જેલની આ કોટડીમાં
પથરાયો છે અંધકાર
ને ભીતરમાં ઉભરાય છે
તેજ.
હું સ્પષ્ટ છું
મેં જે કર્યું એ વિશે
હું સ્વસ્થ છું
આવતી કાલે વહેલી સવારે
આવનારા અંતિમ પરિણામ વિશે.
આંખોમાં સ્વાતંત્ર્યનું સ્વપ્ન
ને હૈયામાં એની ધખના લઈ
ઘરમાંથી ચોકમાં
ને ચોકમાંથી લોકમાં
પ્રવેશતો ગયો ત્યારથી
જાણતો હતો
આગ છુપાવી નથી શકાતી
ડાયસન ઉપર ગોળી રૂપે છોડવી જ પડે
આગ દાબી નથી શકાતી
ભરી સંસદમાં
દુશ્મનો વચ્ચે
ઇન્કિલાબ ઝિંદાબાદના ફરફરિયા રૂપે
વરસાવવી જ પડે.
આમ જ ક્રિયાની નિશ્ચિતતા
હોવાની નિશ્ચિતતા બને છે.
યાદ છે મને
મારા ગામનું ભૂખ્યું પેટ,
ત્યાંની ધરતીનો વલવલાટ
– ગુલામીની ઓળખનો પર્યાય!
તે દિવસે મારી છાતીમાં
ભૂગોળનો અનર્થ ફાટ્યો,
ગાડાને ચીલે ચીલે
બોરડીના બોર તોડતો હું
એકાએક
ઘેરાઈ ગયેલો ધૂંધળી હવાથી.
પછી તો
જોવાના અર્થો ઊઘડતા ગયા
ને ગુલામ ધરતી પર ચાલતો હું
મુઠ્ઠી ભીડી ઘા કરી બેઠો
હવાને તો શું વાગે !
મારું એકાન્ત શરમાઈ ગયેલું, રાજદેવ !
માણસની ચામડીનું સત્ય
ઊતરડી નથી શકાતું,
જે ક્ષણે સમજાયું મને આ
એ જ ક્ષણે
એ સત્યને રુંધતી દીવાલો
ઘેરી વળી મને,
મારે એ તોડવી પડી;
અત્યારે આ ક્ષણે,
મૃત્યુ પહેલાની આ રાતે પણ
એ જ પ્રક્રિયા –
ના, દીવાલો તોડ્યા વિના મુક્ત ના થવાય!
મુક્તિ માત્ર ગાવાની ચીજ નથી,
મુક્તિ એ તો લોહીનું બીજ છે.
લોહીમાં ઉથલપાથલ થાય,
લોહીની ઉથલપાથલ થાય,
ત્યારે જ મુક્તિ કળાય
રાજદેવ !
એક અવાજ હોય છે ધરતીને
જે ખેડે છે ધરતી
તે જ જાણે છે એ અવાજ.
– એ અવાજ
જ્યારે ઊતરે કોઈ માણસની છાતીમાં
ત્યારે જ એ બનતો હોય છે ક્રાંતિકારી.
એટલે જ એને દ્રોહી ગણે છે સત્તા!
સત્તાને સંબંધ નથી ધરતી સાથે
એના આવા નક્કર પુરાવાઓ
આ રીતે જ મુકાય છે લોક અદાલતમાં
સત્તાનું છોગું હોય એ અદાલત
લોકોને આપે જ નહીં ન્યાય.
એટલે જ ન્યાયાધીશે કહી દીધું : ફાંસી
હા, ફાંસી !
ગળામાં ગાળિયાનો કરકરો સ્પર્શ
ને ‘હેન્ગ હીમ ટીલ ડેથ !’
– મરી જાય ત્યાં સુધી લટકાવો!
અને અમર મૃત્યુ !
પણ આવા મૃત્યુના અનેક અરથો હોય છે.
એ જ
એ જ
આપણી ઉપલબ્ધિ છે, રાજદેવ !
જો,
આ બારી વાટે
સળિયા વીંધીને
આવ્યાં ચન્દ્રકિરણો
આમ જ આપણાં મૃત્યુ
પ્રવેશવાનાં લોકોમાં
ને પછી –
એ ન જોયું તો ય શું?
એક ક્રાંતિકારી જિંદગીમાં માણસ
કેટલું જોઈ શકે?
તણખો, તણખો છે,
ઘાસની ગંજીમાં પડે
તો જ આગ ભભૂકે.
ને આગ ભભૂકે
એ જ તણખાનું કર્તવ્ય!
દોસ્ત,
એ કર્તવ્યનો ઉરતોષ
આ મહારાત્રિએ ધબકવા દે
આપણાં હેયામાં
ને વહેવા દે જીવનનો અંતિમ સંચાર
જેલની આ કોટડીમાં
જેથી ભીંતો ય બોલી ઊઠેઃ
ઇન્કિલાબ ઝિન્દાબાદ!
ઇન્કિલાબ ઝિન્દાબાદ!!
E-mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 20
![]()


જો વાચક માતા-પિતા, શિક્ષક કે વિદ્યાર્થી હોય, તો તેણે ફરજિયાત આ ફિલ્મ જોવાની જરૂર છે. તેમાં પણ જો પિતા નીચેના મધ્યમવર્ગના કે ગરીબ હોય કે વિદ્યાર્થી વંચિત હોય અને હોંશિયાર હોય પણ બહુ જ ઓછો આત્મવિશ્વાસ ધરાવતો હોય, તો તો તેણે જોવી જ.
એક મિશનરી વ્યક્તિ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે કહેવાતો સંસ્કારી અને સભ્યસમાજ અને તેના નેતાઓ તેને મદદ કરવાને બદલે તેને કેટલા હેરાન કરે છે, તેનું નક્કર ઉદાહરણ આ ફિલ્મ આપે છે. સમાજની વિચિત્રતા એ છે કે તે હંમેશ ઇચ્છે છે સંતો અને સજ્જનો અને સમાજસેવકો, પણ જેવા તે આવે છે, તેવો સમાજ તેને હેરાન કરવાનું શરૂ કરી દે છે. સ્થાપિત હિતો અને રાજકીય નેતાઓ સમાજને કેટલા નુકસાનકારક છે, તે આ ફિલ્મ કહે છે. વાતો મોટી-મોટી કરે છે, પણ ખરે સમયે હટી જાય છે અને તેના બદલે બીજું કોઈ સારું કામ કરે, તો તેને નુકસાન કરે છે. તેઓ માફિયા ઊભા કરે છે, પોતાના ફાયદા માટે અને આ માફિયાઓને કોઈ આડા આવે – એ તેમના માન્યતા હોય છે – કે તરત હેરાનગતિ શરૂ!
એક તરફ આ દેશનું લોકતંત્ર અત્યારે બહુમતીવાદ, રાષ્ટ્રવાદ, વર્ણવાદ, હિન્દુવાદ, એકપક્ષવાદ જેવાં ભાવાવેશમાં કહો કે તણાઈ રહ્યું છે. બીજી તરફ દલિત, આદિવાસી, લઘુમતી જેવા કચડાયેલા તબકાઓ સાથે સરેઆમ હિંસાની ઘટનાઓ ઘટી રહી છે – અને એની હ્રદય વિદારક ચીસોને રાષ્ટ્રવાદના મહિમાગાનથી ઢાંકવામાં આવી રહી છે. એ હકીકત આંખમાથા પર કે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદ તથા પ્રબળ પ્રચાર તંત્રનાં જોરે બહુમતીથી ચૂંટણી જીતીને સત્તામાં આવ્યો છે, પણ એનો અર્થ એવો કદાપિ ન કાઢવો જોઈએ કે એમનાં હિન્દુવાદ, સવર્ણવાદ અને સીમિત રાષ્ટ્રવાદને ન માનનારા અને એમના હિંદુત્વ આધારિત શાસન સાથે અસહમતી ધરાવનારા સહુ હારી ગયા છે; અને પોતાના તમામ લોકતાંત્રિક અધિકારો ગુમાવી બેઠા છે. જે રીતે વીતી ગયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રીએ પોતે એમનો વિરોધ કરનારા સહુને દેશવિરોધી હોવાનાં ખોટાં ખાનામાં મૂકી ઝૂડવાનું શરૂ કર્યું એ એમની શક્તિ અને અશક્તિ બન્ને દર્શાવે છે. એમની શક્તિ એ કે એમનાં આવા લોકભોગ્ય વલણને બહુમતી હિંદુ સમાજનો “મોદી .. મોદી ..”નાં ગગનભેદી નાદ સાથે દેશ-વિદેશમાં ભરપૂર સાથ મળ્યો. અશક્તિ એ કે એમનામાં લોકતાંત્રિક લડાઈ લોકતંત્રનાં ધારાધોરણો પ્રમાણે લડવાની ક્ષમતાનો કોઈ અંશ પણ દેખાયો નહીં.