Opinion Magazine
Number of visits: 9577115
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશ્વરદત્ત શક્તિઓને ઓળખવાને બદલે, નથી લાગતું કે આપણે ક્ષુલ્લક વાતોમાં રમમાણ થઇ ગયા છીએ?

સુમન શાહ|Opinion - Literature|13 July 2019

સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે

કમ્પ્યૂટરને લીધે મારી બે વસ્તુઓ ઝુંટવાઈ ગઇ છે : એક તો, કાગળ પર ઈન્ડિપેનથી પત્ર લખવાની મજા. કેટલી સરસ એ દેશી અને વિલાયતી પેનો હતી. આજે ઠરીને ઠીકરું થઇ ગઇ છે. એ પેનોની સામે જોતાં મને શરમ આવે છે. ’ફરગેટ મી નૉટ’-ના મૉંઘા ભૂરા કાગળ પર લખેલા પ્રેમપત્રો, ઓ ભગવાન ! ખૂબ યાદ આવે છે. બીજી વસ્તુ ચાલી ગઈ તે મારા અતિ સુન્દર હસ્તાક્ષર. ‘મોતીના દાણા જેવા’ તો ચવાઈ ગયેલી ઉપમા છે. બીજી કોઇ ઉપમા સૂઝતી નથી એટલે હું એને ‘અનુપમ’ કહું છું. એ અનુપમ વડે બે કાગળ વચ્ચે ભૂરું કાર્બન પેપર મૂકીને લખેલા લેખો યાદ આવે છે. એ પછી ‘સન્લિટ બૉન્ડ’ પેપર પર લખીને ઝેરોક્ષ કરાવેલા લેખો યાદ આવે છે. આજે તો કશું ટપકાવવું હોય ને કમ્પ્યૂટર બંધ હોય, કાગળનો ટુકડો કે ચબરખી જે હાથ ચડે એ પર ફટાફટ લખી નાખું છું. એટલું બધું જલ્દી જલ્દી કે પછી એને હું જ નથી ઉકેલી શકતો !

સારા હસ્તાક્ષરની ટેવ તો બા-એ પાડેલી. સ્લેટમાં ચાર ખાનાં કરીને પોતે ક ખ ગ ઘ લખે, ને કહે, ઘૂંટીને બરાબ્બર જાડા બનાવ; પણ જોજે, એક પણ એના ખાનાની બ્હાર ન જવો જોઇએ. ત્યારે, સૅકન્ડરીમાં, બરુનો કિત્તો જાતે બનાવવાનો અને કૉપિબુકમાં પોલા પોલા જે A B C D હોય એને શાહીથી ભરવાના. ત્યારે પણ કસોટી એ કે લાઈનની બ્હાર કિત્તો જવો જ ન જોઇએ, ને શાહીથી ભરાઇ જાય એ તો ચાલે જ નહીં. રવિ શંકર માસ્તર મને ‘પાઠમાળા’ શીખવતા. હોમવર્ક માટેનો એમનો આગ્રહ એ કે એમણે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો મારે ત્રીજી ઍબીસીડીમાં જ લખવાના. અંગ્રેજી ઍટિકેટ સાથે રૂઆબમાં રવાલ ચાલે ચાલતી મારી એ લાઈનો હજી દેખાય છે. ચિનુ ગાંધી નામે મારા એક મિત્ર છે, ઇજનેર છે, પણ કૅલિગ્રાફી – સુલેખન – કરી જાણે છે. મૂળ કારણ એ કે એમના પણ હસ્તાક્ષર, મોતીના -નો નો ! બસ, બહુ જ સુન્દર છે.

આ સઘળો હસ્તાક્ષરનાશ મને પીડે છે. પરન્તુ બીજી તરફ, કમ્પ્યૂટરના સ્ક્રીન પર સ્વયંભૂ પ્રગટતા આ અક્ષરો, શબ્દો અને વાક્યોની લયવાહી આ જે રમ્ય ફૂલવેલ વિસ્તરતી ચાલે છે, પીડા યાદ નથી આવતી. હસ્તાક્ષર વખતે જમણા હાથનો અંગૂઠો અને પહેલી બે આંગળીઓ ખાસ વપરાય, હવે કમ્પ્યૂટર પર બન્ને હાથની દસેય આંગળીઓ પ્રયોજાય છે. ચોખ્ખી લેખનસૃષ્ટિ જન્મે છે. પીડા પ્રસન્નતા બની જાય છે.

ખાનાની બ્હાર નહીં જવાનું બા-એ ભલે કહેલું, આજે તો મારું ભાવજગત કે જ્ઞાનજગત કક્કો ને બારાખડીની બ્હાર ને બ્હારથી યે બ્હાર કોણ જાણે કેટલે બ્હાર ચાલી ગયું છે. આ ‘ભાવજગત’ અને ‘જ્ઞાનજગત’ પણ ચવાયેલા શબ્દપ્રયોગો છે. એમાં ‘જગત’ તો સાવ ફુલાવેલો લાગે છે. એટલે મને એમ છે કે એ બન્ને ‘જગતો’-ને ઈરેઝર હેઠળ મૂકી દઉં. એટલે કે, ચૅંકી નાખવાનું ખરું પણ ભૂંસી નાખવાનું નહીં. જોનારાંને દેખાવું જોઇએ. એથી એમ સૂચવાય કે ભૂલોનો એકરાર તો હું કરીશ ત્યારે, પણ એ માટે હું આ ક્ષણથી તત્પર છું. મારી વાચનયાત્રાને તો મેં ઈરેઝર હેઠળ મૂકેલી છે. એકાદ વાર તો માણસે પોતાનું બધું ઈરેઝર હેઠળ મૂકી દેવું જોઇએ … અરે, પણ આ બધી ફિલસૂફી માટે થોડી છે આ જગ્યા? સૉરિ.

હું વાત તો કરતો’તો પત્રલેખન, હસ્તાક્ષર અને સુલેખનને ગુમાવ્યાની. જો કે મારે કરુણ અતીતરાગ નથી ગાવો. ગયું તે ભલે ગયું. નવાનું સ્વાગત છે. પણ નવાથી જે આડ અસરો અને આડ પેદાશો જન્મી છે તેની વાતો તો શૅઅર કરી જ શકાય. આમે ય આજકાલ આપણે શૅઅર શું કરીએ છીએ? વ્હૉટ્સઍપ પર, ફેસબુક પર, સાહિત્યિક – જેવું રેડીમેડ જે કંઇ ઠલવાયું હોય એના પર નજર નાખીને ફૉરવર્ડ કરી દઇએ છીએ. ‘લાઈક’ ‘સુપર્બ’ ‘અફલાતૂન’ ‘ગ્રેટ’ જેવી એકાક્ષરી કમેન્ટ્સ મોકલી દઇએ છીએ. વિદેશી પુસ્તકોની અધ્યાત્મની કે સાહિત્યની મૂલ્યવાન વાતો લગભગ રોજે રોજ પીરસાય છે. નીવડેલા અધ્યાપકો પાસે અપેક્ષા રહે છે કે એ વાતોને તેઓ સમુચિત દિશામાં જરાક તો વિસ્તારે. મોટાભાગના તેઓ દેખા દે છે પણ ચૂપ બેઠા રહે છે. ટૂંકમાં, કહેવાય સોશ્યલ મીડિયા પણ એમાં સોશ્યલ જેવું કંઇ છે નહીં.

કાવ્ય નાટક કે વાર્તાની સુન્દરતા ક્યાં શૅઅર કરીએ છીએ? સુખ્યાત કવિની પંક્તિ વિશે કોઇની જોડે કોઇ કલાકથી ચર્ચાએ ચડી ગયું હોય એવું બને છે ખરું? આસપાસમાં જોઇને કહેજો. એક વાર અમે ત્રણ મિત્રો અનિલ જોશીના કાવ્યમાં આવે છે એ ‘શકુન્તલાની ખાલી આંગળી’ શબ્દગુચ્છ વિશે રાતના આઠથી મધરાત લગી મચી પડેલા. પોતાને ‘બાળક’ કહેતી એક તેજસ્વી બાળાએ થોડા દિવસ પર મને એક આસ્વાદ્ય અને સૂચક વાક્ય મોકલ્યું : You have my heart to feel the sweetest vibes thriving in you : તારામાં ઊછરી રહેલા સુમધુર ભાવસ્પન્દનોને અનુભવવા તારી પાસે મારું હૃદય તો છે : આ એનો મેં કરેલો કામચલાઉ અનુવાદ છે. મૂળમાં અંગ્રેજી ભાષા પ્રભાવકપણે ભાવવહન કરે છે. ગુજરાતીમાં એટલી જમાવટ નથી થતી. અહીં એક સમર્પિત હૃદય છે અને એક આતુર હૃદય છે. બન્નેને એક થવું છે; અથવા તેઓ એક છે જ; આ તો એકત્વના સુખદ તોષનો અમસ્તો ઉદ્ગાર છે. નામ તરીકે vibe વ્યક્તિને વિશેની લાગણી સૂચવે અને ક્રિયાપદ તરીકે સમ્મતિ. માણસ કહી શકે She and I are totally vibing. પણ છોડો આ બધી હૃદયોનાં vibrations-ની ગહન-સુન્દર વાતો. આપણે ક્યાં આવા કશા સુવિચારો સાથે પાનું પાડીએ છીએ? ને અંગ્રેજી !? રામ રામ ભજો ! છીએ તે જ ઠીક છીએ !

ઈશ્વરદત્ત શક્તિઓને ઓળખવાને બદલે, નથી લાગતું કે આપણે ક્ષુલ્લક વાતોમાં રમમાણ થઇ ગયા છીએ? આપણને ખબર નથી કે આપણું એ ધ્યાન કમ્પનીઓ દ્વારા બારોબાર ‘વેચાય’ છે ! આપણાં વાચન – જો હોય તો – ઉતાવળિ યાં થઇ ગયાં છે. મૅસેજ આવ્યો છે, વળતો મૅસેજ ઝટ મોકલી દેવો છે. આ બેકાબૂ પ્રવૃત્તિ માટે કેટલાક એમ કહે છે કે સોશ્યલ મીડિયા તો એવું જ હોય. ના ! એ લૂલો બચાવ છે. સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. દુનિયાભરના લોકો ક્રીએટિવ સોશ્યલ મીડિયાના લાભોથી રળિયાત છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે. અધ્યાપક પત્રકાર સાહિત્યકાર કે સાહિત્યરસિક માટે કમ્પ્યૂટર કાગળ-પૂંઠાં વિનાનું પુસ્તક છે, સામયિક છે, ડિક્શનરી છે. દીવાલો વિનાની લાઈબ્રેરી છે. ક્લાસરૂમ વિનાની યુનિવર્સિટી છે. સ્ટુડિયો છે. ગ્રામોફોન છે. રૅકર્ડર છે. થીએટર છે. સિનેમા છે. મ્યુઝિયમ છે. આર્ટ ગૅલેરી છે. જિમ્નેશિયમ છે. કોઇપણ આર્ટને માટેની વર્કશૉપ છે. કમ્પ્યૂટરને તમારા ખૉળા સિવાય કશાની જરૂર નથી – તમારી લૅપ જો ટૉપ હોય.

મારે, ગગનેથી અહર્નિશ ઝળુંબતી આ બહુહસ્તપાદ નવતાની જ વાતો કરવી’તી પણ એક પીડાથી બીજી પીડામાં ચાલી ગયો … સૉરિ …

પ્રગટ : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 13 જુલાઈ 2019

https://www.facebook.com/suman.shah.94/posts/2601940589836838

Loading

‘નવજીવન’ થકી કેદીઓને જનજીવનમાં આવી રહ્યાં છે : તેમનાં ભજનો, ચિત્રો, તેમની સાથે સેલ્ફી …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 July 2019

જેલવાસીની એક કેદી તરીકેની નહીં, પણ એક ઇન્સાન તરીકે હસ્તીને સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.

ગાંધી સાહિત્યના પ્રકાશન અને પ્રચાર-પ્રસારને વરેલાં ‘નવજીવન ટ્રસ્ટ’ના ઉપક્રમે રવિવારે સાંજે  ટ્રસ્ટના જ પરિસરમાં આવેલાં જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ ભજન રજૂ કર્યાં. ત્યાર બાદ, કેદમાંથી તાજેતરમાં મુક્ત થયેલા ચિત્રકાર નરેન્દ્રસિંહ રાઠોડનું તેમ જ તેમનાં પત્ની ગીતાબહેનનું સન્માન કરવામાં આવ્યું. નરેન્દ્રસિંહે ચૌદ વર્ષની સજા દરમિયાન જેલમાં દોરેલાં  દેશભક્તિનાં અને કુદરતી દૃશ્યોનાં ચિત્રો જેલની કૅન્ટિનની બહારની દિવાલોને આજે પણ શોભાવી રહ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ જેલ સાથે ચિતારા તરીકેનું તેમનું જોડાણ ચાલુ રહ્યું છે. બંદીવાનોના જીવનમાં પણ કંઈક રંગ-ઉમંગ આવે તેવા ઉમદા વિચાર સાથે તેમણે પોતાની કળાનો ઉપયોગ કર્યો છે. તેમણે હમણાં ધોમધખતા એપ્રિલ-મે દરમિયાન જેલની એક દિવાલના સોએક મીટર હિસ્સાને સાઠ ચિત્રોથી ચમકાવ્યો છે. જેલના મુલાકાતીઓ જે ગાંધી-ખોલી અને સરદાર-ખોલી જોવા માટે અચૂક આવતા હોય છે, તે રસ્તાના કોટની દિવાલની અંદરની બાજુ નરેન્દ્રસિંહે તેમના ગામ ધોળકાની ફાઇન આર્ટસના કેટલાક વિદ્યાર્થીઓની મદદથી ચિત્રો દોર્યાં છે. આ ચિત્રોમાં ગાંધી, સરદાર અને વિવેકાનંદનાં પોર્ટ્રેઇટ્સ્, કોમી એખલાસ, બાપુના ત્રણ વાંદરા, ધ્વજવંદના જેવાં વિષયો પરનાં ચિત્રો ઉપરાંત ચાવીઓ, સાંકળો, આકાશ તરફ ઊડાન ભરી રહેલાં પંખીઓ જેવાં પ્રતીકાત્મક ચિત્રો પણ છે. ‘નવજીવને’  પ્રશસ્તિપત્ર અને ત્રીસ હજાર રૂપિયા આપીને ચિત્રકારનું સન્માન કર્યું.

સન્માન પહેલાંના ભજન કાર્યક્રમના ભજનિકો ભરત મારુ, ઘનશ્યામસિંહ રાઠોડ, ભંવરલાલ કલાલ, શાંતિલાલ લુહાર અને પ્રવીણ બારોટ સરેરાશ દસ વર્ષથી જેલમાં છે. તેમણે બધાએ તેમની હક-રજાઓ દરમિયાન આ કાર્યક્રમ આપ્યો હતો. જેલવાસીને માટે દર વર્ષે મળતી ચૌદ રજાઓ ખૂબ મૂલ્યવાન હોય છે, કારણ કે વર્ષમાં એટલા જ દિવસ તેમને પરિવાર સાથે વીતાવવા મળતા હોય છે. પરિવાર જેલવાસી માટે કેવો અદકેરો હોય છે તેની ઝલક ઝવેરચંદ મેઘાણીનાં ‘જેલ-ઑફિસની બારી’ નામના અસ્વસ્થકારક વાર્તાસંગ્રહમાં મળે છે. એ પુસ્તકની ભાવભૂમિ મેઘાણીભાઈએ 1930-31ના અગિયાર મહિના દરમિયાન સાબરમતી જેલમાં વેઠેલા કારાવાસ પરથી રચાઈ છે.

ભજનમાં આવેલા કારાવાસીઓ રજા પર હોવાને કારણે તેમની સાથે પોલીસ ન હતી. કાર્યક્રમના સંચાલક અને બાહોશ પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું તેમ ખરેખર તો એમાંથી કોઈ પણ ભાગી જઈ શકે એમ હતા. આપણે પણ કલ્પી શકીએ કે એને પકડવાનું આટલા મોટા દેશમાં અઘરું પડે. પણ પ્રશાંતભાઈએ બહુ વિશ્વાસ સાથે ઉમેર્યું કે આ બધા ભજનિકોને હમણાં કહ્યું હોય કે તમે પાછા જેલમાં જતા રહો, તો રિક્સા કરીને રજા પરના આ કેદીઓ ત્યાં પહોંચી જાય ! રજા પર ન હોય એટલે કે અત્યારે જેલમાં જ હોય તેવા કેદીઓનાં ભજનોનો એક કલાકનો કાર્યક્રમ એપ્રિલ મહિનાથી દર શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે સાત વાગ્યે ‘નવજીવન’ના ઉપક્રમે યોજાય છે. તેના ‘કર્મ કાફે’ના ઓટલે બિલકુલ ખુલ્લામાં મંડળી ભજનો ગાય છે. સેંકડો ભજનોની જાણકાર આ મંડળી જેલના સંગીતશિક્ષક વિભાકર ભટ્ટ પાસેથી તાલીમ મેળવે છે. મંડળીના શ્રોતાઓમાં ગાંધી-થાળી કે પુસ્તકો માટે આવનારા મુલાકાતીઓ ઉપરાંત આઠ-દસ પરિવારો નિયમિતપણે માત્ર આ બંદીવાનોને સાંભળવા આવે છે. તેમાંથી કેટલાંક તેમની સાથે ગાવા ય બેસી જાય છે, મોકળાશથી વાતો પણ કરે છે. જેલવાસીઓ સાથે સેલ્ફી પડાવનારાની સંખ્યા વધી રહી છે ! કેદી સાથે લોકો સેલ્ફી પડાવે એ કેદી માટે અસાધારણ વાત છે. જેલવાસીની તેની કેદી તરીકેની નહીં પણ એક અચ્છા ઇન્સાન તરીકે હસ્તીને મળેલી એ મંજૂરી છે. એ સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.

ગાંધીજીના કારાવાસ તેમના જીવનનું રસપ્રદ પાસું છે. ‘યેરવડાના અનુભવો’ પુસ્તકમાં તેમણે ‘હું રીઢો થયેલો ગુનેગાર છું’ એમ નોંધ્યું છે. બાપુએ કુલ ઓગણીસ વખત જેલવાસ વેઠ્યો છે. દક્ષિણ આફ્રિકામાં 1908થી પાંચ વર્ષ દરમિયાન નવ વખત, અને ત્યાર પછી ભારતમાં 1944 સુધીમાં સુધીમાં દસ વખત. આમાંથી કેટલાક વિશે તેમણે વિગતવાર લખ્યું છે. ગાંધીજી માનતા કે વ્યક્તિ ‘ક્ષણિક ઘેલછા અને સાચા માર્ગદર્શનને અભાવે’ ગુનો કરે છે. તેમની સાફ હિમાયત હતી કે ‘જેલો સ્વાશ્રયી સુધારગૃહો બની જાય’, ‘કેદીઓને જેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહે’, ‘કેદીને એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી રહે કે જે એને જેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરુદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે’, ‘કેદીઓને વિશે જે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થપાય’.

ગાંધીને અપેક્ષિત અભિગમ સાથે ‘નવજીવન’ ગયાં ત્રણ વર્ષથી સાબરમતી જેલ સત્તાવાળાઓ સાથે કાર્યરત છે. શરૂઆત તો ગાંધી-વિચારનાં પુસ્તકોનાં વાચન પર આધારિત ‘ગાંધી-પરીક્ષા’થી થઈ જે દર વર્ષે સોએક જેલવાસીઓ આપે છે. ચાળીસેકની ઉંમરના શમ્સુદ્દીનભાઈ તેમાં હંમેશાં પહેલા નંબરે આવે છે. તેઓ અંગ્રેજીમાં પરીક્ષા આપે છે, એટલું જ નહીં વાંચવા આપેલાં પુસ્તકોમાંની ભૂલો તરફ ધ્યાન પણ દોરે છે. ‘કર્મા ફાઉન્ડેશન’નાં પ્રિયાંશી પટેલ થકી મહિલા જેલમાં ગોઠવવામાં આવેલ સેનેટરિ પૅડ બનાવવાના યુનિટમાં ઘણી બહેનો તાલીમ અને રોજગારી મેળવે છે.

‘નવજીવન’ ભજનિકોને ભજન ગાવા માટે મહેનતાણું આપે છે. તેણે યોજેલાં બંદીવાન ચિત્રકારોનાં ચિત્રોનાં પ્રદર્શનમાં થયેલી કૃતિઓનાં વેચાણમાંથી કલાકારોને આવક થઈ હતી. તે જેલવાસીઓને તેમણે બનાવેલી ગણપતિની મૂર્તિઓને વેચાણ માટેની વ્યવસ્થા દ્વારા આવકનો રસ્તો ઊભો કરે છે. ગુજરાત ભરની જેલોના કેદીઓની લેખનકળાની અભિવ્યક્તિ માટે બહાર પાડવામાં આવતા ‘સાદ’ ત્રૈમાસિક લેખકોને ‘નવજીવન’ પુરસ્કાર પણ આપે છે. ટ્રસ્ટ દ્વારા કેદીઓ માટે ચલાવવામાં આવતાં પ્રૂફ-રીડિંગ અને પત્રકારત્વનાં પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં અત્યારે વીસેક વિદ્યાર્થીઓ છે. અહીં જ પ્રૂફ-રીડિંગ શીખેલા મિલનભાઈએ એટલી બધી આવડત કેળવી કે તેમની પાંચ વર્ષની સજા પૂરી થયાં બાદ ‘નવજીવને’ તેમને પોતાને ત્યાં પ્રૂફરીડર તરીકે નિમણૂક કરી. ‘નવજીવન’ ઉપરાંત પણ સરકાર પોતે અને કેટલીક સંસ્થાઓ સમયાંતરે જેલ-સુધારાનું કામ કરતી રહે છે. જેમ કે, અમદાવાદનાં ‘અંધજન મંડળ’ માટે સાત જેલવાસીઓનાં જૂથે અત્યાર સુધીમાં સાતસો જેટલાં પુસ્તકોનું ઑડિયો રેકૉર્ડિંગ કર્યું છે. મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈની પહેલથી મેઘાણી-ખોલી અને તેની બાજુમાં પુણ્યશ્લોક રવિશંકર મહારાજ તેમ જ અબ્બાસ તૈયબજીની ખોલીઓને પણ તાજેતરમાં સ્મારક તરીકે વિકસાવવામાં આવી છે. તેમાં મદદરૂપ થનાર નાયબ જેલ અધિક્ષક પી.બી. સાપરાએ આ સ્મારકો લાગણીપૂર્વક બતાવ્યાં.

કેદીઓ પ્રત્યે જેલ અધિકારીઓની લાગણીએ સાબરમતી જેલ સુધારણામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતની જેલોના સર્વોચ્ચ વડા મોહન ઝાની સક્રિય હકારાત્મકતા અને અનેક અધિકારીઓના વિધેયાત્મક અભિગમથી ‘નવજીવન’નું કામ શક્ય બન્યું છે. ‘નવજીવન’ના મૅનેજિન્ગ ટ્રસ્ટી વિવેક દેસાઈની ગાંધીવિચારની સમજનું નક્કર રૂપ જેલનાં કામમાં જોવા મળે છે. ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકના અભ્યાસી સંપાદક કિરણ કાપુરે જેલસુધારાને લગતાં ઉપક્રમોનું નિષ્ઠાપૂર્વક સંકલન કરે છે. અલબત્ત, ‘નવજીવન’નું આ કામ સુપેરે પાર પડી રહ્યું છે તેની પાછળ પ્રશાંત દયાળની પત્રકાર તરીકેની શાખ અને માણસ તરીકેની કરુણા છે. વિવેકભાઈ અને પ્રશાન્તભાઈ ગાંધીનું આ કામ ‘ગાંધી દોઢસો’ પછી પણ ચલાવશે એવી આશા અસ્થાને ન હોય.

********

10 જુલાઈ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”; 12 જુલાઈ 2019

પ્રશાન્ત દયાળની ફેઇસબુક દિવાલેથી સાભાર મેળવી આ લિંક ક્લીક કરવી અને ભજનો સાંભળવા :

dwhttps://gujarati.news18.com/videos/gujarat/video-listen-to-the-inmates-of-gandhijis-favorite-devotees-887466.html?fbclid=IwAR0XqEAm-G_Nsl7USqXG9Zj-_bs5lMXVYMJ46cbIGI1d5dKTgD5cZTWic

Loading

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|11 July 2019

હૈયાને દરબાર

છે અજબ વાતાવરણ અને ગઝલની કુમાશ ઘેરી વળી છે. ગત છઠ્ઠી જુલાઈએ જેમનો જન્મદિવસ ગયો, એ મનોજ ખંડેરિયાનું સ્મરણ ઘેરાયેલાં વાદળોની વચ્ચે સહજ થઈ આવ્યું છે. કેટકેટલી સુંદર, અર્થગહન ગઝલો એમણે આપી છે! આધુનિક ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. એ ઋજુ અને કમનીય ગઝલકાર કહેવાયા છે. ‘પીછું’, ‘ક્ષણોને તોડવા બેસું’ તથા ‘રસ્તા વસંતના’ જેવી નખશિખ ગઝલો આ કવિને ગુજરાતી ભાષાના ઋજુ કવિઓમાં અગ્રિમ સ્થાને બેસાડે છે. મનોજ ખંડેરિયાને મુશાયરાઓમાં સાંભળવા એક લ્હાવો છે. જો કે એ પોતે મુશાયરાના માણસ નહોતા. સ્વસ્થપણે ગઝલ રજૂ કરતા મનોજ ખંડેરિયા લોકોની વાહ વાહ અને તાળીઓથી સહેલાઈથી દોરવાઈ જાય એવા નહોતા. એમણે પોતે જ ગઝલ વિશે જે લખ્યું છે એમાં વિશ્વ પ્રત્યેની પ્રીતિનો સંકેત છે.

જેને તું મારી ગઝલો માને છે
વિશ્વ પ્રત્યેનું વહાલ છે આ તો!

મનોજ ખંડેરિયાની ગઝલો માત્ર મનોરંજન માટે નથી. અપાર મનોમંથન પછી એમણે કાવ્યસંગ્રહ આપ્યાં છે. ગઝલ એ એવું સ્વરૂપ છે કે એને અનુભૂતિનો સ્પર્શ ન મળે તો ગઝલનું પોત પાતળું પડે છે. આવી અનુભૂતિ મનોજભાઈની ગઝલોમાં અનુભવાય છે. જેમ કે;

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

છઠ્ઠી જુલાઈએ, મનોજ ખંડેરિયાના જન્મદિવસે એ શાયર સાંભરે છે એટલે એમનાં ચિત્રકાર પત્ની પૂર્ણિમાબહેનને સીધો રાજકોટ ફોન જોડું છું.

"તમે નહીં માનો પણ આજે હજ્જાર વોટ્સ એપ મેસેજ અને ફોનકોલ્સ મને આવ્યા છે. લોકો, ખાસ કરીને યુવા પેઢી મનોજને એમનાં મૃત્યુના પંદર વર્ષ પછી ય યાદ કરે છે એ અમારા પરિવાર માટે બહુ મોટી ભાવનાત્મક મૂડી છે. પૂર્ણિમાબહેન વાતનો આરંભ કરે છે. "મનોજની પ્રકૃતિ પ્રમાણમાં શરમાળ અને અંતર્મુખી. પિતાજી જૂનાગઢમાં મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. તેથી મનોજની મૈત્રી કોઈ સાથે લાંબી ટકે નહીં. પરિણામે પગ લાઈબ્રેરી તરફ મંડાય. એમ કરતાં વાચન અને કવિતાલેખનનો રસ કેળવાયો. પંદર વર્ષની વયથી જ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી, પરંતુ, છપાવી ત્રીસમાં વર્ષે. કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની એમના ગુરુજી તખ્તસિંહજી પરમાર સાહેબની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર ૧૯૬૫માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ના ‘કુમાર’માં પ્રકાશન પામી. સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના ફળરૂપે એમણે પછીથી અન્ય કાવ્યસંગ્રહો આપ્યા હતા.

એમના ગુરુએ છેવટે કહ્યું કે ભવિષ્યમાં મારે મનોજ અને રાજેન્દ્ર શુક્લની કવિતાઓ ભણાવવી પડશે એવું લાગે છે. ગિરનાર અને જૂનાગઢ પ્રત્યે અપાર લગાવ હોવાથી એમની ઘણી કવિતાઓમાં આ બંનેનો ઉલ્લેખ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આવે. પકડો કલમ પણ એ જ પ્રકારની ગઝલ હતી જેમાં વાત એવી છે કે નરસિંહ મહેતાએ રાસ જોતી વખતે હાથમાં મશાલ પકડી હતી. રાસમાં એ એવા તલ્લીન થઇ ગયા હતા કે મશાલ સળગતી સળગતી છેક નીચે હાથ સુધી આવી ગઈ તો ય એમને ભાન નહોતું રહ્યું. એ જ કલ્પનાને એમણે જુદી રીતે આ ગઝલમાં પ્રતિબિંબિત કરી છે. કાવ્યસર્જન અથવા તો કોઈપણ સર્જન, સર્જક માટે ઘણીવાર અત્યંત વ્યગ્રતાપૂર્ણ, પીડાજનક હોય છે, જે કરતાં હાથ આખેઆખો બળે એમ પણ બને. એ જ વાતને મનોજે જુદા જુદા શેરમાં ખૂબ સરસ રીતે વણી લીધી છે. જગજિત સિંહ અને અટલ બિહારી વાજપેયીજીએ પણ એમની ગઝલની સરાહના કરી હતી. છેલ્લે છેલ્લે તો માંદગીના બિછાનેથી એમણે સર્વોત્કૃષ્ટ ગઝલો લખી હતી. એમને શ્રમ ન પડે એટલે મારી બંને દીકરીઓ રૂચા અને વાણી એમના તકિયાની બાજુમાં કલમ, કાગળ અને ટોર્ચ મૂકી રાખતાં જેથી અડધી રાત્રે ઊંઘ ઊડે તો ય તેઓ શેર ટપકાવી શકે.

આવી શબ્દસમૃદ્ધ ગઝલ રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ તથા સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે. જેમની ગઝલગાયકીને ગુલામ અલી જેવા શ્રેષ્ઠ ગઝલગાયકે બિરદાવી છે એવા હિન્દી, ગુજરાતી અને ઉર્દૂ ગઝલોમાં નીવડેલા કલાકાર સોલી કાપડિયાએ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી લઈને સુગમ સંગીતની ઋજુતા અને પ્રાચીન ભક્તિગીતોની સુમધુર સરવાણી સુધીની યાત્રા ખેડી છે. તેઓ માને છે કે હૃદયમાંથી નીકળીને શ્રોતાઓના આત્માને સ્પર્શતું સંગીત એ જ સાચું અને સારું સંગીત કહેવાય. સ્પષ્ટ ઉચ્ચારોની પણ ઊંડી અસર પડે છે. એમની રચનાઓમાં ભાવનું પ્રાધાન્ય સૌથી વધારે હોય છે. સોલી કાપડિયા પકડો કલમ … ગઝલની સર્જન કથા આલેખતા કહે છે,

"સાલ ૧૯૮૯. ગુજરાતી સુગમસંગીત-સાહિત્યનું સંમેલન મુંબઈમાં યોજાયું હતું. આ અંગે જુલાઈ મહિનામાં ગ્રાન્ટ રોડની એક હોટલમાં ઊતારો મળ્યો હતો. હું અને મનોજ ખંડેરિયા એ જ હોટલમાં ભેગાં થઇ ગયા. હું એમને પહેલી વાર મળી રહ્યો હતો. સંમેલન સફળતાપૂર્વક પૂરું થયું એ જ રાત્રે મૂશળધાર વરસાદ! એટલો બધો કે હોટલની બહાર પગ ન મુકાય. આખા મુંબઈમાં પાણી ભરાઈ ગયાં’તાં. બે દિવસ સુધી આયોજકો જમવાનું હોટલ પહોંચાડે એની રાહ જોતાં અમે બેઠા હોઈએ. બીજું કોઈ કામ જ નહિ. મનોજભાઈ સાથે ખૂબ વાતો કરીએ. તેઓ એમનાં ગઝલ ગીત શેર કરે અને હું સાંભળતો જ રહું! બે દિવસો અત્યંત સુંદર કવિતામય અને સંગીતમય ગયા. વરસાદનું જોર ઓછું થયું એટલે છૂટા પડવાના દિવસે આ ગઝલ મને આપીને એ કહે: "સોલી, આ ગઝલ ખૂબ ચોટદાર છે. એને સ્વરબદ્ધ કરી ગાજે. મઝા આવશે. એમના અક્ષરે લખેલી એ ગઝલ ત્યારે તો મેં મારી ડાયરીમાં મૂકી દીધી. એક વર્ષ પછી મારું ‘પ્રેમ એટલે કે’ આલ્બમનું રેકોર્ડિંગ હતું ત્યારે એ ડાયરીમાંથી આલ્બમ માટે ગીતો નક્કી કરતો હતો ત્યાં એમના હાથે લખેલી એ ગઝલ જડી આવી.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
કે હાથ આખેઆખો બળે એમ પણ બને

સવાર ઉપરાંત રાત્રે પણ રોજ મોડે સુધી હું રિયાઝ કરતો. એ વખતે રાગ વાચસ્પતિએ મગજમાં જમાવટ કરેલી. રાત્રે બે વાગ્યે તીવ્ર, મધ્યમ અને કોમળ નિષાદ સાથે ઓડવ – સંપૂર્ણ જાતિમાં સ્વરાવલિઓ વહેતી હતી. એમાં આ ગઝલનો મત્લા સ્મરે છે અને ગઝલનું મુખડું કમ્પોઝ થઇ જાય છે. બાકાયદા શાસ્ત્રીય રાગની સીમાઓમાં બંધાયેલી આ બંદિશ બે ત્રણ દિવસ સુધી મગજમાં ચાલતી રહી. ત્રીજે દિવસે એનો પહેલો શેર અને પછી બીજા શેરો પણ સ્વરબદ્ધ થયા. અઠવાડિયામાં આ ગઝલનાં ચાર શેરોના ચારે અલગ અલગ મૂડ બન્યા. ગઝલમાં સામાન્ય રીતે બધા શેરોની સરખી જ ધૂન હોય પણ આ ગઝલમાં દરેક શેર અલગ મૂડમાં કમ્પોઝ થયા છે. ત્યાં એ શુદ્ધ વાચસ્પતિ ન રહે એ સ્વાભાવિક છે. દિવસો સુધી આ ગઝલ મઠારતો રહ્યો.

મુંબઈમાં એક કાર્યક્રમમાં આ ગઝલ પહેલી વાર ગાઈ ત્યારે સામે શ્રોતાગણમાં મનોજભાઈ પણ હતા. એમની ગઝલ એ દિવસે હિટ ગઈ. કવિની ખુશીનો પાર નહોતો. એ દિવસે મેં નક્કી કર્યું કે મારા આલ્બમ ‘પ્રેમ એટલે કે’માં આ રચના ચોક્કસ લઈશ. એટલું જ નહિ, આલ્બમ જ્યારે બહાર પડ્યું ત્યારે એની રચનાઓમાંથી આ અઘરામાં અઘરી રચના યુવાનવર્ગને ખૂબ પસંદ આવી! પેચીદા ચીજને સરળ રીતે પેશ કરી હતી એટલે એ કદાચ એમના હૃદય સુધી આસાનીથી પહોંચી પણ. દરેક કાર્યક્રમમાં ‘પકડો કલમ’ની ફરમાઈશ તો આવે જ. સ્વ. અજિત મર્ચન્ટની હાજરીમાં સ્વ. ઝરીન દારૂવાલા (સરોદ), પં. બાબુલાલ ગંધર્વ (બેલાબહાર), સ્વ. વિક્રમ પાટિલ (તબલા) અને ટોની વાઝ (બેઝ ગિટાર) સાથે આ ગઝલ સ્ટુડિયોમાં રેકોર્ડ થયેલી એ પળો હજુ અકબંધ યાદ છે. એચ.એમ.વી. દ્વારા રિલીઝ થયેલી આ કેસેટ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ, સાથે આ મારી પ્રિય રચના પણ બધેબધ પ્રસરી એનો વિશેષ આનંદ છે!

મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના અગ્રણી સર્જક હતા. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ નોંધપાત્ર છે.

મનોજ ખંડેરિયા વ્યવસાયે વકીલ. ૧૯૬૭માં એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો હતો. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે સંકળાયા હતા. કવિ વિશેની સામાન્ય છાપ ફકીરીની હોય પરંતુ, મનોજ ખંડેરિયા ‘સમૃદ્ધ’ કવિ કહેવાતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી પણ બજાવી હતી. સાયન્સના વિદ્યાર્થી હોવા છતાં એમનો જીવ તો કવિતાનો જ. ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં જેની ગણના થાય છે એ;

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

તથા,

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

એ બન્ને મારી પર્સનલ ફેવરિટ ગઝલો છે. શું અદ્ભુત શબ્દો છે આ બન્ને ગઝલના!

સુરેશ દલાલે ‘મશાલ અને દીવો’ શીર્ષક હેઠળ પકડો કલમ ગઝલનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે. તેઓ લખે છે, "કોરા કાગળનો મુકાબલો કરીએ અને કવિતા આવે જ એની બાંયધરી તો કોણ આપે? હાથમાં કલમ લઈએ અને કવિતાનો ઇલમ થાય એવું તો બને, અર્થાત્, ક્યારેક, ન પણ બને. કાગળ અને કલમની વચ્ચે કવિનો અશબ્દ શબ્દ છે. અથવા કવિનું મૌન છે. આ મૌન મૂર્ત પણ થાય અને એમાંથી કવિતાની મૂર્તિ પણ ઘડાય.

મનોજ ખંડેરિયા આપણા ઉત્તમ ગઝલકાર છે. એ લખે છે ઓછું, પણ લખે છે ત્યારે કશુંક નીપજે છે. પ્રારંભના શેરમાં એમણે કાવ્ય-સર્જન પ્રક્રિયાની વાત છેડી છે. કવિતા એમ ને એમ નથી લખાતી. નરસિંહ મહેતાના ગામ જૂનાગઢમાં રહેતો આ શાયર એમ કહે છે કે કલમ ને કાગળની વચ્ચે આખો હાથ નરસિંહની મશાલ થઈને બળવો જોઈએ. ગઝલના સ્વરૂપની મજા એ છે કે આપણે એક બાગમાં હોઈએ ને બાગમાં જુદાં જુદાં ઝાડ હોય ને પ્રત્યેક વૃક્ષને પોતીકું વ્યક્તિત્વ અને સૌંદર્ય હોય અને વળી પછી પ્રત્યેક વૃક્ષની છટાઘટા અને છાયામાયા જુદી હોય. બીજા શેરમાં કવિએ વેદનાની વાત છેડી છે. ક્યાંક પહોંચવાની ઝંખના વર્ષોથી હોય અને માનો કે આપણે ત્યાં પહોંચી પણ ગયા ને પહોંચ્યા પછી મનને પાછા વળવાનું મન થાય એવું પણ બને.

જરાક જુદા સંદર્ભમાં એક મરાઠી કવિના બાળગીતના ભાવની યાદ આવે છે. બનતા લગી આ બાળગીત વિંદા કરંદીકરનું છે. માએ છોકરાને એક દિવસ કહ્યું છે કે હું તને પૂના લઈ જઈશ. મુંબઈથી એક દિવસ મા ને દીકરો પૂના જવા માટે ટ્રેનમાં બેસે છે. થોડી વાર થાય છે. સ્ટેશન પર સ્ટેશન આવતાં જાય છે. પ્રત્યેક સ્ટેશને બાળક પૂછે છે, મા પૂના આવ્યું ? અને જ્યારે પૂના આવે છે ત્યારે મા કહે છે કે બેટા પૂના આવ્યું ને બાળક કહે છે કે હવે મુંબઈ ક્યારે જઈશું? ગઝલમાં આપણે ત્યાં આત્મનિરીક્ષણ અને એને પરિણામે ચિંતન કાવ્યમય રીતે પ્રગટે છે એટલે એનો ભાર લાગતો નથી. મનોજની ગઝલની આ લાક્ષણિકતા છે. મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે પોતાનો દોષ બીજા પર ઢોળવો. આપણે ક્યાંક ખોટે રસ્તે વળી ગયા હોઈએ તો રસ્તાનો કે ભોમિયાનો વાંક કાઢીએ, પણ આપણને છળનારાં તત્ત્વો કેવળ બાહ્ય નથી, આપણું મન જ આપણા મનને છળતું હોય છે; પણ કવિએ આ વાતને બહુ સરસ રીતે મૂકી છે. આપણો એક પગ બીજા પગને છળતો જાય છે. કશું અશક્ય નથી. આપણી સ્થિતિ પણ કસ્તૂરીમૃગ જેવી છે. કેડે છોકરું ને ગામમાં શોધીએ એમ જે આપણા પગની તળે હોય એની જ આપણે તલાશ કરતા હોઈએ છીએ, અંતે મક્તામાં ગઝલનો મહિમા અને પ્રણયનો મહિમા બંનેને ગાયા છે. તાળીઓની વચ્ચે ગઝલ ભીંસાઈ જતી હતી ત્યારે મનોજ જેવા કવિએ ગઝલના દીવા પ્રગટાવ્યા છે.

કવિ સુરેશ દલાલના આ રસપ્રદ આસ્વાદ પછી કશું કહેવાનું રહેતું નથી. માત્ર આ પંક્તિઓ જ મનમાં રૂડો રાસ રમી રહી છે;

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું!

——————————

એમ પણ બને!

પકડો  કલમ  ને  કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા  જ પાછું વળે, એમ પણ બને

એવું   છે  થોડું  છેતરે  રસ્તા   કે  ભોમિયા
એક પગ  બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં  જિંદગી  આખી  પસાર થાય
ને  એ જ  હોય  પગની તળે, એમ ૫ણ બને

તું  ઢાળ  ઢોલિયો,  હું  ગઝલનો  દીવો  કરું
અંધારું   ઘરને    ઘેરી   વળે, એમ પણ બને

                                      — મનોજ ખંડેરિયા

https://www.youtube.com/watch?v=tt0dclqKpu8

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 જુલાઈ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=532253

Loading

...102030...2,7462,7472,7482,749...2,7602,7702,780...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved