Opinion Magazine
Number of visits: 9684074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 22

દીપક મહેતા|Opinion - Opinion|14 December 2019

ટ્રામ, ભાંગ વાડી, એડવર્ડ થિયેટર, કે ખાદી ભંડાર,

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

આજે આપણે એક સગાને ઘરે જવાનું છે. કોના સગા? તમારા, મારા, આપણા સૌના. પણ આજકાલના નહિ હોં, લગભગ ૭૦-૮૦ વર્ષ પહેલાંના મુંબઈમાં વસતા ભગવાનદાસ કાકાને ત્યાં જઈએ. કાલબાદેવી રોડ પરના ગોવિંદ નિવાસ નામના ચાર માળના મકાનમાં ચોથે માળે રહે છે ભગવાનદાસ કાકા અને તેમનું ૮ જણનું કુટુંબ. પણ જશું કઈ રીતે? બસમાં ય જવાય, પણ બસ તો મોંઘી, પૈસાદારને પોસાય એવી. આપણું કામ નહિ. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા એવું કરવું હોય તો ટ્રામમાં જ જઈએ.

મુંબઈની ટ્રામ

ટ્રામ એ મુંબઈનું પહેલવહેલું લોકશાહી વાહન. ૧૮૭૪ના મે મહિનાની નવમી તારીખે મુંબઈમાં પહેલવહેલી ટ્રામ દોડતી થઈ. જો કે એને ઘોડા ખેંચતા હતા. એ વખતે તેના માત્ર બે જ રૂટ હતા : એક, કોલાબાથી પાયધૂની, અને બીજો, બોરીબંદરથી પાયધૂની. પછી આવ્યું ૧૯૦૭નું વરસ. ઘોડાની ટ્રામ બંધ થઈ અને દોડવા લાગી ઇલેક્ટ્રિક ટ્રામ, એ વર્ષના મે મહિનાની સાતમી તારીખથી. પહેલાં તો એક માળવાળી અને એક ડબ્બાની જ ટ્રામ હતી. પછી બે ડબ્બાની ટ્રામ આવી. અને પછી ૧૯૨૦ના સપ્ટેમ્બરમાં આવી બે માળવાળી ટ્રામ. તો આપણે આવી બે માળવાળી ટ્રામમાં જ જઈએ, ઉપલે માળે સૌથી આગલી સીટ પર બેસીને. આ આવ્યો ખાખી યુનિફોર્મ પહેરેલો કંડક્ટર પંચિંગ મશીન ખખડાવતો. ટ્રામની ટિકિટને ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં એ ન્યાય લાગુ પડે. કોલાબાથી કિંગ્સ સર્કલ જવું હોય તો ટિકિટ એક આનો, બે સ્ટેન્ડ પછી ઊતરી જવાના હો તો પણ ટિકિટ એક આનો. બાર વરસથી ઓછી ઉંમરના માટે અડધો આનો, એટલે કે બે પૈસા, એટલે કે એક ઢબુ. ૧૬ આનાનો એક રૂપિયો. એક આનાના ચાર પૈસા. એક પૈસાની ૧૨ પાઈ. લો, ખિસ્સામાંથી કાઢીને હું જ આપી દઉં છુ ભાડું. બદલામાં મળી સફેદ રંગની નાનકડી ટિકિટ. ક્યાં જવું છે એ કહ્યું એટલે ટિકિટના બે આંકડા પર પંચ વડે કાણાં પાડ્યાં. પહેલું, ક્યાંથી બેઠા, બીજું ક્યા ઊતરવાના એ બતાવવા માટે. ટ્રામનાં કુલ ૪૦ સ્ટેન્ડનાં નામ પણ ટિકિટ પર છાપેલાં છે. વળી એક બીજી સગવડ પણ છે, ટ્રાન્સફર ટિકિટની. અમુક અમુક જગ્યાએ ટ્રામના બે રૂટ ભેગા થતા હોય. ત્યાં તમે એક રૂટની ટ્રામમાંથી ઊતરીને બીજા રૂટની ટ્રામમાં બેસી શકો, નવી ટિકિટ લીધા વગર. બે માળવાળી ટ્રામના બંને માળ પર એક એક કંડક્ટર. પાછલા ભાગમાં ઉપર ચડવા માટેનાં પગથિયાં. ટ્રામની બંને બાજુ ડ્રાઈવર માટેની જગ્યા. તેની બાજુમાં જ ચડવા-ઊતરવાની જગ્યા. ખાખી કપડાં અને લાંબા લાલ ફૂમતાવાળો સાફો પહેરેલો ડ્રાઈવર. સામે બે જુદી જુદી જાતનાં હેન્ડલ. જરૂર પ્રમાણે ઘૂમાવતો જાય. ઝડપની વધ-ઘટ કરે, વળાંક હોય ત્યાં ટ્રામને ધીમેથી વાળે. આગળ પાટા પર કોઈ માણસ કે બીજું કોઈ વાહન દેખાય તો પગથી ઘંટડી વગાડી તેને ચેતવે. પેસેન્જરને ચડવા-ઊતરવા સ્ટેન્ડ પર ટ્રામ થોભાવે. કંડક્ટર બે ઘંટડી મારે પછી જ ડ્રાઈવર ટ્રામ ચાલુ કરી શકે. ચાલતી ટ્રામે પણ ગમે ત્યારે કંડક્ટર એક ઘંટડી મારે તો તરત ટ્રામ ઊભી રાખે. દિવાળી અને બીજા કેટલાક તહેવારોમાં વીજળીના દીવાઓથી શણગારેલી ટ્રામ પણ સાંજ પછી ફરે, પણ ખાલી. તેમાં પેસેન્જર ન બેસી શકે. માત્ર રોશની જોઇને રાજી થવાનું.

એક આનાની ટ્રામની ટિકિટ

ટ્રામમાં બેસીને બંને બાજુનો નઝારો જોવાની મજા પડી ને? આ આવ્યું આપણે ઊતરવાનું સ્ટેન્ડ, ધોબી તળાવ. પહેલાં અહીં મોટું તળાવ હતું જ્યાં ધોબીઓ કપડાં ધોવા આવતા. એટલે એવું નામ પડેલું. વખત જતાં તળાવ પૂરાઈ ગયું, પણ નામ રહી ગયું, ધોબી તળાવ. ટ્રામમાંથી ઊતરીને આપણે કાલબાદેવી રોડ પર જવાનું છે. અહીં આવેલા કાલબાદેવીના મંદિર પરથી આ રોડનું નામ પડ્યું છે. કહે છે કે પહેલાં આ મંદિર માહિમ ખાતે હતું. પણ ૫૦૦ વર્ષ સુધી તેની મૂર્તિનાં દર્શન કોઈને કરવા દેતા નહોતા. પછી ત્યાંથી મંદિર અહીં આવ્યું. પણ પછી જ્યારે ટ્રામ શરૂ થઈ ત્યારે તેના પાટા નાખવા માટે થઈને એ મંદિર સરકારે તોડ્યું, પણ તેના બદલામાં નવું મંદિર બાંધવાનો બધો ખર્ચ સરકારે આપ્યો. ટ્રામના પાટા રસ્તાની વચ્ચોવચ. એટલે ઊતરતી વખતે જરા ધ્યાન રાખવાનું. બીજા કોઈ વાહનની હડફેટે ચડી ન જઈએ તેનું. જો કે હજી મોટરો તો બહુ ઓછી. વિક્ટોરિયા કહેતાં ઘોડાગાડી ખરી. તો ય થોડું ધ્યાન રાખવું સારું.

એડવર્ડ થિયેટર

ભાંગવાડી – હાથી રહ્યો, થિયેટર ગયું

ચાલો, હેમખેમ ફૂટપાથ પર આવી ગયા. જરા આગળ જુઓ : ફુર્તાડો મ્યુઝિકની દુકાન. છેક ૧૮૬૫માં શરૂ થયેલી. ભગવાનદાસ કાકાનો મોટો દીકરો શિવલાલ ઘણી વાર આ દુકાનની બહાર ઊભો રહી અંદરના મોટા મોટા પિયાનો જોયા કરે અને મનમાં વિમાસે : આવું મસ મોટું વાજિંત્ર વગાડતા કઈ રીતે હશે? હવે જુઓ, આ એડવર્ડ થિયેટર. ૧૯૧૪માં બંધાયેલું. મુંબઈનાં પાંચ જૂનામાં જૂનાં થિયેટરમાંનું એક. જરા આગળ ચાલીએ એટલે આવે ભાંગવાડી થિયેટર. મુંબઈની ગુજરાતી રંગભૂમિનું પિયર. દર શનિ-રવિવારે સાંજે નાટકનો ખેલ શરૂ થાય તે સવારે ત્રણ-ચાર વાગ્યે પૂરો થાય. નાટકમાં દસ-બાર ગીત, અને દરેક ગીતને બે-પાંચ વન્સ મોર તો મળે જ. ભગવાનદાસ કાકા  અવારનવાર અહીં નાટકો જોવા આવે. ઈન્ટરવલમાં ફેરિયા થિયેટરની અંદર આવી ખારા કાજુ ને પિસ્તાંનાં પડીકાં ચાર-ચાર આને વેચે તેમાંથી બે પડીકાં લે. એક પોતે ખાય, બીજું ઘરે લઈ જાય. જયશંકર સુંદરી, માસ્ટર કાસમભાઈ, અશરફખાન, વગેરે નટના ચાહક. પણ ભગવાનદાસ કાકા  ઓળઘોળ થઈ જાય તે તો ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’વાળાં મોતીબાઈ પર.

કાલબાદેવી મંદિર

કાલબાદેવી એટલે એક મોટું બજાર. રસ્તાની બંને બાજુ જાતભાતની દુકાનો. આ જ રસ્તા પર આવ્યો છે શુદ્ધ સ્વદેશી ભંડાર. ૧૯૧૯ના જૂનની ૧૮મી તારીખે મહાત્મા ગાંધીએ તેનું ઉદ્ઘાટન કરેલું. અને ગોકુલદાસ મોરારજી માર્કેટ પણ અહીં જ આવેલી છે. ગાંધીજીએ સ્વદેશીની લડત ઉપાડી ત્યારે અહીંની બધી દુકાનોએ વિલાયતી કાપડ વેચવાનું બંધ કર્યું અને ફક્ત સ્વદેશી કાપડ જ વેચવાનું શરૂ કર્યું. આથી તે ‘સ્વદેશી માર્કેટ’ બની. કહે છે કે અહીં કાપડની માર્કેટ બની તે પહેલાં ભોંયતળિયે ઘોડાના તબેલા હતા. આ ગોકુળદાસ તે મુંબઈની ગોકુળદાસ મોરારજી સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ નંબર એક અને નંબર બેના માલિક. આ મિલની શરૂઆત છેક ૧૮૭૧માં થયેલી. આપણે જેમને મળવા જઈએ છીએ તે ભગવાનદાસ કાકાની આ સ્વદેશી માર્કેટમાં દુકાન છે, ધોતિયાં અને પાંચ વારી સાડી વેચે છે. બંને કોટન. મોટો દીકરો શિવલાલ પણ આ જ માર્કેટમાં આડતિયાનો ધંધો કરે છે. ઉજળિયાત વર્ગના લોકો બહારનું ખાવાનું પસંદ કરે નહિ. એટલે એ બંને માટે રોજ બપોરે ઘરેથી ટિફિન લઈને ઘરઘાટી સોનું દુકાને આવે. હા, દિવસમાં બે-ત્રણ વાર થોડે દૂરની શંકર વિલાસ હિંદુ હોટેલમાંથી ચા મગાવીને દુકાનના બધા માણસો પીએ ખરા. પણ તે માટે મોટા અને નાના શેઠે ઘરેથી આણીને પિત્તળના કપ-રકાબી દુકાનમાં રાખ્યા હતા અને તે બંને તેમાં જ ચા પીએ, કારણ કાચનાં વાસણ તો ભ્રષ્ટ, અપવિત્ર.

ખાદી ભંડારના ઉદ્ઘાટનની જાહેર ખબર

સ્વદેશી માર્કેટ જૂનું મકાન

આઠ જણના કુટુંબ માટે ગોવિંદ નિવાસની જગ્યા થોડી સાંકડી તો પડતી હતી, પણ ત્યાંથી ચાલીને દુકાને પહોંચતાં માંડ દસ મિનિટ થતી એટલે ભગવાનદાસ કાકા ઘર બદલતા નહોતા. વળી પહેલાં કરતાં હવે તો ભાડાં અને પાઘડી પણ વધી ગયાં છે. (નોકરોના) પરસેવાની કમાણી પાઘડીમાં નાખી દેવા કરતાં એટલા પૈસા ધંધામાં નાખ્યા હોય તો વધુ બરકત આવે એમ ભગવાનદાસ કાકા માને છે. એમનાં પત્ની વિલાસબહેનને પણ અડોશપડોશ સાથે ગોઠી ગયું છે અને રોજિંદા જીવનની બધી જરૂરિયાતો આસપાસમાં જ મળી રહે એટલે એમને પણ આ ઘર છોડવું નથી. જો કે સૌથી નાનો દીકરો રમેશ ઘણી વાર કહે છે કે સાંતાક્રુઝ કે પાર્લામાં ઘર લઈએ તો ઘણી મોટી જગ્યા મળે અને વળી હવા-પાણી પણ ચોક્ખાં. પણ આ વાત નીકળે કે તરત ભગવાનદાસ કાકા પોતાનો ‘વિટો’ વાપરે. ભગવાનદાસ કાકા મૂળ ધરમપુરના વતની. પિતા ગોરધનભાઈ ખિસ્સામાં સાત રૂપિયા લઈને ૧૬ વરસની ઉંમરે મુંબઈ આવેલા. એક ઓળખીતાની મદદથી ખિસ્સા રૂમાલ, નેપકીન, અને ટુવાલની ફેરી શરૂ કરેલી. આખો દિવસ અનેક ઘરના દાદરા ચડી-ઊતરીને થાકીને ઠેં થઈ જાય. પણ ‘લગે રહો.’ દીકરો પોતાની દુકાન કરી શકે એટલું કમાયા. મોટા દીકરાને દુકાન સોંપીને ભગવાનદાસ કાકા દર વરસે એક વાર ‘ગામ’ જાય છે અને હાશકારો અનુભવે છે. ધરમપુરનાં કુંવરીબા – જે પછીથી ગોડળનાં મહારાણી બનેલાં – નંદકુંવરબાએ આખી દુનિયાની પ્રદક્ષિણા કરેલી અને તેને વિષે ચોપડી પણ લખેલી એ વાતનું અભિમાન ધરમપુર જાય ત્યારે ભગવાનદાસ કાકા  પ્રગટ કરે છે. વાંચવાની વાત તો દૂર રહી, એ પુસ્તક એમણે જોયું પણ નથી એ જુદી વાત. ભગવાનદાસભાઈ મોજમાં હોય ત્યારે ‘માલવપતિ મુંજ’ નાટકનું પ્રભુલાલ દ્વિવેદીનું એક ગીત ગણગણતા હોય :

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબીથી લેશ ફૂલાતા નથી.
ખીલે તે કરમાય છે, સરજાય તે લોપાય છે,
જે ચઢે, તે તે પડે એ નિયમ પલટાતા નથી.

આજે તો હવે મોડું થઇ ગયું. એટલે આ અને આવાં બીજાં ગીતો ગણગણવાનો શોખ ધરાવતા ભગવાનદાસ કાકાને ઘરે જઈને મળશું હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com    

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 14 ડિસેમ્બર 2019 

Loading

આપણે ધ્યાને લઈએ કે બળાત્કારનો ભોગ બનતી સ્ત્રીઓમાં ગરીબ, દલિત અને આદિવાસી સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 December 2019

કર્મશીલ માર્ટિન મૅકવાન સંપાદિત ‘ભેદભારત’ પુસ્તકમાંથી સમજાય છે કે પુરુષોની વાસનાનો ભોગ બનતી ગામડાંની ખૂબ ગરીબ શ્રમજીવી સ્ત્રીઓનાં જીવતર સ્થળ, કાળ, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એવી કોઈ પણ દૃષ્ટિએ સલામત નથી. મહિલાઓને શહેરમાં પણ આ સ્થિતિમાં થોડોક જ ફેર જણાતો હોય તેમ બને.

બળાત્કાર પીડિતા માટેની સમાજની સંવેદના એ સ્ત્રીનાં ધર્મ, જાતિ, શહેર, ગામ, પૈસો, પદ, પ્રતિષ્ઠા જેવી બાબતોથી પર હોવી જોઈએ, એ વાતનો ઇન્કાર હોઈ ન શકે. સાથે એ હકીકત પણ છે કે યૌન અત્યાચારનો ભોગ બનતી સ્ત્રીઓમાં બિનશહેરી ગરીબ સ્ત્રીઓનું પ્રમાણ ઘણું મોટું છે. વળી આપણા દેશમાં મોટા ભાગના ગરીબો દલિત, આદિવાસી, વિચરતા કે લઘુમતી સમૂહોના છે. એટલે પીડિતાઓમાંથી મોટા ભાગની આ વર્ગોની હોય છે. માધ્યમોમાં આપણી સામે એકંદરે શહેરમાં થતાં અત્યાચારો અને લોકોનો રોષ આવે છે. પણ વાસ્તવમાં ગામડાં કે કસબામાં કરવામાં આવતાં, અને વિવિધ કારણોસર નજરે આવ્યાં વિના ધરબાઈ જતાં દુષ્ક્રૃત્યોની ઘાતકતા તેમ જ સંખ્યા ઘણી વધારે છે. આવા જુલમોની ઝાંકી  ‘ભેદભારત’ પુસ્તકમાંથી મળે છે.

જાણીતા કર્મશીલ માર્ટિન મૅકવાને સંપાદિત કરેલાં આ પુસ્તકનું આખું નામ છે ‘2014થી 2018 : દલિત-આદિવાસી માટે ભેદભારત’. તેમાં ચાર વર્ષના ગાળામાં આખા દેશના બધાં રાજ્યોમાં  અનુસૂચિત જાતિ-જનજાતિઓ પર થયેલા લાખો અત્યાચારોમાંથી જૂજ બનાવોના અખબારી અહેવાલ વિગતવાર સ્રોત સાથે મૂકવામાં આવ્યા છે. લોકોના ધ્યાનમાં ઓછા આવ્યા હોય તેવા આ કિસ્સા દૂરનાં ગામડાંનાં વાસ-વસ્તી કે જંગલના કે ડુંગરિયાળ વિસ્તારોનાં પરાં-પાડાના છે. એમાં આભડછેટ, જમીન અધિકાર અને આર્થિક શોષણને લગતાં જુલમોનો સમાવેશ થાય છે. ચોથા ભાગના બનાવો મહિલાઓ પરના અત્યાચારોના છે. તેમાંથી સમજાય છે કે પુરુષોની વાસનાનો ભોગ બનતી ગામડાંની ખૂબ ગરીબ શ્રમજીવી સ્ત્રીઓનાં જીવતર સ્થળ, કાળ, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એવી કોઈ પણ દૃષ્ટિએ સલામત નથી (મહિલાઓને શહેરમાં પણ આ સ્થિતિમાં થોડોક જ ફેર જણાતો હોય તેમ બને).

‘ભેદભારત’ પુસ્તકમાં જે પીડિતાઓને લગતા સમાચાર છે તેમનાં આખાં કુટુંબ વૈતરાં કરે ત્યારે માંડ ગુજરાન ચાલે. બિહાર અને ઝારખંડની આદિવાસી મહિલાઓ દિલ્હીમાં ઘરઘાટી કે છૂટક મજૂર હોય છે અને અત્યાચારનો ભોગ બનતી રહે છે. મૂળ ઓરિસ્સાની દિલ્હીમાં ઘરઘાટી એવી સગર્ભા બનેલી પીડિતાની વિધવા માતા પશ્ચિમ બંગાળના જલપાઈગુરીમાં ચાના બગીચામાં દિવસના સિત્તેર રૂપિયામાં મજૂરી કરે છે. જમશેદપુરમાં મજૂરી કરીને છ બાળકોને ઉછેરતી મહિલાની ઇજ્જ્ત લૂંટીને તેને મારી નાખવામાં આવે છે. બિહારનાં ભોજપુર જિલ્લાના દુમરિયા ગામની બે પ્રૌઢાઓ અને ચાર કિશોરીઓ આખો દિવસ ભંગાર ભેગો કરીને સાંજે વેચે છે. તે ખરીદનાર કારખાનાવાળો અને તેના સાથીદારો આ સ્ત્રીઓ પર ગોડાઉનમાં અત્યાચાર કરે છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનાં ઝાલરપાટણ કસબાના છેડે આવેલાં ઔદ્યોગિક વિસ્તારની સગીર વયની બે બાંધકામ મજૂર સ્ત્રીઓ વાસનાનો ભોગ બને છે. કેરાલાના કસગોડે જિલ્લાના બલાલ ગામમાં છૂટક મજૂરી કરતી સ્ત્રી અને તેલંગણાના બુરગમપડુ તાલુકાના કૃષ્ણસાગર ગામની ઇંધણા વીણવા ગયેલી સ્ત્રી પર દુષ્કર્મ થાય છે. તામિલનાડુમાં થેની નજીક કુમઘુમ જંગલમાં રખડીને મધ અને ઔષધીય વનસ્પતિ એકઠી કરતી આદિવાસી પલિયાર કોમની સ્ત્રીઓને જંગલખાતાના સુરક્ષાકર્મીઓ હંમેશાં કનડે છે. પશ્ચિમ બંગાળમાં સાલબરીના ચાના બગીચામાં કામ કરતી સગીર વયની બાળાની લાશ મળે છે, તેના પિતા સફાઈ કામદાર છે. જમ્મુ અને કાશ્મીરનાં કથૂઆની આઠ વર્ષની બાળા માલધારી સમૂહની હતી. એ જ ઉંમરની બાળાની લાશ જુલમની અનેક નિશાનીઓ સાથે રાજસ્થાનનાં બુંદીના પાતપતિયાડા ગામમાં કચરામાંથી મળે છે, તેની મા ખાણ મજૂરી કરતી વિધવા છે. હિમાચલનાં કાંગલ ગામની પ્રજ્ઞાચક્ષૂ, તામિલનાડુના દેનકાઈકોટ્ટાની સાંભળી-બોલી નહીં શકતી, પશ્ચિમ બંગાળના કુસુમાંડીની કે ઝારખંડના જમશેદપુરની મંદબુદ્ધિ બાળાઓ પણ ભોગ બની છે. જેમને  સારાં જીવન માટે તેમનાં મા-બાપ મજૂરી કરીને ભણાવતાં હોય. તેવી સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓ હવસનો શિકાર બને છે.

પીડિતાઓ કેટલાં અંતરિયાળ વિસ્તારની હોય છે તેનો અંદાજ આપવા માટે અત્યાર સુધી ગામોનાં નામો મૂકવામાં આવ્યાં હતાં. પણ સ્ત્રીની અસલામતી સાર્વત્રિક છે. ગરીબ દલિત કે આદિવાસી સ્ત્રીઓ પોતાનાં ઘરમાં સલામત નથી. હેવાનોએ સ્ત્રીઓનાં ઝૂંપડાંમાં પેસીને, તેમાંથી તેમને ઊઠાવી જઈને, સાસરીના ગામે જઈને ઘરમાંથી ઊઠાવીને, ઘરનાં વાડામાં સ્નાન કરતી કન્યાના ફોટા પાડી બ્લૅકમેઇલિંગની ધમકી આપીને, ઘરની પછવાડે વાસણ ઘસતી છોકરીને ઊઠાવી જઈને શિયળ લૂંટ્યાં છે.

ઘરની બહાર પણ સલામતી નથી જ. દેવગઢ બારિયામાં કરિયાણાની દુકાને પિતા અને સાથે બેઠેલી કિશોરીઓને એસ.યુ.વી.માં ઊઠાવી જઈને ચાલુ ગાડીએ પિતાની સામે આઠેક જણે જુલમ કર્યો છે. બજારમાં જઈને પાછા આવતાં બસ ચૂકી ગયેલી અંધ કન્યા કે પિતાને ખેતરે ભાત આપીને પાછી ઘરે જતી બહેરી-મૂંગી દીકરી ભોગ બને છે. શાળા કે ટ્યૂશન પરથી પાછી ફરતી અનેક છોકરીઓ સૉફ્ટ ટાર્ગેટ રહી છે. રાજસ્થાનમાં ગરબા કે લગ્નની જાન જોઈ પાછી આવતી મહિલાઓ માટે રસ્તો વેરી બને છે. ચૂલા માટે જંગલમાં લાકડાં લેવાં જતી મહિલા કે સોળમી વર્ષગાંઠ માટે નાનાં ગામનાં બજારમાં ચૉકલેટ લેવા જતી દીકરી ભોગ બને છે.

હરવા-ફરવાનું તો પછી, પણ કુદરતી હાજતે જવું ય જોખમકારક બને છે. ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડ્યું હોય અને બળાત્કાર થયો હોય તેવા આઠ કિસ્સા ‘ભેદભારત’ પુસ્તકમાં છે. તેમાંથી હરયાણાનાં ભગાના ગામની ચાર છોકરીઓ પર થયેલા રેઇપ વિશે ઘણું લખાયું. એક અખબારી અહેવાલ મુજબ તો ઉત્તર પ્રદેશમાં સેંકડો સ્ત્રીઓની આ બદકિસ્મતી છે.

સરકારી નિવાસી શાળાઓમાં સંખ્યાબંધ દલિત અને આદિવાસી વિદ્યાર્થિનીઓનાં સતામણી અને બળાત્કાર અનેક બનાવો છે. તેમાં ચોકીદાર, પટાવાળા, શિક્ષકો કે આચાર્ય સુદ્ધા દૈત્યો  સાબિત થયા હતા. સોળ વર્ષથી નીચેની આદિવાસી વિદ્યાર્થિનીઓ શાળાનાં દિવસોમાં ગર્ભવતી થઈ હોય, શાળા છોડીને જતી રહી હોય કે મોતને ભેટી હોય, બાળકને જન્મ આપીને ઉછેરતી હોય એમ પણ વાંચવા મળે.

લઘુતમ વિકૃતિ એટલે હેવાનને ઉંમરનો બાધ ન હોય. ઘરઘાટી સ્ત્રીની ઉંમર 20 વર્ષ અને મર્ચન્ટ નેવીના જુલમી અધિકારીની 60 વર્ષ, 13 વર્ષ અને 55 વર્ષ, 14 અને 45, 14 અને 76 વર્ષ. વધુ વિકૃતિના કિસ્સા – બીજી કોમના છોકરીને પ્રેમ કરવા માટે છોકરાને મારઝૂડ, પછી તેને પ્રેમિકા પર જાહેરમાં બળાત્કાર કરાવ્યો અને ત્યાર બાદ બીજા પુરુષોએ કર્યો. પરજ્ઞાતિના પુરુષ સાથે લગ્નની સજા એટલે સ્ત્રી પર ધોળે દિવસે જુદી જુદી ઉંમરનાં મરદો દ્વારા જાહેરમાં બળાત્કાર. સ્ત્રીઓને થાંભલે બાંધીને, મોંમાં દારૂ રેડી રેડીને તેમની સાથેના કિશોરો સામે જ જુલમ. જમીનના મામલે પતિની સામેલગીરીથી સ્ત્રીને નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફેરવી, પેશાબ પીવાની ફરજ પાડી અને તેના દીકરાની સામે અત્યાચાર. એકલદોકલ સુરક્ષાકર્મીએ કે તેમની આખી ટુકડીઓએ છત્તીસગઢ તેમ જ અન્યત્ર કરેલા નારીઅત્યાચારો અહીં નોંધાયા છે, જે અલગ લેખનો વિષય છે.

એક કિસ્સામાં સ્ત્રી જુલમીઓને ઇજ્જત લૂટવા નથી દેતી એટલે તેઓ એને સળગાવી દે છે. એક સ્ત્રી ધાકધમકીની વચ્ચે પણ બળાત્કારીથી રહેલો ચાર મહિનાનો ગર્ભ પડાવીને થેલીમાં લઈને પોલીસમાં ફરિયાદ લખાવે છે. ત્રણ કિસ્સામાં પીડિતાને ન્યાય માટે દલિત કે આદિવાસી સમૂહો રસ્તાઓ પર ઊતરી આવે છે. આજકાલ પણ બધા સમૂહોના આવી રહ્યા છે. શું એ લોકો સાંસદ  જયાબહેન બચ્ચને કહ્યું છે તેમ લિન્ચિન્ગ  કરશે ?   

**********

05 ડિસેમ્બર 2019

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 13 ડિસેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત] 

Loading

કવીશ્વર દલપતરામનું પહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|13 December 2019

કાળચક્રની ફેરીએ

આવતા વર્ષના જાન્યુઆરી મહિનાની ૨૧મી તારીખે, જેમના જન્મને ૨૦૦ વર્ષ પૂરાં થશે, તે દલપતરામ ડાહ્યાભાઈ ઓળખાય છે કવીશ્વર તરીકે. પણ તેમનું પહેલું પુસ્તક કવિતાનું નહોતું. તેમનું પહેલું પુસ્તક પ્રગટ થયું તેના નામમાં ‘નિબંધ’ શબ્દ આવે છે. પણ આ ‘નિબંધ’ એટલે આજે આપણે જેને નિબંધ ઉર્ફે ‘એસે’ તરીખે ઓળખીએ છીએ તે નહિ. એ લખાણને જો કોઈ ચિઠ્ઠી ચોડવી જ હોય તો લાંબા કથાત્માક ગદ્ય લખાણની ચોડી શકાય. દલપતરામના એ પહેલા પુસ્તકનું નામ ‘ભૂતનિબંધ.’

૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે કેટલાક અંગ્રેજ અમલદારોએ ભેગા મળીને અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયાટી’(આજની ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી. એ અંગેની પહેલ કરી હતી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે. પોતે કરવાનાં જે કામો સોસાયટીએ ઠરાવ્યાં હતાં તેમાંનું એક કામ ‘નિબંધો’ માટે ઇનામી હરીફાઈ યોજીને તેમાંનાં યોગ્ય લખાણોને પુસ્તક રૂપે પ્રગટ કરવાનું કામ પણ હતું. મુંબઈમાં કેપ્ટન જર્વિસની આગેવાની હેઠળ ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલબુક્સ સોસાયટી’ આવી હરીફાઈઓ યોજતી હતી. એ વખતે હજી હાથે લખેલી પોથીઓ પ્રચારમાં હતી, એટલે હરીફાઈ માટે લખાણ મગાવતી વખતે ‘હસ્તપ્રત’ શબ્દ વપરાય તો ઘણાના મનમાં ગૂંચવાડો થાય એવી શક્યતા હતી. એટલે ગદ્ય કે પદ્યમાં લખાયેલાં લાંબાં લખાણો માટે જર્વિસે ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું. તેમાં જે ‘ઇનામ’ અપાતું તે આજનું ‘પ્રાઈઝ’ કે ‘એવોર્ડ’ નહિ, પણ આજે લેખકને અપાતો ‘પુરસ્કાર.’ મુંબઈમાં ચાલુ થયેલી આવી ‘ઇનામી નિબંધ સ્પર્ધા’નો ચાલ અમદાવાદની સોસાયટીએ અપનાવ્યો. ૧૮૪૯ના જૂનની ૧૩મી તારીખે સોસાયટીની કમિટીની બેઠક મળી તેમાં આવી ઇનામી હરીફાઈ માટે પહેલો વિષય ‘ભૂતપ્રેત’નો પસંદ કરવામાં આવ્યો. એ અંગે પ્રગટ કરેલી જાહેરાતમાં લખ્યું હતું : “શરીરમાં ભૂત આવે છે , એવો ભ્રમ લોકોએ માની લીધો છે. તે ભ્રમ શાથી ઉત્પન્ન થાય છે, એનાં કારણનાં શોધની સાચી વિગત લખવી તથા ભ્રમણાથી માની લીધેલા ભૂતને શરીરમાંથી કાઢવાને માટે ગુજરાતમાં શા શા ઉપાયો કરે છે એ આદિક સવિસ્તાર માસ છની અવધમાં લખવો.” પસંદ થયેલા લખાણના લેખકને ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ આપવામાં આવશે એમ પણ જણાવ્યું હતું. દેખીતું છે કે આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ સાહિત્ય સર્જનનો નહોતો, પણ અંધશ્રદ્ધા કે વહેમના નિવારણનો હતો.

સોસાયટીની સ્થાપના થઇ તે પહેલાં ભોળાનાથ સારાભાઈની ભલામણથી અને તેમની હાજરીમાં ૧૮૪૮ના નવેમ્બરની પહેલી તારીખે અમદાવાદમાં ફાર્બસ અને દલપતરામ પહેલી વખત મળ્યા હતા. અને તે જ દિવસથી ફાર્બસે પોતાના મદદનીશ તરીકે દલપતરામને નોકરીએ રાખી લીધા હતા. એક દિવસ ફાર્બસે દલપતરામને પૂછ્યું કે તમે આ હરીફાઈમાં ભાગ લેવાના છો કે નહિ. ત્યારે દલપતરામે જવાબ આપ્યો કે ઇનામની રકમ બહુ ઓછી છે, એટલે નિબંધ લખવાની મહેનત કરવાનું મન થતું નથી. આ સાંભળી ફાર્બસે કહ્યું કે ઇનામ મેળવવા ખાતર નહિ, પણ ગુજરાતના લોકોને વહેમ અને અંધશ્રદ્ધામાંથીએ બહાર કાઢવા પણ તમારે આ નિબંધ લખવો જોઈએ. એટલે પછી દલપતરામે ‘ભૂતનિબંધ’ લખીને હરીફાઈ માટે મોકલ્યો. હરીફાઈમાં કુલ ત્રણ હસ્તપ્રતો આવેલી. તેમાંથી ‘ઇનામ’ માટે દલપતરામનું લખાણ પસંદ થયું. તેમનું આ લખાણ ચાર ‘પ્રકરણ’ અને ૫૫ ‘વાર્તાઓ’માં વહેંચાયેલું છે. તેમાં મુખ્યત્વે ભૂતપ્રેત અંગેની એ જમાનાની પ્રચલિત વાર્તાઓ દલપતરામે નોંધી છે અને ભૂતપ્રેત અંગેની માન્યતાનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો છે. આખા લખાણના સારાંશરૂપે છેવટે દલપતરામ લખે છે : “કોઈ રીતનો ભ્રમ તથા મંત્રજંત્રની વાતો સર્વેનો તપાસ સારી રીતે કરવો. ગપ્પાની વાતોમાં વિશ્વાસ રાખવો નહિ અને ભૂત તથા મૂઠચોટઆદિકની બીક છોડી દઈને, પરમેશ્વરની બીક મનમાં રાખીને જુઠ્ઠું બોલવા આદિક પાપ કરવું નહિ અને સદ્ગુરુની સેવા કરવી. કપટી તથા દુષ્ટ આચરણવાળાની સોબત કરવી નહિ, તથા કોઈ ઢોંગી માણસ પાસે ઠગાવું નહિ. આ સંપૂર્ણ ગ્રંથનો સારાંશ એટલો છે.” જોઈ શકાય છે કે પોતાનું લખાણ માત્ર ભૂતપ્રેત વિરોધી ન લાગે, પણ સર્વસાધારણ ઉપદેશાત્મક લાગે એવો અહીં જાણ્યે-અજાણ્યે પ્રયત્ન થયો છે.

ફાર્બસ આ ‘નિબંધ’થી સારા એવા પ્રભાવિત થયા હતા. સોસાયટીના બીજા વર્ષના અહેવાલમાં આ શબ્દો જોવા મળે છે, જે મોટે ભાગે ફાર્બસે જ લખ્યા હતા. “પહેલી જ કૃતિ ‘ભૂતનિબંધ’ની સારી એવી પ્રશંસા થઇ છે. તેની ભાષામાં શુદ્ધિ અને જોમ રહેલાં છે એટલા ખાતર જ નહિ, પણ તેમાં દર્શાવાયેલા સ્વતંત્ર મત અને વિચારો તથા પૂર્વગ્રહોના વિરોધને કારણે પણ તે પ્રશંસ્ય બન્યો છે. દેશમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા મથનારાઓમાં આ ગુણો બહુ ઓછા જોવા મળે છે, અને તેથી એ નિબંધ વધુ મૂલ્યવાન બની રહે છે.”

ફાર્બસને આ લખાણ એટલું ગમી ગયું હતું કે તેમણે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાવી પુસ્તક રૂપે પ્રગટ કર્યો. તેના મુખપૃષ્ઠ પર મૂળ લેખકનું નામ Dalpatram Daya એમ છાપ્યું છે તે જોઈ થોડી નવાઈ લાગે. કારણ ગુજરાતી રીતરિવાજથી ફાર્બસ સારી પેઠે પરિચિત હતા. અને એટલે દલપતરામના પિતાના નામ પછી ‘ભાઈ’ ન ઉમેરે તે જોઈ નવાઈ લાગે. આ અનુવાદની ફાર્બસે લખેલી પ્રસ્તાવના પણ નોંધપાત્ર છે. દેશી ભાષાઓને પ્રોત્સાહન આપવાની જોરદાર હિમાયત તેમાં ફાર્બસે કરી છે. તેઓ લખે છે : “હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષાનો બને તેટલો વ્યાપક પ્રસાર થાય તે ઇચ્છનીય છે જ. પણ એનો અર્થ એવો નથી કે ‘દેશી’ ભાષાઓના વિકાસ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવવું જોઈએ. હકીકતમાં આનાથી ઊલટું જ બનતું જોવા મળે છે. આ માટેની સર્વસામાન્ય દલીલો જવા દઈએ. પણ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓનો અનુભવ પણ એ જ વાતની સાબિતી આપે છે કે અંગ્રેજી અને ‘દેશી’ ભાષાના સાહિત્યનો અભ્યાસ, એ બંને સાથોસાથ ચાલવા જોઈએ.” તો ‘ભૂતનિબંધ’ના લેખક દલપતરામ વિષે ફાર્બસ લખે છે : “તેઓ સ્થાનિક સાહિત્યના, પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે ‘દેશી’ ભાષામાં લખાયેલું હોય, ઉત્સાહી અભ્યાસી છે. તેમની બુદ્ધિ પરિપક્વ છે અને તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણશક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે અને તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.”

‘ભૂતનિબંધ’ના અંગ્રેજી અનુવાદમાં ક્યાં ય તેની પ્રકાશન સાલ છાપી નથી. પણ ડબ્લિન યુનિવર્સિટીના મેગેઝીન ‘લિટરરી એન્ડ પોલિટિકલ જર્નલ’ના જાન્યુઆરી-જૂન ૧૮૫૧ના અંકમાં આ અનુવાદનું અવલોકન પ્રગટ થયું હતું. એટલે જૂન ૧૮૫૧ પહેલાં ક્યારેક આ અનુવાદ પ્રગટ થયો હતો. અહીં એ હકીકત પણ નોંધવી જોઈએ કે ફાર્બસે કરેલો ‘ભૂતનિબંધ’નો આ અનુવાદ એ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ છે. 

પોતાના ‘કવીશ્વર દલપતરામ’ પુસ્તકમાં કવિ નાનાલાલે એવી છાપ ઊભી કરી છે કે ‘ભૂતનિબંધ’ એ અર્વાચીન ગુજરાતી ગદ્યની પુસ્તક રૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. નાનાલાલ કહે છે : “ભૂતનિબંધ એટલે ગુજરાત વર્નાક્યુલર સોસાયાટીની ગ્રંથપ્રકાશન માળાનો પ્રથમ મણકો. અર્વાચીન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ, લોકપ્રસિદ્ધિ પામેલો દલપતરામનો પહેલો સાહિત્યવિજય … અર્વાચીન ગુજરાતીનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ તે ઇસવી સન ૧૮૪૯માં લખાયેલો દલપતરામનો ભૂતનિબંધ.” પણ હકીકતમાં આ વાત સાચી નથી. ‘ભૂતનિબંધ’ પહેલાં પ્રગટ થયેલી જ નહિ, ખુદ દલપતરામના જન્મ પહેલાં પણ પ્રગટ થયેલી ગુજરાતી ગદ્યકૃતિઓ છેક ૧૮૧૫થી જોવા મળે છે.

પણ દલપતરામનું આ પહેલું પુસ્તક છપાયું ક્યારે? ઉપરના અવતરણમાં નાનાલાલ એ અંગે મૌન સેવે છે અને તે ૧૮૪૯માં લખાયું હતું એટલું જ કહે છે. ગુજરાતી, મરાઠી વગેરે ‘દેશી’ ભાષાઓમાં ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સર એલેક્ઝાન્ડર ગ્રાંટે તૈયાર કરેલી સૂચિ મુંબઈ સરકારે પ્રગટ કરી હતી. આ સૂચિ મોટે ભાગે પ્રત્યક્ષ પુસ્તકો જોઇને નહિ, પણ બીજે-ત્રીજેથી મળેલી માહિતીને આધારે તૈયાર થઇ હતી. એ જોતાં જણાય છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં ઘણાં પુસ્તકોની પ્રકાશન સાલ તેમાં ૧૮૪૮ આપવામાં આવી છે, જે હકીકતમાં સોસાયટીનું સ્થાપના-વર્ષ છે. એ સૂચિમાં ‘ભૂતનિબંધ’ની પ્રકાશન સાલ પણ ૧૮૪૮ આપી છે. જાતે ખાંખાખોળાં કરવાની કુટેવ આપણા મોટા ભાગના વિવેચકો અને ઇતિહાસ લેખકોએ પાડી કે પાળી નથી, એટલે ઘણાખરાએ ૧૮૪૮ની સાલ સ્વીકારી લીધી છે. એટલે દીવા જેવી ચોખ્ખી વાત પણ તેમની નજરે ચડી નથી. જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ઇનામી હરીફાઈ માટે આ ‘નિબંધ’ લખાયો હતો તે સોસાયાટીની પોતાની સ્થાપના જ ૧૮૪૮ના ડિસેમ્બરમાં થઇ હતી. હરીફાઈની જાહેરાત ૧૮૪૯ના જૂનની ૧૩મી તારીખે થઈ, અને તેમાં નિબંધ લખી મોકલવા માટે છ મહિનાનો સમય આપ્યો હતો, એટલે કે નિબંધો ૧૮૪૯ના ડિસેમ્બર સુધીમાં લખી મોકલવાના હતા. એ મુદ્દત સુધીમાં સોસાયટીને કુલ ત્રણ ‘એન્ટ્રી’ મળી. તેને વાંચી, જોઈ-ચકાસી, ઇનામી કૃતિ પસંદ કરવામાં પણ બે-ત્રણ મહિનાનો સમય ગયો હોય તેમ માની શકાય. એ પછી એ જમાનામાં લિથોગ્રાફ પદ્ધતિથી પુસ્તક છાપીને તૈયાર કરવામાં પણ સારો એવો સમય ગયો હોય. એટલે હકીકતમાં ‘ભૂતનિબંધ’નું પ્રકાશન વહેલામાં વહેલું ૧૮૫૦ના પાછલા છ મહિનામાં થયું હોઈ શકે. તેના અંગ્રેજી અનુવાદનું અવલોકન ૧૮૫૧ના જૂનના અરસામાં પ્રગટ થયું હતું તે આપણે અગાઉ જોયું છે. એટલે મૂળ ગુજરાતી પુસ્તક અને તેના અંગ્રેજી અનુવાદ વચ્ચે છ મહિનાનો ગાળો માનીએ તો પણ ગુજરાતી પુસ્તક ૧૮૫૦ના અંત સુધીમાં પ્રગટ થયું હોવું જોઈએ.   

ભૂતનિબંધ સર્જનાત્મક કૃતિ નથી જ. તેનું ગદ્ય પણ વહેવારુ બોલચાલની નજીકનું છે. એટલે કે ગદ્ય કૃતિ તરીકે ય તે કોઈ ખાસ છાપ પાડે તેમ નથી. તેમાં વહેમ કે અંધશ્રદ્ધા વિષે જે લખાયું છે, તેનું સ્વરૂપ આજે ઘણું બદલાયું છે. છતાં એક વાત તો સ્વીકારવી જ પડે : આ પુસ્તક પ્રગટ થયું તે પછી લગભગ ૧૭૦ વર્ષે પણ આપણા સમાજમાંથી આવા વહેમો અને તેને પરિણામે પાંગરતા કુરિવાજો પૂરેપૂરા દૂર થયા નથી. અને એટલે અંશે હજી આજે પણ ‘ભૂતનિબંધ’ સમાજ સુધારણા માટે ઉપયોગી થાય તેમ છે. અને દલપતરામના પહેલવહેલા પુસ્તક તરીકે તેનું ઐતિહાસિક મહત્ત્વ તો છે જ.

xxx xxx xxx

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan KalelkarMarg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com 

સૌજન્ય : “શબ્દસૃષ્ટિ”, ડિસેમ્બર 2019

Loading

...102030...2,6352,6362,6372,638...2,6502,6602,670...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved