Opinion Magazine
Number of visits: 9683536
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘કથા જ્યોતિ કી હૈ અન્ધો કે માધ્યમ સે’

આશિષ ઉપેન્દ્ર મહેતા|Opinion - Opinion|17 February 2020

અમદાવાદમાં ઉત્તમ કોટિનાં નાટકો ઓછાં મળે, માટે જે મળે તે દશકાઓ સુધી યાદ રહે. ૧૯૮૬-૮૭ના અરસામાં અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના ઉપક્રમે ધર્મવીર ભારતી લિખિત ‘અન્ધા યુગ’(મૂળ હિન્દી)નું દસેક દિવસ સુધી મંચન થયું હતું. નિર્દેશક હતા યોગેશ ઠક્કર અને કિરણ જોષી. આજે જ્યાં હુસૈન-દોશી ગુફા કે કનોરિયા સેન્ટર ફોર આટ્‌ર્સ છે તે પરિસરની ઝાડીઓ કુરુક્ષેત્ર બની હતી, અને મહાભારતના યુદ્ધના છેલ્લી સાંજ-રાતની ઘટનાઓ ફરી ઘટી હતી.

આઝાદી પછીના ભારતનાં ચાર-પાંચ શ્રેષ્ઠ નાટકોમાંનું આ એક છે. ભારતી ‘ધર્મયુગ’ના સંપાદક તરીકે પત્રકાર તો પહેલી હરોળના હતા જ, ઉપરાંત નવલકથા (‘સૂરજ કા સાતવાં ઘોડા’), કવિતા અને નાટકમાં પણ તેમણે ભારે પ્રદાન કર્યું. આ નાટક મહાભારતના યુદ્ધના અંતિમ સાંજે-રાત્રે – જ્યારે દ્વાપરયુગ પૂરો થયો અને કલિયુગ શરૂ થયો તે વિલક્ષણ ઘડીએ – બનતી ઘટનાઓ રજૂ કરે છે. તેમણે ૧૯૫૪માં લખેલી આ કૃતિ પર વિભાજનના લોહિયાળ પડછાયાઓ સુસ્પષ્ટ છે. સપાટી પર તો યુદ્ધની વિભીષિકાની વાત છે, કૌરવ-પાંડવ બંને પક્ષે શું કિંમત ચૂકવી તે દર્શાવ્યું છે. પણ ઊંડે ઊંડે કલિયુગી સમાજના સમસ્યાઓ ચીતરી છે. મુખ્ય પાત્રોમાં અશ્વત્થામા અને ગાંધારી છે, એટલે કૌરવના દૃષ્ટિકોણથી મહાભારત જોવાનો પ્રયાસ એમ પણ લાગે, પરંતુ આ બે પાત્રો જે પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા છે તે પ્રશ્નો સૌના છે. સત્ય ક્યાં પૂરું થાય છે અને ક્યાંથી નરો-વા-કુંજરો-વા-ના અર્ધસત્યની સીમા શરૂ થાય છે? કૌરવ હોવા છતાં પાંડવ પક્ષે યુદ્ધ લડીને, ધર્મ સાથે ઊભા રહીને યુયુત્સુએ અંદરોઅંદર ખલાસ થઈ જવામાંથી જાતને બચાવી, પણ જ્યારે માતાના મોંઢે અભિશાપ સાંભળવા પડ્યા ત્યારે એને દોષભાવ કનડે છે. બધાં પાત્રો એક પલ્લામાં ક્રોધ-ઘૃણા અને બીજામાં ક્ષમા-અહિંસા વચ્ચે સંતુલન સાધવા મથે છે, પણ હજુ રણભૂમિમાં મૃતદેહો પડ્યા છે, અને એક પલ્લું બહુ ભારે છે.

સૂત્રધાર તરીકે અરવિંદ વૈદ્ય અને ગાંધારીની ભૂમિકામાં ડાયના રાવલનું કામ આજે પણ એટલું જ તાજું છે. પણ વૃદ્ધ યાચક તરીકે કિરણ જોષી અને અર્ધસત્યથી મરાયેલા પિતાના પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાની મુખ્ય ભૂમિકામાં યોગેશ ઠક્કરે એટલી ઊંચાઈ હાંસલ કરી બતાવેલી જે આ મહાન નાટકના કોઈ પણ મંચનમાં કદાચ કોઈએ અતિક્રમી નહિ હોય. આજે પટકથાલેખક તરીકે વિખ્યાત અભિજાત જોષી એ વખતે વિદ્યાર્થી અવસ્થામાં આ પરફૉર્મન્સથી એવા અભિભૂત હતા કે, વિજયનગર ઘરેથી સાયકલ સવારી શરૂ થાય અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચર કેમ્પસમાં હઠીસિંહ સેન્ટર સુધી પહોંચે ત્યાં સુધી ‘અન્ધા યુગ’ પહેલા પાનાથી શરૂ કરીને મુક્ત કંઠે એ બોલતા કે ગાતા જાયઃ

જિસ યુગ કા વર્ણન ઈસ કૃતિ મેં હૈં
ઉસકે વિષય મેં વિષ્ણુ-પુરાણમેં કહા હૈઃ
ઉસ ભવિષ્ય મેં
ધર્મ-અર્થ હ્રાસોન્મુખ હોંગે
ક્ષય હોગા ધીરે ધીરે સારી ધરતી કા.
સત્તા હોગી ઉનકી
જિનકી પૂંજી હોગી.
જિનકે નકલી ચહરે હોંગે
કેવલ ઉન્હે મહત્ત્વ મિલેગા.
રાજશક્તિયાં લોલુપ હોગી,
જનતા ઉનસે પીડિત હોકર,
ગહન ગુફાઓમેં છિપ છિપ કર દિન કાટેંગી
(ગહન ગુફાએં – વે સચમુચ કી યા અપને કુંઠિત અંતર કી)
યુદ્ધોપરાન્ત,
યહ અન્ધા યુગ અવતરિત હુઆ
જિસમે સ્થિતિયાં, મનોવૃત્તિયાં, આત્માએ સબ વિકૃત હૈ
હૈ એક બહુત પતલી ડોરી મર્યાદા કી
પર વહ ભી ઉલઝી હુઈ હૈ દોનોં હી પક્ષોં મેં
સિર્ફ કૃષ્ણમેં સાહસ હૈ સુલઝાને કા
વહ હૈ ભવિષ્ય કા રક્ષક, વહ હૈ અનાસક્ત
પર શેષ અધિકતર હૈ અન્ધે
પથભ્રષ્ટ, આત્મહારા, વિગલિત
અપને અન્તર કી અન્ધગુફાઓં કે વાસી
યહ કથા ઉન્હી અન્ધો કી હૈ
યા કથા જ્યોતિ કી હૈ અન્ધો કે માધ્યમ સે.

પછી તો ફરી આ નાટકનાં દર્શન છેક ૨૦૧૧માં થયા. દિલ્હીમાં શીલા દીક્ષિતે કલા-સંસ્કૃતિ વિભાગને ઘણો ધમધમતો રાખેલો, તેમાં જયપુરના ભાનુ ભારતીએ આ નાટક રજૂ કરેલું. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, એન.એસ.ડી.)ના ખેરખાંઓ તેમાં ભાગ ભજવે. ગાંધારી આકાશ ભણી જોઈને પોતાના પુત્રોની હત્યા માટે કૃષ્ણ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે, શાપ આપે છે, પણ જ્યારે કૃષ્ણ શાપ માથે ચડાવે છે, ત્યારે પસ્તાઈને કહે છે કે તેં મારા શાપનો અસ્વીકાર કેમ ન કર્યો. કૃષ્ણ મૃદુ સ્વરે (આકાશવાણીથી, નેપથ્યમાંથી) ઉત્તર આપે છે :

ઐસા મત કહો માતા!
જબ તક મૈં જીવિત હું
પુત્રહીના નહિ હો તુમ
પ્રભુ હૂં યા પરાત્પર
પર પુત્ર હું તુમ્હારા
તુમ માતા હો

આ સંવાદ ઓમ પુરીના અવાજમાં સાંભળ્યાને યાદ કરતાં આજે પણ આંખમાં પાણી આવી જાય. ગોવિન્દ નામદેવ, ઝાકીર હુસૈન વગેરે સાથે તિકમ જોષી પણ બળુકો અભિનેતા છે, પણ એક વાર યોગેશ ઠક્કરને અશ્વાત્થામા તરીકે જોયા પછી, બીજા કોઈ બેસે નહિ (એ વ્યવસાયે ત્યારે પણ અને અત્યારે વકીલ છે એ જાણીએ ત્યારે અશ્વત્થામા વકીલની ભૂમિકામાં કેવા દેખાતા હશે એમ વિચાર આવે). તિકમ જોષી વળી હાઈટ-બોડીમાં પણ જરા અશ્વત્થામાની પોકેટ એડિશન જેવા લાગે. છતાં, મુખ્ય વાત હતી એ કે, ભાનુ ભારતીએ મંચન માટે ફિરોઝશાહ કોટલાના વેરાન, સૂમસામ ખંડેરો પસંદ કરેલા. એક તરફ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજી તરફ જૂના ઈન્ડિયન એક્સપ્રેસ-જનસત્તાથી શરૂ થઈને પ્રેસ સ્ટ્રીટ, પાછળ કબ્રસ્તાન અને ખાંચમાંથી આવે સલ્તનત કાળની આ જગ્યા, જ્યાં લોકો આજે પણ એ જિનને પૂજવા દીવાબત્તી કરે છે જે જિને દિલ્લીને અનેકવાર પડતી થયા પછી પણ ઇતિહાસમાં ગુમ થવા દીધું નથી.

ફિરોઝશાહ કોટલાની પસંદગીનો પણ ઈતિહાસ છે. એન.એસ.ડી.ના પિતામહ જેવા ઈબ્રાહિમ અલ્કાઝીએ ૧૯૬૩માં પુરાણા કિલ્લા અને કોટલા પર ખૂલ્લામાં કુરુક્ષેત્ર ઊભું કરેલું.તે ભારતીય રંગમંચની તવારીખમાં વિશિષ્ટ ઘટના તરીકે યાદ કરાય છે. ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ એ મંચન જોવા આવ્યા હતા. અલ્કાઝીને ખુલ્લા મંચનો વિચાર ક્યાંથી આવ્યો હશે? ધર્મવીર ભારતીએ લેખકની નોંધમાં જ લખેલું કે, “મંચનું વિધાન થોડું બદલીને આને ખુલ્લા મંચ પર લોકનાટ્યમાં પણ પરિવર્તિત કરી શકાય છે.” અલ્કાઝીની પહેલાં એ જ પંગતના મહારથી સત્યદેવ દુબેએ પણ આ નાટક ભજવેલું, પણ ક્યાં અને કેવી રીતે તેની માહિતી નથી. અમદાવાદમાં પણ ઠક્કર-જોષીએ ખુલ્લા મંચની પ્રણાલિ ચાલુ રાખી.

આ નાટકની ત્રીજી આવૃત્તિ હમણાં જોવા મળી – ગુજરાતીમાં. એન.એસ.ડી. દર વર્ષે ‘ભારત રંગ મહોત્સવ’નું આયોજન કરે છે, તે નાટકો માટે દેશનો સૌથી વધુ સમ્માનિત કાર્યક્રમ ગણાય છે. આ વર્ષે પહેલીથી ૨૧મી ફેબ્રુઆરી દરમિયાન સંખ્યાબંધ ભાષાઓના અનેક નાટકોમાં ગુજરાતીમાં બે છેઃ ‘અન્ધા યુગ’ સાતમીએ ભજવાયું અને ‘બંજારા (ભવાઈ)’ ૧૪મીએ. ખુલ્લામાં નહિ, પણ શ્રીરામ કલા કેન્દ્રના નાટ્યગૃહમાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્યકલા વિભાગે તેની રજૂઆત કરી. સુધીર કુલકર્ણીના ગુજરાતી રૂપાન્તર પરથી નિર્દેશન ચવાણ પ્રમોદ આર.નું હતું. તેમણે ભાષા બદલવાની સાથેસાથે ઘણું બદલ્યું છે, અને ક્યાંક ગુજરાતી પરિવેશ તો ક્યાંક આંતરરાષ્ટ્રીય કે સમકાલીન સંદર્ભો ઉમેર્યા છે. અમુક રીતે અનુઆધુનિક (પોસ્ટમૉડર્ન) સ્પર્શ પણ છે. રંગકલાના મહારથીઓએ જે કૃતિને પ્રણાલિગત ઢબે જ રજૂ કરી છે, તેમાં ખાસ્સા ધરમૂળના ફેરફાર કરીને રજૂ કરવાના અભિગમ માટે પ્રમોદને દાદ આપવી પડે. તેમાં કૃતિ સાથે છેડછાડનો સવાલ નથી, બલકે, તેમાં મૂળ પાઠનાં ઓછા ઉજાગર થયેલાં પાસાં સારી પેઠે ઉપસીને બહાર પણ આવે છે. ધર્મવીર ભારતીએ તો આવી રચનાત્મક છેડછાડને સામેથી આમંત્રણ આપેલું જ હતું, જેમ કે, ‘અધિક કલ્પનાશીલ નિર્દેશક ઈસકે રંગમંચ કો પ્રતીકાત્મક ભી બના સકતે હૈ.’

ફેરફારોનું એક પાસું ભાષાના સ્તરે છે. એકસમાન કાવ્ય શૈલીમાં સંસ્કૃતપ્રચુર સંવાદોના સ્થાને ગુજરાતીમાં વિવિધ બોલીઓ આવે છે, બે સ્થળે અંગ્રેજી અમેરિકી લઢણ સાથે પણ આવે છે. તેમાં ગામઠી બોલી બોલતાં પાત્રો વચ્ચે ‘સહિષ્ણુતા’ જેવા શબ્દો વાપરે ત્યારે ખૂંચે પણ ખરું, પણ એકંદરે ભાષાની મજા આવે. બીજો ફેરફાર વેશભૂષામાં, ડગલાથી લઈને ટ્રેકસુટ સુધીના. ત્રીજો ફરક પાત્રોમાં, વૃંદમાં રંગલો-રંગલી દેખા દે, અને મૂળ નાટકમાં જે લોકનાટ્યનો ભાવ હતો તે બહાર લાવે. ચોથો ફરક સંગીતમાં, જેમાં વાંસળીના સૂરની સાથે ક્યારેક પાશ્ચાત્ય અસરની લોકપ્રિય શૈલી પણ સંભળાય. અંધત્વના સંકેત માટે કાળાં ચશ્માં, વ્હીલચેર, ચીચૂડો ઈત્યાદિ સામગ્રી મહાભારતના યુદ્ધની અઢારમી રાતને લંબાવીને આપણા સમય સુધી લઈ આવે છે. અશ્વત્થામા ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર ફેંકે છે ત્યારે વ્યાસ કહે છે, ‘યહ ક્યા કિયા? અશ્વત્થામા, નરાધમ! યહ ક્યા કિયા?’ તેના સ્થાને સંયુક્ત રાષ્ટ્રનું ચિહ્ન લઈને આવેલા સુટબુટધારી અધિકારીઓ પૂછે છે, ‘વોટ હેવ યુ ડન, અશ્વાત્થામા?’ તેમાં આજની મહાસત્તાઓનાં વિશ્વનિકંદન કરી શકતાં શસ્ત્રો ઈંગિત છે. નૃત્યનાટિકાનો પણ ભાવ છે, ગુજરાતી ગરબા (‘ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર …’) અને હેલા સાથે. મૂળ નાટકનું સૌથી વધુ નોંધપાત્ર પાસું છે સંવાદો, જે અહીં મોટા ભાગે સંગીત અને નૃત્ય નીચે દબાઈ જાય છે.

આમ તો આ નાટકની અન્ય આવૃત્તિઓ જોયા પછી આવાં પરિવર્તનો ખૂંચે, અને પ્રેક્ષકનો અનુભવ ઘણો ડિસઓરિએન્ટિંગ રહે. પણ ઘણા ઠેકાણે પ્રયોગના ફાયદા પણ છે. ગાંધારીની ભૂમિકા ભજવતી પાંચ સ્ત્રીઓ દેહથી કપાયેલાં બબ્બે માથાં લઈને ત્રણચાર મિનિટ સુધી બીજું કાંઈ નહિ ને માત્ર ઊંચે જતા સૂરે ચિચિયારીઓ કરતી રહે છે, તે દૃશ્ય કોઈ પણ પ્રેક્ષકને હચમચાવીને યુદ્ધની કારુણિકાનું ભાન કરાવી રહે છે. શબ્દોની ભાષાનો અનુવાદ રંગો, પ્રકાશ, માનવદેહ અને નૃત્યના શબ્દાવલિથી કરવાનો પ્રયાસ ઘણે અંશે સફળ થાય છે. નાટકનું નામ જાણ્યા વગર, એટલે કે ધર્મવીર ભારતીની કાલજયી કૃતિ હોવા અંગેની પૂર્વધારણાઓ બાજુએ મૂકીને અને નવીન રચના તરીકે જ, આ ‘અન્ધા યુગ’ જુઓ, તો અનેક સ્તરે આનંદનો અનુભવ છે.

નિર્દેશકની નોંધમાં પણ એવા જ અભિગમનો ઈશારો છે. પ્રમોદ લખે છે, “આ મંચન પ્રણાલિગત માળખાને વળગી રહેવાના બદલે માત્ર નાટકના થિમેટિક કન્ટેન્ટ પર જ ફોકસ કરે છે. તે સ્થળ-કાળની મર્યાદાઓ ઓળંગીને આગળ જોવાનો પ્રયાસ કરે છે … અહીં ઉપસ્થિત થતા પ્રશ્નો છે માનવીની સહનશક્તિ અને યુદ્ધની યાતના વિશે છે, જેનો ભોગ સ્ત્રીઓ, બાળકો અને યુવાનો બનતા હોય છે. ‘ક્યારે વિશ્વમાં શાંતિ થશે’ તે શોધ છે.” એ પછી જરા ભાર આપીને ઉમેર્યું છે કે, “વિવિધ સિસ્ટમો એક પ્રદેશને અને તેના રહેવાસીઓને કેવી રીતે અશાંતિ અને રાજકીય ધમાચકડી તરફ ખેંચી જાય છે – જેમાં માત્ર સામાન્ય પ્રજાનો જ ભોગ લેવાતો હોય છે – તે અંગેની મારી સમજ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.” એ દિશામાં વધુ સ્પષ્ટ સંકેતો પણ ઉમેરી શકાયા હોત, જ્યારે દિલ્હીની સડકોના મંચ પર એ જ મુદ્દાઓ ભજવાઈ રહ્યા છે, પણ એ તો વધુ અર્થઘટનની વાત થઈ. સમજદાર માટે પ્રમોદનો આટલો ઈશારો પણ કાફી છે.

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 12 – 13

Loading

લોકજાગૃતિ કાજે

રજની દવે|Opinion - Opinion|17 February 2020

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૯માં ફરીથી કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાળ્યું એ પછી ઘણી બધી ઊથલપાથલો શરૂ થઈ ગઈ છે. બાબરી – મસ્જિદનો ચુકાદો, કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદી નાગરિકતા ધારામાં સુધારો વગેરે … સમગ્ર દેશમાં આ અંગે ઘણું લખાયું, ચર્ચાઓ ચાલી, લોક-આંદોલનો પણ થયાં. આ બધાં પરિવર્તનો અંગે લોકોમાં પાયાની જાણકારી મળે તેમ જ રાષ્ટ્રીય સ્તરનાં સમાચારપત્રોમાં પણ આ અંગે શું પ્રકાશિત થઈ રહ્યું છે તે વાત સામાન્ય લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાને લેતાં હેમન્તકુમાર શાહે આ વિષયે ઝડપભેર લેખન અને અનુવાદ કાર્ય પૂર્ણ કર્યું અને ૩૦-૧-૨૦૨૦, ગુરુવાર ને ગાંધી શહીદ દિને  તે સંબંધિત પુસ્તકો લોકોનાં ચરણે ધરી શકાયાં. ત્રણ પુસ્તકોમાં

૧. કલમ – ૩૭૦ (અનુવાદ), પૃ. ૮૦, કિંમત રૂ. ૬૦

૨. નાગરિકતા અને નોંધણી CAA + NRC + NPR (અનુવાદ), પૃ. ૯૨, કિંમત રૂ. ૫૦

૩. નવો કાયદો અને નાગરિકતા CAA + NRC + NPR (લેખન), પૃ. ૧૬, કિંમત રૂ. ૧૦

ગોવર્ધનરામ સ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, શંકરસિંહ વાઘેલા અને સામાજિક કર્મશીલ તથા ‘નયામાર્ગ’ના તંત્રી ઇન્દુકુમાર જાનીના હસ્તે ત્રણેય પુસ્તકોના લોકાર્પણ કરાયાં.

આ બંને મહાનુભાવોએ પોતાનાં મંતવ્યો ટૂંકમાં રજૂ કર્યાં બાદ હેમન્તકુમારે ત્રણે તંત્રી પુસ્તકોનો ટૂંકો પરિચય આપ્યો. મહાનુભાવોની રજૂઆતમાં દેશની વર્તમાન સ્થિતિ માટેનું દર્દ અને તેમાં બદલાવ લાવવા માટેનો આક્રોશ વ્યક્ત થતો દેખાતો હતો. થોડીક ઝલક જોઈએઃ

• લોકાર્પણનો દિવસ ગાંધી શહીદ દિન ઉપરાંત વસંતપંચમીનો દિવસ પણ હતો. મનોજ ખંડેરિયાના ગઝલસંગ્રહ ‘રસ્તા વસંતના’ને યાદ કરીને કહેવામાં આવ્યું કે જેમ વસંતનાં વધામણાં કરવામાં આવે છે, તેમ આપણે વારંવાર નેતાઓના મુખે ‘અચ્છે દિન’નાં વધામણાંની વાતો સાંભળતા હતા પરંતુ એક સાથે કહેવું પડે છે, પણ ‘અચ્છે દિન’ આવ્યા કે ન બે કરોડ નોકરીઓ પેદા થઈ અને ન ખાતામાં ૧૫-૧૫ લાખ પણ જમા થયા! સાચા વિકાસની રાહ પર ચાલવાના સ્થાને દેશ કોઈ ખાઈ તરફ ફેંકાઈ રહ્યો છે. ન કરવાનાં કામો કરી રહ્યાં છે. તેમની પ્રાયોરિટી ગઝલની છે. પાછા કહે છે, આ તો અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું જ હતું, તે જ કરી રહ્યા છીએ.

પ્રજાને cronology સમજાવવામાં આવે છે, જેમાં લાચાર વ્યક્તિને detention centres – કેદખાનામાં ધકેલી દેવામાં આવે છે.

• દેશમાં જગ્યાએ-જગ્યાએ શાહીનબાગ ખૂલી રહ્યા છે. બહેનો ઝઝૂમી રહી છે. ભલે ગોદીમીડિયા મશ્કરી કરતું હોય, તેમની પાસેથી શીખવા જેવું છે.

• માણસને માણસ તરીકે જોવાની જરૂર છે. ન હિન્દુ, ન મુસ્લિમ, પરંતુ ‘ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’વાળી સાહિર લુધિયાનવીની વાત યાદ રાખવાની છે.

• આજે વાસ્તવિક રીતે કોઈ મુદ્દો નથી. તેને મુદ્દો બનાવવામાં આવે છે. ત્યાર બાદ ૧૦૦-૨૦૦ ગોબેલ્સ ભેગા થાય તેટલો પ્રચાર કરવામાં આવે છે. ખોટી વાતનું માર્કેટિંગ કરવામાં આવે છે.

• ખોટી રીતે રાષ્ટ્રવાદની વાત કરીને સમાજને તોડી રહ્યા છે. રાષ્ટ્રવાદ શબ્દનો સંદર્ભ સમયે-સમયે બદલાતો રહે છે.

• ઝીણા કટ્ટર મુસ્લિમ ન હતા. ત્રીજી પેઢીએ હિન્દુ હતા. કાશ્મીરમાં ગઈ કાલના પંડિતો આજે મુસ્લિમ અટક ધારણ કરવાવાળા પણ છે.

• કલમ ૩૭૦ હટાવવી એ મુસ્લિમો સામેનું કાવતરું છે.

• કેટલીક ઘટનાઓ પાછળ કાવતરાની શંકા જઈ શકે છે. કશ્મીરમાં સૈનિકોને air-liftથી લઈ જવા જોઈએ, તેવી માંગણી પણ ધ્યાન આપવામાં ન આવ્યું. બાલાકોટ હુમલામાં એક કાગડો મર્યો અને એક માણસને લાગ્યું હતું એમાં ૨૦૦ માણસ મર્યાની વાત ક્યાંથી આવી?

• દેશમાં વર્ષોથી વસ્તી-ગણતરી એક રૂટિન કામ પ્રમાણે કોઈ હોબાળા વગર થતી રહી છે.

• લોકજાગૃતિ, પ્રસાર-પ્રચાર, પુસ્તક-પ્રકાશન વગેરે સ્થિતિ બદલાવામાં થોડા મદદગાર થઈ શકે, પરંતુ તેટલું પૂરતું નથી. પ્રશ્નના પોલિટિકલ પાસાને સમજવાની જરૂર છે. સત્તાપરિવર્તન તેનો મહત્ત્વનો ઉકેલ છે. સત્તાપક્ષનાં મૂળિયાં જ્યાં ઊંડાં હોય ત્યાંથી તે ઉખાડવાં પડે. પોલિટિકલ સાયન્સને સમજીને ઉકેલ શોધવા જોઈએ. અતિ સત્તા માણસને ભ્રષ્ટ કરે છે.

• હવે પુસ્તકોની વાત કરીએ તો કલમ-૩૭૦ તથા નાગરિકતા અને નોંધણી, એમ બંને પુસ્તકોમાં તરફેણ અને વિરોધ બંને પ્રકારના લેખો છે.

કલમ ૩૭૦ : તરફેણના લેખકો  વેંકૈયા નાયડુ, રામ માધવ, સ્વપ્ન દાસગુપ્તા, રાકેશ દ્વિવેદી, અર્જુન રામ મેઘવાલ. વિરોધના લેખકો : ફૈઝાન મુસ્તુફા, પ્રતાપ ભાનુ મહેતા, અમિતાભ મત્તુ, સ્વામિનાથન, મણિશંકર ઐયર, વિવેક તનખા, વજાહત હબિબુલ્લાહ, કરણ થાપર, શૈયદ આતા, આશુતોષ વાર્ષનેય, હાસીબ દ્રેબૂ, કાંતિ વાજપેયી, સુહરિથ પાર્થસારથી + ચાર તંત્રીલેખો મૂકવામાં આવ્યા છે.

નાગરિકતા અને નોંધણી : તરફેણના લેખકો – સ્વપ્ન દાસગુપ્તા, અર્જુન રામ મેઘવાલ, સુરેશકુમાર, અરુણ આનંદ, રમેશ પોખરિયલ, રામ માધવ, ગૌરવ ભાટિયા. વિરોધના લેખકો – ટી.કે. અરુણ, નીરજા ગોપાલ, ફૈઝાન મુસ્તુફા, ક્રિસ્ટોફી જેફરલોટ અને શારિક લાલીવાલા, પી. ચિદમ્બરમ્‌, ગૌતમ ભાટિયા, ગિલેસ વેરનિયર્સ, રાજમોહન ગાંધી, સંજીવ બરુઆ, અભિજિત બેનર્જી અને એસ્થર ડફલો, જગદીપ છોકર, હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ અને શેરિલ ડિસોઝા, રામચંદ્ર ગુહા.

ચાર લેખો પ્રશ્નોત્તર સ્વરૂપના છે. અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના બે તંત્રીલેખો પણ છે.

નવો કાયદો અને નાગરિકતા પુસ્તકમાં સી.એ.એ., એન.આર.સી. અને એન.પી.આર. શું છે અને તે કેવી રીતે સમાનતા તથા ધર્મનિરપેક્ષતાનાં મૂલ્યોને હણે છે, તેની સાદી સમજણ આપવામાં આવી છે.

વક્તવ્યમાં હેમન્તકુમારે કહ્યું કે કેટલીક ખોટી વાતો ફેલાવવામાં આવે છે, જેમ કે કલમ-૩૭૦ તો કામચલાઉ જોગવાઈ હતી. બંધારણ-નિષ્ણાત અને ઉપકુલપતિ નાલસર યુનિવર્સિટી, હૈદરાબાદના શ્રી ફૈઝાન મુસ્તુફા કામચલાઉ જોગવાઈની વાત ખોટી છે તેમ કહે છે, (જુઓ પાન ૨૫ પુસ્તક કલમ-૩૭૦) બંધારણની કલમ ૧૪થી દરેક ભારતની વ્યક્તિને રાજ્ય કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકશે નહીં. તેમ જ કલમ-૧૫ કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, નીતિ, જ્ઞાતિ, સ્ત્રી-પુરુષ અથવા જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. (જુઓ પાન-૪, પુસ્તક : નવો કાયદો અને નાગરિકતા)

વિશ્વમાં હાલ સાઉદી અરેબિયા, યેમન, મોરિટાનિયા અને વેટિકન સિટી એમ ચાર જ દેશો ધર્મરાજ્યો છે. દુનિયાના ૩૩ દેશોમાં વસ્તીમાં મુસ્લિમોની બહુમતી છે. પણ તેમનો કોઈ સત્તાવાર ધર્મ નથી. તેઓ ધર્મરાજ્ય નથી.

જણાય છે કે આસામ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીરમાં આશરે ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમ ભાઈ-બહેનો ૨૦૧૪ના આસપાસના વર્ષોમાં આવ્યાં છે. આ બધાં માટે નિરાંતે વિચારવાની જરૂર છે. દુનિયાના વિવિધ દેશોમાં ૧૮૦ લાખ ભારતીયો વસે છે. તેમાંથી ૬૦ લાખ તો અમેરિકામાં જ વસે છે. આમાં પાંચ લાખ ભારતીયો ગેરકાયદેસર સ્થળાંતરિત થયા છે, તેવો અંદાજ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ ૬૦ લાખ ભારતીયોને પાછા ભારત ધકેલી દેવાની વાત કરે તો શું થશે?

સરકારના વડા ભારતમાં ડિટેન્શન કૅમ્પસ અંગે ખોટું બોલે તે કેવી વાત કહેવાય? વિશ્વગુરુ બનવા થનગની રહેલા ભારતે શાંતચિત્તે વિચાર કરવાની જરૂર છે.

આશરે ૧૦૦ જેટલા શ્રોતાઓની હાજરીમાં બહેન મનીષાનાં ગીતો અને આત્મન હેમન્તકુમાર શાહનું સંચાલન વગેરેએ કાર્યક્રમને સાર્થક બનાવ્યો. કેટલાક મિત્રોએ આ પુસ્તકો માટે આર્થિક સહાય પણ આપી.

ત્રણ પુસ્તકોની કુલ કિંમત રૂ. ૧૨૦ છે, પણ ૩૦ એપ્રિલ સુધીમાં ખરીદનારને એક સેટ રૂ. ૧૦૦માં અને પાંચ સેટ કે વધુ સેટને રૂ. ૮૦માં આપવામાં આવશે. રવાનગી ચાર્જ અલગ

સંપર્ક : યજ્ઞ પ્રકાશન, વડોદરા. ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭

સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 11 તેમ જ 10

Loading

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ ભારતમાં કદી પગ ન મૂક્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|16 February 2020

સામ્રાજ્યમાં અને સંસ્થાનમાં શો ફરક છે? આ કૉલમનો સુજ્ઞ વાચક ફરક ન જાણતો હોય એવું હું માનતો નથી, છતાં થોડું ઝીણવટથી સમજી લેવું જોઈએ. સામ્રાજ્ય એટલે એક પછી એક પ્રદેશો જીતી લઈને રાજ્યનો વિસ્તાર કરવો. રાજા કે બાદશાહ જો પ્રતાપી હોય તો તેઓ સામ્રાજ્ય વિસ્તારતા. સિકંદર છેક ભારત સુધી આવ્યો હતો એમ ઇતિહાસ કહે છે. પણ જીતેલા પ્રદેશમાં રાજ કેવી રીતે કરવું એ એક પ્રશ્ન દરેક સામ્રાજ્ય વિસ્તારનારા સામે ઉપસ્થિત થતો હતો. જો પોતાના જ દેશના એક રાજાએ બીજા રાજાને હરાવ્યો હોય તો તેનો પ્રદેશ પોતાના પ્રદેશમાં ભેળવી શકાય. પણ જ્યાં પ્રજા, ભાષા, સંસ્કૃતિ એમ બધું જ અલગ હોય તો ત્યાં શાસન કેવી રીતે કરવું?

જૂના યુગમાં સમ્રાટો એવા પ્રદેશોમાં સૂબાઓ કે પ્રતિનિધિ નિયુક્ત કરતા જે તેમના વતી રાજ કરતા. એમાં માત્ર વિદેશમાં કે દૂર વસતા સમ્રાટની આણ પોકારવામાં આવતી, બાકી વ્યવહારમાં દરેક અર્થમાં સૂબાઓનું રાજ હતું. એ પછી સરંજામશાહીની વ્યવસ્થા વિકસી જેમાં સૂબાઓને કહી દેવામાં આવતું હતું કે તમારે સમ્રાટને મહેસૂલી આવકમાંથી આટલો ભાગ આપવો અથવા ઠરાવેલી આટલી રકમ આપવાની; પછી તમારે જે કરવું હોય તે કરો. ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ ભારતને સંસ્થાન(કૉલોની)માં ફેરવવા માંડ્યું ત્યાં સુધી મરાઠાઓ સરંજામશાહીથી રાજ કરતા હતા.

બ્રાહ્મણ પેશ્વાઓને પોતાના દેશમાં સામ્રાજ્ય કેમ વિસ્તારાય એનું તો ભાન નહોતું, પણ તેમની નજર સામે અસ્તિત્વમાં આવી રહેલા અંગ્રેજોના રાજ્યનું સ્વરૂપ પણ તેમના ધ્યાનમાં નહોતું આવ્યું. તેમના મનમાં એવો પણ પ્રશ્ન નહોતો થયો કે છ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજો શાસનની જે વ્યવસ્થા વિકસાવી રહ્યા છે એ તેમની સરંજામશાહી કે સૂબાશાહી કરતાં જુદી છે. એ સ્વરૂપને સમજવાનું કુતૂહલ પણ નહોતું થયું. શું આપણે એમ કહી શકીએ ભારતીય માનસ કુતૂહલશૂન્ય છે? હા, લગભગ એમ કહી શકાય. પરલોકનું હાથ લાગેલું જ્ઞાન આપણને એટલું બધું પ્રભાવિત કરે છે કે આ-લોકનું જ્ઞાન મેળવવાનું આપણે ‘મ્લેચ્છો’ પર છોડી દીધું હતું!

ભારતમાં અને અન્ય દેશોમાં અંગ્રેજો અને બીજા યુરોપિયન દેશો જે રાજ્ય વ્યવસ્થા વિકસાવી રહ્યા હતા એ સંસ્થાનની વ્યવસ્થા હતી. કોઈ સૂબો નહોતો કે કોઈ ચોથાઈ જેવી ભાગીદારીની વ્યવસ્થા નહોતી. શાસન સીધું હતું અને એ પગારદાર નોકરો દ્વારા કરવામાં આવતું હતું. ભારતમાં પોતાને સર્વશ્રેષ્ઠ સમજનારા કોઈ ચિત્પાવન બ્રાહ્મણે તેની નજર સામે ક્યારે ય જોયું નહોતું એવું અનોખું રાજ્ય આકાર લઈ રહ્યું હતું અને તે છતાં ય તેને સમજવાની તસદી લીધી નહોતી. આમ લખવાનો હેતુ બ્રાહ્મણોનું અપમાન કરવાનું નથી, પરંતુ એ બતાવવાનું છે કે એક નજર બહારની દુનિયા પર પણ કરવી જોઈએ અને મિથ્યાભિમાન ટાળવું જોઈએ. શ્રેષ્ઠત્વનો ભાવ દીવાલ બનીને આપણને જ કેદ કરે એ હદે તેને પોષવાનો ન હોય. આજના યુગમાં જ્યારે હિંદુ શ્રેષ્ઠતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે આ કથન ફરી પાછું પ્રાસંગિક થતું નજરે પડી રહ્યું છે. જો હિંદુ સવર્ણોએ અને મુસ્લિમ ભદ્રવર્ગે શ્રેષ્ઠત્વની દીવાલો બાંધીને પોતે જ પોતાને કેદ ન કર્યા હોત તો તેમની નજર સામે આકાર લઈ રહેલ રાજ્યનું અનોખું સ્વરૂપ સમજાયું હોત અને તેનાથી કેમ બચવું એનો પણ કોઈ માર્ગ સૂઝ્યો હોત.

શાસનનું એક અનોખું સ્વરૂપ યુરોપિયનોએ વિકસાવ્યું હતું જેને સંસ્થાન (કૉલોની) કહેવામાં આવે છે. લશ્કરી આક્રમણ કરીને એક પ્રદેશ જીતી લીધો પછી તેની બધી સંપત્તિ જીતનારની. આનો અર્થ એ થયો કે સંસ્થાનવાદી રાજ્યવ્યવસ્થામાં પ્રજાનું કોઈ મહત્ત્વ નહોતું, સંસાધનોનું મહત્ત્વ હતું અને પ્રજા પણ એક ઉત્પાદક અને ઉપભોક્તા તરીકે સાધન માત્ર હતી. આ એક એવી વ્યવસ્થા હતી જેમાં પ્રજા રૈયત તો નામ પૂરતી હતી, સાધન વિશેષ હતી. આ શોષણ કરનારી વ્યવસ્થા હતી એટલે તેને સંસ્થાનવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકોએ ભારતમાં પગ પણ નહોતો મુક્યો. તેઓ નોકરો દ્વારા રાજ્યવિસ્તાર કરતા હતા અને વિસ્તારિત રાજ્યને સંસ્થાન બનાવીને તેનું નોકરો દ્વારા શોષણ કરતા હતા. તેઓ જે સમૃદ્ધિ ભોગવી રહ્યા હતા એ સમૃદ્ધિ જ્યાંથી આવે છે એ પ્રદેશને જોવાની પણ તેમને જરૂર નહોતી લાગી.

નોકરો દ્વારા શાસિત અને પ્રજાને પણ સંપત્તિ-ઉત્પાદક એક સાધન માત્ર માનનારી શોષણકેન્દ્રી વ્યવસ્થા એટલે સંસ્થાનવાદ. ઈંગ્લેંડમાં નામ પૂરતી રાજાશાહી હતી અને આજે પણ છે, એટલે અંગ્રેજોને સંસ્થાનની જગ્યાએ સામ્રાજ્ય શબ્દ વધારે માફક આવતો હતો. બ્રિટિશ સામ્રાજ્ય શબ્દપ્રયોગ ગૌરવશાળી લાગતો હતો જ્યારે સંસ્થાન શબ્દ શોષણવાચક હતો એટલે તેમાં શરમનો અનુભવ થતો હતો. આમ પણ બાયબલમાં કિંગડમ ઑફ ગૉડની વાત આવે જ છે એટલે બ્રિટિશ સામ્રાજ્યને પણ બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ કિંગડમ ઑફ ગૉડના વિસ્તાર તરીકે લેખાવતા હતા. ભારત નસીબદાર છે કે એ બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો છે જે દરેક અર્થમાં કિંગડમ ઑફ ગૉડ જેવું જ આદર્શ છે. આવી શબ્દછલનાનો પ્રતિવાદ કરતા કહેવામાં આવ્યું હતું કે જો એ સામ્રાજ્ય છે તો એ શોષણ કરનારો સામ્રાજ્યવાદ છે, પ્રજાને પોતાની માનનારું સામ્રાજ્ય નથી. આમ સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદ એ એક બીજાના પર્યાય તરીકે વપરાય પણ સંસ્થાનવાદ વધારે ઉપયુક્ત સંજ્ઞા છે.

આ એવું રાજ્ય હતું જે નોકરોથી ચાલતું હતું. અને નોકરો પણ કેવા? કૌવતની દ્રષ્ટીએ સામાન્ય અને પાછા ભ્રષ્ટ. તેજસ્વી લોકો ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી કરવા આટલે દૂર આવવા તૈયાર નહોતા થતા એટલે કંપની જે મળે તેમને ભારત મોકલતી હતી. તેમને ભ્રષ્ટાચાર કરીને કમાઈ ખાવાની છૂટ હતી. આ ઉપરાંત લૈંગિક અને અન્ય શિથિલતાઓ સામે પણ આંખ આડા કાન કરવામાં આવતા હતા. કંપનીને હરામના નફામાં નુકસાન હતું અને અમલદારોને ફાંટ ભરીને ધન ઘેર લઈ જવા મળતું હતું. આમ શેઠ-નોકર બંને મળીને ભારતમાં શોષણ કરતા હતા. શેઠને ખબર હતી કે નોકર કેવો છે અને શું કરે છે.

સ્થિતિ એવી બની કે નોકરિયાતો સામાન્ય કૌવત ધરાવતા હતા અને મિશનરીઓ, ભારતમાં નસીબ અજમાવવા આવનારા ખાનગી અંગ્રજ નાગરિકો અને જિજ્ઞાસાથી પ્રેરાઈને પૂર્વનો અભ્યાસ કરવા આવતા અભ્યાસીઓ વધારે બુદ્ધિ ધરાવતા હતા અને એમ બનવું સ્વાભાવિક હતું. આ લોકો ભારત દેશ કેવો છે, તેનો સમાજ કેવો છે, ભારતમાં શું બની રહ્યું છે, કંપની શું કરે છે, અમલદારો કેવા છે વગેરેની જાણ પત્રો દ્વારા અથવા પ્રવાસવર્ણન કે સંસ્મરણો લખીને પોતાના વતનને કરતા હતા. બીજી બાજુ બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં ધંધો કરવાનો અને રાજ કરવાનો ઈજારો યાવદ્ચન્દ્ર દિવાકરૌ નહોતો આપ્યો. આમની સભામાં દર વીસ વર્ષે ઈજારાશાહીનો ચાર્ટર રિન્યુઅલ માટે આવતો હતો. રિન્યુઅલ વખતે કંપનીના અને કંપનીના અમલદારોના ગોરખધંધા ચર્ચાનો વિષય બનતા હતા. આનાથી બચવા માટે કંપનીએ એક ખાસ પ્રકારનું વહીવટીતંત્ર અને અમલદારશાહી વિકસાવ્યાં હતાં.

નોકર દ્વારા શોષણ કરવાનું હતું, ક્ષમતાની દૃષ્ટિએ સરેરાશ નોકરથી ચલાવી લેવાનું હતું, નોકરની દરેક પ્રકારની શિથિલતાની બાબતે સહિષ્ણુ રહેવાનું હતું અને છતાં ઘરઆંગણે લોકપ્રવાદથી બચી નીકળવાનું હતું. આ ચોક્કસ હેતુ માટે ખાસ વિકસાવવામાં આવેલા વહીવટીતંત્રે અને અમલદારશાહીએ આધુનિક ભારતનો ચહેરો કંડારવામાં અને તેની નિયતિ ઘડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ઉપર જે ચાર લક્ષણ કહ્યાં છે એ ચારેય લક્ષણ આઝાદી પછી આજે પણ જોવા મળે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ઘર આંગણે એટલે બ્રિટન અને આમની સભા હતાં અને આપણા શાસકો માટે ઘર આંગણે એટલે દેશમાં અને સંસદ થાય છે.

ગૂંચ પડેલા દોરામાં સામો છેડો જ ન જડે એવું વહીવટીતંત્ર અને અસંવેદનશીલ નોકરશાહી એ અંગ્રેજો પાસેથી મળેલો વારસો છે. આ બધાં આધુનિક ભારતનાં ઘડતરના પદાર્થો (ઇન્ગ્રેડીયનટ્સ) છે એ નહીં ભૂલતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 16 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5772,5782,5792,580...2,5902,6002,610...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved