Opinion Magazine
Number of visits: 9576527
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુખનો GDP: હર ઘર મેં એક કમરા કમ હૈ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 October 2019

જેમ પૈસાનો અભાવ દુઃખ લાવશે જ, એવી કોઈ ગેરંટી નથી, તેવી જ રીતે પૈસા હશે, તો સુખ આવશે જ, એવી પણ કોઈ ગેરંટી નથી.

પૈસા હોય, તો પાયાની જરૂરિયાતો સંતોષાય છે, પણ તેનાથી આગળ લાંબા ગાળાના સંતોષ માટે સંપત્તિ બેમતલબ બની જાય છે. વાસ્તવમાં, લાંબા ગાળે સુખનો અહેસાસ ઘટે છે. આપણને પૈસાની આદત પડી જાય છે અને એની નવીનતા ખતમ થઇ જાય છે. સાઇકલ ફેરવતા હો અને કાર ખરીદો, તો સુખ મળે છે, પણ કાર જેમ જૂની થાય, તેમ સુખ પણ જૂનું થઈ જાય છે. આપણા પિતા કે દાદા કરતાં આપણી પાસે વધુ વૈભવ છે, પણ આપણે આપણા પિતા કે દાદા કરતાં વધુ સુખી છીએ? માણસો જંગલમાં રહેતા હતા, તેના કરતાં આજે પુષ્કળ સુવિધાઓ અને સમૃદ્ધિમાં રહે છે, પણ તેની સરખામણીમાં તેમના સુખના અહેસાસમાં પણ વૃદ્ધિ થઈ છે?

હકીકતમાં, આપણને ખબર જ નથી કે સુખ શું છે અને આવે ક્યાંથી. આપણે એવા ડ્રાઈવર છીએ, જે પૂરા જોશથી પેડલ દબાવે છે, પણ કાર ન્યુટ્રલમાં જ છે. જૂના સમયમાં તેલ કાઢવા માટે ઘાંચીની ઘંટી પર બળદને બાંધવામાં આવતા હતા. બળદ ગોળ-ગોળ ફરે એટલે ઘંટીમાં તલ પીસાય. અને બળદની આંખે ડાબલા બાંધી રાખ્યા હોય, એટલે એને માત્ર સીધું જ દેખાય, આજુબાજુમાં ના દેખાય. એટલે બળદને એવું લાગે કે એ ક્યાંક જઈ રહ્યો છે, પણ વાસ્તવમાં એ ગોળ-ગોળ જ ફરતો હોય. આપણું પણ આવું જ છે. પેઢી દર પેઢી આપણી ખરીદશક્તિ વધતી જાય છે, પણ આપણે સુખની દિશામાં આગળ વધવાને બદલે ગોળ-ગોળ ફરીએ છીએ.

જનમત સંગ્રહ કરવાનું કામ કરતી ‘ગેલપ’ નામની એક પ્રતિષ્ઠત કંપની સન ૨૦૦૫થી, વિશ્વભરના દેશોમાં લોકોને શૂન્યથી દસના સ્કેલ પર તેમના જીવનનો સંતોષ જણાવવાનું કહે છે. એમાંથી સમાચારપત્રોની હેડલાઈન બને તેવાં પરિણામ આવે છે : દેશ સરેરાશ જેટલો વધુ ધનવાન, લોકોનું સરેરાશ વ્યક્તિગત સુખ એટલું વધુ. તેનું સાદું ગણિત એવું છે કે વ્યક્તિદીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) વધારો, તો એનો સંતોષ પણ વધે.

જો કે દેશની સમૃદ્ધિ અને દેશના સુખ વચ્ચેનો સંબંધ એટલો મધુર નથી. ૧૯૭૪માં રીચાર્ડ ઈસ્ટરલીન નામના એક અર્થશાસ્ત્રીએ શોધી કાઢ્યું હતું કે અમેરિકામાં ૧૯૪૬થી ૧૯૭૦ વચ્ચે જી.ડી.પી.માં ૬૫ ટકાની વૃદ્ધિ થઇ હતી, પણ સરેરાશ જીવનનો સંતોષ સ્થિર થઈ ગયો હતો. ઈસ્ટરલીને કહ્યું કે આર્થિક મંદી કામચલાઉ દુઃખ લાવે છે, પણ લાંબા ગાળાના જી.ડી.પી.ના વિકાસથી સુખ આવે, તે જરૂરી નથી.

તમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં રાત્રે કોકટેલ પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીને એક ખૂણામાં લઈ જાવ અને પૂછો કે આ વિકાસથી શું થશે, તો તેમનો સંભવિત જવાબ હશે કે, “લોકોને ઉત્તમ જીવન સ્તર, ઉત્તમ આરોગ્ય સેવા, મોટા ઘરો, તેજ દોડતી મોટરકારો અને મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવી હોય, તો આર્થિક વિકાસ જરૂરી છે.” તમે વધારે ખણખોદ કરવા પૂછો કે ઉત્તમ જીવન સ્તરથી શું થાય, તો નરેન્દ્રભાઈ કદાચ કહેશે કે, “તમને આટલી ય સમજ પડતી નથી! એનાથી લોકો સુખી થાય છે.”

તમે એમ પીછો ના છોડો અને ફરી પૂછો કે, “પણ મોદી સાહેબ, માણસનો ઐતિહાસિક, માનસિક અને બાયોલોજીકલ અભ્યાસ એવું પુરવાર કરે છે માણસ સાઈકલમાંથી સ્કુટર ચલાવતો થયો, ગામડાંમાંથી શહેરમાં જીવતો થયો અને ઝૂપડાંમાંથી બે બેડરૂમના ફ્લેટમાં રહેતો થયો, પણ એનાથી એના સુખમાં વધારો નથી થયો.” “એમાં?” હાથમાં પકડેલો મોકટેલનો ગ્લાસ હેઠે મુકતાં નરેન્દ્રભાઈ કહેશે, “મને આ કોઈએ કહ્યું કેમ નહીં! આવું હોય તો પછી હું આ આર્થિક વિકાસના પ્લાન મુકું પડતા અને હિપ્પી સમુદાયમાં જોડાઈ જાઉં.”

આર્થિક વિકાસનો આ વિરોધાભાસ છે કે તમારે એ કરતા જ રહેવું પડે, પાછા જવાનો માર્ગ બંધ થઈ જાય. સાઇકલ છોડીને સ્કુટર ચલાવ્યું તેનાથી સુખના વધ્યું ના હોય, તો પાછા સાઇકલ પર ના જવાય, આગળ મોટરકાર પર જ જવું પડે. આપણે આપણા જંગલવાસી પૂર્વજો કરતાં આજે અનેક ગણા સમર્થ છીએ, પણ આપણે ઇતિહાસમાં સૌથી સુખી છીએ? આપણને એવું લાગતું નથી. કંદમૂળ ખાતા અને પશુની ચામડી પહેરતા આપણા પૂર્વજોએ જે સ્વર્ગની કલ્પના કરી હતી, એ ઓલરેડી આજે પૃથ્વી પર સાકાર છે, અને છતાં આજના ‘સ્વર્ગવાસીઓ’ કોઈક કારણસર સુખી મહેસૂસ નથી કરતા.

“હું અને મારું સુખ’ના વધતા જતા વ્યક્તિવાદી અભિગમના કારણે અને સામૂહિક કે પારિવારિક વિચારધારાઓનાં પતનના કારણે ‘સુખ’ એક એવી જણસ બની ગઈ છે કે દરેક સરકારના અને દરેક મૂડીવાદીના પ્લાનમાં એ કેન્દ્રમાં છે. દુનિયાભરમાં ઉપભોગની ચીજ-વસ્તુઓનું જે અભૂતપૂર્વ ઉત્પાદન થઈ રહ્યું છે, તે માણસને ‘સુખી’ બનાવવામાં માટે છે. દરેક દેશ મૂડીવાદી થઈ રહ્યો છે અને દરેક સમાજ ઉપભોક્તાવાદી બની ગયો છે. બજારમાં જે ચીજો મળે છે તે સુવિધા ઓફર નથી કરતી, સુખ ઓફર કરે છે. ટુરીઝમ ઉદ્યોગ તમને કહે છે કે ફ્રાંસમાં આલ્પ્સ પર્વતોમાં ફરવા જશો, તો સુખી થશો. ફૂડ ઉદ્યોગ કહે છે કે મેક્સિકન તાસ્કો ફૂડ ખાશો, તો સુખી થશો. મોબાઇલ ફોનની કંપનીઓ તમને કહે છે કે અમારો સ્માર્ટફોન તમને સુખનો અનુભવ કરાવશે.

૨૦૦૭માં યુરોપિયન કમિશને જીડીપીના સ્થાને લોકોનાં સુખના અહેસાસના આધારે ‘બિયોન્ડ જીડીપી’નો પ્રોગ્રામ શરુ કર્યો હતો. જી.ડી.પી.માં માલસમાનના ઉત્પાદન અને ખપતને માપવામાં આવે છે. ‘બિયોન્ડ જી.ડી.પી.’માં માણસના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ પર ફોકસ કરવામાં આવે છે. આજ પ્રકારના પ્રયોગો થાઇલેન્ડ, કેનેડા, ઇઝરાયેલ અને બ્રાઝિલમાં પણ કરવામાં આવ્યા છે.

૨૦૧૪માં ૨૦ દેશોના યુવાનોને એક સરવેમાં પૂછવામાં આવ્યું હતું કે, “તમને કેટલી હદ સુધી એવું લાગે છે કે, આજની યુવા પેઢીનું જીવન, તેમનાં માતા-પિતાની પેઢી કરતાં વધુ સારું કે વધુ ખરાબ છે?” આમાં જી.ડી.પી. પ્રમાણે રેન્કિંગમાં આવતા પ્રથમ ૧૦ સમૃદ્ધ દેશોના સરાસરી માત્ર ૩૭ પ્રતિશત યુવાઓને જ એવું લાગ્યું હતું કે, એમની પાછલી પેઢી કરતાં એમનું જીવન બહેતર છે. આમાં સૌથી સમૃદ્ધ અમેરિકાના માત્ર ૨૯ પ્રતિશત યુવાનોને જ જીવન સારું હોવાની આશા હતી. સંસારના સૌથી સમૃદ્ધ દેશોની યુવા પેઢીને એનું ભવિષ્ય જો ઉજ્જડ દેખાતું હોય તો, તરક્કીને જી.ડી.પી.ના માપદંડથી જોવા સામે સવાલ થવો જોઈએ.

ઉપર કહ્યું તેમ, જી.ડી.પી. માણસના આંતરિક સુખને ધ્યાનમાં લેતું નથી, તે એની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે, આધુનિક બાયોલોજી કહે છે કે માણસનું વૈચારિક અને ભાવનાત્મક જગત અબજો વર્ષો જૂની બાયોકેમિકલ સિસ્ટમ મારફતે નિયંત્રિત થાય છે. નફરત, ક્રોધ કે ડર જેવી માનસિક ભાવનાઓની જેમ જ, સુખની આપણી વ્યક્તિગત ભાવના પણ પગાર, પ્રતિષ્ઠા કે પ્રગતિથી નહીં, પણ આપણી અંદર સેરોટોનિન, ડોપેમાઈન અને ઓક્સીટોસિન જેવાં રસાયણોની જટિલ વ્યવસ્થાથી નક્કી થાય છે.

વ્યક્તિ-વ્યક્તિએ આ સિસ્ટમ ભિન્ન રીતે કામ કરે છે. એટલે અમિતાભ બચ્ચનના હાથે એક કરોડની લોટરી લાગી હોય, તે માણસ ત્રીજા જ અઠવાડિયે ડિપ્રેસનની સારવાર કરતો હોય તે શક્ય છે અને સંતાનને ગુમાવી ચુકેલો માણસ ત્રીજા જ દિવસે નોર્મલ જીવન જીવતો હોય, તે શક્ય છે. આ જ કારણથી સ્કુટરમાંથી કાર ફેરવતો માણસ સુખી થઈ ગયો છે, તેવું તારણ ના કાઢી શકાય.

સુખ એ ખરાબ ક્ષણો પર આનંદની ક્ષણોનો સરપ્લસ સરવાળો નથી. સુખ એ ઝૂપડી અને ફ્લેટનો ફર્ક નથી. સુખ એ સમગ્ર જીવનને સાર્થક અને યોગ્ય રીતે જીવ્યાનો સંતોષ છે. જીવન જો સાર્થક હોય, તો ગમે તેટલાં કષ્ટ છતાં, તે સુખી લાગે, પણ જીવનનો કોઈ હેતુ કે અર્થ ના હોય, તો તે પાંચ બેડરૂમના બંગલામાં પણ સુખ ના આપે.

શાયર જાવેદ અખ્તરે જયારે આ શેર લખ્યો હશે, ત્યારે તેમના મનમાં જી.ડી.પી. હશે :

સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ
હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ

જર્મન ચિંતક ફ્રેડરિક નિત્શેએ જ્યારે આ કહ્યું હશે, ત્યારે તેના મનમાં હેપ્પીનેસ ઇન્ડેક્સ હશે : “જેની પાસે જીવન જીવવાનો અર્થ છે, તે કોઈપણ ભોગે જીવી જાય છે.”

https://www.facebook.com/permalink.php?story_fbid=2376253752702670&id=1379939932334062&__tn__=K-R

Loading

ગિરીશ પટેલ : દૂઝતો જખમ, જલતું જિગર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 September 2019

એક રીતે ગિરીશ પટેલની પહેલી સંવત્સરી અને સત્તરમી સપ્ટેમ્બરનો નર્મદાનિમિત્ત જશન એ બંને નજીક નજીકનાં અઠવાડિયામાં આવ્યાં, તે પણ સૂચક જોગાનુજોગ લેખાશે : ડેમમાંથી ઉભરાતાં પાણીને કારણે ડુબમાં જતાં ગામોનાં ક્રંદન અને વડાપ્રધાનના જન્મદિવસને સાંકળીને મનાવાતો જશન! શું કહેવું, સિવાય કે કલાપીની સાખે, કે તમારાં રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા.

નર્મદા બંધના પ્રામાણિક, રિપીટ, પ્રામાણિક સમર્થકો અને મેધા પાટકર તેમ બાબા આમટેથી ગિરીશ પટેલ લગીના ઝુઝારુ વિરોધીઓ, એમની ચિંતાના કેન્દ્રમાં આમ આદમી હતો અને છે. નારાયણ દેસાઈએ ભરીબંદૂક કહ્યું હતું તેમ એમની ચિંતા એક પા જો સૂચિત બંધનાં દુષ્પરિણામોની હતી તો બીજી પા ગુજરાતની વાસ્તવિક જળજરૂરતના તકાજાની હતી. જ્યારે બંધની પરિકલ્પના થઈ ત્યારે વિશ્વસ્તરે વિજ્ઞાન અને વિકાસના સંદર્ભમાં એને અંગે આશા અને શ્રદ્ધાના ધોરણે કેમ જાણે જાડી તો જાડી એકંદરમતી હતી. મેધાબહેને જ્યારે કાર્યારંભ કર્યો ત્યારે બંધ બાબતે એ ચોક્કસ ન હતાં. દરમ્યાન, જ્યારે નર્મદા બંધના કામે વેગ પકડ્યો ત્યારે વિશ્વસ્તરે પ્રામાણિક પુનર્વિચારની શરૂઆત થઈ ચૂકી હતી એ દુર્દૈવ વાસ્તવ છે.

વાત માત્ર આટલી જ નથી. બંધના હિમાયતીઓના રાજકારણી બડકમદારો અને આકાઓમાં એક નોંધપાત્ર હિસ્સો એવો હતો જેણે એક પ્રકારના નર્મદા બ્રાન્ડ રાષ્ટ્રવાદનો ઝંડો ઉપાડવામાં ચૂંટણીફતેહ જોઈ, અને છેવટ જતાં એ રાષ્ટ્રવાદ ભા.જ.પ.ના ભગવામાં ઠર્યો. બંધતરફી કે બંધવિરોધી જે સૌ પ્રામાણિક મંતવ્યધારીઓ હતા એમની સમજમાં આમ આદમીનાં સુખદુઃખ એક કેન્દ્રવર્તી ચાલના અને કસોટી રૂપ હતાં. બંધવિરોધી નમૂનેદાર લોકઆંદોલનના પ્રતાપે અને બંધતરફી છાવણીના રચનાત્મક અગ્રણીઓની દિલી પહેલથી વિસ્થાપિતો માટે જે પેકેજ છેવટ જતાં ઉભર્યું એ જો એક તબક્કે અપ્રતિમ લેખાયું હોય તો એનું શ્રેય ઇતિહાસવસ્તુ તરીકે આ વાતમાં પડેલું છે. દરમ્યાન, બેઉ છાવણીઓનાં રચનાત્મક પરિબળોની એક જુદી સહિયારી છાવણીની શક્યતા ઊભી થઈ તે પણ ઇતિહાસવસ્તુ તરીકે આપણે લક્ષમાં લેવા જોગ છે. જેમ જનદ્રોહી જશન અને સાર્થક સુમિરન, બેઉની આરંભે ઉલ્લેખેલી સહોપસ્થિતિ સૂચક છે તેમ પાછોતરાં વરસોની બીજી પણ એક સૂચક સહોપસ્થિતિ આ ક્ષણે સહજ સાંભરે છે : બે’ક દાયકા પર કેવડિયા વિસ્તારમાં નિદર્શન સામે સાંસ્થાનિક કાળની કલમો લાગુ પાડવામાં આવી ત્યારે તેની સામે વિરોધલાગણી વ્યક્ત કરવામાં બાબુભાઈ જશભાઈ અને ગિરીશ પટેલ બેઉ એક સાથે હતા.

એમનું આ પ્રકારનું સાથે આવવું ઇંદિરા ગાંધીના કટોકટીકાળ બાદના આવકાર્ય લોકશાહી ઉઘાડ પછી અને છતાં જે બાબતો બાકી ખેંચાતી હતી અને સત્તા-પ્રતિષ્ઠાનની માનસિકતા કેવા ગેરલોકશાહી વળાંકો તેમ જ આમળા લઈ શકે એ સંદર્ભે વિચારવાની દૃષ્ટિએ ખાસું ખાણદાણ પૂરું પાડે છે. આમ પણ, ગુણગ્રાહી ગિરીશભાઈ ફેરકુવા સબબ ઘણીવાર ચુનીકાકા(ચુનીભાઈ વૈદ્ય)ને સંભારતા કે બેઉ બાજુએ હળવામળવા અને વૈચારિક આપલેની રીતે બંધતરફી ચુનીભાઈ અને બંધવિરોધી ગિરીશભાઈ વચ્ચે ધીરે ધીરે કેવી રેશમગાંઠ બંધાવા લાગી હશે.

૨૦૧૯ના ઑક્ટોબરમાં ઊભીને આ બધો જોગાનુજોગ કે વ્યક્તિગત સંબંધોની પલટાતી તરાહ સંભારવા પાછળનો આશય કોઈ નિવાપાંજલિ રૂપ સુમિરનનો માત્ર નથી. પણ ૧૯૬૯ના કૉંગ્રેસના ભાગલા અને ગાંધી શતાબ્દીથી માંડીને ૨૦૧૯ના ભા.જ.પ. દિગ્વિજય અને ગાંધી સાર્ધ શતાબ્દીની એક પૂરી પચાસીના છેડે, દેખીતા અંધારા બોગદા વચાળે ફૂટતાં પ્રકાશકિરણોની સહિયારી ખોજનો અને ગિરીશભાઈ પરત્વે અનુમોદનાત્મક આલોચનામાં તે માટે પડેલી સામગ્રીને સમજવાનો ખ્યાલ છે.

કટોકટી ઊઠી ત્યારે, હું ધારું છું ડેવિડ સેલિગ્મેને, એક ચોંટડૂક વિધાન કર્યું હતું : કટોકટી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઇસિસ) ચાલુ છે.

આ એ ચાલુ કટોકટી હતી અને છે જે ગાંધીદીધા તાવીજના સ્મરણથી સ્પષ્ટ સમજી શકાય એમ છે અને જેનું સંવૈધાનિક તેમ સામાજિક વાસ્તવ આંબેડકરે બેસતા પ્રજાસત્તાકે બોલી પણ બતાવ્યું હતું કે સૌને મતાધિકારની રાજકીય સમાનતાની સાથોસાથ આર્થિક-સામાજિક અસમાનતા(વિષમતા)ના ભયાવહ પડકારભર્યા તબક્કામાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આ લખું છું ત્યારે અમૃત અભિવાદન વખતના ગિરીશભાઈનાં એ હિતવચનો સાંભરે છે કે કટોકટી પછીના કટોકટી તબક્કાને વટવા સારુ રામમનોહર લોહિયાના શબ્દોમાં કહીએ તો ગાંધી, માર્ક્સ, આંબેડકર એકત્રીકરણની જરૂર છે.

તમે મને પૂછો તો બૌદ્ધિક કર્મશીલ છેડેથી એમ કહું કે ગાંધીયુગથી શરૂ થયેલી વિરલ પ્રક્રિયા(વિ-વર્ણ અને વિ-વર્ગ થતી આવતી તરુભાઈ)ની તાકીદ આજે છે એટલી કદાચ ત્યારે પણ નહોતી. ગિરીશભાઈને એમનાથી નાની વયનાં મેઘાબહેનમાં નેતૃત્વનો જે ગુણ વસ્યો તે સાચો, પણ એથીયે અધિક તો એમણે જે જોયુંનોંધ્યું અને જેનાથી એ જિતાયા એ તો એ વાત કે અસરગ્રસ્ત આદિવાસીઓ વાસ્તે કામ કરતાં કરતાં એમની આખી જીવનશૈલી કેવી બદલાઈ ગઈ. અભ્યાસી એ હતાં, સમસંવેદનાવશ એ વિવર્ગ ને વિવર્ણ જેવાં પણ થઈ ગયાં.

ગિરીશભાઈએ, જેના વિકલ્પે (બલકે ટીકારૂપે) આપણા શીર્ષ નેતૃત્વે ‘હાર્ડવર્ક’ એવી જીભચાલાકી કરી હતી તે હાર્વર્ડમાં એલ.એલ.એમ. કર્યું. પણ મ્યુનિસપલ દીવે ભણતરના એમના વાસ્તવ સાથે આ નવ્ય વિદ્વત્તાએ એમનામાં સામાન્ય માણસનાં વાસ્તવિક સુખદુઃખ પરત્વે સહાનુકંપાવશ સક્રિયતા કે રાજકીય હસ્તક્ષેપ અગર નાગરિક ચાલના ઓર ઉત્કટપણે જગવ્યાં. ગુજરાતને (અને ભારતને) એનો પહેલો ચમત્કારક સાક્ષાત્કાર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન માટેની એમની ઉદ્યુક્તિ સાથે થયો. નાગરિક અધિકારો, રાજકીય અધિકારો, લોકશાહી અધિકારો – જે કહો તે – એની સંમિલિત લડાઈનો એ કેમ જાણે એક એવો ટેઈક ઑફ હતો જેમાં સિત્તોતેરના બીજા સ્વરાજની એક પાયાની ચાવી રહેલી હતી.

આજે જ્યારે ન્યાયતંત્રમાં આ મુદ્દે ને મોરચે જસ્ટિસ ભગવતી અને જસ્ટિસ ક્રિષ્ણા અય્યર પ્રકારની ભૂમિકા નાખી નજરે જણાતી નથી અને વકરતી વિષમતા તેમ જ વંચિતતા વચાળે રાષ્ટ્રવાદની મોહની અને મૂર્છાથી કામ લેવાઈ રહ્યું છે ત્યારે ગિરીશભાઈનું સ્મરણ દૂઝતા જખમ જેવું છતાં (કદાચ એટલે જ) શાતાકારી અનુભવાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 01-02

Loading

હાઉડી મોદી, કાઉબૉય કીર્તિમાન

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|30 September 2019

આમ તો ટેકસાસના કાઉબોય કલ્ચરમાં હાઉડી એ અભિવાદન માટે વપરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાઉડી મોદી સમારંભ પણ ઘણી રીતે કાઉબોય કલ્ચર જેવો રહ્યો. નરેન્દ્ર મોદીને ઇન્ડિયન ડાયસ્પોરા વચ્ચે જઈ એક રોકસ્ટાર જેવી સભાઓ કરવી ગમે છે. હ્યુસ્ટન પૂર્વે ન્યૂયોર્ક, લંડન, લોસ એન્જલિસ અને અન્યત્ર આવા સમારંભો થયા છે. લંડનના સમારંભમાં બ્રિટનના તે સમયના વડાપ્રધાન ડેવિડ કેમેરોન હાજર રહેલા, અને હિન્દીમાં ‘અચ્છે દિન આ ગયે’નો નારો લગાવેલો. એ અલગ વાત છે કે તેના થોડા સમયમાં જ કેમેરોનના પોતાના અને બ્રિટિશ રાજકારણના બૂરા દિન શરૂ થયા તે હજુ ચાલુ છે.

હ્યુસ્ટન સિવાયના અન્ય સમારંભોમાં મુખ્ય હેતુ ઇન્ડિયન ડાયસ્પોરાનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભા ઊભી કરવાનો હતો. ‘હાઉડી મોદી’ સમારંભ પહેલાંના સમારંભો કરતા જુદો પડે છે :

એક તો-અમેરિકા સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધોમાં પ્રમુખ ટ્રમ્પની પ્રતિબંધક નીતિઓને કારણે ભારતને જે અડચણ પડી છે તેનું નિરાકરણ કરવા માટે ટ્રમ્પના ભારેખમ અહંને પંપાળવો અને તે માટે તેમને આમંત્રણ આપવું; અને બીજું, ટ્રમ્પની સાથે રહીને ઘરઆંગણે અને પાકિસ્તાનને બતાવવું કે અમેરિકા ભારતની સાથે છે.

નરેન્દ્ર મોદીના આમંત્રણથી ટ્રમ્પ આવ્યા અને ચીઅર લીડરની ભૂમિકા ભજવી. આમ તો ટ્રમ્પનો અહં જોતા આવું કામ તેમના માટે નીચું ગણાય. પણ માથે ચૂંટણી આવતી હોય ને એક સાથે ભારતીય મૂળના હજારો મતદારોને મળવાનો મોકો મળતો હોય તો તે કંઈ જતો થોડો કરાય ? ગઈ ચૂંટણીમાં ટ્રમ્પે “આઈ લવ હિન્દુ”ની જાહેરખબરો ભારતીય ટીવી ચેનલો પર આપેલી. આ બધું છતાં એશિયન અમેરિકન લિગલ ઍન્ડ એજ્યુકેશનલ ફંડની મોજણી પ્રમાણે ટ્રમ્પને ભારતીય મૂળના મતદારોના ૧૪ ટકા મત મળેલા. હિલેરી ક્લિન્ટનને ૮૪ ટકા મળેલા. વળી ટેક્સાસ રિપબ્લિકન રાજ્ય ગણાતું હોવા છતાં ધીરેધીરે તે ડેમોક્રેટિક બનતું જાય છે. હ્યુસ્ટનના મેયર અને હાઉડી મોદી કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેમોક્રેટ છે. ટ્રમ્પને ટેક્સાસ ગુમાવવું પાલવે તેમ નથી. ટ્રમ્પે સમારંભમાં ચૂંટણી સભા સંબોધતા હોય તેવું જ ભાષણ કર્યું અને સમારંભનું રુખ પારખીને કહ્યું કે તે ઇસ્લામિક આતંકવાદ સામે લડતા રહેશે.

ભાગ્યે જ કોઈ દેશનો વડો અન્ય રાષ્ટ્રમાં કરે તેવું પ્રધાનમંત્રી મોદીએ કર્યું. તેમણે પોતાના ભાષણમાં ટ્રમ્પની પ્રશંસા તો કરી પણ ઉમેર્યું કે અમેરિકામાં ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’. પૂર્વે પુનિત અને નાથાન્યાઉએ અમેરિકા પ્રમુખપદની ચૂંટણીમાં અપ્રત્યક્ષ હસ્તક્ષેપ કર્યો છે. પણ કોઈ રાષ્ટ્રના વડા સીધેસીધો કોઈ ઉમેદવારને ટેકો આપે તેવું પહેલી વાર બન્યું. ડેમોક્રેટિક પાર્ટીમાં ગંભીરતાથી આ વાતની નોંધ લેવાઈ છે. ગમે તેમ પણ જે વ્યક્તિ બધી જ મોજણી પ્રમાણે પાછળ હોય તેને આવો સીધો ટેકો આપવો તેમાં આપણા પ્રધાનમંત્રીની શી ગણતરી હશે ?

ટ્રમ્પસાહેબ એક દિવસે જે વસ્તુ કહે તેનાથી સાવ જ વિપરીત બીજે દિવસે બોલે તે જગજાહેર છે. પ્રધાનમંત્રી હાથમાં હાથ મિલાવીને ટ્રમ્પ સાથે સભામંડપમાં ફર્યા અને આપણા મીડિયાએ અને લોકોએ માની લીધું કે ટ્રમ્પ આપણી સાથે છે. બીજે જ દિવસે એ ફોક સાબિત થયું. ટ્રમ્પે ઇમરાનખાન સાથેની મુલાકાતમાં જણાવ્યું કે તે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તૈયાર છે. એટલું જ નહિ, તેમણે ઇરાન સાથે અમેરિકાના બગડેલા સંબંધો સુધારવામાં ઈમરાનખાનની મદદ માંગી.

‘હાઉડી મોદી’ કાર્યક્રમ વૈચારિક દૃષ્ટિએ પણ જુદો પડે છે. નરેન્દ્ર મોદી ઇન્ડિયન ડાયસ્પોરાનો ઉપયોગ કરીને એક પાન-હિન્દુ નેશનાલિઝમ ઊભો કરી રહ્યા છે જેમાં વંશીયતા-એથ્નિસિટીને રાષ્ટ્રીયતા કે નાગરિકતા સાથે કોઈ નાતો નથી. અમેરિકા જેવા દેશમાં જ્યાં અનેક દેશોમાંથી આવીને લોકો રહે છે. ત્યાં ડાયસ્પોરાનો આવો ઉપયોગ અમેરિકી લોકતંત્ર માટે ખતરો ઊભો કરે છે. અમેરિકી સમાજશાસ્ત્રીઓ અને રાજ્યશાસ્ત્રીઓએ આ વિશે લખ્યું છે તેની ચર્ચા ફરી ક્યારેક.

ફ્લોરિડા, યુએસ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 03

Loading

...102030...2,6692,6702,6712,672...2,6802,6902,700...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved