Opinion Magazine
Number of visits: 9684295
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લ્યો, આ ચીંધી આંગળી – પાકિસ્તાનથી આવ્યો ફૂલનો દડો!

રજનીકુમાર પંડ્યા|Opinion - Opinion|28 October 2019

જીવનના પ્રભાતકાળના સોનેરી હુંફાળા તડકા જેવા બચપણના દિવસો કોઈ ભૂલતું નથી. હું પણ ભૂલ્યો નથી. કરાંચીના જનાબ યાહ્યા હાશિમ બાવાણી. આઝાદી પહેલાંના કાળે અમારી નવ-દસની ઉંમરે એ મારા શેરીગોઠિયા હતા. પછી તો ૧૯૪૭માં હિજરત કરીને પાકિસ્તાન ચાલ્યા ગયેલા અને કાળક્રમે મારા ચિત્તમાં એ ઝાંખી છબી બની ગયેલા.

પણ થોડાં વરસ પહેલાં એ અમારા વતન જેતપુરમાં આવ્યા, ત્યારે અહીંથી હિજરત કરી ગયેલા પહેલાંના પોતાના ઘરની દીવાલો જોઈને રડી પડ્યા હતા. હા, અહીં હતી ઓસરીની ખાંડણી, અહીં હતું અમારું રસોડું, અહીં ભીંતે અમે આડાંઅવળાં ચિતરામણ કર્યાં કરતાં. અહીં અમારી બકરી બંધાતી ને આ ગલીમાંથી પસાર થતા અમારા મોહર્રમના તાજિયા. વતનની ધૂળને એમણે માથે ચડાવી હતી ને પછી જેતપુરની શોભારૂપ એવી કેટલીક હસ્તીઓ – હવે ભલે વૃદ્ધ થઈ ગઈ હતી, પણ એમને ય મળ્યા હતા ને પોશ-પોશ આંસુએ રડ્યા હતા. એમાંના એક હતા એક વારની અંજુમને ઇસ્લામ સ્કૂલના પ્રિન્સિપાલ અને પાછળથી જેતપુર – સુધરાઈના ચીફ ઑફિસર થયા તે ચત્રભુજભાઈ દવે ને બીજા હતા ડૉક્ટર રાજેન્દ્ર બિહારીલાલ વચ્છરાજાની, જે આખા જેતપુરમાં સૌથી સોહામણા પુરુષ હતા અને વહાલથી જેમને સૌ ‘ડૉક્ટર જાની’ના ટૂંકા નામે સંબોધતા. એમની વાણી જ અર્ધી દવાનું કામ કરતી. યાહ્યા હાશિમ બાવાણી પછી એમના બચપણના મિત્રોને શોધી રહ્યા. કેટલાક કાળની ગર્તામાં વિલીન થઈ ગયા હતા, કેટલાક મળ્યા હતા અને પચાસ-પંચાવનની ઉંમરે ખખડી ગયા હતા. મોતિયા ઉતરાવીને બેઠા હતા.

યાહ્યાભાઈએ મારી પણ પૃચ્છા કરી હતી. એમનો હું પાક્કો શેરીભેરુ હતો, પણ હું તો હવે અમદાવાદ રહેતો હતો. એ મને મળવા તો ન આવી શક્યા અને ના તો ફોન કરી શક્યા, કારણ કે એ આવ્યા, ત્યારે મોબાઇલ તો નહોતા જ, પણ સાદા ફોને ય આટલા હાથવગા નહોતા. પણ કરાંચી જઈને મને એમણે લાંબો લાગણીભીનો, નાનપણનાં સંભારણાં તાજાં કરતો પત્ર લખ્યો હતો. એમણે એક વાક્ય એવું લખ્યું હતું, જે વાંચીને મારા દેહમાંથી, ચિત્તમાંથી પણ લાગણીનો ઉકરાંટો પસાર થઈ ગયો હતો. એમણે લખ્યું હતું : ‘ભાઈબંધ, તમને મળી તો ન શક્યો, પણ તમારું સરનામું મેળવીને પણ હું રોમાંચિત થઈ ગયો. જાણે કે આપણી ડાયમંડ ટૉકીઝના પરદે તમને જૂના વારંવાર પટ્ટી કપાઈ જતા પિકચર રૂપે જોયા. એ વખતે તો સાવ ખખ્ખુડી-મખુડી હતા મુઠ્ઠી હાડકાંના! અત્યારે કેવા લાગતા હશો. ફોટું મોકલજો.’

એ પછી પણ આ પુસ્તકની તૈયારી મિષે અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો હતો. પણ પચાસ વરસોના વીતવા સાથે અમારી વચ્ચેથી તુંકારાનો લોપ થઈ ગયો હતો. છતાં પત્રનો અક્ષરે અક્ષર ધબકતો હતો. મારાથી પણ પત્રમાં એમને તુંકારો ન લખી શકાયો. લખ્યું, ‘તમારી મેમણકોમ સાથેનો મારો અનુબંધ જૂનો છે. મને કદી કોમવાદનો હલકો વિચાર સુધ્ધાં નથી આવ્યો. એનાં મૂળમાં મારા બચપણના મેમણ શેરીમિત્રો હારૂન, અબ્દુલાહ, ગફાર, ગની અને બીજાઓ છે. આઇસા (આયેશા) નામની લીલી આંખોવાળી છોકરી પણ ઇજાર-આબો પહેરીને અમારી સાથે ત્રણ ખજૂરીએ ખલેલાં પાડવા આવતી. ખજૂરી પર ઊંચે સુધી પથરા ફેંકવાથી નિશાન લાગે તો ચણીબોર જેવડાં લીલાં ખલેલાં નીચે પડતાં, જે છોકરીઓ ખોળો પહોળો કરીને ઝીલી લેતી. આઇસા મારી ખાસ ભેરુ હતી, કારણ કે એને મારા કોડીઓના જંગી કલેક્શનમાં રસ હતો અને મને રસ એના ખોળાનાં લીલાં ખલેલાંમાં. એ મને ખોળો ભરીને ખલેલાં આપતી અને હું એને ગણીગણીને કોડીઓ આપતો. જો કે, એ તો નવ-દસની ઉંમરે જ પાકિસ્તાન ચાલી ગઈ. ઘણાં વરસે એક દોસ્ત જુસબ આમદ જેતપુર આવ્યો, ત્યારે મને એ કહેતો હતો કે આઇસા પાકિસ્તાની ફિલ્મોમાં એની એ લીલી આંખોને કારણે ‘સી’ ગ્રેડની ફિલ્મોમાં રોલ કરે છે. અને એણે બલુચિસ્તાનના એક ખાણ-માલિકને ફાંસ્યો છે. સાંભળીને મારા મનમાં એની ચંચળ, લીલી આંખો ઊપસી આવી.

જનાબ યાહ્યા હાશિમ બાવાણી મારી જ ઉંમરના છે. (આ લેખ લખ્યો તે સમયે) સાઠની આસપાસ. જે પાકિસ્તાનમાં પત્રકાર છે, પણ સર્જકજીવ છે. ત્યાં નામાંકિત વર્તમાનપત્રોના તંત્રીપદે હતા. હજુ પણ ત્યાંના પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. ૧૮૦-ઈ, આદમજી નગર, એ બ્લૉક, કાઠિયાવાડ સોસાયટી,મક્કા મસ્જિદ પાસે, કરાંચી(પાકિસ્તાન)માં રહે છે. એમની જન્મભૂમિ અને વતન જેતપુર છે, પણ બીજા હજારો જેતપુરવાસીઓની જેમ એમના દિલમાં જેતપુર પ્રાણસ્થાને છે. બીજાઓ પાસે કલમ નથી, જ્યારે આમની પાસે એક સર્જક-પત્રકારની કલમ છે, એટલે એમણે પુસ્તકો પણ અનેક લખ્યાં છે – એમાંનું છેલ્લું દળદાર, કાળાં પૂંઠાંનું, સોનેરી અક્ષરના ઍમ્બોસવાળું પુસ્તક ‘મારા જેતપુરના મેમણો’ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલે છે, એ દિવસોમાં યારદિલીથી એમણે મને એ છેક કરાંચીથી મોકલ્યું. (એ પુસ્તક માટે યથાશક્તિ સામગ્રી મેં એમને મોકલી હતી, જેનો એમણે પ્રસ્તાવનામાં સાભાર ઉલ્લેખ પણ કર્યો છે. અઢીસો જેટલાં પાનાંમાંથી માત્ર શરૂનાં પંચાવનેક પાનાં જ અંગ્રેજીમાં છે, બાકીનાં તમામે તમામ આપણી અને આપણી ગુજરાતી ભાષામાં છે.)

પુસ્તકનું નામ ભલે ‘મારા જેતપુરના મેમણો’ એવું હોય, પણ એમાં ‘મારા’ શબ્દ ઉપર આત્મીયતાની છૂપી અંડરલાઇન છે ને મેમણો શબ્દની નીચે કોઈ દેખીતી કે છૂપી અંડરલાઇન નથી. મેમણો કેન્દ્રમાં નથી. હિંદુઓની પણ અનેક વાતો એમાં છે. મહાદેવનાં મંદિરોની, જેતપુરના હિન્દુ મહાનુભાવોની, હિન્દુ તહેવારોની જેતપુરમાં થતી ઉજવણી, જેતપુરમાંના સાહિત્યકારોની, રાજકર્તાઓની એમાં ઝીણી ઝીણી વિગતો છે. યાહ્યા હાશિમ બાવાણીએ, આપણને એમ જ લાગે કે આજથી પચાસ વર્ષ પહેલાંના સુંદર રૂપકડા જેતપુર શહેરની જ આ પુસ્તક લખીને પુર્નરચના કરી છે. જૂના જેતપુર શહેરની કાળના ચક્રમાં ચૂરા થઈ ગયેલી એક એક ઈંટને એમણે પોતાની સ્મૃતિના નિભાડામાં ફરી પકાવી છે ને ફરી નવેસરથી એ જૂના શહેરને નવું તોરણ બાંધ્યું છે.

કેટલી મઝાની વાત છે કે એમાં આવડા મોટા પાકા પૂંઠાના પાકિસ્તાની બસો રૂપિયાના (અમેરિકન ડૉલર દસના) પુસ્તકમાં પોતાની અંગત સ્મૃતિઓને ક્યાં ય તરતી મૂકી નથી. જેને પ્રત્યક્ષ જોઈને જેતપુરમાં પોતે રડી પડ્યા હતા, એ ઘર કે એ શેરીનો ફોટોગ્રાફ સુધ્ધાં એમાં નથી. એમનો રસ યાહ્યા હાશિમ બાવાણીની અંગત જેતપુરસૃષ્ટિમાં નહોતો જ. એમનો રસ પચાસ વરસ પહેલાંના સો-દોઢસો વરસના ગાળાના જેતપુર, એના મેમણોએ, એમના હિન્દુ બિરાદરો, એમની સંસ્કૃતિ, એમનો ઇતિહાસ,એમની રહનસહન, એમનો સમાજ અને ગૃહવ્યવસ્થા આલેખવા સાથે અત્યારે પાકિસ્તાનમાં પણ જેતપુરની યાદને એમણે કેવી કેવી રીતે પ્રજ્વલિત રાખી છે, એમાં હતો. એ રીતે તો આ પુસ્તક એ વાતની પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના ભાગલા પડી શકે, પણ પ્રજાના નહીં.

પ્રજાની ચેતનાને ડાંગ મારીને પૃથક કરી શકાતી નથી. એવું હોત તો પાકિસ્તાનની ધરતી ઉપર નસીરાબાદમાં એકસો છવ્વીસ ફ્લૅટનો જેતપુર સ્ક્વૅર ન હોત – અને વસાહત ઊભી કરનાર ‘જેતપુર મેમણ એસોસિયેશન’નું અસ્તિત્વ ન હોત. અરે ‘ગુલશને જેતપુર’ નામની એસી ફ્લૅટની સુંદર વસાહત ન હોત. પાકિસ્તાનની ધરતી પર અત્યારે એક ‘જેતપુર પ્લાઝા’ છે. કરાંચીના આદમજી નગરમાં પાંસઠ ફ્લૅટનો ‘જેતપુર – ટૅરેસ’ છે. સુડતાળીસ ફ્લૅટનો ‘બાગે જેતપુર’ છે. ચુમ્માળીસ ફ્લૅટની ‘જેતપુર હાઉસ’ નામની સુંદર ઇમારત ન હોત અને આ બધું કોઈ વ્યાપારી ધોરણે નથી થયું.

પાકિસ્તાન જઈ વસેલા જેતપુરના મેમણોએ પોતાના હાજતમંદ ગરીબ મેમણો માટે આવી વસાહતો બાંધીને એમને તદ્દન મફત અથવા મામૂલી ખર્ચે ત્યાં વસાવ્યા છે. આ અમૂલ્ય પુસ્તકના પૃષ્ઠ ૧૧૪ ઉપર મૂળ જેતપુરના (હવે પાકિસ્તાન જઈને) વસેલા સામાજિક કાર્યકર જનાબ અ. મજીદ અ. શકુર આરબી માહિતી આપે છે કે, “કાઠિયાવાડથી આવેલા જેતપુરવાસી મુહાજીરોનો સૌથી કઠિન પ્રશ્ન વસાહતોનો હતો. શરૂઆતમાં બર્ન્સ રોડ, રણછોડ લાઇન, કાગઝી બજાર, ખારાધર જેવા વિસ્તારોમાં અમુક સો રૂપિયામાં ભાડાના સારા ફ્લૅટો મળી રહેતા હતા, એટલે ઘણા જેતપુરવાસીઓ ત્યાં મકાન મેળવી રહેણાક કરવા લાગ્યા. પણ તેઓમાં બહુમતી એવા ભાઈઓની હતી, જેઓની પાસે જે કાંઈ હતું તે હિજરતમાં ખર્ચ કરી નવરા થઈ ગયા હતા … ઘણાં કુટુંબો એવાં હતાં કે જેઓ માસિક ભાડું ભરવાની સ્થિતિમાં ય નહોતાં.

આવા લોકોને વસાવવા માટે જેતપુરની ત્યાં જઈ વસેલી મેમણ કોમના જનાબ આહમદ રંગુનવાલા, જનાબ હાજી અ.લતીફ સાઉ બાવાણી, જ. અબ્દુલ્લાહ અ. અઝીઝ કામદાર, જનાબ યાહ્યા આહમદ બાવાણી, અલ્હાજ ઝકરિયા, હાજી અલીમુહમ્મદ ટબા, અબુબકર ઢેઢી, આહમદ મુનશી, મો. હનીફમિયાં નુર જેવા દાનવીરો અને કાર્યકરો આગળ આવ્યા. તેમણે જ ઉપરની બધી વસાહતો સ્થાપી એ સૌને મકાનો આપ્યાં. એટલું જ નહીં, પણ જેતપુરના નામને એ ધરતી પર જીવતું જાગતું રાખ્યું. એ મકાનમાં હવે તો એમાં રહેનારાઓની પેઢી પછીની પેઢીઓ વસશે. પણ એક વાત નિઃશંક છે, એમાં રહેનારાઓનાં હૃદયમાં જેતપુરનું નામ કાયમ માટે કોતરાયેલું રહેશે. એ જોઈને એમ જ લાગે કે શહેરનો પાયો ભૂગોળમાં નહીં, ઇતિહાસમાં હોય છે. ધરતી પર નહીં, હૃદયમાં હોય છે.

પુસ્તકમાં જેતપુરીઓને જેની યાદ સતાવે છે, એવા અંજુમને ઇસ્લામ સ્કૂલ કે ધોરાજી દરવાજા જેવાં કેટલાંક સ્થળોના કેટલાક ફોટા છે. જેતપુરની સ્થાપનાની વાતો છે. લેખક લખે છે, “જેતપુર મારી જન્મભૂમિ, મારે મન એના કણકણ કંચનના, એની રજરજ રૂપાની, એની ભાદર સૌરાષ્ટ્રની પટરાણી, એના લોક સજ્જન સાથીની જેતપુરની કૂખે જન્મેલા સપૂતોએ અલ્લાહની અસીમકૃપાથી માનવતાની મહેક પ્રસારતાં ઘણાં કામોને અંજામ આપ્યા છે.” આ રીતે લાગણીથી લથબથ શબ્દોએ શરૂઆત કરીને એમણે પછી કેટલાક અધિકૃત ગ્રંથોને આધારે જેતપુરની સ્થાપનાની કથા આલેખી છે. અમરાવાળા અંગે લખાયેલા પુસ્તક ‘અમર યશ અરણ્વ’ અનુસાર નાથવાળાના પુત્ર જેતાવાળાએ બલોચોના કબ્જા હેઠળના નેસડા ઉપર કબ્જો કરીને ગામને પોતાના નામ પરથી ‘જેતાણા’ નામ આપ્યું, જે કાળક્રમે ‘જેતપુર’ તરીકે ખ્યાતિ પામ્યું. એ પછી દાયકાઓ પછી એની વસતિ ૧૩,૦૮૫ (તેર હજાર પંચાસી) માણસોની થઈ એમ જેમ્સ કૅમ્પબેલનું ગૅઝેટિયર નોંધે છે. પ્રો. ડૉ. જશવંત જીવરાજાની(હાલ જેતપુરમાં પ્રોફેસર)ના કહેવા મુજબ ઈ.સ. ૧૭૦૦માં વાળા કાઠીઓએ જેતપુર કબ્જે કરીને એને કિલ્લેબંધ બનાવ્યું હતું. એ વખતે જેતપુરને પાંચ દરવાજા હતા. આજે બે-એક દરવાજા રહ્યા છે, જ્યારે બીજાનાં માત્ર નામ રહી ગયાં છે. આ પછી એ દરેક દરવાજાની ભૌગોલિક સ્થિતિ અને જેતપુરના બાર જેટલાં પરાંની વિગતો છે. આ બધાંના સમર્થનમાં રંગીન ફોટોગ્રાફ્સ તો આ પુસ્તકમાં ઠેરઠેર છે.

ત્રીજા પ્રકરણમાં મેમણોના કૌટુંબિક, વ્યક્તિગત અને સામાજિક સંસ્કારોનું ઝીણું-ઝીણું રસપ્રદ વર્ણન – એ વાંચતા જ જાણે કે અર્ધી સદી પહેલાંના જેતપુરના કોઈ મેમણના ઘરના વાતાવરણમાં પહોંચી જવાય છે. મોટા ભાગના શ્રીમંત મેમણો દેશાવર ખાસ તો રંગૂન કમાવા જતા અને પાછળથી તેમની બાનુઓ અને બચ્ચાં કેવી રીતે જીવનચર્યા રાખતાં તેનાં આબેહૂબ વર્ણનો છે. શબ્દેશબ્દ ઉતારવાની લાલચને રોકી દઉં. જેતપુર મેમણજમાતની સ્થાપના, જિમખાનાં, વાતો ઇતિહાસનાં માતબર પ્રકરણો જેટલી સુંદર છે. આઝાદી પહેલાંના જેતપુરનું વર્ણન ભારે રોચક છે. એ પછી આદમજી સહિતના જેતપુરના નામાંકિત મેમણો કે જેમણે પાકિસ્તાન જઈ ભારે નામના મેળવી, તેમની વિગતો છે. એમાં ૧૯૧૮માં મહાત્મા ગાંધીજીના આગમનનું વર્ણન છે, તો કાઇદેઆઝમ ઝિન્નાહના જેતપુરમાં આગમનની તવારીખની હકીકતો છે. એ સાલ ૧૯૪૦ની હતી. જેતપુરની ખિલાફત ચળવળની કથા છે, તો જેતપુરમાં ખાદી-ચળવળનો આલેખ પણ એમાં છે. મેમણોની શાદીમાં વરરાજા પણ ખાદીનાં કપડાં પહેરે એવો શિરસ્તો અપનાવવામાં આવ્યો હતો. કેળવણીકાર પિતા, અબજોપતિ સર આદમજીએ પોતાના પુત્ર ઝકરિયાની શાદીમાં દુલ્હાને ખાદીનો સંપૂર્ણ લિબાસ પહેરાવ્યો હતો.

જેતપુરમાં મેમણોનું આગમન કઈ રીતે? રસપ્રદ ઇતિહાસ છે. બે લીટીમાં આ લેખમાં લખી શકાય તેમ નથી, પણ ઇતિહાસકાર જેમ્સ કૅમ્પબેલના ગૅઝેટિયરમાં નોંધાયા મુજબ ઈસવી સન ૧૪૨૨માં હઝરત પીર યુસુફુદ્દીન(રહ.)ના હાથે સિંધમાં લોહાણા જ્ઞાતિમાંથી મુસલમાન તરીકે કન્વર્ટ થયા હતા. સિંધથી સવાસો વર્ષ પછી તેઓ કચ્છમાં આવ્યા અને ત્યાંથી પછી ગુજરાત ભણી ગયા. ગુજરાતના બાદશાહ મહેમૂદ બેગડાએ જૂનાગઢમાં સૈયદો, કાઝીઓ, મેમણો અને વહોરાઓને વસાવ્યા હતા. જેતપુરમાં સૌ પ્રથમ બાવાણીઓના વડવા બાવાભાઈ ૧૮ મી સદીમાં આવ્યા અને એમના પગલે પછી અનેક મેમણ કુટુંબો આવ્યાં.

જેતપુરના મેમણ ઉમર સોબાની અને મિયાં મોહંમદ છોટાણીએ તો ગાંધીજીની સાથીદારી પણ કરી હતી. ગાંધી સાહિત્યમાં પણ એનો માનભર્યો ઉલ્લેખ છે. આ પુસ્તક વાંચીને એવું લાગ્યું કે જાણે પાકિસ્તાન તરફથી બંદૂકની ગોળી નહીં, પણ ફૂલનો દડો આવ્યો.

(નોંધઃ આ લેખ સાલ ૨૦૦૦ની આસપાસ લખાયો છે. અફસોસ કે મિત્ર યાહ્યા હાશિમ બાવાણી પણ જન્નતનશીન થઈ ગયા છે.)

[વેબગુર્જરી, ૨-૦૯-૧૯ના સદ્‌ભાવથી, મૂળ લેખમાંથી સંપાદિત]

E-mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 18-19 તેમ જ 12

Loading

હાલની ચૂંટણી પરિણામો બાદ કહી શકાય કે રોટલા સામે રાષ્ટૃવાદ મોળો પડ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 October 2019

મહારાષ્ટ્ર અનેહરિયાણાની વિધાનસભાનાં અને કેટલીક પેટા ચૂંટણીઓનાં પરિણામો એટલાં મહત્ત્વપૂર્ણ છે કે અહીં એક સપ્તાહ રાષ્ટ્રવાદની ચર્ચા બાજુએ રાખીને પરિણામોની ચર્ચા કરવી જરૂરી લાગે છે. કારણ એ છે કે દેશમાં કેટલાક સમયથી એક રાજકીય પ્રયોગ ચાલી રહ્યો છે જેની સામે પરિણામોએ પડકાર પેદા કર્યો છે.

પ્રયોગ એવો છે કે લોકતંત્રનો એવો શોભાયમાન બગીચો રચવામાં આવે જેમાં દરેક ઝાડ એની જગ્યાએ શોભામાં વૃદ્ધિ કરનારું ઊભું હોય, પણ એમાં લોકારણ્યનો પ્રાણ ન હોય. ચૂંટણીપંચની છટાઈ (કાપણી) કરીને એક જગ્યાએ ઊભું રાખવાનું. ન્યાયતંત્રની છટાઈ કરીને તેને ન્યાયમંદિર તરીકે ઊભું રાખવાનું. મીડિયા(પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બન્ને)ની આઝાદીની છટાઈ કરીને અને તેને ખરીદીને વાજિંત્ર બનાવીને એક જગ્યાએ ઊભા રાખવાના. વિરોધ પક્ષોના પગ તળેની જમીન ખૂંચવી લેવાની. કોઈને ડરાવી-ધમકાવીને તો કોઈને ખરીદીને પોતાની બાજુએ લઈને વિરોધ પક્ષોના ખટારા ખાલી કરી નાખવાના. ચૂંટણીફંડમાં પણ એટલી અસમાનતા પેદા કરવી કે ૮૦ ટકા ધનમાં આપણો એકલાનો હિસ્સો હોય અને વીસ ટકામાં બાકીના બીજા. સ્થિતિ એવી પેદા કરવી કે વિરોધીઓને રાજકીય પડકાર ફેંકવો હોય કે ચૂંટણી લડવી હોય તો માણસો માટે અને પૈસા માટે વલખાં મારે.

યોજનાબદ્ધ રીતે બગીચાને વિકસાવવામાં આવતો હતો જેમાં માળી વૃક્ષોને પાણી આપી જીવતાં પણ રાખે અને છટણી કરીને પાંગરવા પણ ન દે. લોકોને એમ લાગવું જોઈએ કે ભારત એક લોકશાહી દેશ છે અને લોકતંત્ર સલામત છે. જગતને કહી શકાય કે ભારત એક લોકશાહી દેશ છે, કારણ કે અમારે ત્યાં નિયમિત રીતે ચૂંટણીઓ યોજાય છે અને ‘લોકો પોતાની સરકાર રચે છે.’ ચૂંટણી ભલે નિયમિત રીતે યોજાતી રહે, પણ ચૂંટણીનાં પરિણામોનો ડર ન રહેવો જોઈએ. કોઈ ખિસ્સામાં હોય, કોઈ બગલમાં હોય, કોઈ આંગળિયે હોય, કોઈ ડરેલા હોય, કોઈ જેલમાં હોય અને સામે નર્યો રાજકીય શૂન્યાવકાશ હોય!

બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં અને કેટલીક પેટા ચૂંટણીનાં પરિણામોએ અસાધારણ બોધ આપ્યો છે. તેણે બતાવી આપ્યું છે કે રાજકીય વિકલ્પ જમીન પર નથી હોતો, ચિત્તમાં હોય છે. લોકોના મનમાં જ્યારે વિકલ્પની તલાશ શરૂ થાય છે ત્યારે તે કાળા ચોરને મત આપે છે. એ વિકલ્પ કોઈની પસંદગીનો નથી હોતો, પણ તેમાં શાસકો માટેનો નક્કર નકાર રહેલો હોય છે. જમીન પર શૂન્યાવકાશ પેદા કરી શકાય છે, પણ નાગરિકોના ચિત્તમાં શૂન્યાવકાશ પેદા નથી કરી શકાતો એ આ ચૂંટણીનો મોટો બોધપાઠ છે.

એમાં કોઈ શંકા નથી કે મહારાષ્ટ્રમાં બી.જે.પી.-શિવસેનાની સંયુક્ત સરકાર રચાશે. તેને સ્પષ્ટ બહુમતી મળી છે, પણ બી.જે.પી.નો પરાજય થયો છે. ગઈ લોકસભાની ચૂંટણી પછી તેવર તો એવા હતા કે તેને શિવસેનાની ભાગીદારીની પણ જરૂર નથી. લોકસભાની ચૂંટણી વખતે મહારાષ્ટ્રમાં ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં બી.જે.પી.નો વિજય થયો હતો અને સેનાનો ૧૦૫માં. શિવસેનાને પણ એમ લાગવા માંડ્યું હતું કે બી.જે.પી. એકલે હાથે સરકાર રચવા જેટલી બેઠકો મેળવી શકે છે અથવા તો જરાક માટે છેટે રહેશે. એમાં કાશ્મીરની ઘટના બની પછી તો પૂછવું જ શું? નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને આખા દેશમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી. રાષ્ટ્રવાદ તેની ચરમસીમાએ હતો. વડા પ્રધાન સહિતના બી.જે.પી.ના નેતાઓની તુમાખી, અભિમાન. તેમની ભાષા, તેમની દેહભાષા(બૉડી લેન્ગવેજ)માં આ જોવા મળતું હતું.

ભરોસો ઉપર કહ્યો એવા આકાર આપવામાં આવેલા બગીચા પર હતો. તેમને એમ લાગવા માંડ્યું હતું કે ચૂંટણી તો એક ઔપચારિકતા છે, વિજય તો આપણો જ છે. હરિયાણામાં બી.જે.પી.નો રીતસર તો પરાજય થયો છે. એ વાત જુદી છે કે હરિયાણામાં સરકાર બી.જે.પી.ની જ રચાશે; પણ લોકતંત્રનું માત્ર કલેવર ટકાવી રાખવાથી, પ્રાણ હરી લેવાથી અને રાજકીય શૂન્યાવકાશ પેદા કરવાથી ક્યારે ય પરાજયનો સામનો નહીં કરવો પડે એ ભ્રમ ભાંગ્યો છે.

હરિયાણામાં ૯૦ સભ્યોની વિધાનસભામાં બી.જે.પી.એ ૪૦ બેઠકો મેળવી છે અને ૨૦૧૪ની તુલનામાં સાત બેઠકો ગુમાવી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૯૦માંથી ૭૯ વિધાનસભા ક્ષેત્રોમાં વિજય મળ્યો હતો. મહારાષ્ટ્રમાં૨૮૮ સભ્યોની વિધાનસભામાં બી.જે.પી.ને ૧૦૫ (બહુમતી માટે જરૂરી ૧૪૫) બેઠકો મળી છે અને ૨૦૧૪ની તુલનામાં ૧૭ બેઠકો ગુમાવી છે. શિવસેનાએ ૨૦૧૪ની તુલનામાં સાત બેઠકો ગુમાવી છે. આનો અર્થ એ થયો કે લોકોનો રોષ સેના કરતાં બી.જે.પી. સામે વધુ પ્રકટ થયો છે. નરેન્દ્ર મોદીના રાજકીય દિગ્વિજય છતાં ય, કાશ્મીરની ઘટના છતાં ય, રાષ્ટ્રવાદ ઉફાને હોવા છતાં ય, જગતમાં વાહવાહી કરાવાતી હોવા છતાં ય, પક્ષાંતર કરાવીને વિરોધ પક્ષોના ખટારા ખાલી કરાવ્યા હોવા છતાં ય, અઢળક ધન હોવા છતાં ય, આરતી ઉતારનારા મીડિયા હોવા છતાં ય અને મૂલ્યોના રખેવાળોની ચૂપકીદી છતાં ય. આમ કેમ બન્યું?

આનાં બે કારણ છે. એક કારણ છે તુમાખી. પ્રજાને પૌરુષત્વ ભાવે છે, તુમાખી નહીં. પૌરુષત્વમાં અને તુમાખીમાં ફરક છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રવાદના પૌરુષત્વના નામે તુમાખી અને આછકલાઈનું પ્રદર્શન કરવામાં આવતું હતું. અમને હરાવી શકે એવો કોઈ માઈનો લાલ બચ્યો હોય તો સામે આવે એમ કહીને સાથળ ઠોકવામાં આવતા હતા. દાદાગીરી કરીને દરેક પ્રતિસ્પર્ધીની જમીન આંચકવામાં આવતી હતી. લોકોને આ ગમ્યું નથી એમ પરિણામો બતાવે છે. વધારે પડતું અભિમાન ભારતીય પ્રજાને રુચતું નથી એ આપણો સ્વભાવ છે. આને જ કારણે આ વખતનાં ચૂંટણી પરિણામોમાં એક ચીજ ઊડીને આંખે વળગે એવી બની છે. કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ અને અન્ય પક્ષોમાંથી જેટલા લોકોએ પક્ષાંતર કરીને બી.જે.પી.-સેનાની ટિકિટ પર ચૂંટણી લડી હતી એમાંના મોટા ભાગના લોકો પરાજીત થયા છે. મહારાષ્ટ્રમાં ઉદયન રાજે ભોસલે અને ગુજરાતમાં અલ્પેશ ઠાકોર આનું ઉદાહરણ છે.

બીજું કારણ જમીન પરના રોટલાના પ્રશ્નો તરફ આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ. જરૂર જ શું છે જ્યારે આપણે એક માત્ર રાષ્ટ્રવાદી અને દેશભક્ત હોઈએ. જરૂર જ શું છે જ્યારે પ્રજાને ચોવીસે કલાક રાષ્ટ્રવાદના નશામાં રાખવામાં આવતા હોય. જરૂર જ શું છે જ્યારે સામે વિરોધ પક્ષોની જમીન આંચકી લેવામાં આવી હોય. શાસકોને જેની જરૂર નહોતી વરતાણી તેની જરૂર પ્રજાએ અનુભવી હતી. કાર્પેટ તળે કચરો છૂપાવી શકાય, પણ ઉકરડાને કાર્પેટ તળે ન ઢાંકી શકાય. એવી સ્થિતિમાં લોકો એમ કહે કે ઉકરડા પર કાર્પેટ બિછાવી છે. આખું જગત મંદીની ચેતવણી આપતું હોય, યુવાનો રોજગારી વિનાના બેકાર હોય, જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને હોય, બેંકો ઉપરાઉપર ઊઠી જતી હોય, સામાન્ય માણસો તેના શિકાર બનતા હોય, કારખાનાંઓ બંધ પડી રહ્યા હોય; પણ એ છતાં ય જ્યારે તેની નોંધ પણ લેવામાં ન આવે, એટલું જ નહીં મંદી હોવાનો અસ્વીકાર કરવામાં આવે એ તો હદ કહેવાય. મંદીની વાતો એ દેશને બદનામ કરવાનું કાવતરું છે એમ કહેવામાં આવે છે.

ક્યાંક કશેક લોકોને એમ લાગવા માંડ્યું હોવું જોઈએ કે આ સરકાર આપણને માત્ર ને માત્ર રાષ્ટ્રવાદના નશામાં જીવાડવા માગે છે, બાકી પ્રજાકીય સુખાકારીનો તેની પાસે કોઈ એજન્ડા જ નથી. એજન્ડા શું પ્રાથમિકતા પણ નથી. આમ તો રાષ્ટ્રવાદનું શાસ્ત્ર એમ કહે છે કે લોકો અસ્મિતાઓના નશામાં રોટલો ભૂલી જાય છે. પરિણામ જોતાં એમ લાગે છે કે સંકટ એટલું મોટું અને ઊંડું છે કે રોટલા સામે રાષ્ટ્રવાદ મોળો પડ્યો છે.

કેન્દ્ર સરકારે હવે લોકોના પ્રશ્નો કાને ધરવા જોઈએ. આ પરિણામોનો બોધપાઠ છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2019

Loading

ગાંધીટોપી

બ્રિજેશ પંચાલ|Poetry|26 October 2019

બાપુ!
આ ‘ગાંધીટોપી’ એટલે શું?
એમાં હીરા-મોતી જડેલાં હોય છે?
કે ટોપીને સોનાનો વરખ ચડાવેલો છે!
તમને થાતું હશે મારે શું પંચાત!
પણ આ તો એની ડિમાન્ડ
વધી ગઈ છે ને આજકાલ
એટલે પૂછું છું!
સાચું કહું તો … મને તો પહેલાં એમ જ હતું.
આ ‘ગાંધીટોપી’ ચોક્કસ
કોઈ મોટા ફૅશન-ડિઝાઇનરે ડિઝાઇન કરી હશે!
એ તો પછી શું થયું કે … મેં કાલે આ ‘ગાંધીટોપી’
સિગ્નલ ઉપર નાનાં ભૂલકાંઓના
સાદ સાથે વેચાતી જોઈ –
“લઈ લો … લઈ લો … ‘ગાંધીટોપી’,
એ લઈ લો … સો રૂપિયાની ત્રણ …
સો રૂપિયાની ત્રણ!”
ત્યારે મને સમજાયું કે આ તો
મારા દાદા પહેરતા હતા એ ધોળી ટોપી છે.
એટલે મેં જ્યારે સિગ્નલ પર,
લઈ લો … લઈ લો … ‘ગાંધીટોપી’ લઈ લો …
ને બદલે
“લઈ લો … લઈ લો …
‘મારા દાદા પહેરતા એ ટોપી’ લઈ લો …”
બોલીને એ સફેદ ટોપી વેચવાનો પ્રયાસ કર્યો તો,
કોઈએ ના લીધી!
પછી એની એ જ ટોપીને
તમારા નામની ટેગ લગાડી વેચી
તો એ … ‘ગાંધીટોપી’;
વેચાઈ ગઈ!
બસ ત્યારથી મેં શું કર્યું છે –
જે વસ્તુ બજારમાં ના ચાલે એને
તમારા નામ સાથે જોડું છું …
જેવી રીતે
ગાંધીની ટોપી
ગાંધીનાં ચશ્માં, ગાંધીની લાકડી, ગાંધીની ઘડિયાળ,
ગાંધીની ખાદી અને ….
ગાંધીનું સત્ય!

E-mail : panchalbrijesh02@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 11

Loading

...102030...2,6772,6782,6792,680...2,6902,7002,710...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved