Opinion Magazine
Number of visits: 9576626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રવીશ કુમાર : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું… રોજ એક જૂઠાણું મને ડરાવે છે, તેનો હું સામનો કરું છું’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 August 2019

રવીશ કુમારના લેખોનું અંગ્રેજી પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ એ ગોદી મીડિયા, આઈ.ટી. સેલ, વૉટસઍપ યુનિવર્સિટી, ઝનૂની રાષ્ટ્રવાદ, લોકશાહી જેવા વિષયોની છણાવટ કરે છે. ગુજરાતીમાં તેનો સાર ‘વાત રવીશકુમારની’ નામે પ્રકાશિત થયો  છે.

મૅગસેસે પુરસ્કારથી સન્માનિત પત્રકાર રવીશ કુમાર ગયાં પાંચેક વર્ષથી ભારતીય જનતા પક્ષ, તેના સાથી સંગઠનો, મોદી ભક્તો અને ઝનૂની હિન્દુત્વવાદીઓના રોષનો સામનો કરતા રહ્યા છે. સરકારી અધિકારીઓ, પોતાની સુખાળવી જિંદગીની બહાર નહીં જોનાર ઇન્ડિયન મિડલ ક્લાસ અને મીડિયાનો એક હિસ્સો તેમના પ્રાઇમ ટાઇમ શોથી નારાજ રહે છે. જો કે  મૂલ્યનિષ્ઠ અને લોકધર્મી પત્રકારિતાનો એક નમૂનો પૂરો પાડતાં હોવા છતાં  રવીશ માટે ટીકા અને ટ્રૉલિંગ, ધાક અને ધમકી તેમના માટે રોજનાં થયાં છે. તેમનાં કામનું, ખાસ તો અત્યારના દેશકાળમાં, મહત્ત્વ સમજનારા સહુ રવીશ કુમારની ચિંતા કરે છે. તેમના જેવા સ્પષ્ટવક્તા પ્રહરીઓને અસલામતી અને હિંસાચારથી ખદબદતા આ દેશમાં વારંવાર સવાલ પૂછવામાં આવે છે : ‘તમને ડર નથી લાગતો ?’ રવીશનો જવાબ છે : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું …’  

આ પ્રવાસની માંડીને વાત રવીશ ‘ધ ફ્રી વૉઇસ : ઑન ડેમૉક્રસી, કલ્ચર ઍન્ડ નેશન’ નામનાં ખૂબ અસરકારક અંગ્રેજી લેખસંગ્રહના પહેલા લાંબા લેખ ‘સ્પીકીન્ગ આઉટ’માં કરે છે. તેમના આઠ લાંબા લેખોનું ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તક દિલ્હીનાં ‘સ્પીકીન્ગ ટાઇગર’ પ્રકાશને ગયાં વર્ષે પ્રસિદ્ધ કર્યું.  રવીશ કુમારે મૂળ હિન્દીમાં લખેલા લેખોનો આ પુસ્તક માટેનો વાચનીય અનુવાદ ચિત્રા પદ્મનાભન, અનુરાગ બાસનેટ અને રવિ સિંગે કર્યો છે. લોકોના વીતક કે દેશના સવાલો પર અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ વ્યાપક ફીલ્ડવર્ક, અકાટ્ય આધાર અને સ્પષ્ટ ભૂમિકા સાથે કાર્યક્રમ રજૂ કરતા ટેલિવિઝન પત્રકાર તરીકે તો રવીશ અજોડ છે જ. પણ ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તકમાં તે માધ્યમો અને લોકશાહીના ઊંડા અભ્યાસી તેમ જ વિશ્લેષક તરીકે આપણી સામે આવે છે. દેશમાં સતત ભય, વિભાજક પરિબળોએ સમાજમાં બધે ફેલાવેલું ઝેર, દેશભક્તિના નામે ધર્મઝનૂની રાષ્ટ્રવાદ, ઇતિહાસનું વિકૃતિકરણ, અને લોકશાહીમાં ‘પીપલ’ અર્થાત્‌ લોકો હોવાની જવાબદારી વિશે તે લખે છે. બાવાઓના ભરડામાં સપાડાયેલી આપણી જનતા, હુમલા અને લિન્ચિન્ગ, ટોળાંશાહી દ્વારા કોઈ પણ જગ્યાએ આવી શકે તેવો હિટલરનો ભીષણ ફાસીવાદ, આપણા સમાજમાં પ્રેમીઓ તરફનો  હિંસક તિરસ્કાર અને  મૂળભૂત  અધિકાર રાઇટ ટુ પ્રાઇવસી વિષયો પણ આ પુસ્તકમાં છે. તેમાંથી કેટલાક રવીશ કુમારનાં ફેસબુક પેઇજ, તેમના બ્લૉગ તેમ જ હિન્દી લેખોના બે સંગ્રહો ‘દેખતે રહિએ’ અને ‘રવીશપન્તી’માં પણ છે. વળી, કંઈક અંશે લેખકના પોતાના પ્રણયકાળની ઝલક આપતી ‘લઘુ પ્રેમ કથાઓ’નું મજાનું નાનકડું સચિત્ર પુસ્તક  રાજકમલ પ્રકાશને ‘ઇશ્કમેં શહર હોના’ નામે પ્રસિદ્ધ કર્યું છે.

રવીશના ગુજરાતના ચાહકો માટે આનંદની વાત એ છે કે રવીશકુમારના ઉપર્યુક્ત ‘ધ ફ્રી વૉઇસ’ લેખસંગ્રહનો સાર આપતું પુસ્તક ગુજરાતીમાં ‘વાત રવીશકુમારની’ નામે પ્રસિદ્ધ થયું છે. સારલેખનનું પડકારરૂપ કામ પખવાડિક સર્વોદયી વિચારપત્ર ‘ભૂમિપુત્ર’ના એક કર્મશીલ સંપાદક રજની દવેએ પાર પાડ્યું છે. તેમણે પહેલાં ‘ભૂમિપુત્ર’માં રવીશકુમારનાં અંગ્રેજી પુસ્તકની રજૂઆત કરતી લેખમાળા લખી. પછી તેમાં કેટલીક મહિતી અને સૂઝપૂર્વકની તસવીરોનાં ઉમેરણ સાથે પુસ્તક કર્યું. તે વડોદરાનાં યજ્ઞ પ્રકાશને લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એટલે કે વીસમી એપ્રિલે પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી પુસ્તકમાં રવીશે પહેલા લેખ ‘સ્પીકીંગ આઉટ’માં મીડિયા દ્વારા સાચું કહી દેવાના સંદર્ભમાં ડર, અને લોકોને ડરાવવા માટે ચાલતી રાષ્ટ્રીય યોજના, ‘નૅશનલ પ્રોજેક્ટ ફૉર ઇન્સ્ટિલિન્ગ ફીઅર’ એવા વ્યંજનાત્મક મથાળાવાળા ત્રીજા લેખમાં  જે લખ્યું  છે તેની વાત અહીં કરવાની છે.

નાનપણમાં બિહારનાં ગામમાં બીલીનાં ઝાડ નીચેથી પસાર થતાં ડરતો રવીશ હનુમાન ચાલીસા બોલતો. પછીનાં વર્ષોમાં ફિલ્મોનાં હિંસક દૃશ્યો, પરીક્ષાના દિવસો અને કાલ્પનિક ભયથી પણ તે રડવા લાગતો. માતપિતા અને ત્યાર બાદ પ્રેમિકા – પત્ની નયનાએ તેને ડરમાંથી બહાર નીકળવામાં મદદ કરી. વ્યવસાયમાં પણ ડરને પોતે પ્રયત્નપૂર્વક કેવી રીતે દૂર કર્યો તે વિશે રવીશ લખે છે. ભારતમાં ગયાં પાંચ વર્ષોમાં રાજકીય પક્ષો કે વિભાજક જૂથોનાં ‘આઈ.ટી. સેલ’ અને  ‘તેમના માટેની પ્રયોગશાળા એવી વૉટસઍપ યુનિવર્સિટી’એ ફેલાવેલાં ભયનાં સામ્રાજ્ય, તેમનાં કાવતરાં અને તેમની સામે બોલનારા પર વીતાવામાં આવતા ત્રાસ વિશે રવીશ લંબાણથી લખે છે. તેમાં આમીર ખાન સામેની ઝુંબેશ, કરણી સેનાનાં કરતૂત, ડેન્માર્કના કાર્ટૂનિસ્ટના માથા માટેનું ઇનામ જેવા દાખલા તે આપે છે. રવીશના માનવા મુજબ ચૅનલ પરની ડિબેટસ્ પણ ડર ફેલાવનાર પરિબળ છે. આવા ભયભીત કાળમાં  ‘સ્પીક આઉટ’ એ કેટલી બધી હિમ્મત માગી લે છે તેની પણ વાત આવે છે.

પુસ્તકનો આરંભે જસ્ટીસ લોયાનાં શંકાસ્પદ મોત અંગે કાર્યક્રમ બનાવવામાં પોતે અનુભવેલા ખૌફ અંગે રવીશ લખે છે. તેમાંથી સમજાય છે કે તેમની અંદરનાં ડર પર ફરજપરસ્ત પત્રકારના માંહ્યલાએ જીત મેળવી. 23 નવેમ્બર 2017નો વિગતોથી ધ્રૂજાવી દેનારોએ કાર્યક્રમ અત્યારના દિવસોમાં ખાસ જોવા જેવો છે. જો કે નીડરતા અંગેની કોઈ હિરોગીરી રવીશ કરતા નથી. એ કહે છે :  એમની પાસે નિર્ભયતાનો કોઈ મંત્ર નથી, પોતે ‘વિશેષ વખાણ કરવા જેવું’ કંઈ કહેતા નથી, એ ‘માત્ર લોકો શું માને છે’ તેને જ રજૂ કરે છે, એમની જેમ બોલનારા બીજા પણ છે. રવીશના મતે ડર એટલો બધો છે કે બોલવું એ જ બહાદુરીમાં ખપે છે. જો કે એ સ્વીકારે છે કે બોલતાં પહેલાં ‘ડરનાં બોગદામાંથી પસાર થવું અઘરું હોય છે’.

મીડિયાકર્મીઓને ડરાવવાનો જાણે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમ રવીશને લાગે છે. લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને સૂચવ્યા મુજબના ‘નારદ’ જેવા પત્રકારો (જે રવીશના શબ્દોમાં ‘નારાયણ નારાયણ’ નામે સરકારનો જાપ કરે) અને સરકારને ખોળે અથવા તેની ગોદમાં બેઠેલા ‘ગોદી મીડિયા’ના અખબારનવેશો સલામત છે. બીજા બધા અસલામત છે, તેઓ કાયદાને નેવે મૂકતાં ટોળાંને હવાલે છે. રવીશ ‘કેરેવાન’ માસિકના ખબરપત્રી બાસિત મલિક પર ટોળાંએ કરેલા હુમલા ઉપરાંત બીજા ઘણાં દાખલા આપે છે. રવીશને ડર છે કે હવે વૈકલ્પિક મીડિયાના પત્રકારોનો વારો આવશે. કર્ણાટકના રૅડિકલ પત્રકાર  ગૌરી લંકેશની હત્યાની સાથે તે ત્રણ રૅશનાલિસ્ટો દાભોલકર-કલબુર્ગી-પાનસરેની હત્યાઓનો તે ઉલ્લેખ કરે છે. અલબત્ત ગૌરીની હત્યાને સોશ્યલ મીડિયામાં જે રીતે મોટા પાયે યોગ્ય ઠેરવવામાં આવી તેનો રવીશને ખૂબ આક્રોશ છે. બેટીઓને બચાવવી પડે એવા દેશમાં રામ રહિમ કે આસારામની સામે પડનાર વીરાંગનાના ટેકામાં કોઈ પક્ષ ઊભો  ન રહ્યો, તેવું જ ગૌરીની બાબતમાં બન્યું એનો પણ રવીશ ઉલ્લેખ કરે છે. વધુ ખરાબ તો એ કે એક નિખિલ દધિચે ગૌરીની હત્યા પર ‘કૂતરી મરી ગઈ’ એ મતલબનું ટ્વિટ કર્યું. આ માણસના એક ટ્વિટર ફૉલોઅર વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. રવીશ લખે છે : ‘આ દેશના નાગરિકો તરીકે આપણે બધાએ વડા પ્રધાનને પૂછવું જોઈએ : ‘તમે દધીચને શા માટે ફૉલો કરો છો ?’ રવીશનું પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ નાગરિકોને અને નવી પેઢીને  આવા અનેક પ્રશ્નો કરવાની પ્રેરણા આપનારું છે.

*******

07 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 09 ઑગસ્ટ 2019 

Loading

ફિલ્મ પત્રકારમાંથી સફળ ફિલ્મ લેખક-ડિરેક્ટર બનેલા ઉત્તમ સાહિત્યકાર ખ્વાજા અહમદ અબ્બાસ

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|9 August 2019

ભારતીય સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર રાજ કપૂરની સફળ ફિલ્મો જેવી કે આવારા, જાગતે રહો, શ્રી 420, મેરા નામ જોકર, બોબી અને હીનાના લેખક ખ્વાજા અહમદ અબ્બાસ (કે.એ. અબ્બાસના નામથી પ્રખ્યાત) હતા. 4 નેશનલ એવોર્ડ વિજેતા લેખક ખ્વાજા અહમદ અબ્બાસ  (7 June 1914 – 1 June 1987) બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પ્રસિદ્ધ પત્રકાર, વાર્તાકાર, ફિલ્મ લેખક – ડિરેક્ટર હતા, તેમણે ન્યૂઝપેપર 'બોમ્બે ક્રોનિકલ'માં લાંબા સમય સુધી ફિલ્મ વિવેચક તરીકે કાર્ય કર્યું હતું અને આ સિવાય તેમણે 'અલીગઢ ઓપિનિયન'ની શરૂઆત કરી હતી. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન(ઈપ્ટા)ના સ્થાપક સભ્ય પૈકીના એક હતા. ખ્વાજા અહમદ અબ્બાસ પહેલા એક પત્રકાર હતા, બાદમાં લેખક બન્યા, પછી સંપાદક અને ફિલ્મ વિવેચક બન્યા. ત્યારબાદ તેમણે ફિલ્મ લેખનકાર્યમાં ઝંપલાવ્યું. અંતમાં તેઓ ફિલ્મ ડિરેક્શન તરફ પણ વળ્યા હતા.

ખ્વાજા અહમદ અબ્બાસનો જન્મ જે પરિવારમાં થયો હતો, ત્યાં નામચીન હસ્તીઓની બોલબાલા હતી. તેઓ શાનદાર શાયર 'ખ્વાજા અલ્તાફ હુસૈન હાલી'ના પરિવારમાંથી આવતા હતા કે જેઓ મિર્ઝા ગાલિબના શિષ્ય હતા અને તેમણે ગાલિબની જીવની 'યાદગાર એ ગાલિબ' લખી હતી. ખ્વાજા અહમદ અબ્બાસના દાદા ખ્વાજા ગુલામ અબ્બાસ વર્ષ 1857માં થયેલા વિપ્લવના પ્રમુખ ક્રાંતિકારીઓ પૈકીના એક હતા. અંગ્રેજોએ તેમને તોપની સાથે બાંધીને ઉડાવી દીધા હતા. ખ્વાજા અહમદ અબ્બાસે વર્ષ 1933માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ, દિલ્હીમાંથી પ્રકાશિત થતા નેશનલ કૉલ નામના એક ન્યૂઝપેપર માટે પત્રકારત્વ શરૂ કર્યું. આગામી વર્ષે તેમણે 'અલીગઢ ઓપિનિયન' નામનું એક વીકલી મેગેઝિન શરૂ કર્યું, જે ભારતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલું પ્રથમ મેગેઝિન હતું. બાદમાં ખ્વાજા અહમદ અબ્બાસે પ્રસિદ્ધ ન્યૂઝપેપર 'બોમ્બે ક્રોનિકલ' જોઈન કર્યું. આ ન્યૂઝપેપર માટે તેમણે 'લાસ્ટ પેજ'ના નામથી એક વીકલી કૉલમ લખવાનું શરૂ કર્યું, આ કૉલમ વર્ષ 1987માં તેમના મૃત્યુ સુધી ચાલુ રહી હતી. જ્યારે તેઓ 'બ્લિટ્ઝ મેગેઝિન'માં જોડાયા, ત્યારે પણ આ કૉલમ ચાલુ રાખી હતી. સતત 52 વર્ષ સુધી તેમણે આ કૉલમ લખી હતી કે જે ઉર્દૂમાં 'આઝાદ કલમ' અને હિન્દીમાં 'આખિરી પન્ને'ના નામથી પ્રકાશિત થતી હતી.

'બોમ્બે ક્રોનિકલ'માં ખ્વાજા અહમદ અબ્બાસ ફિલ્મનું વિવેચન કરતા હતા અને લોકોને ધીરે-ધીરે તેમનું આ વિવેચન પસંદ આવવા લાગ્યું. એક એવો પણ સમય આવ્યો કે જ્યારે તેમણે લખેલી ફિલ્મ સમીક્ષાથી ફિલ્મો હિટ અને ફ્લોપ જવા લાગી. એક વખત એવું બન્યું કે એક પાર્ટીમાં તે સમયના પ્રખ્યાત પ્રોડ્યુસર અને બોમ્બે ટોકિઝના માલિક હિમાંશુ રાયે કહ્યું કે ખ્વાજા અહમદ અબ્બાસ આ રીતે ફિલ્મ જોઈને તેનું વિવેચન કરવું સરળ છે, જાતે ફિલ્મ બનાવો તો માનીએ. ત્યાર બાદ ખ્વાજા અહમદ અબ્બાસે ફિલ્મની દુનિયામાં પ્રવેશ કર્યો અને ફિલ્મ લેખનના કાર્યમાં ઝંપલાવ્યું. તેમણે 'નયા સંસાર' નામની ફિલ્મ લખી અને બોમ્બે ટોકીઝને વેચી. આ ફિલ્મમાં અશોક કુમાર અને દેવિકા રાણી મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મની વાર્તા પત્રકારના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ સફળ રહી અને ખ્વાજા અહમદ અબ્બાસને ફિલ્મો લખવાની ઓફર મળવા લાગી. વર્ષ 1946માં આવેલી ફિલ્મ 'ધરતી કે લાલ'નું લેખન અને ડિરેક્શન ખ્વાજા અહમદ અબ્બાસે કર્યું. આ ફિલ્મમાં બલરાજ સહાની મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મ કૃષ્ણ ચંદરની વાર્તા પર આધારિત હતી. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેમણે 'નીચા નગર' નામની ક્લાસિક ફિલ્મ લખી. આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો. હયાતુલ્લાહ અંસારીની વાર્તા પર આધારિત આ ફિલ્મ 'નીચા નગર'નું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું. તેમણે વર્ષ 1946માં આવેલી વી. શાંતારામની ફિલ્મ 'ડૉક્ટર કોટનીસ કી અમર કહાની' નામની ફિલ્મનું લેખનકાર્ય કર્યું. આ ફિલ્મ દ્વારકાનાથ કોટનીસ નામના ડૉક્ટરના જીવન પર આધારિત હતી કે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાં કામ કર્યું હતું.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પણ ખ્વાજા અહમદ અબ્બાસે તક આપી હતી. તેમણે વર્ષ 1969માં 'સાત હિન્દુસ્તાની' નામની ફિલ્મ બનાવી અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. સામાજિક મુદ્દાને રજૂ કરતી ફિલ્મોનું લેખન કાર્ય કરનાર ખ્વાજા અહમદ અબ્બાસને હિન્દી સિનેમા તરફથી જોઈએ તેટલું સન્માન મળ્યું નથી. ખ્વાજા અહમદ અબ્બાસને સમાજ પ્રત્યેની જવાબદારીનો ખ્યાલ હતો અને તેમણે લખેલી લગભગ તમામ ફિલ્મોમાં ગરીબી, સાંપ્રદાયિકતા, સામાજિક અસામનતા તેમ જ વંચિતોના મુદ્દા જોવા મળે છે. ફિલ્મ 'રાહી'માં ખ્વાજા અહમદ અબ્બાસે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની આપવીતી રજૂ કરી, જ્યારે ફિલ્મ 'બમ્બઈ રાત કી બાહોં' મેં ફિલ્મમાં મોટા શહેરોની રાત્રિની કાળી બાજુ દર્શાવવામાં આવી હતી. આ એક સસ્પેન્સ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ હતી અને તેનું ડિરેક્શન પણ ખ્વાજા અહમદ અબ્બાસે કર્યું હતું.

વર્ષ 1980માં તેમણે નક્સલ સમસ્યા પર આધારિત 'ધ નક્સલાઈટ્સ' જેવી ફિલ્મ બનાવી. ઘણાં ફિલ્મ વિવેચકોએ ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મોને ડોક્યુમેન્ટરી પ્રકારની ગણાવી પણ તેઓ પોતાનું કાર્ય કરતા રહ્યા. ખ્વાજા અહમદ અબ્બાસે પોતે ઘણી ફિલ્મોનું લેખનકાર્ય અને દિગ્દર્શન કર્યું, પણ આ સિવાય તેમણે રાજ કપૂરની પણ અનેક ફિલ્મોનું લેખનકાર્ય કર્યું. રાજ કપૂર માટે ખ્વાજા અહમદ અબ્બાસે આવારા, શ્રી 420, જાગતે રહો, મેરા નામ જોકર, બૉબી જેવી સફળ ફિલ્મો લખી. રાજ કપૂર અને ખ્વાજા અહમદ અબ્બાસ ખાસ મિત્રો હતા. જ્યારે ફિલ્મ 'મેરા નામ જોકર' ફ્લોપ સાબિત થઈ તો રાજ કપૂર નિરાશ થઈ ગયા હતા. તેમણે ખ્વાજા અહમદ અબ્બાસને વિનંતી કરી કે તેઓ હવે એક મસાલા ફિલ્મ લખી આપે. પોતાના દોસ્ત રાજ કપૂરની મદદ કરવા માટે ખ્વાજા અહમદ અબ્બાસે 'બૉબી' નામની એક રોમાન્ટિક ફિલ્મ લખી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. તેમ છતાં આ ફિલ્મમાં સામાજિક વર્ગભેદ સહિતના સામાજિક મુદ્દા જોવા મળ્યા.

એક ફિલ્મમેકર સિવાય ખ્વાજા અહમદ અબ્બાસ ઉત્તમ સાહિત્યકાર અને ઈતિહાસવિદ્ પણ હતા. તેમણે કુલ 73 પુસ્તકો લખ્યા. તેમણે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ભાષામાં પુસ્તકો લખ્યા. તેમણે જે આત્મકથા લખી તેનું નામ 'I Am not an Island: An Experiment in Autobiography' છે.  બાદમાં તેમની પ્રખ્યાત કૉલમને પણ પુસ્તકે સ્વરૂપે કુલ 2 વોલ્યુમમાં પ્રકાશિત કરવામાં આવી. તેમણે 'ઈન્કિલાબ' નામની નવલકથા લખી હતી કે જે ખૂબ લોકપ્રિય થઈ હતી. વર્ષ 1969માં ભારત સરકાર તરફથી ખ્વાજા અહમદ અબ્બાસને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

હે ગોવિંદ, હે નંદલાલા પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 August 2019

હૈયાને દરબાર

હે ગોવિંદ, હે નંદલાલા
પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા
શયન સમા થયો હવે ગિરિધારી,
ઝૂલો ઝૂલાવું સૂઈ જા મુરારી
સૂરજદાદા પોઢી ગયા છે,
રાતની ચાદર ઓઢી રહ્યા છે,
નયન ઉઘાડે, મીંચે છે શાનો,
ઊંઘી જા કાના, તું છાનોમાનો
આંખો થઈ છે નીંદર ભારી … ઝૂલો ઝૂલાવું

નયનોને લાગી મુખડાની માયા
તારું ધામ બની છે કાયા
હે મોહન હે મુરલીધારી
મોહે છે સૌને લીલાઓ તારી
રાખજે તું કેશવ પત મારી
ગોવાળો સંગે તું લઈને ગોધન
વહેલી પરોઢે, ભટકે વન વન
સાંજ સમે તું ગોકુળ આવે
માડીનાં ભોજનિયાં ભાવે
રાત થઈ હવે, કુંજબિહારી … ઝૂલો ઝૂલાવું

• કવિ : ભરત આચાર્ય  • સંગીતકાર : અનુપ જલોટા  • ગાયિકા : લાલિત્ય મુન્શા

————————

ઑગસ્ટ મહિનો ભક્તિભાવ લઈને આવે છે. શ્રાવણ માસથી શરૂ કરીને રક્ષાબંધન, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, ગણેશ ચતુર્થી ઈત્યાદિ તહેવારોની વણઝાર શરૂ થઈ જાય. જન્માષ્ટમી નજીક આવી રહી છે એટલે મન કૃષ્ણમય થવા લાગ્યું છે. એમાં ય ‘શામળિયા શ્રીનાથજી’ની કૃતિઓ હાથ લાગી છે, એટલે તો મન ગોકુળ-વૃંદાવનમાં અત્યારથી જ પહોંચી ગયું છે. બહુ જૂનું આલબમ છે અને કેટલીક રચનાઓ ભજન-સમ્રાટ અનુપ જલોટાજીએ સ્વરબદ્ધ કરીને ગાઈ છે, પરંતુ આજે જે ગીતની વાત કરવાની છે એ ગાયું છે લાલિત્ય મુન્શાએ. ધીમી લયમાં શરૂ થતું, હાલરડાંનો સહજ સ્પર્શ ધરાવતું આ કર્ણપ્રિય ભક્તિગીત બાળકને સુવાડતી વખતે સંભળાવવામાં આવે તો બાળક આ મીઠી મેલડીથી જરૂર ઊંઘી જાય.

કૃષ્ણ એ સર્વપ્રિય ભગવાન છે. મધ્યકાલીન સાહિત્યથી લઇને અર્વાચીન સાહિત્યના કોઈ પણ યુગમાં કૃષ્ણ વિશે લખાયું ન હોય એવું બન્યું નથી. નરસિંહ મહેતાથી લઈને હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, અનિલ જોશી સુધી અને મીરાંથી લઈને આજના યુગનાં કાજલ ઓઝા-વૈદ્ય સુધીનાં તમામ સર્જકોએ તેમની કલમ કૃષ્ણ નામની શાહીમાં બોળીને ભાવકોને તેમાં રસ તરબોળ કર્યાં છે. કોઈએ તેની રચનામાં કૃષ્ણને ગોપીઓ સાથે રાસ રમાડ્યા છે તો કોઈએ શામળા શેઠને હાથ હૂંડી પહોંચાડી છે. કોઈએ નેજવાને પાંદડે પોઢાડ્યા છે, કોઈ મધુવનમાં માધવને ઢૂંઢે છે તો કોઇ તેની ઉપર આંધળો વિશ્વાસ રાખીને ઝેરનાં પ્યાલા ગટગટાવી જાય છે. કોઇએ તેને ગોકુળમાં ફરી પગ મૂકવાની ધરાર ના પાડી દીધી છે, તો કોઈએ તેને રોજ સવારે તેની મોર્નિંગ વોક ઉપર લઈ જવાની કે કોફી ટેબલ પર તેની સાથે બેસીને હૂંફાળી કોફી પીવાની વાત કરી છે. કેટકેટલી વિવિધતા અને કેવી કેવી કલ્પનાઓ કૃષ્ણ ગીતોમાં આકારાઈ છે અને એ તમામમાં પેલું સનાતન પાત્ર એકદમ સમરસ અને એકરૂપ.

કૃષ્ણ ગીતોનાં પ્રેમમાં પડી જવાય એવી એક એકથી ચડિયાતી કૃતિઓ ગુજરાતી-હિન્દી-વ્રજ ભાષામાં રચાઈ છે.

આજનું ગીત જેમણે લખ્યું એ છે કવિ ભરત આચાર્ય. સ્વરબદ્ધ અનુપ જલોટાજીએ કર્યું છે. આ ગીતનાં ગાયિકા લાલિત્યા મુન્શા કલાકાર તો છે જ, પરંતુ બિઝનેસ વુમન છે. એક મ્યુઝિક કંપનીનાં સ્થાપક છે.

અનુપજીની ભક્તિ રચનાઓ ઘર ઘરમાં લોકપ્રિય છે. અનુપ જલોટાનું બચપણ લખનઊમાં વીત્યું. સંગીતની તાલીમ એમણે પિતા પુરુષોત્તમદાસ જલોટા પાસે લીધી હતી. ૧૯૭૭માં ‘શિરડી કે સાંઇબાબા’ નામની ફિલ્મમાં બ્રેક મળ્યો એ પછી અનુપજીનું નામ લોકો જાણતા થયા. ત્યારબાદ એમને ફિલ્મો પણ મળતી ગઈ, પરંતુ અનુપજીનો રસ કંઈક જુદો જ હતો. એમને ભક્તિભાવની લગની હતી, તેમ જ ગઝલ સાથે પણ ઘરોબો હતો. તેથી ૧૯૮૦માં એમણે ‘ભજન સંધ્યા’ નામે સૌપ્રથમ આલબમ બહાર પાડ્યું, જેનાં તમામ ગીતો સંગીત ચાહકોના ઘરમાં ગુંજવા લાગ્યાં. એ જ આલબમનું ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન … આજે પણ એટલું પોપ્યુલર છે કે એમના દરેક પ્રોગ્રામમાં આ ગીતની ફરમાઈશ તો આવે જ. એમણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો મને ‘ભજન-સમ્રાટ’ તરીકે સંબોધે છે, પરંતુ ભગવાનની ભક્તિમાં સમ્રાટ ના હોય, ફકીર હોય એટલે મને ભજન સમ્રાટ નહીં પણ ભજન ફકીર કહો તો વધારે ગમે. અનુપ જલોટાએ અનેક ભજન આલબમ બહાર પાડી દેશ-વિદેશમાં અત્યંત લોકચાહના મેળવી છે.

આ ગીતના સંદર્ભમાં અનુપજી કહે છે, "કૃષ્ણ પ્રેમ હંમેશાં મારે માટે મહત્ત્વનો રહ્યો છે. આ એક જ એવા ઈશ્વર છે આપણને જીવન જીવવાની કલા શીખવે છે, પ્રેરણા આપે છે. કમ્પોઝિશન બનાવતી વખતે સ્વરકારના મનમાં એ ગીત કોની પાસે ગવડાવવું એ લગભગ નક્કી હોય છે. ગાયકની કેપેસિટી, એ કેટલું ગાઈ શકે છે, રેન્જ કેટલી છે એના આધારે ગાયક કે ગાયિકા નક્કી થતાં હોય છે. હે ગોવિં દ… ગીત સ્વરબદ્ધ કરતી વખતે મારા મનમાં લાલિત્યનું જ નામ, એનો અવાજ જ યાદ આવ્યાં હતાં. મને લાગ્યું કે આ ગીત એના અવાજમાં બરાબર બંધ બેસે એવું છે. ખરેખર એણે ખૂબસૂરતીથી નિભાવ્યું. કમ્પોઝિશન બનાવતી વખતે કવિતાના ભાવમાં સંગીતકારે ડૂબી જવું પડે. ડૂબીએ તો ભાવ ભગવાન સુધી પહોંચી જતો હોય છે. ભાવમાં ઊંડા ઊતરીએ તો ઘણી વાર આંખમાં આંસુ આવી જાય, ગળે ડૂમો બાઝી જાય એવા અનુભવો પણ થયા છે. બધાં દેવી-દેવતાઓમાં શ્રીકૃષ્ણ આપણને સ્વતંત્રતા આપે છે. એમની સાથે તમે રમી શકો, નૃત્ય કરી શકો, એને ચોર કહી શકો, એને રણછોડ પણ કહી શકો. મર્યાદા પુરુષોત્તમ રામની સાથે આવું કંઈ ન થઈ શકે. રામ સાથે નૃત્ય ના થઈ શકે જ્યારે કૃષ્ણ તો આપણને ઇજાઝત આપે છે, એમની સાથે બધી મોજ-મસ્તી કરવાની. તેથી જ કૃષ્ણ સૌથી વધારે ગવાયાં છે. રાધા-કૃષ્ણ આપણા માટે પ્રેમનું પ્રતીક છે તેથી રાધા કૃષ્ણ પર પણ કેટલાં બધાં સુંદર ગીતો રચાયાં છે. આ ગીત કમ્પોઝ કરતી વખતે પણ મને રાધા-કૃષ્ણ જાણે મારી નજર સમક્ષ હોય એવી જ અનુભૂતિ થતી હતી.

બહુમુખી પ્રતિભા ધરાવતાં લાલિત્ય મુન્શાના કેટલાંક આલ્બમ્સનું વિમોચન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મોરારિ બાપુ, શ્રી શ્રી રવિ શંકર, હેમા માલિની ઈત્યાદિ દ્વારા કરવામાં આવ્યું છે. પોતાની સંગીત કંપની અંતર્ગત અત્યાર સુધી તેમણે ગુજરાતના પ્રખ્યાત અને નવા કલાકારોના ૩૦૦થી વધુ આલ્બમોને રિલીઝ અને પ્રમોટ કર્યા છે. શાસ્ત્રીય સંગીત માટે પંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી, વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૬માં રાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મેળવનાર લાલિત્ય આ ગીતના સંદર્ભમાં કહે છે, "મારું બાળપણ અમદાવાદમાં વીત્યું છે. અમારા પરિવારમાં પહેલેથી જ ભક્તિભાવનો મહિમા હતો. અમારે ત્યાં સંત-મહંત આવતા. ઘરમાં બે મંદિર પણ હતાં એટલે નાનપણથી જ હું સંગીત અને ભક્તિ તરફ વળી હતી. દર અમાસ અને પૂનમે અમારે ત્યાં ભજનો યોજાય અને મારા પપ્પા મને ત્યાં બેસાડી દે. એટલે પરોક્ષ રીતે મનમાં આ બધા સંસ્કાર પડતા ગયા. પછી તો મને સંગીતમાં વધારે રસ પડતાં મેં શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતનો પાયો પાકો થતાં પપ્પા મને મુંબઈ લઈ આવ્યા. કલ્યાણજી-આણંદજીભાઈ, અનુપ જલોટાજી સાથે પરિચય કરાવ્યો હતો. વોઇસ કલ્ચર અને ગાયનની બારીકીઓ હું કલ્યાણજીભાઈ-આણંદજીભાઈ પાસેથી શીખી. મેં સૌપ્રથમ આલબમ ‘સખી, મૈં દીવાની’ નામે કર્યું. પછી એ જ આલબમ ગુજરાતી ભાષામાં ‘શામળિયા શ્રીનાથજી’ નામે પ્રગટ થયું હતું.

હે ગોવિંદ, હે નંદલાલા … એમાંનું જ ગીત છે અને મારા દિલની બહુ નજીક છે. કારણ કે ગીતનું સ્વરાંકન ખૂબ સુંદર છે. અનુપજીનાં ગીતોમાં અપાર માધુર્ય હોય છે. અલબત્ત હવે તો હું સૂફી, રોમેન્ટિક હિન્દી ફિલ્મી ગીતો, ગઝલ, ફ્યુઝન તેમ જ સંગીતના અનેક પ્રકારો ગાઉં છું, પરંતુ મારા મનમાં રેકોર્ડિંગ કંપની શરૂ કરવાનો વિચાર ઘણા વખતથી ચાલતો હતો. એમાંથી રેડ રિબનની સ્થાપના થઈ અને આજે તો એ વટવૃક્ષ બની ગઈ છે. અમે હિન્દી-ગુજરાતીના લગભગ દરેક મોટા કલાકારના રેકોર્ડિંગ તથા ડિસ્ટ્રિબ્યુશન અને પ્રમોશન કરીએ છીએ જેમાં હરિહરનજી, અનુપ જલોટા, રૂપકુમાર રાઠોડ, જગજિત સિંહથી લઈને આજના સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ અને ગુજરાતીમાં ઐશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ અને આશિતભાઈનાં તો ઘણાં જ આલબમો અમે રેકોર્ડ કર્યા છે. અત્યારે ટૂંક સમયમાં રજૂ થનારી એક ગુજરાતી ફિલ્મમાં મેં બે ગીતો ગાયાં છે.

ગીતના રચયિતા ભરત આચાર્ય જાણીતા ગીતકાર છે. તેમણે શંકર મહાદેવન, સુરેશ વાડકર, હરિહરનજી, આલાપ દેસાઈ, લાલિત્ય મુન્શા સહિત અનેક કલાકારો માટે ગીતરચના કરી છે. "મારા હૃદયની ભાવનાઓને કલમમાં બોળીને કાગળ ઉપર ઉતારું છું. કહે છે ભરત આચાર્ય.

આ ગીત તથા અન્ય કલાકારોની ભાવપૂર્ણ રચનાઓ યુટ્યુબ પર ઉપલબ્ધ છે જ. તમે ઈચ્છો ત્યારે માણી શકો છો.

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 08 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=554729

Loading

...102030...2,7192,7202,7212,722...2,7302,7402,750...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved