Opinion Magazine
Number of visits: 9684101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અયોધ્યા : ન્યાયની ‘સમાધાન’કારી ફૉર્મ્યુલા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 November 2019

કોઈકે અયોધ્યા ફેંસલામાં ‘સિયાવર રામચંદ્ર કી જય’ જોઈ તો ક્યાંકથી કેમ જાણે તબલાં પર સંગત પેઠે ‘અવધમેં આનંદ ભયો’ એવી ઉક્તિ પણ આવી પડી. ‘હરખ તું હિંદુસ્તાન’નો હેલો ગાવાની, ભલે મંદ સાદે ગાવાની, હોડ પણ કદાચ વરતાઈ. એક વાત સાફ છે કે સર્વોચ્ચ અદાલતે ન્યાયની કોશિશ સાથે અમન અને સમાધાનની ખેવના ખસૂસ રાખી છે. એક રીતે, સર્વોચ્ચ અદાલત અંગે ન્યાય અને સંતુલનની મથામણમાં તંગ દોર પર નટચાલની જે છાપ ઉપસે છે એને વિધાયક વાસ્તવને ધોરણે સમજી પણ શકાય છે; કેમ કે વસ્તુતઃ દેશના રાજકીય નેતૃત્વે છેલ્લા દસકાઓમાં કેળવેલ કૌશલ અને કરતબ પોતાની જવાબદારી અદાલત પર નાખીને છૂટી જવાનાં છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાબત પુનઃસમીક્ષાને અવશ્ય અવકાશ છે, પણ અત્યારે નાનાવિધ મુસ્લિમ સંગઠનો પણ એકમતે એવું ઇચ્છે છે એમ જણાતું નથી. સંઘ શ્રેષ્ઠીઓએ ચુકાદા સબબ વિજયના ઉન્માદથી પરહેજ કરવાની સૂચના આપી તો ઠેકઠેકાણે ઇદે મિલાદનાં જુલૂસ મોકૂફ રાખવા વાટે મુસ્લિમ વર્તુળોએ પણ સૌહાર્દ અને કાયદો ને વ્યવસ્થાની જાળવણીની દરકાર કરી જાણી છે. બેશક, અહીં ‘સૌહાર્દ’ શબ્દને સીમિત સંદર્ભમાં લેવાનો છે, કેમ કે જૂનાંનવાં રમખાણગ્રસ્ત મુસ્લિમ વિસ્તારોએ ચુકાદાને દિવસે લગભગ સંચારબંધી પાળવામાં સલામતી જોઈ હતી. એમાં ભય નહોતો એવું કહી શકાતું નથી.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ૧૭મી નવેમ્બરે મળીને આ ચુકાદા અંગે સર્વોચ્ચ અદાલતની દેવડીએ પુનઃ સમીક્ષા અંગે ધા નાખવા અગર નહીં નાખવાનો વિધિવત્‌ નિર્ણય લેશે એવા હેવાલો છે. તો, મૂળ માલિક એટલે કે સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન ફાળવવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબની જમીન સ્વીકાર્ય લેખવી કે નહીં તે અંગેની અવઢવ અંગેનો બોર્ડનો મત વળતે અઠવાડિયે યોજેલ બેઠકમાં સ્પષ્ટ થશે, તેમ છતાં, એકંદર વલણવ્યૂહ આ ફેંસલા બાબતે રિઝર્વેશન્સ છતાં આગળ જવાનો જણાય છે એમ માનવામાં હરકત નથી.

જે સમજવાનું છે તે આ ચુકાદાના ઉજાસમાં એ છે કે ૧૯૪૯ની ઘટના (મસ્જિદમાં રામલલ્લાના પ્રાગટ્ય ઉર્ફે રાત્રે તાળાં તોડી ધરાર મૂર્તિસ્થાપન) અને ૧૯૯૨ની બાબરીધ્વંસની ઘટના બેઉમાં કાનૂનભંગ હતો તે હતો અને એમાં સંડોવાયેલાઓ તેમ જ એના લાભાર્થીઓ આજે સત્તાનશીન છે તે છે. સર્વોચ્ચ અદાલતે કાનૂનભંગ સ્પષ્ટ બોલી બતાવ્યો છે એ લક્ષમાં લઈએ તો સત્તાસ્થાનેથી સંયમની જે શીખ પોતાના વળના વિશાળ વર્ગને અપાઈ છે તે એને ખુદને પણ એટલી જ લાગુ પડે છે. કલમ ૩૭૦ની પૂર્ણવત્‌ નાબૂદીને કોઈ પ્રશાસનિક પગલા તરીકે નહીં જોતાં કેમ જાણે એ કોઈક ચડાઈ સાથેનાં ડંકાનિશાન હોય કે એની વાટે વિજયવાવટો લહેરાવાયો હોય એવી માનસિકતાથી પેશ આવતી મંડળીને કોઈકે યાદ અપાવવું રહે છે કે તમને આ પૂર્વે તમારા જ વળમાંથી (અને તે પણ શીર્ષ સત્તાસ્થાનેથી) રાજધર્મના પાલનની શીખ અપાઈ હતી. વર્તમાન નેતૃત્વને (અરુણ શૌરિએ વર્ણવેલ અઢી પૈકી બચેલા બે આદિપુરુષને) આ બધું વિચારવાની રગ અને ફુરસદ હોય તો હોય, અને ન હોય તો નયે હોય. વળી ખબર હોવી તે પોતે કરીને અગ્રતા હોવી એવું પણ નથી.

જે બેત્રણ જોગાનુજોગ આવ્યા આપણી સામે, આ દિવસોમાં, તે પણ તપાસ બલકે ઊહાપોહ માગી લે છે. એક તો, ચુકાદાનો આગલો દિવસ, એટલે કે ૮મી નવેમ્બર, અડવાણીનો જન્મદિવસ હતો. રામમંદિર આંદોલનના રાજકીય સ્થપતિ અને પાલમપુર ઠરાવના ઘડવૈયા અલબત્ત અડવાણી અને અડવાણી જ હતા, અને ઉમા ભારતી જેવાં એકલદોકલ ભા.જ.પ. શ્રેષ્ઠીએ એમનો વિશેષરૂપે ઉલ્લેખ કરવાનો વિવેક પણ દાખવ્યો છે. બાબરીધ્વંસના જવાબદારોમાં લિબરહાન કમિશને એમને ખાસ ગણાવ્યા છે અને વચગાળાની અવઢવ કે અસમંજસ પછી સી.બી.આઈ.એ ૨૦૧૭ની પોતાની રજૂઆતમાં પણ તેમ કહ્યું છે. જો કે, અડવાણીએ લોકસભામાં આ દિવસને પોતાના સૌથી દુઃખી દિવસ તરીકે વર્ણવ્યો હતો એ બીના જરૂર રેકોર્ડ પર છે, પણ ઘટના જોડેની એમની સંડોવણી પણ સાક્ષાત છે. એમનાં ફારગત પુત્રવધૂ ગૌરીએ તો આ સંદર્ભમાં બઢીચઢીને ખાસું એક ઇલ્જામનામું પણ મૂક્યું છે. પણ આ ક્ષણે તે માંહે રહેલ ટ્રિવિયા ટીઝર્સનો લોભ છાંડીને કરવા જેવો પાયાનો મુદ્દો અડવાણીની વિચારધારાકીય રૂખનો છે. ભા.જ.પે. રામ મંદિરને રાષ્ટ્રવાદની પોતાની વ્યાખ્યા અને ઓળખ તરીકે ઉપસાવ્યું એ આખી બીનાનું શ્રેય એક વ્યવસાયી કૉપીકાર તરીકે અડવાણીને નામે જમે બોલે છે. ભાગલા પૂર્વે મુસ્લિમ લીગે એક તબક્કે ખેલ્યું હતું એવું જ, એના હિંદુ અડધિયાશાઈ રાજકારણ એમના નેતૃત્વમાં ભા.જ.પે. ગઈ સદીના છેલ્લાં બારપંદર વરસથી ધરાર એટલે ધરાર ખેલ્યું છે. (દાંડીયાત્રા અને અયોધ્યાયાત્રા બેઉને સામસામે અને એક સાથે મૂકીને જોઈએ તો એકનું વિધાયક લડાયક સ્વરૂપ તો બીજીનું વિભાજક લડાયક સ્વરૂપ તરત પ્રત્યક્ષ થશે.)

વડાપ્રધાન મોદીએ નવમી નવેમ્બરના બીજા બે જોગાનુજોગ તરફ જાહેર ધ્યાન ખેંચ્યું છે. કરતારપુર કોરિડોરના દિવસ તરીકે તેમ બર્લિનની દીવાલ તૂટ્યાની ઇતિહાસઘટના તરીકે એમણે આ ચુકાદાની તારીખનો મહિમા કીધો છે. જ્યાં સુધી કરતારપુર કોરિડોરનો સવાલ છે, નાનકદેવ હિંદુમુસ્લિમ સમન્વયના અનેરા ઉદ્‌ગાતા હતા. ધર્મકોમને નામે રાષ્ટ્રની વ્યાખ્યાના રાજકારણ સાથે એમને સાંકળવામાં વિવેક નથી તે નથી. બર્લિનની દીવાલની જિકર કરીએ તો એનું તૂટવું અને બે જર્મનીનું એક થવું એ જરૂર એક ઐતિહાસિક આકર્ષણનું બિન્દુ છે. ત્યાં તકરાર બે સામ્રાજ્યવાદી સત્તાઓ તેમ લોકશાહી અને સર્વસત્તાવાદ વચ્ચે હતી, ધર્મકોમની નહોતી. સત્તાપુરુષ મોદીએ આ જે બે પેરેલલ પરબારા ગગડાવ્યા એ તેઓ કેન્દ્રીય સત્તા સુધી નહોતા પહોંચ્યા ત્યારના એમના રાજકારણથી વિપરીત એટલે સદંતર વિપરીત છે.

ગમે તેમ પણ, અયોધ્યા ચુકાદામાં પૂર્ણ ન્યાયને બદલે કંઈક સમાધાન ભણી ઝૂકવાના વલણને હાલની જરૂરત સમજી આગળ ચાલી શકીએ એવી એક વ્યાપક લાગણી જોવા મળે છે. પ્રજાનાં વાસ્તવિક સુખદુઃખના પાયાના પ્રશ્નોને અગ્રતા મળવી જોઈએ એવો એક વિચારધક્કો એની પૂંઠે પડેલો છે. આપણે આ વલણની કદર કરીએ, જરૂર કરીએ. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામોમાં ભા.જ.પ.ના કથિત રાષ્ટ્રવાદ સામે વાસ્તવિક સુખદુઃખની જે ચિંતાચીમકી સાફ છે. એ વિચારરૂખને જરૂર આગળ ચલાવીએ.

ખરું જોતાં, મંડલ-કમંડલમાં ચાલતી રાજનીતિથી આગળ જવાની ઇતિહાસતક તરીકે વિચારવાની આ ઘડી છે. વિશ્વનાથ પ્રતાપ સિંહના મંડલાસ્ત્ર સામે અડવાણીને જડી રહેલા મંદિરાસ્ત્રે ૧૯૯૮, ૧૯૯૯માં સત્તાફળ આપ્યું. ૨૦૦૨માં આપણે આ રાજનીતિની વિક્રિયા પણ જોઈ. ૨૦૦૯માં મંદિરાસ્ત્રે માંજેલ રાષ્ટ્રવાદનું નેતૃત્વ કરી રહેલા, પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઈટિંગ અડવાણી અને ભા.જ.પ.નું નામું લખાવા માંડ્યું કે શું એવા સવાલિયા દાયરામાં એ મુકાઈ ગયાં હતાં. ૨૦૧૪ના ભા.જ.પ. વિજયનું શ્રેય મંડલ મંદિર વિકાસની રાષ્ટ્રવાદી કોકટેલ અને મોદીને નામે જમે બોલે છે. મે ૨૦૧૯ની ફતેહ સાથે એમણે, વચલાં વરસોમાં લગરીક બાજુએ રાખ્યા જેવા ખાસંખાસ મુદ્દાઓ રાષ્ટ્રવાદના ભાલાના ફળા રૂપે આગળ ધરવા માંડ્યાં છે. પણ કમબખ્ત ૩૭૦એ મહારાષ્ટ્ર-હરિયાણામાં યારી ન આપી તે સાથે વાસ્તવિક સુખદુઃખનાં વાનાં ચિંતા અને ચર્ચાના કેન્દ્રમાં નહીં તો પણ તે ભણી આવે એવી શક્યતા ઊભી થઈ છે.

પ્રશ્ન આ છે : અયોધ્યા ચુકાદા પછી, ઉક્ત શક્યતાને કેવીક કાલવી શકાય છે. ભૂતકાળને પાછળ મૂકી આગળ જવાની વાતમાં દમ છે, અને એ રીતે આ ચુકાદાને ન્યાય ભણી ઝૂકતા સમાધાન અગર તો સમાધાન ભણી ઝૂકતા ન્યાય તરીકે ચોક્કસ જોઈ શકાય છે. ૧૯૪૯ અને ૧૯૯૨ની ઘટનાઓને ગુનાઇત કાંડ કહેવા સાથે સર્વોચ્ચ અદાલતના સર્વાનુમત ચુકાદામાં બિનસાંપ્રદાયિકતા એ બંધારણનાં મૂળભૂત લક્ષણ પૈકી છે તે સુપેરે ઘુંટાયું છે. જે નહીં ભૂલવાનો મુદ્દો છે તે આપણી ચર્ચામાં કદાચ ખાસ આવતો જ નથી. અને તે એ છે કે ૧૯૯૧ના કાયદા મુજબ, એકમાત્ર બાબરી મસ્જિદ બાદ કરતાં, બધાં જ ધર્મસ્થાનો પરત્વે ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ હતી તે સ્થિતિ સ્વીકારાયેલી છે. એટલે આ તો ‘ઝાંકી’ છે અને બીજું હજુ ‘બાકી’ છે જેવો રણનાદ હવે અપ્રસ્તુત બની રહે છે. કાશીમથુરા અમારા આંદોલન-એજન્ડામાં નથી એવી જાહેરાત કરી ચૂકેલા સરસંઘચાલક ભાગવત, એમના વિજ્ઞાનભવન વ્યાખ્યાનોનો દોર આગે બઢાવશે કે પરંપરાગત કોચલામાં મુક્તિ શોધશે?

જો કે સર્વોચ્ચ અદાલતના પૂર્વન્યાયમૂર્તિ એ.કે. ગાંગુલીએ કરેલો વેધક સવાલ વિચારણીય છે : જો બાબરી મસ્જિદ હજુ ઊભી હોત તો સર્વોચ્ચ અદાલત એને ધ્વસ્ત કરાવત? આજે એ ધ્વસ્ત થઈ છે (અને તે સારુ જવાબદાર વિચારધારાકીય વળના લોકો સત્તારૂઢ છે) ત્યારે કાયદાના શાસનનો ખયાલ છોડીને જે બન્યું એને વાજબી ઠરાવતો આ નિર્ણય નથી શું? મતલબ, ન્યાયવિધાનને બદલે બહુમતીવાદને અપાયેલો આ તો એક રુક્કો છે. ઊલટ પક્ષે, હમણાં કહ્યું તેમ, વિધાયક શરૂઆતની શક્યતા તરીકે આ ચુકાદાને જોવાનું વલણ, ઉપેન્દ્ર બક્ષી જેવી કાનૂનવિદ (અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને વરેલી) પ્રતિભાનું છે. દેખીતી રીતે જ, આ સંજોગોમાં દડો દિલ્હી દરબાર અને નાગપુર કને છે.

નવેમ્બર ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 01-02 તેમ જ 15

Loading

વન વચ્ચોવચ પાનખરના પીપળે …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 November 2019

હૈયાને દરબાર

ગયા વખતની કૉલમમાં, 16મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિ માર્ગમાં વૈષ્ણવ-ધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો એ વિશે વાત કરી હતી. પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ તથા સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્દ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો 'બેઠક' તરીકે ઓળખાયાં, અને ભારતમાં આવી લગભગ 84 બેઠકો છે એ વિશે પણ લખાયું. પરંતુ, જે લોકપ્રિય ભક્તિ ગીત માણ્યું એ, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજીના કવિ-સંગીતકાર કોણ એ ખબર નહોતી. ઘણાને ખબર નહીં હોય. પરંતુ, એ વિશે પૂરક માહિતી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ પૂરી પાડી. આ લોકપ્રિય ગીતના રચયિતા ચંદ્રકાંત મણિલાલ ભૂપતાણી વિદર્ભના અમરાવતીમાં જન્મ્યા હતા, અને નાનપણથી સંગીતના ચાહક હતા. નાગપુર અને સમસ્ત વિદર્ભમાં એમણે ભજન ગાયકી દ્વારા સંગીત સાધના કરી. એમનાં ભજન અને ગરબા લોકોના કંઠે આજે ય છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી લખી – સ્વરબદ્ધ કરીને એમણે સમગ્ર વૈષ્ણવ સમાજને ગૌરવાન્વિત કર્યો એમ કહી શકાય. આભાર આશિતભાઈ.  

પુષ્ટિમાર્ગીઓની સંખ્યા ઘણી મોટી છે અને એનું શાસ્ત્ર અગાધ છે. પુષ્ટિ સંપ્રદાયના ચાહકો અને અભ્યાસકો માટે યુનિવર્સિટી કક્ષાએ વલ્લભવેદાંતનો અભ્યાસક્રમ દાખલ કરવાનો યશ જાય છે આર્કિટેક્ટ, કવિ, સર્જક અવિનાશ પારેખને. એમણે કૃષ્ણ પ્રેમનાં અનોખાં ગીત રચ્યાં છે જેમાં કોઈ દંભી ધાર્મિકતા નથી કે નથી પોચટ ઊર્મિલતા. ઇશ્વરની વાત પરોક્ષ રીતે અથવા તો સૂક્ષ્મ રીતે એમાં વ્યક્ત થતી હોવાથી એ સંપૂર્ણપણે સાહિત્યિક કૃતિ બની જાય છે. તાજેતરમાં જ પ્રગટ થયેલાં એમનાં 'ગીત સુરીલાં' આલબમના લોકાર્પણ વખતે એક સુંદર ગીત સાંભળવા મળ્યું, જેના શબ્દો છે; વન વચોવચ પાનખરના પીપળે …! પાનખર અને વસંતની વાત જિંદગી સાથે એમણે સરસ રીતે વણી લીધી છે આ ગીતમાં. પાનખરનું પોતાનું આગવું સૌંદર્ય છે.

વિશ્વભરનાં જંગલોમાં પાનખરનો પ્રારંભ થઇ ગયો છે. વૃક્ષોનાં જૂનાં પીળાં પર્ણો ખરવા માંડયાં છે અથવા તો નવાં પાન આવે તે પહેલાં આ ઝાડવાં જૂનાં પર્ણોનો ત્યાગ કરી રહ્યાં છે.

સુકાયેલાં પીળાં પર્ણો જાણે સોનાનાં પાંદડાં હોય એવું જ લાગે. ઝાડ નીચે સોનેરી પાનની જાજમ જ જોઈ લો. સાપ પોતાની કાંચળી બદલે તેમ વૃક્ષેા પણ જૂનાં વસ્ત્રો ત્યજીને વસંતમાં નવાં લીલાંછમ્મ વસ્ત્રો પરિધાન કરે છે. પાનખરનો વૈભવ માણતાં શીખી જાઓ તો વસંત બારેમાસ કંઈક એવી જ વાત આ ગીતમાં રજૂ થઈ છે.

લીલાંછમ્મ વૃક્ષોનાં સૌંદર્ય જેટલું જ સૌંદર્ય પાનખરમાં ખરતાં પીળચટ્ટાં પર્ણોનું પણ હોય છે. પવનમાં ઊડતાં સૂકાં પાંદડાંનો ચરરચરર અવાજ અને જમીન પર ખખડતાં પાનનો અવાજ જાણે પેલાં નવાં આવનારાં પાનને કહી રહ્યાં છે કે ધીરી બાપુડિયા, મુજ વીતી તુજ વીતશે! આજનાં લીલાં પાન આવતી કાલે પણ પીળાં બનીને એક દિવસ ખરી જવાનાં છે. આપણાં જીવનનું પણ એવું જ છે, જૂનાનો ત્યાગ અને નવાનો આવિષ્કાર ને છેવટે એક દિવસ ખરી પડવાનું. દરેકના જીવનમાં પાનખર પછી અવશ્ય વસંત આવે છે. કુદરતનો એ ક્રમ છે અને કુદરત મહાન છે. આપણે સૌએ પ્રકૃતિ પાસેથી ઘણું શીખવા જેવું છે.

પાનખરને કવિઓએ જુદી જુદી રીતે ગાઈ છે.

ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, ‘પાનખર પ્રભુના ઘરની આવી.’ મોટો શેઠિયો જેમ પોતાના માણસોને ઘરે ભેટસોગાદો મોકલે એમ પ્રભુએ અમૂલ્ય એવી પાનખર મોકલી છે. પાનખરની પોતાની છટા છે અને વસંતનું સ્વયં એક હરિયાળું આકર્ષણ છે. આપણું મન એને કઈ રીતે સ્વીકારે છે તેના પર બધો આધાર છે. મરીઝ સાહેબ કહે છે :

ખુશબૂ હજુ છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું

તો બીજી બાજુ કવિ અનિલ જોશી કહે છે,

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો.

આવી જ પાનખરની વાત લઈને આવે છે કવિ અવિનાશ પારેખ, 

વન વચોવચ પાનખરના પીપળે,
હજી વાસંતી વાયરા જોયા નથી,
કદી પાંદડે પાંદડાં રોયાં નથી.

ગીતના ભાવાર્થ મુજબ, વનની વચ્ચે એક એવું વૃક્ષ છે જેણે માત્ર પાનખર જ જોઈ છે. એ પાનખરી વૃક્ષ છે પીપળો. કવિને એ અભિપ્રેત છે કે અત્યારે આ પીપળો ભલે પાનખરની શુષ્કતા અનુભવતો હોય પણ એણે ક્યારેક તો વસંત જોઈ છે. અહીં પાનખરનો ઉલ્લેખ વયના સંદર્ભે નથી, પરિસ્થિતિજન્ય પાનખરની વાત છે. એવી પાનખર દરેકના જીવનમાં આવે છે. પરંતુ, પાનખર પછી વસંત આવશે એ આશાવાદ હોય તો જ જિંદગીનો આનંદ માણી શકાય. નકારાત્મક સંજોગોમાં પણ માણસ હકારાત્મક રહી શકે છે. જીવનમાં લીલી કુમાશ ન હોય, જીવતરને ધોવા સાવ નાનું ઝાકળબિંદુ પણ ન હોય છતાં આપણા એકાંતને ખોવાનું નથી. એકલતા અને એકાંતમાં બહુ મોટો ફરક છે. એકલતાનો ભાર લાગે, જ્યારે એકાંતમાં તો નિર્ભાર થઈ જવાય. રંગોની ગેરહાજરીમાં, વિજોગમાં પણ ઉજાસ જેવો ભાસ હોય એવા કોઈ અકળ તત્ત્વની તલાશમાં કવિ છે. વાસંતી વાયરા જોયા નથી, જીવતરને ઝાકળથી ધોયાં નથી તોયે રૂદનથી દૂર અને આનંદની પ્રતીક્ષામાં જ કવિ છે. એટલે જ અહીં એ પરોક્ષ રીતે કહે છે કે ધેર ઈઝ ઑલ્વેઝ અ સિલ્વર લાઈન. તેથી જ લાગણીવેડાને બદલે કવિનાં દરેક ગીતમાં છૂપી રીતે આશાવાદ જ પ્રગટે છે.

'ગીત સુરીલાં'નાં તમામ ગીતોમાં ભાવકના મનમાં આશ્ચર્યજનક સંવાદિતા સર્જાય છે. કવિ અવિનાશ પારેખની ભાવપૂર્ણ અતરંગી રચનાઓ કવિતા ચાહકોને વિસ્મય પમાડે છે.

આ ગીતનાં ગાયિકા દિપાલી સોમૈયા પોતાની લાગણી વ્યક્ત કરતાં કહે છે, "ગીત ભલે પાનખરનું છે પણ એનાં સ્વરો પોઝિટિવ ફીલીંગ આપે છે. તેથી કવિને જે અભિપ્રેત છે એ હકારાત્મકતા જ ભાવક શ્રોતા સુધી પહોંચે છે. જેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન હોય એમને આ ગીતમાં રાગ યમનની ઝલક પણ દેખાશે. રાગ યમન પૂર્ણ રાગ કહેવાય છે અને એમાં ભારોભાર શૃંગાર અને આનંદની લાગણી હોવાથી આ રાગમાં કરુણ ગીત પણ દુખદાયી નહીં પણ મનનો ભાર હળવું કરનારું લાગે છે. ઉમાશંકર શુક્લના સિતારના ટુકડા આ ગીતને વધારે કર્ણપ્રિય બનાવે છે."

દિપાલી સોમૈયાની વાત સાચી છે. આ ગીતના સ્વરકાર સુરેશ જોશીનાં ગીતોની ખાસિયત એ છે કે ગીત મીટરની દ્રષ્ટિએ સંગીતબદ્ધ કરવું અઘરું હોય તો ય એ સાહજિકતાથી એમાં સરળતા ઉમેરીને ગીત કર્ણપ્રિય બનાવે છે. યમનના સ્વરો એમનાં ગીતોની કોઇક કોઈક પંક્તિમાં અજાણતાં જ પોતાની જગ્યા કરી લે છે તેથી એ ગીતો વધુ મીઠાં લાગે છે.

"તમારી વાત સાથે એ રીતે સંમત છું કે યમનનો મારા પર પરોક્ષ પ્રભાવ હોઈ શકે. એ એવો રાગ છે જેમાં વિસ્તરવાની અપાર શક્યતાઓ છે. જો કે, પ્રયત્નપૂર્વક મેં કોઈ ગીત રાગ આધારિત નથી બનાવ્યું પરંતુ, બેશક, છેવટે એમાં કોઈક રાગના સ્વરો તો હોય જ, જેમાં યમન છૂપા વેશે પ્રવેશી જતો હશે.  'ગીત સુરીલાં'નાં ગીતો અર્થસભર છે, સંવેદનશીલ છે એટલે સ્વરબદ્ધ કરવાનો આનંદ આવે જ." સુરેશ જોશી કહે છે.

કુદરતે દરેક સૌંદર્યમાં સંવેદના ભરી છે, પ્રકૃતિની તમામ સંવેદના યોગ્ય સમયે જ પ્રગટ થાય છે. દરિયામાં મોટી ભરતી પૂનમે જ આવે છે, મેઘધનુષ વરસાદની ટાઢક પછી જ રચાય છે. ઉનાળામાં દેખાય એ ઝરણાં નથી હોતાં પણ મૃગજળ જ હોય છે. આપણે મૃગજળને ઝરણું માની લઈએ તો એમાં વાંક મૃગજળનો નહીં પણ આપણો હોય છે. સુકાઈ જવાનું પણ એક સૌંદર્ય હોય છે, જો તમે કોઈ યોગ્ય કારણ માટે સુકાતા હો. પાનખરનું સૌંદર્ય એટલે જ છે કે ત્યાં વસંત પાછી આવવાની છે. પાનખર અને વસંતનો વિરહ છે, કંઈક ઊગવાનું હોય તો ખરવાની અને ખમવાની પણ મજા હોય છે.

આથમતાં સૂર્યનું સૌંદર્ય એટલે જ સારું લાગે છે, કારણ કે એ બીજા દિવસે પાછો ઊગવાનો છે. અંધારાનું સૌંદર્ય ત્યારે જ ગમે જ્યારે પ્રકાશ પાછો આવવાનો હોય. રાહ પણ એની જ જોવાય જેના પાછા ફરવાનો વિશ્વાસ હોય અથવા કદી જશે નહીં એની ખાતરી હોય. વિદાય પાનખર જેવી ભવ્ય હોવી જોઈએ. જાઓ પણ પરિપૂર્ણ થઈને, ગરિમાપૂર્વક. નવા પરિવેશમાં પ્રવેશ પણ લાલચટ્ટક જ હોવો જોઈએ. અચરજ પામીએ એવું કેટકેટલું સમજાવે છે કુદરત! એ સમજીએ તો ઉદ્ધાર થવાનો જ.

અવિનાશ પારેખ પોતે અચરજના માણસ છે.

તેઓ કલાના ચાહક, સાહિત્યના ઉપાસક અને મિજલસના વાહક છે. ગમતાંનો કરીએ ગુલાલની જેમ વહેંચવામાં માને છે. નિજાનંદ માટે લખાયેલાં ગીતો કવિ એટલા માટે વહેંચે છે કારણ કે ભગવાન સામે એમણે ધરાવેલા કાવ્યરૂપી છપ્પન ભોગનો એ સંગીતમય પ્રસાદ જ છે. તક મળે તો જરૂર સાંભળજો આ ગીત. પાનખરમાં વસંત ખીલી ઊઠશે.

*****

વન વચ્ચોવચ પાનખરના પીપળે
હજી વાસંતી વાયરા જોયા નથી
કદી પાંદડે પાંદડાં રોયાં નથી
શમણામાં આવે વસંત ભલે એવો હો શાપ
ભમ્મરિયા વાવમાં સુક્કી શાખ લે હિલ્લોળા અમાપ
કોઈ કલરવ પ્રીત વછોયા નથી …

લીલી કુમાશ જેવા વર્ષા ઝરમરનાં
વિખરાયાં વળગણ
તરસભીની સૂની બખોલમાં ચોપાસનાં
વિસરાયા સગપણ
અમે એકલપણાને પણ ખોયાં નથી …

ફૂલોની શોધમાં સુગંધના કરમાયા સૂના પ્રવાસ
રંગોની અમાસમાં વિજોગના સચવાયા ઉજાસ
ઝાકળથી જીવતરને ધોયાં નથી …

•  ગીતકાર : અવિનાશ પારેખ    •  સંગીતકાર : સુરેશ જોશી   •  ગાયિકા : દિપાલી સોમૈયા દાતે

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 નવેમ્બર 2019

Loading

સમાજના દબાયેલા લોકોનો આક્રોશ ફિલ્મી પડદે વ્યક્ત કરનાર કેમેરામેન અને ફિલ્મમેકર ગોવિંદ નિહલાની

નીલય ભાવસાર|Opinion - Opinion|14 November 2019

કોઈ પણ કુશળ ફિલ્મમેકર માટે ફિલ્મમેકિંગની પ્રક્રિયા માટે જરૂરી ટેક્નિકલ જ્ઞાન હોવું પહેલી શરત છે. ફિલ્મ ડિરેક્ટર માટે વાર્તા અને એક્ટિંગ સિવાય એડિટિંગ, સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઈન, લાઈટિંગ વગેરેની સમજ હોવી પણ ખૂબ જરૂરી છે. ફિલ્મમેકિંગની દુનિયામાં એવા ઘણાં ફિલ્મ ડિરેક્ટર્સ છે કે જેમણે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ એડિટર અથવા સિનેમેટોગ્રાફર તરીકે કરી હોય અને બાદમાં ડિરેક્ટશનના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય. હાલ બોલિવૂડમાં એવા ઘણાં ફિલ્મમેકર્સ છે કે જેઓ કુશળ સિનેમેટોગ્રાફર અથવા ફિલ્મ એડિટર હોવાની સાથે-સાથે કામયાબ ડિરેક્ટર પણ હોય.

આજે આપણે બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર, ડિરેક્ટર-લેખક ગોવિંદ નિહલાનીના ફિલ્મ કરિયર પર એક નજર માંડીશું. બોલિવૂડમાં જ્યારે આર્ટ હાઉસ સિનેમા(સમાંતર સિનેમા અથવા નવું સિનેમા)નો યુગ શરૂ થયો ત્યારે ડિરેક્ટર શ્યામ બેનેગલની સાથે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકે કરિયરની શરૂઆત કરનાર ગોવિંદ નિહલાનીએ એક સ્વતંત્ર ફિલ્મમેકર તરીકેની પણ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી. પદ્મશ્રી વિજેતા ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીને 6 નેશનલ એવોર્ડ અને 5 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. ગોવિંદ નિહલાનીએ જે બોલિવૂડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કેમેરાવર્ક કર્યું છે તેમાં 'આક્રોશ' (1980), 'અર્ધસત્ય' (1983), 'દ્રોહકાલ' (1994), 'જુનૂન' (1979), 'ભૂમિકા' (1977), 'મંથન' (1976) વગેરેનો સમાવેશ થાય છે. કેમેરાના ટેક્નિકલ જ્ઞાન સહિત સાહિત્યની ઊંડી સમજ ધરાવતા ગોવિંદ નિહલાનીની ફિલ્મોગ્રાફીમાં સાહિત્યકાર અથવા સાહિત્યકૃતિ સાથેનો ગાઢ સંબંધ જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીએ જ્યારે સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ તેમણે ઓમ પુરી અને નસીરુદ્દીન શાહને લઈને 'આક્રોશ' (1980) નામની ફિલ્મ બનાવી. મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકર અને સત્યદેવ દુબે લિખિત આક્રોશ(1980)માં ઓમ પુરીએ એક પણ ડાયલોગ વિના માત્ર આંખો અને ચહેરાના હાવભાવથી સમાજના કચડાયેલા વર્ગનો આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે 'અર્ધસત્ય'(1983)માં મનોમંથન કરી રહેલા પોલીસ ઓફિસરના રોલમાં ઓમ પુરીએ સમાજ વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા. ડાર્ક અને વાસ્તવિક સ્થિતિ રજૂ કરતી 'અર્ધસત્ય'(1983)ને આજે પણ પોલીસ પર બનેલી શ્રેષ્ટ બોલિવૂડ ફિલ્મ ગણવામાં આવે છે. ફરી એક વખત મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકરે આ ફિલ્મ લખી અને તેનું શીર્ષક જાણીતા મરાઠી કવિ દિલીપ ચિત્રેની કવિતા આધારિત છે. ગોવિંદ નિહલાનીની આ બંને ફિલ્મોનો અંત હિંસક હતો અને દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે તેવો હતો. ગોવિંદ નિહલાનીના સિનેમામાં સમાજના દબાયેલા, કચડાયેલા અને વંચિતોની વેદના, વિભાજનની દાસ્તાન ('તમસ' સિરિયલ), નક્સલવાદ ('હઝાર ચૌરાસીકી માં' નામની ફિલ્મ), કોમી એખલાસ, મજૂરો આંદોલન (ફિલ્મ 'આઘાત'), સ્ત્રી સશક્તિકરણ, સમાજના ઉચ્ચવર્ગનો દંભ અને અસામનતા જેવા વિષયો જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીનો જન્મ તારીખ 19 ડિસેમ્બર, 1940ના રોજ કરાચી (હાલ પાકિસ્તાનમાં) થયો, બાળપણમાં તેમણે સૌ પ્રથમ ગુજરાતી સંત અને કવિ નરસિંહ મહેતાના જીવન આધારિત ફિલ્મ 'નરસી ભગત' જોઈ હતી. વર્ષ 1947ના વિભાજન બાદ તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં આવીને સ્થાયી થયો. આ દરમિયાન કેમેરાવર્ક તરફ તેમની રુચિ જાગૃત થઈ, સિંધી પરિવારમાંથી આવતા ગોવિંદ નિહલાનીએ ફેમિલી બિઝનેસમાં આગળ વધવાની જગ્યાએ કુશળ કેમેરામેન બનવાનો નિર્ણય કર્યો અને આ માટે તેમણે બેંગ્લોરમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટમાંથી સિનેમેટોગ્રાફી(cinematography)નો 3 વર્ષનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1962માં તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડના દિગ્ગજ સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્થી(ગુરુદત્તની ફિલ્મોના કેમેરામેન)ના સહાયક તરીકે કરિયરની શરૂઆત કરી. બાદમાં એડવર્ટાઇઝમેન્ટના ક્ષેત્રમાં કેમેરામેન તરીકે કાર્ય કરતા તેમની મુલાકાત ડિરેક્ટર શ્યામ બેનેગલ સાથે થઈ. આ દરમિયાન શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીએ સાથે મળીને ડોક્યુમેન્ટ્રી અને એડવર્ટાઇઝમેન્ટ પર કામ કર્યું. જ્યારે શ્યામ બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 'અંકુર' બનાવી ત્યારે ગોવિંદ નિહલાનીએ તેમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું. બાદમાં શ્યામ બેનેગલની 'નિશાંત' (1975), 'મંથન' (1976), 'ભૂમિકા' (1977), 'જુનૂન' (1978), 'આરોહણ' (1982) સહિતની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય બાદ ગોવિંદ નિહલાનીએ સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ 'જુનૂન' (1978) માટે તેઓને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો. શ્યામ બેનેગલની સાથે કેમેરાવર્ક કરતી વેળાએ તેઓ ફિલ્મમેકિંગના પાઠ શીખ્યા અને નાટ્યકાર – લેખક સત્યદેવ દુબે તેમ જ વિજય તેંદુલકર થકી તેમનો થિયેટર(નાટક)ની દુનિયા સાથે પરિચય થયો.

આ તે સમય હતો કે જ્યારે ભારતીય સિનેમામાં સમાંતર સિનેમા(નવું સિનેમા અથવા આર્ટ સિનેમા)ની મૂવમેન્ટ ચાલી રહી હતી. બોલિવૂડમાં એક બાજુ અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મિથુન, જિતેન્દ્ર વગેરે સ્ટાર્સની મનોરંજક ફિલ્મો આવી રહી હતી જ્યારે બીજી બાજુ શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, સઈદ અખ્તર મિર્ઝા અને કુંદન શાહ જેવા ફિલ્મમેકર્સ ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, સ્મિતા પાટિલ અને શબાના આઝમી જેવાં સામાન્ય ચહેરો ધરાવતાં એક્ટર્સને લઈને સમાજની વાસ્તવિકતા આધારિત રિયાલિસ્ટિક ફિલ્મો બનાવી રહ્યા હતા. ઓછા બજેટની સમાંતર સિનેમાની ફિલ્મોમાં રિયાલિસ્ટિક વિષયો, એકિટંગ, સામાજિક પ્રશ્નો, રિયલ લોકેશન્સ મહત્ત્વના હતા. આ સમયગાળામાં ગોવિંદ નિહલાનીએ જે ફિલ્મો ડિરેક્ટ કરી તેમાં 'આક્રોશ' (1980), 'વિજેતા' (1982), 'અર્ધસત્ય' (1983), 'પાર્ટી' (1984), 'આઘાત' (1985), 'દ્રોહકાલ' (1994), 'હજાર ચૌરાસીકી માં' (1997), 'થક્ષક' (1999), 'દેવ' (2004) વગેરે મહત્ત્વની ફિલ્મોનો સમાવેશ થાય છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં ઓમ પુરીને એક્ટિંગ કરવા માટેનું ખુલ્લું અવકાશ મળ્યું, અર્ધસત્ય માટે ઓમ પુરીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અજય દેવગન, અમરીશ પુરી, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, શશી કપૂર સહિતનાં જાણીતાં કલાકારો ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.

માત્ર ફિલ્મો નહીં પરંતુ ટી.વી. ક્ષેત્રે પણ ગોવિંદ નિહલાનીનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તેમણે 1988માં ભીષ્મ સહાનીની નવલકથા આધારિત 'તમસ' નામની 6 એપિસોડ્સની ટી.વી. સિરિયલ બનાવી, વિભાજનની વેદના રજૂ કરતી આ ટી.વી. સિરિયલને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી અને તેને 3 નેશનલ એવોર્ડ મળ્યા હતા. ટી.વી. સિરિયલ 'તમસ'ની પટકથા ગોવિંદ નિહલાની અને ભીષ્મ સહાનીએ સાથે મળીને લખી હતી. ગોવિંદ નિહલાનીની અન્ય મહત્ત્વની ફિલ્મમાં 'હજાર ચૌરાસીકી માં'(1997)નો સમાવેશ થાય છે. બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીની નવલકથા 'હજાર ચૌરાસીકી માં' આધારિત આ ફિલ્મમાં કથિત રીતે નક્સલવાદનો મુદ્દો અને પુત્ર ગુમાવી ચૂકેલા એક માતાની વેદના કેન્દ્રસ્થાને છે. એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદ નિહલાની જણાવે છે કે મને ફિલ્મ બનાવવાના વિચાર સાહિત્યમાંથી મળે છે. સાહિત્ય અને સિનેમા એકબીજાની સાથે સંકળાયેલાં છે. મારી મોટાભાગની ફિલ્મો સાહિત્યકૃતિ વાર્તા, નવલકથા કે પછી કોઈ નાટક આધારિત છે.

આ સિવાય રિચાર્ડ એટેનબરોની હોલિવૂડ ફિલ્મ 'ગાંધી'માં ગોવિંદ નિહલાનીએ સહાયક સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું. રિચાર્ડ એટેનબરો જ્યારે ભારતમાં 'ગાંધી'નું શૂટિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમણે સહાયક કેમેરામેન તરીકે ગોવિંદ નિહલાનીને પસંદ કર્યા હતા. આ શૂટિંગ દરમિયાન તેઓને એક કેમેરાવર્ક તરીકે કામ કરવાની સંપૂર્ણ આઝાદી મળી, ડિરેક્ટર રિચાર્ડ એટેનબરોએ ગોવિંદ નિહલાનીને તેમના દ્રષ્ટિકોણથી સીન શૂટ કરવા માટેની આઝાદી આપી. માત્ર એટલી જ સલાહ આપી કે દરેક ફ્રેમમાં ભીડ દેખાવી જોઈએ કારણ કે ભારતની આબાદી વધારે છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય'માં ઓમ પુરી, સ્મિતા પાટિલની સામે બેસીને મરાઠી કવિ દિલીપ ચિત્રેની જે કવિતાનું પઠન કરે છે તેમાં તેનો સારાંશ રહેલો છે, તેનો અનુવાદ આ મુજબ છે. 'ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલાં, હું કોણ અને કેવો હતો, તે મને યાદ નથી. ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ મારી અને ચક્રવ્યૂહની વચ્ચે માત્ર એક ઘાતક નિકટતા હતી, તેનો મને ખ્યાલ નહીં આવે. ચક્રવ્યૂહમાંથી નીકળ્યા બાદ ભલે હું મુક્ત થઈ જાઉં પણ ચક્રવ્યૂહની રચનામાં કોઈ ફરક નહીં પડે. એક પલડામાં નપુંસકતા અને એક પલડામાં પુરુષાતન, અને ત્રાજવાના વચ્ચેના કાંટા પર અર્ધસત્ય.'

(લેખક www.iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...2,6632,6642,6652,666...2,6702,6802,690...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved