Opinion Magazine
Number of visits: 9577085
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૃદ્‌ગતિ અનિલ ભટ્ટ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 July 2019

અગિયારમી જુલાઈએ અનિલભાઈ (અનિલ આત્મારામ ભટ્ટ) − આપણી વચ્ચે તો એમના જેવા એકના એક ગયા. 1930થી 2019 એમ નેવ્યાસી વરસનું પૂર્ણાયુષ ભોગવી નેવુંમે એ લય પામ્યા. એમને એકના એક એટલા માટે કહ્યા કે ગિજુભાઈ (દક્ષિણામૂર્તિ), હરભાઈ (ઘરશાળા) અને જુગતરામ દવે (વેડછી) જેવી જમાતજુદેરી શિક્ષકત્રિપુટીના એ છાત્ર રહ્યા, તો નાનાભાઈ-બુચભાઈની વિરલ પરંપરામાં (અને સાથે) લોકભારતી – ગ્રામદક્ષિણામૂર્તિ વિદ્યાપરિવારમાં એમનું શિક્ષકજીવન મહોર્યું.

આ ચારે મોભી સાથે પ્રત્યક્ષઅપ્રત્યક્ષ સંકળાયેલા અનિલભાઈને પશ્ચાદ્દવર્તી ધોરણે ગ્રામદક્ષિણામૂર્તિ લોકભારતી પંચાયત પૈકી કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. “કોડિયું”ના સંપાદનમાં કે નઈ તાલીમ સંઘના પ્રમુખીય વક્તવ્યમાં કે એમ એમનું શૈક્ષણિક ને નાગરિક ચિંતન વ્યક્ત થતું રહ્યું. સદ્દભાગ્યે તાજેતરનાં વરસોમાં ‘મુક્તશીલા કેળવણી’ અને ‘હૃદયકોષે અનિલભાઈ’ જેવા બે સંચયોમાં તે પૈકી ઠીકઠીક સંચિત થયું છે એ આપણું સંબલ બની રહેશે.

આ સાથે, અંજલિરૂપે ‘હૃદયકોષે …”ની મારી પ્રસ્તાવના ઉતારી છે. આશા છે, એ સમયોચિત સુમિરન બની રહેશે.

− તંત્રી (“નિરીક્ષક”)

અમારા પરિવારમાં ઉત્તરોત્તર પિતૃમાતૃભ્રાતૃમૂર્તિવત્‌, મારા તો જો કે બહુધા બિરાદર જેવા બની રહેલા મનુભાઈએ વર્ષો પર નયનાની શૈક્ષણિક મથામણ અને કંઈક વ્યાકુળ વૈષ્ણવી આરત જોઈને એને કહેલું કે તું અનિલભાઈને મળ. આ લખું છું, ત્યારે જોઉં છું કે મનુભાઈ લૉબીનું પગથિયું ઊતરવામાં છે અને એક હાથ ઊંચો કરી, અનાયાસ જ ઊંચે દીવા ભણી તર્જની ચીંધી કહે છે : ‘હું તો કેળવણીકાર છું, પણ શિક્ષક તો અનિલ છે.’ બનતાં બની આવેલી એમની આ મુદ્રા સંભારું છું, ત્યારે એમનાં અતિપ્રિય બાઇબલવચનો સ્મૃતિમાં દડી આવે છે કે દીવાને ટોપલા તળે ઢાંકશો મા. એને તો ડુંગરટોચે સ્થાપો, જેથી સૌને એનો પ્રકાશ મળે.

નયનાને તો પછી પણ એમને અનિલભાઈ સાથે ઉપનિષદ યોજવા કહ્યું હશે, પણ અનિલભાઈને પછીનાં વરસોમાં દર્શક ઍવૉર્ડ મળવાનો હતો એનો અવસર અમારે આંગણે તો આમ જાણે કંઈ કેટલાં વરસ આગમચ ઊજવાઈ ગયો ન હોય! જો કે મનુભાઈએ અનિલભાઈને શિક્ષક કહી એમનું સમુચિત ગૌરવ કીધું હશે એ સાચું; પણ જેમને ‘કોડિયું’માં પ્રસંગોપાત્ત અનિલભાઈની નોંધો વાંચવાનું કે કોઈ વિશેષ વ્યાખ્યાન વાંચવા-સાંભળવાનું બન્યું હશે – મને તો કેટલાંક વરસ એમના વાર્ષિક હેવાલમાંથી પસાર થવાનો લહાવો મળ્યો હશે – એને લાગ્યા વિના નહીં રહે કે દેખીતી દર્શક-પરંપરાના છતાં અનિલભાઈ સ્વતઃ એક શિક્ષણચિંતક પણ છે – અને તે ય વ્યાપક નાગરિક નિસબતમાં ચોપાયેલા.

એમનો પિંડ શી-શી વાતે બંધાયો હશે એ વિચારું છું, ત્યારે જોઉં છું કે એ સ્વરાજ આંદોલનનું સંતાન છે. એ ગાંધીયુગનું સંતાન છે, અને એથી સમાજ – નવરચનાના મંથનમનોરથનો પુટ પણ ચડેલો છે. એક વાર કંઈક વાત કરવાનું બન્યું ત્યારે એમની કનેથી, મધુબહેનના પિતાજી છોકરાને (અનિલ આત્મારામ ભટ્ટને) ‘જોવા’ આવ્યા, તે ક્ષણની અનિલભાઈની ખેડૂતમુદ્રા વિશે ય સાંભળવાનું બન્યું છે. નવરચના સંદર્ભે, વ્યક્તિગત જીવન પ્રકૃતિ સાથે સંકળાઈ પરિશ્રમી કમાણીએ કોળતું હોય એવી બુનિયાદી સમાજનિસબત એમાંથી ફોરતી હશે. ટૉલ્સ્ટૉયે, જાલિમ પ્રેમમૂર્તિ ટૉલ્સ્ટૉયે જે અનેકનો પીછો છોડ્યો નથી, ‘ત્યારે કરીશું શું’ના વાચને કાકાસાહેબના શબ્દોમાં જીવન દૂધમાં ખારો કાંકરો પડી ગયા જેવું થઈ જાય છે, એનો સંસ્કાર પણ એમાં કામ કરતો હશે.

રહો, ટૉલ્સ્ટૉયની વાત ઘડીક રહીને. હમણાં એમને મેં સ્વરાજસંતાન કહ્યા, પણ જીવનના પ્રાથમિક ઘડતરનું શ્રેય તે સ્વરાજસંગ્રામના એકંદર માહોલનાં પ્રતિરૂપશાં માતાપિતાને આપવા સાથે દક્ષિણામૂર્તિને (સવિશેષ કદાચ ગિજુભાઈસર્જ્યા વાયુમંડળને) આપે છે. સોટી-શિક્ષણ અને ગોખણપટ્ટીથી હટીને પ્રેમ ઉર્ફે અહિંસાથી, વિકસતાં બાળુડાંની કર્મેન્દ્રિયોની સહજ સંડોેવણી સોતી કેળવણીનો જે કીમિયો વીસમી સદીના પૂર્વાર્ધમાં મનુષ્યજાતિ સમક્ષ આવ્યો, મૅડમ મોન્ટેસૉરીનો, એનું એક પોતીકું અવતરણ ને આવિષ્કરણ ગુજરાતમાં ગિજુભાઈ મારફતે આવ્યું. અને એ પ્રક્રિયા મોન્ટેસૉરી પદ્ધતિના દેશકાળલાયક નવસંસ્કરણની પણ હતી.

સ્વરાજસંગ્રામ (એટલે કે અહિંસક પરિવર્તનનો ગાંધીયોગ) અને નવી તરેહનું બાળમંદિર (એટલે કે મોન્ટેસૉરીયોગ) આ બેઉની સહોપસ્થિતિ અનિલભાઈને મન કેવળ જોગાનુજોગ નથી. પરસ્પરં ભાવયન્તઃ એવી આ બે પ્રવૃત્તિ અને પ્રક્રિયા છે; કેમ કે બંને અહિંસાથી કામ લેવા ચહે છે. અનિલભાઈના વ્યક્તિત્વ અને કર્તૃત્વ વિશે એમના સાંધ્યજીવનની લાલિમામાં ઊભી જોવાવિચારવાનું બને છે, ત્યારે આ જોગસંજોગ સાથેનું એમનું આજીવન સંધાન સુપેરે ઊપસી રહે છે.

દક્ષિણામૂર્તિ અને ઘરશાળામાં થયેલું પ્રાથમિક-માધ્યમિક ઘડતર અને પછી વેડછીમાં થયેલું ઘડતર એમને પહેલે તબક્કે, બેલાશક પ્રથમ પસંદગીપૂર્વક ખેડુજીવન ભણી જ લઈ ગયું હતું. પણ હરિજનો સાથે આભડછેટ વગરના સહજ વ્યવહારને કારણે આ ખેડૂતને સાથીની ટાંચ પડી, મોટા ભાગની મહેનત-મજૂરી પોતાને હિસ્સે આવી પડી. આ આકરા પરિશ્રમે સ્વાસ્થ્યને જે હાણ પહોંચાડી એથી ખેડુજીવનથી હટવાનું અનિવાર્ય બની ગયું એમ સમજાય છે.

પ્રકારાન્તરે એ ઠીક જ થયું, કેમ કે એથીસ્તો આત્મારામ ભટ્ટ પરિવારથી સુપરિચિત દર્શક અનિલભાઈને પંચાયત તાલીમવર્ગ માટે ખેંચી લાવ્યા અને મહેનતમજૂરીના સાદા એટલા જ સંસ્કારી જીવનને સમર્પિત જીવ સહજક્રમે શિક્ષણમાં સંયોજાતો ચાલ્યો. માંહ્યલો એટલે કે અંતરને ગોખલે બેઠો પેલો ખેડુ અલબત્ત જાગતોજ્યોત હતો, એટલે કેળવણીના ચાલુ જંતરડાથી ઉફરાટે બુનિયાદી શિક્ષણ આપવાની દિશામાં કંઈક વિશેષ સજ્જતા પણ હતી – અનેક રીતે આવકાર્ય પણ શહેરી મધ્યમવર્ગમાં બદ્ધ મોન્ટેસૉરી-પરંપરા(દક્ષિણામૂર્તિ)થી આગળ, કેવળ ગામડાંમાં નહીં પણ રૂંવેરૂંવે ગામડાંની નિશાળ (ગ્રામદક્ષિણામૂર્તિ) ભણી લઈ જઈ શકે એવું એ એક સંબલ હતું.

સમજવાનું જો કે એ છે કે શહેરી કહેતાં જે નાગરિક અભિજ્ઞતાનું વાનું છે, એનો આ સંક્રાન્તિમાં નિષેધ નહોતો ને નથી. બલકે, કહેવું હોય તો કહી શકાય કે, આ અભિજ્ઞતાએ સ્તો છેવાડાના જણ અને ગ્રામભારત સાથેના તાદાત્મ્યપૂર્વક નઈ તાલીમની લહે લગાડી.

અહીં પાછા પેલા ટૉલ્સ્ટૉયને સંડોવશું જરી? ટૉલ્સ્ટૉય જેમ ‘ત્યારે કરીશું શું’ના તેમ ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’નાયે લેખક છે, દૃષ્ટા છે. ગાંધીને ટૉલ્સ્ટૉય ગુરુવત્‌ વરતાયા એ આ બીજા પુસ્તકને પ્રતાપે. એક પા પોતે ધર્મજિજ્ઞાસાથી પરિચાલિત હતા, તો બીજી પા નાગરિક અને નાગરિક વચ્ચે ભેદ કરતી હકૂમત સાથે કામ પાડવાની નિયતિ હતી. મુમુક્ષુ ટૉલ્સ્ટૉયે ધર્મને પ્રેમ સ્વરૂપે ઘટાવ્યો અને ધર્મ(પ્રેમ)ને વહેવારમાં ઉતારવાની ધખના એમને દુષ્કાળપીડિતો વચ્ચે લઈ ગઈ. જોયું કે પીડિતો ખ્રિસ્તી, શોષક શાહુકારો પણ ખ્રિસ્તી, અને એ શાહુકારોને સાચવી લેતા શાસક પણ ખ્રિસ્તી! પ્રેમધર્મને અમલમાં મૂકવા નીકળેલા ટૉલ્સ્ટૉયને આ સાક્ષાત્કારક ક્ષણે સમજાઈ રહ્યું તે એ કે પરમ ગહન એવા સેવાધર્મ હો યા પ્રેમધર્મ, રાજ્ય ને રાજનીતિ પરત્વે વિવેક કેળવ્યા વિના, આલોચનાત્મક દૃષ્ટિબિંદુ ((critique) કેળવ્યા વિના ધર્માર્થીમાત્રને ચાલવાનું નથી. રાયચંદભાઈ(શ્રીમદ્‌રાજચંદ્ર)થી પોતાની ધર્મમૂંઝવણોમાં સમાધાન લાધ્યાનું કહેતા ગાંધી થાકતા નથી. પણ બીજા જિજ્ઞાસુઓ ને મુમુક્ષુઓ કરતાં, શ્રીમદ્‌રાજચંદ્ર કરતાં પણ, ગાંધી ન્યારાનિરાળા એ મુદ્દે છે કે એ જાહેરજીવનથી અને અન્યાય પ્રતિકારથી પરહેજ કરતા નથી.

આ ગાંધીપણું શ્રીમદ્‌ને નહીં એટલું ટૉલ્સ્ટૉયને અનુસરતું છે. ‘ત્યારે કરીશું?’ જેમ સમર્પિત સેવાયજ્ઞની અહાલેક જગવવાની હદે ઝંઝેડી નાખે છે તેમ એ અને ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ બેઉ મળીને રાજ્ય અને રાજકારણ પરત્વે આલોચનાવિવેકની અનિવાર્યતા ઊપસાવી રહી છે. સંગઠિત ધર્મ પરત્વે તેમ અર્થકારણ-સમાજકારણ પરત્વે પણ આવો આલોચનાવિવેક અનિવાર્ય છે. દેખીતી રીતે જ, નિશાળેથી નીસરી જવું પાંસરા ઘેર, અગર તો બૉર્ડિંગ સ્કૂલબદ્ધ ઢબછબ આદિના વશની આ વાત નથી. ઉત્પાદક એ નાગરિક નથી અને નાગરિક એ ઉત્પાદક નથીઃ આ જુવારાંને ભાંગવા કરતો અભિગમ નજર સામે રહે, તો ગ્રામદક્ષિણામૂર્તિ પ્રયોગની વિશેષતા શી વાતે છે તે અને એમાં અનિલભાઈએ પૂરેલ સમિધનો મહિમા શી વાતે છે એ સમજાય. કૃષિ-ગ્રામવિદ્યાના સ્નાતકને પ્લેટોથી માર્ક્સની વિશ્વવિચારણાનો પરિચય હોવો જોઈએ તે નાનાભાઈ-મનુભાઈની પહેલથી સ્વીકારાયું, અને અનિલભાઈ પણ દક્ષિણામૂર્તિ, વેડછી થઈ ગ્રામદક્ષિણામૂર્તિ પહોંચી વગરભણતરે આ નવી સ્કૂલના સ્નાતક જ નહીં પણ આચાર્ય કહેતાં. ચાન્સેલર થઈ ગયા!

આ ચાન્સેલર એ રવીન્દ્ર-પરંપરામાં ‘આચાર્ય’ તરીકે ઓળખાય છે, જેમ ઉમાશંકર જોશી શાંતિનિકેતનના આચાર્ય થયા હતા. વસ્તુતઃ રવીન્દ્રનાથ અને શાંતિનિકેતનને અહીં ચહીને સંભાર્યા છે. રવીન્દ્રનાથ ગ્રામલક્ષ્મીને, પ્રકૃતિને ચાહનારા અને સૌંદર્યના ઉપાસક હતા. આપણે ત્યાં ક્વચિત્‌શ્રેયસ કે ક્વચિત્‌ ચી.ન. વિદ્યાવિહાર જેવી શાળાઓને સાચદિલ પણ હુલાવીફુલાવીને શાંતિનિકેતન કહેવાયેલ છે. કરાંચી-માંગરોળના શારદાગ્રામ વિશે પણ આવી સરખામણીનો સહજ ઉમળકો પ્રસંગે પ્રગટ થયેલ છે. પણ આંબલા જેવા ગામડામાં, વંચિતબહુલ શાળામાં સૌંદર્યાનુભવ શક્ય બને ત્યારે તે આ બધાં ઉદાહરણોને વટી જતી ગાંધી-રવીન્દ્ર મિલનભૂમિની એક નવી જ મિસાલ કાયમ કરે છે.

તપસીલમાં તો શું ને કેટલું જાઉં, પણ ગ્રામ ટેક્‌નોલોજી-વ્યવહારુ ગૃહવિજ્ઞાન – સમાજનવરચના જેવા વિષયો દાખલ કરવામાં અનિલભાઈ અને સાથીઓ નિમિત્ત બન્યા. તેમાં નઈ તાલીમની વિકસી શકતી ક્ષિતિજોનાં દર્શન થાય છે, એટલું તો ખસૂસ નોંધવું જોઈએ.

સમાજનવરચનાની જિકર નીકળી જ છે તો વાત સમેટતે-સમેટતે એક-બે નાનામોટા મુદ્દા કરી જ લઉં. દરેક છાત્ર (કે છાત્ર ટુકડી) પોતાપણું અનુભવી પોતાની રીતે સર્જનાત્મક રસ લઈ નિર્માણ કરે, એવી એક મોકળાશ અને પહેલ – સોઈ ‘વાડોલિયું’ પ્રયોગ વાટે અનિલભાઈના અવિધસરના ચાન્સેલરપદે મળતી રહી છે. લોકઆંદોલનનાં રચનાત્મક સ્પંદનો અહીં ક્યારેક કોઈક વાડોલિયાને જેપીનું નામ આપીને પણ ઝિલાયાં છે! નવનિર્માણ વખતે લોકદક્ષિણામૂર્તિમાં ભણતર ચાલુ રહ્યું. ત્યારે બહારથી છાત્રોજોગ બંગડીઓ આવી હતી. લોકદક્ષિણામૂર્તિના છાત્રોએ તેના પ્રતિભાવમાં ઊંબી મોકલી, આંદોલનનાં મૂલ્યોની સાથે રહી સર્જનાત્મક શક્યતાઓ ચીંધી બતાવી હતી.

આંબલાના પ્રયોગો નઈ તાલીમની નાનકડી દુનિયામાં મશહૂર છે. એ બહાર પહોંચવા જોઈએ એ તો ખરું જ; પણ જે બીજું એક વાનું તત્કાળ કરવા જેવું છે, તે તો એ કે જે તે પ્રયોગને ‘કેસસ્ટડી’ ગણી એના સ્વાધ્યાય-મુદ્દાઓને શિક્ષણપોથી તરીકે ગુજરાતના વિદ્યાસમાજ સમક્ષ રમતા મૂકવા જોઈએ. કોઈ સ્થળવિશેષમાં એકાદ વ્યક્તિવિશેષ પોતીકી મૌલિકતા ને સર્જકતાથી કશુંક કરે તે ઠીક જ છે. પણ શિક્ષણપદ્ધતિ રૂપે એનો વ્યાપક સ્વીકાર અને ધોરણસર અમલ થાય તે માટે હમણાં કહી એવી પોથીઓ વિદ્યાસમાજવગી થવી ઘટે છે.

વિધિસરના ભણતરમાળખાથી નિરપેક્ષપણે, આછાપાતળા ભણતરજોરે પેટિયું રળી ખાતો વ્યાપક વર્ગ પોતપોતાના વ્યવસાયમાં નવકૌશલ પ્રાપ્ત કરે અને આજુબાજુની દુનિયાને સમજવાજોગ માહિતી મેળવે – કહો કે નાગરિકતાના પાઠ ભણે – એવો જે માઇધાર પ્રયોગ દર્શકે બીજા સ્વરાજ પછી તરતનાં વર્ષોમાં હાથ ધર્યો એમાં એમના આ અનુજ તો હોય જ. એક રીતે, સાદા ગ્રામજીવનના ખયાલે ખેડૂત બનવા નીકળેલ જણને શિક્ષણના કામમાં પડવાનું થયું તે પછી ઉત્તરકાળે પાછા બંને તબક્કાની મિલાવટ શો ‘નવી ગિલ્લી-નવો દાવ’નો આ એક ઉદાત્ત ઉધામો હતો. સમાજ – નવરચનાના સિપાહીઓ વચ્ચે શિક્ષક જેવા અને શિક્ષકો વચ્ચે સિપાહી જેવા મનુભાઈ-અનિલભાઈની આ એક રમતાં રમાય એવી ઇનિંગ્ઝ હશે સ્તો. અનિલભાઈના એક પુત્ર ચૈતન્યભાઈ છેલ્લાં વર્ષોથી ઢેઢુકીમાં દાવ લઈ રહ્યા છે. પોતે જેમને પિતા, મિત્ર, શિક્ષક ત્રણે કહ્યા છે, એ અનિલભાઈ સાથે ચૈતન્ય સંવાદ કરે – શિક્ષણ અને ગ્રામપુનર્નિર્માણને અનુલક્ષીને – એવું કાંક ન બની શકે? જેને આપણે ‘કમ્પેરિંગ નોટ્‌સ’ કહી શકીએ, એવી ખાસી વિધાયક સામગ્રી એમાંથી મળી રહે, તે નિઃશંક.

આરંભે શિક્ષક અનિલભાઈ અને નઈ તાલીમનો ઉછેર નહીં એવી ‘હાર્ડ નટ ટુ ક્રૅક વિથ’ છાત્રાનો ઉલ્લેખ કરતે-કરતે ‘ઉપનિષદ’ જેવો શબ્દપ્રયોગ સહજ જ ચાલ્યો આવ્યો હતો. સદ્‌ભાગ્યે બે’ક વરસ પર અનિલભાઈ સાથે થોડા મિત્રોનો, આવા ઉપનિષદયોગ બની આવ્યો અને એમાંથી એક પછી એક એમ ત્રણ પુસ્તકોની યોજના શક્ય બની. આ બીજું પુસ્તક છે અને ત્રીજું તરતમાં જ પ્રેસમાં જશે. આગળ ચાલતાં ત્રણેનાં પુનરાવર્તનો ગાળી, જરૂરી ઉમેરણ સાથે એક નવો સમન્વિત ગ્રંથ પણ બની શકે. અને હા, પેલી શિક્ષણપોથીઓ પણ રાહ જુએ છે.

આ પ્રક્રિયાને શગ ચઢતી હશે, ત્યારે દર્શક વળી બોલતા સંભળાશે – હું નહોતો કહેતો, અમારામાં શિક્ષક તો અનિલ જ. અને રમેશ સંઘવીને બાઇબલવચનો સંભારી એ શ્રેય પણ ખતવતા જણાશે કે દીવો ટોપલા તળે ઢંકાઈ રહે નહીં એ સારુ તેં કામ તો રૂડું કીધું.            

૨૨ ડિસેમ્બર, ૨૦૧૫

[પ્રસ્તાવના, ‘હૃદયકોષે અનિલભાઈ’, સંપાદન : રમેશ સંઘવી, પ્રકાશક : ગ્રામદક્ષિણા મૂર્તિ ટ્રસ્ટ, પહેલી આવૃત્તિ : ૨૦૧૬, રૂ. ૧૨૫/-]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૂ. 07-08

Loading

મુક્તશીલા કેળવણીના મજેદાર શિક્ષક

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|14 July 2019

અનિલભાઈ ભટ્ટનું અવસાન અનેક સ્પંદનો જગાડતું ગયું. એક મહત્ત્વની કડી લુપ્ત થઈ. એ ગુજરાતના એક ઉમદા પણ પ્રયોગશીલ શિક્ષક. મજેદાર, વિચારશીલ લેખક. બુનિયાદી કેળવણીના સફળ મશાલચી. એક બહાદુર, તપસ્વી પરિવારનું ફરજંદ. સર્વોદય, ગાંધી વિચારમાં તન-મન-ધનથી એકરૂપ બનેલ એ સમગ્ર પરિવાર.

અનિલભાઈને હળવામળવાના પ્રસંગો બન્યા છે. તેમાંનો છેલ્લો અવસર સાંભરે છે. એને ય હવે સત્તર સાલ થયા. એ ૨૦૦૨ની સાલ હતી. મનુભાઈ પંચોળી મોટે ગામતરે સિધાવ્યા તેને ય માંડ ચારેક મહિના ત્યારે થયા હતા. ૧૧-૧૨ જાન્યુઆરીએ, સણોસરા ખાતે, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં, ૪૦મા નાનાભાઈ ભટ્ટ સ્મૃતિ પ્રવચનમાળાનો અવસર હતો. અતિથિ વક્તા રઘુવીર ચૌધરી હતા. સદ્દનસીબે એમની સંગાથે જ મારો ય ઊતારો હતો.

વળતે દિવસે સવારે ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાથી અનિલભાઈ ભટ્ટ રઘુવીરભાઈને મળવા પધારેલા. બન્ને વડેરી વ્યક્તિઓ વચ્ચેની વાતચીત ચાલતી હતી. શ્રોતા તરીકે નિરાંતવા બન્નેને સાંભળતો હતો. એમાં અનિલભાઈએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના સ્મરણમાં, કાયમી ધોરણે, એક વ્યાખ્યાનમાળા ઊભી કરવાનુ સૂચન કરેલું તે સ્પષ્ટ સાંભરે છે. તેમાં ચર્ચવાને સારુ વિવિધ વિષયો સમેતનો એક આછેરો નકશો ય એમણે દર્શાવી આપેલો. બન્નેએ, એ વિચારોની આપ-લે જોડાજોડ, આ બાબતમાં સહમતી દર્શાવેલી.

અનિલભાઈ વિદાય થયા, અને રઘુવીરભાઈ સમક્ષ મન ખોલ્યું. જણાવ્યું કે ભારત બહારના ગુજરાતીઓ કનેથી, મનુભાઈ પંચોળી પ્રેમીજનો પાસેથી, આવું ભંડોળ ઊભું કરવાનું મુનાસિબ છે.

આ ‘દર્શક’ વ્યાખ્યાનમાળાના ત્રણ મણકા ય હવે પાર થયા છે. આ સાલ ચોથું વ્યાખ્યાન યાજાશે.

નયનાબહેન શાહ જોડે અવારનવાર બુનિયાદી તાલીમી કેળવણી અને અનિલભાઈની ખાંખતે વાત થયા કરી છે. આ ક્ષેત્રે એમનું પદાર્પણ સરસ, સફળ અને પોષક રહ્યું છે. ‘મુક્તશીલા કેળવણી’ તેમ જ ‘હૃદયકોષે અનિલભાઈ’ પુસ્તકો એનાં દ્યોતક છે. અનિલભાઈનું અવસાન દુઃખદ છે. એમને આ પેરેથી અમારી વિદાયવંદના હો. જૂહાર.

E-mail : vipoolkalyani.opinion@btinternet.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૂ. 06

છવિ સૌજન્ય : શિયલ મૂકેશની ફેઇસબૂક દિવાલ

Loading

બુદ્ધ : આત્મચિંતન અને સમાજચિંતનનું નિરાળું મિશ્રણ કરનાર મહામાનવ

રમેશ ઓઝા|Opinion - Opinion|14 July 2019

આપણે જોયું કે શ્રમણ અને બ્રાહ્મણ પરંપરામાં મુખ્ય ભેદ બે છે. એક એ કે શ્રમણો અંતિમ સત્ય હાથ લાગ્યું હોવાનો દાવો કરતા નથી, એટલું જ નહીં, અંતિમ સત્ય અંતિમ સ્વરૂપમાં કોઈને પણ હાથ લાગી શકે એમ તેઓ માનતા નથી. બીજો ભેદ એ છે કે શ્રમણો કોઈના પણ વચનને અંતિમ પ્રમાણ માનતા નથી. વેદોના તો નહીં જ, પણ પોતે કહેલાં વચનો પણ નહીં. આપણે જે કહીએ છીએ કે માનીએ છીએ એનાં કરતાં સત્ય અલગ હોવાની સંભાવનાઓનો તેઓ સ્વીકાર કરે છે. આનો અર્થ એ કે અર્હ્નંતો પણ ખોટા સાબિત થઈ શકે છે તેનો તેઓ સ્વીકાર કરે છે. જો ઉપરના બે તત્ત્વો સ્વીકાર્ય હોય તો શ્રમણે પોતાના વિશેના, પોતાને સમજાયેલા સત્ય વિશેના, હાથ લાગેલા પંથ વિશેના, પ્રમાણો વિશેના આગ્રહો છોડી દેવા પડે. એ માટે તમારે માખણ જેવા કોમળ અને અનાગ્રહી બનવું પડે. એ કઈ રીતે બની શકાય? શ્રમણો શુદ્ધ માણસ બનવા માટે કોઈ ઈશ્વર, વચન કે કૃપા જેવાં અવલંબનો સ્વીકારતા નથી; પણ પોતાના તપથી પોતાને ઉજાળવામાં માને છે. આમ શ્રમણ પરંપરા સ્વાવલંબી પુરુષાર્થી છે, જ્યારે કે બ્રાહ્મણ પરંપરા કૃપાર્થી છે.

જે શ્રમ કરે એ શ્રમણ એવો શ્રમણનો અર્થ છે. એ શ્રમ કષાયોને સાફ કરવાનો છે. શ્રમણ શબ્દનો એક બીજો અર્થ છે; શમન. વૃત્તિઓનું શમન કરે (શાંત પાડે) એ શ્રમણ. વૃત્તિઓનું શમન કરવા માટે પણ પરિશ્રમ કરવો પડે. આમ શ્રમણ શબ્દ શ્રમના અર્થમાં લો કે શમનના, સાધકને તે તપશ્ચર્યાની એક જ દિશાએ દોરી જશે.

આ લેખમાળામાં મેં લખ્યું છે કે ભારતીય દાર્શનિક પરંપરા અને તેના દ્વારા ઘડાયેલી જીવનશૈલી આત્મશોધન (સેલ્ફ-કરેક્શન) કરનારી છે. વેદોની કૃપાપરક સંહિતાઓનો જ્યારે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે અને લાલચના સ્વરૂપમાં અતિરેક થવા લાગ્યો તેમ જ સ્થાપિત હિતો જ્યારે તેનો દુરુપયોગ કરવા લાગ્યા ત્યારે વેદોના ઋષિઓએ આરણ્યક મંત્રો લખીને ઉપાસના પર ભાર મુક્યો હતો અને એ પછી ઉપનિષદો લખીને આત્મા અને પરમાત્માની સમજ આપનારાં જ્ઞાનપરક મંત્રો લખ્યાં હતાં. ભગવદ્ ગીતાએ પણ કામના, ઉપાસના અને જ્ઞાનમાં વિવેક કરવાનું શીખવ્યું છે. સાંખ્યમાં આવતી ત્રિ-ગુણની વાત અને તેની સાથે યોગસૂત્ર પણ જાતને ઉજાળવા માટેની જહેમત છે. ટૂંકમાં જાતને ઉજાળવી એ ભારતીય દાર્શનિક પરંપરાનું અને સમાજનું એક અનોખું પાસું છે. આમ અતિરેકોને ખાળવા માટે વિવેક અને શ્રમનું મહત્ત્વ બ્રાહ્મણ પરંપરાએ પણ સ્વીકાર્યું છે. સાંખ્ય અને યોગસૂત્ર આનું પ્રમાણ છે.

પરંતુ એમ લાગે છે કે એટલે પૂરતું નહોતું. વેદો અપૌરુષેય છે, વેદ અંતિમ પ્રમાણ છે, તેનો શબ્દ ખોટો હોઈ જ ન શકે એમ કહીને બ્રાહ્મણો કર્મકાંડનો અતિરેક કરતા હતા. એમાંથી અધિકાર-ભેદ પેદા થયા હતા. આ અર્ચન-પૂજન અને ફળપ્રાપ્તિનો અધિકારી ગણાય અને આ ન ગણાય. આમાંથી જ્ઞાતિ-વ્યવસ્થા વાડાબંધ થતી ગઈ અને પછી તો જન્મ આધારિત બનવા લાગી. સ્ત્રીઓને અધિકારોથી વંચિત રાખવામાં આવી. કર્મકાંડના નામે પશુ હિંસા કરનારા યજ્ઞો થવા લાગ્યા. આ બધું જ કૃપા મેળવવા માટે થતું હતું અને પાછું કૃપા મેળવવાનો અધિકાર સાર્વત્રિક નહોતો. બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, ગીતા, સાંખ્ય અને યોગસૂત્રકારના પ્રયત્નો છતાં પ્રમાણનો આશ્રય લઈને કૃપા વેચવાના અને ડરાવતા રહેવાના બ્રાહ્મણોના પ્રપંચો નિરસ્ત નહોતા થયાં. 

પ્રાચીન ભારતમાં આવી જે સ્થિતિ હતી એમાંથી પ્રજાને છોડાવવા માટે શ્રમણ પરંપરા વિકસી. તેમણે વેદો સહિત કોઈના પણ પ્રમાણનો અસ્વીકાર કર્યો. તેમણે કર્મકાંડો અને કર્મકાંડો દ્વારા મળતી કૃપાઓનો અસ્વીકાર કર્યો. તેની જગ્યાએ પુરુષાર્થ પર ભાર મૂક્યો. તેમણે અધિકાર ભેદનો પણ અસ્વીકાર કર્યો.

અસ્વીકાર. મહામૂલું રતન છે આ. અસ્વીકાર કરવા જેટલી સમજ અને હિંમત માણસ બનવા માટેની પહેલી જરૂરિયાત છે. ખૂબ ઊંડું મનોમંથન કરશો તો ખ્યાલ આવશે કે અસ્વીકાર કેવી કિંમતી જણસ છે! જગતનો ઇતિહાસ એમ કહે છે કે સમાજનું ઉત્થાન અસ્વીકાર દ્વારા જ થાય છે. શંકા કર્યા વિના અને પ્રશ્નો પૂછ્યા વિના બધું જ સ્વીકારીને જીવતો સમાજ આગળ વધતો નથી અને ધીરે-ધીરે પ્રાણ ગુમાવી દે છે. આરણ્યક ઋષિઓએ, ઉપનિષદ્કારોએ, ભગવાન વ્યાસે કે પતંજલિએ સાચી દિશા બતાવી હતી; પરંતુ ખોટાનો અસ્વીકાર નહોતો કર્યો. બુદ્ધે, મહાવીરે, શ્રમણ પરંપરાના અન્ય દાર્શનિકોએ અને પરલોકમાં નહીં માનનારા જડવાદી લોકાયતોએ ખોટાનો અસ્વીકાર કરવાની હિંમત કરી હતી. આ રીતે તેઓ આપણી પરંપરાને શુદ્ધ માનવીય સ્વરૂપ આપવાની દિશામાં એક ડગલું આગળ લઈ ગયા હતા.

અસ્વીકાર કરવામાં મહાવીર કરતાં બુદ્ધ હજુ એક ડગલું આગળ હતા. ભગવાન મહાવીરે તપશ્ચર્યા દ્વારા આત્મપ્રક્ષાલન કરવા પર અને એ રીતે પોતાને મુક્ત કરવા પર ભાર મૂક્યો હતો. બુદ્ધે ગ્રંથ અને પંથના નામે જકડી રાખવામાં આવતા સમાજને મુકત કરવાનો પ્રયાસ કર્યો હતો. બુદ્ધ કદાચ પહેલા ફિલસૂફ હતા જેમણે આત્મચિંતનની સાથે સમાજચિંતન કર્યું હતું. આ જગતમાં અધિકારભેદ જેવું કશું હોતું નથી અને અધિકારભેદ ગયો કે દરેક પ્રકારના સામાજિક ભેદભાવો આપોઆપ ગયા.

બુદ્ધની બીજી વિશેષતા એ કે તેમણે મધ્યમમાર્ગ બતાવીને જીવનદર્શનને લોક્સુલભ બનાવી આપ્યું. આકરી તપશ્ચર્યા દરેક વ્યક્તિ કરી શકતી નથી. તપશ્ચર્યાનો માર્ગ અઘરો છે એટલે લોકો દેવી-દેવતાઓને અને બ્રાહ્મણોને પ્રસન્ન કરવાનો અને એ રીતે કૃપા મેળવવાનો આસાન માર્ગ અપનાવે છે. પરિણામે સમાજ કહેવાતા કૃપાર્થીઓની પકડમાંથી મુક્ત થતો નથી. બીજું આત્મ-પ્રક્ષાલન માટે હાડ ગાળી નાખવાની જરૂર પણ નથી. જેમ કર્મકાંડ એક અતિરેક છે એમ તપશ્ચર્યાનો પણ અતિરેક થઈ શકે છે. માણસને માણસ બનવા માટે બે જ ચીજની જરૂર છે; એક સારાસાર વિવેક કરી શકવા જેટલી દ્રષ્ટિની અને બીજી કરુણાની. તમારે કૃપાની યાચના કરનારા મૂઢ ટોળાંનો હિસ્સો બનવાનું નથી અને સમાજથી મોં ફેરવીને આત્મકેન્દ્રી તપસ્વી બનવાની જરૂર નથી. વિવેકી અને કરુણાવાન બનો એમાં બધું આવી ગયું. તમે આપોઆપ માનવકેન્દ્રી બની જશો.

ભગવાન બુદ્ધ આજે આખા જગતમાં સૌથી પ્રિય અને આદરણીય છે એનું કારણ આ છે. બુદ્ધના દર્શનમાં માનવ કેન્દ્રમાં છે. નથી ઈશ્વર કે નથી આત્મા. આવો ક્રમશ: વિકાસ જગતની બીજી કઈ વિચાર-પરંપરામાં જોવા મળે છે? વિધર્મીને પરાણે ‘જય શ્રીરામ’ બોલાવનારા અને તેનું તાડન કરનારા તેમ જ તેવા લોકોને ટેકો આપનારા લોકો સો ટકા ભારતીય પરંપરાના ફરજંદ નથી. તેઓ આવા સંસ્કાર ક્યાંક બીજેથી લાવ્યા છે. એ સંસ્કાર ક્યાંથી આવ્યા અને શા માટે આવ્યા એની વાત આગળ ઉપર કરવામાં આવશે.

અત્યારે તો ભગવાન બુદ્ધને વિવેક અને કરુણાના સંસ્કાર ક્યાંથી મળ્યા એનો એક પ્રસંગ જોઈ લઈએ.

ગૃહત્યાગ કર્યા પછી બીજાની જેમ સિદ્ધાર્થ પણ કોઈ માર્ગ બતાવનારા ગુરુની શોધમાં ભટકતા હતા. જ્યાં જુઓ ત્યાં શ્રમણોની છાવણીઓ નજરે પડતી હતી અને તેઓ હાડ ગાળી નાખનારી તપશ્ચર્યા કરતા હતા. સિદ્ધાર્થ તેમની સાથે ચર્ચા કરતા હતા અને દરેક તપસ્વી આત્મ-પ્રક્ષાલન માટે તપશ્ચર્યાને અનિવાર્ય લેખાવતા હતા. સિદ્ધાર્થને પણ લાગ્યું કે તપશ્ચર્યાનો માર્ગ ચકાસી જોવો જોઈએ એટલે તેમણે એક જગ્યાએ બેસીને ચાળીસ દિવસના ઉપવાસ અને ચિંતન શરુ કર્યું. સિદ્ધાર્થ જે જગ્યાએ બેસીને તપશ્ચર્યા કરતા હતા ત્યાં એક ભરવાડની દીકરી ઘેટાં-બકરાં ચરાવવા આવતી હતી. બુદ્ધ અન્નનો દાણો મોઢામાં નાખતા નહોતા એ તેનાથી જોવાતું નહોતું. તે રોજ દૂધનો પ્યાલો હાથમાં રાખીને બુદ્ધની આજુબાજુ ફરતી રહેતી. ભૂખ લાગે તો તરત તેને દૂધ આપી શકાય.

એમ કહેવાય છે કે ચાલીસમાં દિવસે બુદ્ધને પ્રકાશ થયો કે જો દુનિયામાંથી દુઃખ દૂર કરવું હોય તો કરુણાવાન બનવાની અને તૃષ્ણાઓનો ત્યાગ કરવાની જરૂર છે. બુદ્ધે આંખ ખોલી તો પેલી છોકરી દૂધના પ્યાલા સાથે સામે ઊભી હતી. એ છોકરીની આંખમાં તપશ્ચર્યાથી કૃશ થઈ ગયેલા બુદ્ધ માટે અપાર કરુણા હતી. એ ક્ષણે ભગવાન બુદ્ધને બીજાં બે સત્ય હાથ લાગ્યાં. ભગવાને વિચાર્યું કે મને આકરી તપશ્ચર્યા કર્યા પછી જે સત્ય હાથ લાગ્યું એ આ છોકરીને વગર તપશ્ચર્યા કર્યે હાથ લાગેલું છે. આના બે અર્થ થયા. એક તો એ કે માણસને માણસ બનવા માટે નથી કોઈની કૃપાની જરૂર કે નથી આકરી તપશ્ચર્યાની જરૂર. વચ્ચે, લોકસુલભ મધ્યમમાર્ગે ચાલીને માણસ ટકોરાબંધ સાચો માણસ બની શકે છે. બીજું એ કે અધિકારભેદ જેવી કોઈ ચીજ નથી. તપસ્વી બુદ્ધની કરુણામાં અને ભરવાડની છોકરીની અંદર રહેલી કરુણામાં કોઈ ફરક નથી. ઊલટું બુદ્ધ તો કાંઈક શોધતા હતા જ્યારે પેલી છોકરીની કરુણા સહજ નિર્વ્યાજ હતી.

દરેક વ્યક્તિ મુક્ત થવાને અધિકારી છે. દરેક વ્યક્તિ સમાન છે. દરેક વ્યક્તિ લોકસુલભ મધ્યમમાર્ગે મુક્તિ મેળવી શકે છે. માત્ર માણસે માણસ બનવાનું છે અને તે માટે ન તો ઈશ્વર કે નહીં આત્મા, પણ માનવને કેન્દ્રમાં રાખવાનું છે.

08 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 જુલાઈ 2019

Loading

...102030...2,7442,7452,7462,747...2,7502,7602,770...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved