Opinion Magazine
Number of visits: 9577082
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મસૂદ અઝહરનું બ્લેકલિસ્ટીંગઃ સ્વાર્થ, કૂટનીતિ, સત્તા પ્રદર્શન અને વિક્ટરી ટ્રોફી, વગેરે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 May 2019

ભૂતકાળમાં યુ.એન. દ્વારા હાઇફઝ સઇદ, લશ્કર-એ-તોયબાના અબ્દુર રહેમાન, ઝાકી ઉર રહેમાન લખવી અને દાઉદ ઇબ્રાહિમને પણ આતંકવાદી જાહેર કરાયા છે પણ કંઇ ફેર પડ્યો નથી.

૧૯૯૪ની શરૂઆતમાં ખોટી ઓળખાણ સાથે ભારતમાં ઘુસેલા મસૂદને આતંકી પ્રવૃત્તિઓ બદલ જેલભેગો કરાયો. ૧૯૯૯ની સાલમાં જ્યારે ફ્લાઇટ 814નું અપહરણ કરીને કંધાર, અફઘાનિસ્તાન લઇ જવાઇ, ત્યારે આતંકીઓએ જાપ્તામાં રાખેલા માણસોને છોડવા માટે જે માંગણીઓ મૂકી હતી તેમાંની એક હતી મસૂદ અઝહરની મુક્તિ. ભારત સરકારે ત્યારે આતંકીઓનાં સંકજામાં સપડાયેલાઓનો જાન બચાવવા મસૂદ અઝહર સહિત ત્રણ આતંકીઓને છોડ્યા, ત્યારે આપણાં અખબારોમાં મસૂદ અઝહરનું નામ મથાળામાં ઝળક્યું હતું. આ અઠવાડિયે મસૂદ અઝહર ફરી એકવાર સમાચારોનો મુખ્ય વિષય બન્યો. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરને બુધવારની સાંજે વૈશ્વિક આતંકવાદી ઘોષિત કર્યો એ સાથે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જે ચર્ચાઓ છેડાવી જોઇએ એ તો છેડાઇ, પણ આપણે ત્યાં ભક્તિનો ઘોંઘાટ બમણો થઇ ગયો. ભારત માટે મસૂદનું યુ.એન. દ્વારા બ્લેક લિસ્ટીંગ બહુ મોટો ‘ડિપ્લોમેટિક વિન’ ગણાય છે. પરંતુ આ આખી ય ઘટના પાછળ એક માત્ર આપણા વડાપ્રધાન કારણભૂત છે, એમ માની લેવું એ તદ્દન ખોટું છે. યુ.એન.નાં આ નિર્ણય પાછળનાં તમામ કારણોને વિસ્તારથી સમજીને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવો જરૂરી છે.

જૈશ-એ-મોહંમદનાં કારનામાં

સૌથી પહેલાં તો આ જૈશ-એ-મોહંમદે કરેલા નોંધપાત્ર આતંકી હુમલા પર એક નજર નાખીએ. લશ્કર-એ-તોયબા સાથે મળીને ૨૦૦૧માં આ જૂથે આપણી સંસદ પર હુમલો કર્યો હતો. ડેનિયલ પર્લ નામના અમેરિકી પત્રકારની હત્યામાં પણ આ જૂથનો હાથ હોવાની શક્યતા છે. તેમણે રાજકીય મહત્તા ધરાવનારા ભારતીયનું અપહરણ કરીને ૪૨ આતંકીઓને છોડાવવાની નિષ્ફળ યોજના કરી હતી (કોનું અપહરણ કરવાનું વિચાર્યું હતું એ નથી કહેવું નહીંતર ભક્તોને જલસા પડશે.). ૨૦૦૩માં પાકિસ્તાની પ્રેસિડન્ટ પરવેઝ મુશર્રફની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ અઝહરનાં નેતૃત્વ હેઠળ કરાયો હતો. ૨૦૦૮માં મુંબઇમાં થયેલા બોમ્બબ્લાસ્ટ માટે પણ આ જૂથ જવાબદાર હોવાનો દાવો ભારત સરકારે કર્યો હતો. ૨૦૦૯માં ન્યુ યૉર્કનાં સિનેગૉગમાં તથા મિલિટરી એરક્રાફ્રટ પર મિસાઇલ્સથી હુમલો કરવા માગતા ચાર જણ જ્યારે ઝડપાયા, ત્યારે તેમાંના એકે પોતે જૈશ-એ-મોહંમદમાં જોડાવા માગે છે તેવું કબુલ્યું હતું. ૨૦૧૬નાં પઠાણકોટમાં થયેલા આતંકી હુમલામાં આ જ સંગઠનનો હાથ હતો તો સપ્ટેમ્બર ૨૦૧૬માં ઊરી આર્મી કેમ્પ પર થયેલો હુમલો પણ આ જૂથે કર્યો હતો. કાશ્મીરમાં પુલવામા સી.આર.પી.એફ.નાં ચાળીસ જવાનોનો જીવ લેનાર હુમલો પણ આ જ સંગઠને કર્યો હતો.

ચીનની ‘ના’ કેમ હતી?

આવા આતંકી હુમલાઓનાં માસ્ટરમાઇન્ડ તરીકે કુખ્યાત મસૂદને વૈશ્વિક આતંકવાદીનું લેબલ મળે તેમાં પાકિસ્તાનને બહુ મોટું નુકસાન હતું. પાકિસ્તાનમાં ‘વૈશ્વિક આતંકવાદી’ કહેવાયો હોય એ માણસ છૂટથી ફરે તો તેમની રહીસહ્યી વૈશ્વિક ‘છાપ’ પણ ખરડાઇ જાય. એમાં ય પાછું બેઇજિંગ અને પાકિસ્તાન વચ્ચે આર્થિક વ્યૂહાત્મક સંબંધો ગાઢ છે. ચીન દ્વારા પાકિસ્તાનમાં કરોડો ડૉલર્સનું રોકાણ થઇ રહ્યું છે, કારણ કે ચીન ‘ઇકોનોમિક કૉરીડોર’ બનાવવા માગે છે. પાકિસ્તાનની છાપ કથળે એ સાથે ચીનની છાપ પણ ધૂળ ભેગી થાય કારણ કે એનાથી સિદ્ધ થાય કે તેઓ એવા રાષ્ટ્ર સાથે ‘દોસ્તી’ રાખે છે જ્યાં આંતકવાદીઓને આશરો મળે છે. ચીન માટે ભારત બહુ મોટો સ્પર્ધક છે અને મસૂદના મામલે કાંકરીચાળો ચાલુ રહે તો ભારત એ ભાંજગડમાં વ્યસ્ત રહે અને ચીનને તગડી સ્પર્ધા આપવા સિવાયનાં કામોમાં પરોવાયેલો રહે. આ કારણોસર મસૂદને ‘વૈશ્વિક આતંકવાદી’નું લેબલ મળે એ માટે ચાલતા ભારતના દસ વર્ષથી પ્રયાસ ચાલુ હોવા છતાં પણ ચીન મચક નહોતું આપતું. આ ઉપરાંત ભારત અને અમેરિકાનાં સંબંધો મજબૂત બને એ પણ ચીન માટે મોટો પડકાર બની શકે છે. ૨૦૦૮માં થયેલી ન્યુક ડિલ પુરાવો છે કે ચીનનાં જડબાતોડ જવાબ તરીકે અમેરિકા ભારતને તૈયાર કરવા માટે તત્પર છે. ભારત મજબૂત ન થાય એ માટે ચીનના બધા પ્રયત્નો ચાલુ હતા. આટલું ઓછું હોય એમ દલાઇ લામા અને તિબેટને ભારતનો ટેકો ચીનને જરા ય માફક નથી આવતો. ભારતને ગમતું ન કરવું એ ચીને નક્કી કર્યું હતું.

સિક્યોરિટી કાઉન્સિલે ચીનનું નાક દબાવ્યું

આ આખી ઘટનામાં ચીન, પાકિસ્તાન, ભારતની સ્થિતિ સમજી લીધા પછી યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલનો રોલ સમજવો જરૂરી છે. યુ.એન.ની સિક્યુરિટી કાઉન્સિલ ૧૫ સભ્યોની એક એવી સમિતિ છે જેનું કામ છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતિ જાળવવાનું. ચીન સહિત અન્ય સભ્યો જે તે પ્રસ્તાવને વોટ આપે તે આધારે સમિતિ પોતાનાં નિર્ણય જાહેર કરે. વળી ચીન પાસે સિક્યુરિટી કાઉન્સિલનો વીટો પાવર પણ છે. ભારત આ સમિતિનો હિસ્સો નથી પણ એક રાષ્ટ્ર તરીકે તે પોતાની વાત રજૂ કરી જ શકે.  યુ.કે., યુ.એસ. અને ફ્રાંસ એ સિક્યુરિટી કાઉન્સિલનાં P3 એટલે કે ગ્રુપ ઑફ થ્રી પરમિનેન્ટ મેમ્બર્સ છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટેની ભારતની રજૂઆતને યુ.એસ.એ., યુ.કે. અને ફ્રાંસનો ટેકો મળ્યો અને અંતે ચીનને નમતું જોખવું પડ્યું. ખાસ કરીને પુલવામાનાં હુમલા પછી જ્યારે મોદી સરકારે યુ.એન. સમક્ષ પ્રસ્તાવ મૂક્યો પછી બાકીનાં ત્રણ રાષ્ટ્રોએ પણ એ માંગ સ્વીકારવા માટે ચીનને દબાણ કર્યું. માત્ર દબાણ જ નહીં પણ એમ કહ્યું કે સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં ચીનનાં ‘નન્ના’ને ‘પબ્લિક વૉટિંગ’ દ્વારા દુનિયા સમક્ષ મૂકી દેવામાં આવશે. જો કે ચીનને ઇચ્છા હતી કે આ મુદ્દો ૧૨૬૭ કમિટીમાં ચર્ચાવો જોઇએ કારણ કે તેની પ્રક્રિયાઓ જાહેર નથી કરાતી. બાકીનાં ત્રણ રાષ્ટ્રોએ ચીનને દબાણ કર્યું એ પાછળ ભારત પ્રેમ નહીં પરંતુ આર્થિક કારણો જવાબદાર છે.

બ્લેકલિસ્ટીંગથી કોનું, શું થશે?

બ્લેકલિસ્ટ થવાથી મસૂદ હવે આતંકી હુમલા નહીં કરે એવું માનવાની કોઇ જરૂર નથી. તેના જૂથને કે તેને વ્યક્તિગત રીતે ટેકો આપતા તમામ આર્થિક એસેટ્સ ફ્રિઝ કરાશે, તે મુસાફરી નહીં કરી શકે અને તેને મળતા અને વેચાતા હથિયારો પર બંધી મુકાશે. પાકિસ્તાન માટે આ બહુ મોટો ફટકો છે કારણ કે ઇમરાન ખાને પુલવામા હુમલામાં જૈઇશનો રોલ હોવા અંગે પુરાવા માગ્યા હતા અને હવે તે કંઇ બોલી શકે તેમ નથી. ભા.જ.પા.ને ચૂંટણીનાં ખેલની વચ્ચોવચ આ ‘લાભ’ મળ્યો છે જેનો ઉપયોગ કરીને મતદારો સમક્ષ તેઓ પોતાનું ‘શક્તિ પ્રદર્શન’ કરવાની એકેય તક જતી નહીં કરે.

આતંકવાદી જૂથનું શું થશે એમ વાત કરીએ તો, હાફિઝ સઇદ અને તેનાં સંગઠને આવા લિસ્ટીંગ પછી પાકિસ્તાનમાં પોતાનાં રજિસ્ટર્ડ નામો બદલી નાખવામાં જરા ય વાર નહોતી કરી. વળી ભૂતકાળમાં યુ.એન. દ્વારા લશ્કર-એ-તોયબાનાં અબ્દુર રહેમાન, ઝાકી ઉર રહેમાન લખવી અને દાઉદ ઇબ્રાહિમને પણ આતંકવાદી જાહેર કરાયા છે, પણ કંઇ ફેર પડ્યો નથી. પાકિસ્તાન ખરેખર આતંકીઓની વિરુદ્ધમાં કંઇ પગલાં લે એવું જરૂરી નથી. જે આટલાં વર્ષોમાં નથી થયું એ હવે થાય એવું માનવામાં કોઇ સાર નથી. પાકિસ્તાન માટે મસૂદ એક સ્રોત છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા આવતા મહિનાની મિટીંગમાં ઇસ્લામાબાદનું બ્લેકલિસ્ટીંગ થઇ જાય એના ડરમાં પાકિસ્તાને બાલાકોટ પછી માંડ એક વાર આતંકીજૂથ સામે ‘કહેવા પૂરતાં’ પગલાં લીધા છે અને આ જ કારણે મસૂદનાં બ્લેકલિસ્ટીંગ સામે પણ તે વાંધો નહીં ઊઠાવે. જો કે એવું કહેવાય છે કે પાકિસ્તાન કદાચ મસૂદને અટકમાં લે પણ જેમ હાફિઝ સઇદની ધરપકડ ‘લિપ સર્વિસ’થી વધારે કંઇ નહોતી તેવું જ આ કિસ્સામાં પણ થઇ શકે છે.

મુત્સદ્દીગીરીનો ખેલ

થોડા સમય પહેલાં ઇમરાન ખાને ચીનની મુલાકાત લીધી હતી, સ્વાભાવિક છે કે ત્યારે બન્ને રાષ્ટ્રના વડા વચ્ચે ‘મસૂદનું શું કરવું છે?’ પ્રકારની ચર્ચા થઇ હશે. મસૂદનાં સંગઠન જૈશ-એ-મોહંમદને ૨૦૧૧માં જ યુ.એન. દ્વારા આતંકી સંગઠન જાહેર કરી દેવાયું હતું માત્ર તેના લિડરનું નામ બ્લેક લિસ્ટ કરવાનું બાકી હતું. પાકિસ્તાન સરકારના દાવા અનુસાર મસૂદ બહુ જ બિમાર છે. બિમાર આતંકીનો હવે પાકિસ્તાનને કોઇ ઉપયોગ નથી. વળી ચીનનું માર્કેટ ભારતમાં બહુ મોટું છે જે ગુમાવવામાં ચીનને રસ ન હોય. ભારતને યુ.કે., યુ.એસ. અને ફ્રાંસનો ટેકો મળ્યો તેની પાછળનાં કારણોમાં પણ સ્વાર્થ છે. યુ.એસ.એ. દ્વારા ચીન અને ભારતને કહેવાયું હતું કે તેઓ ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ ન ખરીદે. ચીને તો અમેરિકાની વાત ન સાંભળી પણ ભારતે નુકસાન વેઠીને પણ ઇરાન પાસેથી આ ખરીદી બંધ કરી દીધી કારણ કે ભારતને મસૂદને મામલે અમેરિકાની મદદ જોઇતી હતી. વળી ફ્રાંસ અને યુ.કે. બન્ને પાસેથી ભારત મોટી સંખ્યામાં શસ્ત્રો ખરીદે છે. ભારતને ટેકો ન આપે તો એ ‘ઘરાકી’માં વાંધા પડે એમ હતું. પાકિસ્તાનને ગળે છછુંદર અટક્યો છે કારણ કે એ ચીનના આ નિર્ણય અંગે કોઇ પણ પ્રકારનો વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે ચીનની રહેમ નજર વિના પાકિસ્તાનનું કશું ય ભલું નથી થવાનું. આમે ય, અત્યાર સુધી યુ.એન.માં પાકિસ્તાનને ચીન સિવાય કોઇનો ય ટેકો નથી મળ્યો. આઇ.એસ.આઇ.એસ.ની ચિંતા વધી એ ચોક્કસ. ચીનનાં આ પગલાં પાછળનો બીજો સ્વાર્થ છે દિલ્હી સરકાર સાથે સંબંધ સુધારવા! યુ.એસ.એ.ની આંખમાં કણાની જેમ ખૂંચતા ચીન અને રશિયા સાથે ભારતનાં સંબધ સુધરે તો ભારત અમેરિકાના નેતૃત્વ હેઠળની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી તરફ ન વળતા યુરેશિયાને વધુ મહત્ત્વ આપે. ચીનના આ હકારની કિંમત ભારતે કોઇને કોઇ રીતે ચુકવવી જ પડશે. રાજકારણમાં પણ ‘નો લંચ ઇઝ ફ્રી લંચ’નો નિયમ લાગુ પડે જ છે. આ એક નિર્ણયની કોણ કેટલી કિંમત ચુકવશે એ તો વખત આવ્યે જ ખબર પડશે.

બાય ધી વેઃ

જે દિવસે મસૂદ અઝહરનાં બ્લેક લિસ્ટ થવાના સમાચાર આવ્યા ત્યારે જયપુરનાં ભાષણમાં સાહેબે ‘ટીમ’ને મહત્ત્વ આપતા નેતાની માફક આ ‘ડિપ્લોમેટિક વિન’ને ૧૩૦ કરોડ લોકોની સફળતામાં ગણાવી. પરંતુ ભક્તોનો ઘોંઘાટ જે રીતે વધ્યો એ જોતાં તે એવું લાગતું થતું હતું કે સાહેબે જાતે યુ.એન.માં જઇને મસૂદને ધરી દીધો હોય. આ આખી વાત પાછળ કોઇ એક વ્યક્તિ કે એક રાષ્ટ્રની વાત નથી. મોદીની વાક્ છટા અંગે કોઇ બે-મત નથી એટલે મસૂદનો મામલો ચૂંટણીનાં બાકીનાં ફેઝીસમાં કેટલો વપરાશે એ જોવું રહ્યું. જે લોકોને રાજકારણનાં પેચીદા ઊંડા ખેલનો ખ્યાલ નથી, એ બધો જ જશ એક માણસના પ્રયત્નને આપવા તત્પર જ હોય. બાકી સૈનિકોને નામે વોટની માંગણી આમ પણ થઇ ચૂકી છે. જો કે બ્લેકલિસ્ટીંગ અંગે જાહેર થયેલા સ્ટેટમેન્ટમાં પુલવામા હુમલાનો ઉલ્લેખ સુદ્ધાં નથી કારણ કે આ નિર્ણય તાજેતરમાં થયેલા આતંકી હુમલાને પગલે નહીં પણ અગાઉનાં કારનામાંનાં પુરાવાને આધારે લેવાયો છે. કોઇ એક રાષ્ટ્ર માટે આવા નિર્ણયો ન લેવાય. જો કે એમ પણ કહેવાય છે કે મસૂદનાં બ્લેકલિસ્ટીંગ માટે ભારતે આટલું ‘સમાધાન’ કરવું પડ્યું હતું. સાહેબ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘સમાધાન’ ભલે કરે પણ એનાથી રાષ્ટ્રીય સ્તરે તેમને ‘ધનાધન’ પ્રચાર-પ્રચાર રમતા કોઇ નહીં રોકી શકે. પણ માળું એક પ્રશ્ન થવાનો, ‘એક આતંકી મુસલમાને જીતાડી દીધા, એમ?’

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 05 મે 2019

Loading

હિમમાનવ ‘યેતિ’નું તૂત, વિજ્ઞાનની તાસીર

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|5 May 2019

ગયા સપ્તાહે ભારતીય સૈન્યે ટ્વિટર થકી જાહેર કર્યું કે તેની ‘એક પર્વતારોહક સૈન્ય ટુકડીને રહસ્યમય પ્રાણી યેતિનાં રહસ્યમય પદચિહ્નો (ફૂટપ્રિન્ટ્સ) મળ્યાં છે. ૩૨ ઈંચ લાંબા અને ૧૫ ઈંચ પહોળા આ પગનાં નિશાન મકાલુ બેઝ કેમ્પ પાસેનાં છે. અગાઉ પણ આ ભેદી હિમમાનવ મકાલુ-બરુન નેશનલ પાર્ક નજીક જ દેખાયો હતો.’ સૈન્યે ભારપૂર્વક કહ્યું કે આ બાબતને તેની પાસે તસવીરી અને વીડિયો પુરાવા છે, જે તે નિષ્ણાતોને આપશે.

વિજ્ઞાનમાં, અને ખરેખર તો સૈન્યમાં પણ, નકરા હોંશીલા દાવાથી નથી ચાલતું. સૈન્ય તરફ્થી ફ્ક્ત પગલાંની તસવીર મૂકીને તે કહેવાતા હિમમાનવની હોવા વિશે અટકળ કરાઈ હોત, તો તે કંઇક વાજબી ગણાત. એને બદલે સીધેસીધું જાહેર જ કરી દેવાયું કે આ પદચિહ્નો યેતિનાં છે. એટલું જ નહીં, તેના પણ પુરાવા છે.

રહસ્યમય અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓમાં હિમમાનવ મોસ્ટ વોન્ટેડ છે. પ્રચલિત માન્યતા પ્રમાણે યેતિ અર્ધમાનવ-અર્ધવાનર છે. વિશ્વભરના વિજ્ઞાનવાળા ને બીજા લોકોને તેની તલાશ છે અને તેના હોવા વિશે ગળા સુધીની શંકા છે. એવા સંજોગોમાં યેતિ ઉર્ફે હિમમાનવના અસ્તિત્વની છડી પોકારીને સૈન્યપ્રવક્તાએ જશ ખાટી લેવાની નેતાસહજ ઉતાવળનો પરચો આપ્યો છે. આખી વાતને હળવાશને બદલે કંઈક ગૌરવની છાંટ સાથે રજૂ કરવામાં નથી ઔચિત્ય કે નથી વિજ્ઞાન. એવો દાવો હાસ્યાસ્પદ ન બને તો જ નવાઈ.

યેતિ અને એ પ્રકારનાં બીજાં રહસ્યમય પ્રાણીઓનું અસ્તિત્વ અટકળો ને દાવાઓથી આગળ, હજુ સુધી કદી પુરવાર થયું નથી. માટે, તેમને પ્રાણીશાસ્ત્ર(ઝૂલોજી)માં સ્થાન મળતું નથી. ગઈ સદીમાં તેના માટે ચલણી બનેલો શબ્દ છેઃ cryptid (રહસ્યમય કે સંદેહાસ્પદ પ્રાણીઓ) પરથી cryptozoolgy. તેમાં બર્ફીલા પહાડી વિસ્તારોમાં વસતા મનાતા હિમમાનવોથી માંડીને રાક્ષસી કદનાં જળચરોનો સમાવેશ થઈ શકે. ઊડતી રકાબીની જેમ આવા જીવોનો પણ હજુ સુધી નિર્ણાયક કહેવાય એવો આમનોસામનો થયો નથી. કોઈ તેનાં પગલાં જોયાં, તો કોઈએ વાળ ને દાંત ને એવી ચીજો ભેગી કરી. આવી કથાઓમાંથી વાર્તારસ આવે એ જુદી વાત છે, પણ વાત ગંભીર, વિજ્ઞાનલક્ષી ચર્ચાની આવે ત્યારે માપદંડ અને ધારાધોરણ બદલાઈ જાય છે.

વિજ્ઞાનીઓ-સંશોધકો સાબિતી અને પુરાવા માગે છે, શોધે છે અને મળે નહીં ત્યાં સુધી આવા વરઘોડામાં જોડાઈ જતા નથી. (કેટલાક ઉત્સાહીઓ દરેક ક્ષેત્રમાં હોય છે, તે અપવાદ) યેતિ સંશોધકો માટે પણ પ્રિય વિષય રહ્યો છે. તેને શોધવા માટેની સાહસયાત્રાઓ થઈ છે, પ્રતિષ્ઠિત વિજ્ઞાનસામયિકોમાં તેના વિશે લેખ લખાયા છે, તેના વિશે મળેલા કહેવાતા પુરાવાની ચર્ચા અને તાવણી થઈ છે, તેના કહેવાતા અવશેષોની ચકાસણી માટે જિનેટિક્સની આધુનિક ટેક્નોલોજી ખપમાં લેવાઈ છે. પણ યેતિનું અસ્તિત્વ પુરવાર કરવાના મામલે, અત્યાર લગીની બધી કવાયતનું પરિણામ શૂન્ય આવ્યું છે.

તેમ છતાં હિમમાનવની કલ્પનાનો રોમાંચ ઓછો થયો નથી. બરફ્માં એક તોતિંગ પગલું અને તેનું કદ દર્શાવવા માટે તેની બાજુમાં મુકાયેલી પર્વતારોહણમાં વપરાતી કુહાડી–આવી એક તસવીર ૧૯૫૧માં લેવાઈ હતી, જે હજુ સુધી યેતિની કથા સાથે સંકળાયેલી સૌથી જાણીતી તસવીર છે. અગોચર સૃષ્ટિ વિશેનાં પુસ્તકોથી માંડીને, યેતિને નકાર્યા કે સ્વીકાર્યા વિના કેવળ માહિતી એકઠી કરતાં પુસ્તકો-લેખોમાં યેતિના ત્રણ મુખ્ય પ્રકારો પણ પાડવામાં આવ્યા છે. તેમાં એક વામન, એક મધ્યમ કદનો અને એક વિરાટ હોવાનું કહેવાય છે. વિરાટ યેતિ હિમાલયમાં નેપાળ અને ચીનની આસપાસના વિસ્તારોમાં વસતો હોવાની માન્યતા છે. એવી જ રીતે બીજા બર્ફીલા પહાડોમાં તેની વિવિધ આવૃત્તિઓ વસતી હોવાની અટકળ છે. પ્રદેશ પ્રમાણે તે સ્નોમેન, બિગ ફૂટ જેવાં વિવિધ નામે ઓળખાય છે.

ટિનટિનની કથાઓથી માંડીને નેપાળની લોકસંસ્કૃતિમાં યેતિ લોકપ્રિય છે. નેપાળમાં તો ‘યેતિની ખોપરી’નું ઘણું મહત્ત્વ છે. કેટલીક વિધિઓમાં અમુક પ્રાણીની ખોપરીને ‘યેતિની ખોપરી’ ગણીને તેનો ઉપયોગ થાય છે. કેટલાક પરદેશી સંશોધકો આ વાત સમજ્યા વિના, ખોપરીને લઈ જઈને તેનાં પરીક્ષણ કરાવે અને તે કોઈ પ્રાણીની નીકળે, એટલે ‘વૈજ્ઞાનિક આધાર સાથે’ યેતિની માન્યતા નકારે છે. નેપાળમાં યેતિ દંતકથા અને પરંપરાનો મામલો છે. તેનાથી યેતિની કથાનું મહત્ત્વ પુરવાર થાય છે, તેનું અસ્તિત્વ નહીં. તેમ છતાં એવરેસ્ટખ્યાત એડમંડ હિલેરીથી માંડીને બીજા ઘણા સાહસિકો યેતિની શોધમાં હિમાલયના પ્રવાસ ખેડી ચૂક્યા છે. ૧૯૬૦માં ખેડેલી આવી એક સાહસયાત્રામાં હિલેરીને એક બૌદ્ધ મઠમાંથી યેતિની ખોપરી મળી આવી હતી. તેની વૈજ્ઞાનિક તપાસ માટે ખાસ પરવાનગી મેળવીને હિલેરી તેને સાથે લઈ ગયા. પણ તે હિમાલયમાં વસતા એક પ્રકારના હરણની નીકળી.

યેતિની અત્યાર લગીની તપાસનું પરિણામ એ દંતકથાને પુરવાર કરવામાં ભલે શૂન્ય રહ્યું હોય, પણ પદ્ધતિસર થતી વૈજ્ઞાનિક તપાસ સાવ વ્યર્થ કદી જતી નથી. ‘સાયન્ટિફ્કિ અમેરિકન’ માસિકના અહેવાલ પ્રમાણે, દસ્તાવેજી ફ્લ્મિો બનાવતી એક કંપનીએ વર્ષ ૨૦૧૩માં ન્યૂયોર્કની યુનિવર્સિટી ઓફ બફેલોનાં જનીનશાસ્ત્રી શાર્લોટ લિન્ડક્વિસ્ટનો સંપર્ક કર્યો. યેતિની શોધમાં ગયેલી કંપની પાસે બરફ્માંથી મળેલા અને યેતિના હોઈ શકતા એવા કેટલાક નમૂના હતા. (વાળ, દાંત વગેરે). લિન્ડક્વિસ્ટે આધુનિક પદ્ધતિથી તેની તપાસ કરતાં માલુમ પડયું કે એ હિમાલયમાં થતાં વિવિધ પ્રકારનાં રીંછના અવશેષ હતા. તેમાંથી એકાદ પ્રકારનું રીંછ તો હવે લુપ્ત થવાના આરે હતું. પણ એકેયનું અસ્તિત્વ રહસ્યમય ન હતું. તેમના વિશે વિજ્ઞાનીઓ બધું જાણતા હતા.

યેતિના અસ્તિત્વ પર એ નમૂના પૂરતી ચોકડી મુકાઈ, પણ નમૂનાની ડી.એન.એ. તપાસ પરથી લિન્ડક્વિસ્ટને બીજી કેટલીક ઉપયોગી માહિતી મળી. સામાન્ય રીતે કોષના કોષકેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોમાંથી ડી.એન.એ.ની તપાસ થતી હોય છે. પણ લિન્ડક્વિસ્ટે કોષના પાવરહાઉસ જેવા કણાભસૂત્ર(માઇટોકોન્ડ્રિયા)માં રહેલા ડી.એન.એ.ની પણ તપાસ કરી. પ્રાણીની વિવિધ જાતિઓને એકબીજાથી જુદી તારવવામાં આ પ્રકારનાં ડી.એન.એ. ઉપયોગી હોય છે. બંને પ્રકારનાં ડી.એન.એ.ની તપાસ પરથી તેમણે તારવ્યું કે લગભગ સાડા છ લાખ વર્ષ પહેલાં હિમનદીઓની હલચલના પ્રતાપે એક જ પ્રકારનાં રીંછ બે ભાગમાં અને પછી બે પ્રકારમાં વહેંચાયાં. તેમાંથી ઉત્ક્રાંતિના પ્રતાપે જતે દિવસે હિમાલયન બ્રાઉન બેર અને તિબેટિયન બ્રાઉન બેર એમ બે જાત અસ્તિત્વમાં આવી. અગાઉ ૨૦૧૩માં આવી જ રીતે યેતિના નામે ગપગોળા ચગ્યા હતા, ત્યારે તેના ડી.એન.એ.નો અભ્યાસ કરતાં, પ્રાચીન કાળમાં ધ્રુવપ્રદેશમાં વસતા એક પ્રાણીનો પત્તો મળ્યો હતો.

તુક્કાને તીર તરીકે રજૂ કરતા ‘તીરંદાજો’ને બદલે તુક્કામાંથી તીર નીપજાવતા વિજ્ઞાનને અને વૈજ્ઞાનિક અભિગમને સલામ.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય :  ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 મે 2019

Loading

મીંઢાં મૌન અને આઝાદ લબ

રોહિત શુકલ|Opinion - Opinion|4 May 2019

રવીશકુમાર બિહારના મોતીહારી જિલ્લામાં ૧૯૭૪માં જન્મેલ આ પત્રકાર વિચાર અને ભાષાની સમૃદ્ધિ ધરાવે છે; પણ તેથી ય અધિક છે તેમની મૂલ્યનિષ્ઠા. આ મૂલ્યનિષ્ઠા છે લોકશાહી અંગેની અને તેના બંધારણમાં સુપેરે પ્રસ્થાપિત મૂલ્યો બાબતની. દેશમાં અનેક ટી.વી.-ચૅનલો ચાલે છે અને એન.ડી.ટી.વી.તે પૈકીની એક છે.

એ એકને લગભગ અદ્વિતીય બનાવી મૂકવાનું કામ બાકીની ચૅનલો અને  મીડિયાએ કર્યું છે. જ્યારે અન્યત્ર ફેકન્યૂઝ (અને ફેકંમફેક ન્યૂઝ પણ ખરા) ફેલાઈ ચૂકયા છે, ત્યારે તથ્યો અને સત્યોના પડખે ઊભા રહીને, પૂર્ણ નિર્ભયતાથી બોલનારો અવાજ આ એન.ડી.ટી.વી.નો છે. ટીવી ચૅનલો અને છાપાંનો ખાસ્સો મોટો હિસ્સો કોર્પોરેટજગતના ખિસ્સામાં છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે આ જ કૉર્પોરેટજગતના બીજા ખિસ્સામાં રાજકારણીઓ ઝૂલે છે. આ દેશમાં નવ્ય મૂડીવાદના પેસારા પછી આર્થિક અસમાનતા વધતી જ ગઈ છે. માંડ એક ટકા લોકો પાસે દેશની તોંતેર ટકા સંપત્તિ આવી ગઈ છે. જે દેશમાં ગાંધીજીએ અન્યો તરફની અનુકંપાના કારણે પોતાનાં વસ્ત્રો પણ ટુંકાવ્યાં તે દેશમાં એક ઉદ્યોગપતિ પોતાની દીકરીનાં લગ્નમાં રૂ.૭૦૦ કરોડ ખર્ચે છે, અને આ રકમ તો તેની સંપત્તિનો એક ટકાનો પણ ચોથો ભાગ (૦.ર૩ ટકા) છે.

આ જ દેશના એક કહેવાતા વિકસિત રાજ્ય ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં, ર૦૧૯માં, વી.આઈ.પી.ઓને જે ભોજનથાળ પીરસવામાં આવ્યો, તેની કિંમત રૂ.૭૦૦૦/- થી વધુ હતી. રાજ્યમાં નિશાળોમાં ચાલતી મધ્યાહ્‌ન ભોજન યોજનામાં બાળક દીઠ રૂા.૭/- ખર્ચવામાં આવે છે. તે રીતે આ સમિટમાં પધારેલ પ્રત્યેક મોંઘેરા મહેમાને રાજ્યના એક હજાર બાળકોનું ભોજન આરોગ્યું!

રાજ્યના પિસ્તાળીસ ટકા બાળકો કુપોષિત છે; આમ છતાં, ગુજરાતીભાષી છાપાં કે ચૅનલોએ આ મુદ્દાને ઉપાડ્યો જ નહીં. જો સરકારને સહેજ પણ શંકા હોત કે મીડિયા આ બાબતને જગતના ચોકમાં તાણી લાવશે, તો તે આવો ખર્ચ કરતાં પહેલાં વિચાર કરત. લોકશાહીમાં સરકારોને પોતાના તરંગી વ્યવહારો અમલમાં મૂકવામાં આવો મીડિયાનો ડર જરૂરી ગણાય. સરકાર જો લોકોની ધાકમાં ન રહે, તો તે બેફામ બનીને જનતાનાં નાણાંનો અયોગ્ય ઉપયોગ કરવા તરફ વળી જતી હોય છે. કદાચ આથી જ દેશમાં તટસ્થ નહીં પણ ‘ગોદી મીડિયા’નું આટલું બધું પ્રસારણ છે.

રવીશકુમાર ટી.વી.ના કાર્યક્રમોમાં, લેખક તરીકે કે પછી વક્તા તરીકે જે બોલે-લખે છે, તેમાં પૂરેપૂરી નિસબત જણાય છે. તેમની નિસબતનો સૌથી અગત્યનો મુદ્દો લોકશાહી છે. લોકશાહી ઘણાને મન એક સાધન છે, તો અન્ય ઘણા તેને સાધ્ય પણ માને છે. લોકશાહી વગર વિચાર, લેખન અને એકંદરે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જ હણાઈ જાય છે. અભિવ્યક્તિનું જે સ્વાતંત્ર્ય ર૦૧૪ પહેલાં હતું. તે તૂટી ગયું છે. દાભોલકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ, જે.એન.યુ.ના કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી, જાદવપુર કે જામિયા-મિલિયા બાબતે સરકારના અભિગમો દર્શાવે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ચાહનારના જીવ જ જોખમમાં છે. ખરેખર તો શિક્ષણનું ક્ષેત્ર મૌલિક વિચારો કરતું રહે તે તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે. પત્રકારત્વનું ક્ષેત્ર પણ વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર અવલંબે છે. તેનો દરજજો રાજ્યતંત્રના અન્ય ત્રણ સ્તંભ-ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર, વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની સમાન કક્ષાનો છે. આથી જ તેને ચોથો સ્તંભ કહેવાય છે. વડાપ્રધાને વીતેલાં પાંચ વર્ષમાં એક પણ પત્રકારપરિષદ કરી નથી, એટલી જ બાબત આ ચોથા સ્તંભના મહત્ત્વને પિછાનવામાં ઘણી સૂચક છે.

અભિવ્યક્તિનું એક અન્ય માધ્યમ ફિલ્મઉદ્યોગ પણ છે. તેના ઘણા કલાકારો ઘમકીઓના ભોગ બન્યા છે. દીપિકા અને સંજય ભણશાળીનાં માથાં ઉતારી લાવનારને રૂા.૧૦ કરોડના ઈનામની જાહેરાત હરિયાણાના શાસકપક્ષના સૂરજપાલ દ્વારા કરાઈ હતી. રવીશકુમાર પોતે પણ – માત્ર તીવ્ર આલોચના જ નહીં – પણ ટ્રોલ, ગંદી ગાળો, ખૂનની ધમકીઓ તેમ જ કુટુંબીજનો ઉપર અત્યાચાર કે બળાત્કાર કરવાની ધમકીઓ પણ વેઠતા રહ્યા છે. સવાલ ઊઠે જ કે આવું કોણ કરે છે અને શા માટે ? જે કોઈ હોય તે – પણ તે લોકશાહીના મૂળભૂત અધિકારોના જાની દુશ્મનો છે, તે નક્કી.

દેશનું આ વાતાવરણ હિટલર-મુસોલિનીના શાસનના કેટલાક અંશો ધરાવતું હોવાનું પણ જણાય છે. જર્મનીમાં ૧૯૩૮ના નવેમ્બર મહિનાની ૯-૧૦ તારીખો દરમિયાન યહૂદીઓ સામે મહાતાંડવ ખેલાયું. રાજયનું તંત્ર તમાશબીન બન્યું અથવા તોફાનીઓનું સમર્થક બન્યું. કાંઈક આવું જ ભારતમાં પણ બનવા માંડ્યું. હોય તેવી શંકા જાય છે. ર૦૦રના ગુજરાતનાં તોફાનો અને પછી ર૦૧૪થી શરૂ થયેલા મોબલિંચિંગના બનાવો એક કોમ સામે બીજી જાતિ અથવા કોમના મનમાં ઉગાડેલાં નફરત, ઘૃણા અને વેર-ઝેરનાં વાવેતરોના પરિપાક રૂપે છે. ઊના, અખલાક, અકબરખાન, જુનેદખાન, કઠુઆ વગેરે જેવા અનેક બનાવો સામાન્ય માનવતાની પણ વિરુદ્ધના છે. આવા પ્રસંગોએ જ્યાં એક તરફ ટોળાંશાહી ચાલી છે, ત્યાં બીજી તરફ મીડિયાએ કયાં તો સમાજને જાગૃત કરવામાં દુર્લક્ષ સેવ્યું છે અથવા મીંઢું મૌન સેવ્યું છે. રવીશકુમારને આવા પ્રસંગોએ મીડિયાના વલણ સામે ભારે નિરાશા જન્મતી હોય તેમ જણાય છે.

રવીશકુમારને ફેકન્યૂઝ, ગોબલ્સના પ્રચાર અને ગંભીર સમસ્યાઓ પ્રત્યેના આંખમીચામણાં સામે પણ એટલો જ આક્રોશ છે. ખાસ કરીને ફેકન્યૂઝની બાબતે તે અત્યંત ચિંતિત અને વ્યાકુળ પણ છે. હિટલરે ગૅસચૅમ્બરમાં લગભગ ૬૦ લાખ યહૂદીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, છતાં આવું કાંઈ બન્યું જ નથી, એવું ઠસાવવા ગુગલની વેબસાઇટ ઉપર પણ પ્રયાસ થયા. ભારતમાં ખુદ વડાપ્રધાન દ્વારા ર૦૧૭ની ગુજરાતની ચૂંટણીમાં, પાકિસ્તાનના હાઈકમિશનરના નિમંત્રણથી યોજાયેલ મીટિંગમાં ભારતમાંથી ઉપસ્થિત મહેમાનો અને મીટિંગના ઉદ્દેશો તથા ઇરાદાઓ બાબતે કહેવાયેલી બાબતો સત્યથી વેગળી હતી. (પૃ.રપ) રવીશકુમાર દેશમાં ઊભા થતા તનાવ કે હિંસાના કેટલાક બનાવો પાછળ ફેકન્યૂઝની ભૂમિકા હોય તેમ માને છે.

આવી જ મોટી ચાલબાજી મુદ્દા ભટકાવતા રહેવામાં કે ગંભીર મુદ્દાને ચર્ચામાંથી અને તે રીતે લોકનજરમાંથી બહાર રાખવાની રમાય છે. દેશમાં કિસાનો, બેરોજગાર, યુવાઓ, શિક્ષણની અને સ્વાસ્થ્યની સેવાઓના અમલ તથા વહીવટની ગંભીર સમસ્યાઓ છે. છતાં સરકાર રાષ્ટ્રવાદ, જાતિવાદ, ગોરક્ષા કે રામમંદિર જેવા મુદ્દા ચગાવે છે. હવેના ભારતમાં લગભગ પચાસથી સાઇઠ ટકા વસ્તીનો ટીવી/છાપાં સાથે સંપર્ક છે, આથી આ મુદ્દા ભટકાવવાની ચાલબાજી ચૂંટણી જીતવા માટેનો હથકંડો બની રહે છે. આ બધું સમાજમાં એક ખાસ માનસિકતા ઊભી કરવા માટે થતું હોય તેમ જણાય છે. આ માનસિકતાને રવીશકુમાર ‘રૉબોપબ્લિક’ – યંત્ર માનવોનો સમાજ ગણાવે છે. આ સમાજ પોતાની તર્ક અને વિવેકશકિત ગુમાવી બેઠો હોય છે.

આ બધાની સાથોસાથ ઇતિહાસ અને વિજ્ઞાનને પણ આગવી રીતે સ્થાપવાનો કે મૂલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ખુદ વડાપ્રધાન પોતે વિજ્ઞાનની પરિષદમાં ગણપતિના ધડ ઉપર હાથીનું માથું જોડવાની બાબતને દેશના ભવ્ય ભૂતકાળના ઉદાહરણ તરીકે જુએ ત્યારે આશ્ચર્ય થાય જ. દેશમાં તે સમયે પ્લાસ્ટિકસર્જરી થતી હતી, એમ કેવી રીતે કહેવાય? એ જ રીતે મહાભારતકાળમાં ભારત પાસે બ્રહ્માસ્ત્ર હતાં. અને ટેલિવિઝન હતાં. (કદાચ ઓબી વાન અને સેટેલાઇટ પણ હશે જને?) અને રામાયણકાળમાં વિમાનો હતા એમ પણ કહેવાય છે. શ્રીલંકાથી ઊડીને અયોધ્યા ઊતરેલું આ વિમાન કયા ઈંઘણથી ચાલ્યું હશે અને તેનું નૅવિગેશન કઈ રીતે થયું હશે, તેની માહિતી નથી !

રવીશકુમાર થોડીક વ્યગ્રતા સાથે સૂચવે છે કે દસેક હજાર કરોડ રૂપિયાનો એક અલગ પ્રોજેક્ટ જ બનાવો અને ઇતિહાસને નવેસરથી તથા પોતાને અનુકૂળ આવે તે રીતે લખી કાઢો!

રવીશકુમારના લખાણમાં પ્રત્યક્ષ રીતે લોકશાહી અને માનવકેન્દ્રી રાજ્ય તથા સમાજની રચના માટેની ચિંતા વ્યક્ત થાય છે. અલબત્ત, એક સામાજિક સંવેદનશીલતાની પણ તે અપેક્ષા રાખે છે. ભારતના બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંકલ્પોના તે અડગ પુરસ્કર્તા છે. આ બાબતે તે રાજકારણ અને પક્ષોથી ઉપર પણ છે અને બહાર પણ છે. પ્રવર્તમાન સરકારનાં કેટલાંક ઉચ્ચારણો અને કાર્યોને તે આ દૃષ્ટિએ પણ જુએ છે. નેહરુ ભગતસિંહને જેલમાં મળવા ગયા હતા? કે નેહરુના કારણે સરદાર વડાપ્રધાન બની ન શક્યા અથવા જનરલ કરિઅપ્પા તરફનો વ્યવહાર ઉચિત ન હતો વગેરે પ્રકારનાં બિનપાયાદાર અને પ્રચારાત્મક વિધાનોથી આગળ વધીને નેહરુને ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતા તેવું દર્શાવતા ફેકફોટા પ્રચલિત કરવાના પ્રયાસો બાબતે પણ તે દુઃખ અનુભવે છે.

પાયાનો મુદ્દો એ છે કે રવીશકુમાર એક એવા સમાજની ખોજમાં છે કે જેનું સ્વપ્ન ભારતના બંધારણે સેવ્યું છે. વિવિધ ધર્મો, ભાષાઓ, સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાવાળા આ દેશને પ્રગતિ અને સાચા વિકાસના માર્ગે લઈ જવા માટે આધુનિકતાભર્યો વૈચારિક અભિગમ અનિવાર્ય છે. આ આધુનિકતાની ફિલસૂકી બહુઆયામી છે પરંતુ તેના બે મુદ્દા વ્યાપક-મહત્ત્વના છે. આ બે મુદ્દા એટલે માનવીયતા અને વૈજ્ઞાનિક વિચાર. નેહરુના સાયન્ટિફિક ટેમ્પર, અને સંવેદનશીલ માનવીય અભિગમ સાથે આ સુપેરે બંધબેસતી બાબત હતી. આઝાદીની લડતમાં ગાંધીજી માત્ર અંગ્રેજોને દૂર કરવા નો’તા માંગતા; તે તો અંગ્રેજિયતના વિરોધી હતા.

ખૂબીની વાત એ છે કે તે સમયે હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ એમ સૌ એકજૂટ થઈને લડ્યાં અને ઘણાએ કુરબાની વેઠી, મૌલાના આઝાદ, ખાન અબ્દુલ ગફારખાન, વગેરે અનેકોએ કુરબાની વેઠી, તે સમયે પેલા કટ્ટર હિંદુત્વવાદીઓ લડતથી તો વેગળા રહ્યા જ; પણ અંગ્રેજોની મદદમાં પણ રહ્યા. આ પરિબળો હવે હિંદુત્વના નામે સમાજને વિભાજિત કરીને કાળની ગતિમાં પરિવર્તન કરવા માંગે છે. રવીશકુમાર આવાં પરિબળો સામે એકજૂટ થઈને બોલવા કહે છે. દેખીતું છે કે આ લડત કોઈ વ્યક્તિ કે પંથ સામેની નથી, લડત તો વિચારોની છે. પ્રવર્તમાન  પરિસ્થિતિ ડરાવી-ધમકાવીને, કે પછી ફેકન્યુઝ દ્વારા અથવા અપપ્રચાર દ્વારા સમાજને ભટકાવવા પ્રયાસ કરે છે. હિટલરે પણ યહૂદીઓ સામે લગભગ આવું જ કર્યું હતું. મુસલમાનો અને યહૂદીઓ સામેનાં આ વલણો સાવ બિનપાયાદાર છે.

ભારતમાં મુસલમાનોના પ્રદાનની એક લાંબી યાદી છે. તેવું જ પશ્ચિમના યહૂદીઓ માટે છે. કાર્લ માર્કસ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન યહૂદી  હતા. ફિનોમિનોલૉજીનો પ્રખર વિચારક હર્શલ અને વિખ્યાત મનોવિજ્ઞાની ફ્રૉઈડ પણ યહૂદી હતા. યહૂદીઓ નકામા કેવી રીતે ? અલ્લારખાં, બિસમિલ્લા ખાન ઉસ્તાદ અલી અકબરખાન, વિલાયત હુસેન વગેરે ને છેક અમીર ખુસરોથી શરૂ કરીએ અને મહંમદ રફી સુધી આવીએ, તો સમગ્ર કલાજગતમાં મુસલમાનોનું પ્રદાન સમજાશે. આ બધા નકામા?

કોણે કેવાં વસ્ત્રો પહેરવાં અને શું ખાવું તે બાબત સરકારોએ નક્કી કરવાની ન જ હોય. આવા મુદ્દાઓને ફેકન્યૂઝ અને સોશિયલ કે અન્ય મીડિયા ઉપર ઉછાળીને જાતિદ્વેષ ઊભો કરવો તે આધુનિક અને બંધારણપ્રણિત સમાજરચનાની વિરુદ્ધનું છે. રવીશકુમારની વ્યથાનાં મૂળ આવાં કારણોસર ખૂબ ઊંડાં છે.

એકંદરે ભારતીય સમાજ અને હાલમાં આ રાજ્યતંત્ર ખુદ એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. એક તરફ પરંપરાવાદી બાબાઓ કે કહેવાતા ધર્માચાર્યોની પકડ વધતી જાય છે, બીજી તરફ મોટાં કૉર્પોરેટગૃહો છે, તો ત્રીજી તરફ, આ બધાના મેળાપીપણામાં ચાલતી સરકાર છે. આવી સરકારો લોકશાહી આદર્શો ધરાવતા કલ્યાણરાજ્યની સ્થાપનાથી જોજનો દૂર ભટકતી જાય છે. તેના રોજરોજ બનતા દુઃખ અને પીડાદાયક બનાવોના રવીશકુમાર એક સાક્ષી બનતા રહે છે, કારણ કે પત્રકારત્વની ભૂમિકામાં તેમના માટે આ એક નિર્મિતિ છે.

એક તરફ જયાં કોઈ પણ ભોગે સત્તા જાળવી રાખવાના કાવાદાવા ચાલે છે, ત્યારે બીજી તરફ સમાજ અતિ ગંભીર સમસ્યાઓથી ઘેરાતો જાય છે. છેલ્લાં પિસ્તાળીસ વર્ષોમાં ન થઈ હોય, તેવી બેરોજગારી છે. આટલી વ્યાપક બેરોજગારી હોય, ત્યાં જી.ડી.પી.ની વૃદ્ધિ પણ ઓછી જ હોય ! ખેડૂતોની બેહાલી પણ બધા જાણે જ છે. તેમના દિલ્હીનાં ધરણાં કે મહારાષ્ટ્રમાં નાસિકથી મુંબઈ સુધીની પેદલયાત્રા – આમ અનેક સમસ્યાઓથી દેશ ઘેરાઈ ગયો છે. રવીશકુમારે શિક્ષણ, બેકારી, બૅંકોની નોકરી વગેરે જેવા મુદ્દા ઉપર સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમો આંખ ઉઘાડનારા છે. રવીશકુમારે આ બધા પાછળ ઊંડો અભ્યાસ કર્યો છે. તેમના કાર્યક્રમો માત્ર મિનિટો ભરવા માટે નહીં, પણ સચ્ચાઈને ઉજાગર કરવા માટે હોય છે. આ કાર્યક્રમોથી અકળાયેલી સરકારે ર૦૧૮ માં એન.ડી.ટી.વી.ના શ્રી પ્રણય રૉયના નિવાસસ્થાને ઇન્કમટૅક્સના દરોડા પણ પાડ્યા. સરકારને સત્યનો સામનો કરવામાં કેટલો ડર લાગે છે, તે આથી સ્પષ્ટ થાય છે.

પણ પછી એ જુએ છે કે એમની સાથે ચોથી જાગીરના એમના પોતાના વ્યાવસાયિકો પણ અડીખમ ઊભા નથી. અલબત્ત, આમાં કેટલાક અપવાદો છે. જે સમાજ માત્ર નીંભર નથી, પણ આક્રમક બનતો જાય છે. આક્રમકતા ક્યારેક ધર્મદ્વેષ તરફ તો ક્યારેક જાતિદ્વેષ અને લિંગભેદથી ઊભી થતી માણસાઈ વિરુદ્ધની અસામાનતા તરફ દેશને ઘસડી જાય છે.

ક્યાંક તેમનો અવાજ બુલંદ પણ બને છે અને દિલી નિસબતભર્યો પણ વિરુદ્ધની તેથી જ તે કહે છે – ચાલોને પહેલા જ જેલમાં જઈ આવીએ. સરકાર ગુનો ગણીને ધરપકડ કરે, ત્યારે કહેવા થાય કે સાહેબ, જેલના અમારા ખાતે જમા બોલતા દિવસોને પણ લક્ષમાં લેજો. આ પ્રકારે, ઝમીર સાચવીને ખુમારીથી વર્તનારા થોડાક ઓર પત્રકારો અને બુદ્ધિજીવીઓ આ દેશમાં છે, જે એક મોટી તસલ્લી છે.

છેલ્લી આશા પણ આ બચી છે. ફેઝ મહંમદ ફેઝ કહે છે તેમઃ ‘બોલ કે લબ આઝાદ હૈ તેરે. બોલ કે જૂબાં અબતક તેરી હૈ.’

રવીશકુમાર કંઈક અંશે ફિલ્મ પ્યાસાના સાહિર લુધિયાનવીના ગીત જેવા સવાલને ખભે ઉઠાવીને ફરી રહ્યા છે; તે પૂછે છે :

‘જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ,’

આથી જ ડર્યા વગર તથા તથ્યોની પૂરી ખરાઈ કર્યા પછી સૌએ એકજૂટ થઈને બોલવું જ  રહ્યું.

આ પુસ્તકના સારને, એક ગુજરાતી લેખમાળા દ્વારા ભૂમિપુત્રે પ્રકાશિત કર્યું તે નોંધપાત્ર છે. હવે તેના સંકલિત સ્વરૂપને પ્રકાશિત કરવામાં આવે છે. તે સંતોષની બાબત છે. ભૂમિપુત્ર – યજ્ઞપ્રકાશન આ માટે લોકોનાં અભિનંદન તથા પ્રશંસાને પાત્ર છે.

વાત રવીશકુમારની (રજૂઆત : રજની દવે; યજ્ઞ પ્રકાશન, હિંગળાજ વાડી, હુજરાત પાગા, વડોદરા ૩૯૦૦૦૧) માટે લખાયેલી પ્રસ્તાવના

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 15 – 17

Loading

...102030...2,8002,8012,8022,803...2,8102,8202,830...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved