Opinion Magazine
Number of visits: 9577082
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય રેલગાડી વેપારીઓને વેચી દેવી એ તે કેવી દેશભક્તિ ?

મનીષી જાની|Opinion - Opinion|24 July 2019

હમણાં ગુજરાત વિધાનસભામાં જણાવવામાં આવ્યું કે ટાટા મોટર્સે સાણંદ ખાતે આવેલા તેનાં કારખાનામાં છેલ્લાં બે વર્ષમાં માત્ર 2059 કારોનું જ ઉત્પાદન કર્યું!

અને તે પણ જેનાં માટે ગુજરાત સરકારે 1,100 એકર જમીન ટોકન રૂપિયે આપી તે દુનિયાની સૌથી સસ્તી લાખ રૂપિયા વાળી નેનો કારનું ઉત્પાદન તો બંધ જ કરી દેવાયું છે. એનું તો ગયા ડિસેમ્બરમાં માત્ર 85 નંગનું જ ઉત્પાદન થયું!

2008માં ગુજરાત સરકારે 0.60 %ના દરે હજારો કરોડ રૂપિયાની લોનો અને જમીનો આપી. એ વખતે ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે 2,000 કરોડ રૂપિયાના રોકાણથી દર વર્ષે શરૂઆતમાં 2,50,000 – અઢી લાખ નેનો કારોનું ઉત્પાદન કરવામાં આવશે અને પછી થી દર વર્ષે પાંચ લાખ કારોનું ઉત્પાદન થશે અને ગુજરાતના દસ હજાર યુવાનોને તેને લઈ રોજીરોટી મળી રહેશે.

આજે 2019માં આ બધી જ વાતો પોકળ સાબિત થઇ રહી છે. ગુજરાતના લોકોના ટેક્સના નાણાંથી ઊભી થયેલી આ જંગી કાર ફેક્ટરી સાવ પાણીમાં બેસી જાય અને 1,100 એકર જમીન મફતના ભાવે લૂંટી લે અને સરકાર તેની સામે કોઈ જ પગલાં ના લે ત્યારે સવાલ થાય છે કે આ લૂંટ કરનારા અને લૂંટની લ્હાણી કરનારા રાષ્ટ્રદ્રોહી – દેશદ્રોહી કહેવાય કે ન કહેવાય ?

એક બાજુ આ ગુજરાત સરકાર હજારો આદિવાસીઓને વન અધિકાર હેઠળ તેમના હક્કની નાની સરખી જમીનના પટ્ટા આપવામાં વર્ષોથી ઠાગાઠૈયા કરી રહી છે અને બીજી બાજુ એક માત્ર વ્યક્તિને હજારો કરોડ રૂપિયાને સેંકડો એકર જમીન કોઈ બાંહેધરી લીધાં વિના લૂંટાવી દેવાય એને તે કેવો ન્યાય ગણવો રહ્યો ?

આ તો એક કાર-ઉત્પાદકની વાત, પણ હવે જે એક પછી એક દેશમાં દાયકાઓથી હજારો લાખો કર્મચારીઓ, અધિકારીઓને શ્રમજીવીઓની મહેનત-લગનથી પેદા થયેલાં સેવા-સુવિધા તંત્રોને ખાનગી વેપારીઓને વેચી મારવાની નીતિ ઝડપભેર અમલમાં મૂકવાની શરૂ થઈ છે તે ઘણી ચિંતાજનક છે.

સવાલ થાય છે કે આ ખાનગીકરણનો રસ્તો દેશને ક્યાં લઇ જશે ?

આપણા દેશમાં સૌથી પહેલી રેલગાડી ઠેઠ 1853માં મુંબઈ-થાણે વચ્ચે ચાલુ થઈ હતી. એ વાતને 165થી વધુ વર્ષ થઈ ગયાં. આજે દેશમાં 12,000 ટ્રેનો દોડે છે અને કહો કે રોજ આખા ઓસ્ટ્રેલિયાની વસતિ જેટલા લોકો એટલે કે આશરે અઢી કરોડ વ્યક્તિઓ તેમાં મુસાફરી કરે છે.

સત્તર લાખ જેટલા કામદારો-કર્મચારીઓની રાત દિવસની મહેનતથી આ ભારતીય રેલગાડી પાટાઓ પર સતત ચોવીસે કલાક લોકોની સેવામાં ઠેર ઠેર, દેશના ખૂણે ખૂણે ચાલતી રહી છે.

અને ભારતીય રેલવે સૌથી વધુ રોજગારી પૂરી પાડનારું દુનિયામાં સાતમા નંબરનું સ્થાન ધરાવતું સંગઠન છે.

આ ભારતીય રેલવેને પણ ખાનગી પેઢીઓને ચલાવવા આપી દેવાનો નિર્ણય ભા.જ.પ.ની સરકારે લઈ લીધો છે. અને આગામી 100 દિવસોમાં R.T.C.T.C.ને હરાજીથી ખાનગી પેઢીને દેશની બે ટ્રેનો ચલાવવા આપવાનો નિર્ણય પણ લેવાઇ ચૂક્યો છે.

જે ટ્રેનોમાં સૌથી વધુ લોકો મુસાફરી કરે છે, જ્યાં જેનો સૌથી વધુ ટુરિસ્ટો લાભ લે છે તે દિલ્હી – લખનઉ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને આ ખાનગી વેપારીઓને સોંપી દેવા પ્રથમ નંબર અપાયો છે.

2015 માં રેલવે બોર્ડ દ્વારા નિમવામાં આવેલા બિબેક દેબરોય કમિટીના રિપોર્ટે સરકારને રેલવેના નિગમીકરણની ભલામણ કરી હતી અને કહેવાયું કે હવે રેલવે મંત્રાલય દ્વારા માત્ર નીતિ ઘડવાનું કામ કરાવવું જોઇએ બાકી રેલવે ડબ્બા બનાવતાં છ કારખાનાઓને નિગમ-કોર્પોરેશન હેઠળ લઈ જવા જોઈએ અને રેલગાડીઓ ચલાવવાનું ખાનગીકરણ કરી નાંખવું જોઈએ.

અને આ રિપોર્ટના પગલે આ ખાનગીકરણની ટ્રેન 'બધું વેચી કાઢો'ના પાટાઓ પર ઝડપભેર દોડવા માંડી છે.

એક જમાનામાં એટલે કે 1974માં રેલવે ટ્રેડ યુનિયનોની આગેવાનીમાં આઠ કલાકની નોકરી અને યોગ્ય પગારધોરણની માગણી સાથેની કર્મચારીઓ-કામદારોની જબરદસ્ત રેલ હડતાલ પડી હતી ને સાત સાત દિવસ લગી ટ્રેનો ઠપ્પ પડી હતી. જેને લઈ રેલ કામદારોના જીવનમાં ને નોકરીના નિયમોમાં સુધારા જણાયા હતા.

આ હડતાલને કારણે રેલવેનાં તંત્રો ઢીલાં પડ્યાં કે તેની વિકાસની ગતિ ધીમી પડી એવું કંઈ બન્યું ન હતું.

ખરેખર તો અત્યારે રેલવેની બોગી-ડબ્બા બનાવતાં કારખાનાઓ મોટો નફો કરે છે, ઉપરાંત દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ઉત્તમ કક્ષાના અને સૌથી સસ્તા રેલવે ડબ્બાઓ નિર્માણ કરવાના યશભાગી છે.

અને આવા સમયે રેલવેના ખાનગીકરણના મુદ્દે રેલવે કર્મચારીઓને કામદારોમાં ભારે અસંતોષ અને આક્રોશ ઊભો થઈ રહ્યો છે.

સતત રોજેરોજ અત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ખાનગીકરણ સામે દેખાવો – ધરણાં ને રેલીઓના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

એ પણ, ખાસ કરીને ટેલિવિઝન સમાચારો – મીડિયામાં એને યોગ્ય સ્થાન નથી મળી રહ્યું, એ ય આ દેશ કઈ તરફ ગતિ કરી રહ્યો છે અને તેને કોનું કોનું સમર્થન છે તે બાબતે સૂચક છે.

રેલવે કામદાર યુનિયનોના આગેવાનોનું માનવું છે કે ભારતીય રેલવેનું ખાનગીકરણ થશે એટલે નવી ભરતીઓ અટકી જશે. દેશમાં યુવાનોને નોકરી આપવાનું આ એક મોટું તંત્ર છે.

હવે તો આપણા સૌનો અનુભવ છે કે સરકારી કરતાં ખાનગી તંત્રોમાં ઓછા પગાર અને ઓછા કર્મચારી-કામદારો અને તેમની પાસે વધુ કલાકો કામ કરાવવાનું શોષણચક્ર ચાલતું હોય છે.

વળી પેસેન્જરો માટે પણ આ ખાનગી હાથોમાં જનારી ટ્રેનોના ભાડાં વધશે. પેસેન્જરો પાસેથી જાતભાતના અલગ અલગ ચાર્જીસ- ભાડાં વસૂલ કરવામાં આવશે. અત્યારે જે રીતે ખાનગી વિમાન સેવાઓ તહેવારો, વેકેશન કે ખાસ સંજોગોમાં જે રીતે બેફામ ભાવ વધારા ઝીંકીને પેસેન્જરોને લૂંટે છે એ જ પ્રકારે લૂંટ ખાનગીકરણમાં વધવાની.

ખાનગી માલિકો દ્વારા ચાલતી ટ્રેનોમાં સુવિધાઓ, ખાણીપીણી એ બધાં અંગે ક્યાં કોને ફરિયાદ કરવી એ પણ મુસાફરો માટે મોટા પ્રશ્નો બનવાનાં છે, જે અત્યારે ખાનગી ટીવી ચેનલો, મોબાઇલ સેવાઓ, ઈલેક્ટ્રીક સેવાઓમાં લોકો ભોગવી રહ્યા છે. કોઈ જવાબ આપવા હોતું જ નથી; એવો અનુભવ સામાન્ય જનતાનો છે.

ખાનગી હાથોમાં જ્યારે લોકસેવાનાં તંત્રો સોંપાય છે, ત્યારે એવી દલીલ થાય છે કે ખાનગી હાથોમાં જવાથી ચુસ્ત વહીવટ આવશે અને તેને લઈ ઉપભોક્તાઓને વધુ સરળ, ઝડપી સેવાઓ ને સુવિધાઓ મળશે.

પણ આપણા સૌના અનુભવથી આ વાત સાચી લાગતી નથી. ટેલિફોન – મોબાઈલની ખાનગી સેવાઓનો આપણને તાજો અનુભવ છે. થોડા સમય પૂર્વે BSNLની લોકો ખૂબ મજાક કરતાં હતાં પણ આજકાલ ખાનગી સેવાઓના અનુભવો પછી BSNL આ બધાં કરતાં સારી એવું બોલતા લોકો જોવા મળે છે .. પણ સરકાર તેને પણ ખતમ કરવા નીકળી છે તે સૌને ખબર છે.

ખાસ મુદ્દો તો રેલવેના ખાનગીકરણનો એ જ રહેવાનો કે જ્યાં વધુ પેસેન્જરો મુસાફરી કરે છે યા જ્યાં જે રૂટ પર સુખી સંપન્ન લોકો મુસાફરી કરે છે તેવી ટ્રેનો એટલે કે જ્યાં વધુ ફાયદો છે તેવી ટ્રેનો ચલાવવાની કામગીરી જ ખાનગી વેપારીઓ પસંદ કરશે.

જ્યારે સરકાર દ્વારા ચાલતી ભારતીય રેલવેમાં તો દેશના લોકોને દૂરસુદૂર મુસાફરી માટે સેવાસુવિધા પૂરી પાડવી એ જ મુખ્ય લક્ષ્ય રહ્યું છે. ટ્રેનમાં પુરતાં મુસાફરો ન હોય તો પણ જે કોઈ મુસાફરી કરે છે તેમને સસ્તાં ભાડે સેવા આપવી એ જ ધ્યેય રહ્યું છે. એટલે લાંબા ગાળે, ખાનગીકરણને લઈ કહેવાશે કે 'અમે હાઈક્વોલિટીની સેવા આપીએ છીએ અને જે ટ્રેનોમાં પેસેન્જર મળતાં નથી તેનાં પર કાપ મૂકીએ છીએ યા સરકારી ભારતીય રેલવેને પાછી આપીએ છીએ !'

અને તેને લઈ મોટા પાયે કર્મચારીઓ – કામદારોની નોકરીઓ પર કાપ મૂકાવાની સંભાવના રહેશે જ.

એક જમાનામાં મારી યાદદાસ્ત પ્રમાણે 1985-87ના સમયમાં, જ્યારે બ્રિટનમાં માર્ગારેટ થેચરની સરકાર હતી તેમણે બ્રિટનમાં બધું ખાનગી હાથોને સોંપવાનું શરૂ કર્યું હતું. 1986માં હું લંડન ગયો હતો ત્યારે લંડન બ્રિજ પાસે ઊભા રહી એક મિત્રે કહેલું કે 'આ થેમ્સ નદી પણ હવે તો વેચી દેવાઈ છે !'

એ થેચર રાજમાં તો ટ્રેનો ચલાવવાનું કામ પણ ખાનગી કંપનીઓને સોંપાયું.

ખાનગી કંપનીઓ એ ખોટમાં જઈએ છીએ એમ કહી કહી ત્રણ વાર ભાડાં વધાર્યા ને સરકાર પાસેથી સહાયો લીધાં કરી અને બહેતર સેવાઓની દલીલો પર ટ્રેનો દોડતી રહી. પણ આટલાં વર્ષે એ ભ્રમ તૂટી રહ્યો છે, અને એ જ કન્ઝરવેટીવ પાર્ટીની ટેરિઝાની સરકાર હવે પાછું એ જ બહેતર સેવાઓ ની દલીલ સાથે ટ્રેન સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે એવી વાતો સાંભળવામાં આવી રહી છે. બ્રિટનમાં ખોટ ખાવાની દલીલ કરનારને પોતાની કંપની દ્વારા ટ્રેનો ચલાવનારા ઉદ્યોગપતિ રિચર્ડ બ્રાન્સને કમાઈ કમાઈને જ પછી તો વર્જિન એરલાઇન્સ નામે હવામાં ઉડાડવાનો ધંધો પણ ચાલુ કર્યો .. એ ય ખાનગીકરણની જ બલિહારી ગણવી રહી ને ?

2014માં સત્તા ગ્રહણ કર્યા બાદ આપણા દેશના નવા ભા.જ.પ.ના વડાપ્રધાને કહ્યું હતું કે 'કોઈ પણ ભોગે રેલવેનું ખાનગીકરણ નહીં થાય .. હું મરવાનું પસંદ કરીશ પણ ખાનગીકરણ તો નહીં જ …!'

બનારસની સભામાં કહેલી આ વાત 2015માં પણ દોહરાવી ને રેલવે કર્મચારીઓને સંબોધતા તેમણે જણાવી હતી.

પણ ફરીથી ચૂંટણી જીત્યા બાદ આવેલી સરકારે બુલેટ ટ્રેનની ઝડપે ખાનગીકરણ તરફ દોડ માંડી છે ત્યારે સવાલ તો થાય જ કે પરદેશી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક વાર દેશમાં ધામા નાખીને દેશને કેરીના ગોટલાની જેમ ચૂસી ચૂસીને ખતમ કરી નાંખેલો અને દેશ ગુલામ બની ગયો હતો. તો શું આ ફરીથી દેશનાં તંત્રો, સુવિધાઓ, સેવાઓને ખાનગી હાથોમાં વેચી નાખવાના ધમપછાડાને આપણે દેશભક્તિ કહીશું કે પછી દેશદ્રોહ ?

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 24 જુલાઈ,2019

Loading

ગુલઝારની ચંદ્ર યાત્રા, નીલ આર્મસ્ટ્રોંગ અને ચંદ્રયાન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 July 2019

ગયા સોમવારે સવારે, ચંદ્ર પર પાણીની તલાશમાં, ચંદ્રયાન-૨ રવાના થવાનું હતું, ત્યારે કવિ-ગીતકાર ગુલઝારનો એક ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો. ગુલઝાર માટે કહેવાય છે કે તેમને ચંદ્ર માટે સવિશેષ પ્રેમ છે. તેમણે ૩૦ જેટલી કવિતાઓ ચાંદ પર લખી છે. ચંદ્ર જે રીતે પૃથ્વી પર ચમકે છે, એને ગ્રહણ લાગે છે, એ મોટો થાય છે, નાનો થાય છે અને ફરે છે, તે રોમાંસથી લઈને વિરહ અને મસ્તીથી લઈને મૌનના પ્રતીક તરીકે ગુલઝારનાં ગીતો અને કવિતાઓમાં આવે છે. આશા ભોંસલેએ ઘણાં ગીતોને અવાજ આપ્યો છે. ગુલઝાર પેલા ઇન્ટરવ્યુમાં કહે છે, "આશાજીએ એક વાર મને કહ્યું હતું કે ચાંદ ના હોત, તો મારી અંદરનો લેખક બહાર આવ્યો ન હોત. મને લાગે છે કે ચાંદ પર મારો કોપીરાઇટ છે."

૨૦ જુલાઈ ૧૯૬૯ના રોજ, એપોલો ૧૧ મિશન હેઠળ, નીલ આર્મસ્ટ્રોંગ અને તેના બે સાથી વૈજ્ઞાનિકો, બઝ અલ્ડ્રીન અને માઈકલ કોલીન્સ ચંદ્ર પર ઊતર્યા, તેને આ અઠવાડિયે ૫૦ વર્ષ પૂરાં થાય છે. ૧૬મી જુલાઈએ તેઓ ઊડ્યા હતા. ચંદ્ર પર પહોંચતાં ચાર દિવસ લાગ્યા. પૂરી દુનિયામાં લોકો ઉત્સુકતાથી એપોલોની આ ચંદ્ર યાત્રાને જોઈ રહ્યા હતા.

ગુલઝાર ૩૫ વર્ષના હતા. ગુલઝાર કહે છે કે મને યાદ નથી કે ત્યારે હું ક્યાં હતો અને શું કરતો હતો, પણ એ ખબર હતી કે દુનિયાની બહાર એક ડગલું માંડવાનું મનુષ્ય માટે કેટલી મોટી સિદ્ધિ હતી. નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુક્યો તે ગુલઝારને ગમ્યું ન હતું. કેમ? … એનો જવાબ છેલ્લે.

ગુલઝાર કહે છે કે ચંદ્ર પર પહેલો પગ નીલ આર્મસ્ટ્રોંગે અને બીજો બઝ અલ્ડ્રીને મુક્યો હતો, પણ એ બીજો જ રહી ગયો. દુનિયા તો આર્મસ્ટ્રોંગને જ ઓળખે છે. તમે જો પહેલા નથી, તો લોકો તમને ભૂલી જાય છે. એટલે જ લતા (મંગેશકર) ચાંદ પર પહોંચી ગઈ અને હવે આશાને તો પણ પહોંચવાનું છે.

માનવ સભ્યતાની શરૂઆતથી મનુષ્યો અને પ્રાણીઓ માટે ચંદ્ર રહસ્ય અને અચરજનો વિષય રહ્યો છે. માણસે ચંદ્રને લઈને વાર્તાઓ ઘડી છે, કલ્પનાઓ બાંધી છે, અફવાઓ ફેલાવી છે, કવિતાઓ અને લોકગીતો બનાવ્યાં છે, અભ્યાસનો વિષય બનાવ્યો છે અને સામાજિક રીત-રસમો નક્કી કરી છે.

બીજી સદીનો સીરિયન પ્રહસન લેખક, લુસિયન ઓફ સમોસતા, ચંદ્ર પર પહેલી વાર્તા લખનારો લેખક મનાય છે. તેણે એવી વાર્તા લખી હતી કે અમુક દરિયાઈ યાત્રાળુઓ વાવંટોળમાં ઊંચકાઈને ચંદ્ર પર જઈ પછડાય છે. ત્યાં તેઓ ચાંદપુરુષો અને સૂર્યપુરુષો વચ્ચે યુદ્ધ જુવે છે. લુસિયને માનવ ઇતિહાસમાં પહેલીવાર ચંદ્ર પર કાચનાં વસ્ત્રો પહેરેલાં, દેડકાં ખાઈને જીવતા ઊંચા, કદાવર યંત્રમાનવોની કલ્પના કરી હતી.

ગીતકાર તરીકે ગુલઝારે જે પહેલી ફિલ્મમાં કામ કર્યું, તે બિમલ રોયની 'બંદિની' (૧૯૬૩) હતી. એનાં ગીત 'મોરા ગોરા અંગ લઇ લે'માં એ ચાંદને લઇ આવ્યા – બદલી હટાકે ચંદા, ચુપકે સે ઝાંખે ચંદા, તોહે રાહુ લાગે બૈરી, મુસ્કાયે જી જલાઈકે. ધર્મેન્દ્રના આ પહેલી હીટ ફિલ્મ. બિમલ રોયને ગુલઝારે પહેલાં તો ના પાડી દીધી હતી કે તેમને ફિલ્મી ગીતો નથી લખવાં. ગીત લખ્યું, તો કમાલ કરી. બધાને 'ગોરો' રંગ પસંદ હતો, ત્યારે ગુલઝારના ગીતમાં નાયિકા (નુતન) ખુદને શ્યામ રંગી જોવા ઇચ્છે છે, જેથી તે રાતના અંધકારમાં પ્રેમીને મળે, તો કોઈ જોઈ ન જાય. નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ગયો, તેના છ વર્ષ પહેલાં, આ ગીત લખાયું હતું અને આજે ય એટલું જ મશહૂર છે.

નવ વર્ષ પછી, ૧૯૭૨માં, ગુલઝારનો પહેલો કાવ્ય સંગ્રહ આવ્યો, તેનું નામ હતું 'એક બૂંદ ચાંદ.' ગુલઝારની કવિતામાં ચંદ્ર પ્રતીક બનીને આવે અને ઘણીવાર ખુદ દ્રશ્ય બની જાય. ૨૦૧૩માં, કવયિત્રી અને લેખક સબા મહમૂદ બશીરે ગુલઝારની ચાંદ-કવિતાઓ પર પીએચ.ડી કરી, તે થિસીસનું શીર્ષક હતું – આઈ સ્વૉલો મૂન ( હું ચાંદને ગળી ગયો).

એક સબબ મરને કા, એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી.
ચાંદ જીતને ભી શબ ચોરી હુઆ, સબ કે ઈલ્ઝામ મેરે સર આયે

સબા એમાં લખે છે, "ગુલઝાર માટે ચાંદ ક્યારેક ઘૂંટણભેર આવે – આજ કી રાત, દેખા ના તુમને, કૈસે ઝૂક ઝૂક કે કોહનિયોં કે બલ, ચાંદ ઇતને કરીબ આયા હૈ. એ કયારેક દુઃખી ગ્રહ છે – દામન એ શબ પે લટકતા હૈ ચાંદ કા પૈબંદ (રાતનાં વસ્ત્ર પર એક સાંધાની જેમ ચાંદ લટકે છે). એક બાજુ ગુલઝાર ચાંદ કા ટીકા માથે લગાઈ કે (બંટી ઔર બબલી) લખીને તેને નવોઢાના લલાટનું સન્માન આપે છે, તો બીજી તરફ એ એની ખીલ્લી પણ ઉડાવે છે – રોજ અકેલી આયે, રોજ અકેલી જાયે, ચાંદ કટોરા લિયે, ભિખારન રાત (મેરે અપને – ૧૯૭૧)"

ગુલઝારનો ચાંદ અલગ અલગ પરિસ્થિતિઓમાં અનેક રૂપમાં આવે છે. એકમાં એ ઓશીકું બની જાય છે, જેની નીચે સપનાં દબાયેલાં પડ્યાં છે. બીજામાં એ પથારી બની જાય છે. એકમાં એ ૫૦ પૈસાની સિક્કો છે. બીજામાં એ નાવ છે, જેમાં બેસીને પ્રવાસીઓ રાતની યાત્રા કરે છે. એક દ્રશ્યમાં શાયર પાનની જેમ, ચાંદનીને ચાવે છે. બીજામાં એ વંઠી ગયેલા તારાઓ સાથે મસ્તી કરવા જતાં, જખ્મી થઇ ગયેલું બાળક છે.

સબા બશીર ધ્યાન દોરે છે કે ગુલઝારના ચાંદમાં ખાલી કવિતા જ નથી, વિજ્ઞાન પણ છે. ૧૯૮૮માં ગુલઝારે લખેલી – નિર્દેશિત કરેલી ફિલ્મ 'લિબાસ'માં લતાએ અફલાતૂન રીતે ગયેલાં ગીતમાં ગુલઝાર લખે છે – સીલી હવા છૂ ગઈ, સીલા બદન છિલ ગયા, ગીલી નદી કે પરે ગીલા સા ચાંદ ખીલ ગયા. વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મેળવ્યા, તેના બે દાયકા પહેલાં ગુલઝારે પૃથ્વી પર પાણીની નદીની સામે આકાશમાં ખીલેલા ભીના ચંદ્ર પર પાણીની કલ્પના કરી હતી.

પણ માણસે ચંદ્ર પર પગ મુક્યો, તો ગુલઝારને લાગ્યું કે સપનાંના ચાંદ પર કોઈ પગલું મૂકે, તો એ બરાબર ના કહેવાય. કેમ? ગુલઝાર કહે છે, "ચાંદ સદીઓથી કવિઓની પ્રેરણા રહ્યો છે, પણ નીલ આર્મસ્ટ્રોંગ સાચ્ચે જ ચાંદ પર ઊતર્યો અને તેના પર ચાલ્યો, તો તેની સાથે જે મોહક ભ્રમ જોડાયેલો હતો, તે કંઇક અંશે તૂટી ગયો. ચાંદ વધુ પડતો વાસ્તવિક થઇ ગયો, અને એના પરનાં લખાણો ઓછાં થઇ ગયાં."

ગુલઝાર એ તૂટેલાં સંબંધમાં ય કવિતા લઇ આવ્યા:

નયે નયે ચાંદ પે રહને આયે થે
હવા ન પાની, ગર્દ, ન કૂડા
ન કોઈ આવાજ, ન હરકત
ગ્રેવિટી બિન તો પાંવ નહીં પડતે હૈ કહીં
આપને વજન કા ભી અહસાસ નહીં હોતા
ચલતે હૈ
જો ભી ઘૂટન હૈ, જૈસે ભી હો
ચલ કે જમી પર રહેતે હૈ

https://www.facebook.com/permalink.php?story_fbid=2326053994389313&id=1379939932334062&__tn__=K-R 

Loading

અસંસદીય શબ્દ : બોલાય અને રદ્દ થાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 July 2019

ઉંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલ કૉન્ગ્રેસ છોડી ભા.જ.પ.માં ગયેલાં છે. ગુજરાત વિધાનસભાના વર્તમાન અંદાજપત્ર સત્રમાં તેમણે “હું ઘેટાંનાં ટોળાંમાંથી સિંહનાં ટોળાંમાં આવી છું”, એમ કહ્યું તો અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ટપાર્યાં હતાં. આશાબહેન પટેલે પોતાના પૂર્વ પક્ષ અને વિધાનસભાના વિપક્ષ કૉન્ગ્રેસને ‘ઘેટાંનું ટોળું’ કહ્યું તે અસંસદીય શબ્દ છે. ૨૦મી માર્ચ, ૧૯૮૫ના રોજ ગુજરાત વિધાનસભામાં, “શાસક પક્ષના સભ્યશ્રીઓને સંબોધીને ત્યાં ‘ઘેટાંનાં ટોળાં’ માફ્ક ૧૩૯ સભ્યો બેઠા છે. જ્યારે અહીં (વિપક્ષમાં) તો ૩૩ સિંહ છે.” એમ કહેવાયું હતું. ૧૯૮૫માં સત્તાપક્ષ માટે અને ૨૦૧૯માં વિરોધ પક્ષ માટે પ્રયોજાયેલ ‘ઘેટાનાં ટોળાં’ શબ્દ અસંસદીય છે!

બંધારણના અનુચ્છેદ ૧૦૫(૨) મુજબ સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોમાં સભ્યો જે કંઈ બોલે, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરે તેને કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી. લોકશાહીમાં ચૂંટાયેલા સભ્યોને મળેલો તે વિશેષાધિકાર છે, પરંતુ આ અધિકાર અમર્યાદિત નથી. સંસદ કે વિધાનગૃહની ગરિમાને હાનિકારક, અશિષ્ટ, અભદ્ર, માનહાનિકારક શબ્દો જો બોલાય તો તેવા શબ્દો અને વાક્યાંશોને અધ્યક્ષ પોતાના વિવેકાધીન રદ્દ કરે છે. લોકપ્રતિનિધિ દ્વારા વિધાનગૃહોમાં બોલાતા અસંસદીય શબ્દો પર સ્પીકર લગામ લગાવી શકે છે. સભ્યોના બોલવાના અધિકાર(ફ્રીડમ ઓફ સ્પીચ)ને તેથી આંચ આવતી નથી. ધારાગૃહોમાં જે બોલાય તેને અદાલતમાં ભલે પડકારી ન શકાય પણ અસંસદીય શબ્દો બોલતા અટકાવીને કે બોલાયેલા શબ્દોને રેકર્ડમાંથી દૂર કરીને સભ્યોના વિશેષાધિકારને નિયંત્રિત કરી શકાય છે.

૨૦૦૯માં લોકસભા સચિવાલય દ્વારા પ્રકટ ૧,૧૩૧ પૃષ્ઠોના અને ૧,૭૦૦/- રૂપિયાની કિંમતના ‘અસંસદીય અભિવ્યક્તિયાં’ પુસ્તકમાં ઘણી રસપ્રદ માહિતી છે. આ પુસ્તકમાં ૧લીથી ૧૪મી લોકસભા (૧૯૫૨થી ફેબ્રુઆરી ૨૦૦૯) અને રાજ્યસભા ઉપરાંત રાજ્યોનાં વિધાનગૃહો, બંધારણ સભા, કામચલાઉ સંસદ, સેન્ટ્રલ એસેમ્બલી અને બ્રિટનની આમસભામાં બોલાયેલા અસંસદીય શબ્દો અને વાક્યાંશો સંદર્ભો સાથે અંગ્રેજી અને ગુજરાતીમાં આપવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા સચિવાલયે ૨૦૧૮માં ‘અસંસદીય શબ્દો અને શબ્દપ્રયોગોની યાદી’ (૧૯૬૦થી ૨૦૧૭) પ્રકાશિત કરી છે. ૫૭ વરસોના અસંસદીય શબ્દોના આ સંગ્રહમાં ૪૩૯ શબ્દો સંદર્ભો સાથે આપવામાં આવ્યા છે.

જૂઠા અને જૂઠ, ધોખેબાજ, જોકર, મજાક અને મજાકિયા, દાંત કાઢવા, અબે ચૂપ, બેડમેન, રંડી, ગુંડા, બદમાશ, ડબલ માઈન્ડેડ, હાથીનું બચ્ચું, ઉંદર, વાંધાજનક માણસ જેવા જાણીતા શબ્દો તો અસંસદીય છે જ, પરંતુ હિટલર, મુસોલિની, ઈદી અમીન,ગોબેલ્સ અને રાવણ જેવાં વ્યક્તિવાચક નામો પણ અસંસદીય છે. છેક ૧૯૫૬માં લોકસભામાં અને ૨૪મી ફેબ્રુઆરી, ૧૯૮૯ના રોજ ગુજરાત વિધાનસભામાં મહાત્મા ગાંધીના હત્યારાનું નામ, ‘નથુરામ ગોડસે’ શબ્દને અસંસદીય ઠરાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની નાસિક લોકસભા બેઠક પરથી શિવસેનાના રાજારામ ગોડસે (૧૯૯૬) અને હેમંત ગોડસે (૨૦૧૪ અને ૨૦૧૯) ચૂંટાયા હતા. હેમંત ગોડસેને જ્યારે પોતાની ગોડસે અટક જ અસંસદીય છે તેનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોને પત્રો લખી રજૂઆત કરી. ૨૦૧૫માં તત્કાલીન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ગોડસે અટકને અસંસદીય શબ્દોની યાદીમાંથી રદ્દ કરી પણ સંસદ અને ગુજરાત વિધાનસભાની અસંસદીય શબ્દોની યાદીમાં ‘નથુરામ ગોડસે’ શબ્દ રાખ્યો છે.

ગુજરાત વિધાનસભાએ પ્રથમ વખત, ૧૯૬૦માં, ‘છેતરવું’ શબ્દને અસંસદીય ઠરાવ્યો હતો. જે ૨૦૦૩માં ફરી બોલાયો અને અસંસદીય ઠર્યો. કદાચ સૌથી વધુ વખત ‘મગરનાં આંસુ’, અને ‘દંભ’ શબ્દ બોલાયો છે અને અનપાર્લામેન્ટરી ઠરી રદ્દ થયો છે. આવા બીજા શબ્દો છે : કાગારોળ, કાવતરું, ખોટું, ચમચાગીરી, ચરી ખાવું, છેતરપિંડી, જખ, જુઠાણું, જુઠ્ઠું, ડંફસ, તમાશો, નાટક, નાટકીય ઢબે, નાટકવેડા, બૂમબરાડા, બ્રુટ મેજોરિટી, મૂર્ખ બનાવવું, રાજકીય ખીચડી, લૂંટ, વાહિયાત ,શોરબકોર, સસ્તી નેતાગીરી, સસ્તી લોકપ્રિયતા, સ્ટંટ અને ષડ્યંત્ર. કેટલીક કહેવતો અને રૂઢિપ્રયોગો પણ અસંસદીય શબ્દ તરીકે વપરાય છે. જેમ કે, આડે પાટે વાત ચડાવવી, આંખમાં કમળો હોય તો પીળું દેખાય, સુફ્યિાણી વાતો, પગ નીચે રેલો આવવો, કાચીંડાની જેમ રંગ બદલવા, કાદવ ઉછાળવો, કારસો રચવો, કોણીએ ગોળ ચોંટાડવો, કુપાત્રને દાન, કૂતરાની પૂંછડી વાંકી, ગાય દોહીને દૂધ કૂતરાંને પીવડાવવું, ચાવવાના અને દેખાડવાના જુદા, ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે, ડોબું વેચીને ડફેળ થવું, નાચવું નથી એટલે આંગણું વાંકું, પાણીમાંથી પોરાં કાઢવાં, પેટમાં તેલ રેડાવું, બોડી બામણીનું ખેતર, રાઈ ભરાઈ જવી,

લાજવાને બદલે ગાજવું, વર મરો, કન્યા મરો પણ ગોરબાપાનું તરભાણું ભરો, શેતાન બાઈબલ ટાંકે છે, શકટનો ભાર શ્વાન તાણે અને સાઠે બુદ્ધિ નાઠી. અસંસદીય શબ્દો સત્તાપક્ષના અને વિપક્ષના સભ્યો જ નહીં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ પણ બોલતા નોંધાયા છે. એક સભ્ય બીજા સભ્યને ‘અતિ વાચાળ’ કહે, સભ્યના વક્તવ્યમાં વ્યક્ત પ્રસંશાની ટીકા કરતાં ‘અમૂલના ભાવ વધી જશે” એમ કહે, મંત્રીઓને ‘અલીબાબા ને ૪૦ ચોર” કહેવા, વિરોધપક્ષના સભ્યના પ્રવચનને મંત્રી ‘કપોળકલ્પિત વાર્તા’ ગણાવે, વિરોધ પક્ષ શાસક પક્ષની નીતિને ‘કુટિલ’ કહે તે બધા શબ્દો અસંસદીય ગણી ગૃહના રેકર્ડમાંથી રદ્દ કરાય છે. ખુદ અધ્યક્ષને સંબોધીને બોલાતા કેટલાક શબ્દો કે વાક્યપ્રયોગો પણ અસંસદીયની યાદીમાં છે. જો કોઈ સભ્ય પોતાને ફાળવેલ સમય અંગે મને ‘સમય ઘણો ઓછો આપ્યો છે’ એવી ફરિયાદ કરે, કોઈ સભ્ય ગૃહની ચર્ચા અંગે તેમના પ્રવચનમાં અધ્યક્ષને સંબોધીને આ સભાગૃહનો ‘સમય બગાડયો’ એમ કહે , અધ્યક્ષને ‘આપે મને અન્યાય કર્યો છે’ એમ કહેવું કે અમુક સભ્યને વારંવાર બોલવાની તક મળે તો ‘કુલડીમાં ગોળ ભંગાય છે’ એમ કહેવું સભાગૃહ અને અધ્યક્ષની ગરિમા વિરુદ્ધનું છે. તેથી આવા શબ્દો પણ અસંસદીય ગણાય છે.

દેશ અને દુનિયાના ઇતિહાસને ધ્યાનમાં રાખીને તો સભ્યોના દબાણથી કેટલાક શબ્દોને અસંસદીય ગણવામાં આવે છે. ૧૯૫૮માં લોકસભાએ ‘કમ્યુનિસ્ટ’ શબ્દને અસંસદીય ગણ્યો હતો ! ૨૦૦૩માં સોનિયા ગાંધીના વિદેશી કુળનો મુદ્દો ચગેલો ત્યારે બોલાયેલો ‘વિદેશી’ શબ્દ અસંસદીય છે. એનાર્કી (અરાજકતા) શબ્દ સંસદીય છે પણ એર્નાિકસ્ટ (અરાજકતાવાદી) અસંસદીય છે. ‘કૉન્ગ્રેસિયા’ અને ‘ગાંધીજીના નાલાયક કપૂતો’ શબ્દ પણ અસંસદીય છે.

અસંસદીય શબ્દ કોને ગણવો તે સંપૂર્ણપણે સ્પીકરના વિવેક પર આધારિત હોય છે. તે પોતાના નિર્ણય માટે ભૂતકાળમાં જાહેર થયેલા શબ્દોની સૂચિનો આશરો લે છે. અસંસદીય શબ્દોની સૂચિ આપણી લોકશાહી પ્રણાલી અને સંસ્કાર-સભ્યતાનો શરમજનક દસ્તાવેજ છે. પૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું હતું કે, “અસંસદીય શબ્દ સંસદના રેકર્ડ પરથી તો નીકળી જશે પરંતુ માનનીય સભ્યોના મોંએથી તે બોલતાં કેમ રોકીશું?” સાત દાયકા વળોટી ચૂકેલી ભારતીય લોકશાહી આ બાબતે નિરુત્તર ન રહી શકે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 24 જુલાઈ 2019

Loading

...102030...2,7342,7352,7362,737...2,7402,7502,760...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved