Opinion Magazine
Number of visits: 9684457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૈંગિક સમાનતાઃ આદર્શ અને હકીકત

દિશા ગોસ્વામી, દિશા ગોસ્વામી|Opinion - Opinion|17 August 2019

ભારત દેશમાં બહુવિધ ક્ષેત્રે દ્વિમુખીપણું જોવા મળે છે. આ દેશમાં ભૂવાડાકલામાં માનવાવાળા અને ડિજિટલ બંને સ્તરના મતદારો છે. એઇમ્સની અદ્યતન સારવારની અપેક્ષા ધરાવતો વર્ગ પણ છે, તો બીજી બાજુ ડામથી દર્દ દૂર કરાવવાળો વર્ગ પણ છે. આ એવો દેશ છે, જેમાં યાતના વેઠી સંઘર્ષ કરનાર મહિલાઓ પણ અન્ય મહિલાઓ કે અન્ય વર્ગનું શોષણ પણ કરે છે. શ્રેષ્ઠતમ અને કનિષ્ઠતમ બંને એકસાથે એક જ સ્થળે જોવા મળે એવો આ ભારતદેશ છે.

આપણા દેશમાં વિકાસનો વાયરો ફૂંકાતો થયો છે, ત્યારથી એક એવી આશા બંધાઈ છે કે હવે આપણા દેશમાં ‘ટકાઉ વિકાસ – માનવ વિકાસ – સર્વસમાવિષ્ટ વિકાસ’ ઝડપથી આકાર પામશે. આમ, સામાન્ય સંજોગોમાં આપણે એવું માની લઈએ છીએ કે વિકાસનો મહત્તમ લાભ આપણા દેશમાં બહેનોને પણ પ્રાપ્ત થાય છે, તેઓ કારણ કે પર્યાવરણની મર્યાદાઓનો મહત્તમ ભોગ તેઓ બને છે. માનવ વિકાસની શિથિલતામાં મહિલા કારણભૂત બને છે, તો સર્વ સમાવેશનના બધા જ પ્રયાસોમાં મહિલાઓ વિશેષ ધ્યાન ખેંચે છે.

તાજેતરમાં ૪થી જૂને વાનકુંવર ખાતે યોજાયેલ વિમેન્સ ડિલિવર કૉન્ફરન્સમાં વિશ્વના ૧૨૯ દેશોના અભ્યાસના આધારે તૈયાર કરાયેલ ‘લૈંગિક સમાનતા’ – અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. આ અહેવાલમાં ટકાઉ વિકાસના સંદર્ભમાં મહિલાઓને સ્પર્શતાં જે વિવિધ ચલ-પરિમાણો છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેના આધારે જે તે દેશમાં પુરુષની સરખામણીમાં મહિલાઓનું ચિત્ર તપાસવામાં આવે છે. આ માટે કુલ ૧૦૦માંથી ગુણ આપવામાં આવે છે. ધારો કે શિક્ષણમાં ૫૦ મહિલા અને ૫૦ પુરુષોનું સપ્રમાણ હોય, તો શિક્ષણનો આંક બરાબર ગણાય છે. તેવી જ રીતે બીજાં ચલ પરિમાણોનું માપન કરવામાં આવે છે. હમણાં જ ભારતમાં મહિલા અને બાળકલ્યાણમાં મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની બિરાજમાન થયાં છે, ત્યારે તેઓને માટે આ અહેવાલ મોટો પડકાર બને છે કેમ કે આ અહેવાલ મુજબ ભારતને ૧૦૦માંથી એકંદરે ૫૬.૨૦ ગુણ મળે છે. આ ગુણ પ્રમાણે વિશ્વના ૧૨૯ દેશમાં ભારત ૯૫મા ક્રમે આવે છે. ખાસ નોંધનીય બાબત તે છે કે ચીન, રવાન્ડા અને ભુતાન જેવા દેશો પણ ભારત કરતાં સારો દેખાવ ધરાવે છે. આપણે એ પણ ભૂલવું જોઈએ કે માનવ વિકાસમાં ૧૭૮ દેશોમાં ભારત ૧૨૪મા ક્રમે છે. વિશ્વના મહત્તમ આર્થિક વૃદ્ધિ ધરાવતા પ્રથમ ત્રણ દેશોમાં ભારત આવે છે પણ લૈંગિક સમાનતા કે માનવ વિકાસમાં ભારત ઘણું પાછળ છે.

લૈંગિક સમાનતાને ચકાસવા માટે મુખ્ય આરોગ્ય, ઘરેલુ હિંસા, હવામાન-પરિવર્તન, ડિસન્ટ વર્ક, વગેરેની ચકાસણી કરવામાં આવે છે. એકંદરે ૧૦૦ સ્કોરમાં સમગ્ર વિશ્વમાં સરેરાશ સ્કોર ૫૫.૭ નોંધાયો છે. આ અહેવાલનાં મુકરર ધોરણો મુજબ જો સ્કોર ૬૦થી નીચો હોય, તો લૈંગિક સમાનતામાં એવા દેશો ખૂબ નબળા ગણાય છે અને ૭૦થી નીચે સ્કોર હોય તો નબળા દેશો ગણાય છે.આ સંદર્ભમાં અહેવાલ નોંધને ધ્યાનમાં લઈએ, તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં ભૂતકાળ કરતાં વર્તમાનમાં ભારતમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે, પરંતુ આમ હોવા છતાં શિક્ષણના સંદર્ભમાં ભારતની સરખામણીમાં અન્ય દેશો વધુ સુધારો કરી શક્યા હોવાનું સૂચવે છે. શિક્ષણના સંદર્ભમાં ભારતનો ક્રમ પ્રમાણમાં પાછળ ગયો છે. આ સંદર્ભમાં છેલ્લા અહેવાલ મુજબ ભારતની સરખામણીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ વધુ સારો સુધારો થયો છે. અલબત્ત પાકિસ્તાન અને બાંગ્લાદેશ લૈંગિક સમાનતામાં ભારત કરતાં પાછળ જોવા મળે છે. આજના સંદર્ભમાં અહેવાલમાં દર્શાવ્યા મુજબ શિક્ષણ અને એકંદર લૈંગિક સમાનતામાં દક્ષિણ એશિયાના દેશો વિશેષ પાછળ છે અને તેમાં પણ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણ દેશોમાં ૧૮.૬૨ કરોડ કન્યાઓ પ્રાથમિક-માધ્યમિકમાં જતી હતી. જે એશિયાઈ દેશોના કુલ દેશોમાં ૫૨% હિસ્સો ગણાય છે.

સમગ્ર વિશ્વમાં લગભગ ૯૦ના સ્કોર સાથે ડેન્માર્કે સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ ફિનલૅન્ડ સ્વિડન નૉર્વે અને નેધરલૅન્ડનો સમાવેશ થાય છે. આ સમગ્ર અભ્યાસ મુખ્યત્વે equal measures ૨૦૩૦ અને એશિયા પેસિફિક રિસોર્સ-રિસર્ચ સહિતની સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. નોંધનીય હકીકત એ પણ છે કે છેલ્લા ૧૧ વર્ષથી પ્રસિદ્ધ થતા આ અહેવાલમાં દુનિયાના એક પણ દેશમાં કાયદો જાહેર નીતિ કે અંદાજપત્રીય સમાવેશનમાં મહિલાઓ પુરુષના સપ્રમાણ ક્યારે ય જોવા મળેલ નથી.

વડા પ્રધાન પાડોશી રાષ્ટ્રોના સાથેના સંબંધો બાબતમાં વધુ ચિંતિત જોવા મળે છે. ત્યારે એ ઉલ્લેખનીય છે કે લૈંગિક સમાનતાનો આંક ચીનમાં ૬૪.૭, શ્રીલંકામાં ૬૨.૧ અને ભુતાનમાં ૫૮.૨ નોંધાયો છે. જે સ્કોર ભારતમાં ૫૬.૨૦ નોંધાયો છે, તેની સરખામણીમાં બાંગ્લાદેશ ૪૯.૨ અને પાકિસ્તાન ૪૮.૯નો સ્કોર ધરાવે છે.

અહેવાલમાં નિર્ધારિત ધોરણો મુજબ ભારત સહિતની લગભગ ૨.૮ અબજ બહેનો લૈંગિક સમાનતાના સંદર્ભમાં ખૂબ નબળાની શ્રેણીમાં આવે છે.

ભારતમાં લૈંગિક સમાનતાના સંદર્ભમાં વિવિધ નિર્દેશકોનું ચિત્ર તપાસીએ, તો સૌથી વધુ સારો સ્કોર આરોગ્યમાં ૭૯.૯ નોંધાયો છે. ભૂખમરો તથા કુપોષણમાં ૭૬.૨ અને ઊર્જામાં ૭૧.૮નો સ્કોર નોંધાયેલ છે. જ્યારે વિકાસમાં એકંદર સહભાગીદારીમાં સ્કોર સૌથી ઓછો ફક્ત ૧૮.૨નો જોવા મળ્યો છે. આ સિવાય ઔદ્યોગિક ક્ષેત્રમાં ૩૮.૩ તથા હવામાન-પરિવર્તનમાં ૪૩.૪નો સ્કોર નોંધાયો છે.

ભારતમાં ૧૮-૨૫ વર્ષની પરણિત કે અપરિણીત મહિલાઓમાં સર્વેક્ષણકૃત મહિલાઓની ૪૭% બહેનો ઘરેલુ હિંસા માટે સંભવતઃ એમની પોતાની જ જાતને જવાબદાર ગણાવે છે. આ સંદર્ભમાં સર્વેક્ષણકૃત ૧૫ વર્ષની દીકરીઓ પૈકી ૬૯% દીકરીઓને મુક્ત રીતે હરવાફરવા માટે એકંદરે સલામતીનો સંતોષ અનુભવ્યો છે.

પ્રશ્ન આંકડા અંગે સંતોષ કે અસંતોષનો નથી. આ પ્રકારનાં સર્વેક્ષણોમાં પણ હજી તળિયા સુધીનું વાસ્તવિક ચિત્ર ઓછું આવે છે. દા.ત. ભારતમાં ૧૭મી લોકસભામાં કુલ ૫૪૨ સભ્યો પૈકી ૭૮ મહિલા સભ્યો છે. તે આંક અગાઉની લોકસભાઓ કરતાં ચોક્કસ વધુ છે, પણ ટકાવારી પ્રમાણ ઘણું ઓછું છે. ભારતના નવા મંત્રીમંડળમાં મહિલાઓનું પ્રમાણ અગાઉના મંત્રીમંડળમાં જે હતું, તેના કરતાં સૌથી ઓછું છે. ૨૫-૪૦ વર્ષના કુલ ૬૪ સંસદસભ્યો છે. પણ તેમાં મહિલા સંસદસભ્યો ૨૦ છે. શ્રમ ભાગીદારીના આંકડાઓ પણ મહિલાઓ પાછળ હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તેથી આ અહેવાલ કરતાં પણ લૈંગિક સમાનતાના સંદર્ભમાં આપણું ચિત્ર થોડું વધારે નબળું હોવાની સંભાવના છે. આપણા દેશમાં મહિલાઓના સ્થાન સંદર્ભે પણ આપણે સગવડિયા કર્મકાંડમાં સંતોષ માનીએ છીએ. વિકાસદરની પ્રાપ્તિમાં આપણા દેશમાં મહિલાઓનો સાધન તરીકે જેટલો ઉપયોગ થાય છે, તેની સરખામણીમાં વિકાસનો લાભ મહિલાઓમાં રૂપાંતરિત ખૂબ ઓછો થાય છે, એટલે કે નારીસમાનતાની મંઝિલ ભારત માટે હજી ઘણી દૂર છે.

અધ્યાપક સહાયક (અર્થશાસ્ત્ર), તોલાણી કૉલેજ ઑફ આટ્‌ર્સ એન્ડ સાયન્સ, આદિપુર, કચ્છ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 18-19

Loading

મળતાં મળે એવા મિત્ર

હરિકૃષ્ણ પાઠક|Opinion - Opinion|16 August 2019

વિશ્વાસ નથી પડતો કે શું લખીશ, કેમનું લખીશ!

પ્રકાશ ન. શાહ અને દિલીપ ચંદુલાલ સાથેની મારી મિત્રતા (અને મારી પાત્રતા) વિશે કોઈને પ્રશ્નો હોઈ શકે. મને પણ છે. પરંતુ મારી પાસે તેનો ઉત્તર પણ છે. પ્રકાશભાઈ ઇન્ટર આટ્‌ર્સમાં નાપાસ થયેલા, હું ઇન્ટર સાયન્સમાં. દિલીપ સાયન્સ છોડીને અર્ધેથી છોડીને – આટ્‌ર્સમાં દાખલ થયેલા, પ્રકાશના લાભાર્થે, અને મેં મારો અભ્યાસ જારી રાખ્યો ને બી.એસસી. થયો પાસ ક્લાસ. આ ઉપરાંત અમારો ત્રણેનો રસ સાહિત્ય અને કલામાં. આવા સુયોગને કેમ નકારી શકાય? ૧૯૬૨ની સાલમાં સચિવાલયની જુનિયર મદદનીશની ભરતી માટે જી.પી.એસ.સી.ની જે પરીક્ષા લેવાઈ તેમાં ઉત્તીર્ણ થઈ તાલીમ માટે અમદાવાદ આવવાનું થયું, અને ગુરુકુળ સોનગઢથી વિજ્ઞાન શિક્ષકની સેવા છોડી હું અમદાવાદ આવ્યો. તાલીમના સમયે અને પછી યે થોડો વખત મારાં બહેનને ત્યાં રહેલો.

માત્ર ૨૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપેલી. તેમાંથી ૪૦ જેટલા પાસ થયેલા. તેમાં ત્રણ અગ્રક્રમે આવનારમાં પ્રથમ દિલીપ ત્રિવેદી, બીજા ક્રમે કોઈ શુક્લ અને ત્રીજા તે આ પાઠક. સિવિલ હૉસ્પિટલથી આગળ (મેન્ટલ હૉસ્પિટલની સામે) અમારી તાલીમ શાળા એ.ટી.એસ. (એડમિનિસ્ટ્રેટિવ ટ્રેઇનિંગ સ્કૂલ) હતી. ત્યાં જે મિત્રોનો સંગ થયો તેમાં દિલીપ ત્રિવેદી, હસમુખ પટેલ, જિતેન્દ્ર જાની વગેરે ઉક્ત પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે આવનારને ત્રણ અગ્રિમ ઈજાફા મળશે તેવો હુકમ તે સમયે થયેલો. પરંતુ સરકારી અર્થઘટન એવું થયું કે પ્રથમ ત્રણ ક્રમે આવવાના ઇરાદા સાથે અમે પરીક્ષા નહીં આપેલી તેથી અમને ન મળે, પછીની પરીક્ષામાં તે લાગુ થશે! પછીની પરીક્ષામાં પ્રતિજ્ઞાપૂર્વક, નિશ્ચયપૂર્વક પ્રથમ ક્રમે આવનાર સનત ભટ્ટ અમારી મિત્રમંડળીમાં સામેલ થયેલા, ત્યારથી તે આજ પર્યંત. એ.ટી.એસ.ના ડાયરેક્ટર એ.એસ. ગિલ મહેસૂલ વિભાગના સચિવપદે હતા. ક્યારેક ક્લાસ લેવા આવે. કોઈ વિષય પર નહીં, એકંદરે વહીવટની વાતો કરે. એકવાર અમારે તાલીમાર્થીઓને તેમની ચેમ્બરમાં મળવાનું થયું. જામનગરથી આવેલ એક ઉમેદવાર ટેબલ પર હાથ ટેકવીને સહેજ નમીને કશુંક પૂછવા ગયા ને સાહેબે કહ્યું : Stand up straight and button your shirt. સનદી અધિકારીનો પ્રથમ પરિચય તે આ. મને લાગે છે તેઓને તાલીમમાં એવો મંત્ર ભણાવાતો હશે કે બને તેટલા અતડા રહેવું, અક્કડ રહેવું.

અમારી બેચ(સી-૪)ના ત્રણ મિત્રોની નિમણૂક મહેસૂલ વિભાગમાં થઈ. તેમાં મને અછત રાહતની એસ-બ્રાંચમાં, સાથે હસમુખભાઈ. અમારી નિમણૂકથી શાખામાં કામચલાઉ બઢતીથી જુ. મદદનીશ એવો બે જણનું રિવર્ઝન થયું. એક કલાર્ક તરીકે શાખામાં રહ્યા ને બીજાં એક બહેનને બહાર જવાનું થયું. તેથી સેક્શન અધિકારી થોડા નારાજ રહેતા. પણ પછી બધું ઠરીઠામ થઈ ગયું.

દિલીપ ત્રિવેદીને જે શાખામાં નિમણૂક મળી તેના સક્ષમ અધિકારી રમૂજનાં મિમિત્તો પૂરાં પાડે તેવા હતા. કોઈ કેસમાં કશું પૂર્વદૃષ્ટાંત છે કે કેમ, અને આમાં શું કરવું તે જાણવા તેમણે સાહેબને પૂછ્યું. ઉત્તર મળ્યો. આવા એક કેસમાં એક મામલતદારને ભરાવી દીધેલો ને બીજા કેસમાં એક ડેપ્યૂટી કલેક્ટર ભરાઈ પડેલો! ટૂંકમાં, થોડું શીખવા મળ્યું. …

હવે થોડું અલપ ઝલપ.

દિલીપને ત્યાં ‘સંસ્કૃતિ’, ‘ટાઈમ્સ’ અને અન્ય સામયિકોમાં ‘કુમાર’ પણ આવે. ચિત્રકલાના રસને કારણે મેં સોનગઢથી ‘કુમાર’નું લવાજમ ભરેલું તેથી તેમના ઘરે આવતો જતો રહું. મેં અમદાવાદમાં ઘર શરૂ કર્યું. હું, ચંદ્રિકા અને દીકરી કલ્પના. દિલીપભાઈને ત્યાં હરબાળા, નાનકડી નીના અને તેમના પિતાશ્રી ‘ભાઈ’ અને માતા શશીબા. સંબંધ પારિવારિક થયો. ચંદ્રિકા તેમને રાખડી બાંધે, હરબાળાને હું ભાભી કહું.

૧૯૬૩થી ૧૯૭૦ (ગાંધીનગર આવવાનું થયું, ત્યાં સુધી) સાત વર્ષો અમારા મિત્રમંડળે ભરચક મજા કરી. ‘પ્રકાશ’ બંગલામાં દિલીપભાઈ સાથે જ ગયેલો, કંઈક સંકોચ સાથે. પણ પછી જીવ હળી ગયો. મંડળીના બીજા સભ્યોમાં હરીશ પટેલ, મહેન્દ્ર જાની – વંદના જાની, વચગાળામાં અજય પાઠક, રંજન પાઠક અને અલપઝલપ માધવ રામાનુજ. માધવનાં લગ્ન પછી ‘રિસેપ્શન’ પણ ‘પ્રકાશ’માં જ કરેલું.

દર શનિવારે જુદે જુદે ઘેર મંડળી મળે. એકવાર ચાની તલપ લાગી તો છેક ભદ્રની હેડ પોસ્ટ ઑફિસ પાસે ચા મળી, રાત્રે ૧૨-૩૦ પછી. આવી રાત્રિ લટારો પણ થતી. સાથે મહિલાઓ પણ હોય. અમદાવાદ ત્યારે સલામત હતું. સંભવતઃ લોકસભાની કોઈ ચૂંટણીપ્રસંગે કાળુપુર કે શાહપુરના કોઈ ચોકમાં બાજપાઈજીને સાંભળેલા એ આજે ય યાદ આવે છે. સાંસદના પદની પૂરી ગરિમા જાળવીને એ રાજપુરુષે જે પ્રવચન કરેલું તેવી ગરિમા પછીથી અળપાતી રહી છે. છેલ્લાં વર્ષોમાં તો ખાસ ‘કુમાર’માં બુધસભા ચાલે છે તેની ભાળ આ મિત્રો પાસેથી મળી અને પહેલી વાર દિલીપભાઈના સ્કૂટર ઉપર ત્યાં ગયેલો (ડિસેમ્બર ૧૯૬૫માં). એ સમયે બે મિત્રો પાસે સ્કૂટરનો વૈભવ હતો – દિલીપભાઈ અને ધીરુભાઈ પરીખ. ગુજરાતને જેવો છું તેવો કવિ હું મળ્યો તેનો યશ આ મિત્રોને ય દેવો પડે ! મહેન્દ્ર-વંદના જાનીના સહજીવનની શરૂઆત. તેમને ત્યાં રાત્રે મળ્યાં. અપૂર્વ ત્યારે નાનો. હરબાળાને પજવ્યા કરે. ડોકમાંથી કંઠી ખેંચવા લાગ્યો. હરબાળાએ કંઠી કાઢીને કંટાળીને બાજુમાં મૂકી. ચંદ્રિકાએ સ્ત્રીસહજ ભાવે તે પહેરી જોઈ – કેવી લાગે છે તે જોવા – ને કંઠી ત્યાં જ રહી. રાત્રે છૂટાં પડીને ઘેર ગયાં તો ત્યાં, કંઠી ક્યાં ભુલાઈ તેની ચિંતા ને અમને તે ભૂલથી આવી ગયાન્તે ક્ષોભ અને ચિંતા. અમારી વાતચીત સાંભળી મારા પિતાશ્રીએ કહ્યું કે કોઈની જણસ ભૂલથીયે આવી ગઈ તો તરત આપી દેવી પડે. સવારમાં આપી આવજે. દિલીપ-હરબાળાએ મહેન્દ્રભાઈને તેમની કૉલેજમાં ફોન કરી પૂછ્યું તો તેઓ તો સવારથી નીકળી ગયેલા કહે : અમે તો નોકરને ચાવી આપીને આવ્યાં છીએ. સાફસૂફી કરી ગયો હશે! ફાળ પડવી સહજ હતી હરબાળા આગ્રહ કરે કે પાઠકને ત્યાં જઈ આવો, પણ દિલીપ કેમેય ન માનેઃ એમ કોઈને ત્યાં ન જવાય!

ત્યાં તો હું જ સાઇકલ પર ત્યાં પહોંચી ગયો. હરબાળાની આંખમાં ચમક આવી ગઈ. મેં કહ્યું : ભાભી, સરસ કૉફી બનાવો. અહીં દિલીપભાઈનું જે ચરિત્ર જોયું તે અથરા ન થઈ જવું, માણસમાં વિશ્વાસ રાખવો – એવું તેમનું મનોગત મને કાયમ જણાયું છે. જો કે માણસને ઓળખવામાં ભૂલ ક્યારે ય ન કરે. નિભાવીયે લે. અમદાવાદથી પાવાગઢનો એક યાદગાર પ્રવાસ કરેલો. ૧૯૬૯માં અમદાવાદમાં કોમી હુલ્લડ ફાટી નીકળેલું હજુ પરિસ્થિતિ થાળે નહોતી પડી ત્યરે આ પ્રવાસ કરેલો. દિલીપ-હરબાળા પ્રકાશ-નયના, મહેન્દ્ર-વંદના, હરીશ પટેલ – કુસુમબહેન અને અમે બંને. ત્રણ દીકરીઓ – કલ્પના, ઉમા, કાલિન્દી સાથે દરેક પરિવારદીઠ ભાડાનું અને અન્ય સવલતો માટેનું ખર્ચ ગણીને લેવાનું આર્થિક વ્યવસ્થા કરવાનું કામ દિલીપભાઈએ માથે લીધું. પરિણામ એ આવ્યું કે બસ પ્રવાસ તો કર્યા, માંચીમાં રાતવાસો કર્યો, પાવાગઢ ચડ્યાં, માતાજીના દર્શન કર્યાં, ને ખાધું-પીધું ને રાજ કર્યું ત્યાં મૂડી ખલ્લાસ! દરેકે પોતાનાં ખિસ્સાં ફંફોસીને હતી તે રકમ આપી, પણ પર્યાપ્ત ન હતી. હરીશ પટેલ કહેઃ દિલીપ પાસે બેલેન્સ નથી. પ્રકાશે અર્થઘટન કર્યું : દિલીપનું બેલેન્સ નથી! … પણ પટેલને ત્યાં પણ કોઈ ઓળખાણ મળી ગઈ. હાથ ઉછીનાં નાણાં લીધાંને અમે બધાં ઘર ભેગા થયાં. મહેન્દ્ર વંદના નવાં પરણેલાં તેથી તેમને ત્યાં રોકાવા માટે થોડાં વધારે નાણાં ધીર્યાં.

મિત્રોનો અભિપ્રાય છે કે દિલીપભાઈનું અર્થકારણ આવું જ રહ્યું છે. પણ એને હું અલગ રીતે જોઉં છું. જ્યારે જે પરિસ્થિતિ આવે તેમાં ભૌતિક મમત્વ કે વળગણ ન રાખવું, ને કઈ રીતે પ્રશ્ન ઉકલે તેનો બુદ્ધિગમ્ય ઉપાય કરવો એવો તેમનો અભિગમ અને આમાં તેઓ સર્વથા સફળ અને સાચા રહ્યા છે. રહેવાની રીતભાત ક્યારેય બદલી નથી. સનતભાઈ અને હું એક વાતે સંમત છીએ કે તેમનામાં એક એરિસ્ટોક્રેટ હતો, સચ્ચાઈપૂર્વક સમજણો અને પ્રામાણિક. બૌદ્ધિક અભિગમ એ તેમનો સ્થાયી ભાવ. પણ હૃદયથી પૂરા સંવેદનશીલ. આંધળો વિશ્વાસ મૂકી શકીએ એવા સજ્જન.

એક બીજો પ્રસંગ પણ યાદગાર છે. મારી ડાયરીની નોંધ પ્રમાણે સં. ૨૦૨૩(૧૯૬૭)ની શિવરાત્રીએ તેમણે ભાંગનો પ્રોગ્રામ કર્યો. તેનો રંગ માણવા હું ગયો. હરબાળાએ તાંબાના સિક્કા સાથે ઘૂંટીને કરેલી એ વિજયાનો ગ્લાસ ગટગટાવી ગયો, ને પછી જે પ્રલાપ થયો હશે તે મને ક્યાંથી યાદ હોય ! પાછા ઘરે ફરવા માટે મેં જે રીતે સાઈકલ સ્ટેન્ડ પરથી ઊતારીને હેન્ડલ ઝાલ્યું ત્યાં સૌને થયું હશે કે આ અહીંથી નીકળીને ક્યાં પહોંચશે તે નક્કી નહીં. દિલીપભાઈએ સાઈકલ પાછી મૂકાવી, ને મને તેમના સ્કૂટર પર ૧૫ નાગરિક સોસાયટીમાં મૂકી ગયા. આ અનુભવની ફલશ્રુતિ રૂપે એક કાવ્ય રચાયું – ‘નશો’ જે સમર્પણ તા. ૧૦-૧૨-૬૭ના અંકમાં પ્રગટ થયું. (મારા છેલ્લા કાવ્યસંગ્રહમાં તેનો સમાવેશ કરીશ, આ મિત્ર-દંપતીના સ્નેહસ્મરણ સાથે). એક અન્ય પ્રસંગે આપણા સાચુકલા-જન્મજાત કવિ રાવજીનો પરચો મળેલો. રાવજી મારા ઘરની નજીક રહે, તેથી બુધસભા ઉપરાંત તેમના ઘરે પણ મળવાનું થતું. એ સમયે અમદાવાદમાં કલઈગરા ન મળે. સ્ટીલનાં વાસણ લેવાની નોબત આવી. એક મિત્રને મુંબઈ જવાનું થયું. ને મારા માટે સ્ટીલનાં વાસણના ત્રણ સેટ લઈ આવ્યા. અમે વિચાર્યું કે ત્રણ મિત્રોને જમાડીએ. ગયા રાવજીને ત્યાં ને નિમંત્રણ આપ્યું. રાવજી કહે, આવીશ પણ શાક દાણાનું (લીલી તુવેરોનું) બનાવજો. રાવજી સાથે જ, સ્વાભાવિક રૂપે, દિલીપ અને પ્રકાશ. ત્રણે મિત્રો સાથે (નવા થાળમાં) અમે જમ્યા ને પછી પાન ખાવા માટે શારદા સોસાયટી તરફ ચાલ્યા. રાવજીએ પોતાના શિક્ષક અમુભાઈ – જે ભગત સાહેબનાયે શિક્ષક હતા – તેમને યાદ કર્યા અને કહે : અહીં જ રહે છે. ચાલો મળવા જઈએ, ડોસા રાજી થશે. અમને ય ઉત્સાહ થયો; પણ બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યા ત્યાં પાલડી તરફની ૩૪ નંબરની બસ આવીને ઊભી, ઉપડવામાં હતી ત્યાં રાવજી દોડીને તેમાં ચડી ગયા તે પગથી પર ઊભા રહી અમને ‘આવજો આવજો’, કરી દીધું. અમે ત્રણે જણ પહેલાં વિસ્મયમૂઢ થઈ ગયા ને પછી હસી પડ્યા. (કવિ તો આવું યે કરે એવી સમજણ આ મિત્રોને મળી તે પછીથી મને ફળી હશે!)

અમે સચિવાલયમાં ઠરીઠામ થતા હતા ત્યાં, ૧૯૬૮-૧૯૬૯ના ગાળામાં વર્ગ-૧ અને ૨ની જગાઓની ભરતીની જાહેરાત આવી. દિલીપભાઈએ તેમાં ઉમેદવારી કરી. અમે મિત્રો રાજી ન હતા પણ તેમણે પરીક્ષા આપીને પાસ પણ થયા ને ફાળવણી થઈ પંચાયત સંવર્ગમાં, તાલુકા વિકાસ અધિકારીની જગા માટે. તાલીમમાં જૂનાગઢ જવાનું થયું. અને માત્ર વીસ દિવસમાં જ હતાશ થઈ ગયા. પોતે ભૂલ કરી હોવાનો અહેસાસ થવા લાગ્યો. ટી.ડી.ઓ.માં કેમ રહેવું અને પાછા સચિવાલયમાં કેમ આવવું એની ચિંતામાં હતપ્રભ થઈ ગયા. એક પ્રકારનો અપરાધભાવ તેમને ઘેરી વળ્યો. પણ ત્યાંથી મુક્ત થવા અરજી કેમ ને કેવી કરવી, કેવાં કારણો આપી શકાય, મૂળ જગા પર ‘લિયન’ ગણાય કે કેમ ? પ્રશ્નો ઘણા થતા. આ દિવસોમાં તેમના પત્રો મને અને પ્રકાશને સતત મળતા રહ્યા. એકાદ વાર અમે બંને જૂનાગઢ ગયેલા. આમાં સૌથી વધારે હું ઉપયોગી થઈ શકું તેવો ભાવ તેમના પત્રોમાંથી પ્રગટતો. મારી કશી પહોંચ કે આવડતને કારણે નહીં, પરંતુ તેમના વિશ્વાસને કારણે. પ્રયત્નો શરૂ કર્યા.

આજે જેમની દેશ-પરદેશમાં રાજર્ષિમુનિ તરીકેની પ્રતિષ્ઠા છે અને જેમણે લીંબડી પાસે રાજરાજેશ્વર ધામનું સર્જન કર્યું છે તે મૂળ કચ્છના અને સૌરાષ્ટ્રમાં આવી વસેલા યશવંતસિંહજી જાડેજા ત્યારે જૂનાગઢમાં તાલીમ આપનાર અધિકારી હતા. તેમની સલાહ મુજબ અરજી કરી. પંચાયતના સમગ્ર તંત્રના સચિવકક્ષાના અધિકારીશ્રી રાવળ સાહેબ (કલાગુરુ ર.મ.રા.ના પરિવારજન) અને સચિવાલયમાં સિનિયર સ્નેહીજન આર.સી. જોષીનો ઉત્તમ સહકાર મળ્યો ને આ મિત્ર અમને પાછા સચિવાલયમાં જ મળ્યા.

જૂનાગઢ ગયા ત્યારે ચંદ્રિકાએ શુકનમાં શ્રીફળ આપેલું. જૂનાગઢથી આવતા પત્રોમાં એકવાર લખેલું કે બહેનનું શ્રીફળ ન ફળ્યું! જો કે તેમાં દોષ શ્રીફળનો નહીં પણ પોતાનો જોયેલો. નિર્મમ રહીને, તટસ્થભાવે આત્મનિરીક્ષણ કરવું અને જે સમજાય તે કબૂલ રાખવું ને કહેવું તેવી એક સચ્ચાઈ તેમનામાં હતી. તેમના પરિચયમાં આવનારને પણ આવો અનુભવ થયો હશે. જ્યારે જે વાત મનમાં ઊગે તે કહેવામાં સંકોચ ન રાખે. ક્યારેક કડવું યે કહે, પણ મને ક્યારે ય માઠું નથી લાગ્યું. તેમણે આગળ જતાં ‘ત્રિવેદી’ની અટકનો ત્યાગ કર્યો અને માત્ર દિલીપ ચંદુલાલ રહ્યા. મેં મજાકમાં કહ્યું કે તમે બ્રાહ્મણ તો ક્યારે ય ન હતા પણ અટક દૂર કરીને વધારે મોટું ઘરાણું પસંદ કર્યું છે. અંબાલાલ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈ જેવું. કટાક્ષને માણે; ક્યારેક હસી કાઢે (પ્રકાશ પાસેથી થોડું શીખ્યા હશે …)

અમારે ૧૯૭૦માં ગાંધીનગર જવાનું થયું ત્યારે વળી એક પ્રશ્ન ઊભો થયો. દિલીપભાઈએ ટી.ડી.ઓ. નિમિત્તે આવન-જાવન કરી તેથી તેમનો એક ઈજાફો છૂટવો બાકી હતો. ગાંધીનગરમાં ક્વાર્ટરની ફાળવણી મૂળ પગારના ધોરણે થવાની હતી. તેથી આ મિત્રને ‘ચ’ ટાઈપને બદલે ‘છ’ ટાઈપમાં જવું પડે, માત્ર એક ઇજાફાના તફાવતને કારણે.

ક્વાર્ટ્‌ર્સની ફાળવણી કરનાર તંત્રને વિભાગની માહિતી મોકલવાની કામગીરી મિત્ર હસમુખ પટેલના ભાગે આવી. તેમણે દિલીપભાઈનો ‘નોશનલ’ પગાર ગણીને માહિતી મોકલી ને તેઓ અમારી સાથે જ રહ્યાં.

ગાંધીનગરમાં મિત્રમંડળ વિસ્તર્યું. અમારી ટી ક્લબમાં પણ ઘણો સમય સાથે રહ્યા. નાયબ સચિવ તરીકે છેલ્લે અમને બઢતી મળી ત્યારે વિભાગો બદલ્યા. દરમિયાનમાં અમને રસ હતો તેવો રસ ધરાવતા યંગસ્ટર્સની ભરતી થઈ. તેથી ડંકેશ ઓઝા, બિપિન પટેલ, કિરીટ દૂધાત વગેરેની તેમની નિકટતા થઈ. એ મિત્રો તેમને ‘ગુરુ’ તરીકે સંબોધતા. રાજકારણ, સમાજકારણ, સેક્યૂલારિઝમ, રેશનાલિઝમ, ડાબેરી-જમણેરી વિચારધારા – અનેક બાબતે અમે ઘણીવાર સામસામે. પણ તેમની સચ્ચાઈ ને નિષ્ઠા વિશે મને ક્યારેક શંકા નથી ગઈ.

‘વળતા વાર’ના ધોરણે રચાયેલ કાવ્યોના સંગ્રહ ‘રાઈનાં ફૂલ’ વિશે ‘પ્રત્યક્ષ’માં તંત્રી શ્રી રમણ સોનીએ સમીક્ષા કરી તો અકળાઈને તેમણે અંગ્રેજીમાં પત્ર ફટકારેલો, ને પરિષદકારણ (પરિષદનું રાજકારણ) અંગે જે ચર્ચા ચાલતી હતી તેમાંયે પોતાનો મત પ્રગટ કરેલો. મેં વહીવટી મંત્રીનું પદ છોડીને બિનઅસરકારક એવું ઉપપ્રમુખનું પદ સ્વીકાર્યું તે તેમને ન ગમ્યાનું કહ્યું. બીજું યે ઘણું કહ્યું.

વિચારભેદ હોવા છતાં જેમની સાથે મનભેદ ક્યારે ય ન થાય, ન થઈ શકે એવો મિત્ર તો ક્યાંથી મળવાનો?!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 13-15

Loading

દલિતો અને રૅશનાલિટી

કિરણ ત્રિવેદી, કિરણ ત્રિવેદી|Opinion - Opinion|16 August 2019

દલિતોના સંદર્ભે અધ્યાત્મ હોય, રૅશનાલિસ્ટ હોય કે સમરસતા – આ બધું બહુ મોટા દલિતવર્ગની પહોંચ, સમજ કે જરૂરિયાત બહારની મગજમારીઓ છે. હા, એક સમાનતાનો મુદ્દો છે, જે એમને સીધો સ્પર્શે છે, જીવનજરૂરી પણ છે. ખેર, આપણને લાગે કે આ બધામાં પણ રૅશનાલિટી તો દલિતો માટે એકદમ એલિયન / પરગ્રહી ખ્યાલ હશે – પણ દલિતોનો એક વર્ગ જે ભણીગણીને, સમજદારી કેળવીને મુખ્ય ધારામાં ઊતરી ચૂક્યો છે, એ ખૂબ આશ્ચર્યજનક રીતે રૅશનાલિટી દાખવી રહ્યો છે. અપનાવી રહ્યો છે.

રૅશનાલિટી માનસિક અભિગમ અને વૈચારિક સજ્જતાનો મુદ્દો છે. રેશનાલિટી એટલે વિવેકબુદ્ધિ, સારાસારની સમજ, નિરીક્ષણ અને તર્કબદ્ધ વિશ્લેષણને અંતે વિચારી-સમજીને નિર્ણય પર પહોંચવું કે શું યોગ્ય છે, શું અયોગ્ય છે. એવું યોગ્ય તારણ જ સૌના લાભનું અને ભલા માટેનું હોય તેને સ્વીકારો અને તે રીતે જીવો. રૅશનાલિટીમાં રહેલો ધર્મવિરોધ પણ આ સમજદારીમાંથી આવે છે. એટલે કે રૅશનાલિસ્ટોમાં ધર્મવિરોધ અને નાસ્તિકતા રૅશનાલીટીના રસ્તે આવે છે. દલિતોમાં કદાચ એવું પણ બને કે ધર્મવિરોધના રસ્તે રૅશનાલિટી આવે! જો કે રૅશનાલિટી એટલે માત્ર ધર્મ અને ઈશ્વરનો ઇન્કાર એટલું જ નથી. રૅશનલ થિંકિંગ રોજિંદા જીવન અને સમાજને સ્પર્શતા દરેક મુદ્દામાં તમને સ્પષ્ટતા, સરળતા, નૈતિકતા અને માનવતા બક્ષે છે.

અમે રૅશનાલિસ્ટો ધર્મ, ઈશ્વર, પરંપરાના સૌથી વધુ બોલકા ટીકાકારો છીએ. દલિતોને પણ આવું કરતા જોયા છે. પણ તેઓમાં આ ગુણ બ્રાહ્મણવાદી સમાજવ્યવસ્થામાં સદીઓથી કચડાતા આવ્યાની શોષણ-દમન-અન્યાયની ભાવનામાંથી આવે છે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે દલિતો અને રૅશનાલિસ્ટો એકમેકના natural allies (કુદરતી સાથીદારો) છે. અને અમારા સોશ્યલ મીડિયા ગૃપ ‘અપના અડ્ડા’એ એ વાત ઘણે અંશે સાબિત કરી છે.

વર્ણવ્યવસ્થા સનાતનધર્મ દ્વારા ખોદાયેલી ઘોર છે … અને એટલા શાતિર દિમાગોની ઊપજ છે કે હજુ સુધી ટકી છે. આજે હવે વધુ ઊંડી બનવાનાં એંધાણ છે; એની સૌથી વધુ શેતાની ગોઠવણ એ છે કે બધી જ જ્ઞાતિ – જાતિઓને પોતાને ઊંચા ગણવા માટે એમનાથી નીચા કોઈ ને કોઈ મળી રહે! અને દલિત તો પાછા ચતુર્વર્ણના આ પિરામિડમાં પણ નથી, એ તો ચારે ય વર્ણમાં નીચેના શૂદ્રોથી પણ નીચે દબાયેલા પંચમ વર્ણ ગણાય છે.

રૅશનાલિટીના દલિતો સાથેના આંતરસંબંધો ચકાસતાં મને એક સવાલ થયેલો. દલિતોએ હિન્દુ કહેવાતો આ બ્રાહ્મણધર્મ હજુ સુધી સર્વથા કેમ નથી છોડ્યો?! મારે જાણવું હતું કે અન્યાય દમનનો વિરોધ તો કદાચ દરેક જનરેશને કર્યો છે. પણ અત્યારે જે નામજોગ બ્રાહ્મણવાદ અને હિન્દુધર્મ સામે આક્રોશ દેખાય છે તે બાબાસાહેબ આંબેડકરે લાવેલી જાગૃતિ પછીનો જ છે કે એ પહેલાં પણ હતો? આ સવાલ ઉપર ‘અપના અડ્ડા’માં જ ચર્ચા થઈ. જે સ્પષ્ટતા મળી તે મુજબ અછૂતોની અવદશા માટે સનાતન ધર્મને સીધો જવાબદાર ગણાવીને તેની સામે બળવો પોકારવામાં સૌથી મજબૂત નામ જ્યોતિબા ફુલેનું લેવું પડે. (એમની પહેલાંના સંદર્ભો પણ ઘણા છે, પણ અહીં મારી નિસબત ધર્મ સામે મોરચાની વધુ છે). ફુલે દ્વારા ૧૯મી સદીના મધ્યમાં ધર્મ સામેની લડત ચાલુ થઈ અને ૨૦મી સદીમાં ભીમરાવ આંબેડકરે આ લડતને પૂરેપૂરી રૅશનલ એવી તીવ્રતમ સ્પષ્ટતા સાથે આગળ ધપાવી. આંબેડકરની સમાંતરે દક્ષિણમાં ઈ.વી. રામાસ્વામી પેરિયારે પણ તેમાં ખૂબ મોટું પ્રદાન કર્યું છે, જેને કારણે આજે પણ હિન્દુ ધર્મના નામે સત્તાના ખેલ પાડતી પાર્ટીને દક્ષિણમાં પગ પસારવાના ફાંફાં પડે છે.

આ નોંધ હું એટલે લઉં છું કે દલિતો માટે સામાજિક સમાનતા, ન્યાય અને હકની લડાઈમાં રૅશનાલિસ્ટનો દૃષ્ટિકોણ ફુલે-આંબેડકર-પેરિયાર જેવા મહાનુભાવોથી જોડાઈ ગયેલો ગણો. આંબેડકર સંપૂર્ણપણે રેશનલ હતા. એમનું સમગ્ર સાહિત્ય રૅશનાલિટીની દૃષ્ટિએ લખાયેલું ધારદાર વિશ્લેષણ છે. એ સાહિત્યના સહારે જાગૃત થયેલો દલિતવર્ગ વૈચારિક રીતે થોડો તો રૅશનલ થવાનો જ.

… અને અમને, ‘અપના અડ્ડા’ના આયોજકોને એ સ્પષ્ટપણે દેખાય છે. અને હિન્દુત્વથી પ્રભાવિત સવર્ણ લોકોના વિચારો, અભિગમો, અભિવ્યક્તિના કૉન્ટેક્સ્ટમાં તો આ દલિતો ગૌરવપ્રદ રીતે સજ્જ અને સજ્જન બનીને ઊભરી આવે છે. અડ્ડાની રૅશનલ, લિબરલ અને સેક્યુલર વિચારધારાને કારણે અમારું વલણ હંમેશાં ન્યાય-સમાનતા-સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી તરફી રહ્યું છે. તેને કારણે પહેલેથી જ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના દલિત યુવાનો અડ્ડા તરફ આકર્ષાયા છે. કોઈને અમે પકડીપકડીને ત્યાં જમા નથી કર્યા! જે રીતે એમણે રૅશનાલિટીને embrace કરી છે, આત્મસાત્‌ કરી છે એ મારે માટે આશ્ચર્યજનક હતું. ઉગ્ર ચર્ચાઓમાં સવર્ણોને મિજાજ ગુમાવીને બેફામ અપમાનજનક બોલતા, અશ્લીલ અને અપશબ્દો પર ઊતરી આવતા વારંવાર જોયા છે; પણ એવો દલિત જવલ્લે જ મળે! અડ્ડામાંથી રિમૂવ કે બ્લૉક થતા સભ્યોમાં સવર્ણો અને ક્ષત્રિયો જ વધારે હોય છે. તો પણ હું કોઈ એવા વહેમમાં નથી કે આને રૅશનલ ક્રાંતિ હોવાનો દાવો કરું, પણ આ ખૂબ સારી શરૂઆત જરૂર છે.

આમ તો દલિતોનાં હક, ન્યાય, સમાનતા માટેની અનેક રાજકીય સામાજિક લડતો, આંદોલનો ચાલે છે. આંબેડકરવાદી, બહુજનસમાજવાદી ડાબેરી સામ્યવાદી, સંધિ સમરસતાવાદી વગેરે. હવે એમાં એક આ વિવેકબુદ્ધિવાદી / રૅશનાલિસ્ટ ધારાનો પણ સમાવેશ ગણજો. મારો વ્યક્તિગત મત તો એ જ છે કે આમાંની કોઈ લડતો ધર્મ-ઈશ્વર છોડો, જ્ઞાતિ-જાતિ તોડોની વાત નથી કરતી. આ હિન્દુ માળખામાં રહીને જ સમાનતા / હકની વાત કરે છે. જે ક્યારે ય નથી મળવાના. આંબેડકરે પણ એટલે જ હિન્દુ ધર્મ છોડેલો. માત્ર રૅશનાલિઝમ એ બધું છોડવાની વાત કરે છે. એટલે જે લડત વૈચારિક રીતે રૅશનાલિસ્ટને અપનાવશે એ જ દલિતો માટે ન્યાય -સમાનતા હાંસલ કરી શકશે.

(તા. ૧૯-૬-૨૦૧૯ના રોજ વિનોદ વ્યાસ-જટાયુ આયોજિત કાર્યક્રમમાં આપેલું વક્તવ્ય)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 10 – 11

Loading

...102030...2,7502,7512,7522,753...2,7602,7702,780...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved