Opinion Magazine
Number of visits: 9763301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંગ્રેજોના કારણે આપણને આપણી પરંપરાનો સમગ્રતામાં પરિચય થયો !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 March 2020

ભારતને જોવાના અને ભારત સાથે કામ પાડવાના અંગ્રેજો અને કુલ મળીને યુરોપિયનોના ચાર અભિગમ હતા એ અહીં કહેવામાં આવ્યું છે. એમાં એક વર્ગ પૌરાત્યવાદીઓનો પણ હતો. આમાં મુક્ત અભ્યાસીઓ હતા અને કેટલાક મિશનરીઓ પણ હતા. પાશ્ચાત્યવાદી અને સામ્રાજ્યવાદી મૅકોલેએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવે એની વકીલાત કરતા કહ્યું હતું કે જો ભારતના સમગ્ર પૌર્વાત્ય સાહિત્યને એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ મોટો પડે! પણ મૅકોલે તો કેટલાક પ્રકારના પૂર્વગ્રહો સાથે ભારતને જોનારો હતો. જે લોકો ભારતમાં રહીને ભારત સાથે કામ પાડતા હતા તેમાંના કેટલાકને અખાનું વચન ટાંકીને કહીએ તો ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો અનુભવ થયો હતો.

ભારતને અને ભારતની પરંપરાને સમજવા માગતા મિશનરીઓ બે પ્રકારનું વલણ ધરાવતા હતા. કેટલાક એટલા માટે આમાં પ્રવેશ્યા હતા કે હિંદુ ગ્રંથોનો હવાલો આપીને કહી શકાય કે જુઓ તમારી પરંપરા ખાલી અને ખોખલી છે. ખોખલાપણાના પ્રમાણો શોધવા માટે. આ સારુ તેઓ સંસ્કૃત શીખ્યા હતા. તેમણે જ્યારે તેમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. વેદ, ઉપનિષદ, સાંખ્ય, વૈશેષિક દર્શન, ન્યાય, વ્યાકરણ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, શ્રમણદર્શન, શાકુન્તલ જેવું સંસ્કૃત સાહિત્ય તેમ જ કાવ્યશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પ અને સ્થાપત્યશાસ્ત્ર, સંગીત વગેરેનો અભ્યાસ કર્યો ત્યારે તેઓ મોંમાં આંગળા નાખી ગયા હતા. તેમનામાં જે લોકો જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હતા તેમણે હિંદુ ધર્મના ખોખલાપણાના પ્રમાણો શોધવાનું બાજુએ મૂકીને તેનો ઊંડો અભ્યાસ કરવા માંડ્યો હતો. આ ઉપરાંત મિશનરી નહોતા એવા સ્વતંત્ર વિદ્વાનો પણ ભારતમાં રસ લેતા થયા હતા. જે કેવળ ધર્મપ્રચારક હતા તેઓ હિંદુ ધર્મને નિંદવા માટે પુરાણોનો આશરો લેતા થઈ ગયા હતા. હિંદુ ધર્મને નિંદવા માટે હવે તેઓ માત્ર પુરાણોની ગાંડીઘેલી વાતોનો જ તેઓ આશરો લઈ શકે એમ હતા. 

એમ કહેવાય છે કે પોંડીચેરીના મિશનરીઓએ ફ્રેંચ ભાષામાં યજુર્વેદનો તેમને ફાવ્યો એવો કાચોપાકો અનુવાદ કર્યો હતો જે L’ezour Vedamના નામે પ્રકાશિત કર્યો હતો અને તે ફ્રેંચ ફિલસૂફ વોલ્તેરના વાંચવામાં આવ્યો હતો. સન ૧૭૩૨માં સંસ્કૃતનો વ્યાકરણગ્રંથ લખવામાં આવ્યો હતો જે ૧૭૯૦માં રોમમાં છપાયો હતો. ૧૮૧૭માં એબે જે. એ. દુબોઇસ નામના અભ્યાસીએ ‘હિંદુ મેનર્સ, કસ્ટમ્સ એન્ડ સેરિમનીઝ’ નામનો ગ્રંથ લખ્યો હતો. ૧૭૬૦માં ઍન્ક્વેફિલ દુપરોન નામનો અભ્યાસી યુવક ભારત આવ્યો હતો જે સંસ્કૃત અને ફારસીની ૮૦ જેટલી હસ્તપ્રતો ફ્રાંસ લઈ ગયો હતો. એમાં એક હસ્તપ્રત દારા શિકોહે ઉપનિષદોનો ફારસી ભાષામાં કરેલો અનુવાદ હતો. ઍન્ક્વેફિલ દુપરોને તેનો ‘Oupnekhat’ (ઉપનિષદ્) એવા શીર્ષક સાથે લેટિનમાં અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન ફિલસૂફ આર્થર શોપેનહાર અભિભૂત થઈ ગયો હતો જેની વાત આ શ્રેણીમાં કહેવાઈ ગઈ છે. 

જોહાન ફિક્ટે, પૉલ ડૂસાન જેવા વિદ્વાનોએ વેદાંતનો અનુવાદો દ્વારા જગતને પરિચય કરાવ્યો. ડૂસાને તો વેદાંતને જગતનું સૌથી મોટું સત્ય માન્યું હતું. ‘મનુસ્મૃતિ’નો અનુવાદ જ્યારે વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ નિત્શેના વાંચવામાં આવ્યો ત્યારે તેણે તેને બાઈબલ કરતાં પણ મહાન ગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો. તેના શબ્દોમાં : A work which is spiritual and superior beyond comparison, which even name in one breath with the Bible would be a sin against the holy ghost.”

અહીં વાંચકોને એક ચેતવણી આપવી જરૂરી છે. પશ્ચિમના વિદ્વાનોએ આપણા ગ્રંથોની સરહના કરી છે એનો અર્થ એવો નથી કે એ બધા ગ્રંથો ખામીરહિત સંપૂર્ણ છે. કોઈ એમ ન માને છે નિત્શેએ જેને બાઈબલ કરતાં ચડિયાતો ગ્રંથ માન્યો છે એટલે ‘મનુસ્મૃતિ’નું પ્રત્યેક વચન ગ્રાહ્ય છે અને દલિતો અને નારીવાદીઓ તેને નાહક નિંદી રહી છે. નિત્શે આમ પણ ચોકાવનારા વિધાનો કરવા માટે ખ્યાતિ ધરાવતો હતો. પ્રત્યેક ગ્રંથ તેના સ્થળ અને કાળ દ્વારા પ્રભાવિત હોય છે, પણ તેનું પ્રમાણ ઓછુંવધતું હોય છે. જેટલી સ્થળ-કાળ બાધકતા ઓછી એટલો એ ગ્રંથ મહાન. આ દૃષ્ટિએ મૂલવીએ તો ઉપનિષદોમાં સ્થળ-કાળ બાધકતા ઓછામાં ઓછી છે, કદાચ નહીંવત્ છે એટલે એ સર્વકાલીન ગ્રંથ મનાય છે, જ્યારે ‘મનુસ્મૃતિ’ સમાજિક નીતિનિયમોનો ધર્મગ્રંથ હોવાને કારણે તેમાં સ્થળ-કાળ બાધકતા સૌથી વધુ છે. વાચકે આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે.  

બીજું પશ્ચિમની આંખે આપણે આપણી જાતને સરાહવાની કે નિંદવાની માનસિકતા છોડવી જોઈએ. આપણે આપણી આંખ વિકસાવવી જોઈએ, જે રીતે પશ્ચિમના વિદ્વાનોએ પોતાની આંખે ભારતીય વિચાર-વ્યાપારને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તો પૂર્વગ્રહો સાથે પ્રાચ્યવિદ્યામાં પ્રવેશ કર્યો હતો અને દિવસના અંતે તેમાંના કેટલાક પ્રાચ્યવિદ્યાના સૌથી મોટા અભ્યાસી પ્રવક્તા બની બેઠા હતા. તેમના થકી આપણને આપણી પરંપરાનો સમગ્રતામાં પરિચય થયો હતો, બાકી આપણે તો સંપ્રદાય સાહિત્યના અભ્યાસથી આગળ વધતા જ નહોતા. બીજાનું વાંચવું શું, અડવું એ પણ પાપ ગણાતું હતું. એનો અર્થ એવો નથી કે પશ્ચિમના કોઈ વિદ્વાન પૂર્વગ્રહદુષિત નહોતા. ઘણા હતા અને તેનાથી પણ આપણે બચવાનું છે.

આમ છતાં ય ભારતને સમજવામાં પશ્ચિમના વિદ્વાનોએ જેટલા પ્રમાણમાં પૂર્વગ્રહ છોડ્યા છે, જિજ્ઞાસા બતાવી છે, જહેમત ઊઠાવી છે, મુક્ત મને અભિપ્રાયો બદલ્યા છે, ભૂલ કબૂલ કરી છે એટલું આપણા વિદ્વાનોએ પશ્ચિમની બાબતમાં તો નથી કર્યું, આપણી પોતાની બાબતમાં પણ નથી કર્યું. દ્વૈતી ગુરુ પહેલા જ દિવસે શિષ્યને કહી દેશે કે અદ્વૈત તરફ નજર નહીં કરવાની. એનાથી શંકા પેદા થશે, શંકા અશ્રદ્ધા પેદા કરશે અને અશ્રદ્ધા પાતકનું કારણ છે. તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણે આપણો સારાસાર વિવેક વિકસાવવો જોઈએ. જ્ઞાનસાધનાની પાશ્ચાત્ય પરંપરામાંથી ઘણું અપનાવવા જેવું છે. માટે નિત્શે જેવા વિદ્વાનોના અભિપ્રાયોને માથે મૂકીને નાચવાની જરૂર નથી.

વાચકોને અહીં જ સંકેત આપી દઉં કે જ્યારે આપણે આગળ ભારતે પશ્ચિમને કઈ નજરે જોયું તેની ચર્ચા કરીશું ત્યારે આ પ્રશ્ન કેન્દ્રવર્તી બનવાનો છે. અત્યારે તો આપણે પશ્ચિમે ભારતને કઈ નજરે જોયું અને તેઓમાં કેવા અભિગમ પ્રવર્તતા હતા તેની વાત કરી રહ્યા છીએ. સામ્રાજ્યવાદીઓ, પશ્ચિમી સભ્યતાવાદીઓ, ખ્રિસ્તી ધર્મવાદીઓ અને ભારત માટે કુણું સહાનુભૂતિપૂર્વકનું વલણ ધરાવનારા પૌર્વાત્યવાદીઓ એમ ચાર વલણ ધરાવનારા લોકોએ ખૂબ ચર્ચા કરી હતી. તેઓ સત્તામાં હતા અને તેઓ સમર્થ હતા એટલે પહેલું ડગલું તેઓ માંડતા હતા અને ભારતીય પ્રજા ગુલામ હોવાને કારણે અને સામર્થ્યહીન હોવાને કારણે તેણે પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાનું હતું. ડગલું માંડનારાઓ તો ડગલાં માંડીને અને છેવટે પગ ખેંચીને જતા રહ્યા, પરંતુ પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાની સમસ્યા એવડી મોટી હતી કે તેનાથી આજે પણ ભારતીય માણસ મુક્ત થઈ શક્યું નથી એની વાત તો હવે પછી આવશે.

હવે મૂળ વિષય પર પાછા ફરીએ વારેન હેસ્ટિગ્સ કંપની સરકારનો ભલે સત્તાવારપણે નિયુક્ત નહીં થયેલો, પણ પહેલો ગવર્નર જનરલ હતો. તેને પોતાને પ્રાચ્યવિદ્યાઓમાં ખૂબ રસ પડ્યો હતો. તેના ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે આપણે ભારતીય પ્રજા પર શાસન કરી રહ્યા છીએ અને સામ્રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે પહેલી જરૂરિયાત તો ન્યાયતંત્રની પડવાની છે. શિક્ષણની બાબતમાં રસ ન લઈએ તો ચાલે પણ ન્યાય તો કરવો જ પડે. એ ન ટાળી શકાય. એ સમયે બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં દાખલ થઈ શકે એમ નહોતી એટલે વારેન હેસ્ટિગ્સે હિંદુઓના ધર્મશાસ્ત્રોનો અનુવાદ પહેલાં ફારસીમાં અને એ પછી અંગ્રેજીમાં કરાવ્યો હતો. એવી જ રીતે મુસલમાનોના ગ્રંથોના પણ અનુવાદ કરાવ્યા હતા. આને કારણે પણ ભારતીય સમાજને સમજવા માટેની પશ્ચિમને નવી દૃષ્ટિ મળી હતી. અંગ્રેજ જજો, અંગ્રેજ વકીલો અને અદાલતમાં ખાસ બેસાડવામાં આવતા હિંદુ પંડિતો અને મુસ્લિમ મૌલવીઓ વચ્ચે ખાટીમીઠી ચર્ચા ચાલતી રહેતી. આ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં સંપૂર્ણપણે લાગુ નહોતી કરવામાં આવી.

સર ચાર્લ વિલ્કિન્સ અને સર વિલિયમ જોન્સે મળીને ૧૭૮૪ની સાલમાં કલકત્તામાં એશિયાટિક સોસાઈટીની સ્થાપના કરી હતી. પ્લીઝ સાલ નોંધી લો. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી હજુ તો રાજ પાપા પગલી ભરતું હતું ત્યારે વારેન હેસ્ટિગ્સની સહાયથી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ ગઈ હતી. આને કહેવાય પામવાની જિજ્ઞાસા. જેનું શોષણ કરવામાં આવતું હતું, જેને ગુલામ બનાવવામાં આવતા હતા, જેના સ્થાનિક ઉદ્યોગો તોડી નાખવામાં આવતા હતા, જેનો કાચો માલ અને બજાર કબજે કરવામાં આવ્યાં હતાં, જ્યાં ભારતીય રાજવીઓ સામે યુદ્ધો કરવામાં આવતાં હતાં, જ્યાં હિંસા આચરવામાં આવતી હતી, જ્યાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી; એની વચ્ચે ભારતને પામવાનો એટલો જ ભગીરથ પ્રયત્ન કરવામાં આવતો હતો.

ચાર્લ્સ વિલ્કિન્સ સંસ્કૃત શીખવા ખાસ બનારસ ગયો હતો અને તેણે ભાષા શીખીને ભગવત્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેણે મહાભારતનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ પણ હાથમાં લીધું હતું, પરંતુ તે પૂરું થઈ શક્યું નહોતું. તેણે બંગાળી ભાષાનું વ્યાકરણ લખ્યું હતું અને છાપખાના માટે બંગાળી બીબાં તૈયાર કર્યાં હતા. વિલિયમ જોન્સે કાલિદાસના અભિજ્ઞાનશાકુન્તલનો ઈ. સ. ૧૭૮૯માં ‘Sacontala or The Fatal Ring’ એવા શીર્ષક હેઠળ અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન કવિ જોહાન્ન ગોથે નાચી ઊઠ્યો હતો એમ કહેવાય છે. વિલિયમ જોન્સે ભારતીય ભાષાશાસ્ત્રનો અને ધ્વનિશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એ પછી તો કોલ બ્રૂકથી લઈને મેક્સમૂલર સુધીના અનેક વિદ્વાનો પ્રાચ્યવિદ્યાના અભ્યાસમાં જોડાયા હતા.

અહીં રામધારી સિંહ દિનકરનાં પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના આધારે માત્ર આચમન કરાવવામાં આવ્યું છે. બાકી પાશ્ચાત્ય વિદ્વાનોની પૌર્વાત્ય સાધનાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા વીસ લેખ લખવા પડે એટલું વ્યાપક કામ તેમણે કર્યું છે. જે તે જ્ઞાનશાખામાં અને બહુવિધ જ્ઞાનશાખાઓ (ડિસીપ્લીનરી એન્ડ મલ્ટી-ડિસીપ્લીનરી) વિદ્વત-વ્યાપાર કેમ ખેડાય એ પશ્ચિમના વિદ્વાનોએ આપણને શીખવ્યું હતું. તેમની ભારતભક્તિ અને તેમની જ્ઞાનસાધના કેવી મોટી અને ગંભીર હતી એનો પરિચય કરાવવા એ યુગમાં બ્રિટનમાં ‘મેધાવી અંગ્રેજ એટલે બ્રાહ્મણ અંગ્રેજ’ એવી એક કહેવત વપરાતી થઈ હતી. 

આ વાંચીને જરૂર હરખાશો, પણ મિથ્યાભિમાન મમળાવશો નહીં; કારણ કે પશ્ચિમને કઈ નજરે નિહાળવું અને તેની સાથે કઈ રીતે કામ પાડવું એમાં આપણે ગોથા ખાવામાં કાંઈ બાકી રાખ્યું નથી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 માર્ચ 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 36

દીપક મહેતા|Opinion - Opinion|22 March 2020

સાચું મુંબઈ નામ આ શહર છે, કે સ્વર્ગ સાક્ષાત છે?

મનને ગમે મુંબઈ, આંખોમાં રમે મુંબઈ

આ નગર મુંબઈ છે, વૈશાલી નથી

ખબર છે? આજે ૨૧મી માર્ચ છે. તે શું? કોઈનો જન્મ દિવસ છે? ના. તો કોઈની મૃત્યુતિથિ? ના. કોઈ તહેવાર? ના, ભઈ, ના. તો પછી છે શું આજે? આજે છે વિશ્વ કવિતા દિવસ. ઓકે. પણ એમાં આપણા કેટલા ટકા? કોક હરખપદુડા કવિના મનનો તુક્કો હશે આ, બીજું શુ? ના, જી. આખી દુનિયામાં ઠેર ઠેર ઉજવાય છે, છેક ૧૯૯૯ના વર્ષથી. એમ? પણ એવું નક્કી કોણે કર્યું? આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનેસ્કોએ. આપણા કવિ ઉમાશંકર જોશીએ કહેલું: ‘કવિતા, ધરા પર અમૃત સરિતા.’ આવી કવિતાને ઉજવવાનો અ સપરમો દિવસ. ઠીક હવે. એ તો સીદી ભાઈને સીદકાં વહાલાં. ના, હોં. થોડા પંડિતોને સમજાય એ જ કવિતા એવું નથી. જરા વિચાર કરો તો જણાશે કે આપણા જીવનના આરંભથી અંત સુધી એક યા બીજા સ્વરૂપે  કવિતા જડાયેલી રહી છે. ઘોડિયામાં સૂતેલું બાળક સૌથી પહેલા શું સાંભળે છે? માના મુખેથી ગવાતું હાલરડું. અને વ્યક્તિના અવસાન પછી? પછી ગામડામાં ગવાય મરશિયા, શહેરોની પ્રાર્થના સભામાં ગવાય ભજનો. પણ આ કવિતા નથી તો શું છે?

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ

જુઓ ભાઈ, અમે તો મુંબઈના રહેવાસી. મુંબઈ અમારી મા, અને મુંબઈ અમારી દેવી. લખી છે કોઈએ આપણી મુંબઈ વિષે કવિતા? હા, વળી. આપણી ભાષાના પહેલા અર્વાચીન કવિ નર્મદથી માંડીને આજના હેમેન શાહ સુધીના કંઈ કેટલાયે કવિઓએ મુંબઈને કવિતામાં વહાલ કર્યું છે. હોય નહિ! કવિતા તો ગામડા પર લખાય, ત્યાંના નદી, સરોવર, કૂવા પર લખાય, પનિહારી અને પૂજારણ પર લખાય. હા. કેટલાક કવિઓને ખરજવા જેવી ટેવ હોય છે ખરી. રહેવું કોઈ શહેરમાં, ત્યાંનાં સાધન-સગવડ ભોગવવાં, પણ કવિતા-બવિતા લખવાની વાત આવે ત્યારે ‘મારું ગોમડું’ ‘ખોવાઈ ગયું મારું ગોમડું, એવી પોક ખરજવાની જેમ ખણ્યા કરવાની. અને એને પાછું રૂડું રૂપાળું નામ આપે કેટલાક વિવેચકો: નોસ્ટેલજિયા, અતીતરાગ. પણ ઘણા નરવા અને ગરવા કવિઓએ મુંબઈ વિષે કાવ્યો લખ્યાં છે. આજે વિશ્વ કવિતા દિવસ પ્રસંગે એમાંથી થોડાંક કાવ્યોની ઝલક.

કવિ નર્મદ જન્મે સુરતી, પણ રહેવાસી મુંબઈનો. ઈ.સ. ૧૮૬૩ના જૂન મહિનાની ૨૮મી તારીખે મલબાર હિલ ફરવા ગયેલો. ત્યારે લોકો એ જગ્યાને ‘ચોપાટીની ટેકરી’ તરીકે ઓળખતા. તે જ દિવસે કવિ નર્મદે કાવ્ય લખી નાખ્યું: ‘ચોપાટીની ટેકરી પરથી જોયેલો દેખાવ.’ વાત શહેરની, પણ લખી લોકસાહિત્યના દુહાના પ્રકારમાં. એની થોડીક પંક્તિઓ:

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ,
ઇમારતો પથ્થર ચુને, શોભે છે સહુ શ્રેષ્ઠ.
ડાબી પાસ દૂર જોઉં તો, ખીચોખીચ દેખાય,
તાડ, ખજૂરી, મ્હાડ ને, ઝાડ બીજાં સોહાય.
પેલી પાસ એની વળી, ઊંચાં ઘરો જણાય,
ટેકરીઓ ભૂરી ઘણી, ઘાડી હવાયે થાય.
પાસે નીચે જોઉં તો, ચાર તણો શો બ્હાર,
વિધવિધ લીલા રંગની, શોભાનો નહિ પાર.
નથી ચિતારો જગતમાં, મેળવી જાણે રંગ,
નથી કવિ કો જગતમાં, કહેવે ધરે ઉમંગ.

તો કવીશ્વર દલપતરામ જન્મ્યા કાઠિયાવાડના વઢવાણ શહેરમાં, ઘણાં વર્ષો ગાળ્યાં અમદાવાદમાં. પણ ત્રણ-ચાર વાર મુંબઈ આવેલા, રહેલા, ફરેલા. પહેલી વાર તો મુંબઈ જોઈને લગભગ ડઘાઈ ગયેલા. એટલે તેમણે લખ્યું:

શુ હું જાગ્રત છું જરૂર ઉરમાં, કે સ્વપ્નની વાત છે,
સાચું મુંબઈ નામ આ શહર છે, કે સ્વર્ગ સાક્ષાત છે?
કહે દલપત જ્યાં અપાર પાર્વતીપતિ,
મહામાયા પુરી તો પ્રત્યક્ષ મહામાયા છે.
તો ‘મુંબઈની ગરબી’ને અંતે ‘ગોકુળ વહેલા પધારજો રે’ ગરબીના ઢાળમાં ગાય છે:
જેણે જન્મ ધારી આ જગતમાં રે,
નહિ જો નિરખ્યું મુંબઈ ગામ,
જન્મ્યું તે નવજન્મ્યું જાણજો રે,
દેખી કહે છે દલપતરામ.

જે શહેરમાં ગુજરાતી રંગભૂમિનો જન્મ થયો એ શહેર વિષે ગીતો ગાયા વગર રંગભૂમિ રહી શકે? દેશી નાટક સમાજના એક નાટકે ગુજરાતી રંગભૂમિ ઉપર ધૂમ મચાવેલી. એ નાટક તે પ્રભુલાલ દ્વિવેદીનું ‘વડીલોના વાંકે’. એનું સૌથી વધુ જાણીતું અને લોકપ્રિય ગીત તે તો ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા’. પણ આ નાટકના પ્રહસન વિભાગમાં આવતું એક બીજું ગીત પણ ખાસ કરીને મુંબઈમાં ઘણું પોપ્યુલર થયેલું. મુંબઈના જીવનની કઠણાઈઓને વ્યક્ત કરતું એ ગીત:

અજબ જિંદગી અહીંની થઈ ગઈ દુઃખના ડુંગર તળે,
લાગણી સાચી ક્યાંથી મળે?
દી આખો દિલ ભાડે દઈને માંડ રોટલો રળે,
લાગણી સાચી ક્યાંથી મળે?
ખોલી નાની, ભીંતે માંકડ, એમાં ફર્નિચરની સાંકડ,
એક્સિડન્ટ પ્રાઈમસના થાતા એમાં બૈરાં બળે.
આવક ઓછી, ડોળ વધારે, નિભાવ કરતાં ઉછી-ઉધારે,
માંડ માંડ કાંઈ બચત થાય તો એમાં ડોક્ટર ભળે,
લાગણી સાચી ક્યાંથી મળે.

સંગીત આપેલું માસ્ટર કાસમભાઈએ. નાટકમાં દામુકાકાનું પાત્ર ભજવતા નટ જટાશંકર આ ગીત અસ્સલ કાઠિયાવાડી લહેકાથી ગાતા અને ભજવતા. પછીથી આ જ ભૂમિકા કેશવલાલ નાયકે પણ સફળતાથી ભજવી હતી.

‘વડીલોના વાંકે’માં મોતીબાઈ, કાસમભાઈ, કેશવલાલ કપાતર

તો પ્રભુલાલભાઈના જ બીજા એક ગીતમાં મુંબઈની ઉજળી બાજુ બતાવી છે. ૧૯૪૫માં પહેલી વાર ભજવાયેલા નાટક ‘સમય સાથે’નું આ ગીત. એ પણ હતું પ્રહસન વિભાગનું. સુધાનું પાત્ર ભજવનાર કલાકાર વત્સલા આ ગીત ગાતાં:

મનને ગમે મુંબઈ, આંખોમાં રમે મુંબઈ, જાવું ગમે ના.
જૂદું સવારના, જૂદું બપોરના, જૂદું છે સાંજ સમે મુંબઈ.
અલક આ જુગની સાગરના પારણે,
નગરી નવયુગની પશ્ચિમના બારણે,
તોય જૂના ગૌરવને નમે મુંબઈ.
નવી નવી લ્હાણ અહીં નવી નવી ભાવના,
જૂદા જૂદા માનવીઓ જૂદા સ્વભાવના,
સાથે બેસીને જમે મુંબઈ.
જાગ્યું નસીબ અમે કિધી કમાણી,
અહીંની કમાણી ભલે અહિયાં સમાણી,
તોયે કાયમ રહેવાનાં અમે મુંબઈ.

‘મંગળ ફેરા’ – અમે મુંબઈના રહેવાસી

શરૂઆતના દાયકાઓમાં ગુજરાતી ફિલ્મો કેટલીક બાબતમાં ગુજરાતી રંગભૂમિનું અનુસરણ કરતી. જે જે વાનાં નાટકને લોકપ્રિય બનાવતાં તે તે વાનાં ફિલ્મોમાં પણ દાખલ થતાં. એક ખૂબ લોકપ્રિય થયેલી ફિલ્મ તે ‘મંગળ ફેરા’. કથા અને સંવાદ હતાં વજુ કોટકનાં. ગીત અને સંગીત અવિનાશ વ્યાસનાં. ગાનાર હતાં ગીતા રોય, એ.આર. ઓઝા, અને ચુનીલાલ પરદેશી. દુલારી, બાબુ રાજે અને છગન રોમિયોના અભિનયમાં લોકોને ખૂબ ગમી ગયેલું એક કોમિક ગીત તે આ:

અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી … અમે …
પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
વર ને વહુ અમે મુંબઈ રહેતાં, કરતાં લીલા લહેર
મોકલ્યાં સાસુ–સસરા કાશી … અમે …
સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું
બિલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી … અમે…
હું ગાડાનો બેલ

શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ
હું પરણ્યો પણ સંન્યાસી … અમે …
પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી … અમે …
રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
કાલનાં ભજિયાં તળજે વાસી … અમે …
રામો: આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી !
લો બોલો … અમે …
વ્હાલે વિપદ આ શું કાઢી, રામા તું ન જાતો નાસી
નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી … અમે …

 

કેટલાંક વર્ષ મુંબઈગરા બનીને રહેલા ચંદ્રકાંત બક્ષી સૌથી પહેલાં અફલાતુન નવલકથાકાર. જાણીતા અને માનીતા થયા કોલમ લેખક તરીકે. પણ ક્યારેક કવિતા લખવાને રવાડે પણ ચડી જાય! તેમણે મુંબઈ વિષે લખેલી એક રચના ‘તારું શહેર, મારું શહેર’ની કેટલીક પંક્તિઓ જોઈએ:

ઈમ્પોર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેર બજારમાં ખરીદાતી શાંતિના ભાવ,
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં.
રેડિયો કંપનીના નિયોની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજા બહાર શરૂ થાય છે.
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડાં મૂકતાં શીખી ગયો છું.
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપરાધબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી.ના સ્ક્રીન પર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી …

શેર બજારમાં ખરીદાતી શાંતિના ભાવ

તો કેટલાક કવિઓ એવા પણ હોય છે કે જે ક્યારે ય મુંબઈના થઈ શકતા નથી. પોતાના ગામડાનું ‘ગાભુ’ જિંદગીભર છાતી સરસું ચાંપી રાખે છે. આવા એક કવિ તે રમેશ પારેખ. પણ તેમણે ય મુંબઈ વિષે એક કાવ્ય લખું છે :

તને કેટલુંય કહી કહીને થાક્યો મનોજ …
અલ્યા, મુંબઈને કાંઠે તો દરિયો પણ છે
પાણી તો ગમ્મે ત્યાં હોય પણ
એના જથ્થાને દરિયો કહી નાખ માં,
(ખાનગીમાં કહેવાની વાત છે:
મેં તો જોયો છે સોનલની આંખમાં)
મુંબઈ તો ઝગમગતી ધૂળ છે
એને મુઠ્ઠીમાં ઝકડીને રાખ માં,
ચોપાટી ચીંધી કહેતો’તો અનિલ:
અહીં પાણીના વેશમાં ઊભેલું રણ છે
હાથના ઉપાડની પાર છે
અરે, ભીડના સીમાડાની બ્હાર છે
(હળક હળક હલતો હંકાર છે
સાવ ઓગળતા મનનો વિસ્તાર છે)
સૂંઘીએ તો કેવળ અંધાર છે
અને ડૂબીએ તો જળબંબાકાર છે
મુંબઈ તો પથ્થરનું પંખી છે
અને એની ચાંચ પાસે દરિયો વેરેલી ચણ છે.

તો આપણામાંનાં ઘણાંની દશા એવી હોય છે કે મુંબઈને ચાહી ન શકીએ અને છતાં તેને છોડી પણ ન શકીએ. જેમ તેનાથી દૂર ભાગીએ તેમ તેનાથી નજીક આવીએ. આવી જ વાત કવિ વિપિન પરીખ એક કાવ્યમાં કહે છે:

હિલસ્ટેશન પર હું થોડીક તાજગી ખરીદવા ગયો હતો.
હું તને ચાહતો નથી મુંબઈ!
તારું ફિક્કું આકાશ મારી આંખોમાં વસતું નથી.
તારા ગંદા અને મેલા દરિયાને હું ધિક્કારું છુ.
રોજ સવારે ચર્ચગેટ પરની ભીડમાંથી મારી જાતને
હું માંડમાંડ છૂટી પાડું છું.
રોજ રાતે સપનામાં હું તારું ગળું ટૂંપું છું
છતાંય જો,
હું ફરી પાછો આવ્યો છું.

ઈંટ અને પથ્થરનો માણસ

વ્યવસાયે ડોક્ટર અને વૃત્તિએ અને પ્રવૃત્તિએ ગઝલકાર એવા હેમેન શાહ તેમની એક ગઝલમાં મુંબઈની વાત આ રીતે કરે છે :

આ ગઝલનો એક પણ વાલી નથી,
શે’ર ખતરાથી કદી ખાલી નથી.
અહીં કળાને પૂજનારા ક્યાં મળે?
આ નગર મુંબઈ છે, વૈશાલી નથી.
સ્વપ્ન આપી કોણ લે મારા સિવાય?
ચાંદનીની ક્યાં ય લેવાલી નથી.
છે પરિવર્તન વિષે ઝગડો મીઠો,
કંઈ સમય સાથે બોલાચાલી નથી!
આમ તાળી પાડી તું બિરદાવ નહિ,
બિન સન્નાટો છે, કવ્વાલી નથી!

મોટા ગજાના કવિ અને કવિતાના પરમ ચાહક સુરેશ દલાલે મુંબઈ વિષે જેટલાં કાવ્યો લખ્યાં છે તેટલાં બીજા કોઈ ગુજરાતી કવિએ નથી લખ્યાં. ૧૦૯ પાનાંનો તેમનો કાવ્યસંગ્રહ ‘આ શહેરમાં’ ૧૯૮૯માં પ્રગટ થયેલો. તેમાં મુંબઈ વિશેનાં ૬૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાંનું ‘આધુનિક લોકગીત’ સાંભળીએ.

જન્મ્યા છો તો ભલે જનમિયા: મૂંગા મરજો.
દુનિયાદારીની છે દુનિયા: મૂંગા મરજો.
કાગળ કેરાં ફૂલ ફળે અહીં: મૂંગા મરજો.
ચેકબુકના દીવા બળે અહીં: મૂંગા મરજો.
કાગળ આખો, માણસ ડૂચા: મૂંગા મરજો.
અહીં નહીં રુચિ કે ઋચા: મૂંગા મરજો.
ઈંટ અને પથ્થરનો માણસ: મૂંગા મરજો.
ટયૂબલાઈટમાં સૂરજ ફાનસ: મૂંગા મરજો.
પ્રેમબેમનું નામ અહીં નહીં: મૂંગા મરજો.
કામ, કામ, ને કામ રહ્યાં અહીં: મૂંગા મરજો.

તો હે જીવ! ચાલ, આવતા શનિવાર સુધી આપણે પણ મૂંગા મરીએ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 માર્ચ 2020

Loading

On and About Corona

સુમન શાહ|Opinion - Opinion|20 March 2020

= = = ખરેખર તો inner contacts-ને, આત્મિક સમ્બન્ધોને, રીપેર કરી દૃઢ કરી લેવાનો આ એક ઉત્તમ અવસર છે = = =

= = = આવી વ્યાપક આપદા વખતે માનવતા શુદ્ધ અર્થમાં જાગે છે અને આપણને ખરા અર્થમાં રાંક બનાવી દે છે = = =

Corona virus હવે Epidemic થી Pandemic થયો છે એમ કહેવાઈ રહ્યું છે. એટલે કે, ભૌગોલિકથી વૈશ્વિક.

આપણે ત્યાં ભારતમાં અને સવિશેષે ગુજરાતમાં એ એવો વ્યાપક નથી થયો. આપણે ઈચ્છીએ કે ન જ થાય બલકે વિશ્વ આખામાંથી નષ્ટ થાય. તેમછતાં, એ ઘણી જ ઝડપે આપણા લગી પ્રસરી શકે છે એ વાતને ચિત્તમાં અગ્રિમ સ્થાને રાખીએ.

મૃત્યુના ડર જેવો કોઈ બીજો ડર નથી તેમ છતાં આપણે ડરતા નથી, એને વીસરી જઈએ છીએ ને જીવ્યે રાખીએ છીએ. આ લખાય છે ને આ લખાયેલું વંચાય છે એ દરેક ક્ષણે હું અને મને વાંચનાર પોતાના મૃત્યુની નજીક જતાં હોઈએ છીએ. વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત સ્થળે ને ચૉકક્સ સમયે ઘટનારી દુર્નિવાર ઘટના છે. તેમ છતાં એ સ્થળને અને એ સમયને આપણે જાણતા નથી, જો કે તેમ છતાં, ગઈ કાલે અને આજે આપણે સૌ અમદાવાદમાં કે વડોદરામાં, શિકાગોમાં કે લન્ડનમાં, જીવ્યે જઈએ છીએ.

પરન્તુ સામુદાયિક નિયતિ સૂચવતા આ કોરોના-કાળમાં ડરવું આવશ્યક, કહો કે, અનિવાર્ય થઈ પડ્યું છે.

તો કરીએ શું? દરેક ક્ષણને દરેક સ્થળને અને દરેક સમયને ચાંપતી નજરે નિહાળીએ. નિરન્તર સાવધાન રહીએ. સાવધાન શબ્દને એના સ્થૂળ અને સૂક્ષ્મ બન્ને અર્થસંકેતોમાં આત્મસાત્ કરીએ ને તમામ વ્યવહારો તે મુજબ ગોઠવીએ. ખરેખર તો આજે કશા ય પ્રકારનો માનવીય સમ્પર્ક – human contact – પરવડે એમ નથી. શારીરિક સમ્પર્ક તો નહીં જ નહીં, જેમ કે, પરસ્પર હાથ ન જ મિલાવાય, ભેટાય પણ નહીં. જાહેર ટોળામાં ભળાય નહીં. એથી દૂર રહીએ. બગાસું છીંક કે ખાંસી જાહેરમાં ન જ ખાઈએ, રૂમાલથી નાક-મૉંને ઢાંકીને ખાઈએ. બધાં કામ ઘેર બેઠાં કરી શકાય તો તે ઉત્તમ છે. વાયરસ વિશેના સમાચારો આપણને ભલે લાગુ ન પડતા હોય, પણ એનાથી વાકેફ રહીએ. એને વિશેની સઘળી માહિતીથી સજ્જ રહીએ, એને વિશેનું જ્ઞાન જ્યાંથી મળે, કશી કચાશ વિના મેળવતા રહીએ.

પણ આ ઉપરાન્ત, આપણે સૌ સરળ અને સહજ કામો તો કરી જ શકીએ છીએ : જેમ કે, જ્ઞાન મેળવીએ પણ એને ડહાપણમાં ઠારીએ. એટલે કે, કોરોના વિશેના જ્ઞાનથી ઘાંઘાં ન થઈએ, એ જ્ઞાનનો સાર પકડીને સંતુલિત વર્તન કરીએ. બુદ્ધિને અને તર્કને જાગ્રત રાખીએ પણ સાથોસાથ, ભાવભાવનાને અને હૃદયને પણ એટલાં જ જાગતાં રાખીએ. હાથ ન મિલાવીએ પણ નમસ્તે કરીએ – મનોમનના નમસ્તે વધારે સારા અને વધારે આવકાર્ય.

ખરેખર તો inner contacts-ને, આત્મિક સમ્બન્ધોને, રીપેર કરી દૃઢ કરી લેવાનો આ એક ઉત્તમ અવસર છે. આવી વ્યાપક આપદા વખતે માનવતા શુદ્ધ અર્થમાં જાગે છે અને આપણને ખરા અર્થમાં રાંક બનાવી દે છે. એ રાંકપણાને ઓળખીને બે વસ્તુ ખાસ કરીએ : ૧ : કોઈ ખરા હૃદયવાનને પ્રેમ કરવાનું આપણાથી ભુલાઈ ગયું હોય, તો કરવા માંડીએ : ૨ : તૂટેલી મૈત્રીને ફરીથી સાંધવાની કોશિશ કરીએ : અને આ બે જો ન જ થઈ શકે તો કરુણાળુ બનીને એ હૃદયવાનને અને એ મિત્રને તેમ જ સાથોસાથ આપણી પોતાની જાતને, માફ કરવાની કોશિશ તો કરીએ જ.

કોરોના ભલે ક્રૂર છે પણ એથી કરુણાળુ થવાની તક જન્મી છે. કોરોના એટલે કરુણા એમ જોડવું મને ન જ ગમે, ન જ ગમે, પણ આટલા પૂરતું ગમ્યું છે …

= = =

(March 15, 2020 : Ahmedabad )

Courtesy : City Sunday

Loading

...102030...2,5762,5772,5782,579...2,5902,6002,610...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved