Opinion Magazine
Number of visits: 9577109
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેલવહેલું ગાંધીકાવ્ય: મનમોહન ગાંધીજીને

દીપક મહેતા|Opinion - Literature|4 July 2019

મનમોહન ગાંધીજીને

ગાંધી તું હો સુકાની રે:
સાચો હિન્દવાન!
હિન્દની જિંદગી અમારી –
અફળાતી અસ્થિર ન્યારી –
તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
રાજ્ય પ્રજાના હિતનું –
મન્થન દેશે છલકાતું –
નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
જનતાના જગ મહારાજ્યે –
હિન્દીજન તણા સ્વરાજ્યે –
ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

હિન્દી જાત જ જન્માવી;
જગમાં વિખ્યાત બનાવી –
ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
મનમોહન, ઉદાર ભાવે,
વીરતાના પ્રસંગ લાવે,
હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
સુદામાપુરના દીપક!
શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક:
ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
ગાંધી! તુજ સુજોડ પગલે,
હિન્દ-સંતતિ સંચરિયે!
શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

                                                                             — ‘લલિતજી’ 

જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં  સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત.

નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે.

તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું: “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.” 

ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઇ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૨૧૦૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઇ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઇ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ  ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઇ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.

પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઇ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઇ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઇ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ પણ હોઈ શકે.

હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે. પુસ્તકનું નામ: ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ: ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક: “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, ‘સ્નેહરશ્મિ’નાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા (નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.

આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી: “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઇ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઇ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યા અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઇ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઇ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને બહુ નવાઈ લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ બધું કરીને એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઇ ગયું.

સંપાદકીયમાં ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકરે કહ્યું છે: “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે: “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો લગભગ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ. પણ ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના આ વર્ષમાં એ ગીત અને એ સંગ્રહને યાદ કરી લઈએ.    

xxx xxx xxx

Flat No. 2, Fulrani, Sahitya Sahawas, Madhusudn Kalelkar Marg, Kalanagar, Bandra (east), Mumbai 400 051.

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, જુલાઈ 2019; પૃ. 97-101

Loading

બેહરૉઝ બૂચાની: જેલની કાંટાળી વાડ પાછળના શબ્દો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 July 2019

બેહરૉઝ બૂચાનીનું નામ તમે ના સાંભળ્યું હોય એવું સંપૂર્ણપણે શક્ય છે. એ મૂળ ઈરાનિયન કુર્દીશ પત્રકાર, માનવાધિકાર કાર્યકર, કવિ અને ફિલ્મ મેકર છે. એને ૨૦૧૯નું ઓસ્ટ્રેલિયાનું સાહિત્યનું (અંદાજે ૬૫ લાખ રૂપિયાનું) સૌથી પ્રસિદ્ધ વિક્ટોરિયા પારિતોષિક એનાયત થયું છે. બેહરૉઝ બૂચાની એમાં હાજર રહી ન શક્યો. કારણ? છેલ્લા ૬ વર્ષથી એ ઓસ્ટ્રેલિયાના લોસ નીગ્રોસ આઈલેન્ડ પર આવેલા માનુસ ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. બૂચાની પશ્ચિમ ઈરાનના કુર્દીશ અલગતાવાદીઓનો એક શક્તિશાળી અવાજ છે, જે ઈરાની સરકાર સાથે ૨૦૧૮થી શિંગડાં ભરાવી રહ્યા છે.

બૂચાનીએ એક કુર્દીશ સામાયિક 'વેર્યા' શરૂ કર્યું હતું અને એમાં આવતાં લખાણોનાં કારણે ૨૦૧૩માં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ પોલીસે દરોડો પાડીને ૧૧ લોકોની ધરપકડ કરી હતી. બૂચાની ભાગીને છુપાઈ ગયો હતો અને ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયા દરિયો ક્રોસ કરતો હતો, ત્યારે એને પકડી લેવામાં આવ્યો હતો અને શરણાર્થી જેલમાં પૂરી દેવાયો હતો. એની પાસે ટ્રાવેલ ડોકયુમેન્ટ નથી એટલે એ ક્યાં ય જઈ શકે તેમ નથી. ઓસ્ટ્રેલિયામાં દરિયો ક્રોસ કરીને આવતા અનેક શરણાર્થીઓને રોકવા માટે એમને આ માનુસ ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે.

બૂચાની જેવા હજારો શરણાર્થીઓ આ સેન્ટરમાં છે.

બૂચાનીએ આ સેન્ટરમાં રહીને છેલ્લા ૬ વર્ષમાં એની કહાણી લખી છે. એનું નામ છે ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ: રાઈટિંગ ફ્રોમ માનુસ પ્રિઝન’. રસપ્રદ વાત એ છે કે બૂચનીએ આ પુસ્તક મોબાઈલ પર લખ્યું છે. એ પણ ટેક્સ્ટ મેસેજના ફોર્મમાં. બૂચાની રોજ એક નાનકડી ટેક્સ્ટ કમ્પોઝ કરે અને એની પી.ડી.એફ. ફાઈલ બનાવીને વોટ્સએપ પર, સિડની યુનિવર્સિટીના ફિલોસોફીના શિક્ષક મિત્ર, ડો. ઓમીદ તોફિઘીઅનને ફોરવર્ડ કરે. એ મિત્ર એનો પર્શિયન ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કરે. આવી હજારો પી.ડી.એફ. ફાઈલ પરથી આ પુસ્તક તૈયાર થયું છે. એમાં બે વાર તો એનો ફોન પણ જપ્ત કરી દેવામાં આવ્યો હતો.

જેલમાં પુસ્તકો લખાયાં હોય એવા કિસ્સા નવા નથી, પણ આધુનિક સમયમાં જેલમાં મોબાઈલમાં લખાયું હોય, વોટ્સએપ પર એ લખાણ બહાર સ્મગલ થયું હોય, અંગ્રેજીમાં એનો અનુવાદ થયો હોય અને એ પ્રગટ થયા પછી એને સાહિત્યનું પારિતોષિક મળ્યું હોય, એવો આ સૌ પ્રથમ કિસ્સો છે. પુસ્તકની પ્રસ્તાવનામાં અનુવાદક ડો.ઓમીદ લખે છે, "નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ પુસ્તક ઓસ્કાર વાઈલ્ડના ડે પ્રોફન્ડીસ, અન્તોનીઓ ગ્રામ્સીની પ્રિઝન નોટબુક્સ, રે પાર્કિન્સના ઇનટુ ધ સ્મોધર, વોલ સોયંકાના ધ મેન ડાયઝ અને માર્ટીન લ્યુથર કિંગ જુનિયરના લેટર્સ ફ્રોમ બર્મિંગહામ જેલ જેવાં જેવાં જેલ-સાહિત્ય સાથે ગોઠવાય તેવું છે. "

જેલમાંથી સ્કાઈપ (વીડિયો કોન્ફરન્સિંગ) મારફતે બૂચાનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "મેં આ પુસ્તક ફોન ઉપર લખ્યું, તેનું મુખ્ય કારણ એ હતું કે મને જેલના ગાર્ડ્સ અને સત્તાવાળાઓનો ભરોસો ન હતો. એ ગમે ત્યારે અમારા રૂમમાં ઘૂસી આવે અને અમારી ચીજ-વસ્તુઓ લઇ જાય. ૨૯૧૪માં અહીં ધમાલ થઇ હતી ત્યારે તમામ શરણાર્થીઓનો સમાન જતો રહ્યો હતો. સાત મહિના પહેલાં અમને બીજી જગ્યાએ ખસેડ્યા ત્યારે પણ વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. મેં જો કાગળ પર લખ્યું હોત તો એ કાગળો સો ટકા ગાયબ થઇ ગયા હોત."

ગદ્ય અને પદ્યમાં લખાયેલી ‘નો ફ્રેન્ડ્સ બટ ધ માઉન્ટેન્સ’ નવલકથામાં, બેહરૉઝ બૂચાની ઇન્ડોનેશિયાથી બોટમાં બેઠો ત્યાંથી શરૂ કરીને માનુસ ડિટેન્શન સેન્ટરમાં એનો જેલવાસ અને એમાં એને થયેલા અનુભવોની કહાણી છે. એ જેલમાં જે અત્યાચારની જિંદગી એણે જોઈ-અનુભવી હતી, તેનું દર્દ તો આ નવલકથામાં છે, સાથે જ એમાં વૈશ્વીકરણના પડછાયામાં ગરીબી અને શરણાર્થીઓની જે કટોકટી પેદા થઇ છે, તેની પણ વાર્તા છે.

ઓસ્ટ્રેલિયાના સાપ્તાહિક અખબાર, ‘સેટરડે પેપર’માં, એક લેખમાં બૂચાની લખે છે, "આટલાં વર્ષોમાં મેં જોયું છે કે કેવી રીતે કૈદોબંધ અનેક શરણાર્થીઓએ આ ઉજ્જડ આઈલેન્ડ પર દેશનિકાલ અને અત્યાચાર સામે વિરોધ કર્યો છે. મેં લોકોને જીવ ગુમાવતાં જોયા છે. મેં નિયમિતપણે શારીરિક અને માનસિક યાતનાઓ જોઈ છે. અત્યાર સુધી માનુસ જેલની સ્થિતિ વિષે કશું લખાયું નથી."

૩૧મી તારીખે જ્યારે વિક્ટોરિયા પારિતોષિક આપવાનો કાર્યક્રમ હતો, ત્યારે બૂચાની એમાં હાજર ન હતો. એણે સ્વિડીઓ કોન્ફરન્સિંગ મારફતે એનું આભાર-પ્રવચન આપ્યું હતું. એમાં એણે કહ્યું, "છ વર્ષ પહેલાં હું અહીં આવ્યો, ત્યારે એક ઈમિગ્રેશન ઓફિસરે બોલાવીને કહ્યું હતું કે, મને પેસિફિક મહાસાગરમાં આવેલા માનુસ આઈલેન્ડ પર દેશનિકાલ કરવામાં આવશે. મેં એને કહ્યું'તું કે, હું એક લેખક છું. એ માણસ હસ્યો અને મને લઇ જવા ગાર્ડને કહ્યું. હું આ નવલકથા લખતો હતો ત્યારે અને અત્યારે – આ ભાષણ આપું છું ત્યારે પણ – એ દ્રશ્ય મેં યાદ રાખ્યું હતું. એ એક અપમાન હતું. હું જ્યારે માનુસ પર આવ્યો ત્યારે એક સુદૂર જેલમાં લેખક કેવો હોય, તેનું એક ચિત્ર ખડું કર્યું હતું, જે જેલની કાંટાળી વાડો પાછળ, અર્ધનગ્નવસ્થામાં લખતો હોય. વર્ષો સુધી મેં મારા મનમાં આ ચિત્ર રાખ્યું હતું. માણસ તરીકેની મારી ગરિમા અને ઓળખને જાળવી રાખવામાં મને આ ચિત્ર મદદરૂપ બન્યું હતું.

"એનાથી એ સાબિત થાય છે કે અમાનવીય વ્યવસ્થાને પડકારવામાં શબ્દો કામ આવે છે. હું હંમેશાં કહેતો આવ્યો છું કે હું શબ્દો અને સાહિત્યમાં વિશ્વાસ રાખું છું. હું માનું છું કે સત્તાની વ્યવસ્થાને પડકારવા અને બદલવાની સાહિત્યમાં તાકાત છે. સાહિત્યમાં આપણને આઝાદી આપવાની તાકાત છે.

"વર્ષોથી હું જેલમાં છું અને એ દરમ્યાન મારું મગજ શબ્દો પેદા કરતું રહ્યું છે. આ શબ્દો મને સરહદો પાર, દરિયા પાર, અજાણી જગ્યાઓએ લઇ ગયું. હું ખરેખર માનું છું કે શબ્દોની તાકાત આ અહીં, આ જેલની વાડો કરતાં વધુ છે. આ કોઈ સ્લોગન નથી. આ કોઈ આદર્શવાદી માણસનો મત નથી. હું આદર્શવાદી નથી. છ વર્ષથી અહીં આઈલેન્ડમાં કેદ એક માણસના આ શબ્દો છે.”

Loading

જનતા અને ખેડૂતોનું તેલ કાઢતા તેલિયા રાજાઓ !

મનીષી જાની|Opinion - Opinion|3 July 2019

ગયા અઠવાડિયાથી સમાચાર ચમક્યા કરે છે કે હવે સીંગતેલના ડબ્બાનો ભાવ 2,000 રૂપિયા પાર કરી નાંખશે ! છેલ્લાં બે-ત્રણ વર્ષથી 1,500 રૂપિયાની આસપાસ સીંગતેલના 15 કિલોના ડબ્બાનો જે ભાવ હતો, તે દિવસે ને દિવસે વધતો રહ્યો છે અને તેનું કારણ મગફળીના 50% ઓછા વાવેતરનું આપવામાં આવે છે.

અને સાથે સાથે મગફળીને લઈ બીજા એક મહત્ત્વના સમાચાર પણ ગયા અઠવાડિયે જ વાંચવામાં આવ્યા કે ગુજરાતમાંથી 2018-19ના નાણાકીય વર્ષમાં 2,098 કરોડ રૂપિયાની એટલે કે 3.08 લાખ ટન મગફળીની નિકાસ થઈ. દેશમાંથી આ જ વર્ષ દરમિયાન કુલ 4.89 લાખ ટન મગફળીની નિકાસ થઈ તેમાં સિંહફાળો તો ગુજરાતનો જ દેખાઈ રહ્યો છે.

મગફળીની ફસલ અગાઉના વર્ષ કરતાં ઓછી છે એવી વાતો વચ્ચે પણ જોઈએ તો ગયા વર્ષે 2,115 કરોડ રૂપિયાની 3.22 લાખ ટન મગફળી નિકાસ થઈ હતી તેનાં પ્રમાણમાં આ વર્ષે ખાસ ફેર જણાતો નથી જ !

બજાર કહે છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતને મગફળીની નિકાસ કરવાની વધુ તક મળી અને તેનું કારણ સુદાન દેશમાં આંતરિક અસલામત ભરી સ્થિતિ. પ્રમુખને પદભ્રષ્ટ કરી સત્તા પર ચઢી બેઠેલા મિલેટરી જનરલો સામે લોક આંદોલનોને લઈ બજારમાં અસ્થિરતા છવાઈ છે અને તેને લઈ ભારતના માર્કેટને લાભ મળ્યો છે.

આ અગાઉ સુદાન સાથેની નિકાસની હરીફાઈમાં ભારતના મગફળીના ભાવ દબાયા હતા. પણ આ વર્ષે મગફળીના વેપારીઓ માલામાલ થઈ ગયા છે.

વર્ષોના આંકડા તપાસીએ તો જોવા મળે છે કે મગફળીના ઉત્પાદનમાં દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. દેશના કુલ મગફળીના ઉત્પાદનમાં 50%થી વધુ તો માત્ર ગુજરાતમાં જ પાકે છે. અને ગુજરાતમાં પાકતી મગફળીમાંથી તેલ વધુ નીકળે છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આગળ પડતી રહે છે.

આમ તો દુનિયાભરમાં મગફળીના ઉત્પાદનમાં નંબર એક તો ચીન છે, બીજા ક્રમે ભારત છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પાયે મગફળી વેચાવાનું કારણ પીનટ બટરના ઉત્પાદનમાં મગફળીનો વપરાશ છે.

અને આપણા ગુજરાતમાં ખાવાનાં ઉપયોગમાં, ખાદ્યતેલ તરીકે સીંગતેલનું મહત્ત્વ છે.

દેશમાં ઉત્પન્ન થતાં તેલીબિયાંમાં 25% જેટલું ઉત્પાદન મગફળીનું છે. અને ખાદ્યતેલ તરીકે દેશમાં સરેરાશ માથાદીઠ સીંગતેલના વપરાશનું પ્રમાણ 2% જેટલું છે અને ગુજરાતમાં ખાદ્યતેલ તરીકે સીંગતેલ વપરાશનું માથાદીઠ પ્રમાણ 15% થી 20% જેટલું ગણી શકાય.

ગુજરાતમાં જેનું સૌથી વધુ ઉત્પાદન થાય અને ખાદ્યતેલ તરીકે સૌથી વધુ વપરાય તે સીંગતેલના ભાવ સતત વધતા જ રહ્યા છે, અને મગફળીને પકવનારા ખેડૂતોને આ સતત વધતા ભાવનો કેટલો વધુ લાભ સતત મળતો રહ્યો છે એ એક મહત્ત્વનો અને ગૂઢ સવાલ કાયમ બની રહ્યો છે.

સીંગતેલના વધતા ભાવોની ચર્ચા પણ આજકાલની નથી, વર્ષો જૂની છે.

આઝાદી બાદ ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જમીન સુધારણાના કાયદાનો થોડોઘણો વિશેષ લાભ, ખેડે તેની જમીનને લઈ ખેડૂતોને મળ્યો. અને સિંચાઇની વ્યવસ્થા વધતાં જતાં રોકડિયા પાકમાં મગફળી એ ખેડૂતોને સમૃદ્ધ કર્યા એ ય હકીકત.

પણ પછી સરકાર અને બજારની મીલીભગતને લઈ મગફળીના ભાવ ને સીંગતેલના ભાવ એ જાણે કે અર્થકારણ ને રાજકારણની રમત બની ગયા !

મને યાદ છે એક જમાનાના, 1957ના મહાગુજરાત આંદોલન વખતના પ્રખર વક્તા, યુવા સમાજવાદી નેતા અને પછીથી કૉન્ગ્રેસના નેતા સનત મહેતા 1969-70ના સમયમાં વડોદરામાં જ્યારે મોંઘવારી વિરોધી જનસભાઓમાં ભાવુક થઈ ને ભાષણો કરતાં કહેતા કે "સીંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે … આજે એવો સમય આવ્યો છે કે મારી બહેનોને, ગુજરાતની બહેનોને હવે સીંગતેલનાં બદલે પોતાનાં આંસુઓથી લોટ બાંધવાનો વખત આવ્યો છે …. ! … ટીપું તેલ ખરીદવું ય હવે દોહ્યલું થઈ ગયું છે ..!"

વિધિની વિચિત્રતા એવી બની કે ત્યાર બાદના ગાળામાં જ કૉન્ગ્રેસ સરકારમાં, 1972માં મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે સીંગતેલના ભાવ વધારા મુદ્દે લડત ચલાવનારા સનત મહેતાને જ પુરવઠા ખાતાના પ્રધાન બનાવ્યા ! અને સીંગતેલના ભાવ તો વધતા જ ગયા !

1972 ડિસેમ્બર માસમાં એક કિલો સીંગતેલના ભાવ 4.50 રૂપિયા હતા અને તે 1973ના ડિસેમ્બરમાં 9.50 રૂપિયા થઈ ગયા !

આ સીંગતેલ-ખાદ્યતેલો અને અન્ય અનાજ-શાકભાજીના બેફામ ભાવ વધારાને લઈને જ પછી વિદ્યાર્થીઓ અને જનતાનું મોંઘવારી વિરોધી, નવનિર્માણ આંદોલન 1974નાં આરંભે જ ઊભું થયું જેને રોટી રમખાણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સૌ કોઈ જાણે જ છે.

વરસાદ સારો થયો હતો, દુકાળ કે અતિવૃષ્ટિનું વર્ષ ન હતું છતાં ય અસહ્ય 100%થી પણ વિશેષ ભાવ વધારાને લઈ તે સમયના મુખ્યમંત્રી 'ચીમન ચોર' તરીકે ગુજરાતની જનતામાં વ્યાપકપણે ઓળખાયા.

સીંગતેલનો ભાવ વધારો જે રીતે થતો રહ્યો તેને લઈ ખાદ્યતેલ તરીકે તેનો વપરાશ પણ ઓછો થતો ગયો અને પામોલિન, કપાસિયા, વનસ્પતિનાં તેલ, સીંગતેલના પ્રમાણમાં સસ્તાં તેલોનો વપરાશ ગુજરાતમાં વધતો ગયો.

અલબત્ત, એક જમાનામાં ગુજરાતના મધ્યમવર્ગના લોકોમાં તલનું તેલ ખવાતું અને સીંગતેલને નિમ્નકક્ષાનું તેલ ગણવામાં આવતું. અને હવે જેના 15 કિલોના ડબ્બાનો ભાવ 1970થી વધુ થઈ ચૂક્યો છે તે સીંગતેલ ઉચ્ચ મધ્યમવર્ગના લોકો માટે જ જાણે કે હોય એવું બની રહ્યું હોય તેવું જણાય છે.

આમ સીંગતેલ તો સુખ સંપન્ન લોકો માટે જ મર્યાદિત થતું જાય છે ત્યારે સવાલ તો થાય જ કે સીંગતેલ જેમાંથી તૈયાર થાય છે તે મગફળી ઉગાડનારા ખેડૂતો સુખી સંપન્ન કેમ ના થયા ?

આ ના સમજાતા ગણિતને બજારને આધિન અને રાજકીય બાબત જ ગણવી રહી ને ?

સૌને બે વર્ષ પૂર્વેની વાત યાદ જ હશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મગફળીનો મબલખ પાક થયો હતો અને વેપારીઓ ખેડૂતોને 20 કિલો મગફળીના 700 રૂપિયા આપવા પણ તૈયાર ન હતા. મહેનત અને ખર્ચાના પ્રમાણમાં યોગ્ય ભાવ મળે તેની રાહમાં ખેડૂતોએ મગફળી ઘરમાં સાચવીને બેસી રહ્યા ત્યાં તો બીજી સીઝનની મગફળી ખેતરમાં તૈયાર થવા માંડી હતી. ખેડૂતો મૂંઝવણમાં ચિંતાતુર બન્યા.

છેવટે સરકારે અગાઉના વર્ષ કરતા 200 રૂપિયા વધારી ક્વિન્ટલે 4,500 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો. 20 કિલોના 700ને બદલે 900 રૂપિયા થતાં ખેડૂતોની લાઈનો લાગી ગઈ. સરકારી તંત્રો પાસે મગફળી ભરવા શણના કોથળા પણ પૂરતાં ન હતા અને ગોડાઉનો ય હતાં નહીં.

પછી જ્યારે અમરેલી પાસેનાં એક ગોડાઉનમાંથી સરકારે ખરીદેલી મગફળી વેપારીને વેચવા કાઢી ત્યારે એક મોટું કૌભાંડ બહાર પડી ગયું ..!

ગુણોમાં ઓછી મગફળી ભરેલી હતી અને વજન બતાવવા તેમાં ધૂળ અને કાંકરા ભરેલાં જોવા મળ્યા !

અને ગામેગામ આ અંગે બૂમો ઊભી થાય ને ઓછી મગફળીના વધુ નાણાં અરસપરસ વહેંચી ખાવાનું આ કૌભાંડ બંધ બારણે જ પતી જાય એટલે એક પછી એક, ચાર જ મહિનામાં વિવિધ જગ્યાએ આવેલાં પાંચ મગફળીના ગોડાઉનોમાં આગ લાગેલી જોવામાં આવી. જ્યાં સી.સી.ટી.વી. કેમેરા ન હતાં તેવાં જ ગોડાઉનોમાં આગ લાગી ! વળી આ ગોડાઉનો એવાં હતાં જ્યાં વીજળીના કનેક્શન ન હતાં જેથી એવું બહાનું પણ કાઢી શકાય એમ નથી કે શોર્ટસર્કીટથી આગ લાગી હતી !

મીડિયામાં હોહા થઈ, તપાસની વાતો થઈ. નાફેડ દ્વારા, જેમને મગફળી ખરીદવાનું સોંપાયું હતું તે સરકારી તંત્રોના મેનેજર કક્ષાના વ્યક્તિઓની ધરપકડ થઈ પણ છેવટે આ આગના ભ્રષ્ટાચારના ભડકા ચૂપચાપ હોલવાઈ ગયા ..!

આ પાંચ જગ્યાઓએ લાગેલી આગમાં કુલ આશરે દસેક હજાર ટન મગફળી બળીને ખાખ થઈ ગઈ !

જનતાના ટેક્સના નાણાં ગટર થઈ ગયા ! ખેડૂતોની મહેનતની ફસલ ધૂમાડો થઈ ગઈ !

આ ભ્રષ્ટાચાર તો થયો તે ઉપરાંત ખેડૂતોની બધી મગફળી તો ના જ વેચાઈ ! અને જે વેચાઈ તેનાં સમયસર નાણાં તો ના જ મળ્યાં અને તેમાં ય કમિશનો ખવાયાં તેની વ્યથાની કથાઓ તો કોઈ એ સાંભળી જ નહીં !

"વાવણી ઓછી થઈ એટલે ભાવ વધ્યા કે વધશે, આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફ વધ્યા એટલે ભાવ ઘટ્યા, ફસલ વધુ થઈ એટલે કોઈ ખરીદનાર નથી, બજારમાં તેજી આવી તો માલની અછત છે એટલે ભાવ વધ્યા !" – આવી બહાનાબાજી તો વર્ષોથી મગફળી – સીંગતેલ, દાળ-કઠોળ, ડુંગળી-બટાકાના ભાવ તાલમાં આપણે સાંભળ્યા કરીએ છીએ અને વરસોવરસ મોંઘવારીનો માર જનતા સહન કર્યા જ કરે છે.

જ્યારે જ્યારે ભાવ વધે ત્યારે નક્કી – સ્ટાન્ડર્ડ બહાનાબાજી સાથે સરકાર; વેપારીઓની સાથે, બજારની સાથે રહી લોલંલોલ જવાબો આપ્યા કરે એ હવે કાયમી વાત બની ચૂકી છે. મીડિયા અને લોકોમાં ખૂબ હોહા થાય કે ચૂંટણી ટાણું હોય તો ટેકાના ભાવ જાહેર કરી દે ! પણ આ ટેકાના ભાવ કોને અને કેટલા ખેડૂતોને મળશે કે મળ્યો તેની વાત તો ક્યાં ય આવતી કે દેખાતી નથી. ખાદ્યાન્ન કે ખાદ્યતેલને લઈ સંગઠિત બુમરાણ મચે તે સમયે સરકારી જાહેરાત કરવાની પછી કોણ ક્યાં પૂછે કે પેલા ખેડૂતો ટ્રેક્ટર ભરીને, ટ્રક ભાડે કરીને પાક વેચવા ગયા તો તેમનો માલ કોણે અને કેટલો લીધો ?

આપણે ત્યાં ખાદ્યાન્ન, તેલીબિયાં અને શાકભાજીના ગોડાઉનો મોટાપાયે ખાનગી છે. સરકાર ટેકાના ભાવે ખરીદે અને જો આ ગોડાઉનોના માલિકોને વેપારીઓ સાંઠગાંઠ કરી ના ખરીદે તો એ માલ ક્યાં નાંખવાના ? કે પછી ખરીદી બંધ કરી દેવાની ?

આવા તીખા સવાલોના જવાબ કોઈની પાસે નથી.

અત્યારે આજની તારીખે નાફેડ પાસે પાંચ લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદેલી પડી છે અને છતાં ય બજાર બૂમો પાડે કે આ વર્ષે વાવેતર ઓછું છે એટલે સીંગતેલના તેલના ડબ્બાના ભાવ 2,000 રૂપિયા વટાવી જશે. એ વાત કેટલી વાજબી ? બજાર ભાવ વધારી નાંખે ને સરકાર ચૂપ રહે એ પણ કેવી વાત ?

જવાબો વગરના સવાલો ઘણા છે.

અને આપણે ત્યાં 'વિકાસ'ના કામોની દિશા પણ નક્કી જ છે.

આપણે ત્યાં ટ્રાફિકની સમસ્યાઓને લઈ જ્યાં ને ત્યાં રોડ ફટાફટ મોટા થતાં રહે છે, તેના પર રાતોરાત ઓવરબ્રિજો બની જાય છે, પરંતુ ખેડૂતોને મદદરૂપ થવા ગોડાઉનો ને કોલ્ડ સ્ટોરેજ બનતાં નથી. ક્યાંક ગોડાઉનો સરકારે બનાવ્યા હોય અને તેનાં ઉદ્ઘાટનો પ્રધાનોના હાથે થયા હોય એવા સમાચાર ક્યારે ય વાંચવા કે ટીવી પર જોવા નથી મળતા તેનો ભારે અફસોસ વ્યક્ત કરવો રહ્યો ! તમે એવા કોઈ સમાચાર વાંચ્યા કે ટીવી પર જોયા છે ?

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 03 જુલાઈ 2019

Loading

...102030...2,7552,7562,7572,758...2,7702,7802,790...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved