Opinion Magazine
Number of visits: 9577083
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇલેક્ટોરલ બોન્ડ : રાજકીય ફંડફાળાની પારદર્શિતાનો સવાલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 May 2019

૧૯૫૧ની પહેલી લોકસભાનો ચૂંટણી ખર્ચ ૧૦.૪૫ કરોડ હતો. ૨૦૧૯ની સત્તરમી લોકસભાનો ચૂંટણી ખર્ચ અ-ધ-ધ— વધીને ૭,૦૦૦ કરોડ થવાનો અંદાજ છે.

યાદ રહે આ તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાછળનો સરકારી ખર્ચ છે, તેમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા થતો ખર્ચ સામેલ નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ વખતે તે ૫૦ થી ૬૦ હજાર કરોડને આંબી જવાનો અંદાજ છે. રાજકીય પક્ષો આટલો મોટો ખર્ચ કઈ રીતે કરે છે, અને તેના આવકના સ્ત્રોત ક્યા છે તે કાયમ રહસ્ય રહ્યું છે. જાહેર હકીકત એ પણ છે કે રાજકીય પક્ષોને પોલિટિકલ ફંડિંગ મોટા ઉદ્યોગગૃહો અને કોર્પોરેટ્સ તરફથી મળે છે. દુનિયાના સૌથી મોટા રાજકીય પક્ષનો દાવો કરતો હાલનો સત્તાપક્ષ પણ કંઈ તેની વિશાળ સભ્ય સંખ્યાના આર્થિકબળથી નહીં, ઉદ્યોગપતિઓના રાજકીય દાનથી લખલૂટ ખર્ચ કરે છે. આ બાબતમાં ડાબેરી પક્ષોને બાદ કરતાં કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી.

લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૨૯(બી)માં, રાજકીય પક્ષોને દાનની જોગવાઈ છે પણ રાજકીય પક્ષોને મળતાં  દાન હંમેશાં વિવાદનો મુદ્દો બન્યાં છે. જે ઉદ્યોગગૃહો દાન કરે છે તે નિરપેક્ષ ગુપ્ત દાન તો કરતા નથી જ. એટલે રાજકીય ફંડફાળાની પારદર્શિતા અને જવાબદારીનો સવાલ ઊઠે છે. જાન્યુઆરી ૨૦૧૭માં દિલ્હીમાં મળેલા ભા.જ.પ.ના રાષ્ટ્રીય સંમેલનમાં વડાપ્રધાને રાજકીય પક્ષોને મળતા દાનની પારદર્શિતાની જિકર કરી હતી. તે પછી ૨૦૧૭-૧૮ના કેન્દ્રીય અંદાજપત્રમાં રાજકીય પક્ષોના દાન માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજનાની ઘોષણા કરવામાં આવી. ૨જી જાન્યુઆરી ૨૦૧૮થી અમલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની પારદર્શિતા સામે જ હવે સવાલ ઊઠ્યો છે અને ભર લોકસભા ચૂંટણી વચાળે દેશની સર્વોચ્ચ અદાલતે તેની કાયદેસરતા અને પારદર્શિતા ચકાસવાના આદેશ કર્યા છે.

એકાદ વરસથી અમલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનામાં રૂ. એક હજારથી એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ સ્ટેટ બેન્કની પસંદગીની ૨૯ શાખાઓમાંથી મેળવી શકાય છે. આ બોન્ડ બેરર ચેક ગણી શકાય તેવા છે. તેમાં બોન્ડ ખરીદનારે બેન્કમાં કેવાયસી કહેતાં પોતાના નામ ઠામની પૂરી વિગતો આપવાની હોય છે. સંપૂર્ણપણે બેંકિંગ પ્રણાલીને આધીન રહીને બોન્ડ ખરીદવાના હોય છે. જે રાજકીય પક્ષને બોન્ડ આપવામાં આવે તેણે ૧૫ દિવસની મર્યાદામાં આ બોન્ડ પોતાના બેન્ક ખાતામાં ભરી દેવાના હોય છે. જે વ્યક્તિ કે સંસ્થા આ બોન્ડ ખરીદે છે અને રાજકીય પક્ષને દાન કરે છે, તેણે પોતાના આવક જાવકના હિસાબોમાં તે દર્શાવવાના હોય છે. જો કે બોન્ડ ખરીદનારનાં નામો ગોપનીય રાખવાની જોગવાઈ છે. બહુ જ પારદર્શી અને ઉપરથી રૂપાળી લાગતી આ યોજના ભારે છેતરામણી છે, અને સત્તા પક્ષને જ લાભ કરી આપનારી છે.

એટલે નાણા ખરડા દ્વારા અને ચાર કાયદામાં સંશોધન કરીને લવાયેલી ઇલેક્ટોરલ બોન્ડ યોજનાની બંધારણીયતાને એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોમન કોઝ અને સી.પી.આઈ.(એમ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજદારોની માંગણી તો ઇલેક્ટોરલ બોન્ડ પર સ્ટેની હતી, પણ સર્વોચ્ચ અદાલતે તમામ રાજકીય પક્ષોને તેમને ૧૫મી મે સુધી મળેલા ઇલેક્ટોરલ બોન્ડની નામ સહિતની વિગતો ચૂંટણી પંચને બંધ કવરમાં આપવાનો આદેશ કર્યો છે અને એક બંધારણી બેન્ચ ઇલેક્ટોરલ બોન્ડની બંધારણીયતા ચકાસવાની છે. ચૂંટણી પંચ પણ ઇલેક્ટોરલ બોન્ડમાં રખાતી ગોપનીયતાને સ્વીકારતી નથી અને તેણે અદાલત સમક્ષ આ બાબાત સ્પષ્ટ રીતે કહી છે. તો સરકાર વતી એટર્ની જનરલની બહુ વિચિત્ર દલીલ હતી કે મતદાર કહેતાં નાગરિકને તેના ઉમેદવાર અંગેની સઘળી વિગત જાણવાનો હક છે, પણ તેને ચૂંટણી લડવાનાં નાણાં કોણ આપે છે તે જાણવાનો હક નથી !

સરકાર શા માટે ઇલેક્ટોરલ બોન્ડથી રાજકીય પક્ષને દાન કરનારનાં નામો ખાનગી રાખવા માંગે છે તેનું એક કારણ એ છે કે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત વિગતો મુજબ માર્ચ ૨૦૧૮થી જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન જે ૧,૪૦૭ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા, તેમાંથી ૯૯.૮ ટકા બોન્ડ રૂ. ૧૦ લાખ અને રૂ. ૧ કરોડ જેવી મોટી રકમોના હતા, અને તે પૈકીના ૯૫ ટકા ભા.જ.પ.ને મળ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી કમિશન સમક્ષ તેમની જે આવક દર્શાવે છે, તેમાંથી રાજકીય ફંડીગનો ૬૯ ટકા હિસ્સો અજ્ઞાત સ્ત્રોતોમાંથી આવ્યાનું જણાવે છે તેમ એ.ડી.આર.નો અહેવાલ કહે છે. લોકસભા ચૂંટણીના આ મહિનાઓમાં ઇલેક્ટોરલ બોન્ડ્સના વેચાણમાં ૬૦ ટકા જેટલો ધરખમ વધારો થયો છે. આ પરથી રાજકીય પક્ષો ખાસ કરીને સત્તા પક્ષ લોકસભા ચૂંટણીમાં રૂપિયાની જે રેલમછેલ કરી રહ્યો છે તેનાં કારણો સમજાય  છે.

અગાઉ ૨૦,૦૦૦ રૂપિયાના રાજકીય દાનનો સ્ત્રોત ગુપ્ત રાખવાની જોગવાઈ હતી. ચૂંટણી પંચે તેની મર્યાદા રૂ. ૨,૦૦૦/- કરાવી છે. પરંતુ હવે તો ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા મસ્સમોટી રકમો આપનારનાં નામો જ ગુપ્ત રાખવામાં આવે છે. અને દાન કરનાર પર કોઈ પક્ષપાતના આક્ષેપો ન થાય તેવું બહાનુ આગળ ધરાય છે. ચૂંટણી ખર્ચની મર્યાદા વધારાઈ છે તો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચનો સમાવેશ થતો નથી. વળી રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચની કોઈ સીમા પણ બાંધવામાં આવી નથી. કોર્પોરેટર ફંડને છૂટ આપવામાં આવી છે તો વિદેશી ફંડને પણ મંજૂર રખાયું છે. ૧૯૭૬ પૂર્વેના કોઈ વિદેશી ફંડની તપાસ ન કરવાની પણ જોગવાઈ છે. કોર્પોરેટ ફંડની સીમા ખતમ કરી તેને ટેક્સમાં છૂટ આપી છે . આ બધાં કારણોને લીધે ચૂંટણીઓ વધુ ખર્ચાળ અને કાળાં નાણાંના ઉપયોગની બની છે.

જ્યાં સુધી રાજકીય ફંડનો સવાલ છે તમામ રાજકીય પક્ષો આ મુદ્દે ખોરી દાનત ધરાવે છે. ક્યારેક ઉમેદવારોને સંપૂર્ણ ચૂંટણી ખર્ચ સરકાર આપે તેવી પણ માંગણી થાય છે. તો પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય કુરેશીની રાષ્ટ્રીય ચૂંટણી કોશની રચના કરી તેમાંથી રાજકીય પક્ષોને મળેલા મતોની ટકાવારી પ્રમાણે ફંડ આપવાની યોજનાની તરફેણ થાય છે. કૉન્ગ્રેસ તેના ચૂંટણી ઘોષણાપત્રમાં ઇલેક્ટોરલ બોન્ડ યોજના ખતમ કરવાનું વચન આપે અને ભા.જ.પ. મતદારના રાજકીય ફંડના સ્ત્રોત જાણવાના અધિકારનો જ ઈન્કાર કરે તેની વચ્ચે મુક્ત અને ન્યાયી ચૂંટણી મતદાર ઝંખે છે. 

(તા.૦૮-૦૫-૨૦૧૯ના “સંદેશ” અખબારની ‘ચોતરફ’ કોલમમાં પ્રગટ)

e.mail : maheriyachandu@gmail.com 

Loading

આ ચૂંટણીમાં સૌથી મોટી હાર ઇલેક્શન કમિશનની થઈ છે !

મનીષી જાની|Opinion - Opinion|8 May 2019

દુનિયાની સૌથી મોંઘી અને દેશમાં સૌથી લાંબો સમય ચાલનારી 2019ની લોકસભાની આ ચૂંટણી છે.

દુનિયાભરમાં ચર્ચાસ્પદ બની હતી અમેરિકાની 2016ની પ્રેસિડેન્ટની ચૂંટણી. જેમાં નિમ્ન કક્ષાના આક્ષેપ-પ્રતિઆક્ષેપ, જૂઠ સામે જૂઠ અને અનેકાનેક કાવાદાવા ચૂંટણી પ્રચારમાં સંકળાયેલા હતા અને તે ચૂંટણીમાં નિષ્ણાતોના અંદાજ મુજબ 46,000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

અમેરિકાની એ ચૂંટણી કરતાં પણ વધુ નાણાં આપણી આ વખતની લોકસભાની ચૂંટણીમાં ખર્ચાઇ રહ્યા છે. સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝના રિપોર્ટ પ્રમાણે ગઈ 2014ની ચૂંટણી કરતાં 40% વધારે એટલે કે 50,000 કરોડથી પણ વધારે રૂપિયા આ ચૂંટણીમાં ખર્ચાશે.

જ્યારે બીજી બાજુ જોઈએ તો દેશનું સૌથી મોટું દિલ્હીમાં આવેલું ચૂંટણી પ્રચાર સામગ્રીનું બજાર આ વખતે ભારે મંદી અનુભવી રહ્યું છે. દિલ્હીના પત્રકારોના અહેવાલો મુજબ 2014ની ચૂંટણીમાં જે પ્રકારનાં તોરણો, ઝંડા, બિલ્લા, ટોપીઓ, બેનર્સ અને અન્ય પ્રચાર સામગ્રીઓ વેચાઈ હતી તેના 25%થી પણ ઓછું વેચાણ આ વખતે જોવા મળ્યું છે. કેટલાક જથ્થાબંધ વેપારીઓનાં તો રોકાણ પણ સલવાઈ ગયા છે એવું બજારનું માનવું છે.

એક બાજુ આ નિષ્ણાતો માને છે કે દુનિયામાં સૌથી વધુ મોંઘી ભારતની લોકસભાની આ ચૂંટણી છે અને બીજી બાજુ પ્રચાર સામગ્રીનું બજાર ઠંડું છે તો આ બધાં નાણાં ખર્ચાય છે ક્યાં ?

આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ નાણાં મીડિયામાં – છાપાં-ટી.વી.માં અને સોશ્યલ મીડિયામાં વપરાઈ રહ્યાં છે. સેન્ટર ફૉર મીડિયા સ્ટડીઝના રિપોર્ટ પ્રમાણે આ ચૂંટણીમાં 3,000 કરોડ રૂપિયા મીડિયા પાછળ ખર્ચાઈ રહ્યા છે, જેમાંથી 500 કરોડ રૂપિયાથી વધુ તો સોશ્યલ મીડિયામાં !

અને તે સંદર્ભે જોઈએ તો 10 માર્ચે ચૂંટણી જાહેર થઈ અને ઠેઠ 23 મે સુધી ચાલવાની છે. ખાસ કરીને મતદાન જ સાત તબક્કામાં લાંબું મહિનાભર ચાલી રહ્યું છે.

ચૂંટણી પંચે જ્યારે આ મહિનાભરની તારીખોનો લાંબો ચૂંટણી કાર્યક્રમ જારી કર્યો, ત્યારે જ તે વિવાદનો વિષય બન્યો હતો.

ચૂંટણી કમિશન આપણા દેશમાં એક સ્વાયત્ત સંગઠન છે. અત્યાર સુધી એની ગરિમા અને મહત્ત્વને જાળવવામાં જાતભાતના ચૂંટણી કમિશનરો અને મુખ્ય ચૂંટણી કમિશનરોની તટસ્થ કામગીરી અગત્યની રહી છે.

ચૂંટણી ટાણે સત્તાધારી કે વિપક્ષ, તમામ રાજકીય નેતાઓ એક કક્ષાએ આવી જાય, સુવિધાઓ અને કાયદાકાનૂન ને વ્યવહારની દૃષ્ટિએ પણ એક કક્ષાએ આવી જાય અને તો જ ચૂંટણી તમામને માટે ન્યાયપૂર્ણ ને સુયોગ્ય બની રહે તેવો આદર્શ આપણે સ્વીકારેલો છે.

જેમ દોડની હરીફાઈ હોય તો એક જ પટ્ટા પર, એક જ લીટીમાં ટ્રેક પર તમામ હરીફ દોડવીરોએ ઊભા રહેવાનું હોય છે. કોઈ આગળ-પાછળ ન હોય અને એક જ વ્હિસલ કે ગીનતી સાથે એક સાથે જ દોડ આરંભાતી હોય છે.

આ જ નિયમ ચૂંટણીપંચે ચૂંટણી વખતે નિભાવવાનો હોય છે. સત્તાધારી પક્ષ પાસે તંત્રો પર કાબૂ હોય, અધિકારીઓ પર પકડ હોય અને જે સરકારી સુવિધાઓ તેને સરળતાથી મળી રહેતી હોય છે તે તમામ પર ચૂંટણી કમિશનના અધિકારીઓની નિગરાની આવી જતી હોય છે.

અને તે સંદર્ભે જોઈએ તો ચૂંટણીની તારીખો અને સમયાવધિ માટે તમામ પક્ષો અને લાગતાં વળગતા તંત્રોની સહમતિ અને સામેલગીરીથી જ, સહિયારી ચર્ચા વિચારણાથી જ ચૂંટણી કાર્યક્રમ ઘડાવો જોઈએ.

પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ કે આ ચૂંટણી પ્રક્રિયાને સાત તબક્કામાં વહેંચી દેવાયેલી છે. એટલે જેમની પાસે લાંબા સમય સુધી મીડિયામાં પ્રચાર માટેનાં નાણાં છે, યા મીડિયા માલિકો પર જ જેમનું વર્ચસ્વ છે, તેને અપ્રત્યક્ષ રીતે પ્રચાર કરવાનો અને સતત પ્રચાર કર્યા કરવાનો વિશેષ લાભ મળે છે.

સત્તાધારી ભા.જ.પ. પાસે સૌથી વધુ ચૂંટણી ફંડ છે, એ જગજાહેર છે એટલે તેને આ દોઢ મહિના લગી સતત પ્રચારની તક મળી રહે તે સ્વાભાવિક છે.

અન્ય રાજકીય પક્ષો પાસે એટલી નાણાંકીય તાકાત ન હોય અને નાણાંકીય તાકાત જ આજના બજારુ સમાજમાં વધુ કાર્યકરોને ખરીદવા કે કામગીરી માટે રોકવા સહેલી બને છે તે સુસ્પષ્ટ છે.

આ ઉપરાંત ચૂંટણી પંચ છેલ્લા છ દાયકાથી જે કાર્ય પ્રણાલીથી કામ કરી રહ્યું છે તેમાં પણ ઊણું ઊતરતું આપણે સૌએ દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ.

ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ સત્તાધારી અને વિપક્ષ બંનેના નેતાઓએ દેશના પાયાગત લોકલક્ષી મુદ્દાઓને ચર્ચવાનાં બાજુએ મૂકી વ્યક્તિગત આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને કોમ-કોમ વચ્ચે, લઘુમતી-બહુમતી વચ્ચેની દિવાલો ઊભી કરવાનાં રસ્તે બેફામ નિવેદનો-ભાષણો કરવાનાં ચાલુ કરી દીધાં!

દેશના વડાપ્રધાનથી માંડી, જેમની પાસે તટસ્થતાની અપેક્ષા બંધારણીય જોગવાઇના હિસાબે રખાય છે, પક્ષાપક્ષીથી પર જેમનનો હોદ્દો ગણાય છે અને રાજ્યના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે તેવા રાજ્યપાલના હોદ્દે બેઠેલા, ભૂતપૂર્વ ભા.જ.પ.ના નેતા કલ્યાણ સિંહે પણ પોતાના નેતાને વડાપ્રધાન મોદીના બેફામ વખાણ શરૂ કરી દીધાં !

આ અંગે દેશના રાષ્ટ્રપતિ અને ચૂંટણી પંચે વિશેષ કોઈ કાર્યવાહી કરી નહીં !

અને વડાપ્રધાને તો કોઈની ય સાડાબારી રાખ્યા વિના ચૂંટણી આચારસંહિતાના બધાં જ નિયમો છાપરે ફેંકી દીધાં, તડકે મૂકી દીધાં !

વડાપ્રધાનનું સૌથી વિવાદાસ્પદ નિવેદન સૈન્યની કામગીરીને પોતાના નામે અંકે કરવાની છે.

દેશની ચૂંટણી આચારસંહિતામાં મહત્ત્વનો મુદ્દો છે કે સૈન્ય જેવાં દેશના સંરક્ષણમાં લાગેલાં તંત્રોની કામગીરીનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં ન કરવો. કોઈ સામાન્ય પાર્ટી કાર્યકરે નહીં પણ ભા.જ.પ. સર્વોચ્ચને પાછાં દેશના વડાપ્રધાને જ આ આચાર સંહિતાનો ભંગ કરતા એક ચૂંટણી સભામાં ભાષણ કરતા યુવાનોને સંબોધી જણાવ્યું કે 'પહેલી વાર વોટ આપવા જનારા યુવાનો જ્યારે મત આપવા જાય ત્યારે પુલવામાના શહિદોને યાદ રાખીને વોટ આપે …' આવી અપીલ કર્યા બાદ બીજી બે ત્રણ વાત કર્યા પછી એ જ ભાષણમાં કહ્યું કે બટન તો કમળનું જ યુવાનો દબાવજો …'

જ્યારે ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખે તો કૉન્ગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે એવી વાત જ કરી નાખી !અને જાણે કે આ ચૂંટણી ભારત વિરુદ્ધ પાકિસ્તાન હોય એવાં દ્વેશભર્યા ભાષણોની પરંપરા સર્જી.

અને આપણા ગુજરાતમાં બીજા ચરણમાં ચૂંટણી પૂરી થઈ એ પૂર્વે ગુજરાત પ્રદેશ ભા.જ.પ. પ્રમુખે કૉન્ગ્રેસના નેતાઓને 'હરામજાદા' કહ્યા અને તેના પ્રત્યાઘાતમાં ત્રીજા દિવસે કૉન્ગ્રેસી નેતાએ ભા.જ.પ.ના નેતાઓને 'હરામખોર' કહ્યા ..!

આ બંને નેતાઓ સામે ચૂંટણીપંચ માં ફરિયાદ થઈ પણ ચૂંટણીપંચ આ વખતે એવી ઢીલી રીતે યા એવી અનોખી રીતે કામ કરે છે કે ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ, તેનાં પાંચ દિવસ પછી 72 કલાક ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધની સજા આ ભા.જ.પ.ના પ્રદેશપ્રમુખને થઈ !

હવે આ કેટલી હાસ્યાસ્પદ વાત છે !

અને દેશના વડાપ્રધાન અને ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ સામે કુલ આઠ ફરિયાદો આચારસંહિતા ભંગ કરવા માટેની થઈ છે. તે ફરિયાદોની કાર્યવાહી પણ જે તે ભાષણસ્થળના, રાજ્યના ચૂંટણી અધિકારી થી શરૂ થઈ ચૂકી પણ આ ફરિયાદોના 21 દિવસ પછી અને તે પણ જ્યારે ફરિયાદકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ગયા અને ઇલેક્શન કમિશન અમારી ફરિયાદો પર ધ્યાન આપતું નથી, એ અંગે ન્યાય માંગતી અરજી કરી ત્યારે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક આ ફરિયાદોનો ઉકેલ લાવવા ઇલેક્શન કમિશનને તાકીદ કરી, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમના સહયોગી બે કમિશનરોએ આ ફરિયાદોને હાથમાં લીધી અને એક વિરુદ્ધ બેની બહુમતીના જોરે મોટાભાગની ફરિયાદોમાં વડાપ્રધાન અને ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખને ક્લિન ચીટ આપી દીધી … એક માત્ર ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આ ફરિયાદોને મુદ્દે વડાપ્રધાનને આચાર સંહિતા ભંગ માટે દોષિત ઠેરવવાનો પોતાનો મત વ્યક્ત કર્યો …!

જે જે શહેરોમાં વાંધાજનક ભાષણો થયાં ત્યાંના ચૂંટણી અધિકારીઓએ આચારસંહિતાનો ભંગ થાય છે તેવી કાર્યવાહી ફરિયાદોનાં સંદર્ભે તૈયાર કરી દિલ્હી વડી કચેરી ખાતે મોકલી આપી. પરંતુ આ વિધાનો સીધાં પોતાનાં પક્ષની તરફેણ કરનારા નથી યા મત માંગવા માટે નથી, એવાં અર્થઘટનો કરી આચાર સંહિતાનો ભંગ થતો નથી એવો ન્યાય બહુમતીના જોરે તોળી કાઢ્યો !

અને આ જ પ્રકારનાં બેફામ વિધાનો કરવા બદલ આદિત્યનાથથી માંડી સાધ્વી પ્રજ્ઞા અને માયાવતી દેવી જેવાં અનેક નેતાઓને 72 કલાકના પ્રચાર પ્રતિબંધની સજાઓ ઇલેક્શન કમિશન અત્યાર સુધી ફટકારી ચૂક્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ તો મુંબઈ આતંકવાદી હુમલાઓમાં સામી છાતીએ લડતા અને પ્રજ્ઞા સામેનો જ આતંકવાદી બોમ્બ ધડાકા કેસમાં તેને આરોપી ગણી તપાસ કરનારા પોલિસ અધિકારી હેમંત કરકરેને પોતે શ્રાપ આપેલો અને એટલે એ પાકિસ્તાની આતંકવાદીના હાથે મોતને ભેટ્યા એવું ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યું, અને વિશેષમાં તેણે બાબરી મસ્જિદ તોડવામાં અગત્યની સામેલગીરી પોતાની હતી તેનું ગૌરવ પણ ભાષણોમાં કહેવા માંડ્યું. આવાં ઉશ્કેરણીજનક વિધાનો માટે તેની સામે એફ.આર.આઈ. તો નોંધાઈ ને સાથે સાથે 72 કલાક ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ પણ તેનાં પર લદાયો. આ પ્રતિબંધની પણ ઐસીતૈસી કરી મંદિરમાં જવું એ મારી સાધ્વી તરીકેનો નિત્યક્રમ છે એમ કહીને ભજન સાથે મંદિમાં ફરીને તેણે છટકબારી સાથે પ્રચાર ચાલુ રાખ્યો છે. તેના પર તાત્કાલિક કોઈ પગલાં લેવાયાં નથી એ પણ નોંધવું રહ્યું !

વળી વિવાદાસ્પદ વાત બીજી એ બની કે કર્ણાટકના સનદી અધિકારી મોહસીને ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા વડાપ્રધાનના  હેલિકોપ્ટરની તપાસ કરી તો તે સનદી અધિકારીની વિશેષ સલામતી કવચમાં આવતા નેતાઓ માટેના આદેશોનો ભંગ કર્યો છે એમ કહી આ સનદી અધિકારીને તાત્કાલિક ચૂંટણી કમિશનરે સસ્પેન્ડ કરી દીધા !

એ અધિકારી કોર્ટમાં ગયા અને કોર્ટે સરકારને ફરજ પાડી કે તેમને સસ્પેન્ડ કરવાનું યોગ્ય કારણ સરકાર પાસે નથી !

કોઈ એક સત્તાધારીનાં તમામ વર્તનો-ભાષણો તરફ આંખ મિચામણા કરવા તે કોઈ સ્વાયત્ત સંસ્થા પરનાં દેશના કરોડો લોકોના ભરોસાને છેહ આપવા જેવી ચિંતાજનક બાબત છે.

એનો એક અર્થ એ થાય કે નિષ્પક્ષ તંત્રનાં સૂત્રધારો વિચારધારાની દૃષ્ટિએ જે તે પક્ષ સાથે છે અને તેને લઈ આ પ્રકારે વર્તી રહ્યા છે યા તો સત્તાધારીઓથી ડરી રહ્યા છે.

દેશનાં વિવિધ તંત્રોમાં સત્તાધારીઓની દાદાગીરી સામે ચૂપ રહેવાનું વલણ વધતું જાય તે લાંબાગાળે લોકશાહી માટે જ જોખમરૂપ બની રહેવાનું છે.

ચૂંટણી પંચ જેવાં સ્વાયત્ત તંત્રોએ વર્ષોનાં સંઘર્ષ પછી, સત્તા સામે ઝીક ઝીલીને લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો હોય છે. એ વિશ્વાસ જ્યારે તૂટવા માંડે ત્યારે છેવટે તો ચૂંટણીમાંથી જ જનતાનો ભરોસો ઊઠી જાય અને 'મારે તેની તલવાર'ની ભાવના શક્તિશાળીઓમાં બળવત્તર બનશે જે સૌ કોઈ માટે, આજના આધુનિક જમાનામાં ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવા જેવું બની રહેશે.

સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 08 મે 2019

Loading

સ્વરાજ પીઠ – અહિંસાના દીપની વાટ સંકોરવાનો સહિયારો પ્રયાસ

આશા બૂચ|Opinion - Opinion|6 May 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 07

સત્ય અને અહિંસાનું અનુસરણ કરીને કેટકેટલી વ્યક્તિઓ અને સંગઠનોએ ઘર આંગણાંને ઉજ્વળ રાખ્યું છે એ તો હાથમાં દીવો લઈને શોધવા જઈએ ત્યારે દેખાય. આજે અહિંસાના દીપની વાટ સંકોરવાનો સહિયારો પ્રયાસ કરનાર ‘સ્વરાજપીઠ’ નામક સંગઠનની કહાણી જોઈએ.

સ્વરાજ પીઠ ટ્રસ્ટ મહાત્મા ગાંધીની કલ્પનાના ‘સ્વરાજ’ને સાકાર કરવા અહિંસા અને શાંતિના સંદેશને સતત પ્રજ્વલિત રાખતું કેન્દ્ર છે જેનું મથક ગુરગાંવ છે. અહિંસક આચાર-વિચારોને સંસ્કૃતિના અંતરંગ ભાગ બનાવવા આ સંગઠને શાંતિસેના નામક એક અહિંસક સૈન્ય દળ ઊભું કર્યું છે કે જે સમાજના ભિન્ન ભિન્ન સમુદાયો સાથે ચર્ચા વિચારણાનું આયોજન કરે છે, અને જીવનના દરેક આયામમાં અહિંસક અભિગમ કઈ રીતે વ્યવહારમાં મૂકી શકાય, તેની તાલીમ અને પ્રશિક્ષણ આપીને લોકોને સ્વરાજના ખરા અર્થનું દર્શન કરાવે છે. ગાંધીની ઉક્તિ “એક ઔંસ જેટલા સત્ય આચરણ માટે એક ઢગલા જેટલા વિચારો”  –  “A mound of thought for an ounce of right action”-ને સાકાર કરવા સ્વરાજપીઠ પ્રતિબદ્ધ રહે છે.

At the centre of nonviolence stands the principle of love”, Martin Luther King, Jr. આ સત્યવચનને મધ્ય નજર રાખી સ્વરાજપીઠનું હેતુ દર્શક વિધાન આ મુજબનું છે: “હિંસામાં રહેલ દુર્ગુણો અને અહિંસામાં રહેલ ગુણો દર્શાવવા સહેલ છે, પરંતુ કઠિન સમસ્યા એ છે કે હિંસાનું સમાધાન અહિંસા દ્વારા કઈ રીતે શોધવું. માનવ જાતની મુક્તિ માટે અહિંસાના પ્રયોગ જ એક માત્ર આશા સમાન છે. આથી જ અહિંસામાં પણ મૂડી રોકાણ કરવું પડે. આપણે જેમ હિંસાનું વિજ્ઞાન વિકસાવવામાં, શસ્ત્રો અને યુદ્ધકળામાં પારંગત થવામાં મૂડી રોકાણ કર્યું તેમ જો અહિંસાના વાવેતર – ગાંધીજીના શબ્દોમાં આત્માના વિજ્ઞાનમાં મૂડી રોકાણ કર્યું હોત તો આપણે ન્યાયી અને સંતુલિત સમાજની દિશામાં આગળ વધ્યાં હોત. લોકશાહીની સંસ્કૃતિ સ્વરાજ અને અહિંસાના વિકાસના પ્રમાણમાં વિકસે છે. અહિંસાના વિકાસની સાબિતી લોકો મતભેદ અને સંઘર્ષો નિવારવા જે રીતે પ્રવૃત્ત થાય અને ન્યાય અને સ્વાધીનતા તથા સમાજની રચનાના પાયામાં રહેલ હિંસાનો એવી રીતે પ્રતિકાર કરે કે જેથી ન્યાય અને સ્વાધીનતા એકબીજાના પર્યાય બની રહે તેના પરથી મળે. સ્વરાજ એ ન્યાય અને સ્વાધીનતાના સંયુક્ત બીજમાંથી અંકુરિત થતું ફળ છે.”

સ્વરાજપીઠની ભૂમિકા અને હિંસાની અહિંસક માર્ગે સમાધાન કરવાની શોધની દિશામાં કરેલ  પ્રદાનની વાત કરતાં પહેલાં તેના સ્થાપકો અને કર્મશીલો વિષે થોડું જાણીએ. સ્વરાજપીઠની સ્થાપના શ્રી રાજીવ વોરા અને ડો. નીરુ વોરાએ 1992માં કરી. સ્વરાજપીઠના સ્થાપકોમાંના એક અને પ્રમુખ શ્રી રાજીવ વોરા સ્વ. જયપ્રકાશ નારાયણના 1974-75ના આંદોલનમાં જોડાયેલા. તે ઉપરાંત ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં કાર્યરત રહ્યા તે દરમ્યાન ‘ગાંધી માર્ગ’(હિન્દી)ના એડિટર, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સીઝના સલાહકાર અને સત્યાગ્રહ સંચાલન સમિતિના સંયોજક તરીકે કાર્ય કરી ચુક્યા છે. તાજેતરમાં તેમને ગુરુ ગોવિંદસિંઘ ત્રિ શતાબ્દી યુનિવર્સિટી દ્વારા સંઘર્ષમય વિસ્તારોમાં અહિંસાનો પ્રચાર-પ્રસાર કરવા બદલ અને તેનો અસરકારક અમલ કરવા બદલ DLitની ઉપાધિ એનાયત થઇ. ડોક્ટરેટની પદવી અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનારાઓને આપવામાં આવે છે જેમાં શાંતિ પુરસ્કારનો સમાવેશ થાય છે, પરંતુ અહિંસક સાધનો દ્વારા સંઘર્ષ નિવારણ કરનાર વ્યક્તિ કે સંગઠનને ઉચ્ચ સન્માનથી નવજવાનું જવલ્લે જ બનતું હોય છે. અહિંસાનું સંઘર્ષ નિવારણ કરનાર એક અસરકારક સાધન તરીકે સ્વીકારાઈને બહુમાન થયું એ સત્ય-અહિંસામાં શ્રદ્ધા ધરાવનારાઓ માટે ગૌરવનો વિષય છે; સાથે સાથે સત્ય-અહિંસા કાળબાહ્ય થઇ ગયાં છે એમ વિચારનારાઓ માટે એક સબક શીખવનાર ઘટના પણ બની રહી છે.

સ્વરાજપીઠના પાયામાં રહેલ બીજી હસ્તી તે ડો. નીરુ વોરા. તેઓ અમેરિકામાં પોલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ સમાજવાદી નેતા સૂચેતા કૃપલાની સાથે જોડાયાં. કટોકટી કાળ દરમ્યાન જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ તેમણે છાત્ર યુવા સંઘર્ષ વાહિનીનું નેતૃત્વ સંભાળ્યું. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં શ્રી રાજીવ વોરા સાથે કામ કરવાનો મોકો મળ્યો, જે જીવનસાથીના રૂપમાં કાયમ રહ્યો અને આજે પણ સ્વરાજપીઠ દ્વારા આ યુગલ સતત કાર્યરત રહે છે. આ ઉપરાંત સ્વરાજપીઠને  માનનીય આચાર્ય સામદોંગ રિનપોચેનું સતત નિદર્શન અને માર્ગદર્શન મળતું રહ્યું છે.

સ્વરાજપીઠ ટ્રસ્ટ(ગુરગાંવ – ભારત)નો પ્રથમ તબક્કો (2001-2008) સંઘર્ષોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલીમ પામેલા શાંતિ સૈનિકોને અહિંસક સાધનો દ્વારા દરમ્યાનગીરી કરવા માટે તૈયાર કરવાનો હતો. શાંતિસેનાના તાલીમાર્થીઓ બાંકા જિલ્લા-બિહારમાં હિંસાને તડીપાર કરવા સક્રિય થયા તેની આ તસવીર.

બીજા તબક્કામાં (2009-10) હિન્દ સ્વરાજ શતાબ્દી – આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ડો. નીરુ વોરાની આગેવાની હેઠળ થયું  જેમાં 17 દેશોના 110થી ય વધુ વિચારકો, વિદ્વાનો અને અહિંસાના પ્રયોગ કરનારાઓ શ્રદ્ધેય આચાર્ય સામદોંગ રીનપોચે અને પરમ પાવન દલાઈ લામાની નિશ્રામાં એક મજબૂત સંગઠનની રચના કરવા એકઠા મળ્યા.

2010 પછીના તબક્કાની શરૂઆત જમ્મુ અને કાશ્મીર તથા બિહારના આદિવાસીઓમાં માઓઇસ્ટ બળવાખોરોમાં થતા યુવાનોના ઉદ્દામ વલણો અને તેને પરિણામે પેદા થતા સંઘર્ષો વચ્ચે જઈને એ વિકટ પરિસ્થિતિઓનો શાંતિમય ઉકેલ લાવવાની મથામણથી થઇ છે. બાંકા જંગલમાં નક્સલ વિસ્તારમાં સ્વરાજપીઠના પ્રમુખ અને યુવા કાર્યકરોની આ તસવીર કર્મશીલોની અહિંસાની તાલીમની સફળતાની દ્યોતક છે.

જયારે વિશ્વ આખામાં ઉદ્દામવાદ દાવાનળની માફક પ્રસરી રહ્યો છે ત્યારે સ્વરાજપીઠ ગાંધીજીના ‘હિંદસ્વરાજ’માંના સ્વતંત્રતા અને અહિંસા વિશેના બીજરૂપ વાર્તાલાપ પર ઊંડી વિચારણા કરીને અંતિમવાદી બળો સામે અહિંસક બળ ઊભું કરવાની ભલામણ કરે છે. ઘર આંગણે અહિંસક પ્રતિકારક શક્તિ ઊભી કરતી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસક માર્ગો વિશે ચર્ચા વિચારણા કરીને તેના આધારિત લોકશાહી, સ્વતંત્રતા અને ન્યાય માટે મથતી ચળવળોને પણ સક્રિય ટેકો આપે છે. માનવીની ગરિમા જાળવવા, પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા અને પૃથ્વીના પર્યાવરણને જાળવવા પ્રયત્નશીલ રહેતાં જૂથોને પોતાનો નૈતિક અને સક્રિય સાથ પણ પૂરો પાડે છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય તખ્તા પર કોઈ એક દેશમાં દુર્ઘટના બને ત્યારે તેના છાંટા બીજા દેશોને પણ ઊડતા હોય છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હલ્લો લોકોને મુસ્લિમો અને ઇસ્લામ પ્રત્યે ભય, શંકા અને નફરતની નજરે જોતાં કરી મુકવા માટે પૂરતો હતો. 9/11ની એ ગોઝારી દુર્ઘટનાને અનુલક્ષીને સ્વરાજપીઠે બીજી 9/11ના દિને બનેલ ઘટનાના મહત્ત્વને ઉજાગર કરવા પ્રયાસ કર્યા. 11 સપ્ટેમ્બર 1906 – દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો જન્મ. જ્યારે વિશ્વ આખામાં મુસ્લિમ પ્રજા અને ઇસ્લામ ધર્મ માટે નફરતની લાગણી ફેલાયેલી ત્યારે રાજીવ વોરાએ મુસ્લિમ બહુમતી ધરાવતા ઉત્તર પ્રદેશના છ શહેરોમાં સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે વાર્તાલાપોનું આયોજન કર્યું. હેતુ હતો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં મુસ્લિમ કોમનો સક્રિય ફાળો અને તેની મહત્તા સમજવાનો. 2002-08 દરમ્યાન હિન્દ સ્વરાજની ઓળખ આપીને અહિંસા વિષે જાગૃતિ આણવા ચળવળ ચલાવી અને મુસ્લિમ કોમમાંથી શાંતિ દૂતોને તાલીમ આપી એટલું જ નહીં, ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકનું ઉર્દૂ ભાષાંતર બહાર પાડ્યું જે ઉર્દૂભાષી આગેવાનોની પ્રશંસા પામ્યું.

આઝાદી મળ્યાને સાત સાત દાયકાઓ વિત્યા છતાં કાશ્મીરનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે એ કેવી કમનસીબી? સ્વરાજ પીઠ જમ્મુ અને કાશ્મીરના સંઘર્ષ વિસ્તારમાં અહિંસાનો પ્રયોગ કરવા સક્રિય ભાગ ભજવે છે. એ જ રીતે બિહાર અને ઝારખંડમાં વ્યાપી રહેલ પ્રવૃત્તિઓનો હલ સંઘર્ષને કારણે અસર પામેલ દરેક પક્ષ અને જૂથ વચ્ચે વાટાઘાટ કરીને લાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવે છે. નક્સલવાદીઓ હિંસા દ્વારા કાળો કેર વર્તાવે છે એ વાત સમાચાર માધ્યમો ફેલાવે છે, પરંતુ ત્યાં શું પરિવર્તન આવી રહ્યાં છે એ કોણ કહે? આજે એવી સ્થિતિ છે કે શંકા થાય કે ગાંધી હજુ જીવિત છે? આ એક પ્રશ્ન છે. તેઓ સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનાં મૂલ્યો અને વિચારો હજુ કાળબાહ્ય નથી થયા તેની સાક્ષી અનેક રીતે મળતી રહે છે. પોલીસ અને લશ્કરની સહાયથી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા ટેવાયેલા પૂછી શકે, કોઈનું હૃદય પરિવર્તન ગાંધી વિચારો દ્વારા કરવું સંભવ છે ખરું? તેનું એક ઉદાહરણ જોઈએ. નક્સલાઈટ – માઓઇસ્ટ બંડખોર લોકો હિંસાત્મક આક્રમણોનો ત્યાગ કરવા લાગ્યા છે. માન્યામાં ન આવે તેવી આ હકીકત છે. તેઓમાંના કેટલાક ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છે. તેઓ સ્વરાજપીઠ દ્વારા આયોજિત અહિંસાની અભ્યાસ શિબિરોમાં જાય છે અને ગાંધીજીનું મહત્ત્વનું પુસ્તક ‘હિન્દસ્વરાજ’ વાંચે છે. ભોલા યાદવ પર બે વર્ષ પહેલાં ડાબેરી વિચારધારાની સખત પકડ હતી. લોકો તેને માઓઇસ્ટ બંડખોરોના નાયક તરીકે ઓળખે. પણ તેણે ‘હિન્દ સ્વરાજ’ આખું વાંચ્યું, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તેમની અહિંસક રીતે પોતાની સમસ્યાઓનો હલ શોધી તેને અમલમાં મુકવા કટિબદ્ધ થયો. આ તસ્વીરમાં ભૂતપૂર્વ નક્સલ કમાન્ડર ભોળાનાથ યાદવ સાથે અન્ય યુવકોની શાંતિયાત્રા સ્વરાજપીઠની ભૂમિકાની સફળતાનું પ્રમાણ પૂરું પાડે છે.

અહીં એ નોંધવું અગત્યનું છે કે સ્વરાજપીઠના કાર્યકર્તાઓને હિંસા આગળ ઉમેરતાં ખાસ્સો સમય લાગ્યો. પાંચ વર્ષ સુધી લગાતાર અંતરિયાળ ગામોમાં ફર્યા, જ્યાં કોઈ જઈ ન શકે અને કોઈએ જવાનું સાહસ કરેલું પણ નહીં તેવા ડરામણા ગણાતા વિસ્તારોમાં જઈને ઘેરે ઘેર ફરીને વ્યક્તિઓ સાથે વાત કરી; એટલું જ નહીં એક-બે-ત્રણ દિવસીય કેમ્પ કરીને અને તેમાંના કેટલાકને દિલ્હી લાવી હિન્દ સ્વરાજ અને અહિંસા વિષે અવગત કર્યા, ત્યારે તેનાં પરિણામ મળવાની સંભાવના નજરે પડી. યુ.એન. આંતર વિગ્રહ કે યુદ્ધ ખેલાઈ ચૂક્યા હોય તેવા વિસ્તારોમાં ‘પીસ કીપિંગ ફોર્સ’ મોકલે છે જે ટેન્કો પર સવાર થયેલ અને વિનાશકારી શસ્ત્રોધારી સૈનિકોનું બનેલ દળ હોય છે. જ્યારે સ્વરાજપીઠે એક ‘શાંતિસેના’નું નિર્માણ કર્યું છે; જેના ચાર તબક્કાઓ છે:

લોક સમિતિઓ દ્વારા સ્વરાજની વિભાવનાની ચર્ચા.

‘હિન્દ સ્વરાજ’ વિષે અભ્યાસ કરીને અહિંસાનાં મૂલ્યો પર ભાર મુકવો.

સત્યાગ્રહની જન્મતારીખ 11મી સપ્ટેમ્બરને દિવસે શાંતિસેનાની સ્થાપના કરવી અને તેના ઉદ્દેશ્યો હાંસલ કરવાની પ્રતિજ્ઞા લેવી.

હિંસાત્મક આક્રમણોને ખાળવા, સંઘર્ષોનો ઉકેલ લાવવા અને માનવીય સેવાઓ આપવા માટે અહિંસા આધારિત પગલાંઓ ભરવા તાલીમ આપવી.

કાશ્મીર અને ઝારખંડ જેવા પ્રદેશોની પ્રજાની યાતનાઓ અને કઠણાઈઓમાં ભાગ પડાવતા જતાં સ્વરાજપીઠના કર્મશીલોને અહેસાસ થયો કે માઓઇસ્ટ ચળવળ કરનારાઓ એ અવગણના પામેલા લોકો સુધી પહોંચ્યા અને તેમની રાજકીય તેમ જ બૌદ્ધિક ભૂખ પણ સંતોષી. તેઓ આ સ્થિતિમાં શા માટે છે અને તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો છે તે સમજાવ્યું; અલબત્ત એ માર્ગ હિંસાનો છે. એ આદિવાસી અને અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને માત્ર આર્થિક જરૂરિયાતો જ હોય છે એ આપણી માન્યતા ભૂલભરેલી છે. ગરીબ પ્રજાને પણ એ જાણવું છે કે તેઓની આ અવદશા શા કારણે છે અને બીજા સાધન સંપન્ન લોકો અને સત્તાધારી લોકો શા માટે અનેક ગણી સારી દશામાં જીવે છે. જોવાનું એ છે કે જે લોકોએ બંદૂક પકડી છે અને વર્ગ વિખવાદમાં સંડોવાયેલા છે તેઓ પણ આ ‘અન્ય’ લોક સાથે સહાનુભૂતિ કેળવીને તાદાત્મ્ય સાધવા ઈચ્છે છે. ગાંધીજીની ઉક્તિ ‘દરેક માનવીમાં મૂળે તો સારપ ભરી પડી છે’ એ આ પ્રકૃતિના સંતાનો અને કહેવાતા અશિક્ષિત લોકોના દિલમાં ખૂબ ઊંડી ઊતરી ગયેલ છે. આથી જ તો કદાચ તેમને સ્વરાજ અને અહિંસાની વાત સમજવી મુશ્કેલ નથી લાગતી; એને તેઓ સ્વધર્મ માને છે.

ગાંધીજીના સ્વરાજ વિશેનાં દર્શનની પ્રસ્તુતતા પરની આત્મશ્રદ્ધાને ઝોળીમાં ભરીને શ્રી રાજીવ વોરા અને તેમના પત્ની ડો. નીરુ વોરા ગાંધીજીના અહિંસા વિશેના દર્શન અને અહિંસક લડતોની પદ્ધતિ વિષે અભ્યાસ, સંશોધન અને પ્રયોગો કરી રહ્યાં છે. તેની ફલશ્રુતિ જોઈએ. કાશ્મીર વિસ્તારમાં જે  યુવાનો બંદૂકથી વાત કરતા હતા તેઓ અહિંસાના હિમાયતી બની રહ્યા છે. બિહારના બાંકા જિલ્લામાં 150થી ય વધુ નક્સલાઈટ કમાન્ડો હિંસા ત્યજીને શાંતિના માર્ગે પડ્યા. 22માંથી 18 પંચાયતોમાં અહિંસામાં માનનારા મુખિયાઓને ચૂંટવામાં આવ્યા જેમાંની છ મહિલાઓ હતી. આ બધું જ ગાંધીજીનો સંદેશ નફરત અને હિંસાની આગથી તપ્ત હૃદયો સુધી પહોંચાડીને તેમને બીજા માર્ગનો વિકલ્પ આપવાને કારણે જ શક્ય બન્યું.

લોકહિતનાં કાર્યો જોખમો અને પડકારોથી મુક્ત નથી હોતાં. કેટલાક સ્થાપિત હિત ધરાવનારાઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારાઓને નિરુત્સાહ કરતા હોય છે. આવા કર્મશીલોને બે બાજુથી ભય હોય છે; પોલીસ અને કેટલાંક સંગઠનો તરફથી. વહીવટી તંત્ર અને રાજકારણીઓ તરફથી પોલીસને માઓઇસ્ટ વિરુદ્ધ લડાઈ જાહેર કરીને પોતાની સફળતા દર્શાવવાનું દબાણ થતું હોય છે. આ બેધારી વિટમ્બણાઓને ધૈર્ય અને હિંમતથી સહન કરતાં કરતાં સ્વરાજપીઠ સતત આગળ ધપતી રહી છે. નોંધનીય બાબત એ છે કે તેનો કાર્યભાર મિત્રો અને શુભેચ્છકોની પીઠ પર છે. તેઓ સરકારની મદદ કે બહુરાષ્ટ્રીય કંપનીની સહાય નથી લેતા, જેથી જેમને માટે તેઓ આ ઉમદા કાર્ય કરે છે તેવા લોકો પ્રત્યેની તેમની નિષ્ઠા અને પ્રામાણિકતા જળવાઈ રહે. આ એક સરાહનીય નિર્ણય છે જે નિભાવવો મુશ્કેલ પણ છે. સ્વરાજપીઠે એવા જોખમકારક વિસ્તારોમાં કામ કરવાનું બીડું ઝડપ્યું છે, જ્યાં હિંસાની ચિનગારી ભાગ્યે જ ઓલવાતી જોવા મળે, એટલે  ભારતની કોઈ સંસ્થા કે કોર્પોરેટ જગતની દાન ગંગા તેમને તરતી રાખે એ સંભવ નથી. અહીં આપણને ગાંધીજીનો એક બીજો સિદ્ધાંત અમલમાં મુકાતો જોવા મળે છે. ગાંધીજી માનતા કે પ્રજા માટેનાં કાર્યો પ્રજાની જ આર્થિક સહાયથી થવા જોઈએ, તેનો પાઇ પાઈનો હિસાબ લોકોને આપવો જોઈએ, જેથી એ કાર્ય કે પરિકલ્પનાના માલિક પ્રજા પોતે રહે, તેની દિશા નક્કી કરવામાં, તેનાં ફળો ભોગવવામાં તેઓ જ મહદ્દ અંશે ભાગીદાર બને અને સહુથી મોટી વાત તો એ કે એમ કરવાથી કોઈ ઉદ્યોગપતિ, શેઠ-શાહુકાર કે સરકારી તંત્રની જોહુકમી નીચે દબાઈ જવું ન પડે. અલબત્ત ગાંધીજીને અનેક ઉદ્યોગ સાહસિકોએ છુટ્ટે હાથે દાન કરેલું, પરંતુ આજે એવા વીરલાઓ ભાગ્યે જ મળશે જેઓ સ્વહિતને એક બાજુ મૂકીને અહિંસક ચળવળ જેવી ‘સાધારણ’ મનાતી પ્રવૃત્તિઓને સાથ આપે કેમ કે તેમને શસ્ત્રોની બનાવટ અને લે-વેચમાં ધનનો બેહિસાબ ફાયદો થાય ને? અહિંસાની આતશને જલતી રાખવા જાતે એ વિસ્તારોમાં જઈને કાર્ય કરી ન શકતા હોય તેવા વાચકો સ્વરાજપીઠની વેબસાઈટ પર જઈને જરૂર એ યજ્ઞમાં યથાશક્તિ નાણાકીય સહાય રૂપી આહુતિ આપી શકે.

રાજીવ વોરા અને નીરુ વોરા લિખિત પુસ્તકો: Share Concerns અને Nonviolence and Peace Building in Jammu & Kashmir તથા રાજીવ વોરા લિખિત Disinherited Generation of J&K and Enigma of Kashmiri Pandit-Muslim Relationshipની નોંધ લેવી રહી. સ્વરાજપીઠનાં સ્તંભ સમાન આ યુગલ હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને કાર્ય તો કરે જ છે, સાથે સાથે તેને અક્ષર દેહ આપીને તે કાર્ય પાછળના ઉદ્દેશો, અનુભવો અને અર્જિત જ્ઞાન બહોળા સમુદાય માટે ઉપલબ્ધ પણ કરે છે. ગાંધી વિચાર માત્ર ગાંધીજીનો જ નહીં, પોતાનો બને, બીજા અપનાવે અને સમાજના બધા વર્ગો સુધી પહોંચે એ માટેના આ સહિયારા પ્રયાસને હજુ વધુ સફળતા મળે તેવી શુભેચ્છા.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...2,7982,7992,8002,801...2,8102,8202,830...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved