Opinion Magazine
Number of visits: 9684731
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જયંતી પારેખઃ ક્રાંતિની સાહસવાદી રણનીતિનો ભોગ

જયંતી પટેલ|Opinion - User Feedback|9 July 2019

સત્તાનું સિંહાસન હાંસલ કરવાનો મોકો હાથવેંતમાં છે અને તે માટે ક્રાંતિની હાકલ કરવાની સાહસવાદી નીતિએ નિરર્થક રક્તપાત સર્જ્યાની અને તેમાં અનેક આદર્શવાદી યુવાનોનો ભોગ લેવાયાની અનેક ઘટનાઓ ઇતિહાસનાં પાનાંઓમાં પથરાયેલી છેઃ બટુક દેસાઈનો જયંતી પારેખ વિષયક લેખ (“નિરીક્ષક” – ૧/૬/૨૦૧૯, ૧૬/૬/૨૦૧૯ તેમ જ “ઓપિનિયન” – ૨૮/૫/૨૦૧૯) વાંચતા એની યાદ તાજી થાય છે.

સામજિક, આર્થિક તથા રાજકીય વ્યવસ્થાને કારણે પીડિતો અને વંચિતો દરેક રાષ્ટ્રમાં જોવા મળે છે. હકીકતમાં આવો સમૂહ ક્રાંતિ માટેનો સહાયકવર્ગ છે. પરિણામે અઢારમી સદીના બાકુનીનથી માંડી વીસમી સદીના ચે ગ્યુવેરા સહિતના અનેક ચિંતકો અને નેતાઓ દરેક પળ અને દેશ ક્રાંતિ માટે પરિપક્વ છે, એમ માનતા રહ્યા છે.

ગઈ સદીમાં જ ચીન, ભારત, લેટિન અમેરિકા, ઇન્ડોનેશિયામાં આ પ્રકારની માન્યતાને કારણે થયેલા સામ્યવાદ પ્રેરિત બળવાઓમાં લાખો વ્યક્તિઓ મોતને ભેટી છે.

ભારતમાં સ્વાધીનતા પછીનાં વર્ષમાં આવો જ એક પ્રયાસ થયો. સ્ટાલીનનો મત હતો કે ભારતની સ્વાધીનતા વાસ્તવમાં મૂડીવાદી વ્યવસ્થાના હાથમાં જ હસ્તાંતરણ છે અને તેની સામે વિપ્લવ જગાવવો જોઈએ. અગાઉ આવાં જ મંતવ્યના આધારે ૧૯૨૭ દરમિયાન ચીનમાં બળવો કરવાની કોશિશમાં અનેક સામ્યવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ તેમાંથી બોધપાઠ લેવાને બદલે ભારતમાં તેવી જ સાહસવાદી નીતિ અપનાવવામાં આવી, જે તે સમયના સામ્યવાદી નેતા રણદીવેના નામે જાણીતી છે.

આ પ્રયાસમાં અનેક સામ્યવાદીઓ જેલમાં પુરાયેલા. આપણા ઘરઆંગણે સાબરમતી જેલમાં પણ અનેક યુવાનો હતા. જયંતી પારેખ, જમાનાદાસ અને બીજા અનેક નિષ્ઠાવાન સામ્યવાદીઓએ આ હાકલને માન આપી જેલમાં બળવો કરવાની કોશિશ કરતાં પોલીસના ગોળીબારમાં મોતના મુખમાં ધકેલાઈ ગયા. બટુકભાઈ દેસાઈએ (બટુકભાઈ પણ યાદ આવે છે. સાદા, હસમુખા, ખાદીધારી અને પ્રેસનોટ આપવા પણ જાતે આવે.) જયંતી પારેખનો પરિચય આપતા લેખોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જયંતી પારેખ ગાંધી આશ્રમમાં ઉછરેલા. અહિંસામાં માનતા, સાદા, સરળ, કર્તવ્યનિષ્ઠ, સંવેદનશીલ અને દલીત-પીડિતોના હામી આદર્શવાદી યુવાન અને તેમના જેવા પીડિતોના હામી યુવાનો આવી સાહસવાદી નીતિને કારણે આપણે ગુમાવ્યા, તે અફસોસજનક છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 11

Loading

ખલીલ જિબ્રાન: બંધ જ્વાળામુખી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 July 2019

સચિત્ર કથાઓનાં પુસ્તકો પ્રગટ કરતી, લંડનની ફોલિયો સોસાયટી નામની પ્રકાશન સંસ્થાએ ખલીલ જિબ્રાનની ચોપડી 'ધ પ્રોફેટ'ને પ્રગટ કરી છે. જિબ્રાનની ૨૮ ગદ્ય કવિતાઓ, તેમનાં જ ચિત્રો સાથે પ્રગટ થઈ છે. જિબ્રાન પોતે એક અચ્છા ચિત્રકાર હતા અને એમનાં ચિત્રો લેબેનાનમાં જિબ્રાન નેશનલ કમિટીમાં સચવાયેલાં પડ્યાં છે. ફોલિયો સોસાયટીએ તે રંગીન ચિત્રોની બાજુમાં 'ધ પ્રોફેટ'ની ૨૮ ગદ્ય કવિતાઓ મૂકી છે. કલેક્શનની અદ્દભુત ચોપડી છે (આ લેખ સાથે એનું ચિત્ર છે). રસ હોય, તો ફોલિયો સોસાયટીની વેબસાઈટ ચેક કરજો.

ખલીલ જિબ્રાનનું ચિંતન ગુજરાતીમાં કેટલું ઉપલબ્ધ છે અથવા હજુ કેટલું પ્રકાશિત થાય છે, તે ખબર નથી, પરંતુ એમના મૃત્યુના ૮૮ વર્ષ (૧૦ જાન્યુઆરી ૧૯૩૧) પછી પણ, હિન્દી અને અંગ્રેજીમાં એ લગાતાર લખાતા-વાંચતા રહ્યા છે. ખલીલ જિબ્રાન એક લેબનીઝ-અમેરિકન કલાકાર, કવિ અને લેખક હતા. તેમનો જન્મ ૬ જાન્યુઆરી ૧૮૮૩ના રોજ લેબેનાનમાં થયો હતો. ચિત્રકળામાં દિલચસ્પી હોવાથી તે પહેલાં પેરિસ અને પછી ન્યુયોર્કમાં સ્થાયી થયા હતા. તે એમના ચિંતનના કારણે સમકાલીન પાદરીઓ અને અધિકારી વર્ગની નારાજગીનો ભોગ બન્યા હતા, અને નાતબહાર અને દેશનિકાલ પણ થયા હતા. અરબી સાહિત્યમાં તે 'ખલીલ જિબ્રાન' નામથી અને અંગ્રેજી સાહિત્યમાં 'ખલીલ જ્વાર્ન' નામથી મશહૂર થયા છે. ખલીલ દુનિયામાં શેક્સપિયર અને લાઓ-ત્ઝુ પછી ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય કવિ છે.

૧૯૨૩માં આવેલી એમની 'ધ પ્રોફેટ' નામની ચોપડીથી ખલીલ બેહદ મશહૂર થયા. આ ચોપડી ૧૦૦ જેટલી ભિન્ન ભાષાઓમાં અનુવાદિત થઈ છે, અને તેની ગણના ઇતિહાસની સીમાચિહ્નરૂપ સર્જનોમાં થાય છે. 'ધ પ્રોફેટ' લગાતાર પ્રકાશિત થતી રહે છે. ૨૦૧૨ સુધી એકલા અમેરિકામાં એની ૯૦ લાખ નકલો વેચાઈ હતી. ૧૯૨૩માં, એની ૨,૦૦૦ નકલ છપાઈ હતી. બીજા વર્ષે આંકડો ડબલ અને ત્રીજા વર્ષે ત્રિપલ થયો. ૧૯૫૭માં એની ૧૦ લાખ નકલો વેચાઈ. એક સમય એવો હતો કે દુનિયામાં દર સપ્તાહે 'ધ પ્રોફેટ'ની ૫,૦૦૦ નકલો વેચાતી હતી.

ખલીલ જિબ્રાનને વાંચવા એ ખુદની અંદર ઝાંખવા જેવું છે. તમને તમારી દરેક મુસીબતનો ઉપાય જિબ્રાનનાં એ વિધાનોમાં મળે, જે તેમણે તેમની કવિતાઓમાં કર્યા હતાં. એ અર્થમાં જિબ્રાનને વાંચવા એ કોઈ ડોક્ટરને મળવાથી ઓછું નથી. એમનું લેખન જીવનને સમજવાની એક કામયાબ ચાવી છે.

આ જ એક કારણ છે કે જિબ્રાન દરેક દેશ અને દરેક ભાષાના કહેવાયા. દરેક માણસને એમની વાત પોતાની લાગી. લઘુકથાઓ હોય કે સૂત્રો, પ્રેમ અને દોસ્તી સહિતના જીવનના તમામ અનુભવોની એમણે ઓછામાં ઓછા શબ્દોમાં એટલી સહજતાથી વ્યાખ્યા કરી હતી કે સૌના દિલમાં ઊતરી જાય.

ખલીલ જિબ્રાન ચિત્રકાર હતા, મોડેલ હતા, લેખક હતા અને સંપાદક હતા. તેમની જિંદગી બહુ બધા પડાવો પરથી પસાર થઈ હતી. એમાં એમના વ્યક્તિત્વના અનેક રંગ ચમકતા રહ્યા. અનેક તકલીફો હતી તેમના જીવનમાં. ૧૦ વર્ષની ઉંમરમાં એક મોટા પથ્થર પરથી પડી જવાથી ડાબા ખભામાં એવું દર્દ આવ્યું જે આજીવન રહ્યું. ૩૯ની વય સુધીમાં હૃદયની બીમારી આવી ગઈ. બાકી હોય તેમ, તેમને માનસિક હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું.

એમને એક બેચેની પણ રહ્યા કરતી હતી કે તેઓ ખુદને વ્યકત નથી કરી શકતા. પોતાની ક્ષમતાઓને જાણવા છતાં અને એના પર ભરોસો હોવા છતાં એને આકાર નહિ આપી શકવાની કશ્મકશ તેમના માટે તકલીફદેહ હતી. તેમને લાગતું હતું કે આ એમની માનસિક નિષ્ફળતા છે. આ નિષ્ફળતાનું એક કારણ પણ હતું. તેમની ત્રીજી અને છેલ્લી પ્રેમિકા મે જૈદા સમક્ષ તેમણે આ દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું, "હું એક એવો જ્વાળામુખી છું, જેનું મોઢું કાયમ બંધ રહે છે."

ધ મેડમેન, ધ ફોરરનર, ધ પ્રોફેટ અને સેન્ડ એન્ડ ફોર્મ જેવાં લોકપ્રિય પુસ્તકો આવ્યાં પછી પણ જિબ્રાનનું સૌથી મોટું સ્વપ્ન હતું ઇસુ ખ્રિસ્ત પર એક એવું પુસ્તક લખવાનું જે આજ સુધી કોઈએ લખ્યું ના હોય. આ સપનું પૂરું ના થયું.

દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે એવી એક જાણીતી કહેવત છે. જિબ્રાનના કિસ્સામાં ય આ વાત સાચી હતી, બલકે એમની પાછળ ઘણી સ્ત્રીઓ હતી. મા અને બહેનો ઉપરાંત મિત્ર અને પ્રેમિકાનાં રૂપમાં તેમની જિંદગીમાં અન્ય ત્રણ સ્ત્રીઓ આવી – કવયિત્રી જોસેફીન, શિક્ષિકા એલિઝાબેથ મેરી અને અરબી લેખિકા મે જૈદા. પ્રેમ પર સૌથી બહેતર લખવાવાળા જિબ્રાનની જિંદગીમાં એક પણ પ્રેમ સફળ ન રહ્યો. એ જિંદગીભર એની પાછળ ભાગતા રહ્યા, અને પ્રેમ ઝાંઝવાના જળ જેવો બની રહ્યો. તેમણે લખ્યું હતું, "એક-બીજાને પ્રેમ કરો, પણ પ્રેમને કયારે ય બંધન ના બનવા દો. સાથે ઝૂમો અને આનંદ માણો, પણ ધ્યાન રાખજો કે કોઈ એની એકલતા ના ગુમાવી દે."

જિબ્રાન એમના વિચારો અને સંવેદનાઓ કાગળોના ટુકડાઓ પર કે સિગારેટના પેકેટ પર લખતા હતા. વ્યકત થવા માગતી કોઈ વાતને જગ્યા ન મળે, તેનું આ પરફેક્ટ પ્રતીક હતું. તેમણે એક લઘુકથા લખી હતી, જે એમના બંધ જ્વાળામુખીને સરસ સમજાવતી હતી:

એકવાર એક છીપે એની પાડોશી છીપને કહ્યું, "મને અંદર બહુ પીડા થાય છે. પીડાએ મને અંદર ઘેરી રાખી છે."

બીજી છીપે ઘમંડથી કહ્યું, "ભગવાનનો અને આ સમુદ્રનો આભાર કે મારી અંદર કોઈ પીડા નથી. હું અંદરથી અને બહારથી સંપૂર્ણ અને સ્વસ્થ છું."

ત્યાંથી એક કરચલો પસાર થયો. તેણે બંનેની વાત સાંભળી, અને બીજી છીપને ઉદ્દેશીને એ બોલ્યો, "હા, તું સ્વસ્થ અને સંપૂર્ણ છે. પરંતુ તારી પાડોશણ જે કારણથી પીડામાં છે તે એક અણમોલ મોતી છે."

Loading

સ્થાપત્ય ઉદ્યાન

કનુ સૂચક|Opinion - Opinion|8 July 2019

પોતાના જ પ્રાંગણમાં શ્વેત મયૂરને નૃત્ય કરતાં જોઈને પ્રકૃતિ સ્વયં ઉલ્લસિત થઈ વૃક્ષોનાં પાંદડાંઓને લયબદ્ધ હલાવી મર્મર સૂરે તાલ દેતી હોય, તેવું અનુપમ દૃશ્ય અમેરિકાના હેમિલ્ટન – ન્યુ જર્સીના માનવસર્જિત સ્થાપત્ય ઉદ્યાનમાં જોયું. ૪૨ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલ આ ઉદ્યાનમાં જીવનના સાંપ્રત સાથે અનુબંધિત ૩૦૦થી વધુ વિવિધ સ્થાપત્યો જુદાજુદા અંતરે, વિશાળ અને જુદાજુદા કદના અને જુદાંજુદાં સ્થળે અત્યંત વિચારપૂર્વક ગોઠવેલાં છે. સરોવરના કિનારે છે, સરોવર બાગમાં છે, સરોવરના ઉપર બાંધેલા પુલના કઠેડા પર અને સરોવરની અંદર પણ છે. જાતજાતના છોડો, ફૂલો અને વેલોના સૌરભપ્રફુલ્લિત વાતાવરણમાં અને ઘટાદાર વૃક્ષોની શીળી છાયામાં બેસી કે કમળવનના તળાવ પાસે ભોજનગૃહના ટેબલ પર બેસી પણ આ સ્થાપત્ય ઉદ્યાનની મજા અને સમજ માણી શકાય છે.

સ્થાપત્યોમાં કલાનો આવિષ્કાર અને ઉન્મેષ છે. પરંતુ બધામાં સામાન્ય, રોજબરોજના માનવજીવનમાં બનતી ઘટનાઓ અને સંબધિત પ્રાણીજગતનું નિરૂપણ છે. વિવિધ સ્થાપત્યોનાં કલાકારો પણ અનેક છે. કેટલાંક કલાકારોની અન્યત્ર રચાયેલી અને સ્થપાયેલી, પ્રસિદ્ધ કલાકૃતિઓની આબેહૂબ પ્રતિકૃતિઓ પણ છે. આ સ્થાપત્યના ઉદ્યાનની રચનાનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે દ્વિપાર્શ્વ, ત્રિપાર્શ્વ, ચોપાર્શ્વ સ્થાપત્યની સાંપ્રત કલાની જાણ લેવાય, માણી શકાય અને તેની સર્વ સામાન્ય જનતામાં સમજણ પ્રસરે. આ કલાકૃતિઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા પદાર્થોનું પણ વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. માટી, ઘાસ, ઘાસનો પાલો, વ્યર્થ માની ફેંકી દેવાયેલા અનેક પદાર્થોનું મિશ્રણ, ધાતુઓ અને ધાતુઓના મિશ્રણમાં પણ વૈવિધ્ય રચાયું છે. સમયગાળે નાશ પામી જશે તેવી જાણ સાથે રચાયેલી અનેક કૃતિઓ પ્રકૃતિના બદલાવ સામે અનપેક્ષિત ઝીંક લઈ અણનમ ઊભી છે. અહીં સંગ્રહસ્થાનમાં અને પ્રવેશગૃહમાં કલાકૃતિઓ અને તેની જાણ કરતો ઇતિહાસ પણ આલેખેલ જોવા મળે છે. ૧૯૯૨માં જે. સેવર્ડ જોહ્ન્સન (Seward Johnson) નામના શિલ્પી અને દાનવીરે આ ઉદ્યાન જનતા માટે ખુલ્લો મૂક્યો. આશ્ચર્ય એ વાતનું છે કે આ ઉદ્યાન તરફ લઈ જતા ધોરી રસ્તાઓ પણ ઉદ્યાનના એકભાગ સમાન હોવાથી, તેના ઉપર વિશાળ-રાક્ષસી કદની અને જીવનલક્ષી પ્રતિમાઓ, લોકોનું ધ્યાન આકર્ષિત કરવા, મૂકવામાં આવી છે. 

એક ચિત્રકાર અને સ્થાપત્ય કલાકાર દ્વારા આ ઉત્તમ પરિકલ્પના છે. કલાકારે અન્યત્ર સ્થળોએ પ્રદર્શિત અને સ્થાપિત પોતાની પ્રખ્યાત કૃતિઓની પ્રતિકૃતિઓ અહીં મૂકી છે તેટલું જ નહીં અન્ય કલાકારોનાં પ્રખ્યાત ચિત્રો અને સ્થાપત્યોની કૃતિઓ પણ મૂકી છે. ખાસ બનાવેલાં સંગ્રહસ્થાનમાં તેમનાં નામ સહિત તે કૃતિઓ અંગે માહિતી પણ આપી છે. સાંપ્રત, પ્રભાવલક્ષી કલાકૃતિઓને યોગ્ય અને સુંદર રચનાત્મક ઉદ્યાનમાં અનુકૂળ વાતાવરણ બનાવી મૂકી છે. મુલાકાતીઓને માટે અજબ અનુભવસમ ગ્રામીણ અને પ્રાકૃતિક પરિવેશમાં પ્રવેશ કરાવે છે. આંખ અને મનનો અદ્દભુત ઉત્સવ બની જાય છે. સેવર્ડ જોહન્સને સ્વરચિત બ્રૉંઝ-કલાઈ, તાંબા વગેરેની મિશ્ર ધાતુઓની પૂરા કદની પ્રતિમાઓ મૂકી છે. આ પ્રતિમાઓ અને અન્ય ચિત્રકારોની કલાકૃતિઓની પ્રતિકૃતિઓ આપણી સાથે ભળી જવા અને સંવાદ કરવા ઉત્સુક હોય તેટલી જીવંત લાગે છે.

આ ઉદ્યાનની વિશેષતા એ છે કે તેની લેવાતી કાળજીથી તેનું નાવિન્ય દરેક સમયે પ્રફુલ્લિત લાગે છે. અહીંની પ્રતિમાઓ પ્રતિકૃતિઓ છે એટલે જે જાણીએ છીએ તે જ પ્રદર્શિત થઇ રહ્યું છે. તે જ રીતે બ્રોંઝ ધાતુનો ઉપયોગ પણ નવો નથી. સૈકાઓ જૂનો છે. અન્ય ધાતુઓ કરતાં બ્રોંઝ અધિક મજબૂત અને ટકાઉ છે. ભારતમાં તેનો ઉપયોગ કુષાણ, ગુપ્ત અને ચૌલા સમયકાળથી થતો રહ્યો છે. મોહેંજો દરોમાંથી મળેલ નૃત્યાંગના અને ઘરવપરાશના વાસણો તેનું ઉદાહરણ છે. અહીં એ જ ધાતુકલાનો ઉત્તમ વિનિયોગ કરવામાં આવ્યો છે. એક કૃતિમાં તો આ ધાતુના પ્રયોગથી દર્પણમાં આપણો પ્રવેશ થતો લાગે અને તેની પાસે હરતાંફરતા મયૂરો આપણને અડકીને રમતાં હોય તેવું સામીપ્ય અનુભવાય.

સ્થાપત્ય ઉદ્યાનમાં પ્રવેશ કરીએ તે પહેલાં તેની બહાર પણ અનેક દર્શનીય સ્થાપત્યો એવી રીતે મૂકાયેલાં છે કે તેમની પાસે ઘડીભર ઊભાં રહીએ તો પણ ઘેલું લગાડે. બાંકડા પર અઢેલીને બેસેલો માણસ, બાંકડા પર શરીર લંબાવી છાપું મોઢા પર ઢાંકી સૂઈ ગયેલા, આંખનું ઝેર ઉતારતા માણસ પાસેથી હળવેથી પસાર થઈ જઈએ તેથી તેની મીઠી તંદ્રાને ખલેલ ન પડે. બાંકડા પર બેસી લહેરથી છાપું વાંચતા માણસ પાસે બેસી તે શું વાંચે છે તે જોવા છાપામાં ડોકિયું કરી લેવા મન થાય તે પહેલાં જ ઊંચી નજર કરી તે પૂછે છે ‘આ તમે જાણો છો ?” પગથી પર બાળકને સાઈકલ ચલાવતાં શિખડાવતો પિતા, વાહનોથી વ્યસ્ત માર્ગ પર રખે ઊતરી આવશે તેવો ધ્રાસકો પડે એટલાં જીવંત આ સ્થાપત્યો છે કે તેમની સાથે વાત કરવાનું મન થાય. આ સ્થાપત્યોમાં સાચા કદની પ્રતિમાઓ પણ છે, ઉપરાંત રાક્ષસી કદના સાચા ઘાસમાં ઘાસ કાપતો માણસ અને ભુવનમોહિની સૌંદર્યમૂર્તિ મેરેલિન મનરોથી આકર્ષિત મરુત તેના દેહના છદ્મ ભાગની ઝલક પામવા આક્ળો બની તેના વસ્ત્રને ઉડાડે છે. મનરો તેના આ ઉછ્રંખલ વર્તનથી ક્રોધિત નહીં પણ મુખ પર પ્રસન્નતા સાથે આ તોફાનીની કોશિષ નિષ્ફળ કરવા પોતાના પોષાકને હાથથી પકડી દબાવી લેવાની અર્ધ સફળ પ્રક્રિયાની આબેહૂબ વિશાળ પ્રતિકૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ પ્રતિમાના મુખ અને અંગોપાંગમાં ભાવ પ્રવહણ એટલું વાસ્તવિક છે કે તે પળને કેમેરામાં કેદ કરનાર અને તેને સ્થાપત્યમાં પરિવર્તિત કરનાર કલાકારોને મનોમન નમન થઈ જાય.

આ ઉપરાંત સાચા થડોમાં રચાયેલ પ્રાકૃતિક સ્થાપત્યો તેમ જ અન્ય અમૂર્ત સ્થાપત્યો જોઇને ઉદ્યાનમાં પ્રવેશ કરીએ. વિશાળ સ્વાગત સભાગૃહ અને તેના પ્રવેશદ્વાર પર પ્રવેશતાં પહેલાં બંધ પ્રવેશદ્વાર પર પ્રવેશ કરવા ઓટલા પર બેસેલા ઉત્સુક દાદા દેખાય. સભાગૃહ સાથે જ જોડાયેલા ઉદ્યાનની  માહિતી આપતાં સંગ્રહસ્થાનમાં પણ સ્થાપત્યોની પ્રતિકૃતિઓ જોવા મળે. તેની પાછળના ભાગના દરવાજાના કાચની બહાર જોઈએ તો નાનકડા શિખર પર સ્વયંમાં મગ્ન, આરામ અવસ્થામાં બેઠેલી સ્ત્રીની વિશાળ પ્રતિમા તરફ ધ્યાન જાય જ. તેને દૂરથી તાકતા રાની બિલાડાના પ્રતીકમાં આપણે સર્વ આવી જઈએ. વાતાનુકૂલ આ ગૃહ છોડી નીકળી પડીએ. તડકા, છાંયડા, જંગલ અને જંગલના એકાંતમાં.

અરે ! જુઓ ત્યાં ઘાસની સુંવાળી બિછાત પર પરીક્ષા પહેલાં, બાગના એકાંતમાં, આડો પડી પુસ્તક વાંચતો પેલો યુવાન ! રસ્તા ઉપર દીકરીના બુટની ખુલ્લી ગયેલી દોરી બાંધતી મા. કૃત્રિમ ધુમાડાના આચ્છાદન સાથે ડાકણો. થોડે દૂર કોલેજમાંથી બંક મારી અહીં આવેલા યુવાન અને યુવતી. ભીતના ટેકે ઊભેલી છોકરીના મુખ પર ઢળેલો યુવાન, બન્નેના મુખ પર આનંદ અને ઉત્તેજના છે. માણસોની અવરજવરની તેમને કોઈ પરવા નથી. અમૂર્ત – abstract સ્થાપત્યોનાં અર્થઘટનો કરતાં આગળ વધતા રહીએ. પ્રાણી જગતનાં સ્થાપત્યો એવી રીતે ગોઠવેલાં છે કે તે દરેકને આપણે સ્વતંત્ર રીતે જોઈ શકીએ. કદમાં મોટા હોવા છતાં તેની સપ્રમાણ દેહરચનાને લીધે તેના સ્વભાવનું સુપેરે દર્શન થાય. તેની એક બાજુ તળાવના કિનારે અંકોડામાં માછલી આવી જાય તેની શાંત પ્રતીક્ષા કરતો માણસ હૂબહૂ અને જીવંત લાગે છે કે તેની બાજુમાં જતાં ખચકાટ થાય કે તેની એકાગ્રતાનો ભંગ રખે તેને ક્રોધિત કરી દેશે તો! 

અરે! અરે! ત્યાં સહેજ જ દૂર એક નાવડીમાં કેટલાં બધાં માણસો સૂરા અને સુંદરીઓ સાથે બેસી આનંદ લઈ રહ્યા છે. સંગીતના આછા સૂર અને સરોવરના સરસર અવાજને માણવા આપણે અણનોતર્યા મહેમાન બની ન શકીએ, પરંતુ દૃશ્યને આંખમાં ઉતારવાની ના થોડાં પાડી શકે ? તળાવ પર બાંધેલા પુલના કઠેડા પર એક વૃદ્ધ યુગલ પોતાની વાતોમાં મસ્ત છે, જાણે વિતેલા જીવનની સ્મૃતિઓ વાગોળે છે. તેની સામેના કઠેડા પર ત્રણ છોકરાંઓ તો બધાં દૃશ્યોને મજાકનો વિષય ગણી હસતાં લાગે છે. હવે ગાઢ જંગલ છે, થોડી આડી આવતી ડાળીઓને હટાવી પ્રવેશ કરીએ તો અહીંના લોકો તો ‘અબ્રમણીય’ કહેવાનો ડોળ કરી આંખો ઝીણી કરી જોવાનું ન ચૂકે તેવું દૃશ્ય છે. બે પુરુષો, ફળ નાસ્તો કરવાની સામગ્રી અને નાનકડાં તળાવમાં સ્નાન કરી આવી નગ્ન અવસ્થામાં બેઠેલી સ્ત્રી છે. જુઓને! તેઓને કંઈ જ પડી નથી. ત્યાં તળાવમાં કોઈ આદિવાસી લાગતી સ્ત્રી પાણીમાં બે પગ મૂકી, વાંકી વળી પોતાનું કામ કરે છે.  થોડું વર્તુળાકારે આગળ વધતાં છોડોની છાયાંમાં બાંકડા પર બેસી બે વૃદ્ધાઓ અહીં જોયેલાં સ્થાપત્યો અંગે પોતાના અભિપ્રાયની આપલે કરે છે. વયથી પ્રાપ્ત અનુભવ અને મુખ પર પ્રજ્ઞાતેજ અભિભૂત કરે તેવાં છે. “પૂર્ણ સમર્પણ” સ્થાપત્ય રાજકપૂરના RK બેનરની યાદ અપાવે છે. સેવર્ડ જોહ્ન્સનનું જ પાંચ ભાગમાં બનેલું ૭૦ફૂટનું ‘અમૂર્ત સ્થાપત્ય’ “હવે તો જાગો – The Awakening” અત્યંત ધ્યાનાર્હ છે. એક શેતાની ચહેરો જમીનની બહાર નીકળવા જોરદાર પ્રયાસ કરે છે. તેના હાથના પંજા અને પગના ઘૂંટણનો ભાગ અને પગનો પંજો પણ બહાર આવી ગયાં છે. સહેજ જ ઊંચે હાથમાં હાથ રાખી, આનંદથી નૃત્ય કરતાં સ્ત્રી-પુરુષોનું શિલ્પ છે. આતંકનો આ પ્રવેશ સાંપ્રતમાં હાહાકાર મચાવનાર આતંકની પ્રતીકાત્મક દશા અને સૂચન પણ છે. આ અને એવાં અન્ય ૨૭૦ સ્થાપત્યો જુદાજુદા કદના અને જુદેજુદે સ્થળે યોગ્ય રીતે મૂક્યાં છે. અહીં દરેકનું વિવરણ શક્ય નથી.

સેવર્ડ જોહ્ન્સન અને પ્રખ્યાત ચિત્રકાર ક્લોડ મોનેના સંયુક્ત આકલનના પરિણામ સ્વરૂપ રેટ રેસ્ટોરાં. તેની આજુબાજુ મોનેના ચિત્ર “Water Lilies and Japanese Bridge” પરથી પ્રેરિત કમળસરોવર, તેની ઉપર પુલ, વૃક્ષો, છોડ અને ફૂલોરસિત વાતાવરણનું સુંદર આયોજન કર્યુ છે. સેવર્ડ જોહ્ન્સને સ્થાપત્યોની રચનાનો  પ્રારંભ કર્યો તે પહેલાં સ્વયં એક પ્રભાવી ચિત્રકાર હતા. તે પરથી રચિત તેમણે અહીં પોતાનાં પણ અમૂર્ત સ્થાપત્યો મૂક્યાં છે. ઉદ્યાનમાં ક્લેમેન્ટ મેડ્મોરે (Clement Meadmore), એન્થોની કેરો (Anthony Caro), બેવરલી પીપ્પર (Beverly Pepper), કીકી સ્મિથ (Kiki Smith), માગ્દેલા અબકાનોવીઝ (Magdalena Abakanowicz), બોઅઝ વાદિયા (Boaz Vaadia) અને જ્યોર્જ સેગલ (George Segal) દ્વારા રચિત સ્થાપત્યોને પણ સ્થાન આપ્યું છે.

આશ્ચર્ય એ વાતનું છે કે આ અપ્રતિમ ઉદ્યાનથી અહીંના જ પણ અને બહારના લોકો સદંતર અજાણ હોવાનું અનુભવાયું. આકર્ષણના આ કેન્દ્રની દેશવિદેશના લોકોએ મુલાકાત લેવી જ જોઈએ.

e.mail : Kanubhai.suchk@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, ઍપ્રિલ 2019; પૃ. 55-60

Loading

...102030...2,7902,7912,7922,793...2,8002,8102,820...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved