Opinion Magazine
Number of visits: 9576603
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત : પક્ષપલટુઓને પાઠ

કેયૂર કોટક|Opinion - Opinion|24 October 2019

ગુજરાતમાં આ વર્ષે દિવાળી અગાઉ જ કૉંગ્રેસનાં હેડક્વાર્ટર બહાર ફટાકડાં ફૂટશે એ નક્કી થઈ ગયું છે. આ લખી રહ્યો છું ત્યારે ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયાં છે. આ પરિણામો ભા.જ.પ. અને કૉંગ્રેસ બંને માટે ચોંકાવનારા છે. ભા.જ.પ.ને અનપેક્ષિત અને આઘાતજનક આંચકો લાગ્યો છે, તો કૉંગ્રેસને સુખદ આંચકા સાથે રાહત મળી છે. અમરાઈવાડી, રાધનપુર, થરાદ અને બાયડની ચાર બેઠકો પર કૉંગ્રેસનાં ઉમેદવારો વિજય સરઘસની તૈયારી કરી રહ્યાં છે. આ પેટાચૂંટણીઓનાં પરિણામો સ્વસ્થ લોકશાહીમાં માનતા તટસ્થ મતદાતાઓ માટે આશાનાં કિરણ સમાન છે. વળી, રાધનપુર અને બાયડની બેઠકનાં પરિણામો પક્ષપલટુઓ અને એમને પ્રોત્સાહન આપનાર પક્ષો માટે લાલબત્તી સમાન છે.

આપણે જાણીએ છીએ કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલાને ભા.જ.પે. ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતાં. આ બંને યુવા નેતાઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનાં ઉમેદવારો તરીકે મેદાનમાં હતા. એ વખતે રાધનપુરમાં અલ્પેશ ઠાકારનો ૧૪,૮૫૭ મતે અને બાયડમાં ધવલસિંહ ઝાલાનો ૭,૯૦૧ મતે વિજય થયો હતો. પણ પછી નાની ઉંમરે એકાએક પ્રાપ્ત થયેલી સફળતાનાં નશામાં આ બંને નેતાઓ વધારે સત્તાની લાલચમાં ભા.જ.પ.ને ભેટી પડ્યા હતા. જે કૉંગ્રેસે એમને મંચ પ્રદાન કર્યો એ જ પક્ષની સાથે એમણે વિશ્વાસઘાત કર્યો. આ બંને નેતાઓમાં એટલી સમજણ નહોતી કે જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ચૂંટણી થાય છે, ત્યારથી ગુજરાતના મતદારોનું પણ કટ્ટર ધ્રુવીકરણ થઈ ગયું છે. મતદારો મોટા ભાગે બે પક્ષો વચ્ચે વહેંચાઈ ગયા છે અને એમની વિચારસરણીમાં ફેરફાર થવાનો અત્યંત ઓછો અવકાશ છે. ભા.જ.પ.નાં મતદારો હવે આંખો મીંચીને ભા.જ.પ.ને જ મત આપે છે અને કૉંગ્રેસના મતદારો કૉંગ્રેસને જ. યુવા મતદારોનો ઝુકાવ પણ વધતાઓછા અંશે ભા.જ.પ. તરફ છે. આ કારણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પછી બે વર્ષથી ઓછા ગાળામાં જે તે બેઠકોનાં મતદાતાઓની માનસિકતામાં પરિવર્તન થાય એવી શક્યતા અત્યંત ઓછી હતી. આ સંજોગોમાં, પક્ષપલટો કરવાનો અર્થ તમારાં કાયમી મતદાતાઓ સાથે છેતરપિંડી કરવા સમાન બની રહ્યો.

મોટાં ભાગનાં રાજકીય વિશ્લેષકો ભા.જ.પ.ની સામ, દામ, દંડ અને ભેદની નીતિને અને ‘ચાણક્ય’ અમિત શાહની વ્યૂહરચનાને કારણે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો વિજય નિશ્ચિત માનતા હતા. જો કે, પેટાચૂંટણી અગાઉ બાયડ અને મોરબીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભા.જ.પ.ના મોટા ભાગના મતદારો જ આ બંને નેતાઓને સ્વીકારવાનાં મૂડમાં નહોતા. વળી, આ બંને બેઠકો પર ભા.જ.પ.ના સ્થાનિક નેતાઓમાં પણ ભારે નારાજગી છે. એટલે તેમણે આ બંને નેતાઓ હારી જશે એવી ધારણા વ્યક્ત કરી હતી. સાથે સાથે ગુજરાતના તમામ જાગૃત મતદાતાઓની નજર પણ આ બંને નેતાઓની હારજીત પર હતી. સ્વસ્થ લોકશાહીમાં માનતા ગુજરાતી નાગરિકો આ બંને યુવાનોને પ્રજા બોધપાઠ શીખવે એવું ઇચ્છતાં હતાં. તેમની ઇચ્છા ફળીભૂત થઈ છે. ચૂંટણીનાં પરિણામોએ ગુજરાતના જાગૃત નાગરિકોની સ્વસ્થ લોકશાહીની આશાને જીવંત રાખી છે. આ બંને બેઠકોની પ્રજાએ પક્ષપલટુ નેતાઓ સાથે ભારતનાં રાજકીય પક્ષોને શીખ આપી છે કે  પ્રજાની યાદશક્તિ નબળી જરૂર છે, પણ પ્રજા બહુ ઝડપથી બધું ભૂલી જાય છે એવી અપેક્ષા રાખવી મૂર્ખામી છે.

(બપોરના બે,  ૨૪-૧૦-’૧૯)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 02

Loading

શિક્ષણની દુકાનોમાં પણ મંદીનો માહોલ !

મનીષી જાની|Opinion - Opinion|23 October 2019

આ વર્ષે, આપણા ગુજરાતમાં, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થયેલી તલાટીઓની ભરતીમાં જેનાં માટે 12 ધોરણ પાસની લાયકાત માંગવામાં આવી હતી, તે પરીક્ષામાં પાસ થઈ 84 ડિગ્રીધારી એન્જિનિયરોએ તલાટીની આ નોકરી સ્વીકારી !

જે નોકરીમાં માસિક પગાર છે 19,500 રૂપિયા. આજના મોંઘવારીના સમયમાં પાંચ વ્યકિતના પરિવાર માટે માસિક 19,500 રૂપિયા, માત્ર ને માત્ર બે ટંક ભરપેટ ખાવાથી વિશેષ કંઈ આપી શકવા સક્ષમ નથી જ.

ઉચ્ચ શાળા શિક્ષણમાં ઊંચા ગુણ સાથે પાસ થાવ તો એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મળે અને એ પણ ભારે ફી અને ભણતરના અનેકાનેક ખર્ચાઓ સાથે. અને પાંચેક વર્ષ ભણ્યા બાદ એન્જિનિયરિંગના જે વિષયમાં નિપુણ બન્યા પછી ફક્ત કોઈ એક ગામના પંચાયતના કામકાજના હિસાબ કિતાબ સંભાળવાની નોકરી સ્વીકારવી જે તે યુવાન માટે કેવી અને કેટલી મજબૂરી ગણવી ?

છેલ્લાં 45 વર્ષમાં શિક્ષિતોની સૌથી વધુ બેરોજગારી અત્યારે જોવા મળી રહી છે તેનું પ્રતિબિંબ પણ આ તલાટીની નોકરીની ભરતીમાં જોઈ શકાય છે.

અને તાજેતરમાં જ કારકુનોની નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ સરકારે જે ફેરવી તોળવાનું નાટક કર્યું તે હાસ્યાસ્પદ તો છે જ, તે ઉપરાંત કોઈપણ પ્રકારના લોકલક્ષી નિર્ણયો લેવાની બેદરકારી કે યુવાનોની બેરોજગારી તરફ નિષ્ઠુરતા દાખવવાની વાત જ સ્પષ્ટપણે ઊભરી આવે છે.

કારકુન માટેની સચિવાલય સિવાયની 3,771 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે 12 ધોરણ પાસની લાયકાત ધરાવતા 10.45 લાખ યુવાનોએ અરજી કરી હતી અને એ પરીક્ષાના દસ દિવસ પહેલાં સરકારે એકાએક નિર્ણય જાહેર કર્યો કે 'આ સ્પર્ધાત્મક પરીક્ષા રદ્દ કરવામાં આવે છે અને હવે તે પરીક્ષામાં બેસવા માટેની લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ કક્ષાની હોવી જોઈએ તે રીતે ફરીથી તેની જાહેરાત થશે !'

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તડામાર તૈયારીઓ કરીને બેઠેલા 10.45 લાખ યુવાનોની આશા પર એક કલમના ઘસરકે પાણી ફેરવી દેવાની વાત આજના મોંઘવારીને બેકારીના સમયમાં કેટલી યોગ્ય ગણવી રહી ?

જે 'ગતિશીલ' સરકારમાં 21માંથી 7 પ્રધાનો 12 ધોરણ ય પાસ ના હોય એ સરકાર ખાસ કોઈ કારણ જણાવ્યા વિના એકાએક આવો નિર્ણય માથે મારે, ત્યારે યુવાનોમાં ગુસ્સો-નારાજગી વ્યાપક પ્રમાણમાં ઊભાં થાય એ સ્વાભાવિક છે.

આ ગુસ્સો અને ચાલી રહેલા પેટા ચૂંટણીઓના પ્રચારને ધ્યાનમાં લઈ આ નિર્ણયને ચાર દિવસમાં સરકારે પાછો ખેંચી લઈ, પારોઠના પગલાં ભરી જે તે પરીક્ષાને ચાલુ રાખી.

પણ સવાલ તો એ થાય કે આવો, બાર ધોરણમાંથી બદલીને ગ્રેજ્યુએટની લાયકાત નક્કી કરવાનો અમાનવીય નિર્ણય કરવાની ફરજ સરકારને કેમ પડી ?

સરકારે તો અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી, ગળે ઉતરે એવું કોઈ ખાસ કારણ પણ કારકુનની કામગીરી માટે બાર ધોરણ પૂરતું નથી જ એવું સરકાર આપી શકી.

આ નિર્ણયનાં મૂળમાં જોઈએ તો એક તો સરકારી ખાતાઓમાં ખાસ નોકરીઓ છે જ નહીં, કોન્ટ્રાક્ટ કે ફીક્સ પગારથી જ નોકરીઓની ભરતી થાય છે અને બીજી બાજુ શિક્ષિત બેકાર યુવાનોની ફોજ મોટીને મોટી થતી જાય છે. એન્જિનિયરિંગનું ભણેલાથી માંડી ફાર્મસી ભણેલાને તમામ પ્રકારના ગ્રેજ્યુએટ અને પી.એચડી. થયેલા પણ પંદર-વીસ હજારની નોકરી માટે વલખાં મારતાં હોય તો તે બધાંને નોકરીની આશાએ, કોણીએ ગોળ લગાડીને બાંધી રાખવા હોય તો આ એક માત્ર રસ્તો છે કે જ્યાં 12 ધોરણ પાસની જરૂર હોય ત્યાં ગ્રેજ્યુએટ પાસની લાયકાતનું ધોરણ કરી નાંખો !

કોઈ કહેશે કે પણ તેનાથી જે બેકારો છે તેની સંખ્યા ખાસ ઘટવાની નથી, સરકારને તેમાંથી શું ફાયદો ?

સીધી વાત એટલી જ છે કે 120 ધોરણથી આગળ નહીં ભણી શકનારા મહદ્દ અંશે મહેનતકશ ગરીબ વર્ગોમાંથી, ખાસ કરીને દલિત, આદિવાસી અને પછાત વર્ગોના યુવાનો જ છે. જેમનાં મા-બાપ મજૂરી કરનારા છે યા તો સીમાંત ખેડૂતો છે યા નાની અમથી સ્વરોજગારી પર જીવનારા છે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે નાણાં ને 4-5 વર્ષ વધુ ભણવા માટે તેમની પાસે કમાણી કર્યા વિનાનો સમય પણ નથી.

આ ગરીબ પરિવારોના યુવાનો જેમાંથી મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. જેમનો અવાજ સંગઠિત બની તાકાતવાળો બનાવવાની સંભાવના ઓછી છે, થાકી હારીને રોજની મજૂરી કે છૂટક મજૂરી કે સ્વરોજગારથી પોતાનું ફોડી લેવા ફાંફાં માર્યા કરશે, કંગાળ જિંદગી જીવી લેશે એવો સરકારને 'ભરોસો' છે. એટલે સરકારને તેમનામાં રસ નથી.

જે ગ્રેજ્યુએટ થયેલાં છે તે નિમ્ન કે મધ્યમવર્ગનાં પરિવારોમાંથી આવનારા છે, મહદ્દ અંશે નાનાં કે મોટાં શહેરોમાં વસનારા છે. તેમની પાસે કોઈ નાના મોટા ઉદ્યોગ ઊભા કરવા માટે મૂડી નથી યા સરકારની એવી કોઈ વ્યવસાયલક્ષી યોજનાઓ નથી, બેંકોમાંથી ઓછા વ્યાજ દરે નાણાં મેળવવા આજ કાલ સંભવ નથી.

હવે મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ બજાર અને સરકાર પર કબજો ધરાવે છે અને આ કોર્પોરેટ ક્ષેત્રમાં, ખાનગી નોકરીઓમાં પારાવાર શોષણ છે. ઓછા પગાર અને દસ -બાર- ચૌદ કલાકની નોકરી એ આજની વાસ્તવિકતા છે અને એ જ વાત 84 ડિગ્રીધારી એન્જિનિયરોને ગામડાંમાં રહેવાની તલાટીની નોકરી સ્વીકારવાની ફરજ પાડે છે.

આ નિમ્ન યા મધ્યમવર્ગના અને જેમાં મોટા ભાગે કહેવાતી સવર્ણ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે તેઓ ગરીબો કરતાં વધારે વાચાળ છે. સંગઠિત આક્રોશ એક યા બીજી રીતે ઠાલવવાની ક્ષમતા ધરાવે છે અને એટલે જ સરકારને તેમનાં તરફથી કોઈ સંગઠિત વિરોધનો અવાજ ઊભો ના થાય તેની ફિકર છે.

આ 'શિક્ષિત બેકારો'ને પોતાના દાબમાં રાખવા, તેમની લાલચ જીવતી રાખી અને વૈચારિક રીતે દિશાહીન બનાવવા સિવાય બીજો કોઈ રસ્તો સત્તાધીશો માટે નથી.

અને એટલે જ સામાન્ય કારકુનની જગ્યાઓ માટે ધોરણ 12 ને કાઢી ગ્રેજ્યુએટનું કરી નાંખે તો જેમને ચાળણીમાં ચાળી નાખવા છે તે ચળાઈ જાય અને જેમને નોકરીની આશા-લાલચ-સંભાવનામાં રમતાં રાખવા છે તેમને રાખી શકાય.

વળી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમાં લાખો યુવાનો 2-4 હજાર જગ્યાઓ માટેની દોડમાં આંખો મીંચીને દોડ્યા કરે છે, તેમની પાસેથી તગડી ફી પણ વસૂલ કરે છે એ ઉપરાંત આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ખાનગી કોચિંગ ક્લાસ અને ગાઈડ-પુસ્તકોનો ધંધો પણ ઘણો મોટો છે.

આ બધાં જ સ્થાપિત હિતો ભેગાં મળી નોકરીઓ માટે રમાડવાનો ખેલ ચાલુ રાખી પોતાના સ્વાર્થ સાધવા તત્પર રહે અને સરકાર પણ તેમાં સહયોગ આપે તે આજની બજારવ્યવસ્થાના ભાગ તરીકે ય આપણે જોવું જોઈએ.

અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે છેલ્લાં વીસેક વર્ષમાં દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની ખાનગી દુકાનો બેફામપણે ખોલી દેવાની છૂટ સરકારે આપી દીધી છે .છેલ્લા બે દાયકામાં જાતભાતની ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોની ભરમાર ઊભી થઈ છે.

જેમ જેમ સરકારી નોકરીઓ ઘટતી ગઈ અને તે મેળવવા સ્પર્ધાઓ વધતી ગઈ, બેકારી વધતી ગઈ એમ એમ આ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ અને તે પણ તગડી ફી સાથેની વધતી ગઈ !

પોતાના સંતાનોને સારી નોકરી મળી જાય એવી આશાએ નિમ્ન અને મધ્યમવર્ગના પરિવારોએ પેટે પાટા બાંધીને પણ ભારે ખાનગી ફીઓ ભરીને નવા નવા વ્યાવસાયિક કોર્સોમાં સંતાનોને દાખલ કરાવ્યા.

અને આજે હવે લાખો યુવાનોની બેકારી એ આ ઉચ્ચ શિક્ષણ પણ નોકરી મેળવવા નકામું છે, તેનાથી નોકરીઓ મળતી નથી એવી ઘેરી હતાશા સમાજમાં ઊભી થઈ રહી છે.

આ વર્ષે ઉચ્ચ શિક્ષણની કોલેજોમાં ખાસ કરીને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં 60%થી વધુ સીટો ખાલી પડી રહી છે તેનાં આંકડા ચોંકાવનારા છે.

એન્જિનિયરિંગ ની બી.ઈ. ડિગ્રી માટે આ વર્ષે 33,028 સીટો ભરાઈ અને 40,317 સીટો ખાલી પડી રહી! જ્યારે અનુસ્નાતક કક્ષાની એમ.ઈ. અને એમ.ટેક. ડિગ્રી માટેની 2,821 સીટો ભરાઈ ને તેનાથી બે ગણી કહી શકાય એટલી 4,834 સીટો ખાલી રહી. ફાર્મસીની ડિગ્રી માટેની 3,316 સીટો ભરાઈ અને 2,917 ખાલી રહી. એમ.બી.એની 7,418 સીટો પર પ્રવેશ લેવાયો અને 3,223 ખાલી રહી. એમ.સી.એ.માં 643 સીટો ભરાઈ અને 4,495 જેટલા મોટા પ્રમાણમાં ગુજરાતની કોલેજોમાં કોઈ એડમિશન લેનાર ના નીકળ્યું. હોટેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટના કોર્સીસ માં 151 જગ્યાઓ ભરાઇ અને 346 જગ્યાઓ ખાલી પડી રહી!

એટલે કે આ પ્રકારના સીધા વ્યવસાય સાથે જોડાયેલા અભ્યાસક્રમોમાં આ વર્ષે કુલ 64,448 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો અને મંજૂરી અપાયેલી કોલેજોની 93,788 જેટલી સીટો ખાલીખમ રહી.

ગુજરાતમાં આ પ્રકારની સરકારી અને ખાનગી કોલેજોની કુલ મળીને 60% જેટલી સીટો ખાલી રહે તે હવે વ્યાવસાયિક અભ્યાસક્રમો ભણવાથી પણ નોકરીઓ નથી મળતી અને નાણાંની બરબાદી થાય છે એવું હવે સમાજમાં સમજાઇ રહ્યું છે તેની આ નિશાની છે, એ વાતને સૂચવનારી છે.

પણ સાથે સાથે અણઘડ આયોજન કરી, ગુજરાતના વિદ્યાર્થીઓનું ક્યાં હિત છે, ક્યાં અહિત છે તેની પરવા કર્યા વિના, તેના વિશે કોઈ નક્કર દિશાદર્શક વિચારણા વિના શિક્ષણનો ધંધો કરનારા હિતોના મેળમિલાપમાં તેને વશ થઈ, વિદ્યાર્થીઓના નાણાં ખંખેરી લઈ, નોકરીઓનાં ગુલાબી સપનાં દેખાડી સરકારે જે સમાજદ્રોહ કર્યો છે, તેને ભાવિ પેઢી સુસ્પષ્ટપણે જોઈ શકશે, સમજી શકશે એવું માનવું રહ્યું.

ગુજરાતમાં, કોલેજોમાં 93 હજાર જેટલી ભણતરની સીટો ખાલી રહે એનો અર્થ એ પણ કે જે તે કોલેજોમાં નિયુક્ત થયેલા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફની નોકરીઓ પણ જોખમમાં આવી ગઈ ! મંદીનું મોજું ભલભલા પરિવારોને તારાજ કરી નાંખે છે અને આવાં ગંભીર વાતાવરણમાં જ્ઞાનનો પ્રકાશ આ દિવાળીએ ક્યાં ય કામમાં આવશે કે નહીં એ પ્રશ્નાર્થ રહે છે.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 23 ઓક્ટોબર 2019

Loading

મારું મૃત્યુ પામેલું અંતઃકરણ

મૂળ કવયિત્રી રશ્મિ ત્રિવેદી [અનુવાદ : ભદ્રા વડગામા]|Opinion - Opinion|23 October 2019

 

ઘોર રાત્રિના અંધકારમાં ક્યારેક હું મારા અંતઃકરણની મુલાકાત લઉં છું
જોઉં તો ખરી કે એ હજુ શ્વાસ લે છે કે નહીં!
કેમ કે એ ધીરે ધીરે હર દિન એ
મૃત્યુ તરફ સરકી રહ્યું છે.

કોઈ કિંમતી રેસ્ટોરન્ટમાં મારા ભોજનનું બિલ ચૂકવું છું,
એ રકમ દરવાજે ઊભેલા ચોકીદારનો મહિનાનો પગાર
કદાચ હોઈ શકે.
અને એ વિચારને હું જલદીથી ખંખેરી નાખું છું,
ત્યારે એ થોડું ક મૃત્યુ પામે છે.

કાછિયા પાસેથી શાકભાજી ખરીદું છું
અને તેનો દીકરો "છોટુ" જ્યારે હસતે ચહેરે
બટેટાં તોળીને મને આપે છે –
છોટુ, નિશાળે જવાની ઉંમરના છોકરાને જોઈ
હું નજર ફેરવી નાખું છું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

અત્યંત કિંમતી ડ્રેસ પહેરી હું બહારે જઉં છું
અને રસ્તાને ખૂણે ચીંથરેહાલ કપડાંમાં પોતાની જાતને
ઢાંકવાનો મિથ્યા પ્રયત્ન કરતી સ્ત્રીને જોઈ
હું મારી ગાડીનો કાચ ઊંચો ચડાવી દઉં છું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

બાળકોના જન્મદિવસે તેમના માટે હું મોંઘી ભેટો ખરીદું છું;
પાછાં વળતાં ટ્રાફિકની લાલ લાઈટે અર્ધ-નગ્ન ભૂખ્યાં-તરસ્યાં કોરી આંખોવાળાં 
બાળકોને રમકડાં વેંચતાં જોઉં છું,
અને મારા મનને મનાવવા થોડાં રમકડાં ખરીદી પણ લઉં છું
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

મારી બીમાર કામવાળી તેની દીકરીને સ્કૂલે જવાને બદલે
મારે ત્યાં કામે મોકલે છે, અને હું જાણું છું મારે તેને રજા આપવી જોઈએ,
પણ 'સિન્ક'માં પડેલાં એઠાં વાસણોનો ઢગલો જોઉં છું,
અને મનને મનાવું છું કે એકાદ-બે દિવસની જ વાત છે ને,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

મારા પુત્રને પાર્ટીમાંથી મોડા ઘેર આવવાની હું છૂટ આપું છું
પણ મારી પુત્રી પૂછે ત્યારે 'સલામત નથી’ કહી એને નકારી પાડું છું
અને એ જ્યારે કહે કે 'શા માટે?' અને હું ઊંચે સાદે એને વઢું છું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

કોઈ બાળક પર બળાત્કાર કરવામાં આવે કે તેનું ખૂન થાય,
હું ગ્લાનિ અનુભવું, પણ પ્રભુનો પાડ માનું કે એ મારું બાળક નહોતું,
અને અરીસામાં મારી જાતને જોતાં અચકાઉં,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

લોકો ધર્મ, નીતિ કે રંગભેદ માટે ઝઘડે,
મારું દિલ ઘવાય અને હું લાચાર બની જઉં ,
મને લાગે કે મારા દેશનો સત્યાનાશ થઇ રહ્યો છે;
હું કપટી રાજકારણીઓને દોષ દઈ,
અને એ પ્રત્યેની મારી કોઈ પણ જવાબદારી ન હોવાનું માનું,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

મારા શહેરની ઝેરી ગેસોથી ભરેલી હવામાં
શ્વાસ લેવાનો પણ ખતરો હોય,
ત્યારે હું હું દરરોજ મારી કારમાં કામે જઉં છું
ન તો લઉં છું બસ કે ન ટ્રેઈન, કે ન તો આપું છું કોઈને લિફ્ટ,
અને વિચારું છું કે એક કારથી શું ફરક પડવાનો છે,
ત્યારે એ થોડુંક મૃત્યુ પામે છે.

એટલે જ્યારે ઘોર રાત્રિના અંધકારમાં, હું મારા અંતઃકરણની મુલાકાત લઉ છું,
અને જોઉં છું કે એ હજુ પણ શ્વાસ લઈ રહ્યું છે,
ત્યારે હું નવાઈ પામું છું
કેમ કે હું મારા પોતાના હાથે,
દરરોજ એને થોડું થોડું મારી રહી છું, દાટી રહી છું.

My Dying Conscience : A poem by Rashmi Trivedi [from Delhi]

25 September 2019

                                       *****

MY DYING CONSCIENCE      • Rashmi Trivedi [from Delhi]

Sometimes in the dark of the night
I visit my conscience
To see if it is still breathing
For its dying a slow death
Every day.
When I pay for a meal in a fancy place
An amount which is perhaps the monthly income
Of the guard who holds the door open
And quickly I shrug away that thought
It dies a little
When I buy vegetables from the vendor
And his son "chhotu" smilingly weighs the potatoes
Chhotu, a small child, who should be studying at school
I look the other way
It dies a little.
When I am decked up in a designer dress
A dress that cost a bomb
And I see a woman at the crossing
In tatters, trying unsuccessfully to save her dignity
And I immediately roll up my window
It dies a little
When at Christmas I buy expensive gifts for my children
On return, I see half clad children
With empty stomach and hungry eyes
Selling Santa caps at red light
I try to salve my conscience by buying some, yet
It dies a little
When my sick maid sends her daughter to work
Making her bunk school
I know I should tell her to go back
But I look at the loaded sink and dirty dishes
And I tell myself that is just for a couple of days
It dies a little
When I give my son the freedom
To come home late from a party
And yet when my daughter asks
I tell her it is not safe
I raise my voice when she questions why
It dies a little
When I hear about a rape
or a murder of a child,
I feel sad, yet a little thankful that it's not my child
I can not look at myself in the mirror
It dies a little
When people fight over caste creed and religion
I feel hurt and helpless
I tell myself that my country is going to the dogs
I blame the corrupt politicians
Absolving myself of all responsibilities
It dies a little
When my city is choked
Breathing is dangerous in the smog ridden Delhi
I take my car to work daily
Not taking the metro, not trying car pool
One car won't make a difference, I think
It dies a little
So when in the dark of the night
I visit my conscience
And find it still breathing
I am surprised
For, with my own hands
Daily, bit by bit, I bury it.

Loading

...102030...2,6432,6442,6452,646...2,6502,6602,670...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved