Opinion Magazine
Number of visits: 9577082
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફેસબુક પર વિચારપલટાઃ ફંદા અને ફંડા

તપન શાહ, તપન શાહ|Opinion - Opinion|15 May 2019

લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ઉમેરાનારા કરોડથી પણ વધુ નવા મતદારો પાસે પ્રધાનમંત્રીએ ખૂલીને પુલવામા ઍટેક અને એર સ્ટ્રાઇકના નામે વોટ માગ્યા. હકીકતમાં આ ઉંમરના મતદારો પાસે શિક્ષણ અને રોજગારીના નામે વોટ માગવાના હોય. આ ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારા ૧૮થી ૨૨ વર્ષના લોકો પાંચ વર્ષ પછી ૨૩થી ૨૭ વર્ષના થશે. શિક્ષણ, લગ્ન અને રોજગારી એ ત્રણેય માટે ઉંમરનો આ ગાળો મધ્યથી અંત તરફનો ગણાય.

મેં પહેલી વાર ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં મત આપ્યો. પછી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં. બંને વખતે ભા.જ.પ.ને મત આપ્યો હતો. હું ત્રણ કારણસર ભા.જ.પ. અને નરેન્દ્ર મોદીનો પ્રખર સમર્થક બન્યો : જૈન હોવાને કારણે, ફેસબુકને કારણે અને ખોટા મિત્રો-વાચકો-લેખકોની સંગતને કારણે. બારમું ધોરણ પાસ કરીને અમદાવાદની જૈન હૉસ્ટેલમાં ભણતી વખતે મારા આ વલણની શરૂઆત થયેલી લગભગ ૨૦૧૦ની આસપાસ. બીજી દુનિયા વિશે કશી ખબર ન હતી ત્યારે જૈન મિત્રો-સગાંવહાલાં-કેટલાક સાધુઓ, એ બધાના મોદીપ્રેમની અસર મારી પર પડતી હતી. મારો એક જૈન મિત્ર હતો. તે કટ્ટર હિંદુત્વનો સમર્થક. પાછો હતો જાણકાર, એટલે એ જે બોલે તે સાચું હશે એવું મને લાગે.

અમે બધા નરેન્દ્ર મોદીનાં ભાષણ ઇન્ટરનેટ પર અને એ સિવાય પણ ખૂબ સાંભળતા. હું મનોરંજનપ્રિય હતો. સાચુંખોટું ઠીક છે, મઝા આવવી જોઈએ. સાચા લોકો સુધી ત્યારે હું પહોંચ્યો ન હતો. ફેસબુકમાં આવ્યા પછી ધીમે ધીમે બીજી દુનિયા જોવા મળી. કટ્ટર હિંદુત્વમાં ન માનતા હોય – તેનો વિરોધ કરતા હોય એવા લોકોનું લખાણ વાંચવાનું થયું. તેમાંથી કૈંક શીખવા પણ મળતું હતું. તેમાં પણ મારા પેલા મિત્રે વાહિયાત કક્ષાના લોકોનાં વખાણ કરી કરીને મને તેમનો ફેસબુક ફૉલોઅર બનાવી દીધો. એક ભાઈના ‘સંબંધો વિશેના’ લેખ મને ત્યારે ગમતા ને આજે પણ ગમે છે, પરંતુ એ લેખોની સાથે દહેજમાં કટ્ટર હિંદુત્વને લગતા લેખો આવ્યા ને મારા મનમાં ઊતરવા લાગ્યા. વિચારધારામાં આ વાત મહત્ત્વની છે. આવે ત્યારે આખું પોટલું સાથે જ આવે. તમે એકમાંથી માંડ છૂટો ત્યાં બીજે પકડાવ. કટ્ટર હિન્દુત્વ, તેમની વ્યાખ્યા પ્રમાણેનો ‘રાષ્ટ્રવાદ’, હિંસક વિચારધારા, મુસ્લિમો પ્રત્યે જન્મજાત દુશ્મની જેવો દ્વેષ, માંસાહારી લોકો પ્રત્યેની માનસિક દુશ્મનાવટ, અનામતનો વિરોધ, ભા.જ.પ.નો પ્રેમ, સંઘ પરિવાર માટેનો ભાવ – આ બધું મોટા ભાગના કિસ્સામાં સાથે આવે અને સાથે જ જાય. એટલે કોઈને બદલવા માટે આ ગઢમાં એક જ ઠેકાણે બરાબર ગાબડું પાડવાનું. તો એવી પૂરી શક્યતા છે કે આખેઆખો મહેલ તૂટી પડે, એવું મને લાગે છે.

પણ ફેસબુક પર લખવાનું શરૂ કર્યું, ત્યારે આવી સ્પષ્ટતા થઈ ન હતી. ત્યારે મુસ્લિમો વિરુદ્ધ બેફામ લખ્યું. નરેન્દ્ર મોદીની ટીકા કરનારા લેખકો વિરુદ્ધ બેફામ લખ્યું. એવાં લખાણોમાં વિચારધારા કરતાં લેખક બનવાની મઝા વધારે આવતી હતી. હું મજાકપ્રિય છું. લોકોની મજાક કરવામાં મને મઝા આવતી હતી. પાછી પચાસ-સો લાઇક મળે, એટલે એ ગાડું પણ બરાબર ગબડતું રહે. મારી કટ્ટરતાનો સૂર્ય મધ્યાહ્‌ને તપતો હતો ત્યારે બકરી ઈદ વખતે હું મુસ્લિમો વિરુદ્ધ લખું, એટલે આખા વર્ષમાં ન આવી હોય એટલી લાઇક એકલી એ પોસ્ટમાં આવે. પછીથી મારા પરમ મિત્ર બનેલા તાહા મનસૂરી સાથે ફેસબુક પર લડાઈ ચાલતી હોય. એક એક કમેન્ટને પચીસ-પચીસ લાઇક આવે અને જે નશો ચડે! આવો નશો ચડાવનારા લોકોમાંથી એક પ્રકારના લોકોને મેં નામ આપ્યું છે : પ્રૌઢ હાઇજૅકર્સ (અપહરણકર્તાઓ).

મારી પણ એવા કેટલાક સાથે ફેસબુક પર મુલાકાત થઈ. તેમાંના અમુક બુદ્ધિથી પ્રૌઢ, અમુક ઉંમરથી, અમુક બંનેથી પ્રૌઢ. આવા પચાસની આસપાસના પ્રૌઢોથી યુવાનોએ ખાસ ચેતવા જેવું હોય છે. એવા લોકો તમારામાં થોડો ચમકારો જોશે, એટલે તેને પોતાના માટે કેવી રીતે વાપરવો તેની વેતરણમાં લાગી જશે. શરૂઆતમાં તે તમારી દરેક વાતનાં વખાણ કરશે. તમારી પોસ્ટના ટેકામાં ફકરો ભરીને જ્ઞાન પીરસશે અને તમારી વિચારસરણી છે તેવી જ રહે, એ માટે ભરપૂર પ્રયાસ કરશે. એમ કરીને ધીમે ધીમે એ તમારા મન પર કબજો કરી લેશે. તમને એમ જ લાગવા માંડશે કે તમે જે વિચારો છો એ સાચું જ છે. તમને ક્યારે ય તમારા વિચાર બદલવાની કે તેના વિશે ફેરવિચાર કરવાની પણ ઇચ્છા નહીં થાય. કારણ કે તમને એ લોકોએ ઢગલા લાઇક અને કમેન્ટ આપીને તેમના ઉપકારના બોજ તળે દબાવી દીધા હશે. ઘણી વાર માતાપિતા પોતાનાં અધૂરાં સપનાં સંતાનો દ્વારા પૂરાં કરાવવા મચ્યાં હોય, તેમ આ પ્રૌઢ હાઇજૅકર્સ પોતાના કટ્ટર અને પછાત વિચારો પૂરેપૂરા અમલમાં મૂકી ન શકયા હોય, એટલે એ વારસો આપણને આપવા માગતા હોય એવું પણ લાગે.

બીજી તરફ વ્યવસ્થિત વિચારસરણીવાળા લોકોનાં લખાણ પર લાઇક અને કમેન્ટના ઢગલા નથી થતા. એટલે યુવાનોને તેમના જેવા બનવાનું મન થતું નથી. આ વ્યવસ્થિત લોકો પ્રત્યે મને હંમેશાં એક ફરિયાદ રહી છે કે તે પોતાનું ખાસ માર્કેટિંગ કરતા નથી અને યુવાનો સાથે ઝાઝો સંવાદ કરતા નથી. તેના પરિણામે જે અવકાશ રચાય છે, તેમાં ગમે તેવા લોકો આવી જાય છે અને એ જગ્યા પચાવી પાડે છે. એવા લોકોને ખબર પડે કે તમે બોલકા છો, બેબાક છો, એટલે તે તમારો ઉપયોગ કરવા લાગશે. અંગ્રેજી ફિલ્મ ‘ઇન્સેપ્શન’ની જેમ એ લોકો પોતાના વિચારો તમારા મનમાં રોપશે અને તમને એવું લગાડશે, જાણે એ વિચારો તમારા પોતાના છે. એટલે આપણને ઢગલાબંધ લાઇક-કમેન્ટ આપનારાથી ચેતતા રહેવું. તેમનું લેવલ મહાન માની ન લેવું. એ લોકોની કમેન્ટ દેખીતી રીતે જ્ઞાન કે ઍનાલિસિસથી ભરપૂર લાગે, એટલે તમને આકર્ષણ પણ થઈ જાય. ત્યારે યાદ રાખવું કે જ્ઞાન પ્રત્યે ખેંચાવું હોય તો ગૂગલના પ્રેમમાં પડો, પણ આવા પ્રૌઢ હાઇજૅકર્સના સકંજામાં નહીં.

આ બધા તોફાન વચ્ચે કેટલુંક પૉઝિટિવ પણ બની રહ્યું હતું. ૨૦૧૨માં મોદીના-ભા.જ.પ.ના-સંઘ પરિવારના ટીકાકાર એવા એક લેખક વિરુદ્ધ મેં એક તોફાની પોસ્ટ મૂકી. તેમણે એ વાંચીને મને મેસેજમાં કહ્યું કે તમને ક્યારેક સત્ય સમજાશે. હું તો ઘેનમાં હતો. તેમને ટાંકણી મારીને આનંદ લીધો, પણ તેમણે મને ન અનફ્રેન્ડ કર્યો, ન અપશબ્દો કે ધાકધમકી આપ્યાં. જૈન ધર્મમાં ‘બોધિબીજ’ નામે એક તત્ત્વ આવે છે. એ મળે પછી ધીરે ધીરે સમકિત આવે અને પછી ધીમે ધીમે વૈરાગ્ય આવે. આ ઘટના મારા માટે બોધિબીજ જેવી બની. ત્યાર પછી મને એમનાં રાજકીય સિવાયનાં બીજાં લખાણ ગમવા લાગ્યાં. એક ઇન્ટરવ્યૂમાં તેમણે દલિતોની સમસ્યા વિશે વાત કરી. પ્રશાંત દયાળ સાથેની વૈચારિક મુલાકાત પણ તેમણે કરાવી. પછી પ્રશાંત દયાળનો નરેન્દ્ર મોદીના માનસનું વિશ્લેષણ કરતો લેખ વાંચવા મળ્યો. તેમણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદી પણ નથી, મુસ્લિમવાદી પણ નથી. એ તકવાદી છે. મને ધૂંધળું યાદ છે કે એ લેખે મારા ઘેનમાં પહેલું કાણું પાડ્યું.

સમાંતરે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનો ઉદય થયો. હું એના ફુલ પ્રેમમાં. બાકી બધી પાર્ટીઓ કરતાં એ પાર્ટી મારું ઘેન તોડવામાં એટલે સફળ થઈ, કેમ કે તેની શરૂઆતથી જ એ મારા રડાર પર હતી. જૂની પાર્ટીઓએ પચીસ-પચાસ વર્ષ પહેલાં શું કર્યું હોય, એનો ખ્યાલ ન હોય. એટલે એના વિશે જે ફોરવર્ડ થયેલું આવે એ જ જાણ્યું હોય. જૂના નેતાઓની માનસિકતાથી માંડીને બૉડી લૅન્ગ્વેજ સુધીનું કશું લાઇવ જોયું ન હોય. આમઆદમી પાર્ટી આવી એટલે મને થયું કે ભા.જ.પ.વાળા કૉંગ્રેસ વિરુદ્ધ ગમે તે બોલે, પણ ‘આપ’ વિરુદ્ધ ન બોલવા જોઈએ . કેમ કે એ પક્ષને હું પહેલેથી ઓળખું છું ને એની એક પણ ઘટના મિસ નથી કરી. એના વિશે મને અમુક પાકી ખબર છે.

પણ ભા.જ.પ. અને તેના સમર્થકોએ રંગ દેખાડવાનું શરૂ કર્યું. કેજરીવાલને નક્સલી, આતંકી અને પાકિસ્તાની તરીકે ઓળખાવ્યા. જાતજાતના મીમ બનાવ્યાં. ત્યારે મને સમજાયું કે ભા.જ.પ.ની વિરુદ્ધમાં ભગવાન શ્રી રામ આવે તો તેમનાં ય મીમ બનાવવામાં આ લોકો શરમ નહીં રાખે.

સવાલ એ થાય કે આપણે હાઇજૅક થયા કે નહીં, તે ખબર કેમ પડે? એના માટે મેં એક તરકીબ રાખી છે. સમયે સમયે જાણી જોઈને મારા વિચારોથી સાવ સામેની દિશાના વિચારો મૂકવા. આવું કરું એટલે શરૂઆતમાં હાઇજૅકર્સ પ્રેમથી સમજાવશે. પછી પણ હું ન અટકું એટલે એ ગરિમા ને ડહાપણ ભૂલીને મને ટ્રોલ કરવા લાગે. બેફામ લખવા લાગે. વાત ધાકધમકી સુધી પણ પહોંચેલી છે. આવું થાય એટલે એવા લોકોની અસલિયત જાણવા મળી જાય.

૨૦૧૩માં એક ફિલ્મનો અમુક લોકોએ હિંદુત્વના નામે બહુ વિરોધ કર્યો. ત્યારે મેં અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કરતો એક લેખ લખ્યો. તેના પછી મને ઘણી ધમકીઓ મળી. હું તો આઘાતથી ડઘાઈ ગયો, અવાક થઈ ગયો અને ગભરાયો પણ ખરો. ઇસ્લામ અંગેની ટીકા કરું ત્યારે જે લોકો મારા રસ્તામાં કમળ બિછાવવાં તૈયાર રહેતા, એ જ લોકો મારી એક પોસ્ટથી આટલા ભડકી જાય! એ નિમિત્તે મને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજાયું. પછી એ મારા માટે સર્વસ્વ બન્યું. તેના લીધે મારા દલિતો વિશેના, સ્ત્રીઓ વિશેના, ધર્મ વિશેના રૂઢિગત વિચાર તૂટવાની શરૂઆત થઈ. સાથોસાથ, એક વખત ધાર્મિક બાબત પર લખવાને કારણે મુશ્કેલી ઊભી થઈ, ત્યારે તાહા મન્સુરીએ મારું સમર્થન કરતો શેર મૂક્યો. ત્યારે મને સમજાયું કે આ માણસ ધાર્મિક મુસ્લિમ છે, પણ કટ્ટર કે ઝનૂની જરા ય નથી અને કટ્ટરતા પર કોઈ એક ધર્મનો ઇજારો નથી.

ભારતમાં કરોડો હિંદુઓ માંસાહારી છે. બકરી ઈદનો હું વર્ષોથી વિરોધ કરતો હતો. તેનું કારણ પ્રાણીઓ પ્રત્યેની દયાભાવના. તેમાં અનેક મિત્રો સૂર પુરાવતા અને તેમને મારું લખાણ પસંદ પડતું. ધીમે ધીમે સમજાયું કે તેમના ટેકામાં દયાભાવ ઓછો ને મુસ્લિમો પ્રત્યેનો અભાવ વધારે હતો. એટલે ફેસબુક પર કે બીજે પણ લોકોના ટેકાથી ખુશ થતી વખતે જોવું પડે કે તે કયા કારણસર ટેકો આપે છે. અજાણપણે આપણે કોઈના ધિક્કારના હાથા ન બની જઈએ એ જરૂરી છે. એ ધિક્કાર જ મોબ લિંચિંગ-ટોળાં દ્વારા હત્યાથી માંડીને કોમી હુલ્લડો કરાવતો હોય છે. બકરી ઈદની જીવહિંસાનો વિરોધ કરનારા કરોડો હિંદુ માંસાહારીઓનો વિરોધ કરવા માટે તૈયાર છે? એ સવાલ પરથી ખબર પડે કે વિરોધનું અસલી કારણ કયું છે.

૨૦૧૨માં ભા.જ.પ.ને પહેલી વાર પ્રેમથી મત આપ્યો. ૨૦૧૪માં બીજી વાર છેલ્લી તક આપી. તે પણ મુખ્યત્વે અહિંસા માટે. એટલે કે માંસની નિકાસ બંધ થાય, કતલખાનાં બંધ થાય. પણ બે વર્ષમાં તો માંસની નિકાસ બમણી થઈ ગઈ. પછી મેં આશા છોડી દીધી. ૬૭,૦૦૦ સભ્યો ધરાવતા જૈન પેજ પર એક પ્રયોગ કર્યો. ત્યારે મને ખબર પડી કે હું જેમને ચુસ્ત અહિંસક માનતો હતો, એમાંથી ઘણાની અહિંસા વ્યક્તિપૂજા સામે ઝૂકી ગઈ હતી. મેં થોડા આડાઅવળા સવાલ પૂછ્યા. જેમ કે માંસની નિકાસ બમણી કરનાર મોદી સરકારને મત આપશો કે લઘુમતીનો દરજ્જો આપનાર કૉંગ્રેસને? ત્યારે ૭૫ ટકા લોકોએ મોદી સરકારને મત આપવાની વાત કરી. આ બધું પૂરતું ઉઘાડું પડી જતાં જૈન ધર્મ સાથે સંકળાયેલું ભા.જ.પી. હિંદુત્વ પણ ગયું.

હવે ભા.જ.પ.ના ટેકેદારમાંથી તેનો વિરોધી બન્યો, એટલે ભીંસમાં લેવા માટે કેટલાક લોકો કહે છે, ’અત્યારે મોદીનો વિરોધ કરો છો એ પણ ભૂલ હોઈ શકે, જેની જાણ તમને ભવિષ્યમાં થશે.’ એ વખતે હું કહું છું કે મેં નેતાઓની જેમ પક્ષ નથી બદલ્યો, પણ વિચારવાની પ્રક્રિયા શીખ્યો છું. દરેક વાતને એકાંતને બદલે અનેકાંતની રીતે જોવાનું શીખી રહ્યો છું. આવો મતદાર કોઈ પક્ષને ખપે નહીં. ભા.જ.પ.ને પણ નહીં કે કૉંગ્રેસને પણ નહીં. જો મતદાર વિચારતાં શીખી જાય તો રાજકીય પક્ષોની ખેર નથી. કદાચ એટલે જ વડાપ્રધાન મોદી મતદારોને વ્યસ્ત રાખે છે.

એક સમયે વૉટ્‌સઍપ યુનિવર્સિટીની સામગ્રીને અંતિમ સત્ય માનનારા મારા જેવા લોકો આજે ભગવાન ખુદ ધરતી પર આવીને એક યા બીજા પક્ષને ટેકો કરે, તો પણ જાતે ચકાસ્યા-તપાસ્યા વિના, ફક્ત કોઈના કહેવાથી માનવાના નથી – એ કહેનાર કોઈ ગમે તેટલો મોટો કેમ ન હોય. મહત્ત્વ વિચારવાની પ્રક્રિયા શીખી જવાનું છે. તેના માટે જાત સાથે લડવાની તૈયારી રાખવી પડે. પણ એ વૃત્તિ એટલી કામ લાગે છે કે રાજકીય વિચાર પલટાયા એ તો બહુ નાનો ફેરફાર લાગે. રોજિંદા જીવનમાં અને રાજકીય સિવાયના વિચારોમાં એ વૃત્તિ જેમ કેળવાય તેમ તેનો વધુ ને વધુ લાભ મળી રહ્યો છે.

[સાર્થક ‘જલસો’ – મે ૨૦૧૯ના સદ્‌ભાવથી]

Email : shahtapans@gmail.com

સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 07-08

Loading

ઈટ્‌સ નૉટ ડન, મિ. લૉર્ડ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 May 2019

શું  કહેવું, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ ગોગોઈને, સિવાય કે ઈટ્‌સ નૉટ ડન, મિ. લૉર્ડ!

એક મહિલા કર્મચારી જ્યારે કામના સ્થળ પર જાતીય સતામણીની ફરિયાદ વાસ્તે જહાંગીરના અદ્દલ ઇન્સાફી ઘંટ શી સર્વોચ્ચની ડેલીએ ધા નાખે ત્યારે બચાડી કીડી પર જાણે કે કટક આખું ઊતરી પડે એવું જે વરવું દૃશ્ય દેશે આ દિવસોમાં જોવાનું આવ્યું તે આપણા પ્રજાસત્તાકની એકંદર અનવસ્થા વિશે આયનાથી કમ નથી. (કુદરતી ન્યાયના સિદ્ધાંતની આવી ઘોર અવમાનના અને અવગણના વખતે સાંભરતો પેરેલલ કટોકટીમાં હેબિયર્સ કોર્પસનો હક્ક રહેતો નથી એવી સુપ્રીમ ભૂમિકાનો છે.)

સર્વોચ્ચ અદાલતે ખુદ ૨૦૧૩ના કાયદા મુજબ, કામના સ્થળે મહિલા કર્મચારીની જાતીય શોષણની ફરિયાદ અંગેની સમિતિ અને સંરચનાની જોગવાઈ કરવાપણું આ પૂર્વે જોયું નથી; અને ન્યાયતંત્રે પોતે કારોબારી સત્તાથી જ નહીં પણ કાયદાથી ય પર અને ઉપર હોય એવી તાસીર પ્રગટ કરી છે તે નિઃસંશય છે. પૂર્વે, પોલીસને ગણવેશમત્ત ગુનાખોર કહેવાનું કે પોતાને કાયદાપારના ટાપુ લેખતી રાજકારણી જમાતની ટીકા કરવાનું બન્યું છે, પણ ન્યાયતંત્રની સર્વોચ્ચ સપાટીએ સુધ્ધાં આ પ્રકારની ટિપ્પણી કરવાનું બને તે વસમા દિવસનાં એંધાણ છે.

મહિલા કર્મચારીએ ધા નાખી ત્યારે, ગમે તેમ પણ, બે વાને સમ્યક્ વિવેક વિનાવિલંબ અને વિનાવિવાદ અપેક્ષિત હતો : એક તો, કુદરતી ન્યાયને ધોરણે એને અવકાશ અપાવો જોઈતો હતો. બીજું, વડા ન્યાયમૂર્તિએ, કેમ કે પોતાની સીધી સંડોવણી હતી, પંડે તપાસથી તત્કાળ ખસી જવાની તાકીદ હતી. (વિશાખા માર્ગદર્શિકાની ટઈડપઈડ તો ખેર છોડો.)

વડા ન્યાયમૂર્તિએ એકદમ જ – ન દલીલ, ન વકીલ, ન અપીલ – આ મહિલાની ફરિયાદ પૂંઠે કાવતરું સૂંઘતી છલાંગ ભરી. ભલા સાહેબ, છેવટે એટર્ની જનરલ વેણુગોપાલનાં એ હિતવચનો તો કંઈ નહીં તો રહેમ રાહે કાળજે ધરવા’તાં કે તપાસ સમિતિ પર બહારનું કોઈક સભ્ય રાખો.

અને સરકાર, શું કહેવું એને! તરત એણે એટર્ની જનરલ વેણુગોપાલ પર દબાણ આણ્યું કે તમે વડા ન્યાયમૂર્તિને આપેલી આ લેખી સલાહ સરકાર તરફથી નહીં પણ વ્યક્તિગત રાહે (એટલે કે અનૌપચારિક અગર બિનસત્તાવાર) હતી એવી સ્પષ્ટતા કરો.

હાલના સૌ ન્યાયમૂર્તિઓને મુકાબલે આ ક્ષેત્રે સિનિયરમોસ્ટ તરીકે પણ સન્માન્ય (ઉંમર વર્ષ ૮૮) એટર્ની જનરલ વેણુગોપાલે હમણે હમણે એક-બે એવી ચૂક કરી હતી જે એમના સરખા અનુભવજ્યેષ્ઠ અને ઉચ્ચપદારૂઢની ગરિમાને બિનચૂક હાણ પહોંચાડે. રફાએલ પ્રકરણમાં એમણે ‘ચોરાયેલા દસ્તાવેજો’ અદાલતમાં લક્ષમાં ન લેવાય એવી ભૂમિકા લીધી હતી, અને પાછળથી ફેરવી તોળ્યું હતું કે આ કિસ્સો ચોરીનો નથી. જે છે તે ફોટો કૉપી છે. સાફ સમજાય છે કે ચૌર્યશૌર્યની એમની દલીલ સરકારી તાણ ને દબાણ હેઠળ હશે. (છેલ્લા કિસ્સામાં, એમણે તપાસમાં ‘બહારના સભ્ય’ની જરૂરતનો મુદ્દો આગળ કર્યો તે અંતરાત્માનો સહજોદ્‌ગાર હતો અને પાછો ખેંચ્યા જેવું કર્યું તે સરકારશ્રીનું વાજિંત્ર હતું, એમ જ માનવું રહ્યું.) મતદારોએ પાર્ટી ફંડના નાણાસ્રોત જાણવાની શી જરૂર, એવી જે અજબ જેવી માસૂમિયત આ અનુભવજ્યેષ્ઠે સત્તાવાર પ્રગટ કરી હતી તેમાં પણ સરકાર (વત્તા રાજકીય અગ્રવર્ગ લગભગ સમસ્ત)નું  દબાણ જ કામ કરી ગયું જણાય છે. નહીં કે એટર્ની જનરલનો અંતરાત્મા આ સૌ મુદ્દે એમની સાથે હશે – બને કે નાક પર પાણી આવવામાં હોય, અને કદાચ એમનું રાજીનામું પણ.

વડા ન્યાયમૂર્તિને સાચવી લેવાનું સરકારી વલણ જે પણ કારણસર હોય, શીર્ષકથી જ વાતનો છેડો વાળવો રહે છે – ઈટ્‌સ નૉટ ડન, મિ. લૉર્ડ !

મે ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 16

Loading

દુકાળો – ૨૦૧૯ : ગઈકાલ અને આજ

દ્વારિકાનાથ રથ|Samantar Gujarat - Samantar|15 May 2019

૧૯૮૫થી રાજ્યમાં દુષ્કાળના કર્મશીલના અનુભવને આધારે ‘દુકાળો-૨૦૧૯’ વિશે લખું છું, ત્યારે અનેક સ્મરણો ઘેરાય છે. રાજ્યમાં દુષ્કાળે લોકોમાં ઊંડાં દુઃખ-દર્દ પેદા કર્યાં છે તો ક્યારેક ‘પ્રદેશવાદ’નું ભૂત પણ ધુણ્યું હતું. રાજ્યમાં ’૭૦ અને ’૮૦ના દાયકામાં દુષ્કાળ નરી આંખે દેખી શકાય એટલે સંવેદનશીલતાથી અનુભવાઈ શકતો પણ હતો. બધા અખબારો પણ એ ગાળામાં, દુષ્કાળના અહેવાલોથી ખચોખચ રહેતાં હતાં, પરંતુ હવે નવી પેઢી માટે દુષ્કાળ બહારથી દેખાવાની વસ્તુ રહી નથી. એની ઉપર બહુ ચતુરાઈથી ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ભૂતકાળના દુષ્કાળ અને આજના દુષ્કાળમાં એક બાબતની સમાનતા જોવા મળી રહી છે. તે છે ગામડાંઓમાં, તાલુકા મથકોમાં અને જિલ્લા મથકોમાં પાણીના ટેન્કરોની હડિયાપટ્ટી, રાત-દિવસ દોડતા ટેન્કરો દુષ્કાળગ્રસ્ત વિસ્તારના જીવનમાં એક હિસ્સો બની ગયા છે. ફૂલછાબે હમણાં જ લખ્યું કે ‘રાજકોટ જિલ્લામાં હજુ ટેન્કર યુગ આથમ્યો નથી.’  એટલે કે પાણીનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. બહેનો બેડા લઈને ત્રણ થી ચાર કિલોમીટર પાણીની શોધમાં ગામોમાં રઝળપાટ કરી રહ્યા છે. મોટા ભાગના ગામોમાં અઠવાડિયે એક કે બે વાર પાણી મળી રહ્યું છે. લોકો પાણી માટે કતારોમાં ઊભા છે. આ બધું ગઈકાલની જેમ જ આજે પણ બની રહ્યું છે.

ચૂંટણી અને દુષ્કાળ :

તાજેતરની લોકસભા ચૂંટણીમાં, પીવાના પાણીના કાયમી ઉકેલ અને ટેન્કર મુક્ત ગુજરાતના દાવા હતા. પરંતુ ચૂંટણીની આદર્શ આચારસંહિતાનાં નામે તે દિશામાં ખરેખર કોઈ કામ થયું નહીં. હવે ચૂંટણીઓ પૂરી થઈ છે છતાં ગુજરાત સરકારે એ દિશામાં કોઈ આગળનું કદમ ઉઠાવ્યું નથી. શું ગુજરાત સરકાર ચૂંટણી પંચ સમક્ષ, ચૂંટણી દરમિયાન પીવાનાં પાણીના ઉકેલ માટે તાત્કાલિક મંજૂરી માગી શકી ન હોત? દુષ્કાળના ટકોરા રાજ્યને બારણે નવેમ્બરથી વાગી ચૂક્યા હતા. અને છતાં સરકારે કોઈ નક્કર પગલાં લેવાનું કેમ ટાળ્યું હશે? સાધારણ રીતે ઉનાળાની શરૂઆતમાં એકાદ માવઠું થાય અને સરકાર પોતાની દુષ્કાળ રાહત કામગીરીનો વીંટો વાળી દે એવી તો કોઈ યોજના આ સરકારની નહોતીને?

લોકોનો રોષ-વિરોધ :

દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સાધારણ લોકોનો અને ખેડૂતોનો વિરોધ છુટોછવાયો અને સ્વયંભૂ હતો. ખેડૂતો પોતાના પાકને બચાવવા તો સાધારણ લોકો પીવાનાં પાણીની માંગ કરી રહ્યા હતા. છતાં સરકારે તો આ વિરોધને વિપક્ષની ચાલ ગણાવીને તેને કચડી નાખવાની કોશિશ કરી. એમ કરીને લોકોમાં એક ભયનું વાતાવરણ પણ ઊભું કર્યું.

સરકારની ખાતરીઓ – ખાલી ચણો વાગે ઘણો :

પીવાના પાણીની કટોકટી નથી અને જુલાઈ સુધી નર્મદા પાણીથી બધુ સુખરૂપ રીતે પાર ઊતરી જવાશે એવી સરકારની ખાતરીઓની કોઈ કમી નહોતી. નર્મદાનાં પાણી બતાવીને સરકાર વારેવારે એ કહેતી રહી પણ લોકો માટે તો એ મૃગજળ જ સાબિત થયા. અત્યંત આઘાતની વાત તો એ છે કે નર્મદાનાં પાણીનાં વપરાશ પર ઉદ્યોગોનો કોઈ કાપ મૂકાયો નહીં, એનું રેશનિંગ કરાયું સિંચાઈ અને પીવાનાં પાણીમાં. હકીકતમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે નર્મદામાં વધુ પાણી છે પણ તેના વિતરણના આયોજનમાં આ સરકાર ‘પાણી વિનાની પુરવાર થઈ’ રહી છે.

પાણીનું છડેચોક ખાનગીકરણ :

રાજ્યમાં મોટા ભાગના ડેમો ખાલીખમ છે અને છતાં પાણીનો વેપાર ધમધમે છે. ૧૯૮૫માં આપણા જાણીતા કટાર લેખક વાસુદેવ મહેતાએ પોતાની કોલમમાં, ‘પાણી માટે ડાયલ કરો’ એવી જાહેરાતનો ઉલ્લેખ કરીને રાજકોટમાં પાણીનો વેપાર થાય છે એ વાતને ઊંડા દુઃખ અને આઘાત સાથે આલેખી હતી. પાણીની પરબોવાળી સભ્યતા આજે કઈ તરફ ગતિ કરી રહી છે તેનો અસલી ચિતાર એમણે આપ્યો હતો. પાણીની આટલી તીવ્ર કટોકટી વચ્ચે કોઈપણ સરકાર પાણીના વેપારને કેવી રીતે ચાલવા દઈ શકે? શા માટે પાણીના સ્ત્રોતનો કબજો સરકાર પોતાને હસ્તક કરતી નથી? આ પ્રશ્ન ’૮૦ના દાયકામાં ઊઠ્યો હતો અને એની પ્રસ્તુતતા આજે પણ એટલી જ છે. સાથે-સાથે ભૂગર્ભજળના વપરાશને લઈને પણ રાજ્યમાં કોઈ ચોક્કસ નીતિ ઘડવામાં આવી નથી. આ બાબતને લઈને રાષ્ટ્રીય ભૂગર્ભ જળ બૉર્ડે રાજ્ય સરકારની આકરી ટીકા પણ કરી છે. આ સરકાર ના તો ઘાસચારાની વાત કરે છે કે ના તો રાહતકામો વિશે આયોજન કરે છે. ’૭૦ અને ’૮૦ના દાયકાઓ પછી અને ૨૦૦૦નો ગંભીર દુષ્કાળ વેઠ્યા પછી પણ ગુજરાતમાં હજુ ના તો દુષ્કાળ ધારો છે કે ના તો કોઈ ચોક્કસ જળનીતિ છે. ના કોઈ લાંબા ગાળાના પગલાંની ચર્ચા છે કે ના તો કોઈ ટૂંકા ગાળાના નક્કર ઉપાયો છે. ઉપરથી કચ્છથી અમદાવાદ જિલ્લામાં આવેલા માલધારીઓ એને બોજારૂપ લાગે છે.

નર્મદાનું પાણી મૃગજળ જ નહીં, વોટર મિસમેનેજમેન્ટનું પ્રતીક :

નર્મદા યોજનાની શરૂઆતથી જ તેના ડેમની ઊંચાઈ – પૂરી ઊંચાઈ પછી તેનાં પાણીના વિતરણ વિશે બહુ સ્પષ્ટ વાત હતી કે રાજયના ૧૮,૦૦૦ ઉપરાંત ગામડાંઓની તરસ નર્મદાનું પાણી છીપાવી શકે નહીં બાકી રહેલાં ગામડાંઓ માટે યોગ્ય આયોજન જરૂરી છે. ડેમની પૂરી ઊંચાઈ થયા પછી પણ કૅનાલો, સબકૅનાલોની બાકી રહેલી કામગીરીએ તો ભૂતકાળમાં ઘણા સવાલો ઊભા કર્યા હતા અને હજુ પણ એ સવાલો ઊભા જ છે. તો આ વખતે સરકારે નર્મદાનાં પાણીના વિતરણમાં જે મિસમેનેજમેન્ટ કર્યું તેને શું કહેવું? મુખ્યમંત્રી કચ્છને ૨૦૨૨માં નર્મદાનું પાણી મળશે તેવું કહી રહ્યા છે, જે કચ્છ અત્યારે ૩૦ વર્ષનો સૌથી કપરો દુષ્કાળ વેઠી રહ્યું છે.

નર્મદામાં જે પાણીની આવક થઈ અને એની જે જાવક થઈ એમાં લાખો ગેલન પાણી ગાયબ છે. તો, આ લાખો ગેલન પાણી કોણ પી ગયું તેનો જવાબ સરકાર કેમ નથી આપતી?

આજે જ્યારે રાજ્યનો ૨/૩ હિસ્સો દુષ્કાળગ્રસ્ત છે, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી પીવાનાં પાણીની બૂમો પડી રહી છે ત્યારે સરકાર નર્મદાનાં પાણીનાં ગાણાંથી લોકોની તરસ છીપાવી શકે તેમ નથી એ દીવા જેવી ચોખ્ખી વાત સાબિત થઈ છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની શોભા સાબરમતીનું પાણી નહીં પણ નર્મદાનું પાણી વધારતું હોય, એમાં સી પ્લેન ઊતારવા, નર્મદાનું પાણી વેડફાતું હોય અને અમદાવાદના સામાન્ય લોકો એ હકીકતથી અજાણ હોય ત્યારે નર્મદાનાં પાણીના મિસમેનેજમેન્ટની વાત ઊઠી ના ઊઠી અને ઢંકાઈ ગઈ.

ફતેહવાડી કૅનાલમાંથી સિંચાઈ માટે પાણી આપોની માંગ લઈને ધોળકાના ખેડૂતોએ લાંબો સમય અવાજ ઊઠાવ્યો. તે માંગ ત્યારે ન સંતોષી અને હવે વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ માટે પાણી વહેવડાવામાં આવી રહ્યું છે. તેને આયોજનનો અણઘડ નમૂનો જ કહીશું ને?

અસંવેદનશીલ સરકારોથી બની લોકભાગીદારી-નાગરિક સમાજની પહેલ અપ્રસ્તુતઃ

મને બરોબર યાદ છે કે ૧૯૮૫માં મેઘાણીની ‘વૈશાખી દાવાનળ આવો દિલદાર! …’  કવિતાએ નાગરિક સમાજને ઢંઢોળ્યો હતો. મોટાપાયે લેખકો, કવિઓ, કટારલેખકો, કલાકારો દુષ્કાળપીડિતોની વ્હારે ધાયા હતા. તો, ઢોરવાડા-પીવાના પાણી અને ઘાસચારાને લઈને મોટાપાયે ગુજરાતની ગરવી પરંપરાને અનુરૂપ સ્વૈચ્છિક સંસ્થાઓએ રાહતકામો માટે પહેલ કરી હતી. વરસાદી જળસંચય અને ભૂગર્ભજળને પુનર્જીવિત કરવાનાં હજારો કામો હાથ ધરાયાં હતાં.

પરંતુ આજે? આ અસંવેદનશીલ સરકારે, લોગભાગીદારી – નાગરિક સમાજની પહેલને અપ્રસ્તુત કરી દીધી છે.

મને તો આજે પણ લાગે છે કે જો અમદાવાદવાસીઓને રિવરફ્રન્ટમાં વહેતું પાણી નર્મદાનું છે અને તેની ઉપર પહેલો હક્ક તરસ્યા કચ્છ-સૌરાષ્ટ્રનો છે તે વાત સમજાઈ જાય તો તેઓ જ કહેશે, ‘ભલે રહે રિવરફ્રન્ટ ખાલીખમ, કચ્છ-સૌરાષ્ટ્રને યુદ્ધના ધોરણે આપો નર્મદાનું પાણી’.

ટૂંકમાં, રાજ્યમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિ માટે કુદરત કરતાં, સરકારના આયોજનનો અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ તેમ જ મતબેંકની ટૂંકી ગણતરીએ સાધારણ લોકોનું જીવન ૨૧મી સદીમાં બેહાલ કર્યું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 10-11

Loading

...102030...2,7902,7912,7922,793...2,8002,8102,820...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved