Opinion Magazine
Number of visits: 9576713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેકિયાવેલી, સોક્રેટિસ અને ‘દર્શક’

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|20 October 2019

અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છેઃ રિઇન્વેન્ટિંગ ધ વ્હીલ. એટલે કે શોધાઈ ચૂકેલું ફરી ફરી શોધવું. ઇતિહાસમાં, સમાજમાં, સાહિત્યમાં ઘણી વાર નવા જ્ઞાનના સર્જનની સાથે, અગાઉ શોધાઈ કે લખાઈ ચૂકેલું પણ વખતોવખત યાદ કરવું જરૂરી બને છે. ગુજરાતના પ્રથમ હરોળના સર્જક અને જાહેરજીવન-રાજનીતિમાં પણ એટલો ઊંડો રસ લેનારા, ‘લોકભારતી’ ખ્યાત મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં લખાણ વાંચતાં એ લાગણી મનમાં તાજી થાય. તેમની બહુ વખણાયેલી નવલકથાઓ ઉપરાંત નાગરિક સમાજ, લોકશાહી અને શાસનકર્તાઓની સરળ સમજ માટે તેમનાં લખાણ પાયારૂપ બને એમ છે. ભલે તે જુદા સમયમાં લખાયાં હોય.

ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી જોઈ ચૂકેલા ‘દર્શકે’ ‘પશ્ચિમના ચાણક્ય’ ગણાતા મેકિયાવેલીના રાજકારણ વિશેના વિચારોને યાદ કર્યા હતા. પંદરમી સદીના ઇટાલીમાં થઈ ગયેલા રાજકારણી અને લેખક મેકિયાવેલીએ પણ ચાણક્યનાં કેટલાંક લખાણની જેમ રાજાની સત્તા કેમ કરીને મજબૂત બને, તે વિશે લખ્યું હતું અને તેમાં પ્રજાકીય ખાસિયતોનું વિશ્લેષણ પણ ચોટદાર શબ્દોમાં કર્યું હતું. ‘દર્શકે’ તેને આ શબ્દોમાં ગુજરાતીમાં ઉતાર્યું, ‘જે પ્રજા માટે રાજ્ય કામ કરે છે તે પ્રજા હકીકતમાં ભોળી અને બીકણ છે, તો બીજી બાજુ લોભી અને લાલચુ છે. તેને તત્કાળ સુખની ઝંખના છે. એટલે તેને કોઈ સિદ્ધાંતો જ નથી કે નથી કોઈ આદર્શની ભાવના. અરે, તમે લાંબા ગાળે કોઈ નંદનવન ઊભું કરવાની યોજના કરો તેની પણ કંઈ પડી નથી. તો તત્કાળ ખરેખર કંઈ આપી દો તેવું પણ નથી. હા, તેમને તત્કાળ કંઈક મળી ગયું તેવો ભ્રમ થવો જોઈએ. લોકોને કશું દઈ દેવું અનિવાર્ય નથી. સત્તા માટે કંઈ પણ કરવું તે ખોટું પણ નથી. પ્રજાને વચનો-દેખાવ દ્વારા જીતી લો. લોકોને મંદિરમાં જવાનું-શ્રદ્ધા રાખવાનું ગમે છે. તો તમે પણ મંદિરમાં જાવ. તમને શ્રદ્ધા છે તેવો દેખાવ કરો.’

મેકિયાવેલીનું વિશ્લેષણ સચોટ હોવા છતાં, તેનો ઉપયોગ પ્રજાને નાગરિક તરીકે ઘડવા માટે નહીં, પ્રજાની નબળાઈનો ગેરલાભ ઉઠાવીને રાજ્ય ટકાવી રાખવા માટે થયો. ગુજરાતીમાં હિટલરની આત્મકથાની જેમ મેકિયાવેલીનાં લખાણો માટે પણ વિવેકવિહોણું મનોરુગ્ણ આકર્ષણ જોવા મળે છે. તેનાથી બચીને ‘દર્શકે’ મેકિયાવેલીનાં લખાણોથી થયેલા નુકસાન વિશે ટીકા કરી હતી. લોકશાહી સંદર્ભે તેમનું બીજું પ્રિયપાત્ર હતું સોક્રેટિસ. ગ્રીસમાં એથેન્સમાં થયેલા સીધી લોકશાહીના પ્રયોગમાં સોક્રેટિસનું વિશેષ મહત્ત્વ છે. અન્યાયી કાયદાની નજરમાં ગુનેગાર ઠર્યા પછી મૃત્યુદંડની સજા તરીકે હસતા મોઢે ઝેર પીનાર સોક્રેટિસનું શું સ્વપ્ન હતું? ‘દર્શકે’ લખ્યું, ‘સોક્રેટિસ ઇચ્છતો હતો કે લોકશાહીનું ટોળાંશાહીમાં, ઘેટાંશાહીમાં, લાંચરુશવતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય અને તે માટે જીવનભર મથ્યો … બીજી રીતે વિચારીએ તો સોક્રેટિસે જિંદગી આખી લોકોને તેમના અધિકારોની સુરક્ષા કરી શકે તે માટે જ્ઞાન-ડહાપણ આપવાની કોશિશ કરી. તેણે સતત લોકોને ચેતવ્યા કર્યા, સમજાવ્યા જ કર્યા કે ભાઈ તમે ખોટે રસ્તે છો. આ રસ્તે તમે ચડો છો તેમાં તમને અને લોકશાહીને નુકસાન થશે.’

સોક્રેટિસ માનતો હતો કે સવાલો પૂછવા અને મતદારોને કેળવવા એ લોકશાહીનો મૂળભૂત અધિકાર છે. મારી ફરજ છે કે મારે લોકોને કેળવવા, લોકોને વિચાર કરતા કરવા અને લોકોનાં મૂલ્યોનું પરિવર્તન કરવું. મૂલ્ય-પરિવર્તન કર્યા વિનાની લોકશાહી એ ભયજનક છે. લોકશાહીમાં મત એટલો જરૂરી નથી, પક્ષ એટલો જરૂરી નથી, બંધારણ પણ પછીના નંબરે આવે. પહેલી જરૂર મતદારોની કેળવણીની છે. મારે એક જ સત્તા જોઈએ છેઃ મતદારોને કેળવવાની.

સોક્રેટિસના જમાનામાં ગ્રીસમાં સોફ્સ્ટિો હતા, જેમના વર્તમાન અવતારો આજુબાજુ નજર નાખતાં સહેલાઈથી મળી આવશે. તેમના વિશે ‘દર્શકે’ લખ્યું હતું, સોક્રેટિસના સમયમાં પણ બુદ્ધિશાળી અને પ્રભાવશાળી વક્તાઓ હતા. તે સોફ્સ્ટિો કહેવાતા. સોક્રેટિસે તેમની જોડે ચર્ચા કર્યા પછી નિર્ણય બાંધેલો કે આ સોફ્સ્ટિો બુદ્ધિની વારવનિતાઓ છે. બુદ્ધિની મદદથી સારાને ખરાબ અને ખરાબને સારું દેખાડી શકે તે સોફ્સ્ટિ. લોકોના મત મેળવવા માટે ચાતુરી જોઈએ, આકર્ષણ ઊભું થવું જોઈએ, દલીલો જોઈએ, છટા જોઈએ, લોકોને આંજી નાખવા માટેની કળા જોઈએ – આ બધું સોફ્સ્ટિો પૈસા લઈને ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા હતા. તેમણે શીખવાડ્યું કે સામાજિક કાયદા તો માણસે પોતાની સગવડ માટે કર્યા છે. સગવડ હોય ત્યારે પાળવા ને ન હોય ત્યારે નહીં. તેમાં કશું સનાતન સત્ય જેવું ન હોય. લોકશાહીમાં સોફ્સ્ટિો તો હોવાના જ, પણ સોક્રેટિસ નથી હોતા એની ચિંતા છે.

વિશ્વના ઇતિહાસના અને સાહિત્યના અભ્યાસી દર્શક દૃઢપણે માનતા હતા કે સત્તા મળ્યા પછી સત્તાધારીને અંકુશમાં ન રાખીએ તો સત્તાધારી પ્રજા પર ચડી બેસે છે. એટલે રાજ્ય બરાબર કામ કરે છે? આપણે તેનું કામ કેમ ચકાસવું? તેના પર કેમ અંકુશ રાખીશું? રાજ્યની દાનત કેવી છે? આ બધા સવાલોના જવાબ આપણા માટે અગત્યના છે. એટલે રાજનીતિશાસ્ત્રનો આ પાયો દરેક નાગરિકે સમજવો-શીખવો રહ્યો. પણ સવાલ એ છે કે મતદારોને કેળવવા કેવી રીતે?

દર્શકે લખ્યું હતું, મતદારોને કેળવવાની હિંમત નથી, કેળવવાની કોઈની ધીરજ નથી, કેળવવાની કોઈની તૈયારી નથી અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી અને મતદારોને કેળવવા એટલે શું? પ્રોપેગેન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે. ત્યાર પછી શું થશે? તેમણે માર્મિક રીતે લખ્યું હતું કે પછી અભિપ્રાયો હશે, વિચાર નહીં હોય.

લોકશાહીને તેમણે ‘પોલિસેન્ટર્ડ સોસાયટી’ ગણાવીને લખ્યું હતું કે લોકશાહીમાં સત્તાનાં વિવિધ કેન્દ્રો હોય છે. મજૂરોનું એક કેન્દ્ર હોય છે, માલિકોનું બીજું, ખેડૂતોનું ત્રીજું. આ ભાતભાતનાં જુદાંજુદાં સત્તાનાં-બળનાં કેન્દ્રો, વિચારનાં કેન્દ્રો, અનુભવનાં કેન્દ્રો, તે બધાં જ્યારે અનુભવોની અભિવ્યક્તિ કરે છે ત્યારે તેમાંથી એક સરવાળો નીકળે છે કે આ કરો તો લગભગ સર્વને માન્ય રહેશે. જે રાજ્યપદ્ધતિની અંદર આ પોલિસેન્ટર્ડ સોસાયટીનો ખ્યાલ જ ન હોય અને એકકેન્દ્રી સમાજ મનમાં હોય તે લોકશાહીની ગમે તેટલી વાતો કરતા હોય તો પણ ખરેખર એ લોકશાહીમાં માનતા નથી. રાજ્યનો અંકુશ એક વસ્તુ અને રાજ્ય સિવાય બીજાં સત્તાકેન્દ્રો જ ન હોય એ બીજી વસ્તુ છે.

આવું થતા આગળ જતાં મતદારોનો પણ એકડો નીકળી જવાનો.

આગળ ઉલ્લેખેલી વિગતો જાણ્યા પછી વર્તમાન સ્થિતિને સમજવા માટે તેનું અજવાળું પણ પૂરતું થઈ પડે, એમ નથી લાગતું?

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019

Loading

ભાષાપ્રેમી સંગીતકાર ખુસરોઃ એક વતનપ્રેમી ભક્ત!

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2019

સંતોના પ્રદેશમાં પ્રવેશતા પહેલાં જો આમીર ખુસરોની મહાનતા તેના પૂરા સંદર્ભમાં રેખાંકિત કરવામાં ન આવે તો એ તેમને કરેલો અન્યાય કહેવાય. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે ભારતમાં ભક્તિઆંદોલનનો પાયો રોપ્યો. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેણે હિંદુ અને મુસલમાન એમ બંને માટે વતનપરસ્તીના સંસ્કાર દ્રઢ કરી આપ્યા. એવી વિભૂતિ સાથે અન્યાય કહેવાય જેને આપણે ખડી હિન્દવી-હિન્દુસ્તાની બોલી/હિન્દી/ઉર્દૂના પિતામહ કહી શકાય. જી હા, આ ભાષામાં સાહિત્યસર્જન સૌ પહેલાં ખુસરોએ શરૂ કર્યું હતું.

‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના લેખક રામધારી સિંહ દિનકરે આમીર ખુસરો માટે કહ્યું છે કે આ દેશે ભારતમાં મુસલમાનોના રાજ્યના આરંભ પછી માત્ર ૬૧ વરસમાં એક એવા મુસલમાનને પેદા કર્યો જે હિંદુસ્તાનના રાષ્ટ્રવાદી મુસલમાનોનો અગ્રણી મહાપુરુષ હતો. આ અંજલિ થોડી ટૂંકી છે. મારા મતે ખુસરો માત્ર રાષ્ટ્રવાદી મુસલમાનોના નહીં, ભારતીય ભાવવિશ્વનો પિતામહ હતો. ખુસરો પછી સહિયારી ઈબાદત વિકસી. ખુસરો પછી ભારતમાં ગંગા-જમની સંસ્કૃતિ વિકસી જેને અંગ્રેજીમાં સિન્ક્રેટીક કલ્ચર કહેવામાં આવે છે. ખુસરો પછી ભારતીય ઈસ્લામે એક અનોખો ચહેરો ધારણ કર્યો. ખુસરોના કારણે ભારતીય મુસલમાન મુસલમાન બન્યા પછી પણ ભારતીયતાથી બહુ દૂર ન ગયો. ખુસરોએ હિંદુ અને મુસલમાન એમ બંનેને વતનપરસ્તી શીખવી અને ખુસરો પછી અત્યારની ભારતીય ભાષાઓ વિકસી અને તેમાં સાહિત્ય ખેડાણ થવા લાગ્યું. ખુસરો પહેલાં મુસલમાનો ફારસી ભાષામાં લખતા હતા અને હિંદુ સર્જકો અપભ્રંશ અથવા ડિંગલ ભાષામાં લખતા હતા.

ભારતમાં હિંદુ મુસ્લિમ એકતાના ચાર મોટા પુરસ્કર્તા થયા એમાં પહેલા હતા આમીર ખુસરો. બીજા અકબર, ત્રીજા કબીર અને ચોથા ગાંધીજી. દુર્ભાગ્યે આપણે ખુસરોની મહાનતા જે રીતે ઓળખવી જોઈએ એ રીતે ઓળખતા નથી. અંગ્રેજોએ આપેલી આંખે ઇતિહાસ જોવાની જગ્યાએ જો આપણે આપણી પોતાની આંખે ઇતિહાસ જોતા શીખીએ તો ઘણા અનર્થો ટાળી શકાય એમ છે. અંગ્રેજોને હિંદુ અને મુસલમાનો વચ્ચે ઝઘડો પેદા કરવો હતો એટલે અમુક રીતે ઇતિહાસ લખ્યો હતો, જે થોડો સાચો છે અને ઘણો ખોટો છે. જેને આઝાદી પછી પણ ધરાર લડવું છે અને પોતાની શરતે રાષ્ટ્રીય એકતાનો દુરાગ્રહ ધરાવે છે એ લોકોને અંગ્રેજોનો ઇતિહાસ માફક આવે છે. આમાં આમીર ખુસરોનો ખો નીકળી ગયો છે અને તેમને જેવો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી. માટે અહીં આમીર ખુસરોની વાત કરવા થોભવું પડે એમ છે.

આમીર ખુસરોનો જન્મ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પતિયાલી નામના ગામમાં ઈ.સ. ૧૨૫૩માં થયો હતો એમ માનવામાં આવે છે. અમીર ખુસરોના પિતા તુર્ક હતા અને તેઓ સુલતાન નસિરુદ્દીનના શાસનકાળમાં ભારત આવ્યા હતા. આમીર ખુસરો શેખ નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. જ્યારે નિઝામુદ્દીન ઓલિયાનું અવસાન થયું અને તેના દેહને કબરમાં પધરાવવામાં આવ્યો ત્યારે ખુસરોએ તેમની ઊંડી પીડા આવા શબ્દોમાં વ્યક્ત કરી હતી:

ગોરી સોવત સેજ પર, મુખ પર ડાલે કેસ,
ચલ ખુસરો ઘર આપનો, રૈન ભઈ સબ દેસ.

આ પંક્તિઓમાં બે ચીજ પ્રગટ થતી જોવા મળશે. એક તો પ્રેમની ઉત્કટતા. જો ગુરુ કે મુરશિદ માટે આટલી ઉત્કટતા હોય તો ઈશ્વર માટે કેટલી હશે! બીજું દિલ્હી, મથુરા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વપરાતી ખડી બોલી સાથેની ખુસરોની ભાષાની નજદીકી અને અત્યારની હિન્દી/ઉર્દૂ ભાષાનાં બીજ. બારમી-તેરમી સદીમાં ભારતમાં લોકવ્યવહારની ભાષા અપભ્રંશથી આગળ જઇને વિવિધ બોલીઓમાં પરિવર્તિત થવા લાગી હતી. એ પૂર્ણરૂપે વિકસી નહોતી, પણ વિકસતી જતી હતી.

હિંદુ પ્રજા પકડી રાખનારી અને બીજાને કે નવાને પ્રવેશ નહીં આપવા દેવાની કે નહીં સ્વીકારવાની માનસિકતા ધરાવતી પ્રજા છે. આને કારણે બુદ્ધ અને મહાવીરે અનુક્રમે પાલી અને પ્રાકૃત જેવી લોકભાષાનો આગ્રહ રાખ્યો હોવા છતાં એ બંને ધર્મના અનુવર્તી પંડિતોએ કે સાધુઓએ લોકભાષા છોડીને સંસ્કૃતમાં જ ગ્રંથો લખ્યા હતા. એ પછી જ્યારે પ્રાકૃત-પાલીમાંથી અપભ્રંશ વિકસી ત્યારે સર્જકો અપભ્રંશનો સ્વીકાર કરતા નહોતા અને પાલી-પ્રાકૃતને ચડિયાતી ભાષા માનતા હતા. જ્યારે અપભ્રંશમાંથી ગુજરાતી, મરાઠી, અવધી, બ્રજ, મૈથિલી, બંગાળી જેવી લોકભાષાઓ વિકસી ત્યારે પંડિતો અપભ્રંશનો આગ્રહ રાખતા હતા અને લોકભાષાઓને નકારતા હતા. ભારતમાં મુસલમાનોની તો કોઈ ભાષા જ નહોતી, કારણ કે વિદેશી મુસલમાનોની ભાષા વિદેશી હતી અને ધર્મપરિવર્તિત ભારતીય મુસલમાનોની ભાષા એ જ હતી જે પાડોશી હિંદુની હતી.

આમ હિંદુ ભદ્રવર્ગ અપભ્રંશનો આગ્રહ રાખતો હતો, વિદેશી મુસલમાન ફારસીમાં લખતા હતા અને સાધારણ હિંદુસ્તાની (જેમાં હિંદુ અને મુસલમાન બંનેનો સમાવેશ થાય છે) લોકભાષામાં વ્યવહાર કરતા હતા ત્યારે આમીર ખુસરોએ લોકભાષામાં સાહિત્યસર્જન કર્યું હતું અને એ પણ કેટલા ઊંચા દરજ્જાનું એ ઉપરની પંક્તિમાં જોઈ શકાશે. આટલી ભૂમિકા પછી એટલું તો સ્પષ્ટ થઈ જ ગયું હશે કે આમીર ખુસરો હિન્દી/ઉર્દૂ ભાષાના પિતામહ છે.

ખુસરોના દેશપ્રેમનું પ્રમાણ તેમના મસનવી ‘નુહે-સિપહ્ર’(નવ આકાશ)માં કહેલા આ કથનથી મળશે: “સંભવ છે કે કોઈ મને પૂછશે કે, ખુસરો હિંદુસ્તાન માટે આટલી શ્રદ્ધા કેમ રાખે છે? મારો જવાબ એવો છે કે હિંદુસ્તાન મારી જન્મભૂમિ છે, મારું વતન છે. ખુદ નબીએ કહ્યું છે કે વતનપ્રેમ માણસના ધર્મપ્રેમમાં સમાહિત છે, તેમાં આવી જાય છે.” બીજી એક જગ્યાએ દિલ્હીની મહાનતા ગાતા ખુસરો કહે છે: “આ દિલ્હી નામના ચમનની કહાની જો મક્કા સાંભળે તો મક્કા પણ શ્રદ્ધાપૂર્વક દિલ્હીની પરિક્રમા કરવા આવે.” આ મસનવી ‘નુહે-સિપહ્ર’ આખેઆખો ભારત અને ભારતીય સંસ્કૃતિની મહાનતાની ગાથા ગાનારો છે. ભારતની સામે તેણે સમરકંદ, બુખારા, બસરા, તુર્કી, રશિયા, ચીન, ખુરાસાન, ઈજીપ્ત જેવા દેશોને તુચ્છ ગણાવ્યા છે. ખુસરોએ ભારતની જેટલી પ્રશસ્તિ કરી છે એટલી કોઈ હિંદુએ પણ નહીં કરી હોય. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આત્મગ્રહણ કર્યો હોવાથી બિચારા હિન્દુત્વવાદી દેશપ્રેમીને ખુસરોની અને ખુસરોના યોગદાનની તેમ જ તેની દેશભક્તિની જાણ પણ નથી.

ખુસરોએ હિંદુઓની ધાર્મિક આસ્થાની પણ પ્રસંશા કરી છે અને મુસલમાનોને તેમાંથી બોધ લેવાનું કહ્યું છે. ઈશ્વરની મૂર્તિ સમક્ષ ગદગદિત હિંદુ માટે તેણે કહ્યું છે કે, “તીરનું નિશાન ભલે ખોટું હોય, પણ ગતિ કેવી તેજ છે!” અર્થાત્ એક મુસલમાન તરીકે ખુસરો મૂર્તિપૂજાની તો પ્રસંશા ન કરી શકે, પણ તીવ્રતાની તો કરી જ છે. આડકતરી રીતે તેણે સગુણ બ્રહ્મની પ્રાસંગિકતા માન્ય રાખી છે.

ખુસરોનું હજુ એક મોટું યોગદાન ભારતીય સંગીતના ક્ષેત્રે છે. કવ્વાલી, તરાના અને હિંદુસ્તાની ખયાલ સંગીત ખુસરોના કારણે વિકસ્યું છે એમ સંગીતજ્ઞો કહે છે.

ભારતમાં ઇસ્લામના આગમન પછી આમીર ખુસરો ભારતીય મુસલમાનોનો પહેલો અવાજ હતો. અત્યંત સ્વસ્થ, સર્વ સમાવેશક અને સર્વગ્રાહી. એ અવાજ ભારતીય મુસલમાનોનો અવાજ કેમ નહીં બન્યો? એ અવાજને હિંદુઓએ કેમ નહીં ઝીલ્યો અને પડઘો નહીં પાડ્યો? નહોતો ઝીલ્યો અને નહોતો પડઘો પાડ્યો એવું નથી. મધ્યકાલીન સંતોએ અને સૂફીઓએ એ અવાજ ઝીલ્યો હતો અને પડઘો પાડ્યો હતો. પણ પછી વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે એ અવાજને શાંત કરવામાં આવી રહ્યો છે.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ઑક્ટોબર 2019

Loading

જીવનમૂલ્ય શ્રેણી – ૩ = પ્રાર્થના

સુમન શાહ|Opinion - Opinion|18 October 2019

વિચરતા વિચારો 

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં.

મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

: પ્રાર્થના :

પ્રાર્થના એક જીવનમૂલ્ય છે.

મોટા ભાગની માનવજાત માને છે કે પ્રાર્થના કરવી જરૂરી છે. માણસ પોતાના ઇષ્ટદેવને વહેલી સવારે કે રાતે સૂતી વખતે યાદ કરે છે. મન્દિરે કે મસ્જિદે જાય છે, ચર્ચમાં જાય છે. ભારતીય પરમ્પરામાં, ઘંટ વગાડીને પ્રભુને જણાવાય છે કે – હું આવી ગયો છું; બે હાથ જોડીને પ્રણામ કરાય છે. એક જમાનામાં સાષ્ટાન્ગ દણ્ડવત પ્રણામ કરાતા હતા પણ હવે ઓછા થઇ ગયા છે. કેમ કે લોકને કપડાં બગડી જવાની બીક હોય છે. અને ન બગડે એટલી સ્વચ્છતા મન્દિરોમાં પણ હવે લગભગ નથી હોતી. આરસપહાણની ફ્લોર ને એવાં છત-શિખરમઢ્યાં વિશાળ ભવ્ય મન્દિરોની વાત જુદી છે, ત્યાં તો પ્રસાદમાં પિઝ્ઝા પણ મળે છે, આઈ મીન, ખરીદી શકાય છે…

જે લોકો પ્રાર્થના નથી કરતા તેઓ પોતાને આધુનિક સમજે છે – મૉડર્ન. તેમ છતાં, રીપીટ તેમછતાં, ૨૪ કલાક દરમ્યાન એકાદ વખત તો તેઓ – ઓ માય ગૉડ; ઓહ્ જિસસ; યા અલ્લાહ; ઓ ખુદા; યા પરવરદિગાર; હે ભગવાન, તું કરે તે ખરું; ઓ ભગવાન; હે રામ; હે કૃષ્ણ; ઓ મારા રામ, આ શું થઈ ગયું; બજરંગ બલી, કર સબ કી ભલી; વગેરે બોલે જ છે.

'ગૉડ ઇઝ ડેડ' કહેનારા નિત્શેએ પણ એ પહેલાં 'ગૉડ વૉઝ ઍલાઇવ' એમ મનોમન તો સ્વીકાર્યું જ હશે. પણ નિત્શેએ પૂરું જે કહ્યું છે તેને ધ્યાનમાં લીધા વિના જ અબુધો નિત્શેને વગોવે છે. નિત્શેએ એમના 'ગે સાયન્સ' પુસ્તકમાં પૂરું જે કહ્યું છે તે આ છે : ઈશ્વરનું મૃત્યુ થયું છે. ઈશ્વર મૃત રહેવાનો છે. એને આપણે મારી નાખ્યો છે, આપણે હત્યારા છીએ. આપણને કેમની સાતા વળવાની – આપણને – હત્યારાઓને – હત્યારાના હત્યારાઓને …? : આ વિધાનનો એક ધ્વનિ સ્પષ્ટ છે કે આપણે ઈશ્વરને વીસરી ગયા છીએ, પ્રાર્થના ભૂલી ગયા છીએ; ઉપરાન્ત ઈશ્વરને મંજૂર ન હોય એવાં અનેક કામોમાં મચી પડ્યા છીએ. એટલે તો પછી ઈશ્વર મરી ગયો કે બીજું કંઈ …?

મૉડર્નિટીનો અને 'મૉડર્ન એરા'-નો પ્રારમ્ભ 'રૅનેસાંસ' દરમ્યાન થયો છે. માનવજાતના પુનર્જાગરણનો સમય. માનવજાત ૧૭-મી સદીમાં 'એજ ઑફ રીઝન' અને 'સાયન્ટિફિક રીવૉલ્યુએશન'-માંથી તેમ જ ૧૮મી સદીમાં 'ઍન્લાઈટન્મૅન્ટ'-ના સમયોમાંથી ગુજરી છે. એ વારાફેરામાં, હૃદયને સ્થાને ચિત્તનો તેમ જ ભાવને બદલે તર્કનો મહિમા વધ્યો છે. આજે, ખાસ તો, પોતાને મૉડર્નિસ્ટમાં ખપાવતા લોકો પોતાની દલીલ જીતવા માટે થાય એટલી જકાજકી કે જીભાજોડી કરીને રહે છે. એમની વિજિગીષા અને એમની જિજીવિષા વચ્ચે કશો ફર્ક નથી બચ્યો હોતો. પણ તર્ક એમ કહે છે કે દરેક દલીલને તોડી શકાય છે બલકે દરેક બૌધ્ધિક જીતને બીજી જ ઘડીએ પછાડી શકાય છે. કેમ કે તર્કશક્તિ જન્મજાત વિજયી ચીજ છે.

આમ્સ્ટર્ડામમાં મારી છ વર્ષની પૌત્રીએ મને હનુમાનજીની મૂર્તિ પાસે હાથ જોડીને બેસેલો ઘણી વાર જોયેલો. એક દિવસ મારી જેમ એણે હથેળીઓ જોડી અને મારી આંખો જેવી બંધ હતી એવી જ એણે પણ કરી. મેં એને કહ્યું ધિસ ઇસ અ પ્રેઅર ટુ ગૉડ. એણે કહ્યું ઓકે, આઈ વિલ્લ, ને ચાલી ગઈ. હમણાં દેશમાં એક વયસ્ક પણ બેફિકર દીકરીને મેં કહેલું કે હું તને 'મનોજવમ્ મારુતતુલ્ય વેગમ્ … શીખવાડીશ. પછી એ વાત મારાથી ભુલાઈ ગયેલી. એણે પણ મને યાદ નહીં કરાવેલું. મને આ બન્ને ઘટનાઓનો આનન્દ છે એટલો અફસોસ નથી. કેમ કે મને શ્રદ્ધા છે કે એક દિવસ એ પૌત્રી અને એક દિવસ એ દીકરી કોઈને ને કોઈને જરૂર પ્રાર્થતી હશે. પ્રારમ્ભે પ્રાર્થના એક આછીપાછી વસ્તુ હોય છે, ક્રમે ક્રમે સંસ્કાર રૂપે વિલસે છે.

નાનપણમાં ગાતા – ઓ ઈશ્વર ભજીએ તને / મોટું છે તુજ નામ / ગુણ તારા નિત ગાઈએ / થાય અમારાં કામ / હેત લાવી હસાવ તું / સદા રાખ દિલ સાફ / ભૂલ કદી કરીએ અમે / તો પ્રભુ કરજે માફ. એક બીજી પ્રાર્થનામાં કહેતા – હે પ્રભુ આનન્દદાતા / જ્ઞાન હમ કો દીજિયે / લિજીયે હમ કો શરણ મેં / હમ સદાચારી બને. બન્ને પ્રાર્થનાઓ મતલબી હતી. કામ થઈ ગયાં, ભૂલો માફ થઈ ગઈ, સદાચારી પણ બની ગયા. આનન્દ પણ મળી ગયો. પણ પછી શું? જીવનમાં પ્રશ્નો તો આવે છે ને જાય છે; કાયમ માટે ચાલી નથી જતા. મતલબ, એક વારની પ્રાર્થના પૂરતી નથી થતી. પ્રાર્થના નિત્ય કરવાની વસ્તુ છે.

નિત્શેએ ઈશ્વરના મૃત્યુની સાંકેતિક વાત કરી એ પછી સાર્ત્ર કામૂ કે સિમૉં દ બુવા જેવાં અનેક મહાન ચિન્તકો આપણને નિરીશ્વરવાદી જોવા મળ્યાં છે. સામાન્ય બૌધ્ધિકો પણ પોતાને નિરીશ્વરવાદી ગણતા-ગણાવતા હોય છે. અસ્તિત્વવાદીઓએ મુખ્યત્વે, મુક્ત ઈચ્છા, ચિન્તા કે આતુરતા કે વ્યાકુળતા, નૈરાશ્ય તેમ જ ઍબ્સર્ડિટી અને તેની સામે જીવનના અર્થની શોધ અને અધિકૃત વ્યક્તિતા જેવા ગહન પ્રશ્નો વિશે ઘણું ગહન ચિન્તન પીરસ્યું છે. પરન્તુ વાત એમ છે કે આ બધા પ્રશ્નો બીજાં અનેકાનેક મનુષ્યો પણ અનુભવે છે. વળી મોટા ભાગની માનવજાત અસ્તિત્વવાદી નથી બલકે ઈશ્વરમાં માને છે. અથવા એમ કહો કે ઈશ્વરનું મૃત્યુ થયું છે એ વાત એમના ગળે નથી ઊતરતી. તો તેનું શું?

તેનો એક ઉત્તર છે, ડૅનિશ ફિલસૂફ કિર્કેગાર્ડ. કિર્કેગાર્ડ આદિ (પહેલા) અસ્તિત્વવાદી છે. પણ તેઓ ઈશ્વરવાદી હતા, આસ્તિક હતા. એમના પછી થઈ ગયેલા નિત્શે વગેરેએ ચર્ચ્યા એ બધા જ પ્રશ્નો એમણે પણ હાથ ધરેલા. પરન્તુ એમના ચિન્તનમાં એમણે શ્રદ્ધાને – ફેઈથને – કેન્દ્રવર્તી મૂલ્ય આપ્યું છે. 'ઈશ્વર નથી' એ જો ચાવીરૂપ સંજ્ઞા છે તો કિર્કેગાર્ડમાં 'ઈશ્વર છે' એ ચાવી રૂપ સંજ્ઞા છે. એમનો 'નાઈટ ઑફ ફેઈથ' શ્રદ્ધાપુરુષ છે. એમણે કરેલી 'પૅશનેટ પૅગન'-ની વાત આ પ્રાર્થનાવિષયક જીવનમૂલ્ય પરત્વે ખૂબ સ્મરણીય છે.

પૅગન એટલે બૂતપરસ્ત અને બહુ-ઈશ્વરવાદી ભગત. જો કે આજકાલ, જે વ્યક્તિ મન્દિર મસ્જિદ નથી જતી તેને પૅગન કહેવાય છે. કિર્કેગાર્ડ પૅશનેટ પૅગન એને કહે છે જે ભલે અમસ્તી મૂર્તિને -ફૉલ્સ આઈડોલને- ભજતો હોય, પણ, એક ટેવને કારણે ચર્ચમાં પ્હૉંચી જતા પેલા કર્મકાણ્ડી ખ્રિસ્તી કરતાં તો એ બંદો જીવન વધારે સારું જીવે છે. એમણે સાગ્રહ કહ્યું હતું કે ઈશ્વરને અભિમુખ રહો અને એ માટે 'લીપ ઑફ ફેઈથ' લો – એટલે કે ખરા-ખોટાની ભાંજગડ છોડો, સફળ થવાય, ન થવાય, ચિન્તા છોડો, ઝંપલાવો.

હું એ ભૂમિકાએ પ્રાર્થનાને સાભિપ્રાય – બરાબર, સમુચિત, યોગ્ય – ગણું છું. પ્રાર્થના ઈશ્વર પાસે કશું માગવા માટે કે કશી ફરિયાદ કરવા માટે નથી. એ તો જાત સાથે બે-ઘડી વાત કરવા માટે છે. એથી ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થવાનો પણ આત્મસાક્ષાત્કાર જરૂર થવાનો છે. પ્રાર્થનાથી માણસને પોતાના ઇષ્ટમાં શ્રદ્ધા બેસે છે એ સાચું છે પણ એથી આત્મશ્રદ્ધા ખાસ વિકસે છે. પ્રાર્થનાકારો એટલું જ કહે છે કે એથી ઊંઘ સારી આવે છે. એથી બીજો દિવસ સારો ઊગે છે. ને સારી ઊંઘ અને સારા દિવસથી વધારે આપણને કશુંક અદકેરું મળી જાય એવું અહીં કશું છે નહીં.

હા, એક સર્જક તરીકે આ માયાવી જગત મને બહુ જ ગમે છે. મને મારે વિશે હમણાં જ સૂઝ્યું કે હું પ્રેમભિક્ષુ છું, ભીખારી નથી. પ્રેમ માટે અંજલિ જરૂર ધરું પણ ભીખ માગવા નહીં. એટલે કોઈ મને દિલોદિમાગથી ચાહે એ જ ગમે ને હું પણ એને એમ ચાહું તો જ ગમે. એવા નગદ પ્રેમભાવની પાર્શ્વભૂ વિના મારાથી કશી કલા સરજાય નહીં. બીજા બધા સ્થાયી ભાવો પ્રેમની આસપાસ આપોઆપ ગોઠવાઈ જવાના. ને એટલે એમાં ઈશ્વરને કે ન-ઈશ્વરને જગ્યા નથી. હું એવા કોઈ ટ્રાન્સન્ડેન્ટલ ગૉડને ભજતો રહું તો મારી આગવી સૃષ્ટિ સરજી શકું નહીં. મને સર્જકજીવને ઈશ્વર જેવું પારગામી કશું પણ પરવડે નહીં. અને મારી કલાને મારા પોતાના મૂળાધાર સિવાયનું કશું ખપે નહીં. ઈશ્વર કે કોઈપણ ગ્રાન્ડ નૅરેટિવ શુદ્ધ સર્જન માટે અનિવાર્ય નથી; ઘણી વાર તો એ જ મોટી અડચણ હોય છે.

પણ, એ સમજો કે મારી ચોપાસનું જગત મને ભીડીને બેઠું હોય છે. પેલું ટ્રાન્સેન્ડેન્ટ છે, તો આ મન્ડેન છે. નર્યું વ્યવહારગ્રસ્ત, સાંસારિક. એ એટલું જ ક્રૂર પણ છે. વળી મારી પાસે મારા હું સિવાયનું કશું છે નથી. ઉપરાન્ત મારા હું-ને હું કદી પૂરેપૂરું પુરવાર કરી શકતો નથી. મારું સત્ય મારી પાસે જ રહી જાય છે. મારી કલા મારી તિજોરીમાં કે મારા આર્કાઇવમાં કે મારા રેઝર્વૉરમાં જ પડી રહે છે. એ મહામૂલા સંચય સાથે જીવી જવાનો આનન્દ હોઈ શકે છે. એના સત પર ખડા રહીને, સ્વશરણે રહીને, જીવી જવાય છે, એની ના નથી.

તેમ છતાં, મને ચૅન ન પણ પડે, બધું અક્કારું થઈ પડે; ઍબ્સર્ડિટી મારો પીછો ન છોડે, નૈરાશ્ય મને ચૉંટેલું રહે; નાસીપાસી વળગેલી રહે, કશી સાતા ન પણ વળે. કશો કરાર ન પણ વળે. તો હું કશા અમૂર્તને પ્રાર્થું તો એથી મારો કશો મહા ક્ષય નથી થઈ જતો. ને ત્યારે મને રવીન્દ્રનાથ-સરજિત પ્રાર્થના ગાવાનું મન થઈ જાય છે :

અંતર મમ વિકસિત કરો અંતરતર હે
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુન્દર કરો હે
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે
મંગલ કરો, નિરલસ નિ:સંશય કરો હે
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બન્ધ
સંચાર કરો સકલ કર્મે શાન્ત તોમાર છન્દ
ચરણપદ્મે મમ ચિત્ત નિસ્પન્દિત કરો હે
નન્દિત કરો, નન્દિત કરો, નન્દિત કરો હે

= = =

(૧૫ ઑક્ટોબર ૨૦૧૯)

Loading

...102030...2,6452,6462,6472,648...2,6602,6702,680...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved