Opinion Magazine
Number of visits: 9576735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માન્યતાના ઘડતર વિશેની એક રસપ્રદ થિયરી !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2019

અનમ ઝકરિયા નામની એક પાકિસ્તાની યુવતી લાહોરની કૉલેજમાં સમાજ વિજ્ઞાન ભણતી હતી અને તેની નાની સાથે રહેતી હતી. તેની નાની વિભાજન પહેલાં ભારત તરફના પંજાબમાં રહેતી હતી અને વિભાજનના કારણે પાકિસ્તાન જવું પડ્યું હતું. અનમ કહે છે કે તેની નાની જ્યારે પણ વિભાજનની વાત નીકળતી ત્યારે કેવી કેવી યાતના સહીને તે અને તેનો પરિવાર આ બાજુ પાકિસ્તાનમાં આવ્યો હતો અને હિંદુઓએ કેવા કેવા અત્યાચાર કર્યા હતા એની વાત કરતી રહેતી. દરેક વખતે અત્યાચારી હિંદુઓની કથા તે સંભળાવતી એટલે અનમ પણ એમ માનતી થઈ ગઈ હતી કે આ ધરતી પર હિંદુઓ જેવી ખરાબ કોમ બીજી એકે નથી. તેની કોલેજમાં ભણતા બીજા વિદ્યાર્થીઓ પણ હિંદુઓ વિષે લગભગ આવો જ અભિપ્રાય ધરાવતા હતા અને તેમનો અભિપ્રાય પણ આવી કોઈને કોઈ નાની-નાના, કાકા-કાકી, દાદા-દાદીઓને કારણે બન્યો હતો.

અનમ લખે છે કે એક દિવસ નાની પોતાના બાળપણની વાત કરતી હતી ત્યારે તેની હિંદુ બહેનપણીઓની સારપ વિષે અને તેણે કરેલી મદદ વિષે બોલી ગઈ. અનમ ચોંકી. ‘નાની, ક્યા હિંદુ અચ્છે ભી હોતે હૈ?’ જવાબમાં નાનીએ કહ્યું કે; ‘હાં, કુછ હિંદુ અચ્છે ભી હોતે હૈ’ અને પછી તો નાનીએ હિંદુઓના સારાપણાના હજુ વધુ કિસ્સા સંભળાવ્યા.

અનમ સમાજશાસ્ત્રની વિદ્યાર્થિની હતી, એટલે એને નાનીની હિંદુઓની સારપ વાળી બાજુ વર્ણવતી ઘટનાઓ સાંભળીને લાગ્યું કે અસાધારણ સંજોગોએ પેદા કરેલી પરિસ્થિતિમાં વિજેતા કે પરાજિત થયેલા લોકો પોતાને માફક આવે એટલું ‘સત્ય’ પકડી લે છે અને પછી તેને ઘૂંટ્યે રાખે છે. જેમાં આંશિક સત્ય હોય, અથવા સત્ય ન પણ હોય અથવા તો કોઈ સારી/ખરાબ ઘટના ખાસ પ્રકારના સંજોગોનું સર્જન હોય એ છતાં તેને વારંવાર ઘૂંટતા રહેવાથી તે કાયમી સત્ય તરીકે સ્થાપિત થવા લાગે છે. શરીર પરની સારા-ખરાબ બન્ને પ્રકારની ભાવનાઓને પ્રતિસાદ આપતી સાચી સંવેદનશીલ ત્વચા મરવા લાગે છે અને માફક આવે એવા સત્યને ઘૂંટી ઘૂંટીને નવી મઢેલી ત્વચા તેની જગ્યા લેવા માંડે છે.

આ મઢેલી ત્વચા સાચી હોતી નથી એટલે જો તેને ખરોચવામાં આવે તો નીચે રહેલી સંવેદનશીલ ત્વચાને જગાડી શકાય છે. એ પછી અનમે ભારતના વિભાજનનો શિકાર બનેલાઓની મઢેલી ત્વચાને ખરોચવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો. તેને સમજાયું કે સત્ય જે મઢવામાં આવ્યું છે તેનાથી જુદું છે. એ પછી તેણે ભારત આવીને વિભાજન વખતે પાકિસ્તાનથી ભારત આવેલા હિંદુઓની ત્વચા પણ ખરોચવા માંડી તો તેમાં પણ એ જ જોવા મળ્યું. હિંદુઓએ મુસલમાનો માટે અને મુસલમાનોએ હિંદુઓ માટે ઘણું સારું કહેવાનું હતું; પણ એમાં ક્યાંક કોઈક જગ્યાએ પોતાનો વાંક કબૂલ કરવો પડે, અથવા બીજાની સારપ કબૂલ કરવી પડે એટલે તેનાથી બચવા માટે બન્ને કોમે પોતાને માફક આવે એવું સત્ય સ્વીકારીને પોતાના શરીર પર ત્વચા મઢી લીધી હતી. અનમ ઝકરિયાએ હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમના લોકોની ચામડી ખરોચીને જે તારણ કાઢ્યું છે એ ‘ધ ફૂટપ્રિન્ટ્સ ઓફ પાર્ટીશન : નેરેટીવઝ ઑફ ફોર જનરેશન્સ ઑફ પાકીસ્તાનીઝ એન્ડ ઇન્ડિયન્સ’ નામનાં પુસ્તકમાં જોવા મળશે.

ભારતમાં મુસલમાનો આવ્યા અને હિંદુ ખરલમાં વટાયા વિના મુસલમાનના મુસલમાન બનીને રહ્યા, એટલું જ નહીં ઉપરથી શાસક બન્યા એ ભારત માટે અસાધારણ સ્થિતિ હતી. અનમ ઝકરિયા કહે છે એમ અસાધારણ સંજોગોએ પેદા કરેલી પરિસ્થિતિમાં વિજેતા કે પરાજિત થયેલા લોકો પોતાને માફક આવે એટલું ‘સત્ય’ ઘડી કાઢે છે અને પછી તેને વાગોળ્યા કરે છે. ત્યાં સુધી વાગોળે છે કે એ માન્યતા કે ધારણા અથવા સંભાવના તેને સત્ય ન લાગવા માંડે. જ્યારે માન્યતા કે ધારણા પોતાના માટે સત્યનું સ્વરૂપ પકડી લે એટલે પત્યું. એ પછી પુનર્વિચાર કરવાનો રહેતો નથી.

ઈસુની દસમી સદી પછી મુસલમાનોના જે ધાડાઓ ભારતમાં આવ્યા હતા એ કોઈ પચાસ હજારનું લશ્કર લઈને નહોતા આવ્યા. હજાર-બે હજાર સૈનિકો સાથે કે વધુમાં વધુ પાંચ હજારના સૈન્ય સાથે કોઈ ચડાઈ કરવા આવે અને ભારતના કોઈ એક પ્રદેશમાં લૂંટફાટ કરીને કે મંદિરો તોડીને જતો રહે. કોઈ વળી કોઈ પ્રદેશ જીતીને રાજ કરવા અહીં રહીં જતા. આ બાજુ હિંદુઓનો એક પણ આક્રમણકાર સામે વિજય નહોતો થયો. એક પણ વાર નહીં. પોતાની ભૂમિ, પોતાનો પરિચિત સમાજ, આક્રમણકારો કરતાં અનેક ગણી બહોળી સંખ્યા; અને છતાં બહારના લોકો સામે એક પછી એક પરાજય થતો હતો.

મુસલમાનો જીત્યા એની સામે પણ વાંધો નહોતો, અહીં રહી ગયા એની સામે પણ વાંધો નહોતો, માથે શાસન કર્યું એની સામે પણ વાંધો નહોતો; વાંધો એ વાતનો હતો કે તેઓ ખરલમાં વટાયા નહીં અને મુસલમાનના મુસલમાન જ રહ્યા. ભારત માટે આવો આ પહેલો અનુભવ હતો અને માટે અસાધારણ હતો. આ પહેલાં પણ હિંદુઓનો વિદેશી આક્રમણકારો સામે પરાજય થયો હતો, તેઓ ભારતના કોઈને કોઈ પ્રદેશમાં શાસક પણ બન્યા હતા; પરંતુ તેઓ હિંદુ ખરલમાં વટાઈ ગયા હતા એટલે એ પરાજયમાં કે મૂળ વિદેશી શાસકોના શાસિત બનવામાં હિંદુઓને નાનપ નહોતી લાગી. જે જીત્યા હતા એ પણ હિંદુ ખરલમાં વટાઈને હિંદુ બની ગયા એટલે તેમના મનમાં વિજેતાનું ગુમાન નહોતું.

હવે પહેલીવાર ભારતમાં એવું બન્યું કે વિજેતાને કે તેના વારસોને ગુમાન અનુભવવા માટે કારણ હતું અને પરાજિતને કે તેના વારસોને નાનપ અનુભવવા માટે કારણ હતું.

પણ અહીં એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવી ગુમાન કે ભોંઠપની લાગણી એ સમયે ભારતની પ્રજાએ અનુભવી હતી ખરી જ્યારે મુસ્લિમ આક્રમણકારો સામે હિંદુઓનો પરાજય થતો હતો? હિંદુ શાસકોએ અનુભવી હશે, પણ પ્રજાએ બેમાંથી કોઈ લાગણી અનુભવી હતી ખરી? નહોતી અનુભવી તો કેમ નહોતી અનુભવી? તો પછી ક્યારથી આનો બોધ થવા લાગ્યો? કોણે આવો બોધ કરાવ્યો? શા માટે બોધ કરાવ્યો?

એ તો દેખીતી વાત છે કે જ્યારે મુસ્લિમ આક્રમણકારો ભારતમાં આવ્યા અને હિંદુઓને પરાજિત કરીને તેમ જ પોતાની અલગ ધાર્મિક ઓળખ જાળવી રાખીને તેઓ શાસકો બન્યા ત્યારે તેની સામે જો હિંદુઓને વાંધો હોત તો કોઈને કોઈ જગ્યાએ પ્રતિકાર જોવા મળ્યો હોત. ભારતમાં કોઈ જગ્યાએ હિંદુ પ્રજાએ મુસ્લિમ શાસન સામે નફરતથી પ્રેરાઈને બગાવત કરી હોય એવું જોવા મળતું નથી. તો આનો અર્થ એ જ થયો કે હિંદુ માનસમાં શરમ અને મુસલમાનો માટેના ધિક્કારની લાગણી એ યુગમાં એટલી નહોતી, જેટલી પાછળથી પેદા કરવામાં આવી છે.

નહોતી તો શા માટે નહોતી અને પાછળથી પેદા કરી તો કોણે કરી? બીજું વીતેલા યુગ માટે પાછળથી આવી લાગણી પેદા થઈ શકે? મુસ્લિમ શાસકો બહુ ભલા હતા, દેશમાં ખુદાનું રાજ પ્રવર્તતું હતું અને પ્રજા સાથે કોઈ અન્યાય નહોતો કરવામાં આવતો એવું નહોતું. દરેક યુગના શાસકોમાં જોવા મળે છે એમ શાસક તરીકેનું સારા-નરસાપણું તેમનામાં પણ હતું. તો પછી એવું શું છે કે જે હિંદુ પ્રજા પ્રત્યક્ષ મુસલમાનો દ્વારા શાસિત હતી છતાં એ મુસલમાનો માટે આજના હિંદુઓ કરતાં ઓછી નફરત ધરાવતી હતી? નફરત તો તેમના મનમાં વધારે હોવી જોઈતી હતી, કારણ કે તેઓ તેમના યુગમાં તેમના શાસિત તરીકે રહેતા હતા અને જે કાંઈ ભોગવવાનું આવતું હતું એ ભોગવતા હતા. અત્યારે હિંદુઓ મુસલમાનો માટે જેવી તીવ્ર નફરત ધરાવે છે એવી કોઈ નફરતનું પ્રમાણ એ યુગમાં મળતું નથી.

આનાં બે મુખ્ય કારણો છે જેની ચર્ચા હવે પછી.

18 સપ્ટેમ્બર 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 સપ્ટેમ્બર 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 10

દીપક મહેતા|Opinion - Opinion|22 September 2019

છાપકામ આવ્યું, પુસ્તકો લાવ્યું

પુસ્તકો આવ્યાં, નવું શિક્ષણ લાવ્યાં

સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત,
તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત.
તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે,
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે.

(કવિ પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’)

એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. અલબત્ત, ૧૯મી સદીમાં તેમાં સાંદિપની ઋષિ જેવા ‘અધ્યાપક અનંત’ ભાગ્યે જ ભણાવતા. થોડું લખી, વાંચી, ગણી શકતા હોય તેવા બ્રાહ્મણો તેમાં ઉપલા વર્ણના છોકરાઓને ભણાવતા. છોકરીઓને પણ નિશાળે મોકલી શકાય એવો તો ત્યારે કોઈને વિચાર પણ નહોતો આવતો. ઓગણીસમી સદીની પહેલી બે પચ્ચીસી સુધી આવી નિશાળો બોમ્બે પ્રેસિડેન્સી – મુંબઈ ઇલાકાનાં શહેરોમાં અને કેટલાંક ગામડાંઓમાં ફેલાયેલી હતી. પણ છાપકામ આવ્યું એને પગલે છાપાં અને પુસ્તકો આવ્યાં. અને છાપેલાં પુસ્તકોને પગલે આવ્યું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ.

ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતોવખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ – ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું.

આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુ લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું: ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’ તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. વળી તે ખાનગી દાનને આધારે જ ચાલતી હતી. શરૂઆતમાં તેને સરકારની આર્થિક મદદ મળતી નહોતી. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઇ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને પણ વાજબી ફી લઈને દાખલ કરવા.

બંને નિશાળમાં ભણતા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે ચર્ચ ઓફ ઇન્ગ્લન્ડ પુરસ્કૃત ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત હતું, પણ દેશી વિદ્યાર્થીઓ ઉપર ધાર્મિક શિક્ષણ અંગે કોઈ પ્રકારનું દબાણ લાવવું નહિ એમ ઠરાવાયું હતું. ૧૮૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ભણતા કુલ ૮૩ વિદ્યાર્થીઓમાંથી ૭ પારસી, પાંચ હિંદુ, અને એક મુસ્લિમ હતા. મુંબઈમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ મેળવનારા આ પહેલા દેશી છોકરાઓ. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ દેશી છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ દેશી છોકરી ભણતી નથી.

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાંવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઓગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઇ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઇ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. અલબત્ત, આ ત્રણે સ્કૂલોમાં જે દેશી છોકરાઓ ભણતા હતા તેમાંના મોટા ભાગના પારસી હતા. હકીકતમાં જ્યાં જ્યાં દેશીઓ માટેની નવી સ્કૂલો શરૂ થઇ ત્યાં ત્યાં નવી પદ્ધતિનું શિક્ષણ અપનાવવામાં પારસી કોમે પહેલ કરી હતી.

૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં ભણાવી શકાય તેવાં ગુજરાતી મરાઠી જેવી દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. તેમાંથી બીજી મુશ્કેલી દૂર કરવાના હેતુથી કલકત્તાની સ્કૂલ બૂક સોસાયટી પાસેથી તેણે તૈયાર કરેલાં પાઠ્ય પુસ્તકો મગાવવામાં આવ્યાં. બીજી બાજુ મુંબઈ ઈલાકાના સ્થાનિક લોકોને પણ તેમણે લખેલાં અથવા અનુવાદ કરેલાં પુસ્તકો મોકલવા માટે વિનંતી કરવામાં આવી. કલકત્તાથી કેટલાંક પુસ્તકો આવ્યાં પણ ખરાં, પણ બોમ્બે પ્રેસિડેન્સીની સ્કૂલોમાં કામ લાગે તેવાં તે નહોતાં. સ્થાનિક લોકો તરફથી માત્ર એક જ ગુજરાતી પુસ્તક મળ્યું હતું – મરેના અંગ્રેજી વ્યાકરણની બાવનમી આવૃત્તિનો અરદેશર બહેરામજી લશ્કરીએ કરેલો ગુજરાતી તરજૂમો, જે ‘મુંબઈ સમાચાર’ના છાપખાનામાં છપાયો હતો. એટલે સોસાયટીને લાગ્યું કે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવ્યા સિવાય છૂટકો નથી.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઇ ત્યારથી મુંબઈના ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું: પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં.

જમશેદજી જીજીભાઈ

નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી હતા: ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ, ચાર હિંદુ હતા: દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, અને ચાર મુસલમાન હતા: મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહીમ મકાબા. બે મંત્રીઓ પણ નીમવામાં આવ્યા જેમાંનો એક અંગ્રેજ અને એક હિંદુ હતો. આજે આપણને આ કોઈ બહુ મોટી વાત ન લાગે. પણ એ વખતે બીજા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ દેશીઓને સંચાલનમાં સહભાગી બનાવવાના એલ્ફિન્સ્ટનના આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ તેમને બીક હતી કે આ રીતે આજે આંગળી આપશું તો વખત જતાં દેશીઓ પોંચો પકડશે. પણ એલ્ફિન્સ્ટનનું દૃઢપણે માનવું હતું કે દેશીઓને સાથે રાખ્યા વગર શિક્ષણનું કામ થઇ શકશે નહિ.

જગન્નાથ શંકરશેઠ

૧૮૨૨ના ઓગસ્ટની ૨૧મી તારીખથી નવી સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઇ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં: (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩(૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩(૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) તેવી જ રીતે સોસાયટીએ પાંચ મરાઠી પાઠ્ય પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં તે પણ મરાઠી ભાષાનાં પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો.

૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત પરંપરાગત નિશાળોમાં ભણાવતા ચતુર બ્રાહ્મણ શિક્ષકો તરત કળી ગયા. ગોરપદું કરનારા બ્રાહ્મણો પણ સમજી ગયા કે વહેલા મોડા શાસ્ત્ર ગ્રંથો પણ છપાશે અને તો ધાર્મિક ક્રિયાઓને નામે લોકો પાસેથી મનમાની રકમ પડાવવાનું મુશ્કેલ બનશે. એટલે બ્રાહ્મણોએ લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને આ પુસ્તકોનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. પણ સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વિદ્યાર્થીઓને વેચવાને બદલે મફત વહેંચવાનું શરૂ કર્યું.

સોસાયટી પાસે જે ભંડોળ હતું તેમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઇ શકે. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી. પણ તેને બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા અંગે તથા છાપવા અંગે જે કાંઈ ખર્ચ થાય તે બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, તે સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ અંગેનો અંદાજ સરકારને મોકલવાનો. તેને મંજૂરી મળે તેની પણ રાહ જોવાની જરૂર નહિ. શાલેય પાઠ્ય પુસ્તકના લેખક કે અનુવાદકને એક સો રૂપિયાથી માંડીને ૪૦૦ રૂપિયા સુધીનું ઇનામ સોસાયટી આપી શકે. વધુ ઊંચા ધોરણની ગુણવત્તા ધરાવતાં પુસ્તકો માટે ઇનામની રકમ પાંચ હજાર રૂપિયા સુધી વધારી શકાય. માત્ર જો કોઈ પુસ્તક પાછળ પાંચ હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ થાય તેમ હોય તો જ તે માટે સરકારની આગોતરી મંજૂરી જરૂરી હતી. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લેન્ક ચેક’ મળ્યો અને પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. થોડા વખત પછી પુસ્તકો છાપવા માટે ત્રણ લિથોગ્રાફ પ્રેસ પણ સરકારે સોસાયટીને ભેટ આપ્યાં. અલબત્ત, સરકારના આવા ઉદાર વલણ પાછળ કારણભૂત હતી એલ્ફિન્સ્ટનની શિક્ષણ માટેની ઉદાર નીતિ. પણ તેની નીતિનો અમલ કરનાર હતા બીજા એક અંગ્રેજ. તેને વિશેની કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”,  21 સપ્ટેમ્બર 2019

Loading

છે કોઈ ઉપાય, આ સનાતન ધર્મના બદલાતા ચહેરાનો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2019

નામ દીધા વગર સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરારિબાપુએ આક્રોશ ઠાલવ્યો તેની પાછળ સમજાય એવું કારણ છે. તેમનો મુદ્દો એ છે કે હિંદુઓનો ધર્મ સનાતન ધર્મ છે. તેના ગ્રંથો છે, તેના રામ, કૃષ્ણ, શંકર, હનુમાન જેવા ભગવાન છે, તેના યાત્રાધામો છે, તેના ધાર્મિક વિધિ-વિધાનો છે, તેના દર્શનો છે, વગેરે. આ બધા થકી સનાતન ધર્મની ઓળખ બની છે અને એ ન ગુમાવવી જોઈએ કે ન મોળી પાડવી જોઈએ. આજકાલ નવા નવા સંપ્રદાયો સ્થપાતા જાય છે અને ધર્મગુરુઓ નીકળી પડે છે, જે સનાતન ધર્મની આ બધી ઓળખો બાજુએ હડસેલીને પોતાને સ્થાપે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિ સહજાનંદ ભારતમાં થઈ ગયેલા અનેક સંતોમાંના એક સંત હતા, પણ સ્વામિનારાયણવાળાઓએ તેમને ભગવાન તરીકે સ્થાપ્યા છે. આવું માત્ર સ્વામિનારાયણવાળા નથી કરતા, બીજા પણ કરે છે. જો આ રીતે બધા નોખા ચોકા માંડતા રહેશે અને પોતાને હિંદુ ગણાવવા છતાં સનાતન ધર્મની ઓળખોને નકારશે તો સનાતન ધર્મનું શું થશે એની મોરારિબાપુને ચિંતા છે. મોરારિબાપુએ સનાતન ધર્મના પ્રસ્થાપિત ભગવાનોને ‘સાઈડ’ કરવામાં આવી રહ્યા છે એમ કહ્યું છે.

મોરારિબાપુ પોતે સનાતનધર્મી કથાકાર છે એટલે તેમને સનાતન ધર્મની ઓળખની કે તેના ભવિષ્યની ચિંતા સતાવતી હોય એ તો જાણે સમજી શકાય એમ છે, પણ તેનો ઉપાય શું? હા,  ઇસ્લામ પાસે તેનો ઈલાજ છે જો અપનાવવો હોય તો. અપનાવવા જેવો લાગતો હોય તો અને જો અપનાવી શકાય એમ હોય તો.

ઇસ્લામમાં બે નિષેધો દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈ સહેજે ઈસ્લામના મૂળ સ્વરૂપ સાથે ચેડાં ન કરી શકે. એક છે શિર્ક. શિર્ક એટલે કોઈ એવો માણસ જે ખુદાની બરાબરી કરે. પોતાનું પૂજન કરાવે અને પોતાને તારણહાર માને અને મનાવે. આવું જો કોઈ કરે તો તેને ખુદાનો દ્રોહી અને ઇસ્લામનો દુશ્મન સમજવો. ચુસ્ત સલ્ફી મુસલમાનોની નજરે પીર, સુફી, ઓલિયા વગેરે શિર્ક છે અને તેમની જગ્યાઓ ગેર ઇસ્લામિક અપવિત્ર છે. ૨૦૧૭માં પાકિસ્તાનમાં ઝનૂની મુસલમાનોએ લાલ શાહબાઝ કલંદરની દરગાહ પર હુમલો કર્યો હતો એનું કારણ આ શિર્કનો નિષેધ હતો. ૧૯મી સદીમાં સ્થપાયેલા અહમદિયા સંપ્રદાયની મસ્જિદો પર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે અને હત્યાઓ કરવામાં આવે છે. અહમદિયા મુસલમાનોને પાકિસ્તાનમાં સત્તાવાર રીતે મુસલમાન ગણવામાં નથી આવતા. આ બધું એટલા માટે કરવામાં આવે છે કે રૂઢિચુસ્ત મુસલમાનોની નજરે તેઓ શિર્ક હતા.

મુસલમાનોની જેમ હિંદુઓ પણ શંકર, રામ, કૃષ્ણ, હનુમાન, પાર્વતી, અંબા, જેવા નક્કી કરેલા દેવ-દેવીઓને છોડીને જો કોઈ પોતાને પવિત્ર, પૂજનીય અને તારણહાર હોવાનો દાવો કરે તો તેને શિર્ક જાહેર કરી શકે છે. જો કે અહીં સમાસ્યા તો છે જ કે આવો અધિકાર કોને સોંપવો? તેત્રીસ કરોડ દેવતામાંથી સ્વીકૃત ભાગવાનોની યાદી કોણ બનાવે? એ પછી પણ કોઈ પોતે અથવા તેના અનુયાયી ભગવાન હોવાનો દાવો કરે તો તેને નકારવાનો અને દંડવાનો અધિકાર કોને આપવો? સનાતન ધર્મ એક એવો ધર્મ છે જેમાં કોઈ અધિકારી નથી અને કોઈ દંડવાની સત્તા ધરાવતું નથી. જો દંડવાની વ્યવસ્થા કરવી હોય તો દંડ દેનારની પણ વ્યવસ્થા કરવી પડે.

બીજી વ્યવસ્થા બીદ્દ્તની છે. બીદ્દ્ત એટલે રસ્તો ચૂકવો અથવા તો ઇસ્લામિક રસમોમાં બાહ્ય પ્રભાવને કારણે થતી ભેળસેળ. જો રસ્તો ચૂકવા દેવામાં આવે અને ધાર્મિક વિધિ-વિધાનોમાં બાંધછોડ કરવા દેવામાં આવે, ભેળસેળ કરવા દેવામાં આવે તો પછી એક દિવસ ઇસ્લામ ધર્મ તેનો ચહેરો જ ગુમાવી દે. જે વાતની મોરારિબાપુને ચિંતા છે તેવું ઇસ્લામમાં ન બને એની પૂરતી કાળજી ઇસ્લામમાં લેવામાં આવી છે. માટે મુસલમાનોના ધાર્મિક-સામાજિક વહેવારમાં જ્યાં પણ બીદ્દ્ત જોવા મળે કે તરત તબલીગી ત્યાં દોડી જાય અને મુસલમાનને સમજાવે કે સાચા મુસલમાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

શું મોરારિબાપુ હિંદુ ધર્મ આવો માર્ગ અપનાવે એમ ઈચ્છે છે? આગળ ઉપસ્થિત કર્યા એવા વ્યવહારિકતાના પ્રશ્નો બાજુએ મૂકો તો પણ સનાતન ધર્મમાં આવી કોઈક પ્રકારની તજવીજ અને તાકીદ કરવામાં આવે એવું ઈચ્છે છે? એક વાર પાંડુરંગ શાસ્ત્રીએ મને કહ્યું હતું કે હિંદુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને ખતમ કરવા માટે મહમ્મદ પેગંબરને વિષ્ણુના અવતાર જાહેર કરી દેવા જોઈએ. મેં તેમને અત્યંત આદરપૂર્વક કહ્યું હતું કે આપ ઇસ્લામ ધર્મના સ્વરૂપથી અપરિચિત છો. એમાં આવું શક્ય જ નથી. બીજું, હવે પછી થનારો વિષ્ણુનો કલ્કી અવતાર તો જાહેર થઈ ચૂક્યો છે એટલે મહમ્મદને તેની પહેલાં મૂકવા કે પછી? ત્રીજું, કોઈને અવતાર તરીકે પસંદ કરવાનો અધિકાર હિંદુઓમાં કોણ ધરાવે છે? મેં આવી દલીલ કરી એ તેમને ગમી નહોતી એ તેમના ચહેરા પર જોઈ શકાતું હતું. જો કે વરસેક  પછી પાંડુરંગ શાસ્ત્રી પત્રકાર પરિષદ બોલાવીને આવું સૂચન કરવાની લાલચ રોકી શક્યા નહોતા.

ધર્મગુરુ બધું જ જાણતા હોય અને દરેક પ્રશ્નના ઈલાજ તેમની પાસે હોય જ એવું નથી. ધર્મને આધ્યાત્મિકતા સાથે ઓછો સંબંધ છે, કારણ કે આધ્યાત્મિકતા વ્યક્તિની આંતરિક યાત્રા છે અને એમાં જથ્થાબંધ અનુયાયી ધરાવતા કોઈ ધર્મગુરુની જરૂર પડતી નથી. હા, પ્રસિદ્ધિથી દૂર રહેતા કોઈ અજાણ્યા ગુરુ પાસેથી કદાચ ગુરુચાવી મળી પણ જાય. જો કે જે. કૃષ્ણમૂર્તિ તો કહે છે કે એ પણ શક્ય નથી. આંતરિક આધ્યાત્મિક યાત્રામાં જેમ જથ્થાબંધ અનુયાયી ધરાવતો ગુરુ કામમાં આવતો નથી એમ સંગઠિત ધર્મ પણ કામમાં આવતો નથી. એ તો વળી જરા ય કામમાં આવતો નથી. આપણે એક વાત સમજી લેવી જોઈએ કે સંગઠિત ધર્મમાત્ર માનવીએ વિકસાવેલી સામાજિક-રાજકીય સંસ્થા છે અને તેમાં કોઈ ધર્મ અપવાદ નથી.

આમ છતાં મોરારિબાપુને સનાતન ધર્મના બદલાતા ચહેરાની ચિંતા થતી હોય તો તેમનો તે અધિકાર છે. સવાલ માત્ર એ છે કે ઉપાય શું? ઇસ્લામમાં જે ઉપાય છે એ અપનાવવો છે? જો અપનાવવા ઈચ્છો તો પણ હિંદુ સનાતન ધર્મ માટે એ શક્ય છે.

સનાતન ધર્મમાં થઈ રહેલા ભેળાણ વિષે ચિંતા સેવનારા મોરારિબાપુ પહેલા હિંદુ નથી. જ્યારથી ચોક્કસ આકારવાળા ઇસ્લામ ધર્મનો અને ખ્રિસ્તી ધર્મનો હિંદુઓને પરિચય થયો છે ત્યારથી કેટલાક હિંદુ ચોક્કસ ચહેરા વિનાના સનાતન ધર્મની ચિંતા સેવી રહ્યા છે અને કેટલાકે તો શરમ પણ અનુભવી છે. આવો તે કોઈ ધર્મ હોય જેમાં કોઈ પણ માણસ ઊઠીને પોતાને અવતાર કે તારણહાર જાહેર કરે? એ નહીં તો તેના અનુયાયીઓ કરે. આવો તે કોઈ ધર્મ હોતો હશે જેમાં સદીએ સદીએ બે-ચાર સંપ્રદાય કે પેટા-સંપ્રદાય ઉમેરાય? શરમાનારાઓએ લગભગ આવી ભાષામાં શરમના ઉદ્ગારો કાઢ્યા છે તો ચિંતા સેવનારાઓએ આ જ ઉદ્ગારો મોરારિબાપુની ચિંતાના સૂરમાં કાઢ્યા છે. બંનેને સરવાળે એક જ વાત કરવાની છે કે સનાતન ધર્મના ચહેરાને ચુસ્ત દુરુસ્ત અપરિવર્તનીય બનાવી રાખવો જોઈએ. એવું કાંઈક કરવું જોઈએ કે તેમાં ભેળાણ ન થાય.

૧૯મી સદીમાં રાજા રામમોહન રોય દ્વારા સ્થાપિત બ્રહ્મ-સમાજ આવી એક ઓછપની ચિંતામાંથી ઉપજેલો પ્રયાસ હતો. આવા બીજા પણ પ્રયાસ થયા હતા. દયાનંદ સરસ્વતીનો આર્ય-સમાજ સનાતન ધર્મમાંનું ભેળાણ જોઈને અનુભવેલા સંકોચનું પરિણામ હતું. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું હતું કે સનાતન ધર્મનું માળખું થોડુંક ઇસ્લામ જેવું હોવું જોઈએ, પછી ભલે એમાં શિર્કને સજા કરવાનો ડારો ન હોય. તેમાં બીદ્દ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આર્ય સમાજના પ્રચારકો હિંદુઓને અ-હિંદુ સંસ્કાર છોડીને સાચા હિંદુ થવાની શીખ આપતા હતા.

શીખોના ૧૦મા ગુરુ ગોવિંદસિંહને એમ લાગ્યું હતું કે જો તેમના સંપ્રદાયને ચોક્કસ સ્વરૂપ આપવામાં નહીં આવે તો તે હિંદુ સાગરમાં ઓગળી જશે અને અલગ ઓળખ ગુમાવી દેશે. એ માટે તેમણે ૧૬૯૯ની સાલમાં ખાલસા પંથની રચના કરી હતી અને અલગ અને નિશ્ચિત ઓળખો આપી હતી. આની સાથે ચેડાં કરવાની કોઈ હિંમત ન કરે એ માટે તનખૈયા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તનખૈયા એટલે ધર્મદ્રોહી જેને સજા કરવાની પણ વ્યવસ્થા છે. અત્યાર સુધીમાં મહારાજા રણજીત સિંહ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ, કેન્દ્રીય પ્રધાન બુટા સિંહ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરજીત સિંહ બરનાલા વગેરેના તનખૈયા થઈ ચૂક્યા છે અને સજા પણ કરવામાં આવી છે. જ્ઞાની ઝૈલ સિંહની સજા માફ કરવામાં આવી હતી.

દયાનંદ સરસ્વતીનો અને ગુરુ ગોવિંદ સિંહનો પ્રયાસ ઓળખ વિકસાવવાનો અને ટકાવવાનો હતો. એ રીતે બન્ને પ્રયાસમાં પાશ્ચાત્ય ધર્મનાં સ્વરૂપનું અનુકરણ કરવામાં આવ્યું છે. દયાનંદ સરસ્વતી હિંદુ સનાતન ધર્મમાં પ્રવર્તતા ભેળાણથી સનાતન ધર્મને બચાવવા માગતા હતા તો ગુરુ ગોવિંદ સિંહ સનાતન ધર્મના ભેળાણથી શીખ શ્રદ્ધાને બચાવવા માગતા હતા. તેમને ડર હતો કે અલગ ઓળખ આપવામાં નહીં આવે તો હિંદુ સાગરમાં શીખ સંપ્રદાય ઓગળી જશે. બન્નેનો માર્ગ એક જ હતો, ઉદ્દેશ અલગ હતો. એકને કોઈ બહાર નીકળી ન શકે એવી વ્યવસ્થા કરવી હતી તો બીજાને બહાર નીકળવું હતું અને રહેવું પણ હતું.

તો કહેવાનો સાર એટલો કે સનાતન હિંદુ ધર્મ ચુસ્ત ચહેરા વિનાનો છે અને ટટ્ટાર કરોડરજ્જુ વિનાનો છે એ વાતે મોરારિબાપુ પહેલાં બીજા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. કોઈકે સંકોચ પણ અનુભવ્યો છે એટલે બાપુનો ઊહાપોહ કોઈ નવો નથી. ઈલાજ પણ શોધવામાં આવ્યા છે જેની ટૂંકમાં વાત અહીં કહેવામાં આવી છે. હજુ બીજા કેટલાક અજમાવવામાં આવેલા ઈલાજોની વાત આવતા અઠવાડિયે.

19 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2019

Loading

...102030...2,6772,6782,6792,680...2,6902,7002,710...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved