચંદ લોગ યહાં હૈ જો ઇસકી આબોહવા બિગાડના ચાહતે હૈ, મુઝે યે પતા નહી કી ઉનકા મકસદ ક્યા હૈ …’ અહીં હિટલરના અત્યાચારનો ભોગ બનનાર ચૌદ વર્ષની ઍન ફ્ર્રૅન્કના શબ્દો યાદ આવે છે : ‘ઇન્સ્પાઇટ ઓફ એવેરિથિન્ગ આઇ સ્ટિલ બિલીવ ધૅટ પીપલ આર રિઅલી ગુડ ઍટ હાર્ટ, ઍન્ડ ધિ મૅડનેસ વિલ એન્ડ ઍન્ડ ટ્રાન્ક્વિલિટી વિલ બી રિસ્ટોર્ડ’.

સરતાજના ઘરમાં ‘અપને ફૌજી ભાઇયોં કા સાથ દે’ લખેલું એક કૅલેન્ડર છે. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ગીત ગાતાં હોય છે ત્યાંથી પસાર થતાં એક ખૂબ ગરીબ માજી સહજ રીતે સલામ કરે છે. ગટર ઉલેચવા માટે અંદર ઊતરેલા સફાઈ કામદારને તેની જ્ઞાતિ પૂછતાં તે ‘આંબેડકરવાદી’ એમ કહે છે. સંસદના પ્રાંગણમાં ગાંધીજીની મૂર્તિ છે, અને નરેટર કહે છે કે તેની બરાબર સામે તેમની હત્યાના કેસ સાથે સંકળાયેલા સાવરકરનું ચિત્ર લગાડવામાં આવ્યું. આવી સૂક્ષ્મતાઓ તો ફિલ્મમાં અનેક છે. ભવ્યતા અને જોશથી ધ્રૂજાવી દેનારા ધાર્મિક ઉન્માદના દૃશ્યોનું ચિત્રીકરણ આનંદની હથોટી છે.

તેની બધી ફિલ્મોમાં મળતાં શ્રમજીવીઓ શહેરના પ્રચંડ બાંધકામ પરના મજૂરો, અલખાકની લોઢાની ભઠ્ઠીના કારીગર કે સૂકાં ખેતરમાં કામ કરતાં ખેડૂતો તરીકે મળે છે. ચળવળની સંઘોર્મિનાં ગીત-સંગીત વિના આનંદને ચાલતું નથી. અહીં શીતલનો કાર્યક્રમ છે. પાનસરેની  પ્રેરણા પામેલા કોલ્હાપુરના શાહિર નિકમની શાહિરી છે, જે.એન.યુ.ના યુવાઓનું ‘આ ચલ કે તુઝે …’ છે, ગૌરી લંકેશની હત્યાના વિરોધનાં ગીતો રૅલીમાં ગવાય છે. આજે 69 વર્ષના આનંદે આ ફિલ્મ માટે 2014થી દેશમાં અનેક જગ્યાએ ફરીને ખુદ શૂટીન્ગ કર્યું છે. હાઇ ક્વાલિટી કૅમેરા વર્ક અને ખૂબ સૂઝપૂર્વકનું એડિટિંગ એ આનંદની હંમેશની ખૂબીઓ અહીં પણ છે. હંમેશની સ્પષ્ટ ભૂમિકા ફિલ્મની કૉમેન્ટરીમાં તો છે જ. પણ તે ખૂબ વેધક રીતે ‘કેરેવાન’ માસિકને  આપેલી એક મુલાકાતને અંતે પણ આવે છે : ‘મને આશા છે કે જો તમારામાં થોડીક પણ માણસાઈ હશે તો આ ફિલ્મ તમને હલાવી જશે. એટલા માટે નહીં કે એ એક મહાન ફિલ્મ છે, પણ એટલા માટે એમાં જેનું વર્ણન છે તે વાત સાચી અને દુ:ખદ બંને છે. પણ આ શોકાન્તિકા એવી છે કે જો આપણે જાગવાનું પસંદ કરીએ તો તેને  થતી અટકાવી પણ શકાય અને તેને પલટાવી પણ શકાય. આ વાતને અહીં અને અત્યારે જ જોવી પડે, અન્યથા તેને જોવા માટે ભવિષ્યની પેઢીઓ હશે જ નહીં – હશે કેવળ ન્યુક્લિયર રેડિયેશન સામે ટકી ગયેલા વંદા હશે. ખરેખર, આપણે અણુયુદ્ધ ટાળી શકીએ તો પણ, અમીત શાહ, નરેન્દ્ર મોદી, અજીત દોવલ, મસૂદ અઝર અને હાફિઝ સઈદ દ્વારા ચલાવાતી દુનિયા જીવવા જેવી રહે ખરી ?’

ઉપર્યુક્ત વ્યક્તિઓને આવું સંભળાવવા માટે તો ખરી જ, પણ તેમની સામે ફિલ્મરૂપી અરીસો ધરવા માટે અત્યારના ભારતમાં  હિમ્મત જોઈએ, ખરું ને મિત્રોં ?

17 એપ્રિલ 2019

******

Loading

...102030...2,8142,8152,8162,817...2,8202,8302,840...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved