Opinion Magazine
Number of visits: 9577085
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીરવ પટેલે મોત સામે મલકતાં રહીને સાંપ્રદાયિકતા અને અસમાનતા પર તેજાબી રાજકીય કવિતા રચી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|17 May 2019

નીરવે ફેસબુક પર 19 ડિસેમ્બર 2018થી  28 ફેબ્રુઆરી 2019 દરમિયાન જે 68 નીડર કવિતાઓ લખી જે તેમાં વાચકો ખંધા રાજકારણીઓ અને ખૂંખાર રાજરમતોને જોઈ શકે છે

કાળઝાળ કવિતાઓ કરનારા નીરવ પટેલ આખરે ગયા, કૅન્સરની સામે લડ્યા પણ કેવી રીતે ? – પ્રગતિશીલ પ્રતિબદ્ધ સર્જક તરીકે ઉદ્દામ કવિતાઓ રચીને ફેસબુક પર મૂકતાં અને ચર્ચા કરતાં, પ્રિયજનોને હળતાં-મળતાં-ફોટા પડાવતાં તે ગયા. આખરી માનવંદના ચોથી તારીખે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા  સન્માન રૂપે સ્વીકારી. અલબત્ત, તેઓ દેશના અગ્રણી દલિત કવિ તરીકે નામના મેળવી ચૂક્યા જ  હતા. અંગ્રેજી કવિતાઓના તેમના બે સંગ્રહો છે  : ‘બર્નિન્ગ ફ્રૉમ બોથ ધ એન્ડસ’ અને ‘વૉટ ડિડ આઇ ડુ ટુ બી સો બ્લૅક ઍન્ડ બ્લ્યુ’. તેમની ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ થયા છે, તેમની મુલાકાતો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અમદાવાદ, હૈદરાબાદ, જયપુર અને ટૉરેન્ટોના લિટરરિ ફેસ્ટિવલ્સમાં તે નિમંત્રિત સર્જક હતા. બહુ મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર અને એકંદર સર્જન માટે ગુજરાત સરકારનું કબીર સન્માન અને ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું સન્માન મળ્યું હતું.

નીરવ અમદાવાદ પાસેના ભુવાલડી ગામમાં જન્મ્યા હતા. તેમના પિતાએ આપબળે ચર્મકારથી જમીનદાર સુધીની પ્રગતિ સાધી હતી. પણ આખા કુળમાં પહેલા શિક્ષિત એવા નીરવે અંગ્રેજીમાં એમ.એ. અને દલિત સાહિત્ય પર પીએચ. ડી. પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ અમદાવાદની મિલકામદારો અને શ્રમજીવીઓની ચાલીઓમાં 1960થી ‘80ના સમયના ધબકતા રાજકીય અને સામાજિક  માહોલે નીરવના દલિત સાહિત્યકાર તરીકેના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ ભાષા, સર્જકતા અને વાચનથી સજ્જતા પ્રાપ્ત કરીને દલિત ચેતનાની કવિતા રચતા જતા હતા. દલિત પૅંથર ચળવળ, મિલ કામદારોનાં સંગઠન, ગુજરાતમાં જેતલપુર તેમ જ ગોલાણામાં દલિતોનાં થયેલાં હત્યાકાંડો અને અનામત આંદોલનો જેવાં અનેક પરિબળોનો ઘેરો પ્રભાવ નીરવના સર્જન-ચિંતન પર છે. દલિત સાહિત્યના પહેલા સામયિક ‘આક્રોશ’થી લઈને કેટલાંક  સામયિકો અને સંચયોનાં સંપાદન નીરવે કરેલાં છે. સંપાદન હોય કે સર્જન, નીરવ મૂળભૂત રીતે સામાજિક વેદના અને વિદ્રોહના કવિ છે. સંસ્થાગત ધર્મવ્યવસ્થાએ ઊભી કરેલી અસમાનતાને કારણે વંચિતોની હિંસાપૂર્વક કરેલી અવદશા જોઈને કવિ અત્યંત વ્યથિત થાય છે. એ વ્યવસ્થા તોડી પાડીને સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા આધારિત સુંદર દુનિયાના સ્વપ્ન તે જુએ  છે.

કવિનું આ માનસ જિંદગીના આખરી તબક્કા સુધી ટકી રહ્યું છે. તેમણે 19 ડિસેમ્બર 2018થી  28 ફેબ્રુઆરી 2019 દરમિયાન લખેલી 68 કવિતાઓ ફેસબુક પર છે. આ કવિતાઓમાં દેશમાં પ્રવર્તી રહેલી એકંદર અસમાનતા અને સાંપ્રદાયિકતાની વાત તો છે જ, પણ હમણાંની  સ્પેસિફિક ઘટનાઓ તેમને અત્યંત અસ્વસ્થ કરે છે. પુલવામા પછી તે પૂછે છે :

આ શહીદોના માનમાં યોજાયેલ 
કૅન્ડલ માર્ચ હતી 
કે કોઈ અદ્રશ્ય નેતાનો રોડ શો?

‘આદિવાસી’ કવિતામાં તે લખે છે :

ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે
20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા
એમની જંગલઝૂંપડીઓમાંથી.

ગાંધી પુણ્યતિથિએ હિન્દુત્વવાદી જૂથોએ ગાંધીજીની હત્યાની ઘટનાને રિ-એનેક્ટ કરી તે  અંગેના સમાચાર આંબેડકરના અભ્યાસી કવિને અસ્વસ્થ કરે છે :

ગાંધીજીએ આ દેશને સ્વતંત્ર કર્યો : 
હવે સૌ પોતપોતાની રીતે સ્વતંત્ર છે
કંઈ પણ કરવા માટે.
ગાંધીનો વધ કરો,
ગોડસેની પૂજા કરો.

‘વાઇબ્રન્ટ ગ્લોબલ ઇવેન્ટ’ને એક મદારીના નજરબંધીના ત્રણ દિવસના ખેલ તરીકે બતાવતી કવિતા અહીં છે. ઉત્તરાયણને દિવસે લખાયેલી કવિતા છે : ‘2019નું ઇલેક્શન’. તેમાં ‘લોકશાહીના ઉત્સવ’ની સામે ‘હિન્દુ રાષ્ટ્રનું સપનું રોળાઈ જશે’ એવી સંભાવનાનો અલબત્ત વક્રોક્તિપૂર્ણ ઉલ્લેખ છે. ‘ચાણક્ય’ના મુખમાં આ ચૂંટણી અને પાનીપતની સરખામણી છે. જનતા માટે બેફિકર રહી સત્તા અને સંપત્તિ માણતા નેતા એક વખત રિન્ગમાસ્ટર તરીકે અને એક કરતા વધુ વખત રાજા નીરો તરીકે આવે છે. વળી રાજકારણી એક વખત મતપેટીમાંથી નીકળતા, તો બીજી વખત ‘પ્રાણીઓની નહીં, પાર્લામેન્ટની ભાષા’ બોલતા જાનવર તરીકે આવે છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ કવિતામાં હિંસાચાર, બળાત્કાર અને આત્મહત્યાની વાસ્તવિકતાની સામે કવિ જી.ડી.પી., માથાદીઠ આવક, વિશ્વગુરુની પરિભાષા મૂકે છે. ઝનૂની રાષ્ટ્રવાદના સંદર્ભો  સાથેના કાવ્યોમાં સહુથી સીધું છે તે ‘વન ડે માત્રમ’. અન્યત્ર પણ માર્મિક શબ્દરમત છે :

વંદેમાતમ વંદેમાતમની બૂમો પાડીએ,
પરજાસટાક પરજાસટકના ભેંકડા તાંણીએ?

આ સર્જક પાસેથી ‘ધર્મઆભડેલ જનાવર’, ‘રાજધાર્મિક ક્રિયા’ કે ‘દલિતનારાયણીઓ’ જેવા શબ્દપ્રયોગો પણ મળે છે.

ધર્મસંસ્થા કે પરંપરાઓને પડકારવાની, મૂર્તિભંજક રીતે મૂકવાની દલિત સહિત્યની લાક્ષણિકતા ધરાવતી કવિતાઓ ઘણી છે. ‘હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો’ એવી કવિની અપીલ છે. પુલવામા વિશેના ‘કલિંગબોધ’ કાવ્યમાં

ખંધા રાજકારણીઓ
ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે.

‘વગડાની જેમ દેશમા પણ વસંત ખીલે’ તે માટે બત્રીસ લક્ષણાનો ભોગ લેવાને લગતો ઉલ્લેખ નીરવ જેવા કવિ જીવનના અંતિમ તબક્કે ન કરે તો જ નવાઈ. ‘બ્રાહ્મણ’ એવા જ નામની કવિતા એ તર્ક આપે છે પ્રબુદ્ધ હોવામાં કે બુદ્ધુ હોવામાં બ્રાહ્મણ અને અન્ય જ્ઞાતિમાં કોઈ ફેર હોતો નથી. ‘હિન્દુ’ નામની કવિતાની છેલ્લી પંક્તિઓ છે :

હિંદુઓ મૂળે બે જ પ્રકારના હોય છે : 'વસુધૈવ કુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ’ અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.’ ધર્મ એ માત્ર એક વિભાવના જ છે એ વાતનું નિરૂપણ કરતી રચનાને અંતે કવિ લખે છે :

કપોળકલ્પિત ઈશ્વર અને એના આઉટડેટેડ ધર્મ કરતાં 
UNOનું એક યુનિવર્સલ ચાર્ટર વધારે ઈફેક્ટિવ છે.

દેશની એકંદર હાલત ‘દશામા’ કવિતામાં છે :  ‘દેશ માથે દશામા બેઠાં છે’ એમ કહીને તે એક વાર વસંતનું વર્ણન કરે છે, અને પછી કહે છે :

દેશમાં ગંગા ગંધાય છે,
પ્રદેશમાં સાબરમતીને લોકો ગટરગંગા કહે છે,
નર્મદાનાં નીર નર્યાં કાદવિયાં થયાં છે.

‘ગાવડી’ નામની વલોવી નાખતી રચના ગાયને ખૂબ હેતથી ઉછેરતા મુસ્લિમ પરિવારના લિન્ચિન્ગ પર છે. ‘માયાનગરી’ અને ‘રિવરફ્રન્ટ’ વિકાસના ફુગ્ગાને ટાંકણી મારે છે. જો કે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે ‘રિપ વાન વિન્કલ’ કવિતા. અમદાવાદના ત્રણ બગીચાઓ પરનાં મનોહર કાવ્યો છે. બજેટ, સ્વચ્છતા અભિયાન, ગોલાણાના શહીદો, રેશનાલિઝમ, પુસ્તકો  જેવાં અનેક વિષયો પરની કવિતાઓ મળે છે. સમાજમાં સબૉલ્ટર્ન હોવા પર અને કે કવિતામાં મિથકના હોવા પર પણ નીરવ લખે છે. નીરવની કવિતામાં વિધાનો, વાગ્મિતા અને અલબત્ત, અનેક કાવ્યપ્રયુક્તિઓ છે. કવિતા અને કવિકર્મ પણ વિષયો તરીકે આવે છે. ‘કવિતા દલિતોની મુક્તિદાત્રી છે’, સરસ્વતી દલિત કવિની કમ્પૅનિયન છે. આજુબાજુના હિંસક, ભેદભાવી જગતથી સાબદા રહેવા દરરોજ એક તાજી કવિતા જરૂરી છે. નીરવને મતે ઉત્તમ કવિ ‘કર્મશીલ-કમ- કવિ છે’. 

નીરવે મૃત્યુને ‘માયા’ ગણીને કવિતા કરે છે. ‘દુનિયા’ કવિતામાં તે લખે છે : ‘મને ભોગિયાને તો બિલકુલ નથી ગમતું આ દુનિયા છોડી જવાનું.’ એક કવિતા છે ‘શાંગ્રિલા’ :

તંગ આવી ગયો છું
આ લિંચિસ્તાનથી.
આ રેપિસ્તાનથી.
આ ભદ્રિસ્તાનથી.
મારું શાંગ્રિલા શોધું છું.

એમનું શાંગ્રિલા એટલે એક નોખો દેશ.

એ દેશમાં સૌ માનવી.
સૌ સરખા.
સૌ સરખા સુખી,
સૌ સરખા દુઃખી. 

કવિ ત્યાં પહોંચી ગયા, ગઈ કાલે સવારે , ‘વેજલપૂરના સ્મશાનગૃહના ધૂમાડિયામાંથી છટકીને’ .

+++++++

16 મે 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 17 મે 2019

Loading

મૂડીવાદ, રાજ્ય અને દલિતો

રોહિત શુક્લ|Opinion - Opinion|16 May 2019

ઓગણીસમી સદીની ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યુરોપના દેશોમાં સમાજ ઝડપથી બદલાવા માંડ્યો હતો. ઇંગ્લૅન્ડમાં રહીને કાર્લ માર્ક્સ (૧૮૧૮-૧૮૮૩) સમાજના આર્થિક – સામાજિક – રાજકીય તેમ જ સાંસ્કૃતિક પ્રવાહનું અવલોકન અને પૃથક્કરણ કરતા હતા, ત્યારે અમેરિકાથી માંડીને રશિયા સુધી સાહિત્યકારો દ્વારા આ નવા અવતરતા જતા જગત અંગે ઘણી વિશદ સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ થઈ. અમેરિકામાં ‘કાળા-ગોરા’નો ભેદ ઘણાં લખાણોમાં અભિવ્યક્ત થયો. અમેરિકામાં લેખિકા હેરિયટ એલિઝાબે બિયર સ્ટોવે (૧૮૧૧-૧૮૯૬), ૧૮૫૨માં ‘અંકલ ટોમ્સ કૅબિન’ પ્રકાશિત કર્યું. તે સાથે અમેરિકામાં ગુલામી અને રંગભેદની સામે ગૃહયુદ્ધની ભૂમિકા રચાઈ. અમેરિકાના જ સેમ્યુઅલ લેન્ગહાર્ન ક્લેવન્સ ઉર્ફે માર્ક ટ્‌વેને (૧૮૩૫-૧૯૧૦), રમૂજ સાથે, ‘ટૉમ સૉયર’, ‘હકલબરી ફિન’ જેવી નવલકથાઓ દ્વારા સમાજનું ચિત્રણ આદર્યું. નૉર્વેમાં હેન્રિક ઈબ્સને (૧૮૨૮-૧૯૦૬), ‘ડૉલ્સહાઉસ’ દ્વારા સમાજનો સ્ત્રીઓ તરફનો વર્તાવ ચીતરી આપ્યો. કાઉન્ટ લીઓ ટૉલ્સ્ટૉયે (૧૮૨૮-૧૯૧૦) અન્ના કેરનિનામાં પણ સ્ત્રીઓ માટેના સાંસ્કૃતિક પિંજરખાના સામે આક્રોશ વ્યક્ત કર્યો. અલબત્ત ટૉલ્સ્ટૉયે તો ‘વૉર ઍન્ડ પીસ’ જેવો મહાગ્રંથ પણ આપ્યો.

ટૉલ્સ્ટૉયના સમકાલીન એવા ફ્‌યોડર દોસ્તોવસ્કી(૧૮૨૧-૧૮૮૧)ના ‘બ્રધર્સ કારાયાઝોફ’ અને ‘ધ ઇડિયટ’ પણ સમાજ ઉપર અસર પાડી શક્યા. રશિયામાં જ મેક્સિમ ગોર્કી(૧૮૫૮-૧૯૩૬)ની ‘મધર’ અને એન્તોન ચેખોવ(૧૮૬૦-૧૯૦૯)ની ચોટદાર ટૂંકી વાર્તાઓએ સમાજની આત્મચેતનાને ઢંઢોળી. પાખંડ, જૂઠ, ફરેબ, કાવત્રાખોરી, સત્તાની લાલસા, સામાજિક ન્યાયની અવહેલના વગેરે જેવા અનેક મુદ્દે આ લેખકો અને સાહિત્યકારો ગજબનું ગર્જ્યા.

આ બધાએ સામાજિક ન્યાયનું આર્કિટેક્ચર વિકસાવ્યું. આ આર્કિટેક્ચરમાં જન્મ, જાતિ, ધર્મ, લિંગ વગેરે મુદ્દે ભેદભાવ કરવો તે પોતે માત્ર અનૈતિક જ નહીં પણ સામાજિક દૃષ્ટિએ અન્યાયકારી પણ છે એમ લોકમતમાં પ્રવેશ્યું. આ પ્રકારના વિચાર-પ્રવાહોમાં ૧૭૮૯ની ફ્રૅન્ચ ક્રાંતિ અને વિદાય લઈ રહેલી રાજાશાહી-સામંતશાહીનો પણ મોટો ફાળો હતો.

અમેરિકાથી રશિયા સુધી આ સાંસ્કૃતિક પરિવર્તનના પ્રવાહો ફરી વળ્યા, ત્યારે ભારત ક્યાં હતું?

મહંમદ ગઝની(૯૭૧-૧૦૩૦)ની ભારત ઉપર કુલ સત્તર ચઢાઈઓ થઈ. મથુરા અને કનોજ ઉપર (૧૦૧૩-૧૫) અને સોમનાથ ઉપર (૧૦૨૫-૨૬) તે લૂંટના ઇરાદાથી આવ્યો. આ આક્રમણખોર લૂંટારાને ગઝની(અફઘાનિસ્તાન)થી મથુરા કે સોમનાથ સુધી, લાવ-લશ્કર સાથે આવવા-જવામાં ખાસ વિરોધ ન થયો. ભારતીય સમાજ અને સંસ્કૃતિ વિશે વિચારવાયોગ્ય બે મુદ્દા અહીં ઊભા થાય છે. એક ગઝનથી મથુરા કે સોમનાથ સુધી હુમલા કરીને લૂંટ ચલાવનારની સામે ખાસ લડાઈ કેમ ન થઈ? રસ્તામાં આવતા અનેક રાજાઓએ આવા લૂંટારાને હેમખેમ જવા કેમ દીધો? બે, સોમનાથના અને હવે જાણીએ છીએ તેમ પદ્મનાભના મંદિરમાં આટલી અઢળક સંપત્તિ આવી તેનું મૂળ શેમાં હતું? આ સંપત્તિ ભક્તોએ ‘ન્યોછાવર’ રૂપે આપી એમ કહેવાથી વાતનો પૂરતો ખુલાસો થતો નથી. તે સમયના સામંતયુગી સમાજમાં કરોડો ગરીબો અને વંચિતો પાસેથી સામાજિક અને આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે શોષણ કરીને એકઠી કરાયેલી આ સંપત્તિ હતી. મંદિરો, કિલ્લા, મહેલો અને પછીથી મસ્જિદો બની તે આ આર્થિક વ્યવસ્થા દ્વારા ખેંચી જવાયેલી સંપત્તિનો પરિપાક છે. સોમનાથ કે મથુરા ઉપરના અગિયારમી સદીના આક્રમણ પછી, બીજાં સાતસો વર્ષે પણ આ દેશ જાગ્યો ન હતો. ૧૭૫૭ના યુદ્ધમાં મુઠ્ઠીભર અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવ્યો. તે દર્શાવે છે કે આપણે, આપણી ઉપર કોણ, શા માટે અને કેટલા સમય સુધી રાજ કરે છે, તે બાબતે સાવ તટસ્થ છીએ. નોંધવા જેવું છે કે આ જ યુરોપિયન સત્તાઓએ આફ્રિકાના દેશો ઉપર પણ આધિપત્ય જમાવવા પ્રયાસ કર્યો, પણ તેની સામે સ્થાનિકો લડ્યા અને આ ગોરાંઓને ભગાડી મૂક્યા.

આ ટૂંક ચર્ચા ઉપરથી એક તરફ ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક સર્વોપરિતા કે તથાકથિત મહાનતા સામે પ્રશ્ન ઊભો થાય છે તો બીજી તરફ દેશના વંચિતો અને બાકીના સમાજની સામંતશાહી વ્યવસ્થા તરફ પણ અંગુલિનિર્દેશ થાય છે, આથી ‘ભારત એક વિચાર’ તરીકે વધુ મૂલાગ્ર તપાસના ફોકસમાં આવી જાય છે. વેદ-ઉપનિષદ, વિવિધ ધર્મો અને આટલી બધી વિવિધતાના સંદર્ભે આ દેશના દલિતો અને વંચિતો ક્યાં છે? આ દલિતો-વંચિતોની ઇતિહાસ-નિમજ્જ સ્થિતિ, આધુનિક મૂડીવાદ તથા ટેક્‌નોલૉજીગ્રસ્ત બની રહેલા ભાવિમાં આ વર્ગ કેવા આયામોમાંથી ગુજરશે?

સમગ્ર વિશ્વમાં આજની એકવીસમી સદીમાં પણ માત્ર ભારતના હિંદુ ધર્મમાં જ જાતિભેદ છે. વિનોબાએ કહેલું તેમ ‘જો કભી જાતી હી નહીં વહ જાતિ હૈ’. અરુંધતી રૉય કહે છે તેમ (આંબેડકર યુનિવર્સિટી, મરાઠાવાડ, ઔરંગાબાદનું યુ-ટ્યૂબનું પ્રવચન). ભારતમાં ૧૯૮૯માં બે તાળાં ખૂલ્યાં. એક બાબરી મસ્જિદ, રામમંદિરનું અને બીજું આર્થિક ક્ષેત્રે નવ્ય મૂડીવાદનું. પ્રથમ તાળું હિંદુ ફન્ડામેન્ટાલિઝમનું તો બીજું માર્કેટ ફંડામેન્ટાલિઝમનું. ઉદ્યોગ-વ્યવસાયોનું ખાનગીકરણ થવા માંડ્યું અને તે સાથે જ દલિતવંચિત સમૂહો માટેનો પૉઝિટિવ ડિસ્ક્રીમિનેશન(વિધાયક ભેદભાવ)ની પ્રક્રિયાનો અંત આણવાની શરૂઆત થઈ. હિંદુત્વ કે રાષ્ટ્રવાદ જેવા શબ્દોનાં તાત્પર્યો જ બદલાવા માંડ્યા. હવે હિંદુત્વ એટલે સવર્ણ હિંદુઓનો પરંપરિત ધર્મ અને રાષ્ટ્રવાદ એટલે આવા હિંદુઓના શાસનના આગ્રહો.

હિંદુત્વ અને નવો મૂડીવાદ એકઠાં કરીને ચલાવાતી સરકારમાં આ દલિત-વંચિત સમાજની જે સ્થિતિ કરાઈ છે, તે તેના કાર્યાન્વિત સ્વરૂપને છતું કરે છે. ઊનાકાંડ તેનું ઉદાહરણ છે. આ ઉપરાંત, દલિત મૂછો રાખે કે જાહેરમાં તેને મરડે, ઘોડા ઉપર સવારી કરે, સવર્ણોની જીહજૂરી કે ગુલામી ના કરે કે પછી અન્યોને સમકક્ષ ઊંચું જીવન જીવે, તે સવર્ણોને અનુકૂળ નથી. તેમને મારવા, લજ્જિત કરવા, મારી નાંખવા કે આર્થિક દૃષ્ટિએ પાયમાલ કરવા તે આ એકવીસમી સદીમાં પણ સવર્ણોએ જાતે સ્વીકારી લીધેલી જવાબદારી છે!

આધુનિક મૂડીવાદ એકંદરે રાજ્ય સાથે અને ભારત જેવા દેશોમાં ધર્મની સાથે પણ, મેળાપીપણામાં ચાલે છે. હિંદુત્વની પકડ જમાવી રાખવા વાસ્તે તે રામરાજ્ય કે રાજ્યધર્મ જેવાં કલ્પનોનો પ્રયોગ તો કરે છે, પરંતુ વાસ્તવમાં શોષણ, શાશ્વત સત્તા અને આર્થિક સામ્રાજ્યની નવી ને નવી દિશાઓ ખોલી આપે છે. અમેરિકા જેવા દેશોમાં પણ અતિ જમણેરી એવા ટ્રમ્પના સામ્રાજ્યમાં સામાન્ય અમેરિકનના દુઃખમાં વધારો જ થયો છે. પણ ભારત જેવા દેશમાં તો ભયાનકતા જ સર્જાવા માંડી છે.

એક ઉદાહરણ જુઓઃ તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં પટાવાળાની થોડીક જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી. લગભગ ૯૦,૦૦૦ અરજીઓ આવી; આ પૈકી ૫૦,૦૦૦ સ્નાતક, ૨૮,૦૦૦ અનુસ્નાતક અને ૪,૦૦૦ પીએચ.ડી થયેલા હતા! આ સમસ્યા માત્ર બેકારીના મુદ્દે સીમિત થઈને રહી જતી નથી, આટલું ભણનારાની જાતિ કઈ હશે, તે પૈકી કઈ જાતિવાળાને નોકરી મળશે, આવા પ્રશ્નો પણ વિચારવા રહ્યા. સવાલ ગંભીર બને છે, કારણ કે ખાનગી ક્ષેત્રમાં અનામતની પ્રથા નથી, એટલે કે ૧૯૮૯માં બાબરી મસ્જિદ અને વૈશ્વિક મૂડીવાદ એમ બેના તાળાં ખોલ્યાં તે બંને દલિત-વંચિતને વધુ બરબાદ કરનારાં નીવડ્યાં છે.

બિહાર રાજ્યની ચૂંટણી(૨૦૧૫)ના અરસામાં આર.એસ.એસ.ના વડાએ અનામતના મુદ્દે ‘ફેરવિચાર’ની જરૂરત દર્શાવી હતી. તેની થોડીક અસર પડી અને એન.ડી.એ.ની થોડીક બેઠકો ઘટી. પણ પછીથી અનામત હટાવવાના મુદ્દે જે બન્યું, તે પણ લક્ષમાં લેવા જેવું છે. એક તરફ ‘સવર્ણ’ અનામત દાખલ કરીને વાસ્તવમાં અનામત દૂર કરી દેવાઈ છે. ‘દૂધમાં એટલું પાણી ઉમેરો કે દૂધ રહે જ નહીં’ એ બાબતને ચરિતાર્થ કરે, તેવો આ કીમિયો છે. હિંદુત્વવાદી રાજકારણે આધુનિક મૂડીવાદના વાતાવરણમાં આ કીમિયો કર્યો છે.

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ અનામતને નેસ્ત નાબૂદ કરવા વાસ્તે યુ.જી.સી. તરફથી બસો પૉઇન્ટ રોસ્ટરની પ્રથા હટાવીને તેર પૉઇન્ટ રોસ્ટરની પ્રથા દાખલ કરવામાં આવી છે. આ પ્રથાના કારણે હવે ડિપાર્ટમેન્ટ પ્રમાણે અનામતની જોગવાઈ કરવામાં આવે છે. દરેક ડિપાર્ટમેન્ટમાં અધ્યાપકોની સંખ્યા ઓછી હોય, પણ આખી યુનિવર્સિટીનો કુલ સરવાળો મોટો હોય; આથી આખરે કોઈ જ ડિપાર્ટમેન્ટમાં નવી ભરતી વેળાએ અનામત કૅટેગરીમાંથી કોઈ જ ભરતી કરવાની રહેતી નથી. એટલે હવેથી ‘સવર્ણ’ અનામતના કારસાથી તેમ જ યુ.જી.સી.નાં નવી રોસ્ટર પ્રવૃત્તિને કારણે, ૨૦૧૫ની બિહારની ચૂંટણી વેળાએ આર.એસ.એસે. જે કહ્યું હતું. તે પાર પાડવામાં આવી રહ્યું છે.

આ પ્રકારની નીતિઓને વધુ વ્યાપક સ્વરૂપે અને આઇડિયા ઑફ ઇન્ડિયા સાથે જોડીશું, તો આવનારાં વર્ષોમાં અતિ ભયંકર બનનારા ચિત્રની રૂપરેખા ઊતરતી જણાશે. આ ચિત્રના રેખાંકનનાં બિંદુઓ આ પ્રમાણે વિચારી શકાયાંઃ

(૧) આવનારાં વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધુ ને વધુ વ્યાપક બનશે. આથી, માણસની રોજી છીનવાઈ જ જશે.

(૨) ભારતીય અને હિંદુત્વવાદી સમાજે જાતિભેદ કરીને દલિતોને પગ નીચે કચડી નાખ્યા છે. ૧૯૫૦થી ૧૯૮૯ દરમિયાન અનામતની નીતિના ફાયદા મળવાથી ઘણા દલિતો જીવનની મુખ્ય ધારામાં પ્રવેશી શક્યા. હવે તે માર્ગ બંધ થાય છે.

(૩) ભારતની કૉર્પોરેટ દુનિયા લગભગ સંપૂર્ણપણે હિંદુ સવર્ણોના હાથમાં છે. આ કૉર્પોરેટ દુનિયાના લાભાર્થે રાજ્ય પેરવીઓ કરતું રહે છે. તેમાં દલિતો માટે ભાગ્યે જ કોઈ સ્પેસ બચે.

આ સંજોગોમાં ડૉ. આંબેડકરનાં લખાણો, વિચારો અને તત્ત્વદર્શનનો વધુ ઘનિષ્ટ અને હેતુપૂર્ણ અભ્યાસ થાય તે જરૂરી ગણાય.

[સંપાદક, “અભિદૃષ્ટિ”]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”,  [વર્ષ 13 • અંક : 138-139] મે – જૂન 2019; પૃ. 02-04

Loading

હું ગરીબ છું પછાત વર્ગમાંથી આવું છું એવાં રોદણાં શું કામ રડવા ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2019

દેશમાં આત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન અને વિવિધ રાજ્યોમાં અઢીસો કરતાં વધુ મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા, પરંતુ એમાંથી એક માત્ર નરેન્દ્ર મોદીને છોડીને કોઈએ કહ્યું નથી કે ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે માટે તમારી સહાનુભુતિને પાત્ર છું અર્થાંતરે વડા પ્રધાનના પદને માટે લાયક છું.’ કોઈ કહેતા કોઈએ નહીં. કર્પૂરી ઠાકુર તો ખુદ્દારીની મિસાલ જેવા હતા. તેઓ બિહારના બબ્બે વખત મુખ્ય પ્રધાન બન્યા પછી પણ પહેલા જેટલા જ ગરીબ હતા અને તેમની ગરીબી લોકોની નજર સામે હતી. તેઓ હજામ હતા અને બિહારના મોટા ગજાના નેતા બન્યા પછી પણ હજામત કરતા હતા. તેમણે ક્યારે ય કહ્યું નહોતું કે તેમણે કેવી કેવી યાતના ભોગવી છે અને માટે દયાને પાત્ર છે. કર્પૂરી ઠાકુરને છોડો દલિત અને આદિવાસી નેતાઓએ પણ કહ્યું નથી કે તેઓ શું શું સહન કરીને આવ્યા છે. બાબુ જગજીવન રામ, બાબા સાહેબ આંબેડકર, માયાવતી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન્‌ વગેરેએ એવી ગરીબી અને પછાતપણું જોયું છે અને તેમણે જીવનમાં જે હાલાકી ભોગવી છે અને અન્યાય સહન કર્યો છે તેની સામે નરેન્દ્ર મોદીની ગરીબાઈ તો કોઈ વિસાતમાં નથી. આદિવાસી સમાજમાંથી આવતા નેતાઓ માટે ક્યાં કોઈએ લાલ જાજમ બિછાવી હતી. તેમણે દરેકે ગરીબી અને પછાતપણાને કારણે કરવામાં આવતી અવહેલના ભોગવી હતી અને પોતાનો રસ્તો કંડાર્યો હતો.

ભારતીય રાજકારણમાં પહેલી પેઢીના નેતાઓમાંથી બહુ ઓછા નેતાઓને જાહેરજીવનમાં રાજમાર્ગ મળ્યો હતો, પછી તેઓ સવર્ણ પરિવારમાંથી આવતા હોય કે અવર્ણ અથવા આદિવાસી. લાલ બહાદુર શાસ્ત્રીનો દાખલો જાણીતો છે. તેઓ બ્રાહ્મણ હતા અને છતાં ગરીબીનો સામનો કરીને પોતા માટે જગ્યા બનાવી હતી. રામનગરથી બનારસ ભણવા જતા કેટલીક વાર ગંગા તરીને જવું પડતું. તેમણે ગરીબાઈનાં રોદણાં ક્યારે ય રડ્યાં નહોતાં. વલ્લભભાઈ પટેલ તેમની આગળની સો પેઢીમાં કોઈ ભણ્યું નહોતું એવા ગ્રામીણ ખેડૂત પરિવારમાંથી આવતા હતા. કામરાજ નાદર ગરીબ અને પછાત પરિવારમાંથી આવતા હતા અને સાવ અશિક્ષિત હતા, પણ તેમણે પાટુ મારીને પોતાના માટે જગ્યા બનાવી હતી. તેઓ કૉન્ગ્રેસના પ્રમુખ હતા અને તામિલનાડુના મુખ્ય પ્રધાન હતા. આપણે એ.પી.જે. અબ્દુલ કલામ માટે શા માટે ગર્વ લઈએ છીએ? સાવ ગરીબ અને સામાજિક રીતે પછાત પરિવારમાંથી આવતા કલામે સંઘર્ષ કરીને સ્વબળે પોતાની જગ્યા બનાવી હતી અને છેક ભારતના રાષ્ટ્રપતિપદે પહોંચ્યા હતા. અહીં જે નામ ગણાવ્યાં છે એ તો માત્ર નમૂનારૂપ છે, બાકી ભારતમાં સેંકડો નેતાઓ ગરીબ અને પછાત પરિવારમાંથી આવ્યા છે અને તેમણે પોતાની જગ્યા બનાવી છે. એમાંના કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું યાદ નથી. મને તો એવો એક પણ દાખલો નજરે ચડતો નથી. તમે યાદ કરી જુઓ, તમને કોઈ યાદ આવે છે? 

એમાં વળી સ્ત્રીઓને તો પુરુષો કરતાં ઘણો વધુ સંઘર્ષ કરવો પડ્યો છે અને હજુ આજે પણ કરે છે, પછી ભલે તે સવર્ણ પરિવારમાંથી આવતી હોય. ૧૯મી સદીમાં જે સ્ત્રીઓએ સતી, વિધવાવિહાહ અને બીજા કુરિવાજો સામે સંઘર્ષ કર્યો છે એ બધી સવર્ણ પરિવારોની સ્ત્રીઓ હતી. ડૉ. આનંદીબાઈ જોશી, ડો. રખમાબાઈ, હરકોરબે’ન વગેરે સવર્ણ હોવા છતાં પણ સંઘર્ષ કરીને આગળ આવી હતી અથવા બીજી સ્ત્રીઓ માટે દીવાદાંડીરૂપ બની હતી. ભણવાના અધિકાર માટે પણ તેમણે લડત આપવી પડી હતી. કોઈએ તેમના માર્ગમાં લાલ જાજમ નહોતી બિછાવી. તેમના પિતા, ભાઈઓ કે પતિએ પણ નહીં, બલકે તેમના માર્ગમાં અવરોધ પેદા કરવામાં આવ્યા હતા.

આ સિવાય બીજી અનેક મૂંગી પણ વીરતાભરી દાસ્તાનો છે જેના વિષે આપણે કાંઈ જાણતા પણ નથી. સાવિત્રીબાઈ ફૂલેના નામથી તમે પરિચિત હશો, પણ શાંતાબાઈ દાણીનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય. શાંતાબાઈ દાણીએ નાસિકમાં કાલારામ મંદિરમાં દલિતોના પ્રવેશ માટે જે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તેનું નેતૃત્વ કર્યું હતું. આવી બીજી અનેક દલિત અને આદિવાસી સ્ત્રીઓ છે જેના સંઘર્ષથી આપણે પરિચિત પણ નથી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જે સત્યાગ્રહ કર્યો હતો એમાં ગરીબ અને અભણ ગિરમીટિયા સ્ત્રીઓ મોખરે હતી. ટૂંકમાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ સંઘર્ષ કરીને પોતાની જગ્યા બનાવવી પડી છે, પછી સમાજ સવર્ણ હોય કે અવર્ણ.

અહીં એક યાદ અપાવવી જરૂરી છે. ભારતના કેટલાક ઇતિહાસકારોના ધ્યાનમાં આવ્યું હતું કે દેશમાં અન્યાય સામેની તેમ જ દરેક પ્રકારની મુક્તિ માટેની લડતનો ઇતિહાસ જે રીતે લખવામાં આવી રહ્યો છે એમાં જે પ્રજા હાંશિયામાં છે તેની લડતની વાત જ આવતી નથી.  કેટલાક લોકોનાં નાનકડાં યોગદાનો અને પ્રમાણમાં મામૂલી સંઘર્ષોની દાસ્તાનો રોચક રીતે કહેવામાં આવી છે. જેમણે આઝાદીની લડતમાં કોઈ ભાગ લીધો નહોતો અને માફી માગીને જેલમાંથી છૂટ્યા હતા એ સ્વાતંત્ર્યવીર તરીખે ઓળખાય છે અને જેમણે મોટા સંઘર્ષ કર્યા અને વિદ્રોહ કર્યા એના વિષે કોઈ બોલતું જ નથી. તેમની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવે છે. તેમણે દલિત, આદિવાસી, ભટકતી કોમો, ગુનેગાર જાહેર કરાઈ છે એવી કોમો, દેવાદાસીઓ અને તેમના જેવી બીજી સ્ત્રીઓ વગેરેનાં સંઘર્ષની ઘટનાઓ એકઠી કરી હતી. એવી કેટલી ઘટનાઓ હશે, કલ્પના કરી જુઓ તો? એક બે નહીં, વીસ ખંડમાં નાના લોકોના સંઘર્ષની દાસ્તાનો સંગ્રહાયેલી છે. એ વીસ ખંડ તપાસી જુઓ, એમાં કોઈએ ગરીબી અને પછાતપણાનાં રોદણાં રડ્યાં હોય એવું જોવા નહીં મળે.

તો વાતનો સાર એટલો જ કે ભારતમાં પહેલી પેઢીના નેતાઓમાં મુઠ્ઠીભર નેતાઓ એવા હશે જે મોમાં ચાંદીની ચમચી લઈને જન્મ્યા હતા અને આગળ વધવા માટે રાજમાર્ગ મળ્યો હતો; બાકીના દરેકે સંઘર્ષ કર્યો છે અને પોતાની જગ્યા બનાવી છે. ખાતરી કરવી હોય તો જુદા જુદા વર્ગના નેતાઓએ લખેલી આત્મકથાઓ કે સંસ્મરણો જોઈ જાઓ. તમને પ્રમાણ મળી રહેશે. જે સ્થિતિ રાજકારણની છે એવી જ અન્ય ક્ષેત્રોની છે. અનેક લોકોએ સંઘર્ષ કરીને સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કળાજગતમાં અને અન્ય ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન બનાવ્યું છે. તેમના માટે પણ કોઈ રાજમાર્ગ નહોતો, બલકે આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક પૂર્વગ્રહોના અવરોધો હતા. 

એનો અર્થ એવો નથી કે આંસુ સારનારાઓ અને કાખલી કૂટનારા લોકો જે તે સમાજમાં ત્યારે પેદા નહોતા થયા કે આજે નથી થતા. એવા લોકોને તેમના જ સમાજના લોકોએ હસી કાઢ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હું ગરીબ છું, પછાત વર્ગમાંથી આવું છું, મેં ભીખ માગી છે, ચા વેચી છે’ વગેરે રોદણાં રડવાની જગ્યાએ દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ અને એમાં પણ પછાત વર્ગની સ્ત્રીઓના સંઘર્ષ તરફ એક નજર કરવી જોઈએ અને તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેઓ કરે કે ન કરે, આપણે વંચિત લડવૈયાઓને પ્રણામ કરવા જોઈએ.

15 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2019

Loading

...102030...2,7882,7892,7902,791...2,8002,8102,820...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved