Opinion Magazine
Number of visits: 9577521
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હેલ્લારો અને કચ્છ : આખું કોળું શાકમાં

માવજી મહેશ્વરી|Opinion - Opinion|14 November 2019

તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ રજૂ થઈ. એને રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં એક છોગું ઉમેરાયું અથવા તો એક નવું પ્રકરણ લખાયું. ‘હેલ્લારો’ને ચોમેરથી વાહ વાહ મળી. ખૂબ વખણાઈ. કચ્છીઓ એમ માનીને હરખાયા કે એ ફિલ્મ કચ્છના કેન્દ્રમાં છે, પરંતુ આખી વાહવાહીમાં કોઈને એ ન દેખાયું કે ફિલ્મનો વિચાર તો સાચો છે, પરંતુ એનું ચિત્રીકરણ જે ભૂમિ ઉપર થયું છે તે સાવ ખોટું છે. કચ્છનાં લોકગીત, લોકસંગીત અને ઢોલ પરંપરા સાથે જોડાયેલી પ્રજાની માનસિકતાનો ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક કે લેખકે અભ્યાસ કર્યો હોય એવું જણાતું નથી.

રાષ્ટ્રીય પારિતોષિક મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નો કેફ ફિલ્મ માણનારા ગુજરાતીઓને હજુ ઊતર્યો નથી. જેમણે જોઇ તેમણે આ ફિલ્મને વખાણી છે, જોનારા પૈસા વસૂલ થઈ ગયાનો સંતોષ માને છે. જો કે ફિલ્મની રીતે ફિલ્મ સારી છે. અભિનય અને છબી કલા ઉત્તમ છે. કેમેરા ટેકનિકનો ભરપૂર ઉપયોગ થયો છે. અભિનેત્રીઓએ સ્ત્રી અભિવ્યક્તિઓની બારીકી રજૂ કરી છે. જો આ ફિલ્મમાંથી કચ્છ કે ગુજરાત બાદ કરીએ તો એકાદ અપવાદને બાદ કરતાં માણવાલાયક ફિલ્મ છે. પરંતુ ફિલ્મની પશ્ચાદભૂ સાથે જોડાયેલા લોકજીવન લોકમાનસની જાણકારીનો ભયંકર અભાવ દેખાય છે.

સૌ પ્રથમ આ ફિલ્મના કેન્દ્રમાં સ્ત્રી ચેતના છે. મહિલા અભિવ્યક્તિ સ્વતંત્રતાનો મુદ્દો આ ફિલ્મનો મુખ્ય વિચાર છે. આ વિષય ભારતીય ફિલ્મો માટે નવો નથી. આ અગાઉ ફિલ્મો દ્વારા ઉત્તમ રીતે આ બાબત કહેવાઈ છે. અહીં ‘મિર્ચ મસાલા’ અને ‘રુદાલી’ને યાદ કરવી ઘટે. ‘મિર્ચ મસાલા’ ગુજરાતની ધરતી ઉપર આકાર લેતી અને ગુજરાતી ગરીમાનું પ્રતિબિંબ છે. આ ફિલ્મ સ્ત્રીનાં જાતીય શોષણની કથા છે છતાં પણ આખા ય પુરુષ સમાજને વખોડતી નથી. એનું ચોકીદારનું પુરુષ પાત્ર (ઓમપુરી) સમસ્ત સ્ત્રીઓના શિયળનો ચોકીદાર બની મેદાને પડે છે અને એક ચોક્ક્સ ઊંચાઈએ પહોંચે છે. જ્યારે ‘હેલ્લારો’માં પુરુષોને જે રીતે ક્રૂર બતાવાયા છે, એવા ક્રૂર પુરુષો ન તો કચ્છમાં હતા કે ન તો છે. ન તો કોઈ જ્ઞાતિમાં સ્ત્રીઓ ઉપર એવા અત્યાચાર થાય છે.

‘હેલ્લારો’ને સંગીત પ્રધાન ફિલ્મ પણ કહી શકાય. આ ફિલ્મમાં એક ઢોલીનું પાત્ર છે. જેના થકી જ આખી ય કથા આકાર લે છે. અહીં ઢોલ સ્ત્રીઓની સ્વતંત્રતા અને સ્ત્રીત્વના પ્રતીક તરીકે આવ્યું છે. ઢોલ ગુજરાતના સંગીત સાથે મૂળથી જોડાયેલું વાદ્ય છે. તબલા, નોબત, ઢોલક જેવાં વાદ્યો જ્યારે ગુજરાતમાં નહોતાં, ત્યારે ઢોલ હતો. એવી જ રીતે લોકરાસ પણ ગુજરાતની ઓળખ છે. આજના સમયમાં કરોડો રુપિયાનો કારોબાર થાય છે એવો નવરાત્રીનો તહેવાર મૂળે તો લોકરાસ સાથે જોડાયેલો છે. લોકરાસમાં સ્ત્રીઓ જ કેન્દ્ર સ્થાને રહેતી. લોકરાસ સ્ત્રીઓ વગર અધૂરા છે. તો એવું કેમ બને કે ગુજરાતના જ કોઈ વિસ્તારમાં સ્ત્રીઓને રમવા ઉપર પ્રતિબંધ હોય ? એક તરફ નવરાત્રી અને ગરબા ગુજરાતની ઓળખ બની ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં જ સ્ત્રીઓને ઢોલ પર રમવાની મનાઈ હોય એવી ફિલ્મ રજૂ કરીને ફિલ્મ બનાવનારા શું સાબિત કરવા માગે છે તે સમજાતું નથી.

ફિલ્મની કથા સાથે જોડાયેલાં પાત્રો પશુપાલક, શ્રમિક, દલિત કે કૃષિકાર વર્ગનાં હોય એવું દેખાય છે. વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને ગજરાતી ભાષામાં લોકવર્ણ (લોકવરણ) પણ કહે છે. ઢોલ પણ લોકવર્ણ સાથે જોડાયેલો છે. એ ચામડાની વસ્તુ હોવાથી મોટા ભાગે વગાડવાનું કામ અમુક જ્ઞાતિઓ જ કરતી રહી છે. ‘હેલ્લારો’ લોકસંગીત અને લોકવરણની માનસિકતાનો છેદ ઉડાડી દેતી ફિલ્મ છે. લોકસંગીત સથે જોડાયેલા દલિત, શ્રમિક, પશુપાલક અને ખેડૂત વર્ગમાંથી જ લોકગીતો આવ્યાં અને અત્યાર સુધી ગવાતાં રહ્યાં છે. લોકગીતોના રચયિતા મોટા ભાગના લોકવરણના જ અજ્ઞાત કવિઓ હતા. ત્યારે એ વર્ગની સ્ત્રીઓને રમવાની છૂટ ન હોય એવું ગુજરાતનું કોઈ ગામડું કે કોઈ વિસ્તાર કોઈના ધ્યાનમાં હોય અને જણાવશે તો ઉપકારક બનશે. પટકથાના લેખકે જે મુદ્દો ઉપસાવ્યો છે એ માટે ગુજરાત અને તેમાં ય કચ્છની ભૂમિ કોઈ રીતે યોગ્ય નથી. જો કે નિર્માતા, નિર્દેશક કે લેખક એમ કહીને છૂટી જાય કે આ તો કાલ્પનિક ઘટના છે. આજના ગરબા નામે ઓળખાતા લોકરાસ એ કચ્છના હોય, બરડા પંથકના હોય, સોરઠના હોય, હાલારના હોય, ઝાલાવાડના હોય, ભીલોના હોય કે પછી આદિવાસીઓના હોય. આ બધા જ લોકરાસ સ્ત્રીઓ થકી જ છે. લોકરાસ અને ઢોલ સાથે ગુજરાતની સ્ત્રીઓ સદીઓથી જોડાયેલી રહી છે. અને પુરુષોએ ન તો સ્ત્રીઓનો વિરોધ કર્યો છે કે ન ઢોલનો.

કચ્છીઓ આ ફિલ્મ જોઈને બહુ હરખાયા છે. કેમ કે આ ફિલ્મના કેન્દ્રમાં કચ્છ છે. પરંતુ થોડાક ભૂંગા (ઝૂંપડાં), કચ્છનું રણ, જોડિયા પાવા અને મુરાલાલાના અવાજને બાદ કરતાં આ ફિલ્મ કોઈ રીતે કચ્છની નથી લાગતી. નિર્માતા કે નિર્દેશક ભલે નકારતા હોય, છતાં એ સત્ય છે કે ફિલ્મની પટકથા રાપર તાલુકાના વ્રજવાણી ગામમાં ભૂતકાળમાં બનેલી ઘટનાના વિચારબીજ ઉપર રચાયેલી છે. એ ઘટનાનો ઉલ્લેખ રઘુવીર ચૌધરીની નવલકથા ‘અમૃતા’માં પણ છે. દુલેરાય કારાણીના સાહિત્યમાં પણ એ ઘટના નોંધાયેલી છે. એ કથા ઐતિહાસિક છે એમાં ના નહીં. પરંતુ આ ફિલ્મ એ ઇતિહાસ ઉપર રચાયેલી નથી. લેખકે એવો પ્રયાસ પણ નથી કર્યો. (જ્ઞાતિ વિશેષ કથાઓ ઉપરથી ફિલ્મ બનાવવી કેટલી જોખમી છે તે ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જાણે છે.) આ ફિલ્મને વ્રજવાણીની કથા સાથે ન જોડીએ તો ય, આ ફિલ્મ બનાવવામાં જોડાયેલા લોકો કચ્છથી અપરિચિત હોય એવું દેખાઈ આવે છે. અભિનેતાઓને પહેરાવવામાં આવેલાં કપડાં કચ્છનાં નથી. કચ્છના પુરુષો ક્યારે ય માથા પર લાલ પાઘડી પહેરતા નહોતા. (એ બનાસકાંઠાના ભરવાડો પહેરે છે.) ઘરેણાં અને લોકનૃત્ય પણ કચ્છનાં નથી.

નવરાત્રીના પહેલા દિવસે પુરુષોનું જે લોકનૃત્ય રજૂ કરાયું છે તે તરણેતરના મેળામાં રજૂ થતા પુરુષોનું લોકનૃત્ય છે. ગીરમાં જેને નેસ કહે છે એને કચ્છમાં વાંઢ કહે છે. એ વાંઢોમાં માણસો કરતાં અનેકગણા પશુઓ હોય છે. ‘હેલ્લારો’ની વાંઢોમાં પશુઓ જ અદશ્ય છે. (નિર્દેશકે બેકગ્રાઉન્ડમાં પશુના અવાજ મૂકીને સંતોષ માન્યો છે.) આ ફિલ્મનો ગાળો ૧૯૭૫નો સ્પષ્ટ રીતે બતાવાયો છે. ૧૯૭૫ની આસપાસ આખા ય કચ્છમાં રાજ્ય પરિવહન નિગમની બસ અંતરિયાળ વિસ્તારો સુધી જતી હતી. એમાંના કેટલાક રૂટ તો આજે પણ ચાલે છે. શું ૧૯૭૫માં કચ્છનો વાગડ વિસ્તાર એટલો પછાત હતો કે ભૂજ જવા માટે ઘોડાથી જવું પડે ? અને રણમાં રહેતો માણસ ઘોડો પાળે કે ઊંટ ? વળી કચ્છમાં ક્ષત્રિયોને બાદ કરતાં સવારી માટે ઘોડાનો ઉપયોગ કરનારા જૂજ લોકો હતા. ફિલ્મમાં દેખાતું પુરુષોનું મધ્યયુગીન ક્રૂર માનસ કચ્છના પુરુષોમાં ક્યારે ય નથી રહ્યું. ભારતના અન્ય પ્રદેશોની સરખામણીમાં કચ્છ જ્ઞાતિ સમરસતા અને સ્ત્રીસ્વાતંત્રની બાબતમાં આગળ રહ્યું છે. અહીં ત્રીજા ભાગની વસ્તી મુસ્લિમોની છે, છતાં નાનકડાં છમકલાં(તે ય આજના સમયમાં)ને બાદ કરતાં હિન્દુ મુસ્લિમ કે દલિત હિંદુઓની સમસ્યા વકરી નથી. કચ્છના જનમાનસની રગ જાણવા માટે ખાસ્સા અભ્યાસની જરૂર પડે, અહીં ધામા નાખીને રહેવું પડે. એટલે જો આ ફિલ્મ કચ્છ ઉપર બનાવાઈ હોવાનું કહેવાતું હોય તો કચ્છીઓએ ઝાઝા હરખાવાની જરૂર નથી.

e.mail : mavji018@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2019

Loading

વન વચ્ચોવચ પાનખરના પીપળે …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 November 2019

હૈયાને દરબાર

ગયા વખતની કૉલમમાં, 16મી સદી પછી નરસિંહ-મીરાંના ભક્તિ માર્ગમાં વૈષ્ણવ-ધારાનો એક વિશિષ્ટ પ્રવાહ ભળ્યો એ વિશે વાત કરી હતી. પુષ્ટિ સંપ્રદાયનો સંગીત પ્રવાહ તથા સંપ્રદાયના પ્રવર્તક શ્રીમદ્દ વલ્લભાચાર્યજી અને તેમના પછી પુત્ર વિઠ્ઠલનાથજીએ ધર્મોપદેશ માટે જ્યાં રોકાણો કર્યાં એ સ્થળો 'બેઠક' તરીકે ઓળખાયાં, અને ભારતમાં આવી લગભગ 84 બેઠકો છે એ વિશે પણ લખાયું. પરંતુ, જે લોકપ્રિય ભક્તિ ગીત માણ્યું એ, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજીના કવિ-સંગીતકાર કોણ એ ખબર નહોતી. ઘણાને ખબર નહીં હોય. પરંતુ, એ વિશે પૂરક માહિતી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ પૂરી પાડી. આ લોકપ્રિય ગીતના રચયિતા ચંદ્રકાંત મણિલાલ ભૂપતાણી વિદર્ભના અમરાવતીમાં જન્મ્યા હતા, અને નાનપણથી સંગીતના ચાહક હતા. નાગપુર અને સમસ્ત વિદર્ભમાં એમણે ભજન ગાયકી દ્વારા સંગીત સાધના કરી. એમનાં ભજન અને ગરબા લોકોના કંઠે આજે ય છે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી લખી – સ્વરબદ્ધ કરીને એમણે સમગ્ર વૈષ્ણવ સમાજને ગૌરવાન્વિત કર્યો એમ કહી શકાય. આભાર આશિતભાઈ.  

પુષ્ટિમાર્ગીઓની સંખ્યા ઘણી મોટી છે અને એનું શાસ્ત્ર અગાધ છે. પુષ્ટિ સંપ્રદાયના ચાહકો અને અભ્યાસકો માટે યુનિવર્સિટી કક્ષાએ વલ્લભવેદાંતનો અભ્યાસક્રમ દાખલ કરવાનો યશ જાય છે આર્કિટેક્ટ, કવિ, સર્જક અવિનાશ પારેખને. એમણે કૃષ્ણ પ્રેમનાં અનોખાં ગીત રચ્યાં છે જેમાં કોઈ દંભી ધાર્મિકતા નથી કે નથી પોચટ ઊર્મિલતા. ઇશ્વરની વાત પરોક્ષ રીતે અથવા તો સૂક્ષ્મ રીતે એમાં વ્યક્ત થતી હોવાથી એ સંપૂર્ણપણે સાહિત્યિક કૃતિ બની જાય છે. તાજેતરમાં જ પ્રગટ થયેલાં એમનાં 'ગીત સુરીલાં' આલબમના લોકાર્પણ વખતે એક સુંદર ગીત સાંભળવા મળ્યું, જેના શબ્દો છે; વન વચોવચ પાનખરના પીપળે …! પાનખર અને વસંતની વાત જિંદગી સાથે એમણે સરસ રીતે વણી લીધી છે આ ગીતમાં. પાનખરનું પોતાનું આગવું સૌંદર્ય છે.

વિશ્વભરનાં જંગલોમાં પાનખરનો પ્રારંભ થઇ ગયો છે. વૃક્ષોનાં જૂનાં પીળાં પર્ણો ખરવા માંડયાં છે અથવા તો નવાં પાન આવે તે પહેલાં આ ઝાડવાં જૂનાં પર્ણોનો ત્યાગ કરી રહ્યાં છે.

સુકાયેલાં પીળાં પર્ણો જાણે સોનાનાં પાંદડાં હોય એવું જ લાગે. ઝાડ નીચે સોનેરી પાનની જાજમ જ જોઈ લો. સાપ પોતાની કાંચળી બદલે તેમ વૃક્ષેા પણ જૂનાં વસ્ત્રો ત્યજીને વસંતમાં નવાં લીલાંછમ્મ વસ્ત્રો પરિધાન કરે છે. પાનખરનો વૈભવ માણતાં શીખી જાઓ તો વસંત બારેમાસ કંઈક એવી જ વાત આ ગીતમાં રજૂ થઈ છે.

લીલાંછમ્મ વૃક્ષોનાં સૌંદર્ય જેટલું જ સૌંદર્ય પાનખરમાં ખરતાં પીળચટ્ટાં પર્ણોનું પણ હોય છે. પવનમાં ઊડતાં સૂકાં પાંદડાંનો ચરરચરર અવાજ અને જમીન પર ખખડતાં પાનનો અવાજ જાણે પેલાં નવાં આવનારાં પાનને કહી રહ્યાં છે કે ધીરી બાપુડિયા, મુજ વીતી તુજ વીતશે! આજનાં લીલાં પાન આવતી કાલે પણ પીળાં બનીને એક દિવસ ખરી જવાનાં છે. આપણાં જીવનનું પણ એવું જ છે, જૂનાનો ત્યાગ અને નવાનો આવિષ્કાર ને છેવટે એક દિવસ ખરી પડવાનું. દરેકના જીવનમાં પાનખર પછી અવશ્ય વસંત આવે છે. કુદરતનો એ ક્રમ છે અને કુદરત મહાન છે. આપણે સૌએ પ્રકૃતિ પાસેથી ઘણું શીખવા જેવું છે.

પાનખરને કવિઓએ જુદી જુદી રીતે ગાઈ છે.

ઉમાશંકર જોશીની પંક્તિઓ છે, ‘પાનખર પ્રભુના ઘરની આવી.’ મોટો શેઠિયો જેમ પોતાના માણસોને ઘરે ભેટસોગાદો મોકલે એમ પ્રભુએ અમૂલ્ય એવી પાનખર મોકલી છે. પાનખરની પોતાની છટા છે અને વસંતનું સ્વયં એક હરિયાળું આકર્ષણ છે. આપણું મન એને કઈ રીતે સ્વીકારે છે તેના પર બધો આધાર છે. મરીઝ સાહેબ કહે છે :

ખુશબૂ હજુ છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું

તો બીજી બાજુ કવિ અનિલ જોશી કહે છે,

મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો.

આવી જ પાનખરની વાત લઈને આવે છે કવિ અવિનાશ પારેખ, 

વન વચોવચ પાનખરના પીપળે,
હજી વાસંતી વાયરા જોયા નથી,
કદી પાંદડે પાંદડાં રોયાં નથી.

ગીતના ભાવાર્થ મુજબ, વનની વચ્ચે એક એવું વૃક્ષ છે જેણે માત્ર પાનખર જ જોઈ છે. એ પાનખરી વૃક્ષ છે પીપળો. કવિને એ અભિપ્રેત છે કે અત્યારે આ પીપળો ભલે પાનખરની શુષ્કતા અનુભવતો હોય પણ એણે ક્યારેક તો વસંત જોઈ છે. અહીં પાનખરનો ઉલ્લેખ વયના સંદર્ભે નથી, પરિસ્થિતિજન્ય પાનખરની વાત છે. એવી પાનખર દરેકના જીવનમાં આવે છે. પરંતુ, પાનખર પછી વસંત આવશે એ આશાવાદ હોય તો જ જિંદગીનો આનંદ માણી શકાય. નકારાત્મક સંજોગોમાં પણ માણસ હકારાત્મક રહી શકે છે. જીવનમાં લીલી કુમાશ ન હોય, જીવતરને ધોવા સાવ નાનું ઝાકળબિંદુ પણ ન હોય છતાં આપણા એકાંતને ખોવાનું નથી. એકલતા અને એકાંતમાં બહુ મોટો ફરક છે. એકલતાનો ભાર લાગે, જ્યારે એકાંતમાં તો નિર્ભાર થઈ જવાય. રંગોની ગેરહાજરીમાં, વિજોગમાં પણ ઉજાસ જેવો ભાસ હોય એવા કોઈ અકળ તત્ત્વની તલાશમાં કવિ છે. વાસંતી વાયરા જોયા નથી, જીવતરને ઝાકળથી ધોયાં નથી તોયે રૂદનથી દૂર અને આનંદની પ્રતીક્ષામાં જ કવિ છે. એટલે જ અહીં એ પરોક્ષ રીતે કહે છે કે ધેર ઈઝ ઑલ્વેઝ અ સિલ્વર લાઈન. તેથી જ લાગણીવેડાને બદલે કવિનાં દરેક ગીતમાં છૂપી રીતે આશાવાદ જ પ્રગટે છે.

'ગીત સુરીલાં'નાં તમામ ગીતોમાં ભાવકના મનમાં આશ્ચર્યજનક સંવાદિતા સર્જાય છે. કવિ અવિનાશ પારેખની ભાવપૂર્ણ અતરંગી રચનાઓ કવિતા ચાહકોને વિસ્મય પમાડે છે.

આ ગીતનાં ગાયિકા દિપાલી સોમૈયા પોતાની લાગણી વ્યક્ત કરતાં કહે છે, "ગીત ભલે પાનખરનું છે પણ એનાં સ્વરો પોઝિટિવ ફીલીંગ આપે છે. તેથી કવિને જે અભિપ્રેત છે એ હકારાત્મકતા જ ભાવક શ્રોતા સુધી પહોંચે છે. જેમને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન હોય એમને આ ગીતમાં રાગ યમનની ઝલક પણ દેખાશે. રાગ યમન પૂર્ણ રાગ કહેવાય છે અને એમાં ભારોભાર શૃંગાર અને આનંદની લાગણી હોવાથી આ રાગમાં કરુણ ગીત પણ દુખદાયી નહીં પણ મનનો ભાર હળવું કરનારું લાગે છે. ઉમાશંકર શુક્લના સિતારના ટુકડા આ ગીતને વધારે કર્ણપ્રિય બનાવે છે."

દિપાલી સોમૈયાની વાત સાચી છે. આ ગીતના સ્વરકાર સુરેશ જોશીનાં ગીતોની ખાસિયત એ છે કે ગીત મીટરની દ્રષ્ટિએ સંગીતબદ્ધ કરવું અઘરું હોય તો ય એ સાહજિકતાથી એમાં સરળતા ઉમેરીને ગીત કર્ણપ્રિય બનાવે છે. યમનના સ્વરો એમનાં ગીતોની કોઇક કોઈક પંક્તિમાં અજાણતાં જ પોતાની જગ્યા કરી લે છે તેથી એ ગીતો વધુ મીઠાં લાગે છે.

"તમારી વાત સાથે એ રીતે સંમત છું કે યમનનો મારા પર પરોક્ષ પ્રભાવ હોઈ શકે. એ એવો રાગ છે જેમાં વિસ્તરવાની અપાર શક્યતાઓ છે. જો કે, પ્રયત્નપૂર્વક મેં કોઈ ગીત રાગ આધારિત નથી બનાવ્યું પરંતુ, બેશક, છેવટે એમાં કોઈક રાગના સ્વરો તો હોય જ, જેમાં યમન છૂપા વેશે પ્રવેશી જતો હશે.  'ગીત સુરીલાં'નાં ગીતો અર્થસભર છે, સંવેદનશીલ છે એટલે સ્વરબદ્ધ કરવાનો આનંદ આવે જ." સુરેશ જોશી કહે છે.

કુદરતે દરેક સૌંદર્યમાં સંવેદના ભરી છે, પ્રકૃતિની તમામ સંવેદના યોગ્ય સમયે જ પ્રગટ થાય છે. દરિયામાં મોટી ભરતી પૂનમે જ આવે છે, મેઘધનુષ વરસાદની ટાઢક પછી જ રચાય છે. ઉનાળામાં દેખાય એ ઝરણાં નથી હોતાં પણ મૃગજળ જ હોય છે. આપણે મૃગજળને ઝરણું માની લઈએ તો એમાં વાંક મૃગજળનો નહીં પણ આપણો હોય છે. સુકાઈ જવાનું પણ એક સૌંદર્ય હોય છે, જો તમે કોઈ યોગ્ય કારણ માટે સુકાતા હો. પાનખરનું સૌંદર્ય એટલે જ છે કે ત્યાં વસંત પાછી આવવાની છે. પાનખર અને વસંતનો વિરહ છે, કંઈક ઊગવાનું હોય તો ખરવાની અને ખમવાની પણ મજા હોય છે.

આથમતાં સૂર્યનું સૌંદર્ય એટલે જ સારું લાગે છે, કારણ કે એ બીજા દિવસે પાછો ઊગવાનો છે. અંધારાનું સૌંદર્ય ત્યારે જ ગમે જ્યારે પ્રકાશ પાછો આવવાનો હોય. રાહ પણ એની જ જોવાય જેના પાછા ફરવાનો વિશ્વાસ હોય અથવા કદી જશે નહીં એની ખાતરી હોય. વિદાય પાનખર જેવી ભવ્ય હોવી જોઈએ. જાઓ પણ પરિપૂર્ણ થઈને, ગરિમાપૂર્વક. નવા પરિવેશમાં પ્રવેશ પણ લાલચટ્ટક જ હોવો જોઈએ. અચરજ પામીએ એવું કેટકેટલું સમજાવે છે કુદરત! એ સમજીએ તો ઉદ્ધાર થવાનો જ.

અવિનાશ પારેખ પોતે અચરજના માણસ છે.

તેઓ કલાના ચાહક, સાહિત્યના ઉપાસક અને મિજલસના વાહક છે. ગમતાંનો કરીએ ગુલાલની જેમ વહેંચવામાં માને છે. નિજાનંદ માટે લખાયેલાં ગીતો કવિ એટલા માટે વહેંચે છે કારણ કે ભગવાન સામે એમણે ધરાવેલા કાવ્યરૂપી છપ્પન ભોગનો એ સંગીતમય પ્રસાદ જ છે. તક મળે તો જરૂર સાંભળજો આ ગીત. પાનખરમાં વસંત ખીલી ઊઠશે.

*****

વન વચ્ચોવચ પાનખરના પીપળે
હજી વાસંતી વાયરા જોયા નથી
કદી પાંદડે પાંદડાં રોયાં નથી
શમણામાં આવે વસંત ભલે એવો હો શાપ
ભમ્મરિયા વાવમાં સુક્કી શાખ લે હિલ્લોળા અમાપ
કોઈ કલરવ પ્રીત વછોયા નથી …

લીલી કુમાશ જેવા વર્ષા ઝરમરનાં
વિખરાયાં વળગણ
તરસભીની સૂની બખોલમાં ચોપાસનાં
વિસરાયા સગપણ
અમે એકલપણાને પણ ખોયાં નથી …

ફૂલોની શોધમાં સુગંધના કરમાયા સૂના પ્રવાસ
રંગોની અમાસમાં વિજોગના સચવાયા ઉજાસ
ઝાકળથી જીવતરને ધોયાં નથી …

•  ગીતકાર : અવિનાશ પારેખ    •  સંગીતકાર : સુરેશ જોશી   •  ગાયિકા : દિપાલી સોમૈયા દાતે

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 નવેમ્બર 2019

Loading

સમાજના દબાયેલા લોકોનો આક્રોશ ફિલ્મી પડદે વ્યક્ત કરનાર કેમેરામેન અને ફિલ્મમેકર ગોવિંદ નિહલાની

નીલય ભાવસાર|Opinion - Opinion|14 November 2019

કોઈ પણ કુશળ ફિલ્મમેકર માટે ફિલ્મમેકિંગની પ્રક્રિયા માટે જરૂરી ટેક્નિકલ જ્ઞાન હોવું પહેલી શરત છે. ફિલ્મ ડિરેક્ટર માટે વાર્તા અને એક્ટિંગ સિવાય એડિટિંગ, સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઈન, લાઈટિંગ વગેરેની સમજ હોવી પણ ખૂબ જરૂરી છે. ફિલ્મમેકિંગની દુનિયામાં એવા ઘણાં ફિલ્મ ડિરેક્ટર્સ છે કે જેમણે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ એડિટર અથવા સિનેમેટોગ્રાફર તરીકે કરી હોય અને બાદમાં ડિરેક્ટશનના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય. હાલ બોલિવૂડમાં એવા ઘણાં ફિલ્મમેકર્સ છે કે જેઓ કુશળ સિનેમેટોગ્રાફર અથવા ફિલ્મ એડિટર હોવાની સાથે-સાથે કામયાબ ડિરેક્ટર પણ હોય.

આજે આપણે બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર, ડિરેક્ટર-લેખક ગોવિંદ નિહલાનીના ફિલ્મ કરિયર પર એક નજર માંડીશું. બોલિવૂડમાં જ્યારે આર્ટ હાઉસ સિનેમા(સમાંતર સિનેમા અથવા નવું સિનેમા)નો યુગ શરૂ થયો ત્યારે ડિરેક્ટર શ્યામ બેનેગલની સાથે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકે કરિયરની શરૂઆત કરનાર ગોવિંદ નિહલાનીએ એક સ્વતંત્ર ફિલ્મમેકર તરીકેની પણ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી. પદ્મશ્રી વિજેતા ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીને 6 નેશનલ એવોર્ડ અને 5 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. ગોવિંદ નિહલાનીએ જે બોલિવૂડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કેમેરાવર્ક કર્યું છે તેમાં 'આક્રોશ' (1980), 'અર્ધસત્ય' (1983), 'દ્રોહકાલ' (1994), 'જુનૂન' (1979), 'ભૂમિકા' (1977), 'મંથન' (1976) વગેરેનો સમાવેશ થાય છે. કેમેરાના ટેક્નિકલ જ્ઞાન સહિત સાહિત્યની ઊંડી સમજ ધરાવતા ગોવિંદ નિહલાનીની ફિલ્મોગ્રાફીમાં સાહિત્યકાર અથવા સાહિત્યકૃતિ સાથેનો ગાઢ સંબંધ જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીએ જ્યારે સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ તેમણે ઓમ પુરી અને નસીરુદ્દીન શાહને લઈને 'આક્રોશ' (1980) નામની ફિલ્મ બનાવી. મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકર અને સત્યદેવ દુબે લિખિત આક્રોશ(1980)માં ઓમ પુરીએ એક પણ ડાયલોગ વિના માત્ર આંખો અને ચહેરાના હાવભાવથી સમાજના કચડાયેલા વર્ગનો આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે 'અર્ધસત્ય'(1983)માં મનોમંથન કરી રહેલા પોલીસ ઓફિસરના રોલમાં ઓમ પુરીએ સમાજ વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા. ડાર્ક અને વાસ્તવિક સ્થિતિ રજૂ કરતી 'અર્ધસત્ય'(1983)ને આજે પણ પોલીસ પર બનેલી શ્રેષ્ટ બોલિવૂડ ફિલ્મ ગણવામાં આવે છે. ફરી એક વખત મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકરે આ ફિલ્મ લખી અને તેનું શીર્ષક જાણીતા મરાઠી કવિ દિલીપ ચિત્રેની કવિતા આધારિત છે. ગોવિંદ નિહલાનીની આ બંને ફિલ્મોનો અંત હિંસક હતો અને દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે તેવો હતો. ગોવિંદ નિહલાનીના સિનેમામાં સમાજના દબાયેલા, કચડાયેલા અને વંચિતોની વેદના, વિભાજનની દાસ્તાન ('તમસ' સિરિયલ), નક્સલવાદ ('હઝાર ચૌરાસીકી માં' નામની ફિલ્મ), કોમી એખલાસ, મજૂરો આંદોલન (ફિલ્મ 'આઘાત'), સ્ત્રી સશક્તિકરણ, સમાજના ઉચ્ચવર્ગનો દંભ અને અસામનતા જેવા વિષયો જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીનો જન્મ તારીખ 19 ડિસેમ્બર, 1940ના રોજ કરાચી (હાલ પાકિસ્તાનમાં) થયો, બાળપણમાં તેમણે સૌ પ્રથમ ગુજરાતી સંત અને કવિ નરસિંહ મહેતાના જીવન આધારિત ફિલ્મ 'નરસી ભગત' જોઈ હતી. વર્ષ 1947ના વિભાજન બાદ તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં આવીને સ્થાયી થયો. આ દરમિયાન કેમેરાવર્ક તરફ તેમની રુચિ જાગૃત થઈ, સિંધી પરિવારમાંથી આવતા ગોવિંદ નિહલાનીએ ફેમિલી બિઝનેસમાં આગળ વધવાની જગ્યાએ કુશળ કેમેરામેન બનવાનો નિર્ણય કર્યો અને આ માટે તેમણે બેંગ્લોરમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટમાંથી સિનેમેટોગ્રાફી(cinematography)નો 3 વર્ષનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1962માં તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડના દિગ્ગજ સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્થી(ગુરુદત્તની ફિલ્મોના કેમેરામેન)ના સહાયક તરીકે કરિયરની શરૂઆત કરી. બાદમાં એડવર્ટાઇઝમેન્ટના ક્ષેત્રમાં કેમેરામેન તરીકે કાર્ય કરતા તેમની મુલાકાત ડિરેક્ટર શ્યામ બેનેગલ સાથે થઈ. આ દરમિયાન શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીએ સાથે મળીને ડોક્યુમેન્ટ્રી અને એડવર્ટાઇઝમેન્ટ પર કામ કર્યું. જ્યારે શ્યામ બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 'અંકુર' બનાવી ત્યારે ગોવિંદ નિહલાનીએ તેમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું. બાદમાં શ્યામ બેનેગલની 'નિશાંત' (1975), 'મંથન' (1976), 'ભૂમિકા' (1977), 'જુનૂન' (1978), 'આરોહણ' (1982) સહિતની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય બાદ ગોવિંદ નિહલાનીએ સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ 'જુનૂન' (1978) માટે તેઓને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો. શ્યામ બેનેગલની સાથે કેમેરાવર્ક કરતી વેળાએ તેઓ ફિલ્મમેકિંગના પાઠ શીખ્યા અને નાટ્યકાર – લેખક સત્યદેવ દુબે તેમ જ વિજય તેંદુલકર થકી તેમનો થિયેટર(નાટક)ની દુનિયા સાથે પરિચય થયો.

આ તે સમય હતો કે જ્યારે ભારતીય સિનેમામાં સમાંતર સિનેમા(નવું સિનેમા અથવા આર્ટ સિનેમા)ની મૂવમેન્ટ ચાલી રહી હતી. બોલિવૂડમાં એક બાજુ અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મિથુન, જિતેન્દ્ર વગેરે સ્ટાર્સની મનોરંજક ફિલ્મો આવી રહી હતી જ્યારે બીજી બાજુ શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, સઈદ અખ્તર મિર્ઝા અને કુંદન શાહ જેવા ફિલ્મમેકર્સ ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, સ્મિતા પાટિલ અને શબાના આઝમી જેવાં સામાન્ય ચહેરો ધરાવતાં એક્ટર્સને લઈને સમાજની વાસ્તવિકતા આધારિત રિયાલિસ્ટિક ફિલ્મો બનાવી રહ્યા હતા. ઓછા બજેટની સમાંતર સિનેમાની ફિલ્મોમાં રિયાલિસ્ટિક વિષયો, એકિટંગ, સામાજિક પ્રશ્નો, રિયલ લોકેશન્સ મહત્ત્વના હતા. આ સમયગાળામાં ગોવિંદ નિહલાનીએ જે ફિલ્મો ડિરેક્ટ કરી તેમાં 'આક્રોશ' (1980), 'વિજેતા' (1982), 'અર્ધસત્ય' (1983), 'પાર્ટી' (1984), 'આઘાત' (1985), 'દ્રોહકાલ' (1994), 'હજાર ચૌરાસીકી માં' (1997), 'થક્ષક' (1999), 'દેવ' (2004) વગેરે મહત્ત્વની ફિલ્મોનો સમાવેશ થાય છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં ઓમ પુરીને એક્ટિંગ કરવા માટેનું ખુલ્લું અવકાશ મળ્યું, અર્ધસત્ય માટે ઓમ પુરીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અજય દેવગન, અમરીશ પુરી, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, શશી કપૂર સહિતનાં જાણીતાં કલાકારો ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.

માત્ર ફિલ્મો નહીં પરંતુ ટી.વી. ક્ષેત્રે પણ ગોવિંદ નિહલાનીનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તેમણે 1988માં ભીષ્મ સહાનીની નવલકથા આધારિત 'તમસ' નામની 6 એપિસોડ્સની ટી.વી. સિરિયલ બનાવી, વિભાજનની વેદના રજૂ કરતી આ ટી.વી. સિરિયલને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી અને તેને 3 નેશનલ એવોર્ડ મળ્યા હતા. ટી.વી. સિરિયલ 'તમસ'ની પટકથા ગોવિંદ નિહલાની અને ભીષ્મ સહાનીએ સાથે મળીને લખી હતી. ગોવિંદ નિહલાનીની અન્ય મહત્ત્વની ફિલ્મમાં 'હજાર ચૌરાસીકી માં'(1997)નો સમાવેશ થાય છે. બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીની નવલકથા 'હજાર ચૌરાસીકી માં' આધારિત આ ફિલ્મમાં કથિત રીતે નક્સલવાદનો મુદ્દો અને પુત્ર ગુમાવી ચૂકેલા એક માતાની વેદના કેન્દ્રસ્થાને છે. એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદ નિહલાની જણાવે છે કે મને ફિલ્મ બનાવવાના વિચાર સાહિત્યમાંથી મળે છે. સાહિત્ય અને સિનેમા એકબીજાની સાથે સંકળાયેલાં છે. મારી મોટાભાગની ફિલ્મો સાહિત્યકૃતિ વાર્તા, નવલકથા કે પછી કોઈ નાટક આધારિત છે.

આ સિવાય રિચાર્ડ એટેનબરોની હોલિવૂડ ફિલ્મ 'ગાંધી'માં ગોવિંદ નિહલાનીએ સહાયક સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું. રિચાર્ડ એટેનબરો જ્યારે ભારતમાં 'ગાંધી'નું શૂટિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમણે સહાયક કેમેરામેન તરીકે ગોવિંદ નિહલાનીને પસંદ કર્યા હતા. આ શૂટિંગ દરમિયાન તેઓને એક કેમેરાવર્ક તરીકે કામ કરવાની સંપૂર્ણ આઝાદી મળી, ડિરેક્ટર રિચાર્ડ એટેનબરોએ ગોવિંદ નિહલાનીને તેમના દ્રષ્ટિકોણથી સીન શૂટ કરવા માટેની આઝાદી આપી. માત્ર એટલી જ સલાહ આપી કે દરેક ફ્રેમમાં ભીડ દેખાવી જોઈએ કારણ કે ભારતની આબાદી વધારે છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય'માં ઓમ પુરી, સ્મિતા પાટિલની સામે બેસીને મરાઠી કવિ દિલીપ ચિત્રેની જે કવિતાનું પઠન કરે છે તેમાં તેનો સારાંશ રહેલો છે, તેનો અનુવાદ આ મુજબ છે. 'ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલાં, હું કોણ અને કેવો હતો, તે મને યાદ નથી. ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ મારી અને ચક્રવ્યૂહની વચ્ચે માત્ર એક ઘાતક નિકટતા હતી, તેનો મને ખ્યાલ નહીં આવે. ચક્રવ્યૂહમાંથી નીકળ્યા બાદ ભલે હું મુક્ત થઈ જાઉં પણ ચક્રવ્યૂહની રચનામાં કોઈ ફરક નહીં પડે. એક પલડામાં નપુંસકતા અને એક પલડામાં પુરુષાતન, અને ત્રાજવાના વચ્ચેના કાંટા પર અર્ધસત્ય.'

(લેખક www.iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...2,6252,6262,6272,628...2,6402,6502,660...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved