Opinion Magazine
Number of visits: 9576538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવાળી આવી અને ગઈ, પણ અંધશ્રદ્ધાનાં અંધારાં ઠેરના ઠેર !

મનીષી જાની|Opinion - Opinion|6 November 2019

દિવાળીમાં ઘર આંગણે દીવડાં એટલે પ્રગટાવીએ છીએ કે અંધારાં દૂર થાય. દીવડાંનાં અજવાળે આશા, ઉમંગ અને ખુશીનો માહોલ ઊભો થાય.

પરંતુ અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે ખુદ ચાર લાખ દીવડાં દીવાળીની રાત્રે પ્રગટાવ્યા. દરેક કોડિયે તેલ-દીવેટના હિસાબે તેનો કુલ ખર્ચો આવ્યો, એક કરોડ ને તેત્રીસ લાખ રૂપિયા ! એટલે કે એક દીવડાનો ખર્ચ 33.25 રૂપિયા !

વાર તહેવારે ઈલેક્ટ્રીક રોશનીઓ કરવામાં આપણા દેશની તમામ સરકારો કોન્ટ્રાકટરોને ઘી કેળાં કરાવતી જ રહે છે, પણ આટલાં બધાં તેલ અને રૂનો બગાડ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનાં મગજમાં ઉતરે એવો છે ખરો ?

અયોધ્યાની આ દિવાળીની ઝગમગતી રાત પૂરી થઈ. છાપાંઓમાં તેનાં ફોટા છપાયા, ટી.વી. ચેનલો પર તેના વીડિયોએ અજવાળું – અજવાળું કરી નાખ્યું પણ આ દીવા બુઝાતા હતા તેની સાથે સાથે જ તે રાતનાં જે દૃશ્યો સોશ્યલ મીડિયા પર દેખાયાં કર્યાં, તે સૌ કોઈ સંવેદનશીલ દર્શકના મનને ઉચાટમાં મૂકનારા બની ગયાં!

આ દૃશ્યોમાં એક વેધક દૃશ્ય એવું દેખાયું જેમાં એક બાળકી આ બુઝાયેલા કોડિયાંઓમાં વધેલું તેલ એક પછી એક કોડિયા હાથમાં લઈ બોટલમાં ભરી રહી છે.

દૃશ્ય જોઈ દિવાળીની ઉજવણીમાં અજવાળાં માટે પ્રગટેલા દીવડાંનું વધેલું તેલ કેટકેટલાં ભૂખ્યા પેટમાં ખોરાકના ભાગ તરીકે ઉપયોગમાં લેવાશે એવો વિચાર તો આપણને સૌને આવે જ. અસ્વચ્છ કોડિયાંઓમાં વધેલું – બળેલું, ખુલ્લામાં પડી રહેલું અને એ ય મોટે ભાગે ભેળસેળયુક્ત આવું દુષિત તેલ પેટની કેટલી ભૂખ ભાંગશે કે આરોગ્ય સાથે ચેડાં કરશે એવો પૂરક વિચાર પણ સૌને આવે તે ય સ્વાભાવિક છે.

સરકાર પોતે જ ખાદ્યતેલના બગાડમાં સામેલ થાય ત્યારે કોણ કોને ફરિયાદ કરે ? – એ ય સવાલ નોંધવો ઘટે.

આ ખાદ્યતેલનો બગાડ તો અક્ષમ્ય કહેવાય જ પણ તેના કરતાં ય વધુ તો આપણા ગુજરાતમાં રાજધાની ગાંધીનગરથી નજીક જ આવેલા રૂપાલ ગામમાં દર વર્ષે નવરાત્રી બાદની રાત્રે લાખો કિલો ઘી-કાદવની નદીઓ ગામની ગલીઓમાં વહેતી જોવા મળે છે.

રૂપાલની પલ્લી દર વર્ષે નીકળે છે. જેમાં ગામના લોકો વિવિધ જાતિ-જ્ઞાતિના ધોરણે પરંપરાગત રીતે નક્કી કરાયેલાં કામો સાથે પલ્લી તૈયાર કરે છે. અને આખા ગામમાં ફરતી માતાજીની આ પલ્લી ગામના દરેક ચાર રસ્તે ઊભી રહે છે જ્યાં લોકો પોતાની માનતા ને શક્તિ મુજબ ઘી તેનાં પર રેડે છે. કોડિયામાં સમાય એટલું ઘી નહીં, પણ આ વર્ષે જ છાપાંઓમાં છપાયેલા અહેવાલો મુજબ 20 કરોડ રૂપિયાનું ઘી પલ્લી પર ચઢાવાયું. મોટા મોટા ટાંકાઓમાં આ ઘી લવાય છે અને કહેવાય છે કે આ ભેળસેળમુક્ત ચોખ્ખું ઘી હોય છે.

આ વર્ષે તો ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન ખાતા દ્વારા ચોખ્ખા ઘીની તપાસ માટે ત્યાં વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. અને ઘી ના નમૂના ચકાસી જે ભેળસેળ વાળું ઘી હતું તેને પલ્લી ના અભિષેક માં થી નાપાસ જાહેર કરવામાં આવ્યું હતું !

રૂપાલની પલ્લી પર અભિષેક થઈ ઢોળાતું ઘી નીચે રસ્તામાં પડે. રસ્તાઓ પર ઘીની ધૂળ, ગંદવાડ સાથેની નદીઓ વહે તે સ્વાભાવિક છે. આ ઘીભર્યા રસ્તે ચાલવું મુશ્કેલ બની જાય એટલે આ અશુદ્ધ ઘીને ભેગું કરી સફાઈ કરવી એ કામ તો છેવટે ગામના સફાઈ કામદારો, વાલ્મીકિ સમાજના પરિવારોને માથે જ રહે છે.

જેવી માતાજીની પલ્લી રસ્તાઓ પરથી પસાર થાય કે તરત ગામના વાલ્મીકિ સમાજના પરિવારો પોતાના વાસણો, ડબ્બા, ડોલ, પીપ લઈ આ ધૂળ સાથે રગડો બની ગયેલા ઘીને ઉસરડીને ભેગું કરે છે. અને આ ઘીને પોતાના ઘરે લઈ જઈ ચૂલા પર ઉકાળે છે અને ગાળીને ફરીથી તેને ખાવા માટે ઉપયોગ કરે છે યા તો બજારમાં વેચી દઈ, પોતાની ઘીમય મજૂરીનાં નાણાં કમાય છે.

અતિ હાસ્યાસ્પદ વાત એ લાગે છે કે સરકારી ખાતું પલ્લીના અભિષેક માટેનું ઘી શુદ્ધ છે કે નહીં તેની તપાસ કરે છે પણ એ જ ઘી રસ્તે ઢોળાય છે, ગંદું થાય છે ને જે ઘી ખાવા યોગ્ય નથી, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે ઘીના નિકાલ માટેનો કોઈ રસ્તો વિચારતું નથી !

આ વાતને આપણે કેવી રીતે જોઈશું ? સરકાર પણ શ્રદ્ધા – અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે અને તે શ્રદ્ધા – અંધશ્રદ્ધાના રસ્તે અખાદ્ય બની ગયેલા, લોકોનાં સ્વાસ્થ્ય માટે જોખમી શકે તેવા ઘીના નિકાલ માટે ચૂપ રહેવાનું અને વર્ષોથી જે ચીલે ગામને લોકો ચાલ્યા કરે છે તેવા, વર્ણવ્યવસ્થાને મજબૂત કરતા વિધિ વિધાનોને પ્રોત્સાહન આપવાનું કામ જ કરે છે.

હજારો કિલો ઘી ઢોળી નાખવાને લઈ લોકોમાં ક્યારે ય ક્યારે ય ઊહાપોહ અને કાનૂની લડતો થઈ છે પણ વર્ષોથી કોઈ પણ સરકાર આ ઢોળાઇ જતાં, વેડફાતા મોંઘાદાટ ઘીને લઈ કોઈ પગલાં લેતાં જોવા મળી નથી અને સંવેદનહીન બની ચૂપ રહી છે એ ય વાસ્તવિકતા છે.

રૂપાલ ગામના લોકો ઘીનો અભિષેક કરી ઘી ઢોળે છે એમ દીવાળીની આગલી રાત્રે એટલે કે કાળી ચૌદશે ઘરનો કકળાટ કાઢવાના નામે, ઘરમાંથી ભૂત-પલિત કાઢવાના નામે ચાર રસ્તે પાણીનાં કુંડાળા કરી અડદની દાળનાં વડાં અને અન્ય ખાદ્ય પદાર્થો નાંખે છે. આ કોઈ એકલ દોકલ ઘટના નથી પરંતુ ગુજરાતના મોટાભાગના શહેર, નગર, ગામોમાં આ પ્રકારની વિધિઓ થતી, રસ્તાઓમાં વડાં મૂકતાં જોવામાં આવે છે.

ભોજનની વાનગી,ખાવા માટે બનાવેલી વસ્તુઓ કોઈનાં પેટમાં ના જાય અને રસ્તા પર નાખી દેવાનું કામ કરવું એને તે આપણે કેવી ધાર્મિક વિધિ ગણીશું ?

દિવાળી પહેલાં આપણે ઘરની સાફસૂફી કરીએ, વાસણો ચમકાવીએ અને દીવાલો ધોળાવીએ, આંગણાં ચોખ્ખાં કરી રંગોળીઓ કરીએ અને ખાવાની વસ્તુને શેરીની, સોસાયટીની બહાર, ચાર રસ્તે નાખીને ગંદકી ફેલાવીએ,ઉકરડા ઊભા કરીએ; એ તે આપણા સ્વચ્છતાના કેવા ખ્યાલ ?

છેવટે સફાઈ કામદારોનું, શેરી-સોસાયટી વાળનારાઓનું જ કામ આપણે વધારીએ છીએ ને ?

વળી મહત્ત્વની વાત તો એ જ છે કે કહેનારા કહે કે 'ફ્ક્ત ચાર પાંચ વડાં ધાર્મિક વિધિમાં રસ્તે મૂકવામાં શું મોટા વાંધા પડે છે ?'

આમ જોવા જઈએ તો એ મોટી વાત નથી પરંતુ આખા ગુજરાતના શહેર, નગર, ગામોમાં, ઘણાં ઘરોમાંથી રસ્તે ફેંકાતા વડાંનો હિસાબ કરવા જઈએ તો કેટલા હજાર કિલો દાળનાં આ વડાં થાય ? કેટલા હજાર લીટર ખાદ્યતેલ એ વડાં તળવા માટે વપરાતું હશે ? આવા હિસાબનો આંકડો તો ચોંકાવી જ દે. અડદની દાળ તો પૌષ્ટિક છે. જેમાંથી મોટા પ્રમાણમાં પ્રોટીન તો મળે જ છે અને અડદની દાળની કિંમત આજની તારીખે કેટલી ? સાઈઠ – સિત્તેર રૂપિયાના ભાવે વેચાતી દાળમાંથી બનાવેલી હજારો કિલો ખાદ્ય વાનગી ધૂળમાં, ગંદવાડમાં ફેંકી દેવાની ?

પક્ષીઓને ચણ નાખવું કે ગાય-કૂતરાને ભોજન આપવું એ તો ખોરાક કોઈનાં જવાની વાત થઈ પરંતુ ખાદ્ય વાનગીને ધૂળ ભેગી કરવી એ તે કેવી વાત ?

આવાં ધાર્મિક વિધિ વિધાનોને દીમાગના દરવાજા બંધ કરીને અંધશ્રદ્ધાનાં બારી બારણાં ખૂલ્લાં કરીને કરવામાં આવતાં કામ જ ગણવા પડે !

કોઈ કહેશે કે તહેવારોની ખુશાલી-ઉજવણીની પરંપરા છે તેમાં અંધશ્રદ્ધાના નામે પંકચર ના પાડો ! અંધશ્રદ્ધાનાં નામે તહેવારોની વિધિઓ બંધ કરવાની નકારાત્મક વાતો નહીં કરવી જોઈએ .. આવા નકારાત્મક અભિગમને વિચારો ઉત્સવો-તહેવારોના આનંદ-ઉલ્લાસ, મઝાને ખતમ કરી નાંખે છે.

તહેવારોની ઉજવણી-આનંદ-ખુશીને ખતમ કરવા કે તેના પર પ્રતિબંધ મૂકવા માટેના મુદ્દા તરીકે આ વાત હું નથી કરતો.

તહેવારો – ઉત્સવો તો ઉજવાવા જ જોઈએ. એ પછી ધાર્મિક હોય, સામાજિક હોય કે પારિવારિક. ઉત્સવો-તહેવારોની પરંપરા તો સમાજના શ્વાસ-ઉચ્છવાસ જેવા હોય છે. આ તહેવારો જ માણસને સહિયારો આનંદ લૂંટવાનો, મુક્ત મને નાચવા, કૂદવા અને ગાવાનો-અભિવ્યક્તિનો ઉત્સાહજનક ઉમળકો પૂરો પાડે છે.

પણ આપણા જેવા ગરીબ દેશમાં જ્યાં દસ કરોડ જેટલા લોકોને બે ટંક પૂરતું ખાવાનું જ ના મળતું હોય ત્યાં આવો દાળ, ઘી, ખાદ્યતેલ, રૂ-કપાસનો વેડફાટ કેટલો યોગ્ય ને ન્યાયી કહેવાય ?

અત્યારે પાંચ વર્ષથી નીચેનાં બાળકોનાં કુપોષણનો સવાલ દેશ માટે ગંભીર પડકાર રૂપ છે. આપણે પાકિસ્તાન સાથે, આતંકવાદીઓ સામે રોજેરોજ યુદ્ધની વાતો છેડી, સીમા પર લાખો જવાનોને ખડેપગે રાખી, કરોડો-અબજો રૂપિયા ખર્ચી દેશને સલામત રાખવાની વાતો કરીએ છીએ, નેતાઓ આ અંગે રોજેરોજ શૂરાતન ભર્યા ભાષણો કરતાં રહે છે, પરંતુ દેશમાં ભીષણ કુપોષણથી પીડાતાં કરોડો બાળકો છે, સગર્ભા સ્ત્રીઓ છે; તે કુપોષણ સામે યુદ્ધ છેડવાની વાત ઊંચા અવાજે, મોટાપાયે આપણી સરકારો નથી કરી રહી તે ચિંતા નો વિષય છે. અને તેવા સમયે આ ખાદ્યાન્ન ને ખાદ્યતેલ-ઘીનો વેડફાટ જાણે કે એક ભારે સામાજિક ગુનો બની રહે છે એવું સૌ કોઈ ને લાગવું જોઈએ.

ભૂખથી પીડાતા લોકોમાં આપણા દેશનો નંબર સૌથી આગળના દેશોમાં છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો આપણાથી આ બાબતે પાછળ છે.

અને કુપોષિત બાળકો એટલે કે જેમનું વજન, ઊંચાઈ, શારીરિક બાંધો ઉમ્મરના પ્રમાણમાં નબળાં છે. જેને લઈ પોતાના બાળપણની મજા એટલે કે નાચવું, કૂદવું, હસવું, દોડવું, ભણવું, ગાવું એવી બધી પ્રવૃત્તિઓમાં ઉતરી શકે એમ છે અને પ્રતિકાર શક્તિ નબળી હોવાને લઇ જાતભાતના રોગોનો ઝડપથી શિકાર બની શકે એમ છે અને પાંચમી વર્ષગાંઠ ઉજવે એ પહેલાં જ મૃત્યુ પામવાની સંભાવના ધરાવે છે.

આવાં બાળકો માટે ગામેગામ ચાલતી આંગણવાડીઓમાં બાળકોને પોષક આહાર મળે, સગર્ભા સ્ત્રીઓને પોષક આહાર ને પ્રાથમિક શાળાનાં મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક ખોરાક પૂરતાં પ્રમાણમાં મળી રહે તેની તાતી જરૂર છે.

પણ આપણે તો એમાં ય ધાર્મિક લાગણીઓ દુભવવાની વાત કરી, વિવાદ કરી નફરતનું રાજકારણ ખેલવામાં શૂરા છીએ !

હમણાં મધ્યપ્રદેશમાં ફરીથી નિર્ણય લેવાયો કે આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાનાં બાળકોને મધ્યાહન ભોજનમાં ઈંડા અપાશે.

દુનિયાભરમાં એ સર્વસ્વીકૃત બાબત છે કે ઈંડાં એ પ્રોટીનથી ભરપૂર છે અને તે બાળકો માટે પોષક આહાર છે.

આપણા દેશમાં મોટાભાગના લોકોના ખોરાકમાં ઈંડાં ખવાતાં રહ્યાં છે.

મધ્યપ્રદેશમાં પાંચ વર્ષથી નીચેના કુપોષિત બાળકોનું પ્રમાણ 43% જેટલું ઊંચું છે. થોડાં વર્ષો પૂર્વે જ્યારે ત્યાં ભા.જ.પ.ની સરકાર હતી ત્યારે બાળકોને આંગણવાડી અને શાળાનાં મધ્યાહન ભોજનમાં ઈંડા આપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ઈંડાં બિનશાકાહારી છે એવો ધાર્મિક વિવાદ ઊભો કરી તે નિર્ણય પર બંધી મૂકાયેલી.

હમણાં ત્યાં કોંગ્રેસની સરકાર આવતાં આ નિર્ણય ફરી લેવાયો છે. પરંતુ વિપક્ષમાં બેઠેલા બી.જે.પી.ના નેતાઓએ તેની સામે હોહા મચાવી છે. બી.જે.પી.ના એક અગ્રણી નેતા અને ભૂતપૂર્વ પ્રધાને તો હમણાં ચાર દિવસ પહેલાં એવું કહી નાખ્યું કે "આજે સરકાર બાળકોને ઈંડાં ખવડાવશે ,કાલે મરઘાં – માંસ ખવડાવશે! અને છેવટે તેને લઈ બાળકો માનવભક્ષી – માણસખાઉં બની જશે ..!"

દેશમાં જ્યારે સિત્તેર ટકાથી વધુ લોકો ઈંડાં, માંસ ,મચ્છી ખાતાં હોય ત્યાં ધાર્મિક લાગણીના નામે માણસખાઉં બની જવાની અંધશ્રદ્ધા ફેલાવનારા રાજકીય નેતાઓને આપણે શું કહીશું ?

દેશની આમજનતાને રોજીરોટી – રોજગારી પૂરી નહીં પાડવી એને સરકારનો મોટો ગુનો ગણવો જોઈએ. દરેક હાથને કામ આપણી સરકારો આપી શકતી નથી એટલે મોટા ભાગની જનતા ગરીબ રહે છે, કુપોષિત રહે છે.

આવી સરકારી નીતિને આપણે 'માણસખાઉં ' ગણીશું કે પછી ઈંડાં ખાનારા ને ?

આ બધાં વિશે વિગતે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 06 નવેમ્બર 2019

Loading

અપૂર્વ આશ્ચર્ય : મુંબઈનું એરપોર્ટ

કનુ સૂચક|Opinion - Opinion|6 November 2019

શાળાજીવનમાં આબુ દેલવાડાના પ્રવાસ સમયે નખી તળાવના ઘાટ પર બેસાડી અમારા સહાયક શિક્ષકે એક વાત કહી; ‘જે કવિતા અભ્યાસક્રમમાં તમે શીખો છો તે કવિતા, “સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.” શ્રી ઉમાશંકર જોશીએ કદાચ આ જ સ્થળે બેસી લખી હશે.’

અભિધામાં પણ આ પંક્તિનું ઉરસૌંદર્ય મનને મધુર આનંદથી તરબોળ કરી દે છે. અભિપ્રેત અર્થવ્યાપને અંશત: પામવાની ઘટના બની આબુ-દેલવાડાના અનુપમ શિલ્પો જોઈને. ત્યાંના એક મંદિરમાં ગુંબજને વારંવાર ઊંચી ડોક કરીને જોતાં પણ સંતોષ થતો ન હતો, ત્યારે મિત્ર ગફૂર પરમારે કહ્યું, ‘સૂચક! ફર્સ પર ચત્તા સૂઈ જઈને જો!’ આનંદની એ પળોએ સમજના દરવાજા પર જાણે દસ્તક પડી. કાવ્ય, શિલ્પ અને ચિત્રોમાં લાઘવનો મહિમા છે. ભાવક સ્વયંસમજના ભાવવિશ્વનો વિસ્તાર ન કરે ત્યાં સુધી તેને દર્શન તો પ્રસન્ન કરશે જ પરંતુ ઉરઝરણમાં આનંદની સતત વહેવાની પ્રક્રિયાનું સાફલ્ય નહીં મેળવે. આ પ્રાસ્તાવિક જે વાત કરવી છે તેના અનુસંધાન માટે છે.

ઘર આંગણે, કાવ્ય સમાન ચિત્રો અને શિલ્પોની વાત કરવી છે. આપણું શહેર મુંબઈ, કયારે ય સૂતું નથી. પૂર્ણ ભારતનો એ ધબકાર છે. મુંબઈની મધ્યમાં જ ‘છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટૃીય એરપોર્ટ’ આવેલું છે. તેમાંથી વર્ષે પચાસ લાખથી વધુ લોકો દિવસરાત પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા નિશ્ચિત કરેલા પ્રવેશદ્વાર તરફ દોટ મૂકે છે. અહીં આંખને વિરામ આપે તેવો કલાબ્ધિ શાંત સ્વરૂપે પ્રસરેલો છે. પરંતુ આંખ ઠેરવી આ અપૂર્વ આનંદની ઉપલબ્ધિ માણવાનો પ્રવાસીઓ પાસે સમય જ નથી. વિખ્યાત ચિત્રકારો, શિલ્પીઓ, હસ્તકારીગરી અને સાંસ્કૃતિક વિરાસતની સાત હજારથી વધુ કૃતિઓને આપણી સાથે સંવાદ કરવો છે. તેની મૌન વાચાને ઉકેલવા એ આમંત્રણ આપે છે. આ કલા સંગ્રહસ્થાનની પરિકલ્પના કરનાર વિશ્વકર્માની દૃષ્ટિમાં આપણી ઉતાવળ અને પળોજણ ધ્યાન બહાર નથી. અને એટલે જ આ કૃતિઓને આપણે જે કંઈ વિધિઓ કરવાના હોઈએ ત્યાં સઘળે અને સાથે રહે તેવું કુશળ આયોજન કર્યું છે. લગભગ સાડા ત્રણ કિલોમીટર ચોકડી આકારના વિસ્તારમાં, એંસી હજાર ચોરસ ફૂટમાં ગોઠવેલી કલાકૃતિઓનો આ કલાપ્રવાસ ‘જય હે’ યોજનાને મૂર્ત સ્વરૂપ આપનાર રાજીવ શેઠી એક ઉત્તમ કલાકાર, કલાઆયોજક અને વિશ્વખ્યાત કલાસંગ્રહ પ્રદર્શનના પ્રાયોજન નિષ્ણાંત પણ છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

રાજીવ શેઠી માને છે કે ભારત સ્વયં કલાનું મહાન સંગ્રહસ્થાન છે. આપણે કલાની કાલ અને આજમાં સતત રહીએ છીએ. આપણે T2 વિમાન સ્થળના કલાપ્રવાસ પહેલાં આ માન્યતા પાછળના આધારને જાણીએ.

આદિ માનવયુગમાં ગુફાઓમાં વસતાં લોકોએ પથ્થરોને કેન્વાસ બનાવી પથ્થરોને જ તીક્ષ્ણ ધારની પીંછીઓ બનાવી કરેલાં રેખાંકનો મધ્યપ્રદેશમાં ભીમબેટકા ગુફાઓમાં મળ્યાં છે. આ અને અન્ય સ્થાપત્ય ઇતિહાસની રસમય દીર્ઘ ગાથા અહીં પ્રસ્તુત નથી. ઉલ્લેખનું કારણ એટલું જ કે ભારતના જનજીવન સાથે કલા સતત અને રોજબરોજમાં ઓતપ્રોત રહી છે. ઘરના આંગણા-ઉંબરથી માંડી શયનખંડ સુધી પરિપેક્ષ્યને અનુરૂપ ચિત્રો અને શિલ્પોની સજાવટ સાથેનો ઘરોબો ભારતની સંસ્કૃતિની ઓળખ છે. એરપોર્ટનું કલા સંગ્રહસ્થાન આદિથી આધુનિક કલાનું પ્રતિનિધિત્વ કરે છે. કલાકૃતિ એ માત્ર સર્જકની જ પરખ નથી, પરંતુ જે તેને પસંદ કરે છે તેની પણ છે. સંગ્રહસ્થાન વિશાળ જનસમૂહના વૈવિધ્યને દર્શાવે છે અને તેથી તેની ગોઠવણી કરનાર કલાવિદ્દ, ઇતિહાસ જાણકાર અને કુશળ યોજક ઉપરાંત કૃતિને યથોચિત સ્થાને મૂકવા કુશળ નિયોજક પણ હોવાનું જરૂરી છે. રાજીવ શેઠીના મન પ્રસન્ન કરી દેતા એ સામર્થ્યનું દર્શન મુંબઈના એરપોર્ટ પર થાય છે. સમાજ અને સંસ્કૃતિના અનુબંધ અને સ્થિત્યાંતરોની નોંધવહી સમાન આ સંગ્રહ છે. ઉતાવળ અને અધિરાઈથી પસાર થતાં કલારસિકો તો પળભર જરૂર રોકાશે, પરંતુ કલાકૃતિનો આ અપાર વૈભવ કોઈ પણ આબાલવૃદ્ધની આંખને પણ આનંદનો અનુભવ કરાવશે.

એકસોથી વધુ કલાકારો અને એક હજારથી વધુ કસબીઓએ રચેલી લગભગ સાત હજાર કૃતિઓનું આ અભૂતપૂર્વ સંગ્રહસ્થાન આપણી વિવિધરંગી સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રદર્શન કઈ રીતે કરે છે તે આ આયોજનને નાની રૂપરેખાથી તપાસીએ. આપણે ભારતીયો પ્રસંગાનુસાર કોઈને કોઈ વિધિ કરતાં હોઈએ છીએ. પ્રવાસે જતાં ઉંબરા પર શુભેચ્છાઓ અને આવકારની વિધિ સામાન્ય છે. એરપોર્ટ પર તો આ બંન્ને રોજબરોજની ઘટના છે. એટલે પ્રવેશમાં “ભારતના ઉંબરે” વિભાગ ‘જય હે’ આપણાં સ્વાગતમાં ધાર્મિક વિધિવિધાનની કલાકૃતિઓથી દીપમંડિત છે. જે અર્ધવર્તુળના વક્ર ગૂંચળામાં ગોઠવાયેલી કૃતિઓ દ્વારા કલાકારો અને કસબી કારીગરોની પારંપરિક અને આધુનિક માન્યતાઓની અભિવ્યક્તિ છે. વિચારપૂર્વક માળામાં મણકાઓની જેમ તેની ગોઠવણી કરી છે જેથી પ્રવાસીઓ એ વર્તુળમાંથી પસાર થાય ને સાંસ્કૃતિક વિરાસતના ગૌરવગાનનો આનંદ લઈ શકે. પ્રાયોજક અપેક્ષા રાખે છે કે ઘરનો ઉંબર ઓળંગી દૂર જતાં પ્રવાસી તેમની મનમંજૂષામાં આપણી ઉત્તમ વિરાસતને સ્મૃતિમાં રાખે અને વર્તનથી પ્રસાર કરે અને ગૌરવપૂર્વક પ્રચાર કરે. વિદેશની

મુસાફરી કરી વતનમાં પ્રવેશ કરવા ઉંબરેથી અંદર આવે ત્યારે પણ તેના સ્વાગતમાં ઊણપ તો ન જ રખાય ને! એટલે દ્વિતીય વિભાગની રચનામાં એ ધ્યાન રખાયું છે. આગમનના રસ્તા પર ખાસ આ સંગ્રહસ્થાન માટેની કલાકૃતિઓ મૂકવામાં આવી છે. મુંબઈના નકશા મુજબ શ્રેણીબંધ પૃષ્ઠ પછી પૃષ્ઠ ખૂલતાં હોય તે રીતે ગોઠવવામાં આવી છે. હવે પ્રવાસી પોતાનો સામાન યાંત્રિક પટ્ટા પર સરકતો આવે ત્યાં જવા આતુરતાપૂર્વક જાય તે રસ્તા પર ભારતના કાપડકલાનાં વિવિધ રૂપો, હસ્તકલાનો કસબ અને ખરીદીને ઘેર લઈ જઈ તેવી વસ્તુઓ અંગે માર્ગદર્શક નોંધ છે.

અહીં પ્રદર્શિત કલાકૃતિઓમાં અનેક ખ્યાતિપ્રાપ્ત કલાકારોની કૃતિઓ છે. દરેક કલાકૃતિની વિગતો દરેક ઈચ્છુકોને મળી શકે તેમ છે એટલે તે અહીં અપ્રસ્તુત છે. આમાં થોડાં નામોમાં ગુલામ મોહમદ શેખ, મીઠુ સેન, ડેસમોન્ડ લઝેરો, અમીતવા દાસ, રિયાસ કોમુ, પારવથી નાયરના નામ લઈ શકાય.  શેઠીએ આ સંગ્રહસ્થાનની પરિકલ્પના કરી તેને GVK વાઈસ ચેરમેન સંજય રેડીનો સક્રીય સાથ મળ્યો. ભારતની હજારો વર્ષ પુરાણી લોકસંસ્કૃતિનું વૈવિધ્ય , કલાવૈભવ, હસ્તઉદ્યોગ અને જનવસ્તી- સમાજને સાંકળતી આ વિધાનું એક સ્થળે પ્રદર્શન અનુપમ છે. જે કલાકૃતિઓની પસંદગી થઈ છે તેની ગોઠવણીમાં શેઠીની કલાપરખ અને દીર્ઘદૃષ્ટિનો પરિચય છે.

ઘણાં સમીક્ષકો અને પ્રસાર માધ્યમો આ સ્થળ પસંદગીની મર્યાદા દર્શાવતા કહે છે કે આંતરરાષ્ટૃીય ટિકિટ ખરીદ્યા પછી જ લોકો તે જોઈ શકે છે. આવા પ્રદર્શનનો હેતુ બહુપ્રમાણીય કલા બહોળા જનસમુદાય સુધી પહોંચાડવાનો અને જનસમાજના મનમાં સચવાય રહે તે હોય છે. આપણી વિશ્વોત્તમ વેદવાણી શ્રુતિથી જળવાઈ અને પોથી સુધી પહોંચી છે. આ એરપોર્ટની વિશેષતા એ છે કે લાખો લોકોનું અહીં આવાગમન થાય છે. આ સ્થળની જાળવણી જે રીતે થાય છે તે આવાં અમૂલ્ય કલાધનની જાળવણી માટે પણ યોગ્ય છે. આ તદ્દન નવો પ્રયોગ નથી. આમસ્ટરડમ એરપોર્ટ, ફ્રાન્સના Toulouse ટુલુઝ એરપોર્ટ, Paris પેરિસ એરપોર્ટ પર, સાઉથ કોરિયાના એરપોર્ટ પર પ્રખ્યાત કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેમ જ ન્યુ દિલ્હી એરપોર્ટ પર પણ એમ.એફ. હુસેન, પરેશ મૈટી, સીમા કોહલી અને સતીશ ગુપ્તા જેવાં વિખ્યાત કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આમ છતાં મુંબઈના એરપોર્ટ પરનું સંગ્રહસ્થાન અતિ વિશાળ પરિમાણ, અદ્ભૂત આયોજન અને પ્રયોજનની દૃષ્ટિથી અનુપમ છે. પરિશ્રમ અને પરિકલ્પનાનું સંતર્પક પરિણામ છે. આ પ્રદર્શનમાં મૂકાયેલી એકેએક કૃતિ, તેના સર્જક – ચિત્રકાર, શિલ્પિઓની માહિતિ આપતા વીડિયો અને નોંધો ઉપલબ્ધ છે પરંતુ પ્રચાર અને પ્રસાર પૂરાં નથી. ઉદ્ઘાટન સમયે અખબારોએ લેખ લખ્યા હશે પરંતુ ઘટના બની અને સ્મૃતિશેષ થયા જેવું જ.

પ્રાયોજક શેઠીએ એક પ્રત્યક્ષીકરણ સમયે જણાવ્યું કે ‘આ પ્રકલ્પ આયોજનથી અમલીકરણ સુધી સંપૂર્ણત: ભારતીય છે.’ પૌરાણિકથી આધુનિક ભારતીય સંસ્કૃતિના દરેક પાસાનું આ કલાત્મક પ્રતિનિધિત્વ કરે છે. દૃશ્ય કલાકૃતિ કવિતા નથી, પરંતુ તેમાં સંગોપિત અવ્યક્તનો અપ્રતિમ મહિમા સમાન જ છે. આ કૃતિઓ પાસે ઇતિહાસ છે. કથા છે. સંવાદ અને સંવેદના છે. આ મૌન અભિવ્યક્તિ આપણે ઉકેલવાની છે. ભારતનું પોત સ્વયં એક વિશાળ ચિત્ર છે, જેમાં ભાષા, ધર્મ, જાત – પાતના ભાતીગળ રંગો છે. અમૂર્ત – અવ્યક્ત ભારતીયતાનું ગૌરવ આ સંચિત કલાની જાળવણીમાં અને તેના સંવર્ધનમાં છે. આપણે કરીશું જ એ શ્રદ્ધા.

[પ્રગટ : “નવનીત સમર્પણ”, નવેમ્બર 2019; પૃ.101-106]

Loading

વલ્લભ નાંઢાની વાર્તા : ’આયેશા’

મહેન્દ્રભાઈ દેસાઈ|Opinion - Opinion|5 November 2019

વલ્લભભાઈ નાંઢાની આ વાર્તા, ‘આયેશા’ એમણે રચેલી અન્ય વાર્તાઓ કરતાં કંઈક જુદા જ પ્રકારની છે. વાર્તા ઘડવાની આ નવીન રીતને હું ‘ચોકઠાની રીત’ કહું છું, જેમાં પાત્રો પોતે જ પોતાના રચેલા ચોકઠામાં રહીને વાર્તા આગળ ચલાવે છે. પણ ચોકઠાની દિવાલો ઈંટ-પથ્થરોની બનાવેલી નથી, પણ એવી પાતળી છે કે સંવાદોની અવરજવર થઈ રહી છે અને પાત્રોની અલિપ્તતા પણ જળવાઈ રહી છે.

વાર્તા આમ તો સીધી સાદી છે. A boy meets a girl જેવી. અહીં બૉય એટલે મોરિસ જોન્સ, જે લંડનની એક કૉલેજમાં થિયોસોફીનો અધ્યાપક છે. અને ગર્લ એટલે આયેશા, જે એક મુસ્લિમ, મધ્યમ વર્ગની, થોડા સમય પૂર્વેથી નિરાધાર છે – હૉમલેસ છે. બન્ને જુદા જુદા ચોકઠાનાં પાત્રો છે.

વાર્તામાં એક જ ઘટના છે : વરસતા વરસાદમાં પોતાના કોર્ટયાર્ડ પાસે, ફૂટપાથના ઘાસ પર બેઠેલી, પાણીથી લથબથ ભીંજાયેલી, એક યુવતીને જોઈને મોરિસ જોન્સ, માનવસહજ ભાવથી તેમ જ  અનુકંપાથી પેલી સ્ત્રીને મદદ કરવા ચાહે છે. ‘હૅલો, કાંઈ તકલીફ છે ?’ અને યુવતી આયેશા, હૉમલેસના કઠોર અનુભવોથી ઘડાયેલી, પોતાના સ્વરક્ષણ માટે એક ચોકઠાની દિવાલ રચી દે છે. ‘મોરિસનની સામે જોયું ન જોયું ને નજર નીચે ઢાળી લીધી.’ એ ચોકઠામાં રહીને આયેશા વાર્તાની રજૂઆત કરે છે અને અંત સંવાદની એક પાતળી શી દોરી ચોકઠા પર લટકાવે છે, ‘મને કંઈ તકલીફ નથી.’

મોરિસ સહાનુભૂતિથી પિત્ઝા રેસ્ટૉરાઁમાં એને પિત્ઝા ખવડાવે છે. બહાર નીકળી પરિચયની આપ-લે કરતાં હાથ લંબાવે છે. આયેશાએ સંકોચથી હાથ લંબાવ્યો અને તરત પાછો ખેંચી લીધો. મોરિસ ધર્મ વિષયનો અધ્યાપક હોઈ અન્ય ધર્મોના વિચારો, રીતરિવાજોથી માહિતગાર છે. તેથી પોતાના ચોકઠામાં આવી જાય છે, અને પેલી પાતળી દોરીને અનુસરી પોતાના જ ચોકઠામાં રહીને એના મનોભાવો થકી અને નાનકડા સંવાદ વાટે વાર્તા આગળ ચલાવે છે. આમ બન્ને પાત્રો પોતપોતાના ચોકઠામાં રહી, સંવાદ-દોરીને અનુસરીને સંવાદ રચે, ક્યારેક એકબીજાં પ્રત્યે શંકાકુશંકા કે ભાવ-પ્રતિભાવ સ્વગત સંવાદો રચીને વાર્તા આગળ ચલાવે. વાર્તાકારની આ રીત વાચકને જરૂર પ્રભાવિત કરે છે.

વાચકને આ ચોકઠાની નિરસતા ખૂંચે, કારણ કે એક જ ઍપાર્ટમેન્ટમાં આ યુવાન સ્ત્રી-પુરુષ સાથે રહે છે, પણ ક્યાં ય ફણગો ફૂટતો નથી લાગતો, કશું ય અંકુરિત થતું નથી. એ નિવારવા વાર્તાકારે ક્યાંક રસિકતાની રચના કરી. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે ‘પેલો ટૃાય કરે તો’. અને એને ગલગલિયાં થાય. તો બીજી બાજુ બહાર સોફા પર સુતેલો મોરિસ અડધી રાતે બાથરૂમમાં જવા માટે, આયેશા જ્યાં સૂતી છે એ બેડરૂમમાં જાય અને પોતાની પથારીમાં સુતેલી આયેશાને જોઈ રહે …… પણ ધાર્મિકતાનું ચોકઠું, એટલે સંયમ જાળવીને રૂમ બહાર નીકળી જાય છે.

ડોરોથી − મોરિસની માતા. એનું પાત્ર બહુ નાનું છે પણ વાર્તામાં એ અગત્યની ભૂમિકાએ છે. એને પણ વાર્તાકારે એક ચોકઠામાં બેસાડી દીધી છે. તે દીકરાથી અલગ રહે છે. દીકરાના જીવનમાં કોઈ દખલગીરી કરતી નથી, પણ માતાનું દિલ છે. એટલે આયેશા જેવી મધ્યમ વર્ગની અને સંસ્કારી છોકરી પોતાના દીકરા સાથે રહે છે, તો ક્યાંક ગોઠવાઈ જાય તેવું વિચારતી હોય છે, પણ મોરિસને કે આયેશાને સામેથી પૂછતી નથી.

વાર્તાના અંતે આ ત્રણેય ભેગાં થાય છે, પોતપોતાના ચોકઠાંમાંથી નીકળીને, થોડા સંવાદો અને મનોભાવો થકી વાર્તા અંતિમ ચરણે આવે છે, અને અચાનક જ અણધાર્યા મુકામે વાર્તા પૂરી થાય છે. વાચક દિગ્મૂઢ બની જાય અને વાર્તાકાર બધાને પ્રભાવિત કરીને ખુશી ખુશીથી નીકળી જાય.

વાહ ! વલ્લભભાઈ, વાહ !

પણ સર્વ હક લેખકને સ્વાધીન, એ વાત એમનાં પાત્રો સ્વીકારતાં નથી, કારણ કે પાત્રો પોતે જ પોતાના પાત્રાલેખન થકી પોતપોતાનો રસ્તો બનાવી લે છે. આયેશા એ હોમલેસ છે અને હોમલેસનેસ એટલે જીવનની અનિશ્ચિતતા, અસ્થાયી જીવન અને સ્વ બચાવ માટે શંકાનું કવચ જે એની માતાએ પહેરાવેલું, એટલે આયેશા માટે શંકા નિવારણ કરવું એ દુષ્કર છે, અને ઈચ્છા હોવા છતાં પણ કોઈની સાથે જોડાવવું એ કઠિન બને.

મોરિસ જોન્સ − બાળપણથી જ ખ્રિસ્તી ધર્મના વિચારોથી રંગાયેલો છે. એની ઉંમરના છોકરાઓ જ્યારે છોકરીઓ પાછળ ઘેલા થાય ત્યારે મોરિસ બાઇબલ વાંચવામાં રસ ધરાવે. એટલે એનામાં સંયમી વર્તાવ ઘડાતો જાય અને એક પ્રકારની અલિપ્તતા કેળવાતી જાય. પાંચ દિવસની મહેમાનગતિ માણ્યા બાદ આયેશા હૃદયપૂર્વક કહે કે ‘આઈ એમ રિયલી થેન્કફૂલ’, એ પળે અન્ય પુરુષની જેમ આયેશા પ્રતિ નજીક થઈ શક્યો હોત; કંઈક અંકુરિત થઈ શક્યું હોત. પણ એ તો કેવળ હાથ ઊંચો કરીને રૂમની બહાર નીકળી જાય છે. એ એની અલિપ્તતા કે પછી એના પિતાએ બાળપણમાં કરેલી ટકોર કદાચ સાચી હોય ?

ડોરોથી − ખ્રિસ્તી ધર્મનાં નીતિનિયમોમાં આસ્થા રાખનારી, દીકરાએ એક અનાથ – બેઘર યુવતીને એના ઍપાર્ટમેન્ટમાં ‘પનાહ’ આપી છે તે ‘ગુનાહ’ નથી, એવી સોચ ધરાવનારી, પુત્રના લક્ષણ પારણામાંથી એવું જાણનારી એ નારીને કંઈક શંકા થાય કે આયેશા સાથે લગ્ન કરીને દીકરો એને ઘરમાં સ્થાન તો આપશે પણ સ્ત્રી સહજ ભૂખ સંતોષી ન શકે તો ? આયેશા પછી ફરીવાર બેઘર થઈ જાય એના કરતાં એને દીકરી તરીકે અપનાવું તો !!!

આમ ત્રણેય પાત્રો પોતપોતાના સ્વ-ભાવ કે સ્વ-પ્રકૃતિ અનુસાર વાર્તાના એ જ અંત તરફ બઢતાં હોય તો એ પાત્રો પણ વાર્તાની સફળતાના ભાગીદાર બને છે.

ઘટનાઓ ઘડ્યા વગર, કેવળ પાત્રોના બોલ કે અબોલ સંવાદો થકી વાર્તા રચવી, પાત્રો એકબીજાંની નજીક આવે પણ તેમના સ્વ-ભાવ પ્રમાણે કંઈ જામે નહિ − અલિપ્ત રહે ત્યારે વાચકને આગળ ઉપર કંઈક થશે, એ માટેની ઈન્તેજારી રહે અને એ ઈન્તેજારી છેવટ સુધી જળવાઈ રહે એ રીતની વાર્તા રચવાનો શ્રેય વાર્તાકારને જરૂર ઘટે.

એક બે ક્ષતિઓ તરફ આંગળી ચીંધું ! કોઈ પણ હોમલેસ વ્યક્તિ બીમાર થવાના ડરથી વરસતા વરસાદમાં ભીનાં ઘાસ પર ખુલ્લામાં બેસે નહિ. હા. પાણીથી લથબથ થયેલી યુવતીનું ચિત્ર કામુક ભાવ જગાડે. પણ તે માટે માખણ જેવી પીઠ પર ફેલાયેલા કાળા વાળ એ વર્ણન અત્રે અસ્થાને છે.

આ તો થઈ વાર્તા વિશેની વાત, પણ વાર્તામાંથી ઊઠતા એક બે મુદ્દા મને દેખાયા છે તેની વાત કરું.

આ વાર્તા એક ધાર્મિક વાર્તા નથી, પણ એમાં ક્રિશ્ચિયન વેલ્યૂની જે નોંધ કરાઈ છે, તે છે હ્યુમન વેલ્યૂ ઍન્ડ એમ્પથિ – માનવ મૂલ્ય અને અનુકંપા. કોઈ પણ જાતિ કે ધર્મની પરવા કર્યા વગર ત્રસ્ત વ્યક્તિ પ્રતિ કેવળ અનુકંપાથી દોરાઈને એને મદદરૂપ થવા કે એના દુ:ખમાં ભાગીદાર થવાનો એક આદર્શ અહીં વ્યક્ત થયો છે.

બીજો મુદ્દો − વાર્તામાં થોડીક શૃંગારિકતા લાવવા માટે વરસાદમાં બીંજાતી સ્ત્રીનું વર્ણન કર્યું છે, એમાં થોડી કામુકતા છે. પણ એથીયે આગળ વધીને, એકાન્તમાં એક અનજાન પુરુષ સાથે રહેતી સ્ત્રીના મનમાં કેવા ભાવો પ્રગટે છે તેનું પણ બયાન કર્યું છે. બાથરૂમમાં ન્હાતી આયેશા મનોમન વિચારે છે કે ‘પેલો ટૃાય કરશે તો?’ અને એના દિલમાં ગલગલિયાં થવાં લાગે છે. અને આગળ જતાં એક બીજો ભાવ જાગે છે, ‘એ જેન્ટલમેનનો બચ્ચો થવા જશે અને ટૃાય નહિ કરે તો ?’ યુવાન સ્ત્રીપુરુષ, એકબીજાંથી અનજાન, પણ એકાન્તમાં મળે ત્યારે આવા કંઈક વિચારો ઉભરાય એ સ્વાભાવિક છે. અને ખાસ કરીને પુરુષના ભાવોને પ્રગટ રૂપે બતાવાય છે, જ્યારે સ્ત્રીના ભાવો અ-પ્રગટ રહેતા હોય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી એ પુરુષ માટે ભોગ માટેનું સાધન મનાય છે. પણ સ્ત્રી એ ભોગ્ય વસ્તુ નથી, એ એક ભોક્તા પણ છે. હવે ‘સ્ત્રી માટેના સમાન હક’ની વિચારધારાથી નવી સમજ કેળવાતી જાય છે, એ પ્રતિ લેખકે અહીં અંગૂલિનિર્દેશ કર્યો છે.

e.mail : mndesai.personal@googlemail.com

(વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠક – ‘વાર્તા વર્તુળ’માં, શનિવાર, 02 નવેમ્બર 2019ના દિવસે આ વાર્તા વિશે રસદર્શન થયું તેની પ્રમુખ રજૂઆત)

આ વાર્તા અહીં જોઈવાંચી શકાય છે : https://opinionmagazine.co.uk/details/4777/ayesha

Loading

...102030...2,6322,6332,6342,635...2,6402,6502,660...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved