Opinion Magazine
Number of visits: 9577095
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊભા રહેવું

ભરત મહેતા|Opinion - Opinion|4 May 2019

કોઈ ‘હાથ’ લાંબા કરીકરીને
આપણને બેઠા કરવાનું નાટક કરે
ને આપણે માંડ-માંડ બેઠા થઈએ, ના થઈએ
ત્યાં તો હાથ પાછો ખેંચી લે!
હા … હા … કરતાં કિકિયારે ચડે
ને આપણા હાથ હેઠા પડે!
માંડ કળ વળી ના વળી ત્યાં તો
બીજો ટપક્યો!
ભવાયાનો વેશ લઈ, ઢોલત્રાંસાનગારા સમેત ખાબકે
લઈ લો ભાઈઓબહેનો લઈ લો.
કમળસરખા સરસ દિવસે લઈ લોની બુમરાણ મચાવતા
કેસરિયા કરતાં હોય એમ નીકળી પડ્યાં છે ટોળેટોળાં,
ખભે ખેસ ને નવો વેશ!
પણ કમળફમળ તો ચ્યાંથી હોય ભૈ?
હોય તાજોમાજો, લિસ્સેલિસ્સો કાદવકીચડ ભરચક્ક ભરચક્ક
બહુ બધાએ બચાડાઓએ દોટ દીધી કમળ લેવા!
પણ એમની તો જે ભલી થાય, જે વલે થાય,
જે પટકાય, જે લપસાય, ને ભૈ જોવા જેવી થાય!
શંખણીઓ જ નહીં, રાતી ચાંચ લપટાણી,
લખમી જ નહીં, સરસ્વતી ય લપટાણી,
વિષ્ણુ જ નહીં, વિઠ્ઠલે ય લપટાણા,
પથરા જ નહીં, જવાહરે ય લપટાણાં,
બાળકો જ નહીં, વૃક્ષો ય લપટાણાં,
અવસરિયા જ નહીં, કલસરિયા ય લપટાણા
શેતાનો જ નહીં, સાધુઓ ય લપટાણા,
શિષ્યો જ નહીં, ગુરુઓયે લપટાણા.
ચારેકોર કાદવકીચડ કાદવકીચડ ભરચક્ક-ભરચક
          પંચાયતોમાં ને પાલિકામાં ય,
          નિશાળોમાં ને કૉલેજુમાં ય,
          કોર્ટોમાં ને સભાઓમાં ય,
          ધારાસભા ને લોકસભામાં ય
ચારેકોર કાદવકીચડ-કાદવકીચડ ભરચક ભરચક
          ટટ્ટાર ચાલવાની વાત તો જવા જ દ્યો
          આજકાલ તો બહુ મુશ્કેલ છે,
          લપસ્યા વિના
          કેવળ
          ઊભા રહેવું.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 20

Loading

મીંઢાં મૌન અને આઝાદ લબ

રોહિત શુકલ|Opinion - Opinion|4 May 2019

રવીશકુમાર બિહારના મોતીહારી જિલ્લામાં ૧૯૭૪માં જન્મેલ આ પત્રકાર વિચાર અને ભાષાની સમૃદ્ધિ ધરાવે છે; પણ તેથી ય અધિક છે તેમની મૂલ્યનિષ્ઠા. આ મૂલ્યનિષ્ઠા છે લોકશાહી અંગેની અને તેના બંધારણમાં સુપેરે પ્રસ્થાપિત મૂલ્યો બાબતની. દેશમાં અનેક ટી.વી.-ચૅનલો ચાલે છે અને એન.ડી.ટી.વી.તે પૈકીની એક છે.

એ એકને લગભગ અદ્વિતીય બનાવી મૂકવાનું કામ બાકીની ચૅનલો અને  મીડિયાએ કર્યું છે. જ્યારે અન્યત્ર ફેકન્યૂઝ (અને ફેકંમફેક ન્યૂઝ પણ ખરા) ફેલાઈ ચૂકયા છે, ત્યારે તથ્યો અને સત્યોના પડખે ઊભા રહીને, પૂર્ણ નિર્ભયતાથી બોલનારો અવાજ આ એન.ડી.ટી.વી.નો છે. ટીવી ચૅનલો અને છાપાંનો ખાસ્સો મોટો હિસ્સો કોર્પોરેટજગતના ખિસ્સામાં છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે આ જ કૉર્પોરેટજગતના બીજા ખિસ્સામાં રાજકારણીઓ ઝૂલે છે. આ દેશમાં નવ્ય મૂડીવાદના પેસારા પછી આર્થિક અસમાનતા વધતી જ ગઈ છે. માંડ એક ટકા લોકો પાસે દેશની તોંતેર ટકા સંપત્તિ આવી ગઈ છે. જે દેશમાં ગાંધીજીએ અન્યો તરફની અનુકંપાના કારણે પોતાનાં વસ્ત્રો પણ ટુંકાવ્યાં તે દેશમાં એક ઉદ્યોગપતિ પોતાની દીકરીનાં લગ્નમાં રૂ.૭૦૦ કરોડ ખર્ચે છે, અને આ રકમ તો તેની સંપત્તિનો એક ટકાનો પણ ચોથો ભાગ (૦.ર૩ ટકા) છે.

આ જ દેશના એક કહેવાતા વિકસિત રાજ્ય ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં, ર૦૧૯માં, વી.આઈ.પી.ઓને જે ભોજનથાળ પીરસવામાં આવ્યો, તેની કિંમત રૂ.૭૦૦૦/- થી વધુ હતી. રાજ્યમાં નિશાળોમાં ચાલતી મધ્યાહ્‌ન ભોજન યોજનામાં બાળક દીઠ રૂા.૭/- ખર્ચવામાં આવે છે. તે રીતે આ સમિટમાં પધારેલ પ્રત્યેક મોંઘેરા મહેમાને રાજ્યના એક હજાર બાળકોનું ભોજન આરોગ્યું!

રાજ્યના પિસ્તાળીસ ટકા બાળકો કુપોષિત છે; આમ છતાં, ગુજરાતીભાષી છાપાં કે ચૅનલોએ આ મુદ્દાને ઉપાડ્યો જ નહીં. જો સરકારને સહેજ પણ શંકા હોત કે મીડિયા આ બાબતને જગતના ચોકમાં તાણી લાવશે, તો તે આવો ખર્ચ કરતાં પહેલાં વિચાર કરત. લોકશાહીમાં સરકારોને પોતાના તરંગી વ્યવહારો અમલમાં મૂકવામાં આવો મીડિયાનો ડર જરૂરી ગણાય. સરકાર જો લોકોની ધાકમાં ન રહે, તો તે બેફામ બનીને જનતાનાં નાણાંનો અયોગ્ય ઉપયોગ કરવા તરફ વળી જતી હોય છે. કદાચ આથી જ દેશમાં તટસ્થ નહીં પણ ‘ગોદી મીડિયા’નું આટલું બધું પ્રસારણ છે.

રવીશકુમાર ટી.વી.ના કાર્યક્રમોમાં, લેખક તરીકે કે પછી વક્તા તરીકે જે બોલે-લખે છે, તેમાં પૂરેપૂરી નિસબત જણાય છે. તેમની નિસબતનો સૌથી અગત્યનો મુદ્દો લોકશાહી છે. લોકશાહી ઘણાને મન એક સાધન છે, તો અન્ય ઘણા તેને સાધ્ય પણ માને છે. લોકશાહી વગર વિચાર, લેખન અને એકંદરે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જ હણાઈ જાય છે. અભિવ્યક્તિનું જે સ્વાતંત્ર્ય ર૦૧૪ પહેલાં હતું. તે તૂટી ગયું છે. દાભોલકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ, જે.એન.યુ.ના કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી, જાદવપુર કે જામિયા-મિલિયા બાબતે સરકારના અભિગમો દર્શાવે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ચાહનારના જીવ જ જોખમમાં છે. ખરેખર તો શિક્ષણનું ક્ષેત્ર મૌલિક વિચારો કરતું રહે તે તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે. પત્રકારત્વનું ક્ષેત્ર પણ વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર અવલંબે છે. તેનો દરજજો રાજ્યતંત્રના અન્ય ત્રણ સ્તંભ-ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર, વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની સમાન કક્ષાનો છે. આથી જ તેને ચોથો સ્તંભ કહેવાય છે. વડાપ્રધાને વીતેલાં પાંચ વર્ષમાં એક પણ પત્રકારપરિષદ કરી નથી, એટલી જ બાબત આ ચોથા સ્તંભના મહત્ત્વને પિછાનવામાં ઘણી સૂચક છે.

અભિવ્યક્તિનું એક અન્ય માધ્યમ ફિલ્મઉદ્યોગ પણ છે. તેના ઘણા કલાકારો ઘમકીઓના ભોગ બન્યા છે. દીપિકા અને સંજય ભણશાળીનાં માથાં ઉતારી લાવનારને રૂા.૧૦ કરોડના ઈનામની જાહેરાત હરિયાણાના શાસકપક્ષના સૂરજપાલ દ્વારા કરાઈ હતી. રવીશકુમાર પોતે પણ – માત્ર તીવ્ર આલોચના જ નહીં – પણ ટ્રોલ, ગંદી ગાળો, ખૂનની ધમકીઓ તેમ જ કુટુંબીજનો ઉપર અત્યાચાર કે બળાત્કાર કરવાની ધમકીઓ પણ વેઠતા રહ્યા છે. સવાલ ઊઠે જ કે આવું કોણ કરે છે અને શા માટે ? જે કોઈ હોય તે – પણ તે લોકશાહીના મૂળભૂત અધિકારોના જાની દુશ્મનો છે, તે નક્કી.

દેશનું આ વાતાવરણ હિટલર-મુસોલિનીના શાસનના કેટલાક અંશો ધરાવતું હોવાનું પણ જણાય છે. જર્મનીમાં ૧૯૩૮ના નવેમ્બર મહિનાની ૯-૧૦ તારીખો દરમિયાન યહૂદીઓ સામે મહાતાંડવ ખેલાયું. રાજયનું તંત્ર તમાશબીન બન્યું અથવા તોફાનીઓનું સમર્થક બન્યું. કાંઈક આવું જ ભારતમાં પણ બનવા માંડ્યું. હોય તેવી શંકા જાય છે. ર૦૦રના ગુજરાતનાં તોફાનો અને પછી ર૦૧૪થી શરૂ થયેલા મોબલિંચિંગના બનાવો એક કોમ સામે બીજી જાતિ અથવા કોમના મનમાં ઉગાડેલાં નફરત, ઘૃણા અને વેર-ઝેરનાં વાવેતરોના પરિપાક રૂપે છે. ઊના, અખલાક, અકબરખાન, જુનેદખાન, કઠુઆ વગેરે જેવા અનેક બનાવો સામાન્ય માનવતાની પણ વિરુદ્ધના છે. આવા પ્રસંગોએ જ્યાં એક તરફ ટોળાંશાહી ચાલી છે, ત્યાં બીજી તરફ મીડિયાએ કયાં તો સમાજને જાગૃત કરવામાં દુર્લક્ષ સેવ્યું છે અથવા મીંઢું મૌન સેવ્યું છે. રવીશકુમારને આવા પ્રસંગોએ મીડિયાના વલણ સામે ભારે નિરાશા જન્મતી હોય તેમ જણાય છે.

રવીશકુમારને ફેકન્યૂઝ, ગોબલ્સના પ્રચાર અને ગંભીર સમસ્યાઓ પ્રત્યેના આંખમીચામણાં સામે પણ એટલો જ આક્રોશ છે. ખાસ કરીને ફેકન્યૂઝની બાબતે તે અત્યંત ચિંતિત અને વ્યાકુળ પણ છે. હિટલરે ગૅસચૅમ્બરમાં લગભગ ૬૦ લાખ યહૂદીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, છતાં આવું કાંઈ બન્યું જ નથી, એવું ઠસાવવા ગુગલની વેબસાઇટ ઉપર પણ પ્રયાસ થયા. ભારતમાં ખુદ વડાપ્રધાન દ્વારા ર૦૧૭ની ગુજરાતની ચૂંટણીમાં, પાકિસ્તાનના હાઈકમિશનરના નિમંત્રણથી યોજાયેલ મીટિંગમાં ભારતમાંથી ઉપસ્થિત મહેમાનો અને મીટિંગના ઉદ્દેશો તથા ઇરાદાઓ બાબતે કહેવાયેલી બાબતો સત્યથી વેગળી હતી. (પૃ.રપ) રવીશકુમાર દેશમાં ઊભા થતા તનાવ કે હિંસાના કેટલાક બનાવો પાછળ ફેકન્યૂઝની ભૂમિકા હોય તેમ માને છે.

આવી જ મોટી ચાલબાજી મુદ્દા ભટકાવતા રહેવામાં કે ગંભીર મુદ્દાને ચર્ચામાંથી અને તે રીતે લોકનજરમાંથી બહાર રાખવાની રમાય છે. દેશમાં કિસાનો, બેરોજગાર, યુવાઓ, શિક્ષણની અને સ્વાસ્થ્યની સેવાઓના અમલ તથા વહીવટની ગંભીર સમસ્યાઓ છે. છતાં સરકાર રાષ્ટ્રવાદ, જાતિવાદ, ગોરક્ષા કે રામમંદિર જેવા મુદ્દા ચગાવે છે. હવેના ભારતમાં લગભગ પચાસથી સાઇઠ ટકા વસ્તીનો ટીવી/છાપાં સાથે સંપર્ક છે, આથી આ મુદ્દા ભટકાવવાની ચાલબાજી ચૂંટણી જીતવા માટેનો હથકંડો બની રહે છે. આ બધું સમાજમાં એક ખાસ માનસિકતા ઊભી કરવા માટે થતું હોય તેમ જણાય છે. આ માનસિકતાને રવીશકુમાર ‘રૉબોપબ્લિક’ – યંત્ર માનવોનો સમાજ ગણાવે છે. આ સમાજ પોતાની તર્ક અને વિવેકશકિત ગુમાવી બેઠો હોય છે.

આ બધાની સાથોસાથ ઇતિહાસ અને વિજ્ઞાનને પણ આગવી રીતે સ્થાપવાનો કે મૂલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ખુદ વડાપ્રધાન પોતે વિજ્ઞાનની પરિષદમાં ગણપતિના ધડ ઉપર હાથીનું માથું જોડવાની બાબતને દેશના ભવ્ય ભૂતકાળના ઉદાહરણ તરીકે જુએ ત્યારે આશ્ચર્ય થાય જ. દેશમાં તે સમયે પ્લાસ્ટિકસર્જરી થતી હતી, એમ કેવી રીતે કહેવાય? એ જ રીતે મહાભારતકાળમાં ભારત પાસે બ્રહ્માસ્ત્ર હતાં. અને ટેલિવિઝન હતાં. (કદાચ ઓબી વાન અને સેટેલાઇટ પણ હશે જને?) અને રામાયણકાળમાં વિમાનો હતા એમ પણ કહેવાય છે. શ્રીલંકાથી ઊડીને અયોધ્યા ઊતરેલું આ વિમાન કયા ઈંઘણથી ચાલ્યું હશે અને તેનું નૅવિગેશન કઈ રીતે થયું હશે, તેની માહિતી નથી !

રવીશકુમાર થોડીક વ્યગ્રતા સાથે સૂચવે છે કે દસેક હજાર કરોડ રૂપિયાનો એક અલગ પ્રોજેક્ટ જ બનાવો અને ઇતિહાસને નવેસરથી તથા પોતાને અનુકૂળ આવે તે રીતે લખી કાઢો!

રવીશકુમારના લખાણમાં પ્રત્યક્ષ રીતે લોકશાહી અને માનવકેન્દ્રી રાજ્ય તથા સમાજની રચના માટેની ચિંતા વ્યક્ત થાય છે. અલબત્ત, એક સામાજિક સંવેદનશીલતાની પણ તે અપેક્ષા રાખે છે. ભારતના બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંકલ્પોના તે અડગ પુરસ્કર્તા છે. આ બાબતે તે રાજકારણ અને પક્ષોથી ઉપર પણ છે અને બહાર પણ છે. પ્રવર્તમાન સરકારનાં કેટલાંક ઉચ્ચારણો અને કાર્યોને તે આ દૃષ્ટિએ પણ જુએ છે. નેહરુ ભગતસિંહને જેલમાં મળવા ગયા હતા? કે નેહરુના કારણે સરદાર વડાપ્રધાન બની ન શક્યા અથવા જનરલ કરિઅપ્પા તરફનો વ્યવહાર ઉચિત ન હતો વગેરે પ્રકારનાં બિનપાયાદાર અને પ્રચારાત્મક વિધાનોથી આગળ વધીને નેહરુને ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતા તેવું દર્શાવતા ફેકફોટા પ્રચલિત કરવાના પ્રયાસો બાબતે પણ તે દુઃખ અનુભવે છે.

પાયાનો મુદ્દો એ છે કે રવીશકુમાર એક એવા સમાજની ખોજમાં છે કે જેનું સ્વપ્ન ભારતના બંધારણે સેવ્યું છે. વિવિધ ધર્મો, ભાષાઓ, સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાવાળા આ દેશને પ્રગતિ અને સાચા વિકાસના માર્ગે લઈ જવા માટે આધુનિકતાભર્યો વૈચારિક અભિગમ અનિવાર્ય છે. આ આધુનિકતાની ફિલસૂકી બહુઆયામી છે પરંતુ તેના બે મુદ્દા વ્યાપક-મહત્ત્વના છે. આ બે મુદ્દા એટલે માનવીયતા અને વૈજ્ઞાનિક વિચાર. નેહરુના સાયન્ટિફિક ટેમ્પર, અને સંવેદનશીલ માનવીય અભિગમ સાથે આ સુપેરે બંધબેસતી બાબત હતી. આઝાદીની લડતમાં ગાંધીજી માત્ર અંગ્રેજોને દૂર કરવા નો’તા માંગતા; તે તો અંગ્રેજિયતના વિરોધી હતા.

ખૂબીની વાત એ છે કે તે સમયે હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ એમ સૌ એકજૂટ થઈને લડ્યાં અને ઘણાએ કુરબાની વેઠી, મૌલાના આઝાદ, ખાન અબ્દુલ ગફારખાન, વગેરે અનેકોએ કુરબાની વેઠી, તે સમયે પેલા કટ્ટર હિંદુત્વવાદીઓ લડતથી તો વેગળા રહ્યા જ; પણ અંગ્રેજોની મદદમાં પણ રહ્યા. આ પરિબળો હવે હિંદુત્વના નામે સમાજને વિભાજિત કરીને કાળની ગતિમાં પરિવર્તન કરવા માંગે છે. રવીશકુમાર આવાં પરિબળો સામે એકજૂટ થઈને બોલવા કહે છે. દેખીતું છે કે આ લડત કોઈ વ્યક્તિ કે પંથ સામેની નથી, લડત તો વિચારોની છે. પ્રવર્તમાન  પરિસ્થિતિ ડરાવી-ધમકાવીને, કે પછી ફેકન્યુઝ દ્વારા અથવા અપપ્રચાર દ્વારા સમાજને ભટકાવવા પ્રયાસ કરે છે. હિટલરે પણ યહૂદીઓ સામે લગભગ આવું જ કર્યું હતું. મુસલમાનો અને યહૂદીઓ સામેનાં આ વલણો સાવ બિનપાયાદાર છે.

ભારતમાં મુસલમાનોના પ્રદાનની એક લાંબી યાદી છે. તેવું જ પશ્ચિમના યહૂદીઓ માટે છે. કાર્લ માર્કસ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન યહૂદી  હતા. ફિનોમિનોલૉજીનો પ્રખર વિચારક હર્શલ અને વિખ્યાત મનોવિજ્ઞાની ફ્રૉઈડ પણ યહૂદી હતા. યહૂદીઓ નકામા કેવી રીતે ? અલ્લારખાં, બિસમિલ્લા ખાન ઉસ્તાદ અલી અકબરખાન, વિલાયત હુસેન વગેરે ને છેક અમીર ખુસરોથી શરૂ કરીએ અને મહંમદ રફી સુધી આવીએ, તો સમગ્ર કલાજગતમાં મુસલમાનોનું પ્રદાન સમજાશે. આ બધા નકામા?

કોણે કેવાં વસ્ત્રો પહેરવાં અને શું ખાવું તે બાબત સરકારોએ નક્કી કરવાની ન જ હોય. આવા મુદ્દાઓને ફેકન્યૂઝ અને સોશિયલ કે અન્ય મીડિયા ઉપર ઉછાળીને જાતિદ્વેષ ઊભો કરવો તે આધુનિક અને બંધારણપ્રણિત સમાજરચનાની વિરુદ્ધનું છે. રવીશકુમારની વ્યથાનાં મૂળ આવાં કારણોસર ખૂબ ઊંડાં છે.

એકંદરે ભારતીય સમાજ અને હાલમાં આ રાજ્યતંત્ર ખુદ એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. એક તરફ પરંપરાવાદી બાબાઓ કે કહેવાતા ધર્માચાર્યોની પકડ વધતી જાય છે, બીજી તરફ મોટાં કૉર્પોરેટગૃહો છે, તો ત્રીજી તરફ, આ બધાના મેળાપીપણામાં ચાલતી સરકાર છે. આવી સરકારો લોકશાહી આદર્શો ધરાવતા કલ્યાણરાજ્યની સ્થાપનાથી જોજનો દૂર ભટકતી જાય છે. તેના રોજરોજ બનતા દુઃખ અને પીડાદાયક બનાવોના રવીશકુમાર એક સાક્ષી બનતા રહે છે, કારણ કે પત્રકારત્વની ભૂમિકામાં તેમના માટે આ એક નિર્મિતિ છે.

એક તરફ જયાં કોઈ પણ ભોગે સત્તા જાળવી રાખવાના કાવાદાવા ચાલે છે, ત્યારે બીજી તરફ સમાજ અતિ ગંભીર સમસ્યાઓથી ઘેરાતો જાય છે. છેલ્લાં પિસ્તાળીસ વર્ષોમાં ન થઈ હોય, તેવી બેરોજગારી છે. આટલી વ્યાપક બેરોજગારી હોય, ત્યાં જી.ડી.પી.ની વૃદ્ધિ પણ ઓછી જ હોય ! ખેડૂતોની બેહાલી પણ બધા જાણે જ છે. તેમના દિલ્હીનાં ધરણાં કે મહારાષ્ટ્રમાં નાસિકથી મુંબઈ સુધીની પેદલયાત્રા – આમ અનેક સમસ્યાઓથી દેશ ઘેરાઈ ગયો છે. રવીશકુમારે શિક્ષણ, બેકારી, બૅંકોની નોકરી વગેરે જેવા મુદ્દા ઉપર સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમો આંખ ઉઘાડનારા છે. રવીશકુમારે આ બધા પાછળ ઊંડો અભ્યાસ કર્યો છે. તેમના કાર્યક્રમો માત્ર મિનિટો ભરવા માટે નહીં, પણ સચ્ચાઈને ઉજાગર કરવા માટે હોય છે. આ કાર્યક્રમોથી અકળાયેલી સરકારે ર૦૧૮ માં એન.ડી.ટી.વી.ના શ્રી પ્રણય રૉયના નિવાસસ્થાને ઇન્કમટૅક્સના દરોડા પણ પાડ્યા. સરકારને સત્યનો સામનો કરવામાં કેટલો ડર લાગે છે, તે આથી સ્પષ્ટ થાય છે.

પણ પછી એ જુએ છે કે એમની સાથે ચોથી જાગીરના એમના પોતાના વ્યાવસાયિકો પણ અડીખમ ઊભા નથી. અલબત્ત, આમાં કેટલાક અપવાદો છે. જે સમાજ માત્ર નીંભર નથી, પણ આક્રમક બનતો જાય છે. આક્રમકતા ક્યારેક ધર્મદ્વેષ તરફ તો ક્યારેક જાતિદ્વેષ અને લિંગભેદથી ઊભી થતી માણસાઈ વિરુદ્ધની અસામાનતા તરફ દેશને ઘસડી જાય છે.

ક્યાંક તેમનો અવાજ બુલંદ પણ બને છે અને દિલી નિસબતભર્યો પણ વિરુદ્ધની તેથી જ તે કહે છે – ચાલોને પહેલા જ જેલમાં જઈ આવીએ. સરકાર ગુનો ગણીને ધરપકડ કરે, ત્યારે કહેવા થાય કે સાહેબ, જેલના અમારા ખાતે જમા બોલતા દિવસોને પણ લક્ષમાં લેજો. આ પ્રકારે, ઝમીર સાચવીને ખુમારીથી વર્તનારા થોડાક ઓર પત્રકારો અને બુદ્ધિજીવીઓ આ દેશમાં છે, જે એક મોટી તસલ્લી છે.

છેલ્લી આશા પણ આ બચી છે. ફેઝ મહંમદ ફેઝ કહે છે તેમઃ ‘બોલ કે લબ આઝાદ હૈ તેરે. બોલ કે જૂબાં અબતક તેરી હૈ.’

રવીશકુમાર કંઈક અંશે ફિલ્મ પ્યાસાના સાહિર લુધિયાનવીના ગીત જેવા સવાલને ખભે ઉઠાવીને ફરી રહ્યા છે; તે પૂછે છે :

‘જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ,’

આથી જ ડર્યા વગર તથા તથ્યોની પૂરી ખરાઈ કર્યા પછી સૌએ એકજૂટ થઈને બોલવું જ  રહ્યું.

આ પુસ્તકના સારને, એક ગુજરાતી લેખમાળા દ્વારા ભૂમિપુત્રે પ્રકાશિત કર્યું તે નોંધપાત્ર છે. હવે તેના સંકલિત સ્વરૂપને પ્રકાશિત કરવામાં આવે છે. તે સંતોષની બાબત છે. ભૂમિપુત્ર – યજ્ઞપ્રકાશન આ માટે લોકોનાં અભિનંદન તથા પ્રશંસાને પાત્ર છે.

વાત રવીશકુમારની (રજૂઆત : રજની દવે; યજ્ઞ પ્રકાશન, હિંગળાજ વાડી, હુજરાત પાગા, વડોદરા ૩૯૦૦૦૧) માટે લખાયેલી પ્રસ્તાવના

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 15 – 17

Loading

શોષિતોનાં શૂળનું મૂળ શોધનાર મનીષી : કાર્લ માર્કસ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2019

જગતના કરોડો મહેનતકશોના મુક્તિદાતા અને યુગપ્રવર્તક મહામાનવ કાર્લ માર્કસના જન્મને આ પાંચમી મેના રોજ બસોએક વરસ થશે. એક સમયે જેમના વિચારોના પ્રભાવ તળે સ્થપાયેલી રાજવ્યવસ્થા હેઠળ દુનિયાની અડધોઅડધ માનવ વસ્તી શ્વસતી હતી, તે કાર્લ માર્કસે, જિંદગીના ત્રણ દાયકા પણ પૂરા કર્યા નહોતા, ત્યારે વિખ્યાત ‘કમ્યુનિસ્ટ મેનિફેસ્ટૉ’ ઘડીને ખળભળાટ મચાવી મૂક્યો હતો.

ઈ.સ. ૧૮૧૮ની પાંચમી મેના રોજ જન્મેલા કાર્લ માર્કસે શાળાંત અભ્યાસના અંતે “વ્યવસાયની પસંદગી અંગેના એક યુવાનના વિચારો” એ વિશેના નિબંધમાં “માનવજાતના કલ્યાણ માટે જાતને સમર્પિત કરવાની” ઈચ્છા પ્રદર્શિત કરીને, પોતાના ભાવિના એંધાણ આપ્યા હતા. ૧૭ વરસના કાર્લ માર્ક્સ બોન યુનિવર્સિટીમાં કાનૂનનો અભ્યાસ કરવા જોડાયા હતા. ૧૮૩૬માં માર્કસે બર્લિન યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ છોડીને તત્ત્વજ્ઞાન અને ઇતિહાસનો અભ્યાસ કર્યો. ન્યાયશાસ્ત્ર, સાહિત્ય અને કળાઓનો પણ અભ્યાસ કરી ચૂકેલો આ યુવાન ૧૮૩૭ સુધીમાં તો જર્મન વિચારક હેગેલના વિચારોથી પૂરેપૂરો આકર્ષાઈ ચૂક્યો હતો. મિત્રો પર એક સારા ચર્ચક તરીકેનો પ્રભાવ ઊભો કરનાર માર્કસને નાસ્તિકતાનો પણ પાશ લાગી ચૂક્યો હતો. હેગેલનું તત્ત્વજ્ઞાન એમને “અટકળિયા સ્વરૂપ”નું કે “વિચિત્ર બરછટ ગીત” જેવું લાગેલું. એમાંથી જ પ્રેરણા મેળવીને તત્ત્વજ્ઞાનના દરિયામાંથી સાચાં મોતી મેળવવા એ પ્રેરાયા હતા.  “તત્ત્વજ્ઞાન વિના આગળ વધવાનો કોઈ જ માર્ગ નથી” એમ પિતા પરના પત્રમાં લખનાર માર્ક્સના, બે ગ્રીક તત્ત્વચિંતકો પર લખાયેલા – “નેચરલ ફિલોસોફી ઓફ ડેમોક્રિટસ એન્ડ એપિક્યુરસ” એ મહાનિબંધને, ૧૮૪૧માં જેના યુનિવર્સિટીમાંથી, ૨૩ વરસની વયે, ડોકટરેટ મળી હતી.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણાં નેતાઓને વાચન અને અભ્યાસની તક જેલવાસમાં મળેલી. માર્કસને એ તક લાંબી માંદગીમાં મળી હતી. માંદગી દરમિયાન એમણે હેગેલિયન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. “પ્રિયજનના વિયોગની અંગત પીડા કરતાં સમગ્ર માનવજાતના પીડનનું મૂળ શોધવા ગમે તે સહન કરવા” તત્પર, કાર્લ માર્કસ હેગેલના વિચારોથી પ્રભાવિત યંગ હેગિલિયનોના જૂથના નેતા પણ બન્યા હતા. ડોકટરેટ મેળવીને તેમણે અધ્યાપક થવાનું નક્કી કરેલું પણ પ્રુશિયન યુનિવર્સિટીઓમાં વાણી અને વિચાર સ્વાતંત્ર્ય પર એ જમાનામાં  ભારે દાબ હતો. એટલે માર્કસ પત્રકારત્વ તરફ વળ્યા. આરંભના અખબારી  કટારચી માર્કસ, ૨૪ વરસની વયે, અખબારના તંત્રી બન્યા. એમણે સામાજિક આર્થિક પ્રશ્નોની નિર્ભીકતાથી અને ક્રાંતિકારી દ્રષ્ટિકોણથી ચર્ચાઓ કરતાં લેખો લખવા માંડ્યા. માર્કસના તેજાબી લખાણોથી દાઝેલા પ્રુશિયન સત્તાવાળાઓની કરડી નજર આ અખબાર પર પડી, ને કડક સેન્સરશિપ લાદવામાં આવી. ડોકટરેટ મેળવી માદરે વતન પરત આવેલા માર્કસને પોતાની પ્યારી માતૃભૂમિ છોડવી પડી. ક્રુઝનાકમાં જેની સાથે લગ્નથી જોડાઈને રાજકીય હિજરતી તરીકે પેરિસ આવ્યા.

પેરિસમાં આવીને માર્કસે અભ્યાસમાં અને જર્મન કામદારોના સંગઠનમાં દિલ પરોવ્યું. “લીગ ઓફ જસ્ટ” નામની સંસ્થામાં જોડાયા.ઈ.સ. ૧૮૪૩માં, “જર્મન-ફ્રેન્ચ ઈયર બુક્સ’નું સંપાદન કર્યું. એ નિમિત્તે એન્જલ્સનો પરિચય થયો. માર્કસ-એન્જલ્સની દોસ્તી કાયમી અને ગાઢ બની. પેરિસનિવાસમાં જ એમના મનમાં ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન અને વર્ગ સિદ્ધાંતના બીજ વવાયાં – અંકુરિત થયાં. “ઈકોનોમિક એન્ડ ફિલોસોફિકલ મેન્યુસ્ક્રીપ્ટસ” અને એન્જલ્સ સાથે “જર્મન આઈડિયોલોજી” જેવા બે મહત્ત્વના ગ્રંથો લખ્યા. ઈયર બુક્ની નકલો પ્રુશિયન સરકારે જપ્ત કરી, માર્કસ સામે નોટિસ કાઢી ને આખરે પેરિસ છોડવું પડ્યું.

રઝળપાટનું એક વધુ ચરણ શરૂ થયું ને કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ નહિ લેવાની શરતે બ્રસેલ્સમાં આશ્રય લીધો. પણ ત્યાં ય માર્કસ પ્રવૃત્તિ વિના રહી શકે? “કમ્યુનિસ્ટ કોરસપોન્ડસ કમિટી” રચીને એમણે સંઘર્ષ ચાલુ રાખ્યો. “લીગ ઓફ જસ્ટ”ના સભ્યો સાથેનો નાતો ગાઢ બનતાં, ૧૮૪૭માં, લંડનમાં એનું પ્રથમ અધિવેશન મળ્યું. જ્યાં એન્જલ્સના મંત્રીપદે “કમ્યુનિસ્ટ લીગ’ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનો મુસદ્દો ઘડવાનું કામ માર્કસ અને એન્જલ્સને સોંપવામાં આવ્યું. “કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો” તરીકે જાણીતો, ૪૦ પાનાંનો આ મહાન ઐતિહાસિક દસ્તાવેજ, ઈ.સ. ૧૮૪૮ના ફેબ્રુઆરીમાં લંડનથી પ્રગટ થયો. “બધી જ સત્તાઓ હવે સામ્યવાદને ખુદને એક સત્તા તરીકે સ્વીકારે છે. તેથી, તેને વિશેના કપોળકલ્પિત ગપાટાંઓને ખતમ કરવા અહીં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.” એવા શબ્દોથી શરૂ થતો આ મેનિફેસ્ટો આજે જગતની તમામ ભાષાઓમાં અનુદિત થઈ ચૂક્યો છે. 

”સામ્યવાદી ક્રાંતિથી શાસક વર્ગો ભલે ધ્રૂજે – કામદારવર્ગોએ તો પોતાની જંજીરો સિવાય કશું જ ગુમાવવાનું નથી અને આખું જગત જીતવાનું છે.” એવી ઘોષણા કરતાં માર્ક્સવાદના પ્રથમ કાર્યક્રમ દસ્તાવેજ જેવા આ જાહેરનામાથી યુરોપભરમાં ખળભળાટ મચી ગયો. કામદારો અને શાસકો સામસામે આવી ગયા તથા ભારે ખૂનખરાબો થયો. જો કે ગણતરીના મહિનાઓમાં જ આ ક્રાંતિ નિષ્ફળ ગઈ હતી. માર્ક્સને દેશનિકાલની સજા થઈ એટલે તે  રઝળપાટ કરતાં કરતાં ૧૮૪૯માં લંડન આવ્યા અને મૃત્યુ પર્યંત ત્યાં જ રહ્યા. માર્કસનો આ લંડનવાસ અત્યંત કારમી ગરીબીમાં વીત્યો.

માર્ક્સનો જીવનકાળ એટલે મૂડીવાદનો મધ્યાન્હ. જેમાં શ્રમિકોનું બે-રહેમ શોષણ થતું હતું. અને તેમનું મૂલ્ય પશુ જેવું હતું. ઔદ્યોગિક ક્રાંતિના એ આરંભકાળમાં મજૂરોનું શોષણ વધતું અને વકરતું રહ્યું. ગુલામો તથા વેઠિયાઓ વધતા રહ્યા અને અમીરોની અમીરી અને શોષણ હદ વટાવી ગયા. આ અસમાનતાના મૂળ શોધી, માર્ક્સે એનું નિદાન કર્યું હતું. “અમારે મન ખાનગી માલિકીને બદલવાનો નહીં પણ તેને મીટાવવાનો સવાલ છે. વર્ગ વિરોધોને ઢાંકી રાખવાનો નહીં, પણ વર્ગોને નાબૂદ કરવાનો સવાલ છે. આજની સમાજરચનાને સુધારવાનો નહીં પણ નવી સમાજરચના શોધવાનો સવાલ છે.” એમ કહેનાર માર્ક્સે પોતે શું નવું શોધ્યું છે તે વિશે કહ્યું છે, “ઉત્પાદન પ્રક્રિયાના વિકાસના અમુક ચોક્કસ તબક્કાઓ સાથે જ વર્ગવિગ્રહ અનિવાર્ય રીતે શ્રમજીવી વર્ગની રાજસત્તામાં પરિણમે છે અને આ રાજસત્તા પણ વર્ગોની નાબૂદી અને વર્ગવિહીન સમાજની રચના તરફના પ્રયાણમાં એક વચગાળાનો સંક્રાંતિકાળ જ છે, કાયમની નથી.”

મૂડીવાદને ઉથલાવી પાડવા માટે કામદાર વર્ગની સરમુખત્યારી ઝંખતા માર્કસનો મૂડીવાદી ઉત્પાદનનું આલોચનાત્મક વિષ્લેષણ કરતો મહાગ્રંથ “મૂડી”નો પ્રથમ ભાગ ૧૮૬૭માં પ્રસિદ્ધ થયો હતો. ઈ.સ. ૧૮૮૩ની ૧૪મી માર્ચે , ચોસઠ વરસની વયે, લંડનમાં માર્કસનું અવસાન થયું ત્યારે એમને અંજલિ આપતાં ફેડરિક એન્જલ્સે કહ્યું હતું, “માણસો રાજકારણ, વિજ્ઞાન, કલા, ધર્મ કે એવી બીજી બાબત પ્રત્યે ધ્યાન આપે તે પહેલાં તેમને ખાવાને ખોરાક, પીવાને પાણી, પહેરવાને વસ્ત્ર અને માથે છાપરું – આટલાં વાનાં તો હોવાં જ જોઈએ, એ હકીકત બહાર આણવાનું મહત્ત્વનું કાર્ય આ મહાપુરુષે કર્યું છે.” કાર્લ માર્કસ જગતના કામદારોના, શોષિતોના દુ:ખદર્દનું ખરું કારણ શોધનાર પ્રથમ સમાજવિજ્ઞાની હતા. જ્યાં સુધી જગતમાં ગરીબી, અભાવો, શોષણ અને અસમાનતા રહેશે અને તેની સામેનો આમ આદમીનો સંઘર્ષ જારી રહેશે ત્યાં સુધી માર્કસ અને તેમના વિચારો જીવંત રહેવાનાં જ.

e.mail : maheriyachandu@gmail.com

[તા.૦૧-૦૫-૨૦૧૯ ના “સંદેશ” દૈનિકની ‘ચોતરફ’ કોલમમાં પ્રકટ]

Loading

...102030...2,8012,8022,8032,804...2,8102,8202,830...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved