Opinion Magazine
Number of visits: 9577525
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણથી બેહાલી

રોહિત શુક્લ|Opinion - Opinion|14 November 2019

નિશાળો, કૉલેજો કે યુનિવર્સિટીઓમાં ભણાવવાના કે અન્ય સંલગ્ન કામગીરીમાં રોકાયેલાઓને પોતે જે કાંઈ કરે છે તે શા માટે કરે છે, તેની કુલ અસર શી છે, જે કામ કરાવવામાં આવી રહ્યું છે, તેની પાછળ કયા વિચારો કામ કરે છે અને પોતાની કામગીરીનાં પરિણામ કેવાં આવે છે, તે બધા વિશે કોઈક વ્યાપક દૃષ્ટિકોણથી વિચારવાનો ભાગ્યે જ સમય મળતો હશે. તેમાં રસ-રુચિ હશે કે કેમ તે પણ વિચારવું ઘટે. એક અત્યંત સાદા પ્રશ્નથી પ્રારંભ કરીએઃ

દિલ્હીમાં શિક્ષણની વ્યવસ્થામાં સગવડો તથા ગુણવત્તામાં, આટલા ટૂંકા સમયમાં (પાંચ વર્ષમાં !) આટલો મોટો સુધારો આવી શક્યો અને ‘મહાન’ ગણાતા ગુજરાતની શિક્ષણની હાલત આટલી ખસ્તા કેમ ? દિલ્હીમાં શિક્ષક વધારે સારા હશે ? યાદ રહે, પાંચ વર્ષ અગાઉ પણ લગભગ આ જ શિક્ષકો હતા. દિલ્હીમાં ફેર પડ્યો તેનું કારણ તેનો સુંદર વહીવટ છે. આ વર્ષે અર્થશાસ્ત્રનું નોબલ સમકક્ષ ઇનામ મેળવનારા અભિજીત બેનર્જીના વિચારોનો તેમણે કરેલો ઉપયોગ પણ ઘણો કામ આવ્યો છે. સામે પક્ષે થોડાંક વર્ષ અગાઉ ગુજરાતના એક વહીવટી અધિકારીએ ખંડસમયના અધ્યાપકો માટે વાપરેલા શબ્દો એટલા બિનશોભાસ્પદ છે કે ‘અભિદૃષ્ટિ’ તેનો ઉલ્લેખ પણ નહીં કરે! અલબત્ત, ગોરા બ્રિટિશ હાકેમોની જગ્યાએ આવી પડેલા આ સત્તાના મદોન્મતો આગળ અંગ્રેજોની વિવેકી ભાષા અને તહજીબને યાદ કરીને ગ્લાનિ અનુભવવી રહી !

હમણાં જ એક નવો ઉત્સાહ વ્યક્ત થયો છે. આર્થિક બદહાલીથી ગુજરી રહેલા આપણા સમાજમાં સરકાર અન્ય ખાસ કશું કરી શકે તેમ જણાતું નથી; કદાચ તેથી જ હવે નવી વાત આવી છે : આપણે ત્યાં હવે વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવશે ! આમ તો ભારતમાં, ૧૯૪૨માં ક્વિટ ઇન્ડિયા મૂવમૅન્ટ ચાલી હતી; હવે યુવાઓ અને ધનવાનોની નવી ક્વિટ- ઇન્ડિયા મૂવમૅન્ટ શરૂ થઈ ગઈ છે ! અમેરિકા, કૅનેડા અને યુનાઇટેડ કિંગ્ડમ. તો જૂનાં અને જાણીતા ગંતવ્યસ્થાનો હતાં; હવે મેડિકલના અભ્યાસ માટે ફિલિપાઇન્સ, ચીન, યુનાઇટેડ કિંગ્ડમ., રશિયા, દક્ષિણ આફ્રિકા વગેરે નજીકના દેશો ઊભરી રહ્યા છે. ભારતમાં મેડિકલમાં પ્રવેશ નથી મળતો તેથી જ વિદ્યાર્થીએ વિદેશ જાય છે, તેવું ધારવાની ભૂલ કરવા જેવી નથી. ગુજરાતનો જ દાખલો લો. એક તો અહીંની મેડિકલ કૉલેજોમાં પૂરતો સ્ટાફ જ નથી; ઘણે ઠેકાણે કૉલેજ સાથે સંલગ્ન દવાખાનામાં પૂરતા દરદીઓ પણ હોતા નથી ! ફીનાં ધોરણો અકલ્પ એવાં ઊંચાં છે. ગુજરાતમાં મેરિટથી પ્રવેશ મેળવી શકનાર વિદ્યાર્થી એમ.બી.બી.એસ. થતાં સુધીમાં લગભગ રૂ. પચાસ લાખ ખર્ચે છે, જેમાંથી માત્ર ફીના રૂ. ૪૨ લાખ હોય છે આની સામે, અમેરિકાની યુનિવર્સિટીના સભ્યાસક્રમ ભણાવનાર ફિલિપાઇન્સમાં પૂરતા શિક્ષકો, માત્ર ચાળીસ જ વિદ્યાર્થીઓની બૅચ અને રહેવા, જમવા, પુસ્તકો અને ગણવેશ સહિતનો ખર્ચ માત્ર રૂ. ૨૧ લાખ છે ! મેડિકલના અને વધુ વ્યાપક રીતે અન્ય અભ્યાસક્રમોમાં પણ ઘણી ઊંચી ફી માટે કયાં આર્થિક કારણો જવાબદાર છે, તે ગંભીર શોધનો વિષય છે.

શાળેય શિક્ષણથી શરૂઆત કરીએ તો જે સમસ્યાઓ ઝટપટ ઊડીને આંખે વળગે છે, તે આટલી :

૧. ગુજરાતમાં સરકારી શાળાઓમાં ૨૨ હજાર શિક્ષકોની ઘટ છે. સરકારના સર્વ શિક્ષા- અભિયાન, શાળા પ્રવેશોત્સવ, ગુણવત્તા – અભિયાન વગેરે તમામ કાર્યક્રમોની આ શિક્ષકોની આ ઘટને કારણે હવા જ નીકળી જાય છે. વગર શિક્ષકે ગુણવત્તા જાળવવાનો કે વધારવાનો કોઈ કીમિયો  જડ્યો હોય, તો સરકારે તેને સત્વરે જાહેર કરવો જોઈએ.

૨. રાજ્યની ઘણી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય છે. વર્ગો (ચોમાસા સિવાય) બહાર ખુલ્લામાં ચાલે અને ચાર કે પાંચ ધોરણના વિદ્યાર્થીઓ ચાર દિશામાં બેસે અને એક શિક્ષક વચ્ચે ઊભા રહીને ચારેય વર્ગોને ભણાવે, તેથી ગુણવત્તા જળવાશે ?! ખૂબી એ છે કે આ કોઈ નવી કે આકસ્મિક ઘટના નથી.

૩. સરકારી ગણાતી શાળાઓ પૈકી ઘણાંનાં મકાનો જર્જરિત થઈ ગયાં છે. ‘સિત્તેર વર્ષમાં કશું થયું નથી’ એમ કહેનારાઓએ યાદ રાખવા જેવું છે કે અનેક શાળાઓના ઓરડા આ સિત્તેર વર્ષમાં બન્યા છે. પૂજ્ય મોટા જેવા ગુજરાતના એક સંતે તો ગામેગામ નિશાળોના ઓરડા બાંધવા માટે દાનની અપીલ કરેલી. ૧૯૮૬ની શિક્ષણ નીતિ હેઠળ રાજીવ ગાંધીએ ‘ઑપરેશન બ્લૅક બોર્ડ’ અને પ્રત્યેક જિલ્લામાં નવોદય શાળાઓ રચી શિક્ષણની ગુણવત્તા સુધારવા પ્રયાસ કરેલો.

૪. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની વાત નારાબાજી કે ભાષણબાજી અને ઉપદેશથી આગળ કેમ નથી વધતી ? નિશાળોને ફરતી કંપાઉન્ડ વૉલ ન હોય, છોકરીઓ માટે અલગ ટૉઇલેટ ન હોય અને માથું ફાડી નાંખે તેવા ફીના આંકડા હોય ત્યાં મા-બાપ શું કરે ? ફી-નિયંત્રણ, ટૉઇલેટ અને કંપાઉન્ડ વૉલ બાંધવા અને પોપડા ન ખરે તેવા વર્ગખંડો બાંધવામાં પણ સરકાર હજુ સફળ નથી થઈ. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર આપણે ઉતરાણ કરીએ તે શક્ય છે પણ શાળાઓમાં જરૂરી સગવડો કરીએ તે અશક્ય છે.

૫. ગુજરાત સરકારે એક-બે વાર ગુણવત્તાની તપાસના આંકડા બહાર પાડ્યા તો ખરા પણ પછી પોતાની ભૂલ સમજાઈ ! આ આંકડાં વડે સરકારની નિષ્ફળતા સાબિત થતી હતી. મજાની વાત એ છે કે શિક્ષણની ગુણવત્તાની તપાસ સરકારી તંત્ર દ્વારા થાય છે. તેમાં કોઈ શિક્ષણશાસ્ત્રીની સામેલગીરી જરૂરી ગણાતી નથી. ભલે! હવે આપણે એમ કરીએ કે જે રીતે સરકાર શિક્ષણની ગુણવત્તા તપાસે છે, તેવી જ રીતે સરકારી કામગીરીની તપાસ શિક્ષકો પાસે કરાવવી ઘટે. ચોમાસામાં બટકી જતા પુલો, રસ્તે રસ્તે ધૂણતા ભૂવાઓ, નર્મદાની તૂટી પડતી નહેરો, દૂષિત પાણી, સગવડ વગરનાં દવાખાનાં, વીજળીનાં મસમોટાં બિલ, ખાનગી શાળાઓ દ્વારા વસૂલાતી ફી … ઘણા વિષયો છે, જેની તપાસ અને સંશોધનનું કામ સરકારે શિક્ષણજગતને સોંપવું જોઈએ.

ખેર ! આવાં અનેક કારણોસર શાળા પ્રવેશોત્સવ પછી પણ ઊંચો ડ્રૉપઆઉટ અને નીચી ગુણવત્તા આપણા શિક્ષણ સાથે સંકળાયેલાં જ રહ્યાં છે. પેલાં ‘સિત્તેર વર્ષ’માં હાલત આટલી ખરાબ ન હતી; આજના મુકાબલે તે થોડાક ‘અચ્છે દિન’ હતા.

ગુજરાત રાજ્યે પોતાની જી.ડી.પી. (સ્ટેટ જી.ડી.પી.)ના ૧.૪૬ ટકા (૨૦૧૮-૧૯) શિક્ષણ પાછળ ખર્ચ્યા, પ્રાથમિક શિક્ષણ માટે તો માત્ર ૦.૯૧ ટકા ! શિક્ષણ પાછળના ખર્ચની બજેટ હેઠળની જોગવાઈમાં, પાછલા વર્ષની તુલનાએ ૨૦૧૯-૨૦માં માત્ર ૧.૭૪ ટકાનો વધારો થયો, પરંતુ પ્રાથમિક શિક્ષણ પાછળના ખર્ચમાં રૂ. ૨૨૮.૫ કરોડનો ઘટાડો થયો ! સરકારને ગુણવત્તા અંગે ચિંતા છે અને હોવી જ જોઈએ, પરંતુ વર્ષ ૨૦૧૯-૨૦માં, પ્રાથમિક શિક્ષણ પાછળના કુલ રૂ. ૧૩,૮૪૮.૪૯ કરોડમાંથી શિક્ષકોની તાલીમ માટે માત્ર ૦.૨૦ ટકા ફાળવવામાં આવ્યા !

બીજી તરફ, દેશનાં ૧૮ મોટાં રાજ્યોના શિક્ષણ પાછળના ખર્ચની ટકાવારી તુલના કરીએ, તો વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં છત્તીસગઢ પ્રથમ સ્થાને હતું, જ્યારે દેશમાં પોતાને વિકસિત રાજ્ય ગણાવાતું ગુજરાત ૧૪માં સ્થાને હતું !

રાજ્યના શિક્ષણના પ્રયાસોને લીધે અક્ષરજ્ઞાન ધરાવતી વસ્તીની ટકાવારીમાં વધારો થયો છે, તે સાચું પણ આ વિગતોને જરાક વધુ ધ્યાનપૂર્વક તપાસવાની જરૂર છેઃ

દેશમાં તાજેતરનો સાક્ષરતાનો દર આ પ્રમાણે છે :

કુલ સાક્ષરતા ૬૯.૧૪ ટકા

એસ.સી. ૭૦.૫૦ ટકા

એસ.ટી. ૪૭.૭૪ ટકા

પરંતુ તેમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો ગાળો મોટો છે :

કુલ વસ્તી ૨૧.૮૬ ટકા

એસ.સી. ૨૪.૯૮ ટકા

એસ.ટી. ૨૩.૧૬ ટકા

મતલબ કે દરેક જૂથમાં સ્ત્રીઓ કરતાં લગભગ ત્રણથી ચાર ગણા વધુ પુરુષો શિક્ષિત બને છે. અને સ્ત્રીઓ પાછળ રહી જાય છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ સૂત્રને યાદ કરીએ !

ગુજરાતમાં શિક્ષણની એક અન્ય વિશેષતા એ છે કે રાજ્યમાં દર ૪.૬૬ પ્રાથમિક શાળા દીઠ માત્ર એક માધ્યમિક શાળા છે. પ્રાથમિકથી આગળ ભણવું હોય, તો ૩.૬૬ શાળાઓનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ લાંબું અંતર ચાલવું, હૉસ્ટેલમાં રહેવું અને અન્ય ભારે ખર્ચ ઉઠાવવા તૈયાર રહેવું પડે ! બેટી પઢાઓના નારાઓની જય હો !!

સરકારના ધ્યાન ઉપર આ વિગતો હોય જ અને શિક્ષણના આદર્શો તથા નીતિ વિષે પણ માહિતી હોય જ, છતાં રાજ્યની શિક્ષણની પરિસ્થિતિ ચિંતાજનક છે જ.

એક તરફ એમ કહેવાય છે કે દેશમાંથી બેકારી દૂર કરવા વાસ્તે ‘સ્કિલ’માં વધારો કરવો જરૂરી છે. પરંતુ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રની વાસ્તવિકતા એ છે કે તમામ પ્રકારની લાયકાતો એટલે કે સ્કિલ ધરાવતા હોવા છતાં વીસ હજારથી વધુ શિક્ષકોની ભરતી જ કરાતી નથી ! વળી, આવા શિક્ષકોની તાલીમ માટે પણ માત્ર ૦.૨૦ ટકાના ખર્ચની જોગવાઈ કરાય છે.

પ્રાથમિક શિક્ષણ પૂરું કરે તેને માટે માધ્યમિક શાળાઓ નથી અને છત્તીસગઢ પ્રથમ સ્થાને તથા ગુજરાત છેક ચૌદમાં સ્થાને આવે તેટલું ઓછું ખર્ચ સરકાર કરે છે.

આ સંજોગોમાં ગુણવત્તા કે ડ્રૉપ આઉટ માટે સરકારે પોતે પોતાની જ કામગીરી તપાસવાની ખાસ અને તાત્કાલિક જરૂર છે. સરકાર આ વાસ્તવિકતા પોતે જ સર્જી છે તે સ્વીકારે અને શિક્ષકોના માથે દોષ નાંખવાનું બંધ કરે તો સાચી દિશાની શરૂઆત શક્ય બનશે.

[સંપાદક, ‘અભિદૃષ્ટિ’]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 02-04

Loading

કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા : મૌલાના આઝાદ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 November 2019

આઝાદી આંદોલનની સ્વરાજ ત્રિપુટી ગાંધી, નહેરુ, પટેલ સાથે અચૂક સામેલ કરવા યોગ્ય એક નામ મૌલાના અબુલ કલામ આઝાદનું છે. ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી સેનાની, મહાન દેશભક્ત, કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા, દેશના પ્રથમ શિક્ષણ મંત્રી, કવિ, લેખક અને પત્રકાર મૌલાના આઝાદ ભારત વિભાજનના કટ્ટર વિરોધી હતા. વીસમી સદીના ભારતીય ઇતિહાસની વિરલ પ્રતિભા અને હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા મૌલાનાસાહેબનો એક ઔર જન્મદિન બે દિવસ પૂર્વે “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે મનાવાયો.

૧૧મી નવેમ્બર ૧૮૮૮ના રોજ મક્કામાં જન્મેલા મૌલાના આઝાદનું મૂળ નામ ગુલામ મોહીયુદ્દીન એહમદ હતું. તેમના પૂર્વજો બાબરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. મૌલાના આઝાદના પિતા હિન્દુસ્તાની અને માતા અરબસ્તાની હતાં. મૌલાનાસાહેબના જન્મના દસેક વરસો બાદ તેમનો પરિવાર કોલકાતામાં આવી વસ્યો. એમણે મોટા ભાગનું શિક્ષણ ઘરમાં જ લીધા પછી, ઈજિપ્તના કેરોની અલ-અ-જહાર વિશ્વ વિધ્યાલયમાં અરબીનો અભ્યાસ કર્યો હતો. એમણે પરંપરાગત ‘પીરપદ’નો વિરોધ કર્યો હતો. ઈસ્લામ ધર્મના અર્થવાહક તરીકેના વારસામાં મળેલા ‘મૌલાના’ના પદને તેમણે ધાર્મિક સંકુચિતતામાંથી બહાર આણી, વિસ્તાર કર્યો. કુરાનની પ્રમાણભૂત અને પ્રસિદ્ધ અરેબિક આવૃત્તિ એ એમનું મૌલાના તરીકેનું અગત્યનું કામ ગણાય છે. નાની ઉંમરે દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરનાર અબુલ કલામને પોતાના જ્ઞાન અને દર્શનની કોઈ સીમાઓ કે બંધનો સ્વીકાર્ય નહોતાં એટલે તેમણે પોતાનું ઉપનામ “આઝાદ’ રાખ્યું હતું જે કાયમી ઓળખ બની રહ્યું.

જ્યારે કેટલાક લોકો મુસ્લિમોને અંગ્રેજોને વફાદાર રહેવાના પાઠ પઢાવતા હતા ત્યારે એક સૂફી સંતનો દીકરો અબુલ કલામ પીરપદ છોડી જાહેરજીવનના પાઠ ભણતો હતો. કોલકાતા અને મુંબઈ વસવાટ દરમિયાન એમણે અંગ્રેજી ભાષા અને આધુનિક પુસ્તકોનો અભ્યાસ કર્યો. જેણે જ્ઞાનપિપાસા જાગ્રત કરી, જીવનમાં પરિવર્તન આણ્યું. મૌલાના આઝાદે કિશોરાવસ્થામાં “લીસાનુસ્સીદક” (સત્યવાણી) સામયિક કાઢ્યું હતું. જ્યારે મહાત્મા ગાંધીનો ભારતના જાહેરજીવનમાં ઉદય પણ નહોતો થયો ત્યારે, ઈ.સ. ૧૯૧૨માં., ૨૪ વરસના યુવાન અબુલ કલામે, મુસ્લિમોને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવવા “અલ-હિલાલ” (બીજનો ચંદ્ર) નામક સામયિક શરૂ કયું હતું. ડો. ઝાકીર હુસેન જેવા વિદ્વાન માટે પણ જેનું વાચન પ્રેરણાદાયી હતું એવા ‘અલ-હિલાલ”ના એ જમાનામાં ૨૬ હજાર ગ્રાહકો હતા. તેમાં પ્રગટ થતાં  લેખોને કારણે તે અંગ્રેજોની ખફગીનો ભોગ બન્યું અને મૌલાનાને રાંચીમાં નજરકેદ કરવામાં આવ્યા હતા.

ભારતના આઝાદી આંદોલનમાં એકતરફ રાષ્ટ્રવાદી મુસ્લિમો અને બીજી તરફ કટ્ટરપંથી મુસ્લિમોની સ્થિતિ વચ્ચે આરંભે ક્રાંતિકારીઓથી આકર્ષાયેલા મૌલાના આઝાદે કૉન્ગ્રેસમાં જોડાઈ રાષ્ટ્રવાદનો રાહ સ્વીકાર્યો. સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન વારંવાર જેલવાસ ભોગવનાર મૌલાના આઝાદ મુસ્લિમ લીગની પાકિસ્તાનની માંગણીના કટ્ટર વિરોધી હતા. એટલે લીગી નેતાઓ તેમને કોમના ગદ્દાર માનતા હતા. ત્રણત્રણ વખત કૉન્ગ્રેસ પ્રમુખપદે વરાયેલા મૌલાના આઝાદ, આઝાદી પૂર્વેના અતિ મુશ્કેલ એવા, ૧૯૩૯થી ૧૯૪૬ના સમયગાળામાં, કૉન્ગ્રેસ પ્રમુખ હતા. એમના રાષ્ટ્ર્વાદી વિચારો પ્રત્યે સૌને આદર હતો. હિંદુ મુસ્લિમ એકતાની હિમાયત અને વિભાજનના વિરોધને કારણે મૌલાના આઝાદને પંડિત નહેરુ અને સરદાર પટેલ સાથે કડવાશભર્યા મતભેદો પેદા થયા હતા. “સાચો મુસલમાન સ્વાધીનતાના જ શ્વાસ ઘૂંટતો હોય”, એમ કહેનાર મૌલાનાસાહેબ રાષ્ટ્રીય એકતાના ભોગે આઝાદી ચાહતા નહોતા. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું, “આકાશમાંથી કોઈ દેવદૂત ઊતરી આવે અને તે દિલ્હીના કુતુબમિનાર પર ચડીને કહે, હિદુ મુસ્લિમ એકતાને ઠોકર મારો અને જુઓ ૨૪ કલાકમાં તમને સ્વરાજ મળી જાય, તો હું હિંદુ મુસ્લિમ એકતા ખાતર સ્વરાજનો ત્યાગ કરવા તૈયાર છું. કેમ કે સ્વરાજ મેળવવામાં વિલંબ એકલા ભારતનું નુકસાન હશે. પણ જો એકતા લુપ્ત થશે તો સમગ્ર માનવજાતનું નુકસાન હશે.”

મૌલાના આઝાદના કૉન્ગ્રેસ પ્રમુખના કાર્યકાળ દરમિયાન જ કૉન્ગ્રેસે ભારતના ભાગલાની દરખાસ્ત વિચારી અને અંતે સ્વીકારી. ભારત-પાકિસ્તાનના ભાગલા સાથેની આઝાદીનો સ્વીકાર મૌલાનાના જીવનનો સૌથી દુ:ખદાયી દિવસ હતો. જ્યારે ગાંધીજી પણ આ નિર્ણય આગળ લાચાર ઠર્યા ત્યારે અબુલ કલામ પાસે પણ તેના સ્વીકાર સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. ભાગલા અંગે એપ્રિલ ૧૯૪૬માં એમણે કહેલું, “પાકિસ્તાન શબ્દ જ મારા સંસ્કારની વિરુદ્ધ છે. દુનિયાનો કોઈ ભાગ પાક (પવિત્ર) છે અને કોઈ નાપાક (અપવિત્ર) એવી વહેંચણી બિનઈસ્લામી છે. ઈસ્લામ આવા ભાગલા સ્વીકારતું નથી. “ એટલે જ કૉન્ગ્રેસ મહાસભાની બેઠકમાં (૧૪ જૂન, ૧૯૪૭) વિભાજનના સ્વીકાર અંગેના ઠરાવ પર તેમણે કહ્યું હતું,” રાજકીય દ્રષ્ટિએ બંને દેશો જુદા થવાના હોય તો પણ સંસ્કૃતિ અને સંસ્કારની દ્રષ્ટિએ બંને દેશોએ સાથે રહેવું જોઈએ.

સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી  (૧૯૪૭થી ૧૯૫૮) તરીકે મૌલાના આઝાદે  વિજ્ઞાન અને તકનિકી શિક્ષણનો વિકાસ કર્યો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી સંશોધન સંસ્થાઓ તેમણે સ્થાપી યુ.જી.સી, આઈ.આઈ.ટી., સાહિત્ય અકાદેમી, સંગીત નાટક અકાદમી અને લલિત કલા અકાદમીની સ્થાપના તેઓ શિક્ષણ મંત્ર્રી હતા તે દરમિયાન થઈ હતી. શિક્ષણ મંત્રી મૌલાનાસાહેબે વિજ્ઞાન અને તકનિકી શિક્ષણ દ્વારા ભારતને આધુનિક બનાવવા પ્રયાસો કર્યા હતા. ભારતની જરૂરિયાતો ભારતમાં જ સંતોષાય અને તે માટેનું શિક્ષણ મળી રહે તેવા પ્રબંધો ઘડ્યા હતા. નોકરી અને ડિગ્રી વચ્ચેનો વિચ્છેદ અને શિક્ષણ માત્ર રોજી રોટીનું સાધન ન બની રહે તે દિશામાં તેમણે કરેલાં પ્રયત્નોને ઝાઝી સફળતા મળી નહોતી.

મૌલાના અઝાદની નખશિખ દેશભક્તિ અને તેમનું કોમી એકતા પ્રત્યેનું સમર્પણ એ બાબતથી પણ પરખાય છે કે  પોતાની આત્મકથા ”ઈન્ડિયા વીન્સ ફ્રીડમ”ની રોયલ્ટીની અડધી રકમમાંથી તેઓએ ભારત અથવા પાકિસ્તાનના કોઈ બિન મુસ્લિમને અંગ્રેજી ભાષામાં ઈસ્લામ વિશે ઉત્તમ પુસ્તક લખવા કે મુસ્લિમને હિંદુ ધર્મ વિશે પુસ્તક, લખવા પુરસ્કાર આપવાની યોજનાની પોતાના વસિયતમાં જોગવાઈ કરી હતી !

મહાદેવ દેસાઈએ લખેલા મૌલાના આઝાદના જીવન ચરિત્રની પ્રસ્તાવનામાં, ૧૯૪૦માં, ગાંધીજીએ લખ્યું હતું, છેક ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે રાષ્ટ્રીય કાર્યમાં સાથીદાર રહેવાનો લાભ મને મળેલો છે. એમનું ઈસ્લામ ધર્મનું જ્ઞાન અજોડ રહ્યું છે. તેઓ અરબીના મહાન વિદ્વાન છે. એમની રાષ્ટ્રીયતા, ઈસ્લામ પ્રત્યેની એમની શ્રદ્ધા જેવી જ બુલંદ છે. ભારતીય ઇતિહાસના કોઈ પણ અભ્યાસીએ એમના આજના સ્થાન(કૉન્ગ્રેસના પ્રમુખ)નો મર્મ પામવો જોઈશે.”

૧૯૯૨માં “ભારતરત્ન”થી નવાજાયેલા મૌલાના આઝાદનો જન્મ દિવસ (૧૧મી નવેમ્બર) ૨૦૦૮થી “રાષ્ટ્રીય શિક્ષણ દિન” તરીકે સરકારી રાહે મનાવાય છે. સાંપ્રદાયિક સોહાર્દની જેને સવિશેષ જરૂર છે તેવા આપણા બિનસાંપ્રદાયિક દેશને અને તેની નવી પેઢીને મૌલાના અબુલ કલામ આઝાદના જીવનકાર્ય અને વિચારોનું સ્મરણ વારંવાર કરાવવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 13 નવેમ્બર 2019

Loading

ગુજરાત માટે ગૌરવવંતી ઘટના એટલે હેલ્લારો !

મનીષી જાની|Opinion - Opinion|13 November 2019

આજકાલ દેશમાં કોઈ હાસ્યાસ્પદ ઘટના બને, કંઈક જનવિરોધી ઘટના બને, એકહથ્થુવાદી આર્થિક-રાજકીય ઘટના બને તો તેનાં માટે 'ગુજરાત મૉડલ' એ શબ્દપ્રયોગ સામાન્ય બની ચૂક્યો છે.

ગુજરાતના આર્થિક-સામાજિક-શૈક્ષણિક વિકાસના આંકડાઓ પણ ગુજરાતના બદતર થતાં જતાં જનજીવનને ઉજાગર કરતા જ સતત દેખાયા કર્યા છે, અને બેકારી, ભૂખ, કુપોષણ, બાળમરણ, ભૃણહત્યા, સ્ત્રી-પુરુષ સંખ્યા પ્રમાણભેદ ને દલિત-આદિવાસીઓ પરનાં જુલમ-દમનમાં પણ નોંધપાત્ર ક્રમ દેશભરમાં યથાવત રહ્યો છે.

કહેવાતા પ્રગતિશીલ ગુજરાત ના બોલકા સુખી સંપન્ન ને શિક્ષિત લોકો માત્ર વિધર્મી-લઘુમતીઓ તરફ જ દ્વેષ,નફરત ધરાવે છે, એટલું જ નહીં પણ તેઓ સ્ત્રીઓ, દલિતો, આદિવાસીઓ, ગરીબો તરફ પણ એટલી જ હીન માનસિકતા ધરાવે છે.

સ્ત્રીઓ તરફ કેટલો ભેદભાવ છે તે સ્ત્રી-પુરુષ વસતિના પ્રમાણભેદથી સ્પષ્ટ બને છે. 1951 દર 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 952 હતી. આજે આ જ ગુજરાતમાં 6 વય નીચેની વસતિમાં 1,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર 890 થઈ ગઈ છે .. કેટલા મોટા પ્રમાણમાં આપણા ગુજરાતમાં રોજેરોજ બાળકીઓને જન્મતાં પહેલાં જ મારી નાંખવામાં આવે છે !

અને છેલ્લા બે દાયકામાં દલિતો પર સૌથી વધુ દમન અત્યાચારની ઘટનાઓ ગયા વર્ષે, 2018માં આપણા ગુજરાતમાં નોંધાઈ, એક જ વર્ષમાં દલિતો પરના અત્યાચારની 1,545 ઘટનાઓ ! આજે પણ માણસને માણસ નહીં ગણવાની, પોતાના જેવા જ માણસ નહીં ગણવાની વાત કેવી વિચિત્ર લાગે છે અને છતાં ય હકીકત છે. ઘોડેસવારી કરવા બદલ, ઊંચી મૂંછ રાખવા બદલ કે ગામમાંથી વરઘોડો કાઢવાને લઈ દલિતો પર જૂલમ થાય, દલિત યુવાનોને મારી નાંખવામાં આવે છે એવું આજનું ગ્રામીણ ગુજરાત કેવું પછાત લાગે છે !

અરે ! બે વર્ષ પૂર્વે ગુજરાત જેના માટે દેશ- દુનિયામાં જાણીતું છે, તે નવરાત્રીના ગરબા જોવા એક દલિત યુવાન દીવાલ પર બેસીને દૂરથી જોતો હોય એને 'ગરબા કેમ જુએ છે?' એમ કહી માર મારી, મારી નાખવાની ઘટના હજી ઘણાંની સ્મૃતિમાં તાજી છે ત્યારે ગુજરાતને ગરવી ગુજરાત કહેવી કે વરવી ગુજરાત કહેવી એ સવાલ છે જ

અને ખાસ તો રંજ એ વાતનો રહે છે કે આવી બધી ઘટનાઓને જૂલમો બનતાં રહેતાં હોય અને ગુજરાતના બૌદ્ધિકો, કવિઓ, સાહિત્યકારો આવી ઘટનાઓ અંગે મૌન રહેવાનું પસંદ કરતા હોય કે ગંગા સ્નાન ને સાધુબાવાઓનાં નમનોત્સવમાં ઝૂમતા હોય કે પછી મહાપંડિતો બની સાહિત્ય પરિષદોનાં જ્ઞાનસત્રોમાં ‘કારયિત્રી' ને 'ભાવયિત્રી' જેવા ભારેખમ શબ્દો, જે શબ્દોનો માન્ય સાર્થ જોડણીકોશમાં પણ સમાવેશ નથી; એવા સંસ્કૃતપ્રચુર, રાજશેખરી શબ્દો વાપરીને પોતાના પંડિતયુગની પંડિતાઈની મસ્તીમાં ઝૂમતા હોય ત્યારે કોણ કોને ફરિયાદ કરે એવો ઘાટ થાય છે !

'ગાંધીનું ગુજરાત' કહી – કહી ગૌરવ અનુભવનારા ગાંધી-150 નિમિત્તે પણ ગાંધીના સાહિત્ય-કલા-સમાજ વિશેના વિચારો વિશે ચૂપ રહેવાનું પસંદ કરે ત્યારે સાંપ્રત ગુજરાત નિરાશાજનક લાગે તે સ્વાભાવિક છે.

આવા દિલને બેચેન કરનારા માહોલમાં ગુજરાતના યુવા કલાકારો એક ફિલ્મ દ્વારા આનંદ અને ગૌરવની લહેરખી-છોર-છાલકથી આપણને ભીંજવી દે ત્યારે કંઈક સારું અને આશાસ્પદ લાગે જ લાગે!

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે એક ગુજરાતી ફિલ્મને દેશની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ માટેનું 'ગોલ્ડન લોટસ' સન્માન પ્રાપ્ત થાય છે.

યુવા ફિલ્મ કસબીઓ જેમાં મોટાભાગના ચાલીસી નીચેની વયના છે અને આ ફિલ્મના કથાલેખક અને દિગ્દર્શક અભિષેક શાહની તો આ પહેલી જ ફિલ્મ છે. તેણે ફિલ્મ ઉદ્યોગને એક ઊંચેરુ સન્માન અપાવ્યું છે.

આ સન્માન તો ખુશીની વાત છે જ પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ જે વિષયવસ્તુને લઈ અને જે માવજતથી બની છે તે ફક્ત કોઈ મર્યાદિત, ઉચ્ચ મધ્યમવર્ગીય, ભદ્રવર્ગીય કહેવાતાં સુખી સંપન્ન લોકોને મલ્ટિપ્લેક્સમાં મનોરંજન આપનારી નથી, પરંતુ ગુજરાતને દેશનો વ્યાપક જનસમાજ તેને માણી શકે, તે જોઈ કશુંક પામ્યાનો, આનંદની લહેરખીનો અનુભવ કરી શકે એવી આ ફિલ્મ બની છે તે એક મોટી સિદ્ધિની નોંધપાત્ર વાત છે.

‘હેલ્લારો' – એક ગુજરાતી તળપદો શબ્દ. પાણીનો, પ્રવાહનો, અવાજનો એક ધક્કો જે વ્યક્તિને સ્પર્શી શકે, ઉત્તેજિત કરી શકે, ખળભળાવી શકે, ખુશી આપી શકે.

આ હેલ્લારોની અર્થછાયાઓને આ ફિલ્મ પોતાની તાકાતથી ઘટના, દૃશ્યો, સંવાદો, નૃત્ય-સંગીતના સરવાળાથી લોકો સુધી, દર્શકો સુધી પહોંચવામાં સફળ થઈ છે તેવું લાગે છે.

કચ્છની એક લોકવાર્તા. 500-550 વર્ષો પૂર્વે વૃજવાણી નામનાં ગામનો એક ઢોલી અદ્ભુત ઢોલ વગાડતો. તેના ઢોલના તાલે ગામની 140 જેટલી આહિરાણીઓ રમણે ચઢી. દિવસ-રાત. અને તાલમાં રમતાં રમતાં ઘર-બાળકો બધું ભૂલીને રમતી રહી. નારાજ થયેલા ગામના પુરુષોએ ઢોલ વગાડતા એ ઢોલીનું માથું વાઢી નાખ્યું અને એ ઢોલી પાછળ 140 સ્ત્રીઓ પણ ‘સતી' થઈ એવી આ લોકકથા છે.

આપણી જડબેસલાક સમાજવ્યવસ્થા-વર્ણવ્યવસ્થામાં ઢોલીના તાલે રમમાણ થવું એ કહેવાતા ઉચ્ચ વર્ણનો ક્યો પુરુષ સહન કરી શકે ? અને એ ઢોલી પાછળ 140 સ્ત્રીઓ પોતાનો જીવ આપી દે એ પણ સ્ત્રીઓની કચડાતી પીડાતી વ્યથા કથાની વાત બની રહે છે. આ ઢોલી અને સતી થયેલી સ્ત્રીઓ, 141 ખાંભીઓએ ગામમાં આ લોકવારતા કહેતી હજી ઊભી છે.

આ વારતા મશહૂર છે. ઢોલીનું ધડ વાઢી નાખવું કે સ્ત્રીઓનું સતી થવું એવી સામંતી મસાલેદાર વાતને હડસેલી, એ વારતાના બીજને 1975ના સમયગાળાના કચ્છના એક ગામ સાથે સાંકળીને પિતૃસત્તાક અને સાથે સાથે વર્ણવ્યવસ્થાની માનસિકતામાં જકડાયેલો ગ્રામીણ સમાજ હજી ય કેવી રીતે પુરુષત્વના દંભી ટેકે જીવી રહ્યો છે તેની વાત આ હેલ્લારો ફિલ્મ માંડે છે.

ચારેકોર રેતી અને ગાંડા બાવળના કાંટાઓની કેદમાં અટવાયેલું એક ગામ જેમાં પુરુષો ગરબા-રાસ રમી શકે છે પણ સ્ત્રીઓ માટે મનાઈ છે. ગામમાં કશું નવું પ્રવેશતું નથી. માત્ર રેડિયો અને ભૂજથી આવતો ગામનો યુવાન ભગલો. પાકિસ્તાન સાથેના યુદ્ધ પછીનું કચ્છ અને 1975માં 'કટોકટી'ની જાહેરાતના સંદર્ભથી ફિલ્મની કથા ઉઘાડ પામે છે. કટોકટી એ કોઈ વસ્તુ છે કે શું છે – એ આ ગામલોકોને ખબર નથી, એનાથી અજ્ઞાત છે.

સાથે સાથે આ ગામના પરંપરાગત માહોલને વેગ આપે છે ગામમાં જ પડેલી એક જૂની તોપ.

ભૂજ શહેરથી આવતા યુવાન ભગલાને ગામના મુખી કહે છે કે 'તોપ વેચવી નથી, છો રહી. પહેલાથી પડી છે તે પડી છે એટલે ના કઢાય.'

તોપ જે દારૂગોળા વિનાની છે, કટાયેલી ગામની વચ્ચે નિરર્થક હિંસા દમનને વ્યક્ત કરતી; ફિલ્મ આગળ વધે છે તેમ ઘણાં ઘણાં પ્રતિકો તરીકે વિસ્તરે છે. સંવાદમાં માત્ર તેનો એક જ વાર ઉલ્લેખ થાય છે પણ દૃશ્યોમાં ક્યાંક અલપઝલપ દેખાતી આ તોપ પુરાતનવાદી, ખોટા અહમ્, મર્દાનગીના ભ્રામક ખ્યાલોના દંભને વ્યક્ત કરવામાં સહાયક જ બની રહે છે.

સંવાદોમાં 'બંદૂક ફૂટી, ના ફૂટી' જેવાં વિધાનો, મજાકની સાથે સાથે સ્ત્રી-પુરુષ સહજીવનમાં માત્ર પુરુષના આધિપત્યના જુલમની વેદના પણ ઘૂંટતા જણાય છે.

ફિલ્મમાં સંવાદ ઘણાઓછા અને ટૂંકા છે પણ ધારદાર-વેધક છે, દર્શકોની તાલીઓના હકદાર બને છે અને જે ગામની સ્ત્રીઓની વેદના, યાતના,પુરુષોના દમન અને ખાસ કરીને સ્ત્રીઓનાં સખીપણાને વ્યક્ત કરતા રહે છે.

સૌમ્ય જોશી લિખિત આ તેજાબી સંવાદોએ ફિલ્મને ઉઠાવ તો આપ્યો જ છે પણ જે ફિલ્મ ટિપીકલ હિરો-હિરોઈન કેન્દ્રિત નથી, જે ફિલ્મમાં નામચીન કલાકારોનો કાફલો નથી એ ફિલ્મમાં સંવાદોના ભાગે મોટો પડકાર હોય છે. મહદઅંશે સંવાદો જ નાનાં મોટાં પાત્રોને ઉઠાવ આપવાનું કામ કરે છે.

લાગલગાટ ત્રણ વર્ષથી ગામ વરસાદ વિના ટળવળી રહ્યું છે. રોજેરોજ દૂર સુદૂર પાણી ભરવા જતી ગામની સ્ત્રીઓને એક અજાણ્યો ભૂખ્યો તરસ્યો ઢોલી બેહાલ અવસ્થામાં રસ્તે પડેલો જોવા મળે છે.

ઢોલીને પાણીથી ગામની સ્ત્રીઓ જીવતદાન આપે છે તો ઢોલીનો ઢોલ ગામની સ્ત્રીઓને નવજીવન બક્ષે છે. ઢોલની દાંડીથી ઊઠતો અવાજ જાણે કે સ્ત્રીઓનાં જીવનમાં હેલ્લારો લાવે છે.

નવજીવન તો આવે છે પણ પિતૃસત્તાક સમાજે ઊભા કરેલા ભય, માતાનો કોપ અને કાયમી દમનનો માહોલ સતત ભય-ડરના સથવારે જ જાણે કે મુક્તિનો આનંદ લેવાતો હોય એવું અનુભવાય છે.

ગીતકાર સૌમ્ય જોશી એ લખેલા ગરબાના શબ્દોમાં કહીએ તો .. 'પહોળું થયું રે પહોળું થયું, એક સજ્જડબંબ પાંજરું પહોળું થયું ..!'

સમાજનું પાંજરું તો સજ્જડબંબ છે. ફિલ્મમાં છ જેટલા ગરબા છે. જે સૌમ્ય જોશીએ લખેલા છે. કાને પડતા પરંપરાગત ચીલાચાલુ ગરબાને બદલે અર્થસભર આ ગરબા,

ફિલ્મના મિજાજને, મુક્તિ માટેના તડફડાટને, પરંપરાને તોડવા માટેના ક્રમશઃ મંડાતા પગલાંઓને જોડવાનું અને ફિલ્મને ગતિ આપવાનું કામ કરે છે. કહો કે આ ફિલ્મમાં ગરબો જ હિરોની ભૂમિકા ભજવે છે.

ગરબા આમ તો શક્તિની ઉપાસના સાથે, સ્ત્રી શક્તિની ઉપાસના સાથે જોડાયેલા છે. પરંતુ ગામમાં પુરુષો જ ગરબા ગાઈ શકે અને સ્ત્રીઓને ગરબા ગાવાની મનાઈની પરસ્પર વિરોધી વાતને ટકરાવી અહીં ફિલ્મ દર્શકોનાં દીમાગને એક ચોક્કસ દિશામાં, ગરબાના લય તાલ સાથે જોડી, ઢોલીના ઢોલ કેન્દ્રિત બનાવવામાં સફળ નીવડે છે.

આ આખી ય ફિલ્મમાં વરસાદની રાહ જોતા, આસોની નવરાત્રી સુધી પહોંચી ગયેલા ગામમાં તો ત્રણેક નોંધપાત્ર ઘટનાઓ બને છે. સગર્ભા સ્ત્રીને મૃત બાળકીનો જન્મ, છૂપાઈને ગરબા ગાતી સ્ત્રીઓને ગામના જ યુવાન ભગલા દ્વારા જોઈ જવું ને છતાં ય તે બાબતે ગામમાં મૌન રહેવું અને ગામની એક યુવતીનાં માબાપનું પિયરમાં, ખેતરમાં વીજળી પડવાથી મોત.

આ ત્રણે ય ઘટનાઓ, દિવસે પાણી ભરવાના સમયે છૂપાઈને ઢોલના તાલે મુક્તિનો શ્વાસ અનુભવતી સ્ત્રીઓનાં જીવનમાં ‘સીસ્ટરહુડ’ – સખીપણાને એક બાજુ દૃઢ બનાવે છે તો છૂપાઈને ગરબા ગાવામાં કંઈક પાપ કરી રહ્યા છીએ એવી ભાવના સાથે ફિલ્મમાં સંઘર્ષને વેગ આપવાની ભૂમિકા ભજવે છે.

પરંપરાગત રૂઢિઓને તોડવાની સંગઠિત વાત ગામની બહેનોથી ઢોલના તાલે આગળ વધે છે તેની સાથે સાથે જ ઢોલી જે દલિત સમાજનો છે અને ભૂતકાળમાં અન્ય દૂરના ગામમાં કહેવાતા સવર્ણોના જુલમથી પીડિત છે તેના તરફ વધતો રોષ ફિલ્મના અંતને નવરાત્રીની છેલ્લી રાત્રે બનતી અણધારી ઘટનામાં આનંદસભર અંત પામીને વાર્તા પૂરી થતી હોય, પુરાણી લોકકથામાં ઢોલીનો શિરચ્છેદ થાય છે, અહીં એક સાંપ્રત સમયમાં એવું કશું બનતું નથી પણ એ બધાં જુલમ, જાતિવાદી માન્યતાઓ, પુરુષપ્રધાન સમાજના નિયમો, પોકળ છે, ખોટાં છે એવી લાગણી હળવેકથી દર્શકો સુધી પહોંચાડવામાં આ ફિલ્મ અદ્ભુત સફળતા હાંસલ કરે છે.

દર્શકો ફિલ્મોનો અંત જુએ છે, અંત બાદ ફિલ્મનાં ક્રેડિટ લખાણો વાંચે છે પણ મૌન છે. ફિલ્મના ભાવાવેગમાં એવા જકડાયેલા છે તેમાંથી બહાર આવતાં તેમને વાર લાગે છે.

આપણે ત્યાં ગુજરાતી ફિલ્મો ઘણી બને છે પરંતુ તેમાં મોટે ભાગે મંચનાં નાટકોને કેમેરામાં કંડારી લીધાં એવું જ લાગે છે.

ફિલ્મને પોતાની ભાષા છે, દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ એ નાટકથી નોખું છે એ રીતે આ ફિલ્મ ઘડતર પામી છે. યુવા ફિલ્મકાર પ્રતીક ગુપ્તાની પટકથા અને સંકલનકાર્ય, ઉલ્લેખનીય રીતે ગરબાઓનું દૃશ્ય સંકલન ખુદ લોકોનાં હ્રદયમાં હેલ્લારો ઊભો કરવામાં અગત્યનો પાઠ ભજવે છે.

ગરબા ગાનારા યુવા કલાકારો, સંગીતકાર મેહુલ સુરતીની નોંધપાત્ર ભૂમિકા સાથે પસંદ થયેલા કલાકારોને ઉત્કૃષ્ટ છબીકલા – આ બધાંનું ટીમ વર્ક એક યાદગાર ફિલ્મના સર્જનમાં અગત્યના બની રહે છે.

સાંપ્રત ગુજરાતની વાતને જ, સમસ્યાઓને જ કોઈ ભારેખમ બોધપાઠ કે પોપટિયા સંવાદોની પટ્ટાબાજી વિના મૂકવાનું આ કલાકસબીઓનું કામ ગુજરાતી સિનેમાને વેગવંતુ બનાવશે અને ગુજરાતના સ્થગિત થઈ ગયેલા કલાજગતમાં હેલ્લારો ઊભો કરવાનું કામ કરશે એવી ઈચ્છા રાખવી અસ્થાને નહીં લેખાય.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 13 નવેમ્બર 2019

Loading

...102030...2,6262,6272,6282,629...2,6402,6502,660...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved