Opinion Magazine
Number of visits: 9577519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિક નાફરમાની અને ગાંધી

આશા બૂચ|Opinion - Opinion|20 May 2019

સત્યાગ્રહ અને નાગરિક નાફરમાની કે જે સવિનય કાનૂનભંગ તરીકે પણ ઓળખાય છે, તેની વિભાવના કદાચ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ બાદ, ભારત અને અન્ય દેશોમાં વધુ પ્રચલિત બની હોય તે સંભવ છે. પરંતુ તેનાં મૂળ ઘણાં ઊંડાં અને વ્યાપક છે. આપણે જાણીએ છીએ કે ગાંધીજીના વિચારો ઉપર હેન્રી ડેવિડ થોરોના સવિનય કાનૂનભંગનાં પગલાંની અસર હતી.

એક એવી સર્વસામાન્ય માન્યતા છે કે જેની પાસે શસ્ત્રો ન હોય, ડરપોક હોય, પોતાનો જાન ફના કરવા તૈયાર ન હોય તેવા લોકો અહિંસક માર્ગ અપનાવે. ખરું પૂછો તો સત્યાગ્રહ કરવો એટલે સંઘર્ષ ટાળવો નહીં, પણ તેને સામી છાતીએ ઝીલવો. સત્યાગ્રહ એ ‘પાસિવ રેઝિસ્ટન્સ’ કરતાં વધુ બળૂકો છે. અહિંસા એ પ્રતિકાર ન કરનાર, સત્તાને તાબે થનાર અને ડરપોક લોકોનું હથિયાર છે, તેમ માનવું બિલકુલ ઉચિત નથી. સમાજના મોટા ભાગના લોકોને હિતકારી ન હોય તેવા નિયમો, કાયદા કે રિવાજ પ્રમાણે કોઈ કાર્ય ન કરવું કે તેને તોડીને કંઇ કરવું તેનું નામ સત્યાગ્રહ. એ કર્મનો અભાવ નથી, એ એવું કાર્ય છે જેમાં હિંસાનો અભાવ છે. દેખાવો કરવા, પોતાના વિચારો અને માંગણીઓ સામા પક્ષને ગળે ઉતરાવવી, અને એ તરકીબ નિષ્ફળ જાય ત્યારે અસહકાર કરવો એ નિઃશસ્ત્ર લડાઈનો ઉચિત ક્રમ છે. તેમાં સંઘર્ષ ટાળવાની વાત નથી પણ અન્યાયી કે જુલ્મી પરિસ્થિતિનો અંત ન આવે ત્યાં સુધી તેનો શાંતિમય ઉપાય કરવા સક્રિય બનવાનું હોય. સંઘર્ષમાં સંડોવાયેલ બંને પક્ષના લોકોનું શાબ્દિક કે માનસિક પરિવર્તન કરવા ઉપરાંત સામાજિક, આર્થિક અને રાજકીય દબાણ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો એ તેની ફળશ્રુતિ ગણાય. સત્યાગ્રહ અને સવિનય કાનૂનભંગ જેવાં શસ્ત્રોનો ઉપયોગ માત્ર સંત મહાત્મા જ નહીં, સામાન્ય માણસો પણ કરી શકે. સ્વબચાવ અને ન્યાયની માંગણી માટે પૂર્વ અને પશ્ચિમના ઘણા દેશોમાં આ યુક્તિ વપરાયેલ છે. આવી લડતની સહુથી મોટી શરત એ છે કે સામો પક્ષ (જે સામાન્ય રીતે કોઈ સરકાર કે અમર્યાદ સત્તા ધરાવનાર સંગઠન હોય છે) અહિંસક સામનો કરશે એવી શક્યતા ન હોવા છતાં પોતે તો અહિંસક રીત જ અપનાવે. તેમાં વિજય મેળવતા લાંબો સમય લાગે તે શક્ય છે પણ મળે ત્યારે બંને પક્ષને ફાયદો થાય, જેની વિરુદ્ધ લડાઈ આદરી હોય તેના પણ દિલ જીતાય, અને એવી શાંતિ ચિરકાળ ટકે.

એક અંગત ઉદાહરણ આપવું ઉચિત માનું છું. થોડાં વર્ષો પૂર્વે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં માન્ચેસ્ટરના તત્કાલીન મેયર ટોની લોઇડ હાજર રહેલા અને ટૂંકું વક્તવ્ય આપતાં કહ્યું, “ભારત અને બ્રિટનને સદીઓ જૂનો રાજકીય અને વ્યાપારી સંબંધ છે. મારા પિતા કાપડ પર ‘Made in Britain’ એવાં લેબલ બનાવવાનો વ્યવસાય કરતા. આજે ભારતના પ્રજાજનો બ્રિટન અને ખાસ કરીને માન્ચેસ્ટરમાં સ્થાયી થઈને આ દેશની આર્થિક અને સાંસ્કૃતિક સંપત્તિમાં મોટો ફાળો આપી રહ્યા છે તેનો મને ઘણો આનંદ છે.” આ વક્તવ્ય બાદ મેં મેયરશ્રીને કહ્યું, ‘મારા નાનાજી અને માતા-પિતાની પેઢીના લોકોએ એ લેબલના કાપડનો બહિષ્કાર કર્યો. તો આપણે બંને વિરોધ દળના કહેવાઈએ.’ તેમણે સુંદર જવાબ આપ્યો, “ના, તમે યોગ્ય જ પગલું ભરેલું. તમને સહુને તેનું ગૌરવ હોવું ઘટે.” મારુ દ્રઢ માનવું છે કે આજે બ્રિટનની ધરતી પર ઊભા રહીને બે ભૂતપૂર્વ શાસક અને શાસિત દેશના નાગરિકો (જો કે હવે તો હું પણ બ્રિટિશ નાગરિક ખરી) આ રીતે એકબીજાંના કર્તવ્યને બિરદાવી શકે તેનું કારણ એ છે કે આપણી સ્વતંત્રતાની ચળવળ અહિંસક હતી. અસહકાર આપણું શસ્ત્ર ન હોત અને જો મશીનગનથી વાત કરી હોત તો ખેલ કઇંક જુદો હોત. જો બંને પક્ષે સશસ્ત્ર જાનહાનિ થઇ હોત  તો પરસ્પર માટેનો આ આદરભાવ અને મૈત્રી કદાચ સંભવ ન બન્યા હોત.

દુનિયાના અલગ અલગ દેશોમાં જુદા જુદા સમયે સવિનય કાનૂનભંગ થયાના કેટલાક ઉત્તમ ઉદાહરણો જોઈએ.

પોતાની કે વિદેશી સરકારના કાયદાઓનો અને દમનકારી શાસનનો વિરોધ કરવા સવિનય કાનૂનભંગ અને શાંતિપૂર્ણ દેખાવો યોજવા એ જનસામાન્યની રીત છે, જે સૈકાઓથી ચાલી આવી છે. એક મત મુજબ તેની શરૂઆત ઈંગ્લેન્ડમાં ઈ.સ. 1381માં ખેડૂતોના બળવાથી – Revoltથી  થયેલ. વોટ ટાઇલર અને બીજા કર્મશીલોએ ખેડૂતો પર નખાતા ઊંચા કરવેરા માટે રિચર્ડ બીજા સમક્ષ  વિરોધ નોંધાવેલો. સખેદ નોંધ લેવી ઘટે કે એ ચળવળે હિંસક રૂપ ધારણ કર્યું, પરંતુ તેનાથી જમીનદારી પ્રથાનો અંત જરૂર આવ્યો.

એટલાન્ટિક સમુદ્રની પેલે પારનો દાખલો લઈએ. ઈ.સ.1775–1783 દરમ્યાન અમેરિકન રિવોલ્યુશન થયું. તેનો પ્રારંભ બોસ્ટન ટી પાર્ટી નામે પ્રખ્યાત બનેલ ઘટનાથી થયો. The Sons of Liberty નામે પોતાને ઓળખાવતા એક જૂથે રાજકીય પગલાં સામે સવિનય કાનૂન ભંગ કર્યો અને એ ક્રાંતિ શરૂ થઇ. બ્રિટનના The Tea Act સામે વિરોધ દર્શાવવા એ કર્મશીલોએ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાવવામાં આવેલ ચા ભરેલા બોક્સને બોસ્ટનના બંદર પાસે પાણીમાં પધરાવી દીધા. બંને પક્ષે આ ચળવળ જોર પકડતી ગઈ પરિણામે અમેરિકન રિવોલ્યુશનનું સ્વરૂપ ધર્યું. જો કે ચાની આયાત કરવા પાછળનો હેતુ આવી ક્રાંતિ કરવાનો નહોતો. દેખાવકારોનું માનવું હતું કે અંગ્રેજ સરકારને એટલાન્ટિક સમુદ્ર પારના દેશને પોતાનું સંસ્થાન માનીને તેની પ્રજા અને તેની પાર્લામેન્ટ પર વ્યાપારી કે આર્થિક હુકમો ઠોકી બેસાડવાનો કોઈ અધિકાર નથી. ત્યાર બાદ એ ક્રાંતિનું શું પરિણામ આવ્યું તે સહુ જાણીએ છીએ. જેમ ચપટીભર મીઠું પેદા કરવાથી અને વેંચવા-ખરીદવાથી બ્રિટિશ સરકારને લૂણો લાગી ગયો તેમ ચા ભરેલ બોક્સ પાણીમાં પધરાવી દેવાથી બ્રિટિશ હકૂમતની સાંકળ અમેરિકામાં પણ ઢીલી પડી. લોકશક્તિ સત્ય અને અહિંસાને વળગી રહીને સંગઠિત રૂપે કાર્યરત થાય તો જરૂર પ્રજા કલ્યાણ થાય તેવાં ફળો મેળવી શકે તે નિ:શંક છે.

યુદ્ધ અને લડાઈ શબ્દો સાથે મિસાઈલ્સ, મશીગન અને બૉમ્બ અનિવાર્યપણે જોડાયેલ હોય એ સર્વસાધારણ ધારણા છે. એટલે જ તો નાગરિક નાફરમાનીને કોઈ સધારીની નાગચૂડમાંથી છૂટવા માટેનું ‘શસ્ત્ર’ ગણાવીએ તો એ કોણ સ્વીકારશે? પણ વીસમી-એકવીસમી સદીમાં શાંતિમય દેખાવો અને હડતાળ વગેરેને એક અસરકારક સાધન તરીકે માન્યતા મળવા લાગી છે. પણ કદી કોઈ પ્રજાએ સંગીત દ્વારા પોતાના હક-અધિકારો મેળવ્યા હોય એવું જાણ્યું છે? યુગોસ્લાવિયામાં સામ્યવાદનો અંત લોહિયાળ યુદ્ધથી આવેલ, પણ એસ્ટોનિયા, લાટવિયા અને લીથુએનિયાએ એક અનોખો શાંતિમય ઉપાય અજમાવ્યો. ચાર વર્ષ સુધી કર્ફ્યુ દરમ્યાન ભક્તિ ગીતો અને રાષ્ટ્રીય ભાવનાવાળાં ગીતો ગાઈને સત્તાને વળગી રહેવા માગતા લોકો સામે સતત વિરોધ નોંધાવ્યો. આ ક્રાંતિ Singing Revolution તરીકે ખ્યાતિ પામી. આ ક્રાંતિએ સંગીત મહોત્સવનું રૂપ ધારણ કર્યું. આજ સુધી કોઈ સરકાર સંગીતની શક્તિથી ઉથલાવી પાડવામાં નથી આવી. અહિંસક લડત કયા કયા રૂપ ધારણ કરીને આવે છે!

પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાતી અસહકાર અને સત્યાગ્રહ જેવી લોકશક્તિ પર આધારિત શસ્ત્ર વિહીન લડતો હજુ વીસમી સદીમાં પણ એટલી જ અસરકારક રહી હતી અને એકવીસમી સદીમાં તો જાણે એ યુક્તિઓ પર આમ જનતાનો વિશ્વાસ વધવાની સાથે તેનો પ્રચાર અને પ્રસાર પણ વધવા લાગ્યો છે. વીસમી સદીમાં ઇંગ્લેન્ડને પોતાના જ દેશની પ્રજાની અહિંસક શક્તિનો અનુભવ ક્યાં નથી થયો? માર્ચ 1990માં લંડનમાં થયેલ શાંતિમય કૂચ ઘણાને યાદ હશે. સરકારે લાદેલ પોલ ટેક્સના વિરોધમાં અને કાઉન્સિલ ટેક્સને પાછો લાગુ કરવા માટે પ્રજાએ આ માર્ગ અપનાવેલો. એમ કહી શકાય કે માર્ગારેટ થાચરની કારકિર્દીના અંતની તેનાથી શરૂઆત થઇ. અલબત્ત લંડનમાં પોલીસે દેખાવકારોને કાબૂમાં રાખવા બળપ્રયોગ કરેલો, પણ દેશમાં અન્ય સ્થળોએ શાંતિમય દેખાવો થયા અને અંતે પોલ ટેક્સની અપ્રિયતાનો ખ્યાલ આવતાં સરકારે તેને રદ્દ કરવાનું પગલું ભરવું જ પડ્યું. શ્રીમતી માર્ગારેટ થાચરના વડપણ નીચેના કાળમાં જેમ પોલ ટેક્સ એ સરકાર માટે મોટો પડકાર હતો તેમ ટોની બ્લેરની સરકારને સત્તા પર આવ્યાને ત્રણ વર્ષ થયાં ત્યાં જ એ દાયકાના સહુથી ગંભીર વિરોધનો સામનો કરવાનું ભાગે આવ્યું. વાહનો માટેના બળતણના ભાવ ફુગાવાના દર કરતાં વધુ દરે વધવાની સાથે લોકોએ રિફાઇનરી પર નાકાબંધી કરી, અને વિતરકોને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ કરવાની ફરજ પાડી. એક બાજુ પેટ્રોલની છૂટક કિંમત ખૂબ વધી અને બીજી બાજુ સરકાર તેના પરનો કર ઓછો કરવા માટે તૈયાર નહોતી. ટેન્કર્સ પણ ડેપો છોડીને પોતાનો વ્યવસાય કરવા સામે વિરોધ દર્શાવવા લાગ્યા. આમ ત્યારે પણ લોક શક્તિનો વિજય થયો જ ગણો ને.

યુરોપના દેશોને ભાગે સવિનય કાનૂનભંગનો સામનો કરવાનું સમયાંતરે આવતું રહ્યું છે. બર્લિનની દિવાલનો ધ્વંસ થયો એ ઘટના ઐતિહાસિક અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વની છે. જો કે સમાચાર માધ્યમોએ તેને જુદી રીતે વર્ણવેલી. દિવાલનો એક ભાગ તોડી નાખવામાં આવ્યો અને બંને તરફના લોકોએ હાથ મેળવ્યા એ દ્રશ્ય જોઈને દુનિયાભરના લોકોએ ખુશી અનુભવી. પૂર્વ જર્મનીના લોકોએ તો સરકારની સલાહની વિરુદ્ધ જઈને દિવાલ તોડવાનું શરૂ કરી દીધેલું. સરકાર તો પૂર્વ અને પશ્ચિમના લોકો છૂટથી આવ જા કરે તે માટે ચેક પોઇન્ટ બનાવવામાં વ્યસ્ત હતી. નવમી નવેમ્બરની રાત્રીએ બર્લિનની દિવાલ તૂટી એમ મનાય છે. હકીકતે મોટા ભાગની દિવાલ હજુ અકબંધ હતી અને તેનું રક્ષણ ત્યાર બાદ ઘણા સમય સુધી થતું રહ્યું. આમ છતાં એક જ શહેરને વિભાજીત કરતી દિવાલને સમય કરતાં વહેલી તોડી પાડવા માટે સવિનય કાનૂનભંગને જ મુખ્યત્વે યશ અપાય છે.

જો કોઈની એવી માન્યતા હોય કે  ધાર્મિક સંગઠનો સમલૈંગિક સંબંધોનો છડેચોક માત્ર વિરોધ જ કરે છે તો તેમણે આ હકીકત જાણીને તે વિષે ફરી વિચારવું યોગ્ય થશે. સોલફોર્સ – Soulforce એ એક એવું સુવ્યવસ્થિત જૂથ છેકે જે ચર્ચ દ્વારા લેવામાં આવતાં ઘણાં પગલાંઓ અને નિર્ણયોને બદલવા સવિનય પ્રતિકારનો મુખ્ય સાધન તરીકે ઉપયોગ કરે છે. તેમની સહુથી મહત્ત્વની ઝુંબેશ હતી, રાઈટ ટુ સર્વ – સમલૈંગિક અને ઉભયલિંગી લોકોને અમેરિકાના લશ્કરમાં સેવા આપવાના અધિકારોને પ્રકાશમાં લાવવાનો તેમનો હેતુ હતો.

કેટલાક દેશોની શાસન પદ્ધતિ લોકશાહી મૂલ્યો આધારિત ન હોવાને લીધે દુનિયામાં તેમનું સ્થાન અને માન અન્ય ધનાઢ્ય અને ‘સુસંસ્કૃત’ ગણાતા દેશો કરતાં કઇંક અંશે અલગ હોય છે. ક્યુબા તેમાંનો એક દેશ. ક્યુબા એક માત્ર એવો સામ્યવાદી દેશ છે જ્યાં અવારનવાર સરકારી કાયદાઓ વિરુદ્ધ સવિનય કાનૂનભંગના પગલાં ભરવામાં આવે છે. તેમનો હેતુ ફિડલ કાસ્ટ્રોની સરકારની સત્તાને પડકારવાનો અને રાજદ્વારી કેદીઓને મુક્ત કરાવવાનો હતો. બાજુના પોસ્ટરમાં દર્શાવેલ તેમનો મંત્ર હતો, “હું ખંડન નથી કરતો, હું સહાય નથી કરતો, હું ચોરી નથી કરતો, હું અનુસરણ નથી કરતો, હું સહકાર નથી આપતો અને હું કોઈને અંકુશમાં નથી રાખતો.” સરકારે પોતાની સત્તાને કાયમ રાખવા દમન જરૂર કરેલ, પરંતુ પ્રજાએ મહદ અંશે અહિંસક માર્ગે જ પોતાના અધિકારોનું રક્ષણ કરેલું.

તાજેતરની ઘટનાઓની વાત કરીએ તો અમેરિકામાં 2011થી શરૂ થયેલ Keystone XL નામે જાણીતો થયેલ આ વિરોધ હજુ આજ સુધી ચાલે છે. એક તરફ પર્યાવરણની સુરક્ષાની ખાતરી અપાયેલી હતી અને બીજી તરફ અધિકૃત પુરાવાઓ મુજબ ફ્રેકિંગ ખનીજ તેલ મેળવવાની તદ્દન સુરક્ષિત રીત નથી તે જાણતા હોવા છતાં પ્રેસિડન્ટ ઓબામાએ કીસ્ટોન પાઈપને આલ્બર્ટા-કેનેડાથી મેક્સિકોના ગલ્ફ સુધી લાવવાની યોજનાને બહાલી આપી. લોક શક્તિ પર્યાવરણની રક્ષા ખાતર હજુ ઝઝૂમે છે, પરંતુ ખાનગી કંપનીઓને સરકાર તરફથી મળતી મંજૂરીને કારણે તેમના પ્રયાસો વિફળ થયા કરે છે.

એવી જ બીજી એક ચળવળ તે The Orange Revolution. યુક્રેઇનમાં 2014ની સાલથી અશાંતિ પ્રવર્તી રહી છે, જેનાં મંડાણ તેના દસેક વર્ષ પહેલાં થઇ ચૂક્યાં હતાં. યુક્રેઇનના પ્રેસિડેન્ટ યાનુકોવિચ કે જે રશિયા તરફી વિચારધારા ધરાવનાર હતા, તે નીતિભ્રષ્ટ અને લાંચ લેનારા-દેનારાના ટેકાથી ચૂંટાઈને સત્તા પર આવેલા. આથી પશ્ચિમી વિચારધારા ધરાવનારા લોકો ધરણા, સામાન્ય હડતાળ અને સામૂહિક દેખાવો યોજીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતા રહ્યા. પ્રજાના એકહથ્થુ સત્તા ભોગવતા શાસકને દૂર કરવાના અહિંસક પ્રયાસો હોવા છતાં યાનુકોવિચ ફરી પ્રેસિડન્ટ બન્યા, જેને કારણે 2013માં વધુ દેખાવો થયા અને એ પ્રશ્ન 2014માં ઉગ્ર કક્ષાએ પહોંચ્યો. એમ લાગે છે કે ઓરેન્જ રિવોલ્યુશનનો અંત આવવાને હજુ વાર છે.

સદીઓ સુધી વિસ્તરેલા દુનિયાના દેશોના રાજકીય અને સામાજિક ઇતિહાસને તપાસતાં જણાશે કે લોકશક્તિ આધારિત આંદોલનો સમાજમાં હંમેશ સકારાત્મક પરિવર્તનો લાવે એ સંભવ નથી, પરંતુ પોતાને થતા અન્યાય, માનવ અધિકારના ભંગ, પ્રજાના સામૂહિક હિતનું જોખમાવું, પર્યાવરણ પરનો ખતરો જેવા સાર્વજનિક મુદ્દાઓ વિષે જો પ્રજા જાગૃત રહે તો એ પરિસ્થિતિઓમાં પરિવર્તન લાવવા માટે સવિનય અસહકાર એક શક્તિશાળી બળ બની શકે. દરેક સ્વતંત્ર નાગરિકનો એ અધિકાર છે અને હોવો જોઈએ, એટલું જ નહીં તેમની એ ફરજ છે કે એ પોતાના અને સમસ્ત પ્રજાના હિતમાં ન હોય તેવા સરકારના કાયદાઓ અને નિયમોનો બહિષ્કાર કરે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાએ સરકારથી ડરવાની જરૂર નથી, સરકારે પ્રજાથી ડરવું જોઈએ. માટે આજે પણ અહિંસક માર્ગે આદરેલ સવિનય કાનૂનભંગની નીતિ એટલી જ પ્રસ્તુત છે એ શ્રદ્ધા જ માનવ જાતને સશસ્ત્ર સંગ્રામથી દૂર રાખનારી નીવડશે.

e.mail : 71abuch@gmail.com

Loading

નાગરિકો માટે પરિણામ પછીના પડકાર

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|19 May 2019

ચૂંટણીપ્રચારનાં હુંસાતુંસી, શાબ્દિક અને શારીરિક હિંસા, ઉશ્કેરણી, ફેંકાફેંકી, ગરમાગરમી … બધાનો અંત આવ્યો. હવે શુક્રવાર સુધી એક્ઝિટ પોલનો ખેલ ચાલશે. પછી પરિણામનું ઢેનટેણેન, નવી સરકાર અને પછી?

પછી કંઈ નહીં. બધું રાબેતા મુજબ. કેમ કે, આપણી લોકશાહી નેતાપક્ષે અને નાગરિકપક્ષે પણ ચૂંટણીકેન્દ્રી બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં જે જીતે તે શૂર. તેનાં બધાં પાપ માફ. કારણ કે, લોકોએ ચૂંટયા એટલે પાપમાફીની સત્તા એવું આપણા ઘણાખરા નેતાઓ માને છે. યોગી પોતાની સામેના કેસ મુખ્ય મંત્રી બન્યા પછી માંડવાળ કરાવી દે એની નવાઈ નથી લાગતી.

૨૦૧૪માં ભા.જ.પ.નો ચૂંટણીપ્રચાર જોઈને એવું જ લાગે કે કેન્દ્રમાં એક વાર ભા.જ.પ.ની સરકાર બની જવા દો. પછી વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનો વરસાદ થશે, રોબર્ટ વાડ્રા જેલના સળિયા ગણતા હશે, ઇમાનદાર અફ્સર અશોક ખેમકાની બદલીઓ થતી અટકશે, સરકારી નિર્ણયો પારદર્શક બનશે, ભ્રષ્ટાચાર ઘટશે … પરંતુ સરખી બહુમતી મળ્યા પછી આવું કશું થયું નહીં તેમાં વર્તમાન સરકારની ખામી તો છે જ. સાથોસાથ, મતદાતા તરીકે – નાગરિક તરીકે આપણા માટેનું વિચારભાથું પણ છે.

રાહુલ ગાંધીએ આ વખતની ચૂંટણીને પ્રેમ વિરુદ્ધ ધિક્કારની લડાઈનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો આ સંદેશો ખુદ તેમના પક્ષના નેતાઓ જ અમલમાં મૂકી શક્યા હોય, એવું લાગ્યું નહીં. તે નેતાઓ બિનજરૂરી વિવાદો ઊભા કરતા રહ્યા અને નાગરિકસમાજની અપેક્ષાઓ પર પાણી ફેરવતા રહ્યા. એક તરફ કેટલાક નાગરિકો દેશમાં ઊભા થયેલા ભયગ્રસ્ત અને ઝેરીલા વાતાવરણ તરફ આંગળી ચીંધીને, લોકોને આ ચૂંટણીનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા, ત્યારે વિપક્ષ તરીકે કૉન્ગ્રેસે આ તકે લોકોને સાચા રસ્તે દોરવાનો મોકો ઝડપ્યો જ નહીં. કેવળ જાહેરખબરો બનાવી દેવાથી કે ઢંઢેરા બહાર પાડી દેવાથી લોકોમાં સંદેશો પહોંચી જશે, એવું શી રીતે માની લેવાય? જમીની હાજરીના મામલે કૉન્ગ્રેસ ઊણી ઉતરી. કેન્દ્ર સરકાર સામે લોકોના અસંતોષનાં વાજબી કારણો અને પ્રસંગો આવ્યા ત્યારે પણ કૉન્ગ્રેસ કે બીજા વિરોધ પક્ષો નિવેદનોથી આગળ ભાગ્યે જ વધી શક્યા.

વર્તમાન સરકાર પર ધિક્કારનું વાતાવરણ ફેલાવવાનો આરોપ મુકાયો, પણ તેની સામે પ્રેમનું વાતાવરણ કેવું હોય તે કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો દર્શાવી શક્યા નહીં. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ભેટે કે તેમના વિશે શાલીનતાથી વાત કરે ત્યારે જાહેર જીવનની સભ્યતાની રીતે સારું લાગે, પણ મામલો શાલીનતાથી આગળ વધીને, વર્તમાન સમસ્યાઓ અંગેના તેમના આગવા દૃષ્ટિકોણ સુધી ન પહોંચે, ત્યારે કશુંક નહીં, ઘણું બધું ખૂટતું લાગે. ખેત સમસ્યાનો ઉકેલ કૉન્ગ્રેસને પણ લોનમાફીમાં જ દેખાતો હોય અને તે પણ ભા.જ.પ.ની જેમ કશો તર્ક કે નક્કર આધાર પૂરો પાડયા વિના નોકરીઓ આપવાના વાયદા કરતી હોય, ત્યારે તેના દાવા પર ભરોસો કેમ મૂકી શકાય? જુઠ્ઠાને સાચી રીતે જુઠ્ઠો કહેવાથી પોતે સાચા નથી થઈ જવાતું, એ નેતાઓ તો નહીં જ કહે. પણ નાગરિક તરીકે આપણે સમજવું પડે.

છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં જે રીતે શેરીયુદ્ધ ચાલ્યું તે નવું નહીં, છતાં ખેદજનક હતું. બંને પક્ષોએ એકબીજાની ગુંડાગીરી પ્રત્યે આંગળીઓ ચીંધી, પણ આપણે તો એટલું જ કહેવાનું થાય કે તમારો પરિચયવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ? એક સીધુંસાદું અને નિર્દોષ કાર્ટૂન કે રમૂજી ફેરફર કરેલી તસવીર સહન કરી શકતાં ન હોય, એવાં મમતા બેનરજી અન્યોની વાજબી ટીકા કરે, તો પણ તેમના મોઢેથી એ કેટલી શોભે? અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ગુંડાગીરીથી મુક્તિ, સરકારી સત્તાના દુરુપયોગનો અંત, લોકશાહી પરંપરાઓનો આદર … આવું બધું ઇચ્છતા નાગરિકો માટે આ બધા નેતાઓ વચ્ચે પસંદગી કરવાપણું ક્યાં રહ્યું?

આ સવાલ ફ્ક્ત નરેન્દ્ર મોદી કે મમતા બેનરજી કે રાહુલ ગાંધી પૂરતો સીમિત નથી. ચૂંટણીનાં પરિણામ ગમે તે આવે, ૨૦૧૯ના ભારતમાં કેટલાક ગંભીર પડકાર ઊભા થઈ ચૂક્યા છે અને જૂના પડકારો વકરી ચૂક્યા છે. આપણા આંખ મીંચી દેવાથી કે પક્ષીય વફદારીના ડાબલા પહેરી લેવાથી તે દૂર થઈ જવાના નથી. નાગરિકો જેટલા વહેલા તે પડકારો ઓળખી લે, તેટલું ભારતની લોકશાહીના હિતમાં છે.

સૌથી પહેલો પડકાર છેક નીચલા સ્તર સુધી ફેલાવાયેલા ધિક્કારનો અને ધ્રુવીકરણનો છે. નેતાઓ કરતાં તેમના ટેકેદારો વધારે ઝેરીલા, ખતરનાક અને સામાજિક પોતને નુકસાન પહોંચાડનારા નીવડી રહ્યા છે. તેમને ફૂલવાફલવાનું વાતાવરણ આપવા માટે નેતાઓ જ જવાબદાર છે. પણ સોશ્યલ મીડિયા પર અને જાહેર ચર્ચાઓમાં ‘નાગરિકો’ ઓછા જોવા મળે છે. મોટા ભાગના લોકો એક યા બીજા પક્ષની કંઠી પહેરીને જ મેદાનમાં ઉતરે છે અને ઘણી વાર તો પોતાના જૂના સામાજિક સંબંધોને હોડમાં મૂકે છે.

ધિક્કારને રાજ્યાશ્રય મળે ત્યારે મોબ લિન્ચિંગની ઘટનાઓ સામાન્ય બને છે. છેક ઉપલા સ્તરેથી મૌન ધરીને આવી ઘટનાઓને આડકતરું સમર્થન આપવામાં આવે, ત્યારે નીચલા સ્તર માટે સંદેશો સ્પષ્ટ બની જાય છે. સાથોસાથ, રાજનેતાઓને ગાળ દેતી વખતે એક વાત ભૂલવા જેવી નથીઃ તેમનો ધિક્કારનો સંદેશો ઝીલનારા અને તેનો અનુકૂળ પડઘો પાડનારા આપણે લોકો છીએ. આપણે ધિક્કાર નહીં ઝીલીએ, તો તેમણે બીજી કોઈ તરકીબ વિચારવી પડશે.

વગર કટોકટીએ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનિયતાનો લોપ એ પણ નવી સરકાર આવ્યા પછી મહત્ત્વનો પડકાર બનશે. નાગરિકો એ બાબતે જાગ્રત નહીં થાય, તો કાન આમળતી તટસ્થ સંસ્થાઓ એકેય સત્તાધીશોને ગમતી નથી હોતી.

સૈન્યને રાજકીય રંગમાં રંગવાના કે તેના થકી વ્યક્તિવિશેષની છબી ઉપસાવવાના પ્રયાસો ભારે જોખમી અને હાડોહાડ બેજવાબદાર છે. એટલું જ નહીં, તે દેશભક્તિથી વિપરીત દેશનું ભારે અહિત કરનારા છે. નકરો પોતાનો જ સ્વાર્થ જોતા નેતાઓ એ નથી સમજતા, એટલે આ બાબતમાં તેમને ટપારવાનું અઘરું કામ પણ, પક્ષીય વફદારીઓ બાજુ પર રાખીને, આપણે નાગરિકોએ જ કરવાનું છે.

નાગરિકોની સૌથી મોટી જવાબદારી અને તેમની સામેનો સૌથી મોટો પડકાર નવી સરકારને ક્ષુલ્લક મુદ્દાથી દૂર રાખીને, વાસ્તવિક સમસ્યાઓના ઉકેલના પાટે ચલાવવાનો છે. તેમાં નિષ્ફ્ળ જવાશે તો કેવળ નેતાઓને દોષ દઈને છટકી નહીં શકાય.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 મે 2019

Loading

મોદી વૈતરણી પાર ઉતરશે ? ભારતમાં હિન્દવી શાસન સ્થપાશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2019

આઠસો વરસની ગુલામી પછી ૨૦૧૪માં પહેલી વાર હિદુઓને આઝાદી મળી અને હિન્દવી શાસન આવ્યું જેનો ઉપસંહાર ભારતીય જાગરણના પાયાના પથ્થરોમાંના એક ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડવા સાથે થયો એ યોગાનુયોગ હોવા છતાં સાંકેતિક છે. કઈ રીતે એ સમજીએ.

પહેલી વાત તો એ કે આઠસો વરસની હિંદુઓની ગુલામીની વાત ક્યાંથી આવી? ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાઝ-ઉદ્દ-દૌલાને અંગ્રેજોએ પરાજીત કર્યો એ સાથે ભારત ગુલામ બનતો ગયો એવું ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. આમ ભારતે આઝાદી ૧૭૫૭ પછી ગુમાવી અને ૧૯૪૭માં પાછી મેળવી એમ ઇતિહાસ કહે છે તો પછી આ આઠસો વરસની ગુલામીની વાત ક્યાંથી આવી?

આ તમે જે ઇતિહાસ ભણ્યા છો એ ઉદારમતવાદી સર્વસમાવેશક સેક્યુલર રાષ્ટ્રવાદીઓએ  લખેલો ઇતિહાસ છે જે હિન્દુત્વવાદીઓને કબૂલ નથી. તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ગમે છે. અંગ્રેજો કહી ગયા છે કે ભારતમાં મુસ્લિમ આક્રમકો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને ભારતમાં આવ્યા હતા અને હિંદુઓને પરાજીત કરીને ગુલામ બનાવ્યા હતા. સેંકડો વરસની ગુલામી પછી છેક ૧૭૫૭માં અંગ્રેજોએ મુસલમાનોને પરાજીત કરીને હિંદુઓને મુસલમાનોથી મુક્તિ અપાવી હતી. તમને ખબર છે અંગ્રેજોએ ભારતમાં વિવિધ શાસનકાળની વિભાગણી કઈ રીતે કરી છે? ઈ. સ. ૧૨૦૬થી લઈને ૧૭૫૭ સુધીનો કાલખંડ એ ઇસ્લામિક યુગ કે મુસ્લિમ યુગ અને ૧૭૫૭ પછીનો કાલખંડ એ બ્રિટિશ યુગ. બીજી બાજુ અંગ્રેજોના કાલખંડને ખ્રિસ્તી યુગ તરીકે નથી ઓળખાવવામાં આવતો, પણ બ્રિટિશ યુગ. અંગ્રેજોની બાબતમાં ધર્મને ગાળી નાખવામાં આવ્યો હતો; પણ ઘોરી, લોદી, ખિલજી, ગુલામ, મુઘલ કાલને એક કૌંસમાં મૂકીને ચાહી કરીને તેને મુસ્લિમ યુગ તરીકે ઓળખાવ્યો છે.

અંગ્રેજોની આ ચાલાકી હિન્દુત્વવાદીઓને નહોતી સમજાતી એવું નથી, પણ જો બાધવું જ હોય અને બાધવા માટેની સામગ્રી અંગ્રેજો પૂરી પાડતા હોય તો સત્ય શોધવાની શી જરૂર છે? જો સત્ય શોધવા જાવ તો હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના સંપની ઘટનાઓ હાથ લાગે, અકબર જેવા ઉદાર મુસ્લિમ શાસકોનો સેક્યુલર અભિગમ સામે આવે, ધર્મપરિવર્તન કરનારા હિંદુઓ કોણ હતા અને તેમણે શા માટે અને કઈ રીતે ધર્મ પરિવર્તન કર્યું હતું એની હકીકત સામે આવે. સૂફીઓની માનવીય એકત્વની ભાવના નજરે પડે. ટૂંકમાં અંગ્રેજોએ લખેલા ઇતિહાસને સત્યની એરણે ચકાસો તો બાધવાની સમાગ્રી હાથમાંથી જતી રહે. અંગ્રેજોને પણ સમજાઈ ગયું હતું કે ભારતમાં હિંદુઓ અને મુસલમાનો એકબીજા સામે બાધવાની સામગ્રી શોધી રહ્યા છે એટલે તેમણે ચોક્કસ પ્રકારે ઇતિહાસ લખીને સામગ્રી પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. તેઓ માત્ર હિંદુઓને જ નહીં, મુસલમાનોને પણ બાધવાની સામગ્રી પૂરી પાડતા હતા. અંગ્રેજોની એ નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાય છે.

ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના બીજા છેડાના સમકાલીન બંગાળી વિચારક અને સાહિત્યકાર બંકિમચન્દ્ર ચેટર્જીએ તો હિંદુઓને મુસલમાનોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો આભાર પણ માન્યો હતો. આ સત્ય નહોતું, પણ અંગ્રેજોએ દૃઢ કરેલી પણ માફક આવતી માન્યતા હતી એટલે તેને સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું હતું. આમ હિન્દુત્વવાદીઓ માટે અંગ્રેજો મુસલમાનોથી મુક્તિ અપાવનારા મુક્તિદાતા હતા. એટલે તો તેમણે અંગ્રેજોની વિરુદ્ધ ચાલતા આઝાદી માટેના આંદોલનમાં ભાગ નહોતો લીધો. ભારત આઝાદ થાય એમાં તેમને રસ નહોતો, હિંદુ આઝાદ થાય એમાં તેમને રસ હતો અને ગાંધીજી તેમ જ કૉન્ગ્રેસના નેતૃત્વમાં હિંદુ આઝાદ થવાના નહોતા અને હિંદુઓનું રાજ આવવાનું નહોતું. આવા નકલી સ્વરાજ માટે શા માટે કુરબાની વહોરવી! આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતની આઝાદીને નકારી પણ હતી. આઝાદીના દિવસને મનાવવામાં નહોતો આવતો અને તિરંગાને માન આપવામાં નહોતું આવતું. પાછળથી તેમના ધ્યાનમાં આવ્યું હતું કે આવું વલણ કોળાવામાં બાધારૂપ બની શકે એમ છે, એટલે તેમણે કમને અને ઢોંગ તરીકે; આઝાદી, બંધારણ, બંધારણનિર્મિત આધુનિક રાજ્ય, તિરંગો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અપનાવ્યાં હતાં. વાસ્તવમાં તેમને મન હિંદુઓએ આઝાદી હજુ મેળવવાની બાકી હતી.

એ આઝાદી ૨૦૧૪માં હિન્દુત્વવાદીઓને બંધારણીય લોકશાહીના માર્ગે મળી હતી. પહેલી વાર હિંદુ રાષ્ટ્રનાં સપનાં જોનારાઓને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. અગિયાર સો વરસ પછી પહેલી વાર દેશમાં હિન્દવી શાસન આવ્યું. હવે ગિરનારની એક જ ટુક ચડવાની બાકી રહી હતી અને તે હતી ભારતીય બંધારણ બદલીને હિન્દવી બંધારણ ઘડવાની. એ માટે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી અને ગમે તેવા સંજોગોમાં પણ સાથ ન છોડે એવું હિંદુ માનસ ઘડવાનું હતું. આજકાલ આવા લોકો ભક્તો તરીકે ઓળખાય છે. ભગવાન કાંઈ પણ બોલે કે કરે, આંગળી નહીં છોડવાની. પ્રતિબદ્ધ ભક્તોની મોટી જમાત અને લોકસભામાં પ્રચંડ બહુમતી મળી જાય એ પછી હિન્દવી રાજ્ય માટેનું હિન્દવી બંધારણ ઘડી શકાશે.

એટલે તો અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝીને તેની કવર સ્ટોરીમાં નરેન્દ્ર મોદીને ‘ડીવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા છે. ભારતીય સમાજમાં આડી-ઊભી એટલી તિરાડો પાડો કે જેણે આંગળી પકડી છે એ ક્યારે ય છોડે નહીં અને જેણે નથી પકડી એ ડરના માર્યા પકડી લે. એમના મનમાં એવું ઠસાવી દેવું કે ગાંધી-નેહરુનો સેક્યુલર દેશ હવે ઇતિહાસ બની ગયો છે અને સામે જે નજરે પડી રહ્યું છે એ ભારતની નવી વાસ્તવિકતા છે અને આવનારા અનેક દાયકાઓ માટેની વાસ્તવિકતા છે, જેમ અંગ્રેજોએ ભારતનાં હિંદુઓ અને મુસલમાનોના મનમાં ઠસાવી દીધું હતું કે અંગ્રેજ રાજ કમસે કમ સો દોઢસો વરસ માટેની ભારતની વાસ્તવિકતા છે. એક વાર માણસ વાસ્તવિકતા કબૂલી લે પછી તેને સ્વીકારતો થઈ જાય છે. તેનો વિરોધ મંદ પડવા લાગે છે અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવા લાગે છે જે રીતે પાકિસ્તાનમાં પ્રગતિશીલ મુસલમાનોએ સમાધાન કરી લીધું છે.  

હિન્દવી શાસનને ધીમે ધીમેં હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજના સફળ નીવડી છે કે નિષ્ફળ એની જાણ ૨૩મી તારીખે થઈ જશે. નરેન્દ્ર મોદી સામેની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં ભક્તોને ઊંડે ઊંડે હજુ પણ ભરોસો છે કે સાહેબ વૈતરણી તરી જશે; કારણ કે એ નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદીને કોઈ પરાજીત ન કરી શકે. નરેન્દ્ર મોદી સામેની આવી પ્રતિકૂળતા નજરે પડતી હોવા છતાં પણ સેક્યુલર હિંદુઓને ભરોસો બેસતો નથી કે તેઓ સો ટકા પરાજીત થશે,  કારણ એ જ કે; તેઓ નરેન્દ્ર મોદી છે.

આમ હિન્દવી શાસનને ધીમે ધીમે હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજનાના પહેલા પર્વના છેલ્લા અઠવાડિયામાં ભારતીય જાગરણના પાયાના પથ્થર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરનું પૂતળું હિન્દુત્વવાદીઓએ તોડી નાખ્યું એ યોગાનુયુગ હોવા છતાં સાંકેતિક છે. રાજા રામમોહન રોય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ઠાકુર, કેશબચન્દ્ર સેન, જ્યોતિબા ફૂલે, ગોપાલ ગણેશ આગરકર, મહાદેવ ગોવિંદ રાનડે, નારાયણ ગુરુ, કંઈક અંશે વિવેકાનંદ, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર વગેરે સેંકડો લોકોએ અત્યારના ભારતનું જે ભવન તૈયાર કર્યું છે એ ભારતભવન અને લક્ષ્ય હિંદુભવન બાંધવાનું છે.

17 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 મે 2019

Loading

...102030...2,7862,7872,7882,789...2,8002,8102,820...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved