Opinion Magazine
Number of visits: 9577095
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખંડિત છતાં અખંડિત છે માનવી

રમેશ ઓઝા|Opinion - Opinion|17 June 2019

ભગવદ્ ગીતામાં સાંખ્યયોગ છે, કર્મયોગ છે, योग: कर्मषु कौशलम्થી શરૂ કરીને योग: चित्तवृत्ति निरोध: સુધીનું સમગ્ર યોગદર્શન છે, ભક્તિયોગ છે, જ્ઞાનયોગ છે, સાધનાયોગ છે, ભગવાન કૃષ્ણએ વિરાટનું એટલે કે પોતાનું દર્શન કરાવ્યું છે, મનુષ્યની પામરતા બતાવી છે અને એ સાથે જ મનુષ્ય તરીકે સર્વોચ્ચ શિખરે પહોંચવાના સામર્થ્યની વાત કરાઈ છે એમ બધું જ છે.

મનુષ્ય પામર છે. તે વિરાટ સામે ન-જેવો અણુ છે, પરંતુ તે વિરાટનો અણુ છે એટલે કે અખંડનો હિસ્સો છે. મનુષ્ય સ્વભાવ ધર્મ અને ફરજથી બંધાયેલો છે એટલે તે તેનાથી ભાગી ન શકે, તેણે જરૂર પડ્યે યુદ્ધ કરવું જ જોઈએ. મનુષ્ય કર્મફળથી બંધાયેલો છે, પરંતુ ફળ પરત્વે અનાસક્ત રહીને સન્યાસવૃત્તિથી કર્મ કરી શકે છે. મનુષ્ય પરમ જ્ઞાની બનીને મુક્ત થઈ શકે છે, પરંતુ એની કાથાકૂટ પડ્યા વિના જો તે ભક્ત બનીને મારા શરણે આવે તો પણ તે મુક્ત થઈ શકે છે. મને (ભગવાનને) ભક્ત વધારે વહાલો છે. એમ દરેક પ્રકારનાં પ્રથમ નજરે વિરોધાભાસી જણાતાં ઉપદેશો ભગવાન ગીતામાં આપે છે.

જે અભ્યાસી સમગ્રમાં ગીતાને પકડવાની કોશિશ કરે એ ચકરાવો ખાઈ જાય, પરંતુ એ જ ગીતાના ઉપદેશોને પામવાનો ઉત્તમ માર્ગ છે. વ્યાસ મૂર્ખ નહોતા અને નબળા સર્જક પણ નહોતા કે જ્યાંથી જે તત્ત્વજ્ઞાન મળ્યું તેનું પડીકું વાળી દીધું. માણસ અખંડનો હિસ્સો છે અને છતાં સ્થળ-કાળ-ફરજ-સ્વભાવનાં કર્મ પરિબળોથી બંધાયેલો છે માટે ખંડિત છે. તે ખંડિત છે અને છતાં અખંડિત છે. આ બધા પહેલી નજરના વિરોધાભાસોને સમજવા પડશે.

દુર્ભાગ્યે આપણે ત્યાં ગીતાને તપાસવામાં બે મુશ્કેલીઓ નજરે પડી રહી છે. આદિ શંકરાચાર્ય પછી ભારતીય દાર્શનિક પરંપરા દ્વૈત-અદ્વૈતમાં અને હજુ આગળ વધીને પેટા સંપ્રદાયોમાં વિભાજીત થઈ હોવાથી જે તે શાખાના આચાર્યો અને પછીના અનુવર્તી ટીકાકારો ગીતાનું પોતાના સંપ્રદાયને માફક આવે એ રીતે અર્થઘટન કરતા આવ્યા છે. હજુ આજે પણ આ જ માર્ગ અપનાવામાં આવે છે. બીજી મુશ્કેલી કહેવાતા ચિંતકોની છે જે કોઈ સંપ્રદાયને વરેલા નથી હોતા એ ખરું, પરંતુ શ્રોતાઓ કે વાચકથી એટલા ડરેલા હોય છે કે તેઓ તેમનું રંજન કરવા એક વિચારને પકડીને વિચાર-વિસ્તાર કરે છે. અર્જુને કરવા જોઈતા યુદ્ધની વાત કરે તો એટલા રંગમાં આવી જાય કે ભગવાને કહેલા કર્મ-સંન્યાસની વાત જ ભૂલી જાય.

આગળ કહ્યું એમ વ્યાસ મૂર્ખ નહોતા અને નબળા સર્જક પણ નહોતા. તેમણે જ્યારે દરેક પ્રકારની મનુષ્ય-વૃત્તિઓને મહાભારતની કથામાં વણી લીધી અને મનુષ્યની મુક્તિના દરેક માર્ગો અને વિચાર-પ્રવાહો એક જગ્યાએ વણી લીધા તો તેની પાછળ કોઈ હેતુ હોવો જોઈએ. પણ આને સમજવા માટે વિવેક કરવો પડે. સાંપ્રદાયિક પક્ષાપક્ષીથી કે પછી શ્રોતાને આંજી દેવાની આસક્તિથી પણ મુક્ત થવું જોઈએ. આગળના લેખમાં કહ્યું હતું એમ અનાસક્ત વિવેક ગીતાનું રહસ્ય છે.

વ્યાસે બધા જ પ્રકારની પહેલી નજરે વિરોધાભાસી જણાતી વાત કર્યા પછી આ બધાની કલગીરૂપ વાત કરી છે. જેમ દોઢસો વર્ષનો રાષ્ટ્ર-વિમર્શ બંધારણમાં પરિણમ્યો છે, એમ કૃષ્ણાર્જુન વિમર્શનો નીચોડ ગીતામાં સ્થિતપ્રજ્ઞ લક્ષણની વાતમાં જોવામાં મળે છે અને એ પણ બીજા જ અધ્યાયમાં. જે કહેવું જોઈએ એ બધું જ બીજા અધ્યામાં લગભગ આવી જાય છે. જે માણસ ગીતાનો બીજો અધ્યાય સમજી લે એ જીવન સમજી લે એવો મારો નમ્ર અભિપ્રાય છે. જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે એ જ્ઞાન, કર્મ, ભક્તિ, સાધના એમ દરેક વાતે વિવેક કરી શકે. કોઈની ભૂમિકા નકારે નહીં અને કોઈને વરેલો રહે નહીં. વરેલો રહે માત્ર પ્રજ્ઞાને, એવી પ્રજ્ઞા જે  અનાસક્ત વિવેક દ્વારા સ્થિર થયેલી હોય.

વિનોબા ભાવેએ ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ નામના તેમના ગ્રંથમાં કહ્યું છે કે આ શબ્દ ગીતાનો ખાસ શબ્દ છે. ગીતાની આગળના ગ્રંથોમાં આ શબ્દ જોવા નથી મળતો અને ગીતાની પછીના ગ્રંથોમાં આ શબ્દ ખૂબ વપરાતો જોવા મળે છે. ગીતા પહેલાનાં ગ્રંથોમાં કર્મયોગી, જીવનમુક્ત, યોગારૂઢ, ભગવદ્-ભક્ત, ગુણાતીત, જ્ઞાનનિષ્ઠ આદિ શબ્દો જોવા મળે છે અને તેમાંના કેટલાક ગીતામાં પણ વપરાયેલા જોવા મળશે; પરંતુ સ્થિતપ્રજ્ઞમાં આ બધાં જ લક્ષણો આવી જાય છે. આનો અર્થ એ થયો કે ભગવાન વ્યાસે વિચાર અને અભિગમોની સાધક-બાધક ચર્ચા કર્યા પછી તેને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવી તેમ તેને વિરામ આપ્યો છે.

વિનોબા આ મુજબ ક્રમ બતાવે છે. યોગ-બુદ્ધિનું પહેલું સ્વરૂપ છે કર્તવ્ય-નિશ્ચય. કર્તવ્ય-નિશ્ચય થયા વિના સાધનાનો આરંભ ન થઈ શકે. નિશ્ચય પછી એકાગ્રતા એટલે કે સાધનામાં તન્મયતા, ફળ ઉપર ધ્યાન આપ્યા વિના સાધનામાં લીન થવાની વૃત્તિ. આ બીજી મંજિલ છે. એની આગળની મંજિલ ચિત્તની નિર્વિકાર દશા અથવા સમતા, અર્થાત્‌ સમાધિ. એ જ્યારે સ્થિર, અચલ થઈ જાય, હવાના ઝોંકાથી પણ દીવાની જ્યોત ડગે નહીં એવી થઈ જાય એને સ્થિતપ્રજ્ઞાવસ્થા પ્રાપ્ત થાય છે. એ એવી અવસ્થા હોય છે જેના પર વિકારોની, વિચારોની, અરે વેદ-વચનોની પણ સત્તા રહેતી નથી એટલે કે તે તેને પ્રભાવિત કરી શકતાં નથી. આમ યોગ-બુદ્ધિની ચાર મંજિલ છે : ૧. સાધન-નિશ્ચય, ૨. ફળ-નિરપેક્ષ એકાગ્રતા, ૩. સમતા અથવા સમાધી અને ચાર. સ્થિર સમાધિ – અખંડ, નિશ્ચલ અને સહજ. આનું નામ સ્થિતપ્રજ્ઞાવસ્થા. વિનોબા ભાવેએ પૂર્વ-ભૂમિકારૂપે ચાર મંજિલ બતાવ્યા પછી સ્થિતપ્રજ્ઞ લક્ષણના ૧૯ શ્લોકોનું ૧૮ પ્રકરણમાં વિવેચન કર્યું છે. 

પ્રારંભ આ રીતે થાય છે : અર્જુન ભગવાનને પૂછે છે : स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव I स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम I I અર્થાત્ સ્થિતપ્રજ્ઞના લક્ષણો શું છે? એ કેવી રીતે બોલે છે, કેવી રીતે રહે છે, કેવી રીતે ફરે છે એ બધું મને કહો. એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને એ પછીના ૧૮ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે.

ગીતા પરની ચર્ચા પૂરી કરતાં પહેલાં મારી વાચકોને આગ્રહપૂર્વકની એક વિનંતી છે. ગીતાનો બીજો અધ્યાય પુનઃ પુનઃ વાંચો. પહેલી નજરે જાડું ભાસતું વણાટકામ મુલાયમ થતું જશે. મારી બીજી વિનંતી એવી છે કે બને ત્યાં સુધી કોઈ સંપ્રદાયીક ગુરુના ગ્રંથોનો આશ્રય ન લેવો. શ્રોતા કંટાળીને ભાગી ન જાય એવા ડરીને રંજન કરનારા પ્રવચનકારો કે લેખકો તો જરા ય કામના નથી. આ બન્ને પ્રકારના લોકોને પોતાને જ આસક્તિથી મુક્ત થવાનું બાકી છે. તમારી જાતે વાંચો. પુનઃ પુનઃ વાંચો અને જરૂર પડ્યે વિનોબા જેવા સ્વતંત્ર દાર્શનિકની સલાહ લો. ભગવદ્ ગીતા કામધેનું જેવો ખૂબ લાભકારી ગ્રંથ છે.

[‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 જૂન 2019]

Loading

આઠ હજાર ઝાડ ઉછેરનારાં 107 વર્ષનાં થિમ્માક્કા, અઢી લાખ ઝાડ ઉછેરનારા 37 વર્ષનાં વિજય ડોબરિયા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|17 June 2019

પદ્મશ્રી સન્માનિત થિમ્માક્કાએ બે દિવસ પહેલાં કર્ણાટકમાં વૃક્ષછેદનનો વિરોધ કર્યો છે, પડધરીના વિજયભાઈએ રાજકોટના લોકોને વિનામૂલ્યે છોડ વાવી આપવાની જાહેરાત કરી છે …

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને દસ લાખ ઝાડ વાવવાની આનંદદાયક જાહેરાત કરી છે. પર્યાવરણ દિને મુખ્યમંત્રીએ તેમ જ કેટલીક સંસ્થાઓએ પણ વૃક્ષારોપણ કર્યું. ચુંવાલીસ અંશ તાપમાનમાં વાવેલાં આ છોડ ટકી રહે તેની તકેદારી રાખવી અલબત્ત જરૂરી બને. જંગી સંખ્યામાં છોડ તો વાવવામાં આવે છે, પણ તેમાંથી ઝાડ તરીકે બહુ ઓછાં ટકે છે.

મસમોટાં વ્યવસ્થાતંત્રોની બેદરકારી અને મોટા ભાગના નાગરિકોની સંવેદનહીનતાની વચ્ચે, એકલા હાથે સેંકડો ઝાડ ઉછેરી પોતાના વિસ્તારોને હરિયાળા રાખનારા એકલવીર વૃક્ષપ્રેમીઓ વિરોધાભાસ અને પ્રેરણા બંને પૂરાં પાડે છે. કર્ણાટકનાં 106  વર્ષનાં થિમ્માકા એમાંનાં જ એક છે. આ વર્ષે માર્ચ મહિનામાં તેમને પદ્મશ્રી સન્માન એનાયત કરવામાં આવ્યું. થિમ્માક્કાએ ગયાં પાંસઠ વર્ષમાં આઠ હજાર ઝાડ ઊછેર્યાં છે, જેમાં 384 જેટલાં વડનાં ઝાડનો પણ સમાવેશ થાય છે. થિમ્માકા બેંગલોરથી સિત્તેરેક કિલોમીટર પર આવેલાં હુલિકલ ગામમાં રહે છે. અહીંથી  ચાર કિલોમીટર પર આવેલાં કુદુર ગામની વચ્ચેના રસ્તાની બંને બાજુએ તેમણે વાવેલાં વડથી લીલી કમાન બની ગઈ છે. આ શીતળ રસ્તો ય થોડાંક વર્ષો પહેલાં જેમને આકરો લાગતો હતો તેવા વૃક્ષશત્રુઓએ કેટલાંક વડ કાપવા માટેની હિલચાલ શરૂ કરી, જેનો ગામના સભાન નાગરિકોએ વિરોધ કર્યો, પોલીસ ફરિયાદ થઈ, માધ્યમોમાં વાત ઝળકી અને થિમ્માક્કાનું કામ કર્ણાટકમાં કંઈક જાણીતું થયું. અત્યારે તેઓ દુનિયાભરમાં જાણીતાં છે. બી.બી.સી.એ 2016માં થિમ્માક્કાનો વિશ્વનાં સહુથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયી એવી સો મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો. ઉપરાંત તેમને દેશ અને દુનિયાનાં અનેક સન્માનો મળી ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખે તેમને પદ્મશ્રી સન્માન આપ્યું ત્યારે તેમણે રામનાથ કોવિંદને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. દેશના ઇતિહાસમાં આવો આ પહેલો જ કિસ્સો હતો. કોવિંદે તેમની ટ્વિટમાં આ મતલબનું લખ્યું : ‘પદ્મ પુરસ્કારના સમારંભમાં ભારતની સહુથી ઉત્તમ અને સુપાત્ર વ્યક્તિઓને માન આપવાનો વિશેષાધિકાર રાષ્ટ્રપતિને હોય છે. પણ આજે દેશનાં સૌથી મોટી ઉંમરના પદ્મ સન્માનિત વ્યક્તિ એવાં, કર્ણાટકનાં 107 વર્ષનાં પર્યાવરણવિદ્દ સાલુમરદા થિમ્માક્કાએ મને આશીર્વાદ આપવાનું ઉચિત માન્યું તે વાત મને સ્પર્શી ગઈ છે.’ થિમ્માક્કાને કન્નડામાં લોકો ‘સાલુમરદા’ એટલે કે ‘વૃક્ષોની હરોળ વાવનાર’ તરીકે ઓળખે છે. તેમના ગૌરવ માટે વપરાતા બીજા કેટલાક શબ્દો છે ‘વનમિત્ર’, ‘નિસર્ગરત્ન’, ‘વૃક્ષશ્રી’, ‘પરિસરમાતા’ અને ‘વૃક્ષમાતા’.

માતા બનવાની નારીસહજ ઝંખનામાંથી થિમ્મક્કા વૃક્ષમાતા બન્યાં. ગરીબ પશુપાલક પતિ બિક્કાલ્લા ચિક્કૈય્યા સાથે છૂટક મજૂરી કરનાર થિમ્માક્કાને પેટે વર્ષો લગી સંતાનનો જન્મ ન થયો. એટલે આ દંપતીએ છોડને પોતાનાં છોકરાં બનાવ્યાં. પહેલાં વર્ષે ચોમાસામાં પોતાનાં ઘર પાસેના રસ્તે વડની દસ કલમો વાવી અને પછી તો સંખ્યા વધતી જ રહી. વડની સાથે પીપળ, કણજી, આંબા, ઉંબર પણ વાવતાં ગયાં. મહેનત પણ ખૂબ લેતાં. ચિક્કૈય્યા કાવડમાં સાથે થિમ્મક્કા માથે ને કેડે બેડાં લઈને દૂરથી પાણી લાવીને છોડને પીવડાવતાં, એક છોડનો ત્રણ-ચાર દિવસે વારો આવતો. માવજતને કારણે ભાગ્યે જ કોઈ છોડ કરમાય, અને ક્યારેક એમ બને તો  ચિક્કૈય્યા નવો રોપો ઊગાડી દેતા.

ચિક્કૈય્યાનું 1994માં અવસાન થયું, પણ થિમ્માક્કાએ કામ ચાલુ જ રાખ્યું. તે કહે છે : ‘દરેક ઝાડ મારા માટે સંતાન સમું છે. તે મોટું થાય ત્યાં સુધી હું તેને ઉછેરું છું.’ ઝાડની દેખભાળ કરવા માટે, નવાં છોડ વાવવા માટે તેમ જ અનેક જગ્યાએ વૃક્ષારોપણના આમંત્રણ નિમિત્તે થિમ્માક્કા દર મહિને સેંકડો કિલોમીટર ફરે છે. ઉંમરને કારણે આવેલી નબળાઈ અને આંખે ઝાંખપ છે. સત્તર વર્ષ પહેલાં દત્તક લીધેલ ઉમેશ તેમની સંભાળ રાખે છે. ટુકડો જમીન છે, રહેવા માટે સાવ નાનું ઘર છે. તેમાં પ્રમાણપત્રો, ચંદ્રકો, સન્માનચિહ્નો ઠીક જગ્યા રોકે છે.

‘આ બધાં સન્માનોને હું ખાઈ નથી શકતી’, એવું કહેવાનો વારો થિમ્માક્કાને આવ્યો તેનું કારણ નજીવી સરકારી સહાય છે. સંસ્થાઓ નાની-મોટી આર્થિક મદદ કરતી રહે છે. તેમાંથી પણ થિમ્માક્કા પોતાનાં અંતરિયાળ અને ગરીબ ગામમાં હૉસ્પિટલ બનાવવાની કોશિશો માટે કંઈક રકમ ખરચી રહ્યાં છે. જો કે ગામ લોકોની મદદથી થિમ્માક્કા વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા ઊભી કરી શક્યાં છે. આઘાતજનક વાત તો એ છે કે થિમ્મક્કાનાં ગામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ ન આપનાર સરકાર હવે તેમણે વાવેલાં ઝાડ કાપવા નીકળી છે. આ લખાય છે ત્યારે સમાચાર એ છે કે બેંગલોર પાસેનાં સૂચિત બાગેપલ્લી હલાગુરુ ધોરી માર્ગ યોજના માટે  તેમણે વાવેલાં ઝાડ કાપવામાં આવશે એવા સમાચાર મળતાંની સાથે થિમ્મ્માકા મુખ્ય મંત્રીને મળવા ગયાં હતાં. કર્ણાટકના કુદરત પ્રેમીઓ પણ વિરોધની તૈયારીમાં છે ! થિમ્માક્કાએ કહ્યું : ‘મારાં વાવેલાં વડ હું નહીં કપાવાં દઉં ….’  

આવો પડકાર થિમક્કાએ હમણાં બે દિવસ પહેલાં જ કર્ણાટકમાં વૃક્ષો બચાવવા માટે ફેંક્યો, તો એ જ અરસામાં,પડધરીના વિજય ડોબરિયાએ રાજકોટના લોકોને વૃક્ષો વાવવાં માટે હાકલ કરી. તેમણે આ મતલબની જાહેરાત કરી છે : ‘તમારે ફક્ત એક ફોન કરવાનો રહેશે, એટલે અમારા સ્વયંસેવકો તમારાં આંગણે તમને મનગમતું વૃક્ષ વાવી જશે. એટલું જ નહીં પણ વૃક્ષનાં રક્ષણ માટેનું લોખંડનું એક પિંજરું પણ આપશે. આ પિંજરાની ફરતે ગ્રીન નેટ પણ બાંધશે. આ તમામ સેવા મફત છે. તમારે બસ આ છોડ વાવ્યાં પછી તેને પાણી જ પાવાનું રહેશે.’

વિજયભાઈ પડધરી તાલુકાના 54 ગામોને 2.62 લાખ વૃક્ષો વાવીને હરિયાળાં બનાવી ચૂક્યા છે. આ તાલુકાનું ફતેપુર ગામ વિજયભાઈનું વતન છે. તેમણે 5 જૂન 2014ના પર્યાવરણદિને નિશ્ચય કર્યો કે તેમનાં પંથકના ગામોને છાંયડા વિનાના નથી રહેવા દેવાં. ત્યારથી તે દિવસરાત એક કરી દરરોજનાં સિત્તેર જેટલાં રોપા ઊગાડતા રહ્યા. આ કામ સહેલું ન હતું. પાણીનો સવાલ તો ખરો જ, પણ જમીને ય કાઠી. એટલે ઊંડા ખાડા ખોદવા પડતા, તેમાં બીજેથી સારી માટી લાવીને નાખવી પડતી. એક છોડ વાવવાનો ખર્ચ ત્રણસો ચાળીસ રૂપિયા જેટલો થતો. કુદરતી ખાતરનો ભાગીદારીમાં વ્યવસાય કરનાર વિજયભાઈને ખેડૂતોની મદદ પણ મળતી રહી છે. કેટલાંકે રોકડ રકમ આપી તો કેટલાકે પોતાના બોરમાંથી પાણી આપ્યું છે. સાડત્રીસ વર્ષના વિજયભાઈ હવે રાજકોટને હરિયાળું બનાવવાનો ઉદ્યમ હાથ પર લીધો છે. માનવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ વૃક્ષારોપણ કરતાં રહેલા વિજયભાઈનો અભિગમ બહુ હકારાત્મક છે. લોકોને કે તંત્રને દોષ દેવાને બદલે તે કહે છે : ‘ શહેરમાં રહેતા ઘણા લોકોને સમયનો અભાવ હોય છે. વળી તો વૃક્ષના રોપા ક્યાંથી મળે એ બધી બાબતો વિશે કદાચ સામાન્ય માણસને ખ્યાલ પણ ન હોય.’ રાજકોટમાં વૃક્ષારોપણ માટે વિજયભાઈએ જાહેર કરેલો મોબાઈલ નંબર છે 6354802849. તેમણે ખુદ દસ હજાર લોકોને ફોન કરીને હાકલ કરી છે.

ધરતીમાતાને થિમ્માક્કા અને વિજયભાઈ જેવાં સંતાનોની બહુ જરૂર  છે.

++++++

06 જૂન 2019

પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 જૂન 2019

Loading

સાહિત્યનું સ્થાન નક્કી કરે છે લેખકો અને વાચકો. એ સ્થાન ગમે ત્યારે ઊલળી પડે, પણ એનો નાશ નથી કરી શકાતો

સુમન શાહ|Opinion - Literature|17 June 2019

આપણને કશાક શરણની જરૂર હોય છે. શરણ સાહિત્ય આપી શકે છે – એ તો શરણોનું શરણ છે

અરુન્ધતી રૉય, હાર્લેમ-વ્યાખ્યાન વખતે

સાહિત્યના સ્થાન વિશે અરુન્ધતી રૉય 

તાજેતરમાં અરુન્ધતી રૉયે (1963 – ) ‘પેન અમેરિકા’-ના નિમન્ત્રણથી ‘આર્થર મિલર ફ્રીડમ ટુ રાઈટ લૅક્ચર’ અન્વયે વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન ‘પેન વર્લ્ડ વૉઇસિસ ફેસ્ટિવલ’-ના ભાગ રૂપે ન્યૂયૉર્ક સિટી-હાર્લેમમાં ઍપોલો થીએટરમાં યોજાયું હતું.

એમણે કહ્યું કે સમુદ્રો તપી રહ્યા છે ને આઈસ કૅપ્સ પીગળી રહી છે (કહેવાય ‘કૅપ’, પણ એ પચાસ હજાર કિલોમીટર ધરતી પર છવાયેલા હિમ અને બરફના પથારા હોય છે). કહ્યું કે પૃથ્વી પરના જીવનને ધારણ કરી રહેલી પારસ્પરિક જાળને – વેબ ઑફ ઈન્ટરડીપેન્ડન્સને – નેસ્તનાબૂદ કરવાને આપણે ત્વરાથી ધસી રહ્યા છીએ. કહ્યું કે આપણી દુર્જેય બુદ્ધિશક્તિ મનુષ્ય અને મશીન વચ્ચેની સીમાઓનો લોપ કરવાની દોરવણીઓ આપી રહી છે. આ ગ્રહને અને તેની પ્રજાતિરૂપ મનુષ્યને જોડવાને આપણે સમર્થ છીએ, પણ આપણો દુર્જેય અહંકાર એમ થવા નથી દેતો. કહ્યું કે કલાને સ્થાને આપણું હવે ઑલ્ગોરિધમ્સથી -પ્રૉબ્લેમોના ઉકેલો આપતી, ખાસ તો, કમ્પ્યૂટરની ગણક-પ્રક્રિયાઓથી- નભે છે.

એમણે જણાવ્યું, આવા સમયે આપણને ‘અજ્ઞાત’ તરફ લઇ જનારા નેતાઓ મળ્યા છે ! અરુન્ધતીએ વ્હાઈટ હાઉસના વ્હાઈટ સુપ્રામેસિસ્ટ્સનો -અમુક વંશ, જાતીયતા કે જૂથની સર્વોપરિતાની વકીલાત કરનારા, સર્વોપરિતાના રખેવાળોનો- નિર્દેશ ખાસ કરેલો. ચીનના નવ્ય સામ્રાજ્યવાદને પણ યાદ કરેલો. એમણે કહ્યું કે આપણામાંના ઘણા જનો સ્વપ્ન સેવે છે કે ‘અન્ય વિશ્વ શક્ય છે’, આ લોકો પણ એ જ સેવે છે. પણ એમને માટે એ સ્વપ્ન છે, આપણા માટે, દુ:સ્વપ્ન !

અરુન્ધતીએ કહ્યું કે અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો અત્યારલગીની ભૂલોમાં એ મોટામાં મોટી ભૂલ હશે. આપણે આવા ભવિષ્ય તરફ ધકેલાઇ રહ્યા છીએ ત્યારે વીજપ્રપાત જેવા આક્રમક થઇને મુરખામીઓ આદરી રહ્યા છીએ -ફેસબુકનાં ‘લાઈક્સ’ -ફાસિસ્ટ્સ આગેકૂચપ્રદર્શનો – જૂઠખચિત ન્યૂઝકૂપ્સ … લાગે છે કે ધનોતપનોત નીકળી જવાનું છે …

કઠિન અને અસહિષ્ણુતાભર્યા સમયમાંથી આપણે એકદમની ઝડપથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે અરુન્ધતીને પ્રશ્ન થયો છે કે એવા દારુણ સમયમાં સાહિત્યનું સ્થાન શું છે. માનમરતબો કે મૂલ્ય શું છે? એ નક્કી કરે છે કોણ? એમણે કબૂલ્યું છે કે આ સવાલોનો કોઇ એક સમુપકારક ઉત્તર નથી મળવાનો. એમને પ્રશ્ન થયો છે -એવા સમયે અને ભારત જેવા દેશમાં લેખક હોવું એટલે શું? ઉત્તરમાં એમણે લેખક તરીકેના પોતાના જાતઅનુભવની ખટમીઠી કહાની આ વ્યાખ્યાનમાં ભરપૂર વીગતો આપીને કરી છે.

અરુન્ધતીએ જણાવ્યું કે અમુક વખત પછી હું ‘પોલિટિકલ-ઍક્ટિવિસ્ટ’ કહેવાવા લાગી હતી. સંકેત એ હતો કે મારાં સર્જનાત્મક લેખનો – ફિક્શન – પોલિટિકલ નથી અને મારા નિબન્ધો, લેખો, એટલે કે નૉન-ફિક્શન, સાહિત્યિક નથી !

એમણે દર્શાવ્યું હતું કે સાહિત્ય એવી વસ્તુ છે જે ગૂંચવાડાભરી બાબતોને સરળ અને સાદી રીતે કહી જાણે છે. એ શક્તિ એમણે સર્જનોમાં જોઇ છે. બૂકર-વિનર ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિન્ગ્સ’ (1997) પછી એમણે બીજી નવલકથા ‘ધ મિનિસ્ટ્રી ઑફ હૅપિનેસ’ (2017) આપી છે. ક્યારેક કહેલું, પોતાનો પહેલો પ્યાર સર્જન છે. છતાં એમણે અસરકારક એટલાં બધાં બિનસર્જનાત્મક લેખનો કર્યાં છે, આપણને થાય, વર્તમાનમાં ભાગ્યેજ કોઇ સ્ત્રી-લેખકે કર્યાં હશે. લાગે કે એ સર્જનેતર લેખનો એમનો ભલેને બીજો પ્યાર હોય, પણ પ્યાર છે. છેલ્લા બે દાયકાના એવા લેખોનું પુસ્તક છે, ‘માય સેડિશિયસ હાર્ટ’ (2019), જેમાં અરુન્ધતીએ ન્યાય, અધિકારો અને સ્વાતન્ત્ર્ય માટે તાર સ્વરે વિદ્રોહ પોકાર્યો છે.

કહે કે મારા જાતઅનુભવે મને શીખવ્યું છે કે સાહિત્યનું સ્થાન નક્કી કરે છે લેખકો અને વાચકો. કેટલીક રીતે એ સ્થાન ડામાડોળ હોય છે, ગમે ત્યારે ઊલળી પડે, પણ એ સ્થાન અ-નાશ્ય છે, એનો નાશ નથી કરી શકાતો. એ જો નષ્ટભ્રષ્ટ થયું હોય, તો આપણે લેખકો એને નવેસર રચી શકીએ છીએ. શા માટે કરીએ છીએ એવું? એટલા માટે કે આપણને કશાક શરણની જરૂર હોય છે. અરુન્ધતીએ કહ્યું કે આપણને એવું શરણ સાહિત્ય આપી શકે છે, સાહિત્ય શરણોનું શરણ છે.

હું આને એક મહાનુભાવ લેખકવ્યક્તિ તરફથી મળેલું મૂલ્યવાન વિધાન ગણું છું. એ એમની સર્જક અને કર્મશીલ બન્ને વ્યક્તિતાઓથી સંભવેલું નવનીત છે. એનું જેટલું સ્વાગત કરીએ અને મૂલ્ય આંકીએ, ઓછું કહેવાય.

આપણે ત્યાં સર્જક વ્યક્તિને અને કર્મશીલ વ્યક્તિને સામસામે મૂકવાનો બૂરો ચાલ છે. કેટલાક સર્જકો કર્મશીલોને નથી ગણતા, કેટલાક કર્મશીલો સર્જકોને નથી ગણતા. જ્યારે ત્રીજાઓ, સર્જકોને કર્મશીલ થવા અને કર્મશીલોને સર્જક થવા અવારનવાર પરોણાઘૉંચ કરતા રહે છે. જાણે શી યે મોટી સાહિત્યસેવા કરતા હોય !

અરુન્ધતીના વ્યાખ્યાનમાં રજૂ થયેલી બાબતો ઓછી વિવાદાસ્પદ નથી પણ એમાં ઝળહળતું કોઇ સત્ય હોય તો, વિદ્રોહ છે. રાજસત્તાઓની હાજરીમાં નિરન્તરના અન્યાયો જે થાય છે, પ્રજાઓ જે ભોગવે છે, એની વ્યથા સર્જકજીવોને હમેશાં સતાવતી હોય છે. અરુન્ધતીનો વ્યાખ્યાનસૂર એ વ્યથાથી ઘણો રંજિત રહ્યો છે.

આપણે ગુજરાતી સાહિત્યકારો વ્યથિત નથી એમ નથી પણ આપણી વ્યથા નાનકડું મીંદડું લાગે છે. આપણે સર્જન સિવાયનાં લેખનોમાં નથી પડતા. નિબન્ધલેખન પ્રકૃતિગાન માટે કરીએ છીએ. આત્મકથા જાતહિસાબ માટે લખીએ છીએ. મનુષ્યજીવનને સતાવતા કૂટપ્રશ્નોને વિષય તરીકે નથી અપનાવતા : હન્ગર-પ્રોજેક્ટ, ન્યૂક્લીયર વૉરફૅર, ક્લાઇમેટ ચેન્જ, રેસિઝમ, અપાર્થેઇડ, ઍનર્જી ક્રાઇસિસ, સોનિક પૉલ્યૂશન કે ટૅરરિઝમ જેવા જાગતિક પ્રશ્નો : આપણને આપણા નથી લાગતા. રાજકારણને, માત્ર નીરખવા-ચર્ચવાનું આવડે છે. અને તેમાંયે રાષ્ટ્રના રાજકારણને સ્પર્શીએ એટલા રાજ્યનાને નહીં અને આન્તરરાષ્ટ્રીયને તો જર્રાય નહીં. નારી-શોષણ અને દલિત-વ્યથા માટે સમાજને ઢંઢોળવાનું સૌથી વધારે ફાવે છે. આપણી વ્યથાનું વર્તુળ વિસ્તરતું નથી. પરિઘની બહાર જવું આપણને પરવડતું નથી.

બીજું, આપણા બધાની કારકિર્દીઓ વિદ્રોહસૂરે નહીં પણ મમ્મટ-કથિત યશ:પ્રયોજને ઘડાતી ચાલે છે. રાષ્ટ્રીય કક્ષાના ઍવૉર્ડઝ મળે પછી ઈતિસિદ્ધમ્ ! કેટલાક તો રણજિતરામ મળે પછી ઠરી જાય. બાકીનાઓ આને આદર્શ ધ્યેય ગણીને દિલોદિમાગથી મથતા રહે. આ કશી ફરિયાદો નથી. દરેકને પોતાનું સપનું સ્વેચ્છાએ અને શક્તિમતિએ આકારવાનો અધિકાર છે.

સવાલ એટલો જ છે કે આપણાથી યશ પાસે કેમ અટકી પડાય છે? તારસ્વર કેમ નથી પ્રગટતો? ઠાવકાઇ જ કેમ? સાહિત્યકાર પ્રતિભાવન્ત ન પણ હોય પણ એની પાસે વ્યુત્પત્તિ -દુનિયાને વિશેનું જ્ઞાન- તો હોઇ શકે કે નહીં? આને પણ પ્રતિબદ્ધતા કે સમયપ્રસ્તુતતા જેવા ચવાયેલા મુદ્દા સાથે ન જોડવા વિનન્તી, કેમકે એમાં પણ ચર્ચાચર્ચી પછી બન્ને પક્ષવાળા દે-તાલી કરતા પોતપોતાના ઘર ભણી નીસરી જતા હોય છે.

ભૂતકાળમાં એક સાહિત્યકારમિત્રે એવો દયાર્દ્ર સૂર રેલાવેલો કે -ભાઇ ! મને ગુજરાતીમાં એકાદ રિલ્કે આપો ! સાર્ત્ર આપો ! પણ, હું, આપણે ત્યાં કેમ એકેય અરુંધતી નથી એવી મૃદુલકણ્ઠ સૂરાવલી છેડનારો નથી. મતલબ, આ કોઇ ચીલાચાલુ રોકકળ નથી. આ તો લેખક તરીકેના મારા અને તમારા જાતઅનુભવને તપાસવાની વાત છે. ચોપાસની પરિસ્થિતિ નીરખીને એકબીજાને પૂછવાની વાત છે કે ગમતીલી દીવાલોની બહાર જોતાં આપણને શું અથવા કોણ રોકે છે…

= = =

પ્રગટ : 'સાહિત્ય સાહિત્ય' નામક લેખકની કટાર,'નવગુજરાત સમય", 08 જૂન 2019

Loading

...102030...2,7732,7742,7752,776...2,7802,7902,800...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved