Opinion Magazine
Number of visits: 9576442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરમશી Chronicle

બાબુ સુથાર|Profile|9 January 2020

“… Memory takes us into the environing world as well as into our individual lives.”

— Edward S. Casey

Remembering : A Phenomenological Study

સ્મૃતિનું પણ એક રાજકારણ હોય છે.

સૌથી પહેલું રાજકારણ તે અનુપસ્થિતિનું. આપણે જેને પણ યાદ કરતા હોય એ યાદ કરવાના સમયે અને સ્થળે અનુપસ્થિત હોવું જોઈએ. આપણી સમક્ષ ઉપસ્થિત હોય એને આપણે યાદ ન કરી શકીએ.

આ અનુપસ્થિતિનું પણ એક રાજકારણ હોય છે.

ક્યારેક એ નિશ્ચિત સમય માટે હોય તો ક્યારેક અનિશ્ચિત સમય માટે. જે અનિશ્ચિત સમય માટે હોય છે એને મરણ સાથે સંબંધ હોય છે.

મરણ જે તે વ્યક્તિની સ્મૃતિને અમર બનાવતું હોય છે; અવિસ્મરણીય બનાવતું હોય છે. મરણ જીવનના બદલામાં આવી સ્મૃતિની ભેટ આપતું હોય છે પણ જે મરણ પામે છે એને નહીં. અન્યોને. મરણની આ ક્રૂરતાનો કોઈ જ વિકલ્પ નથી. ક્યારેક એવું લાગે કે સ્મૃતિ અને મરણની વચ્ચે પણ કોઈક સમજૂતી થયેલી છે.

સ્મૃતિનું એક બીજું રાજકારણ પણ છે.

આપણે કોઈકને યાદ કરીએ ત્યારે આપણે આપણને પણ યાદ કરવા પડે. બીજા શબ્દોમાં : આપણે આપણને ભૂલી જઈને બીજાને યાદ ન કરી શકીએ. એથી સ્મૃતિ એકની જીવનકથા અને બીજાની આત્મકથા બની જતી હોય છે.

સ્મૃતિનું આ ભયસ્થાન સ્મૃતિનું ઘરેણું છે. ‘કરમશી Chronicle’ એક અર્થમાં કરમશી પીરની જીવનકથા છે; તો મારી આત્મકથા પણ છે.

જેમ સ્મૃતિનું એમ શોકાંજલિનું પણ રાજકારણ હોય છે :

આભાર દેરિદાનો.

Politics of Friendshipમાં એ કહે છે : બે મિત્રોમાંથી એક પહેલાં જાય તો જ બીજો એને શોકાંજલિ આપી શકે. એ કહે છે : આ law છે મૈત્રીનો. હું માનું છું : અમારા બન્નેમાંથી કોઈ એક પહેલાં જશે એ શરતે જ બે વ્યક્તિઓ વચ્ચે મૈત્રી શક્ય બનતી હોય છે.

સ્મૃતિ અને શોકાંજલિ વચ્ચે પણ કોઈક સમજૂતિ થયેલી છે. એથી જ મરણ પામેલા મનુષ્યની સ્મૃતિકથા શોકાંજલિ પણ બની જતી હોય છે.

મને એ તારીખવાર યાદ નથી. પણ એ દિવસ યાદ છે : હું ભરત નાયક અને ગીતા નાયકનો મહેમાન હતો. એ દંપતી એમનાં બે ભૂલકાં – આકાશ અને આલોક – સાથે મુંબઈના પૂર્વ ધાટકોપરમાં રહેતાં હતાં. હું ત્યાં પહોંચ્યો એ દિવસે જ ભરતભાઈ મને કહે : આપણે સાંજે કરમશી પીરને મળવા જવાનું છે. કરમશીભાઈ પણ પૂર્વ ઘાટકોપરમાં જ રહેતા હતા. ભરતભાઈના ઘેરથી એમનું ઘર તદ્દન નજીક. ચાલતાં દસ કે પંદર મિનિટ લાગે. ભરતભાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સુરેશ જોષીના હાથ નીચે પીએચ.ડી. કરતા હતા ત્યારે હું એમને મળેલો. એ વખતે એમણે મને કરમશીભાઈની વાતો કરેલી. ત્યારે મને એ કોઈક પુરાકથાના પાત્ર જેવા લાગેલા. ભરતભાઈ જ્યારે પણ એમની વાત કાઢતા ત્યારે હું મનોમન એમનું ચિત્ર બનાવતો. એમણે મને વારંવાર એક વાત કરેલી : “બાબુડિયા, બૌ મોટા વિદ્વાન હોં. સુરેશભાઈ જેવા જ. પણ લખે નહીં. બૌ બોલે પણ નહીં. ક્યારેક તો સુરેશભાઈને પણ નવાં પુસ્તકો સૂચવે.” ત્યારે હું ભરતભાઈ પર પૂરો ભરોસો મૂકતો. એ જે કહેતા એ હું માની લેતો. જો કે, એ દિવસોમાં હું સુરેશભાઈના એટલા બધા પ્રભાવ હેઠળ હતો કે કોઈ માણસ સુરેશ જોષી જેવો વિદ્વાન હોય અને એ ગુજરાતી હોય એ વાત તરત જ મારા ગળે ઊતરતી નહીં. હું જાણું છું કે, એ માન્યતાને મારી સમજણ કરતાં તો મારી મુગ્ધતા સાથે વધારે સંબંધ હતો. એથી જ તો એ દિવસે જ્યારે ભરતભાઈએ મને કહ્યું કે આપણે આજે સાંજે કરમશીભાઈને મળવા જવાનું છે ત્યારે હું મનોમન મારી જાતને તૈયાર કરવા લાગેલો.

હું કરમશીભાઈને મળવા માટે મારી જાતને તૈયાર કરી રહ્યો હતો એ દરમિયાન ભરતભાઈએ મને કરમશીભાઈની ઘણી બધી વાતો કરેલી. સૌ પહેલાં તો એમણે એમના ફોટોગ્રાફીના વ્યવસાયની વાત કરેલી. પણ, એ વાત કરતાં ભરતભાઈએ મને ભારપૂર્વક કહેલું કે કરમશીભાઈ સામાન્ય ફોટોગ્રાફર નથી. કળાકાર છે અને ફિલસૂફ પણ. એમણે એમ પણ કહેલું કે કરમશીભાઈ સુરેશભાઈ કરતાં પણ સારું બંગાળી જાણે છે. સત્યજિત રે અને બીજા ઘણા બંગાળી ફિલ્મ દિગ્દર્શકો પણ એમને અંગત રીતે ઓળખે છે. એમણે બોર્હેસ પણ વાંચ્યો છે. સુરેશભાઈનાં તો એમણે એકેએક લખાણ વાંચેલાં છે. પછી, એમણે ખાસ ઉમેરેલું, “કરમશીભાઈ બહુ બોલે નહીં. એ મૌનના માસ્ટર છે. ઝેન માસ્ટર જેવા. ઝેન માસ્ટર કેવા silenceથી વાત કરે. કરમશીભાઈ પણ એ જ રીતે silenceથી વાત કરે.” એ જમાનામાં મેં ઝેન માસ્ટરો વિષે ખાસ વાંચેલું નહીં. પણ, ત્યારે ખૂબ પ્રખ્યાત બનેલું ‘Zen Flash, Zen Bones’ પુસ્તક વાંચેલું. એની પ્રસ્તાવનામાં કે બીજે ક્યાંક મેં ઝેન માસ્ટરની એક વાત વાંચેલી. એના પરથી મેં ઝેન માસ્ટરની આવી કંઈક ઇમેજ બનાવેલી : એની દાઢી હવામાં લહેરાતી હોય. એનું પેટ જરાક મોટું હોય. એ ખડખડાટ હસતો હોય. એ કદી પણ ઇરેઝરનો ઉપયોગ ન કરે. કેમ કે એ માસ્ટર હોય છે. માસ્ટર કદી પણ ભૂલ ન કરે. મેં કરમશીભાઈને પણ ઘડીભર તો એવા જ ધારી લીધેલા.

સાંજ થઈ એટલે ભરતભાઈ મને લઈને કરમશીભાઈના ઘેર જવા નીકળ્યા. ત્યારે મને મહાનગરોનો ખાસ અનુભવ ન હતો. મેં અમદાવાદ જોયેલું. વડોદરા જોયેલું. હકીકતમાં તો હું એ બન્ને શહેરોમાં રહેલો પણ ખરો. જો કે, અમદાવાદમાં તો કેવળ ત્રણ જ મહિના. એથી મારું મુંબઈ થોડુંક નિરંજન ભગતની કવિતાથી અને થોડુંક ચંદ્રકાન્ત ટોપીવાળાની કવિતાઓથી ઘડાયેલું. જો કે, એ બન્ને કવિઓએ મુંબઈમાં રસ્તો ઓળગંવાની મુશ્કેલીઓ પર કોઈ કવિતા ન હતી લખેલી. એટલે મારી કલ્પનાના મુંબઈમાં એ મુશ્કેલીઓનો કોઈ જ સમાવેશ થયેલો ન હતો. જ્યારે ભરતભાઈ મને કરમશીભાઈના ત્યાં લઈ જવા નીકળ્યા ત્યારે મને એ મુશ્કેલીઓનો અનુભવ થયેલો. મને હજી પણ થાય છે કે કેમ આ બન્ને કવિઓએ મુંબઈમાં રસ્તો ઓળંગવાની મુશ્કેલીઓ પર કોઈ કવિતા નહીં લખી હોય. ઉરુગ્વેના લેખક ગાલેઆનોએ એક મહાનગરમાં રસ્તો ઓળંગવાની રાહ જોઈ રહેલા એક માણસની વાત કરી છે. હમણાં ટ્રાફિક ઓછો થશે ને હમણાં હું રસ્તો ઓળંગીશ એમ માનતો માણસ ખાસ્સી રાહ જોયા પછી એક માણસને પૂછે છે : આ ટ્રાફિક ક્યારે ઓછો થશે? મારે રસ્તો ઓળંગવો છે. પેલો માણસ કહે છે : ખબર નહીં. હું જનમ્યો ત્યારનો અહીં એની જ રાહ જોતો બેઠો છું. ગાલેઆનો લેટિન અમેરિકાનો ઇતિહાસ આવા રમૂજી ટૂચકાઓથી લખે છે. ભરતભાઈ તો સરળતાથી રસ્તો ઓળંગતા. પછી રસ્તાની પેલી બાજુએ ઊભા રહી અકળાતા મારી રાહ જોતા. એ અનુભવ હજી પણ એટલો જ તાજો છે. એનો ઉલ્લેખ કરતી વખતે મને હજી ઘાટકોપરના રસ્તાઓ પર દોડતી રિક્ષાઓનાં હોર્નનો અવાજ સંભળાતો હોય છે.

એમ કરતાં અમે કરમશીભાઈના ઘેર પહોંચ્યા. ભરતભાઈએ ડૉરબેલનું બટન દબાવ્યું. સામેથી બારણું ખૂલ્યું. ભરતભાઈએ કહ્યું : દાદુ, હું મારી સાથે બાબુ સુથારને લઈને આવ્યો છું. મેં બહાર ઊભા ઊભા કરમશીભાઈ પર સહેજ નજર નાખી. એમને પેલા ઝેન માસ્ટર જેવી દાઢી ન હતી. એ પેલા ઝેન માસ્ટર જેવા જાડાતગડા પણ ન હતા. મેં એ બાબતની નોંધ લીધી. પછી અમે અંદર ગયા. એમની બેઠકરૂમમાં બેઠા. ભરતભાઈએ એ દરમિયાન મારો પરિચય આપવાનું ચાલુ રાખેલું : “બાબુ, સુરેશભાઈનો વિદ્યાર્થી છે. એને પણ અસ્તિત્વવાદ, ફિનોમિનોલોજી, બધામાં રસ છે. એ પણ વાંચે છે બહુ.” કરમશીભાઈએ મારી સામે જોયું. મેં એમની સામે. અમારી નજર એક થઈ. પણ એ કશું બોલ્યા નહીં અને હું પણ. મારા મનમાં એ વખતે ભરતભાઈનું પેલું વાક્ય ગુંજતું હતું : કરમશીભાઈ ઝેન માસ્ટર જેવા છે. બહુ બોલે નહીં. મૌનથી જ વાત કરે. મારે એમના મૌનને સાંભળવાનું હતું. પણ, એ ક્ષમતા ત્યારે મારામાં ન હતી.

કરમશીભાઈના બેઠકખંડમાં બેઠા બેઠા મારી નજર એમનાં પુસ્તકો પર ગઈ. પછી હું બેઠો બેઠો એ પુસ્તકોનાં નામ વાંચવા લાગ્યો. કદાચ મને પુસ્તકો જોતાં જોઈને જ એમણે મને કહ્યું હશે : “જુઓ પુસ્તકો. વાંધો નહીં.” મારા માટે આટલું વાક્ય પૂરતું હતું. હું તરત જ ઊભો થઈ એમનાં પુસ્તકો પાસે ગયો. ત્યારે હું પણ પુસ્તકો વસાવતો. પણ, દેખીતી રીતે જ ત્યારે મારી ખરીદક્ષમતા અને વાંચનક્ષમતા પણ ઘણી ઓછી હતી. એની તુલનામાં કરમશીભાઈનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હતી. એમણે મોટા ભાગનાં પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવ્યાં હતાં. જો કે, કેટલાંક આડાં હતાં, કેટલાંક અવળાં પણ. કેટલાંકની ઉપર બદામી કે ખાખી રંગનાં પૂઠાં ચડાવેલાં હતાં. કેટલાંકનાં પૂંઠાં ક્યાંકથી બહાર આવી ગયેલાં હતાં. કેટલાંકનાં સહેજ ફાટી ગયેલાં. એમાં કવિતાનાં પુસ્તકો હતાં. ફિલસૂફીનાં પણ. એમાં મેર્લો પોન્તિનું The Phenomenology of Perception પણ હતું. સુરેશભાઈએ એ પુસ્તકની પ્રસ્તાવના અને એનાં આરંભનાં બેત્રણ પ્રકરણો મારી સાથે બેસીને વાંચી સમજાવેલાં. ત્યારે મેં એકાદબે વાર એ પુસ્તકને સ્પર્શ કરેલો. એ જમાનો જુદો જ હતો. ત્યારે અમુક પુસ્તકોને સ્પર્શવા જેવી ઘટના પણ જીવનની એક મહાન ઘટના ગણાતી. એ જ પુસ્તક કરમશીભાઈના ત્યાં જોઈને મને ભરતભાઈનું પેલું વાક્ય યાદ આવી ગયેલું : સુરેશભાઈ જેવા જ વિદ્વાન છે કરમશીભાઈ. ખાલી લખતા નથી એટલું જ. મેં એ પુસ્તક કરમશીભાઈના કબાટમાંથી કાઢ્યું. મને એમ કરતાં જોઈને કરમશીભાઈ કહે : “જે જોવું હોય તે કાઢીને જુઓ. બધાં આડાંઅવળાં છે.”

દેખીતી રીતે જ, કરમશીભાઈનાં પુસ્તકો જોતી વખતે મને થયેલું કે મારી પાસે પણ ક્યારે આવાં પુસ્તકો આવશે. પછી હું એમાંથી બેત્રણ પુસ્તકો કાઢીને પાછો ભરતભાઈ અને કરમશીભાઈ પાસે આવ્યો. મેં જોયું તો બન્ને મૌન બેઠા હતા. મને આવેલો જોઈને ભરતભાઈ કરમશીભાઈનાં પુસ્તકો પર ગૌરવ લેતાં કહે : “છે ને. કેવાં લાગ્યાં કરમશીભાઈનાં પુસ્તકો?” મારે ‘અદ્દભુત’ સિવાય બીજો કોઈ શબ્દ વાપરવાનો ન હતો. પણ, એમ કહીને મેં ઉમેરેલું : “જે પુસ્તકો વિષે સાંભળ્યું હોય એ જ પુસ્તકો જોવા મળે, એમને સ્પર્શવા મળે એટલે કોને આનંદ ન થાય?”

પછી ભરતભાઈએ એમના થેલામાંથી એક ફોટો કાઢીને કરમશીભાઈને આપ્યો. એ ફોટા વિષે કદાચ એ બન્નેએ અગાઉ ફોન પર કરી હશે. એ ફોટો ભરતભાઈએ પાડેલો હતો પણ કોણ જાણે કેમ એમને એ ફોટો કળાની દૃષ્ટિએ ક્યાંક ઊતરતો લાગતો હતો. કરમશીભાઈએ એ ફોટા પર નજર નાખી. પછી, એ ઊભા થયા. ત્યારે એમના ઘરમાં જ ફોટો લેબોરેટરી હતી. એ ત્યાં ગયા અને એક કાતર લઈને પાછા આવ્યા. પછી કંઈ પણ બોલ્યા વગર એમણે કાતરથી એ ફોટાની કેટલીક બાજુઓ કાપી નાખી અને ત્યાર બાદ એ ફોટો ભરતભાઈને આપ્યો. એ ફોટો જોતાં જ ભરતભાઈ બોલી ઊઠેલા,“માસ્ટર જ આવું કરી શકે.” કરમશીભાઈએ કાતર વડે એ ફોટાની, એમને વધારાની લાગેલી જગ્યા, કાપી નાખેલી. એ પણ ભરતભાઈને પૂછ્યા વિના. એમની સાથે એ વિષે કોઈ ચર્ચા કર્યા વિના. એને કારણે એ ફોટાની ઇમેજ ખસીને યોગ્ય જગ્યાએ આવી ગઈ હતી. એ જોઈને ભરતભાઈએ ખાલી નાચવાનું જ બાકી રાખેલું. પછી એમણે એ ફોટો મને બતાવેલો. મારે તો માથું હલાવવા સિવાય કંઈ કરવાનું ન હતું. કેમ કે ત્યારે એવી કોઈ કળાસૂઝ ત્યારે મારામાં ન હતી. હું પુસ્તકો વાંચી જાણતો એટલું જ. પણ, કરમશીભાઈને એ રીતે ફોટાની બાજુઓ કાપતાં મને ફિલસૂફ વિત્ગેન્સ્ટાઈનના જીવનનો એક પ્રસંગ યાદ આવી ગયેલો. એક વાર ફિલસૂફ એનસ્કૉમ્બે એમનો નવો જ કોટ પહેરીને વિત્ગેન્સ્ટાઈન પાસે આવ્યાં અને પૂછ્યું, “કેવો લાગે છે આ કોટ?” વિત્ગેન્સ્ટાઈને ઊભા થઈ, કાતર લાવી, એ કોટને નીચેથી કાપી નાખીને કહેલું કે હવે સારો લાગે છે. કરમશીભાઈએ પણ એમ જ કરેલું અને કહેલું, “હવે, સારો લાગે છે.”

કરમશીભાઈ સાથેની આ મારી પહેલી મુલાકાત.

પછી તો હું જ્યારે પણ મુંબઈ જતો ત્યારે અચૂક કરમશીભાઈને મળવા જતો. ક્યારેક ભરતભાઈની સાથે, ક્યારેક એકલો.

ત્યાર પછી મને સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલજમાં અધ્યાપકની નોકરી મળી. હું વડોદરા છોડીને ત્યાં ગયો. એ સાથે મારું મુંબઈ જવા-આવવાનું પણ ઓછું થઈ ગયું. પણ, એવું બેએક વરસ જ ચાલ્યું. પછી મને મુંબઈના વિલે પાર્લેમાં આવેલી મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળી એટલે હું સંતરામપુર કૉલેજમાંથી રાજીનામું આપી દઈ મુંબઈ આવ્યો.

એ નોકરીના શરૂઆતના દિવસો દરમિયાન હું ભરતભાઈની સાથ ઘાટકોપરમાં રહેતો હતો. દેખીતી રીતે જ, ત્યારે હું કરમશીભાઈને અવારનવાર મળવા જતો. રવિવારે સાંજે તો ખાસ. કેમ કે દર રવિવારે સાંજે એમના ત્યાં સાહિત્યકારો, કળાકારો, સિનેરસિયાઓની એક અનૌપચારિક મંડળી મળતી. એ મંડળીમાં ભરતભાઈ, વીરચંદભાઈ, પ્રાણજીવન મહેતા, કમલ વોરા, ચિત્રકાર અતુલ ડોડિયા, પીયૂષ શાહ, પ્રબોધ પરીખ, રતિકાકા અને બીજા કેટલાક મિત્રો તથા વડીલો આવતા. રતિકાકા કરમશીભાઈના ખાસ ભાઈબંધ. એમને પણ વાંચનનો શોખ. એ અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર પરનાં પુસ્તકો વાંચતા. એમને શિક્ષણમાં પણ ઘણો રસ. એ મંડળીમાં મોટે ભાગે સાહિત્યની અને કળાની વાતો થતી. કોઈક રસ પડે એવું લખાણ પ્રગટ થયું હોય તો ત્યાં એની પણ ચર્ચા થતી. બધી અનૌપચારિક. વીરચંદભાઈ હંમેશાં કોઈકને કોઈક નવી વાત લઈ આવતા. ત્યારે એ આખા મુંબઈની પુસ્તકોની દુકાનોએ ફરતા અને આપણે કલ્પના પણ ન કરી હોય એવાં સામયિકો કે એવાં પુસ્તકો લઈ આવતા. એમના અંગત પુસ્તકાલય વિશે એક સ્વતંત્ર લેખ કરવો પડે. કેમ કે એ કેવળ પુસ્તકાલય જ નથી. એ એક archive પણ છે. એ મંડળીમાં ચાપાણી પણ થતાં. કરમશીભાઈના બન્ને ભત્રીજા, રાજુભાઈ અને ઉલ્લાસભાઈ, સતત બધાની સેવા માટે હાજર રહેતા. કરમશીભાઈ મંડળીમાં બેઠા બેઠા જોરથી રાજુભાઈના નામની કે એમનાં પત્ની જયશ્રીબેનના નામની બૂ઼મ પાડે અને જાણે કે બધું પહેલથી ગોઠવી રાખ્યું હોય એમ ચાનાસ્તો પણ આવી જતાં. છેલ્લે, એ બેઠકમાં જે બેચાર જણ બચ્યા હોય એ નજીકમાં જ આવેલી કોઈક રેસ્ટોરાંમાં જતા અને સાંજનું વાળુ કરતા. એમાં વીરચંદભાઈની હાજરી અવશ્ય રહેતી.

મને વડોદરા કરતાં મુંબઈમાં વધારે ફાવતું હતું. ખાસ કરીને સુરેશભાઈના અવસાન પછી. વડોદરામાં મિત્રો હતા, વડીલો પણ હતા પણ જ્યારે પણ હું એમને મળવા જતો ત્યારે કોણ જાણે કેમ કશું જ બનતું ન હોય એવો અનુભવ થતો. કદાચ, હું સુરેશભાઈની વધારે નિકટ હતો એ પણ એક કારણ હોઈ શકે. કેમ કે એ વરસો દરમિયાન સુરેશભાઈના ઘણા મિત્રો એમનાથી દૂર થવા લાગ્યા હતા. કદાચ બધા પોતપોતાની ઓળખની શોધમાં હતા. મને વડોદરામાં એવું લાગતું હતું કે મારે હજી સાબિત કરવાનું છે કે હું છું. પણ, મુંબઈમાં મારે એવું કશું સાબિત કરવાનું ન હતું. બધા મને સ્વીકારી લેતા હતા કે હું સુરેશભાઈનો વિદ્યાર્થી છું અને મને સાહિત્યમાં તથા ફિલસૂફીમાં રસ છે.

એ જ દિવસો દરમિયાન અતુલ એનો અભ્યાસ પૂરો કરીને ત્યાં ઘાટકોપરમાં જ આવેલા એના સ્ટુડિયોમાં વ્યસ્ત થઈ ગયો હતો. કરમશીભાઈ મને ઘણી વાર અતુલના સ્ટુડિયો પર લઈ જતા. કરમશીભાઈના ઘેરથી અતુલનો સ્ટુડિયો ઘણો નજીક હતો. પણ, કરમશીભાઈ રિક્ષા કરતા. એમને પૂર્વ ઘાટકોપરથી પશ્ચિમ ઘાટકોપર જવા માટેનો પુલ ઓળંગવાનું ગમતું નહીં. હું એમને ક્યારેક કહેતો કે સમીસાંજે આ પુલ કાફ્કાની નવલકથામાં આવે એવો લાગતો હશે. એમને ટ્રાફિકની અડફેટમાં આવી જવાનો ડર પણ લાગતો હતો. મને તો આમે ય મુંબઈના રસ્તા ઓળંગવાની તકલીફ હતી. એટલે કરમશીભાઈ રિક્ષા કરે તો મને એ વધારે ગમતું. અતુલના સ્ટુડિયોમાં ચિત્રો જોઈને ઘેર આવતાં કરમશીભાઈ એ ચિત્રોની વાત કરતા. મોટા ભાગનાં ચિત્રો વિશે એક કે બે વાક્યો કહેતા પણ એટલાં વાક્યો પૂરતાં હતાં. એક વાર એમણે અતુલના ‘કુર્લા’ ચિત્રની વાત કરેલી. મેં એમને કહેલું કે એમાં મને તો ખૂબ ‘હિંસા’ દેખાય છે. અતુલ એમાં signifier અને signified વચ્ચેનો ભેદ ભૂંસી નાખીને representation કે mimesisના ખ્યાલને જ ભૂંસી નાખે છે. કરમશીભાઈએ કહેલું, “તમે અતુલને આ વાત કરજો. એને ખૂબ ગમશે.” પણ એ વખતે મને આવી વાત કરવા જેટલો આત્મવિશ્વાસ ન હતો.

પછી હું ઘાટકોપરથી વિલે પાર્લે રહેવા ગયો. ત્યાં ગયા પછી પણ હું લગભગ દર રવિવારે કરમશીભાઈને ત્યાં જતો.

મણિબેન નાણાવટી કૉલેજમાં મેં એક સત્ર નોકરી કરી અને પાછી મારી નોકરી ગઈ. કારણની હજી ય મને ખબર નથી. મને કહેવામાં આવ્યું કે સરકાર તમારી નિમણૂક મંજૂર કરતી નથી. જે હોય તે. મને હવે અત્યારે એમાં રસ નથી. એ જ સમયગાળામાં મુંબઈમાં ‘ગુજરાત સમાચાર’ શરૂ થઈ રહ્યું હતું. મને એમાં સબ એડિટરનું કામ મળી ગયેલું. તદ્ઉપરાંત, હું મણિબેન નાણાવટી કૉલેજમાં પાર્ટ ટાઈમ તો ભણાવતો જ હતો.

એ દિવસો દરમિયાન હું અને કરમશીભાઈ ક્યારેક સાથે મુંબઈમાં પુસ્તકોની દુકાનોએ જતા. ક્યારેક વીરચંદભાઈ તો ક્યારેક રતિકાકા તો ક્યારે એ બન્ને અમારી સાથે આવતા. કરમશીભાઈ પુસ્તકો ખરીદવામાં સહેજ પણ સંકોચ નહોતા રાખતા. શરત માત્ર એટલી કે એ પુસ્તક એમને ગમી જવું જોઈએ. એ મોટે ભાગે ચિન્તનાત્મક પુસ્તકો ખરીદતા. હવે તો અમારી વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બન્યો હતો. એ મને પુસ્તકો વાંચવા માટે પણ આપતા.

મુંબઈમાં બીજું સત્ર પૂરું થયું પછી હું મુંબઈથી પાછો વડોદરા આવ્યો. ત્યારે ગુજરાતમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી સરળતાથી મળે એમ ન હતું. કેમ કે સરકારે શિક્ષણની નવી પદ્ધતિ અપનાવેલી. એના કારણે ગુજરાતી વિષયના ઘણા અધ્યાપકો ફાજલ પડ્યા હતા. એટલે મેં વડોદરાથી શરૂ થઈ રહેલા ‘સંદેશ’માં સબ-એડિટરની નોકરી લીધેલી. એ જ દિવસોમાં મને લાગેલું કે ગુજરાતી વિષયમાં મારું કોઈ ભાવિ નથી એથી મારે મારી દિશા બદલી નાખવી જોઈએ. મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યા પછી ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા કરેલો. એને કારણે પણ મને ભાષામાં ઘણો રસ હતો. એટલે મેં ભાષાશાસ્ત્ર સાથે બીજું એમ.એ. કરવાનું નક્કી કર્યું અને એ માટે એમ.એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં પ્રવેશ લઈ લીધો.

ત્યારે પણ હું અવારનવાર મુંબઈ જતો. ખાસ કરીને પુસ્તકો ખરીદવા માટે. ત્યારે હું ભરતભાઈના ત્યાં રોકાતો. પછી શનિવારની કે રવિવારની સવારે હું કરમશીભાઈના ત્યાં જતો. એ ક્યારેક મારી સાથે મુંબઈ આવતા. રાબેતા મુજબ અમે સાથે પુસ્તકોની દુકાનોમાં ફરતા. એટલું જ નહીં, અમે ઘણી વાર એમની કેટલીક માનીતી રેસ્ટોરાંમાં પણ જતા. એ મોટે ભાગે કૉફી પીતા. હું પણ. ક્યારેક દક્ષિણ ભારતીય વાનગી ખાતા. આ લખતી વખતે પણ મને એ બધી રેસ્ટોરાં દેખાય છે, એમનાં ટેબલ દેખાય છે અને એ ટેબલ પરના પાણીના ગ્લાસ પણ દેખાય છે. પણ, એમનાં નામ યાદ આવતાં નથી. કરમશીભાઈ એક વાર મને હોંશે હોંશે એક ગુજરાતી થાળી ખવડાવવા એક રેસ્ટોરાંમાં લઈ ગયેલા. ‘પુરોહિત’ કે ‘ગુજરાત’ કે એવું કંઈક નામ હતું એનું. એ રેસ્ટોરાંનો માહોલ પરંપરાગત હતો. મને એમાં પ્રવેશતાં જ પેલો ‘આંધળી માનો કાગળ’ યાદ આવી ગયેલો. મને થયેલું કે ગીગાએ આવી જ કોઈક રેસ્ટોરાંમાં ખાધું હશે. પછી થાળી આવી. મેં ધારી’તી એના કરતાં બમણા કદની. એમાં છસાત વાડકીઓ. પિરસણીયો દાળ પણ શાકની જેમ ‘નાખતો’. ખાવાનું કંઈ એટલું બધું સારું ન હતું. પણ, અમે બન્નેએ ધરાઈને ખાધેલું. ખાધા પછી કરમશીભાઈએ કહેલું, “હવે મુંબઈ બગડી ગયું. એક જમાનામાં આ રેસ્ટોરાંનો દબદબો હતો. આ ગુજરાતી ખાવાનું ગુજરાતી લાગ્યું જ નહીં. હવે પછી આપણે બીજી કોઈક રેસ્ટોરાંમાં જઈશું.” મુંબઈમાં રહેતા ગુજરાતીઓના ઘરઝુરાપાનાં અનેક સ્વરૂપો હોય છે. કચ્છમાં વરસાદ પડે તો મુંબઈમાં વસતા કચ્છીઓ એની ઉજવણી કરે. આ એક ઘરઝુરાપો. અને મુંબઈની પરંપરાગત ગુજરાતી વીશીઓનું ખાવાનું ‘બગડી જાય’ તો એનો ય એમને ઘરઝુરાપો. મને ઘણી વાર લાગે છે કે મુંબઈમાં વસતા ગુજરાતીઓનાં એક વિશિષ્ટ અર્થમાં એક નહીં, અનેક ઘર હોય છે અને એ જ રીતે અનેક ઘરઝુરાપા પણ.

ઘણી વાર કરમશીભાઈ અને હું સાથે ચાલવા જતા. ખાસ કરીને સવારે. એમના ઘરની નજીકમાં જ એક બગીચો હતો. અમે ત્યાં બેસતા. રતિકાકા પણ ત્યાં આવતા. ક્યારેક પ્રાણજીવનભાઈ પણ. ક્યારેક કરમશીભાઈના બીજા મિત્રો પણ. પછી વળતી વખતે એમની એક ખાસ ચાની દુકાન આવતી. ત્યાં એ ચા પીવા રોકાતા. હું પણ એમને સાથ આપતો. ત્યાંથી પછી ઘેર આવતાં રસ્તામાં ‘એમની’ પાનની દુકાન આવતી. એ ત્યાં ઊભા રહે એટલે દુકાનવાળો એમનાં પાન બનાવી દે. કરમશીભાઈએ કંઈ કહેવું ન પડે. એ ખાલી મારા ભણી નિર્દેશ કરીને એટલું બોલે : “એક આમનું પણ.” આ એમનો કાયમનો ક્રમ. ઘણી વાર ભરતભાઈ કરમશીભાઈના ત્યાં જતા ત્યારે એ જ પાનની દુકાને જતા ને કરમશીભાઈનું નામ બોલતા. કરમશીભાઈનાં પાન તૈયાર થઈ જતાં.

કરમશીભાઈ ઘણી વાર મારી સાથે પુસ્તકોની દુકાને નહોતા આવતા. મુંબઈની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું કામ આમે ય અઘરું હતું. એ ક્યારેક કહેતા પણ ખરા : “હવે મારી ઉંમર નથી રહી. એક જમાનામાં મેં લટકી લટકીને બહુ પ્રવાસ કર્યો છે.” ઘણી વાર એ ટેક્સી કરતા અને અમે સાથે ટેક્સીમાં મુંબઈ જતા. પછી વળતા ટ્રાફિક ઓછો થાય ત્યારે ટ્રેનમાં પાછા આવતા. ક્યારેક રતિકાકા એમની કાર લઈને અમારી સાથે આવતા. એ પણ, મેં અગાઉ નોંધ્યું છે એમ, પુસ્તકોના શોખીન જીવ. ક્યારેક અમે મુંબઈ પહોંચીએ પછી વીરચંદભાઈ અમારી સાથે જોડાતા. એ વખતે એ લગભગ રોજ મુંબઈની એશિયાટિક લાયબ્રેરીમાં આવતા. ત્યાં બેસતા ને કામ કરતા. ત્યાં એમનું એક અલગ ટેબલ હતું. ત્યારે તો મોબાઇલ ફોન હતા નહીં એટલે કરમશીભાઈ પહેલેથી ફોન કરીને આખું ટાઈમટેબલ ગોઠવી દેતા. અમે નક્કી કરેલા સમયે નક્કી કરેલી પુસ્તકોની દુકાને કે રેસ્ટોરાં પર પહોંચી જતા. પછી બધા ત્યાં ભેગા થતા.

ઘણી વાર હું વડોદરાથી મુંબઈ જાઉં, ભરતભાઈના ત્યાં ઊતરું. સવારે ચાનાસ્તો કરું અને પછી તરત જ કરમશીભાઈના ત્યાં પહોંચી જાઉં. જો એ મારી સાથે મુંબઈ ન આવવાના હોય તો હું નીકળું ત્યારે એ હળવેથી ઊભા થઈ, બીજા ઓરડામાં જઈ, ક્યારેક હજાર, ક્યારેક બે હજાર અને ક્યારેક પાંચ હજાર રૂપિયા લાવીને મારા હાથમાં મૂકતા અને કહેતા, “તમને જે પુસ્તકો ગમે એ લઈ આવજો.” હું પહેલાં બાન્દ્રા જતો. ત્યાં પુસ્તકોની એક સરસ દુકાન હતી. એ જમાનામાં સિદ્ધાન્તચર્ચાનાં પુસ્તકો એ દુકાનમાં મળતાં. જો કે, ત્યાં બધાં જ મૂળ કિંમતમાં. મેં ભાગ્યે જ ત્યાંથી બેત્રણ પુસ્તકો ખરીદ્યાં હશે. પણ નવાં નવાં પુસ્તકો જોવાનું બહુ ગમતું, જીવ બાળવાનું પણ બહુ ગમતું. એક વાર એક જુવાનિયો ત્યાં આવીને મારી નજર સમક્ષ દેરિદા, ફુલો, વગેરેનાં વીસ પુસ્તકો ખરીદીને ચાલ્યો ગયેલો ત્યારે મને એની પારાવાર ઇર્ષ્યા આવેલી. આ બધી વાતો પાછો હું કમરશીભાઈને કરતો. ત્યાંથી હું ટ્રેન લઈ ચર્ચગેટ તરફ જવા નીકળતો. હું ગ્રાન્ટરોડ, ચર્ની રોડ, મરીન લાઈન્સ બધે જ ઊતરતો અને ત્યાં આવેલી પુસ્તકોની નાનીમોટી બધી જ દુકાનોમાં જતો. ત્યારે એ દુકાનોમાં અંદર પ્રવેશતાં બગલથેલો કેશિયર પાસે મૂકી દેવો પડતો. ત્યાર બાદ સ્ટ્રાંડમાં પછી સ્મોકર્સ કોર્નર, પછી બુક પોઈન્ટ. પછી ખૂણે ખાંચરે આવેલી બીજી દુકાનો પણ ખરી. છેલ્લે મુંબઈના ફૂટપાથ પરની પુસ્તકોની દુકાનોમાં જતો. બેપાંચ પુસ્તકો મારા માટે ખરીદતો. પાંચ છ કરમશીભાઈ માટે. એ બધાં જ પુસ્તકો લઈને હું સીધો કરમશીભાઈ પાસે જતો. કરમશીભાઈ એકેએક પુસ્તકને ઝીણવટથી જોતા. એ પુસ્તકોની ઘનતા અને વિશિષ્ટ ઘનતા બધું જ અનુભવતા. ક્યારેક મારી હાજરીમાં જ કેટલાંક પુસ્તકોની પ્રસ્તાવના પણ વાંચતા. પછી એમાંનાં કેટલાંક વાક્યો ટાંકીને એ વાક્યોની મારી સાથે ચર્ચા પણ કરતા. એ જે કંઈ વાંચતા એના એકેએક શબ્દ પર એ રોકાતા. જાણે કે ત્યાં જ એ પડાવ ન નાખવાના હોય.

એમની વાંચન પદ્ધતિ જુદા પ્રકારની હતી. એ દરેકેદરેક શબ્દને માણસને જુએ એ રીતે જોતા. એની સાથે ઓળખાણ બાંધવાનો પ્રયાસ કરતા. એક વાર મેં એમને કહેલું કે હું તો ઘણી વાર ટ્રેનમાં બેઠેલો પ્રવાસી બહારનાં વૃક્ષોને જુએ એ રીતે પુસ્તકમાંના શબ્દોને જોતો હોઉં છું. જવાબમાં એમણે કહેલું : “એ ન ચાલે. દરેક વૃક્ષ આગળ તમારે ઊભા રહેવું પડે. દરેક વૃક્ષને જાણવું પડે. એનો ઇતિહાસ પણ સમજવો પડે.” મને એમાં કેવળ નિકટવર્તી વાંચન જ નહોતું દેખાતું. મને એમાં અર્થઘટનશાસ્ત્ર પણ દેખાતું. કરમશીભાઈને ફિનોમિનોલોજી ઉપરાંત અર્થઘટનશાસ્ત્રમાં પણ રસ હતો. એમણે ઘણી વાર ગાડામેર અને પૉલ રીકરની વાતો કરી છે. એ બન્ને ફિલસૂફોનાં કેટલાંક પુસ્તકો પણ એમની પાસે હતાં. મુંબઈથી લાવેલાં પુસ્તકો બતાવીને હું પાછો ભરતભાઈના ઘેર આવવા નીકળતો ત્યારે એમાંનાં બેત્રણ પુસ્તકો એ એમના માટે રાખતા અને કહેતા, “બાકીનાં તમે રાખો. મારે જોઈશે ત્યારે હું માગીશ.” શરૂઆતમાં તો મને સંકોચ થતો. પણ પછી તો એ એક નિયમ બની ગયેલો.

ત્યાર પછી મારું લગ્ન થયું. આરંભમાં હું અને મારાં પત્ની – રેખા – વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા ‘કેન્યાકુંજ’ નામના એક બંગલાના ગરાજમાં રહેતાં હતાં. જો કે, એ દરમિયાન મારું ભાષાશાસ્ત્રનું એમ.એ. પૂરું થઈ ગયું હતું અને મને એમ.એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં Teaching Assistantની નોકરી મળી ગઈ હતી. તદ્ઉપરાંત, હું ‘સંદેશ’માં પણ કામ કરતો હતો. ક્યારેક સબ-એડિટર તરીકે તો ક્યારે ચીફ-સબ-એડીટર તરીકે. લગ્ન પછી, દેખીતી રીતે જ, મારી મુંબઈની મુલાકાતો ઓછી થવા લાગેલી. પણ, પછી કરમશીભાઈની વડોદરાની મુલાકાતો વધવા લાગેલી. અમે ગરાજમાં રહેતાં હતાં ત્યારે એ એકાદબે વાર રતિકાકાની સાથે આવેલા. રહેલા બીજે ક્યાંક. ત્યારે પણ અમારી વચ્ચે વાતો તો પુસ્તકોની જ થતી. અમે વડોદરામાં આવેલી બેચાર પુસ્તકોની દુકાને પણ જતા.

પછી અમને ‘પ્રમોશન’ મળ્યું. અમારા મકાન માલિકે અમને ગરાજમાંથી મૂળ મકાનમાં ખસેડ્યાં. ત્યાં એક રૂમ એક રસોડું અમારા માટે ફાળવેલું. યોગાનુયોગ જેમ જેમ અમે ઘર બદલતાં ગયાં એમ એમ કરમશીભાઈની વડોદરાની મુલાકાતો વધવા લાગેલી. પછી મને એમ.એસ. યુનિવર્સિટીના જ ભાષાશાસ્ત્ર વિભાગમાં પૂર્ણ કક્ષાના અધ્યાપકની નોકરી મળી. એને કારણે મને યુનિવર્સિટીની ‘અધ્યાપક કુટીર’માં મકાન મળ્યું. અમે ત્યાં રહેવા ગયાં. ત્યાં અમારી પાસે એક વધારાનો રૂમ હતો. એટલે કરમશીભાઈ આવે તો એમને કોઈ તકલીફ પડતી નહીં. એ વરસમાં બેત્રણ વાર આવતા. અમારી સાથે રહેતા. ઘણી વાર એ મારા દીકરાને – હેતુને – લઈને ચાલવા પણ જતા. પછી એકાદબે વરસમાં જ અમે ‘અધ્યાપક કુટીરમાં’થી યુનિવર્સિટીના બીજા એક ક્વાટરમાં રહેવા ગયાં. અમારા ત્રણ જણ માટે એ ઘર ખૂબ મોટું હતું. કરમશીભાઈ ત્યાં પણ આવતા. ત્યાં એમને ખૂબ ગમતું. મોટું ઘર, બહાર વૃક્ષો, આગળ રમણ સોનીનું ઘર. ચારે બાજુ ખુલ્લાં હવા ઉજાસ. વળી કોઈ ઘોંઘાટ પણ નહીં. એમને મુંબઈમાંથી છૂટકારો મળ્યો હોય એવું લાગતું.

જ્યારે પણ કરમશીભાઈ વડોદરા આવતા ત્યારે રેખા એમની ખૂબ કાળજી લેતી. મને એમની ખાવાપીવાની ટેવોની બરાબર જાણ હતી. મેં એની સઘળી વિગતો રેખાને આપી રાખેલી. એ પ્રમાણે રેખા રોજ સવારે ગરમ ગરમ નાસ્તો બનાવતી. બપોરે ગુજરાતી ભાણું. એમાં છાસ અવશ્ય હોય. કરમશીભાઈના કારણે અમારા ઘરમાં પણ ખાધા પછી છાસ પીવાનો ચાલ શરૂ થયેલો. કરમશીભાઈ સાંજે જમતા નહીં. ફળાહાર કરતા.

એ જ્યારે પણ વડોદરાથી પાછા મુંબઈ જતા ત્યારે મારા હાથમાં થોડાક પૈસા મૂકતા. કહેતા : “મારે જે વાપરવાના હતા એ ન વપરાયા. હવે તમે એનાં પુસ્તકો લઈ આવજો.” મને ખૂબ સંકોચ થતો. પણ કોઈ મને પુસ્તકો માટે કંઈક આપે તો હું ના ન પાડું. એ મારી નબળાઈ છે. પછી હું એ પૈસાનાં પુસ્તકો લઈ આવતો અને કરમશીભાઈ ફરી વાર આવતા ત્યારે એ પુસ્તકો બતાવતો.

એક વાર એ વડોદરા આવ્યા ત્યારે મને કહે : “ચાલો, આપણે એકબે ફ્લેટ જોઈએ. મને થાય છે મારે એકાદો ફ્લેટ ખરીદવો જોઈએ.” અમે ફતેગંજમાં નવા બની રહેલા કેટલાક ફ્લેટ જોવા ગયા. ત્યાં એક ફ્લેટ એમને ગમી ગયો. ખાસ્સો મોટો હતો. ત્રણ બેડરૂમનો. કિમત પાંચ લાખ રૂપિયા. કરમશીભાઈએ બિલ્ડર સાથે એ ફ્લેટની ખરીદીની વિધિ અંગે થોડી ચર્ચા પણ કરી. પછી ત્યાંથી ઘેર આછા આવતાં એ મને કહે, “કેવો લાગ્યો એ ફ્લેટ?” મેં કહ્યું, “ફ્લેટ તોસરસ છે. હવાઉજાસ પણ સારાં છે. જગ્યા પણ ઘણી મોટી છે.” પછી એ કહે, “રેખાને એ ફ્લેટ ગમશે ખરો?” મેં કહ્યું, “રેખાને ક્યાં એમાં રહેવાનું છે? રહેવાનું તો તમારે છે.” તો એ કહે, “ના. આ ફ્લેટ હું તમારા માટે લઉં છું. હું બધાં કાગળિયાં બરાબર કરીશ. તમે આ ફ્લેટમાં રહેજો. એમાં એક રૂમ મારો. હું કાંઈ કાયમ માટે તમારી સાથે રહેવા આવવાનો નથી. પણ વરસમાં બેચાર વાર આવું ત્યારે હું તમારી સાથે રહીશ. રેખા મારી ખૂબ કાળજી રાખે છે. મને તમારી સાથે પણ ખૂબ ફાવી ગયું છે.” હું એક ક્ષણ પૂરતા તો મૌન થઈ ગયો. મને સમજાતું ન હતું કે મારે શું કહેવું જોઈએ. પછી એ કહે, “તમે કેમ મૌન થઈ ગયા? હું તમારી સાથે રહું તો તમને નહીં ગમે?” એ વાક્યની સાથે જ હું ઝબકીને જાગી ગયો. મેં કહ્યું, “ના ના. એવું નથી. મને ગમે જ. ખૂબ ગમે. પણ રેખાને પૂછવું પડે. કેમ કે આખરે ઘર તો એણે ચલાવવાનું છે.”

મેં ઘેર આવીને રેખાને વાત કરી. રેખાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. એ કહે : “ભેટ ભલે હોય. બધું પ્રમાણમાં હોવું જોઈએ.” પછી અમે બધાં સાથે બેઠાં ત્યારે વાતમાંથી વાત નીકળી તો કરમશીભાઈ કહે, “આપનારે લેનારને થોડું પૂછવાનું હોય?” પછી એમણે એક વાક્ય ઉમેરેલું, “ઝાડને ટોચથી નહીં, છોડને મૂળમાં પાણી પીવડાવવાની જરૂર હોય છે. તો જ છોડ ઊછરે.” આ કરમશીભાઈની શૈલી હતી. ક્યારેક એ આવાં રૂપકો વડે વાત કરતા.

ત્યાર બાદ મારા જીવનમાં પણ અનેક ઊથલપાથલો આવી. નાનાભાઈએ દેવું કર્યું. એમાં અમારી જમીન વેચાઈ. મારા ભાગમાં જે પૈસા આવ્યા એમાંથી મેં માબાપનું દેવું ચૂકવ્યું અને જે પૈસા બચ્યા એમાંથી એક ફ્લેટ ખરીદ્યો. મેં કરમશીભાઈને કહેલું કે હવે મેં ફ્લેટ લીધો છે. તમને મુશ્કેલી નહીં પડે. તમે ગમે ત્યારે અમારી સાથે રહેવા આવી શકો અને ગમે એટલું રહી શકો. એક રૂમ તમારો જ છે. એ ફ્લેટ ખરીદતી વખતે કરમશીભાઈએ પણ આર્થિક મદદ કરેલી.

અમારો બે બેડરૂમનો ફ્લેટ ત્રીજા માળે આવેલો હતો. કરમશીભાઈ ત્યાં પણ અનેક વાર આવેલા. કરમશીભાઈની ઘણી બધી સ્મૃતિઓ એ ઘર સાથે સંકળાયેલી છે. એ જ્યારે પણ રતિકાકા સાથે આવતા ત્યારે રતિકાકા છેક નીચેથી રેખાના નામની બૂમ પાડતા. હું રેખાને મશ્કરીમાં કહેતો : “જો તારા સસરા આવી ગયા છે.” કરમશીભાઈ વ્યવહારની વાતોમાં ખાસ બોલતા નહીં. રતિકાકા એવી અનેક બાબતે અમને સલાહ આપતા. એટલે સુધી કે ઘણી વાર તો કરમશીભાઈ અમને રતિકાકાની સલાહ લેવાનું કહેતા. રતિકાકાના કારણે આખું ઘર જરા જુદી જ રીતે જીવતું થઈ જતું. હવે અમે ‘કરમશીભાઈ’ને ‘કરમશીદાદા’ કે કેવળ ‘દાદા’ કહેવા લાગેલાં. હેતુ પણ એમને દાદા કહેતો.

 જ્યારે પણ વડોદરા આવતા ત્યારે અમે અમારા એક મિત્ર, ઇકબાલ પીરઝાદાના ત્યાં, જતા. અમે એમને પીરઝાદા સાહેબ કહેતા. એ તાલુકા વિકાસ અધિકારી હતા. પહેલાં વડોદરા પાસે આવેલા ડભોઈમાં, પછી વડોદરામાં. કરમશીભાઈને એમની સાથે પણ ફાવતું. બીજા એક મારા મિત્ર હતા. અર્જુનસિંહ ખાંટ. એ પણ કરમશીભાઈ આવે ત્યારે ખડે પગે એમની સેવામાં હાજર થઈ જતા. એ શિક્ષણ ખાતામાં અધિકારી હતા. જો કે, દાદાને વડોદરામાં જ વસતા સાહિત્યકારોને ત્યાં જવાનું ખાસ ગમતું નથી. તો પણ અમે લગભગ દરેક વખતે જયેશ ભોગાયતાને ત્યાં જતા. કરમશીભાઈ સરળતાથી મારા મિત્રોને એમના મિત્ર બનાવી લેતા. જેમ હું એમના મિત્રોને મારા મિત્ર બનાવી લેતો એમ. જો કે, સાહિત્યકારોને ઓછું મળવા પાછળ કોઈ અંગત કારણ ન હતું. એ કહેતા કે એ લોકો બહુ કામમાં હોય. આપણે એમને હેરાન ન કરવા જોઈએ.

ત્યારે વડોદરામાં મારું એક નાનકડું પુસ્તકાલય હતું. એમાં ચારસો પાંચસો અંગ્રેજી પુસ્તકો હશે. થોડાં ગુજરાતી પણ ખરાં. એમાંનાં મોટા ભાગનાં ફિલસૂફી અને સાહિત્યિક વિવેચનનાં. દાદા એમાંથી એકાદ પુસ્તક લઈને બેસતા. વાંચતા અને પછી એ પુસ્તક પર ચર્ચા કરતા. એમની ચર્ચા કરવાની રીત જુદા જ પ્રકારની હતી. એ ઘણી વાર એ પુસ્તકના એક કે બે શબ્દો લઈ ગુજરાતીમાં એમના માટે કયા શબ્દો વાપરવા જોઈએ એની વાત કરતા. એમ કરતી વખતે એ મોટે ભાગે તત્સમ શબ્દ પસંદ કરતા. હું બને ત્યાં સુધી તદ્‌ભવ કે દેશ્ય શબ્દ પસંદ કરતો. પછી એ શબ્દોની યોગ્યતા અયોગ્યતા પર અમારે ખૂબ લાંબી ચર્ચા ચાલતી. ઘણી વાર તો સવારે શરૂ થયેલી ચર્ચા હું સાંજે કૉલેજેથી પાછો આવું પછી પણ શરૂ થતી. એ પૂછતા, “પછી પેલા શબ્દનું શું કર્યું.” એ જ્યારે પણ એવું કરતા ત્યારે મને ફિલસૂફ વિત્ગેન્સ્ટાઈન યાદ આવી જતો. એ પણ જે પ્રશ્ન હાથમાં લે એને છોડતો નહીં. અને જો એ પ્રશ્નનો જવાબ ન મળે તો અકળાઈને ભગવાનને પ્રાર્થના કરતો કે આ પ્રશ્નનો જવાબ આપ અથવા તો મરણ આપ. વિત્ગેનસ્ટાઈનની શૈલી પણ એવી. એક ફિલસૂફે કહ્યું છે કે વિત્ગેનસ્ટાઈનની શૈલી ખૂબ હિંસક. બિલાડી જેવી. બિલાડી ઉંદરને એકદમ નહીં મારી નાખે. પહેલાં પંજો મારશે પછી છોડી દેશે. પછી પાછો ફરીથી પંજો મારશે અને પાછી છોડી દેશે. એ ઉંદરને રિબાવી રિબાવીને મારશે. હું કરમશીભાઈને કહેતો કે તમે પણ વિત્ગેન્સ્ટાઈનની જેમ જે પ્રશ્ન હાથમાં લો છો એ છોડતા નથી. એ કહેતા કે અમે જૈનો આમ તો અહિંસામાં માનીએ પણ ફિલસૂફીમાં આવી હિંસા કરવી પડે. ત્યારે મારી પાસે સાવ સામાન્ય કહી શકાય એવો એક અંગ્રેજી શબ્દકોષ હતો. એ વાંચતી વખતે શબ્દકોષ સાથે રાખતા. એક દિવસ મને કહે, “તમારે સારામાંનો શબ્દકોશ રાખવો જોઈએ. આવા શબ્દકોષ ન ચાલે.” મુંબઈમાં, એમના ઘેર પણ, ઘણા શબ્દકોષ હતા. ઘણી વાર કોઈ શબ્દની ચર્ચા થાય તો એ બેત્રણ શબ્દકોશ લઈને બેસી જતા અને પછી એ શબ્દોના અર્થની તુલના કરતા. એ વડોદરા આવતા ત્યારે રોજબરોજની ક્રિયાઓમાં જરા આળસાઈ જતા. રેખા એમને પૂછતી, “દાદા, હવે નાહી લેવું છે કે?” એ કહેતા, “હિન્દુડાઓ વધારે નહાય. જૈનો નહીં.”

મને સતત એવું લાગતું કે કરમશીભાઈ આપણે વાંચીએ છીએ એમ ન હતા વાંચતા. એ વાંચતી વખતે એક સાથે અનેક universeને એકબીજા સાથે અથડાવતા. જો એમ ન કરતા હોત તો મેં ક્યારે ય કલ્પના ન કરી હોય એવા પ્રશ્નો એમણે કદી પણ મને પૂછ્યા ન હોત.

એ ઘણી વાર પુસ્તકોમાં કોઈને કોઈ વાક્યો પકડીને પછી મને પૂછતા : “તમે આનો શો અર્થ કરશો?” એમાંનાં મોટા ભાગનાં વાક્યો ખૂબ જ પડકારરૂપ. એ કસોટી કરવા આવા પ્રશ્નો ન’તા પૂછતા. પણ જે તે ચિન્તકને બરાબર સમજવાના આશયથી એવા પ્રશ્નો પૂછતા. હાઈડેગર, માર્લો પોન્તિ, વિત્ગેન્સ્ટાઈન એમના પ્રિય ફિલસૂફો હતા. એ જ્યારે પણ કોઈક વાક્ય વિષે મને પૂછતા ત્યારે એના પર બોલવાનું મોટે ભાગે તો મારા માથે આવતું. પણ, હું બોલી રહું પછી જ્યારે એ પ્રતિપ્રશ્ન કરતા ત્યારે હું ઘણી વાર મૂંઝાઈ જતો. મને ઘણી વાર એમની પ્રશ્નો પૂછવાની શૈલી પુરાતત્ત્વવિદ્દની શૈલી જેવી લાગતી. અમે ચર્ચામાં કદી પણ સામસામે તલવારો ખેંચી નથી. અમે કદી પણ પક્ષપ્રતિપક્ષ બન્યા નથી. અમે બન્ને જાણે કે કોઈ એક જગ્યાએ પુરાતત્ત્વવિદ્દની જેમ ખોદકામ ન કરી રહ્યા હોય એ રીતે ચર્ચા કરતા. અમારા બન્નેની જિજ્ઞાસા એક સરખી રહેતી હતી. ક્યારેક મને એમના પ્રશ્નો અર્થહીન લાગતા. ત્યારે હું એમને પૂછતો કે તમને લાગે છે કે આ પ્રશ્ન ચર્ચવા જેવો છે. એ હા કે ના ન હતા કહેતા. એને બદલે કહેતા કે ચર્ચા તો કરીએ. જોઈએ શું હાથ લાગે છે. પછી ચર્ચા દરમિયાન મને ખ્યાલ આવતો કે મેં એ પ્રશ્નને અર્થહીન ગણવાની ભૂલ કરી છે. એમને આવી ચર્ચાઓ કરવાનું ખૂબ ગમતું. મેં જીવનમાં કેટલીક ભૂલો કરી છે એમાંની એક ભૂલ એમની સાથે થયેલા સંવાદો ન નોંધી રાખવાની. જો મેં એ સંવાદો નોંધી રાખ્યા હોત તો કદાચ એનો એક મોટો ગ્રંથ બની શક્યો હોત.

કરમશીભાઈ જૈન ધર્મનાં પુસ્તકો પણ વાંચતા. પંડિત સુખલાલજી એમના પ્રિય લેખક, ચિન્તક હતા.

પછી તો ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ જુદાં જ પરિમાણો ધારણ કરતો ગયો. હવે એ અમારા કુટુંબીજન બની ગયા હતા અને અમે એમના. હું મુંબઈ જતો ત્યારે ઘણી વાર ભરતભાઈના ત્યાં ઊતરવાને બદલે કરમશીભાઈના ત્યાં ઊતરવા લાગેલો. હવે મારે કરમશીભાઈના ભત્રીજાઓ – રાજુભાઈ અને ઉલ્લાસભાઈ – તથા એમનાં કુટુંબીઓ સાથે અંગત સંબધ બંધાઈ ગયેલો. દાદા ઘેર ન હોય તો પણ હું એમના ત્યાં જઈ શકતો, રહી શકતો. મેં રાજુભાઈ અને ઉલ્લાસભાઈ સાથે બેસીને ઘણી વાર વાતો કરી છે. કરમશીભાઈ એવું ઇચ્છતા કે હું બેપાંદડે થાઉં. મારી જમીન વેચાઈ પછી જે કંઈ નાણાં મને મળેલાં એમાંથી એમણે દસેક હજાર રૂપિયા સ્ટોકમાં રોકવા માટે રાજુભાઈને આપેલા. એકાદબે વરસ દરમિયાન એમાં વધારો થવાને બદલે ઘટાડો થયો તો કરમશીભાઈ રાજુભાઈને કહે, “બાબુને એના પૂરતા પૈસા પાછા આપવાના.” હવે એ મને ‘બાબુ’ કહેવા લાગેલા. રાજુભાઈએ મને એકબે વાર કહેલું કે દાદા તમારી સાથે આટલી બધી વાતો કરે છે એ જોઈને અમને બધાંને આશ્ચર્ય થાય છે. બાકી તો એ મૌન જ રહેતા હોય છે. કામ સિવાય ભાગ્યે જ બોલતા હોય છે. જો કે, સાવ એવું ન હતું. એ રાજુભાઈની દીકરી મારીશા સાથે અને ઉલ્લાસભાઈના દીકરા ઈશાન સાથે અઢળક વાતો કરતા. શરૂઆતમાં રાજુભાઈ અને ઉલ્લાસભાઈનાં કુટુંબો સાથે રહેતાં. પછી ઉલ્લાસભાઈ અલગ ફ્લેટમાં રહેવા ગયા. એ ફ્લેટ પણ દાદા રહેતા હતા એ મકાનમાં જ હતો. દાદા લંચ ઉલ્લાસભાઈને ત્યાં લેતા. ઉલ્લાસભાઈનો દીકરો ઈશાન નાનો હતો ત્યારે લંચ વખતે કમરશીભાઈને એમનો હાથ ઝાલીને લંચ માટે લઈ જતો. એ દૃશ્ય એ પેટ ભરીને માણતા. હું ઘણી વાર એ દૃશ્યનો સાક્ષી બન્યો છું.

પછી મારે વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવવાનું થયું. એ અંદરથી ખૂબ ખુશ હતા, પણ દુ:ખી પણ. પણ કરમશીભાઈ આવી બાબતોમાં કદી સ્વાર્થી બન્યા નથી. એ ઇચ્છતા હતા કે મને કશુંક પડકારે એવું કંઈક મળે. અને એમ થયું. હું ૧૫મી ઓગસ્ટ ૧૯૯૭ના રોજ અમેરિકા આવ્યો. એ પછી કરમશીભાઈ સાથેના સંબંધનાં સ્વરૂપ ઘણાં બદલાઈ ગયાં.

મને હજી યાદ છે : મેં અમેરિકા આવ્યા પછી પહેલીવાર કૉમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઈપ કરેલો પત્ર એમને લખેલો. ત્યારે ઍપલના કૉમ્પ્યુટર પર ગુજરાતી ફૉન્ટ્સ હતા. જો કે, એ વખતે ટેલિફોન સેવા ખૂબ મોંઘી હતી. ભારત વાત કરવાના મને મિનિટના પંચાસી સેન્ટ લાગતા. મારી આવકના પ્રમાણમાં એ ઘણા વધારે હતા. તો પણ હું મહિને દસેક મિનિટ માટે એમને ફોન કરી લેતો. મેં એમને પત્ર લખ્યો પછી દસેક દિવસે ફોન કર્યો. એમણે કહ્યું કે એમને પત્ર મળ્યો છે અને એ પત્ર એમણે વાંચ્યો પણ છે. પણ એમના અવાજમાં જરાક નિરાશા હતી. મોટે ભાગે હું કંઈક લખું ત્યારે મારા લખાણની એ ઉત્સાહથી વાત કરતા. એ કહે કે તમે મને કૉમ્પ્યુટરથી નહીં, હાથથી કાગળ લખો. મારે હસ્તાક્ષરમાં કાગળ જોઈએ છે. એ દિવસે અમારી વચ્ચે હસ્તાક્ષર અને યંત્રાક્ષર વચ્ચેના ભેદની ખાસ્સી વાત થયેલી. એમણે કહેલું કે યંત્રાક્ષરમાં તમે ઉપસ્થિત હો એવું મને નથી નથી લાગતું. મને એમાં તમે ગેરહાજર હો એવું લાગતું હોય છે. “એવા અક્ષરોમાંથી તમારો અવાજ નથી સંભળાતો” એમણે કહેલું. એમણે એમ પણ કહેલું કે યંત્રાક્ષરમાં લખેલો કાગળ મને સરકારી કાગળ જેવો લાગતો હોય છે. એમાં અંગત વાત પણ સાર્વજનિક લાગે. આ કરમશીશૈલીનું બીજું લક્ષણ. કોઈ પણ ઘટનાને એ દાર્શનિક ચિન્તનની ઘટનામાં ફેરવી નાખતા. યંત્રાક્ષર સૌ પહેલાં તો લખનારની ઓળખને દબાવી દે. અથવા તો એમ પણ કહી શકાય કે યંત્રાક્ષર હસ્તાક્ષરનું સામાન્યીકરણ કરી નાખે. એ સામાન્યીકરણને સહેલાઈથી સાર્વજનિકતા સાથે જોડી શકાય. એમણે કહેલું કે હું તમારો કાગળ વાંચું છું ત્યારે તમે જાણે કે મારાથી કપાઈ ગયા હોય એવું લાગે છે.

પછી મેં હાથેથી કાગળ લખવાનું શરૂ કરેલું. પણ, એ તો કદી કાગળનો જવાબ કાગળથી નહોતા આપતા. એથી જ તો કાગળ લખ્યા પછી મારે દસ બાર દિવસે એમને ફોન કરવો પડતો. પછી એ ફોન પર મને મારા કાગળનો જવાબ આપતા. હું એમને કહેતો કે હું તમને લખીને મારી વાત કહું છું, તમે મને બોલીને એનો જવાબ આપો છો. આને કારણે પ્રત્યાયનના પાયાના એક સિદ્ધાન્તનો ભંગ થાય છે. એ સિદ્ધાન્ત છે : પ્રત્યાયનનું માધ્યમ એકસરખું જ હોવું જોઈએ. એ કહેતા કે આપણે શા માટે એ લોકોનું માનવાનું?

પછી ૧૯૯૮માં રેખા અને હેતુ અમેરિકા આવ્યાં. હું ભારતમાં ન હતો ત્યારે પણ કરમશીભાઈ રેખાને ફોન કરતા અને એમની કાળજી રાખતા. પણ જ્યારે રેખા અને હેતુ અમેરિકા આવવાની તૈયારી કરવા લાગ્યાં ત્યારે કરમશીભાઈ અને રતિકાકા બન્ને વડોદરા ગયેલા અને રેખાને મારું અંગત પુસ્તકાલય સમેટવામાં મદદ કરેલી. એ બન્ને વડીલોએ મારાં પુસ્તકોને ખોખાંમાં ગોઠવી, એમાં ક્વિનાઈનની ગોળીઓ મૂકીને, વ્યવસ્થિત રીતે ગોઠવેલાં! રેખાએ કહેલું કે મેં ક્યારે ય એવી કલ્પના ન હતી કરી કે દાદા અને રતિકાકા આ પ્રકારનું કામ કરશે.

એ દરમિયાન ડિજિટલ ક્રાન્તિ થઈ. એને પગલે આંતરરાષ્ટ્રીય ટેલિફોન સેવાઓ ઘણી સસ્તી થઈ ગઈ. એ સાથે જ પત્રલેખન કાં તો ઈ-મેઈલમાં, કાં તો ટેલિફોનિક પ્રત્યાયનમાં વહેંચાઈ ગયું. હું પણ કરમશીભાઈ તથા બીજા મિત્રોને પણ કાગળ લખતો બંધ થઈ ગયો. હું એમને કાં તો ફોન કરતો, કાં તો ઈ-મેઈલ. કરમશીભાઈને હજી ઈ-મેઈલ જોતાં ફાવતું ન હતું. એથી હું અવારનવાર ફોન કરતો. અઠવાડિયે એક વાર તો ખરો જ. જો વચ્ચે એકાદ અઠાવડિયું ફોન ન હતો કરતો તો એ તરત જ ફરિયાદ કરતા. કહેતા, “ઘણા વખતથી ફોન નથી.”

કરમશીભાઈ સાથેના ફોન ઘણી વાર તો બેથી પણ વધારે કલાક ચાલતા. અમે મોટા ભાગે સાહિત્યની અને કળાની વાતો કરતા. થાકી જતા તો મિત્રોની અને છેલ્લે ભારતના રાજકારણની. જો કે, આરંભમાં અને અન્તમાં તબિયતની વાત તો હોય જ. એ એમની તબિયતનો આલેખ આપતા. હું મારી. મારી તબિયતની વાત હું મોટે ભાગે દવાઓના વધતા જતા પ્રમાણે સાથે આપતો. કહેતો કે પહેલાં લોહીના ઊંચા દબાણ માટે હું દસ મિ.ગ્રા. ગોળી લેતો હતો, હવે પચાસ મિ.ગ્રા. થઈ. માંદગીને આ રીતે માપવાની મારી રીત સામે દાદા હસતા. હું કહેતો હવે મરણ પણ quantifiable બનવા તરફ જઈ રહ્યું છે.

દરેક ફોનમાં દાદા સૌ પહેલાં તો એમણે એક અઠવાડિયા દરમિયાન જે વાંચ્યું હોય એની વાત કરતા. ક્યારેક કોઈક લખાણ ન ગમે તો એ કહેતા : “એણે દાટ વાળ્યો છે.” જો ગમી જાય તો એ કહેતા : “તમારે વાંચવું જોઈએ.” હું કહેતો કે હું એ સામયિક નથી મંગાવતો. તો એ મને ઠપકો આપતા. પછી કહેતા : “હું જોઉં છું જો રાજુ તમને ઇ-મેઈલ કરી શકે તો. પણ તમે વાંચીને મને તમારો અભિપ્રાય આપજો.” એ મારા કરતાં સમકાલીન ગુજરાતી સાહિત્યના વધારે સંપર્કમાં હતા. અમારા દરેક ફોનમાં ભરતભાઈની તથા અતુલની વાત અવશ્ય નીકળતી. ભરતભાઈ એમને મળવા આવ્યા હોય તો એની વાત કરતા. જો ભરતભાઈએ કોઈ નવી કવિતા વાંચી સંભળાવી હોય તો એનો પણ ઉલ્લેખ કરતા. ક્યારેક કહેતા, “કવિતા સારી લખે છે. પણ એની કેટલીક વાતો બોરીંગ હોય છે.” પણ ભરતભાઈ અને ગીતાબેન માટે એમને અપાર માન. ભરતભાઈને ભા.જ.પ. સરકાર માટે માન. કરમશીભાઈ કહેતા, “બહુ રોમેન્ટિક છે એ. કવિતામાં ચાલે. રાજકારણમાં નહીં.” ભરતભાઈએ હાઈડેગરની કવિતાઓના અનુવાદો કરેલા. એ અમે ‘સન્ધિ’માં પ્રગટ કરેલા. કરમશીભાઈએ મને કહેલું, “હાઈડેગરના અનુવાદ ભરત જ કરી શકે.” મારી ભૂલ ન થતી હોય તો ભરતભાઈએ એ અનુવાદો કરમશીભાઈને વાંચી બતાવેલા અને એકેએક કવિતા પર કરમશીભાઈએ ટિપ્પણી પણ કરેલી.

જ્યારે ‘ગદ્યપર્વ’ ચાલતું હતું ત્યારે એ મને ‘ગદ્યપર્વ’નો અંક મળે ત્યાં સુધી રાહ જોતા. પછી ફોન કરું ત્યારે એ હાથમાં ‘ગદ્યપર્વ’ લઈને વાત કરતા. એ જ રીતે જ્યારે ‘એતદ્’ આવે ત્યારે પણ અને ‘તથાપિ’ આવે ત્યારે પણ. છેલ્લે છેલ્લે ભરત નાયક કાંદિવલી રહેવા ગયા. દેખીતી રીતે જ એને કારણે એમની કરમશીભાઈની મુલાકાતો ઓછી થઈ ગયેલી. તો પણ જો ભરતભાઈ એમને મળવા ગયા હોય તો કરમશીભાઈ મને એમની મુલાકાતનો સારાંશ કહેતા. એક અઠવાડિયા દરમિયાન એમને કોણ કોણ મળવા આવેલું અને જે કોઈ મળવા આવેલું એની સાથે શી વાત થયેલી એની વાત એ અવશ્ય કરતા. કહેતા : “ગયા રવિવારે કમલ આવેલો. વૃદ્ધો પર સરસ કવિતાઓ લખી છે.” “ગઈ કાલે પ્રાણજીવન આવ્યા હતા. એમની તબિયત હવે બહુ સારી રહેતી નથી.” “વીરચંદભાઈ આવેલા. એમનું ભગવાનદાસ પરનું કામ હજી ચાલે છે.” “વચ્ચે પ્રબોધ આવેલો. ખાસું બેઠેલો. સિમોન વેઈલની વાતો કાઢેલી.” ટૂંકમાં, અમારા સહિયારા મિત્રો શું કરતા હતા એની જાણ મને મિત્રો પાસેથી નહોતી થતી પણ કરમશીભાઈ પાસેથી થતી.

અમારી દરેક વાતમાં અતુલ ડોડિયાનો ઉલ્લેખ હોય હોય ને હોય જ. એ અતુલનાં તાજેતરમાં ચિત્રોની વાતો કરતા. એમાં અતુલે શું નવું કર્યું છે એ વાત પણ કરતા. એ કહેતા કે અતુલમાં તો સર્જનાત્મકતાનો જ્વાળામુખી ફાટ્યો છે. એ કદી ટાઢો પડવાનો નથી. અતુલ પરદેશ ગયો હોય કે ભારતમાં ક્યાંક ગયો હોય તો એની વાત પણ એ કરતા. પછી કહેતા : “એ એટલો બધો કામમાં રહે છે કે હવે પહેલાંની જેમ મળાતું નથી.” હું એમને મશ્કરીમાં કહેતો : “અતુલે છાપામાં જાહેરાત આપવી જોઈએ : પેઈન્ટરબાબુ બહારગામ ગયા છે. સ્ટુડિયો પર મળશે નહીં.” હું એમની સાથેની વાતચીતમાં અતુલને ક્યારેક ‘પેઈન્ટરબાબુ’ કહેતો. એ હસતા. અતુલનું કોઈક નવું કૅટલૉગ આવ્યું હોય તો કરમશીભાઈ એ કૅટલૉગની વાત કરવામાં જ અરધોપોણો કલાક કાઢી નાખતા. પછી હું તરત જ અતુલને સંદેશો મોકલતો કે મને એ કૅટલૉગ મોકલો. અતુલ મને એનું કૅટલૉગ મોકલી આપતો.

હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સિનેમા સ્ટડીઝમાં એમ.એ. કરતો હતો ત્યારે દેલ્યુઝનાં સિનેમા પરનાં બન્ને પુસ્તકો અને ચિત્રકાર બેકન પરનું પુસ્તક મારા અભ્યાસક્રમમાં હતાં. હું જેમ જેમ બેકન પરનું પુસ્તક વાંચતો જતો હતો એમ એમ મારી નજર સમક્ષ અતુલનાં ચિત્રો આવી જતાં. ક્યારેક ભૂપેન ખખ્ખરનાં પણ અને ક્યારેક ગુલામ મોહમ્મદ શેખનાં પણ. એક વાર મેં કરમશીભાઈને બેકન પરના એ પુસ્તકની વાત કરેલી અને એ સંદર્ભમાં અતુલનાં એકબે ચિત્રોની પણ વાત કરેલી. એ સાંભળીને એ કહે : “હવે તમે અતુલ પર એક પુસ્તક લખો. હું મરી જાઉં એ પહેલાં પૂરું થાય એમ કરજો.” અત્યાર સુધીમાં કરમશીભાઈએ મારી સાથેની વાતચીતમાં કદી પણ મરણનો ઉલ્લેખ ન હતો કર્યો. હા, એકાદબે વાર જૈન પરંપરાની કોઈક વાત નીકળેલી ત્યારે એમણે સંથારાની વાત કરેલી અને એવો પણ નિર્દેશ કરેલો કે એમને એ પ્રકારનું મૃત્યુ વધારે ગમે. મેં અતુલનાં ચિત્રોની વાત કરતી વખતે કહેલું કે મને અતુલનાં ચિત્રોમાંથી ઊભી થતી ફિલસૂફીમાં વધારે રસ પડે છે. ઘણી વાર કરમશીભાઈ મને કહેતા કે તમે આપણી વચ્ચે જે વાતચીત થાય છે એને રેકોર્ડ કરી લો. એ મારા કેટલાક વિચારોની, કેટલાંક નિરીક્ષણોની પ્રસંશા કરતા અને કહેતા કે આ બધું આપણા બે જ જણ વચ્ચે રહી જાય એ ન ચાલે. મને પણ ક્યારેક એવું થતું. હું કેટલાક મિત્રો સાથે વાત કરતો ત્યારે ઘણી વાર ખૂબ જ દાર્શનિક બની જતો. એવા મિત્રોમાં કરમશીભાઈ તથા જયેશ ભોગાયતાનો સમાવેશ થતો. મને પણ કરમશીભાઈ સાથે વાતો કરવાનું વધારે ગમતું. કેમ કે એ ઘણી વાર મને ગૂંચવી/મૂંઝવી નાખે એવા પ્રશ્નો પૂછતા. એ વખતે મારે કહેવું પડતું કે હવે પછી આપણે વાત કરીશું ત્યારે આ મુદ્દા પર વાત કરીશું. અત્યારે તો મને કંઈ સૂઝતું નથી. કરમશીભાઈની એક ખાસિયત એ હતી કે એ મારે જે દિશામાં વળવું હોય એ દિશામાં મને વળવા દેતા. રોકતા નહીં. મારી સાથે અસંમત હોય તો પણ એ દિશામાં મને વળાવવા આવતા. એમને ખાતરી હતી કે હું ચોક્કસ કોઈક નવો વિચાર લઈને એમની પાસે હાજર થઈ જઈશ.

કરમશીભાઈ ઘણી વાર ‘પરબ’ અને બીજાં કેટલાંક સામયિકોમાં આવેલા ગુજરાતી કવિતાના અંગ્રેજી અનુવાદોથી નારાજ થઈ જતા. એ કહેતા કે એ અનુવાદોમાં અર્થ સચવાય છે પણ કવિતા સચવાતી નથી. એ દૃઢપણ઼ે માનતા હતા કે આવા અનુવાદોનો કોઈ અર્થ નથી. હું પણ એમની વાત સાથે સંમત હતો. હું એક ડગલું આગળ જઈને કહેતો કે કેવળ અનુવાદો જ નહીં, અનુવાદ સ્વરૂપે પ્રગટ થયેલાં પુસ્તકો પણ જો આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે ન હોય તો વિદેશમાં એની કોઈ નોંધ ન લેવાય. મેં ઘણી વાર એમને ચેકોસ્લોવેકિયાનાં પ્રકાશનોનાં ઉદાહરણો આપેલાં. મારા અંગત સંગ્રહમાં ચેકોસ્લોવેકિયામાં પ્રગટ થયેલાં ચેક કવિતા/નવલકથાના અનુવાદનાં કેટલાંક પુસ્તકો છે. એમનું production જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે એ લોકો કઈ રીતે આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવે છે. કેટલાક અનુવાદોથી કરમશીભાઈ એટલા બધા નારાજ થઈ જતા કે એ ફરી એક વાર એ કવિતાઓના અનુવાદ કરતા અને પછી એ બન્ને અનુવાદ મને મોકલતા અને ફોન પર પૂછતા, “તમારી દૃષ્ટિએ કયો અનુવાદ સારો છે?”

કરમશીભાઈએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઘણા અનુવાદો કર્યા છે. એમાંના મોટા ભાગના અનુવાદો કવિતાના છે. એ અનુવાદોમાં એ કવિતાની બાની જાળવવાનો ખૂબ પ્રયાસ કરતા. કરમશીભાઈએ કરેલા એવા કેટલાક અનુવાદો વિદેશી સામયિકોમાં પણ પ્રગટ થયા છે. મને લાગે છે કે એ અનુવાદોનું પણ એક પુસ્તક થવું જોઈએ. હું અમેરિકા આવ્યો પછી એમણે કાનજી પટેલ, કમલ વોરા અને ભરત નાયકની કેટલીક કવિતાઓના અંગ્રેજીમાં અનુવાદો કરેલા. એમાંના મોટા ભાગના અનુવાદો એમણે મને બતાવેલા. મને યાદ નથી આવતું કે મેં એમને કોઈ અનુવાદ સુધારવાનું કહ્યું હોય. ક્યારેક એ એમના જ અનુવાદના એકાદ શબ્દને કે એકાદ વાક્યને પકડીને કહેતા : “મને અહીં શંકા જાય છે. તમને શું લાગે છે?” મારે એ શબ્દ કે વાક્ય વિશે પુન: વિચાર કરવો પડતો. મને ઘણી વાર થાય છે કે એમણે એમની અનુવાદપ્રવૃત્તિ વિશે નહીં લખીને એમણે એમને પોતાને પણ અન્યાય કર્યો છે. કોઈકે એમની મુલકાત લઈ એમને અનુવાદમાં કેવી મુશ્કેલીઓ પડે છે અને એ મુશ્કેલીઓની સામે એ કઈ રીતે લડે છે એ વિશે પૂછવા જેવું હતું. મને હંમેશાં લાગ્યું છે કે એ અનુવાદ કરતી વખતે મૂળ કૃતિ અને લક્ષ્ય કૃતિની વચ્ચે મધ્યસ્થીનું કામ કરતા હતા. એ બન્ને કૃતિઓની સાથે સંઘર્ષ કરીને ફ્રેંચ ફિલસૂફ પૉલ રીકર કહે છે એવી એક ‘ત્રીજી કૃતિ’ ઊભી કરતા. મૂળ સર્જકને એ કૃતિ એની પોતાની કૃતિની નજીક લાગતી અને એ જ રીતે વાચકને પણ એ કૃતિ પોતાની ભાષાની નજીક લાગતી. જો કે, એમણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરેલા કેટલાક અનુવાદોમાં એવું નથી બન્યું. જ્યારે હું એમને કહેતો કે તમારો અનુવાદ અહીં અઘરો બની જાય છે તો એ કાં તો એનો બચાવ કરતા, કાં તો સુધારતા. પણ બચાવ કરતી વખતે મોટે ભાગે મૂળ કૃતિને ન્યાય કરવાનો મુદ્દો રજૂ કરતા. એ કહેતા કે હું મૂળ કૃતિને બધી જ રીતે વફાદાર રહેવા માગું છું અને હું કહેતો કે અનુવાદકે મૂળ કૃતિને નહીં, લક્ષ્ય કૃતિને વધારે વફાદાર રહેવાનું હોય. એ કહેતા કે હું માનું છું કે અનુવાદકે મૂળ કૃતિને injury ન કરવી જોઈએ. મને આ injuryનો ખ્યાલ ખૂબ ગમી ગયેલો.

મેં એમને કદી મારી કવિતાઓના કે વાર્તાઓના અનુવાદોનું કામ સોંપ્યું નથી. જો કે, ભરતભાઈના કહેવાથી એમણે મારી ‘ધૂળિયો’ વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો. એક દિવસે એમણે મને ફોન પર કહેલું કે એ મારી એકબે કવિતાઓના અનુવાદ કરવા માગે છે પણ એમને એ કામ ખૂબ અઘરું પડે છે. એમને મારી કવિતાનાં કલ્પનો અઘરાં પડતાં. એમ છતાં એમણે મારી એકબે કવિતાઓના અનુવાદ કરેલા પણ ખરા પણ એમને અને મને પણ એ બહુ ફ્લેટ લાગેલા.

એ દરમિયાન એ હવે ધીમે ધીમે ઇ-મેઈલ જોતા થઈ ગયેલા. જો કે, શરૂઆતમાં તો એ ના પાડતા હતા. કહેતા કે મને આ કૉમ્પ્યુટરો ન ફાવે. પણ પછી રાજુભાઈ પણ કામમાં હોય, ઉલ્લાસભાઈનો દીકરો ઇશાન પણ કામમાં હોય, અને રાજુભાઈની દીકરી મારીશા પણ કામમાં હોય તો એમને ઇ-મેઈલ કોણ જોઈ આપે? હું ઘણી વાર એમને ઇ-મેઈલ કરતો પછી ફોન કરીને કહેતો કે મેં તમને ઇ-મેઈલ મોકલ્યો છે. જરા જોઈ લેજો. હું મોટા ભાગના ઈ-મેઈલમાં એમને કોઈક લેખ કે કોઈક પુસ્તક મોકલતો. પણ, એમણે કોઈ નવરું પડે અને મદદ કરે એ માટે રાહ જોવી પડતી. એ જે તે લેખોનો પ્રિન્ટ આઉટ કાઢતા અને પછી વાંચતા. પછી હું જ્યારે પણ ફોન કરું ત્યારે પાછા એ લેખોની વાત કરતા. રાબેતા મુજબ એ કેટલાંક વાક્યો નીચે લીટી દોરી રાખતા. એમને ખબર હોય કે મારો ફોન વહેલા મોડા આવશે ત્યારે એ જ વાક્યોની ચર્ચા કરવાની છે.

જો કે, હું એમને એ લેખો મારા સ્વાર્થને કારણે મોકલતો. હું ઇચ્છતો હતો કે કરમશીભાઈ એ લેખોના અનુવાદ કરે અને નવી પેઢી એ અનુવાદ વાંચે. એમાંના ઘણા લેખો હવે ‘બહુવચન’માં સમાવવામાં આવ્યા છે. જો કે, હું કેટલાક લેખોના અનુવાદની ભાષા સાથે સંમત ન હતો. કાન્ટના What is Enlightenment? લેખનો અનુવાદ એમાંનો એક. એમણે enlightenment માટે જૈન પરિભાષા વાપરેલી. એ ખાસ ચલણમાં ન હતી. પણ કરમશીભાઈ કહે, “ભલે ચલણમાં ન હોય. આપણે એને ચલણમાં મૂકીએ. એ જ સંજ્ઞા બરાબર છે.” મેં એમને મોકલેલા ઘણા લેખોના એમણે કરેલા અનુવાદો કાં તો ‘તથાપિ’ કાં તો ‘સન્ધિ’માં પ્રગટ થયા છે. જયેશ ભોગાયતા ઘણી વાર મને મજાકમાં કહેતો, “આપણે બન્ને સ્વાર્થી છીએ. કરમશીભાઈનો ઉપયોગ કરીએ છીએ.” પણ, એ એક મજાક હતી. કરમશીભાઈને પણ એ પ્રવૃત્તિ ગમતી હતી. જો કે, પાછળથી એમની તબિયત લથડી ત્યારે રાજુભાઈએ અમને કહેવું પડેલું કે તમે દાદાને ઓછું કામ સોંપો તો સારું. એમનાથી હવે ઝાઝું કામ થતું નથી. વળી એ વધારે પડતો સ્ટ્રેસ લે છે. મેં એમને કામ સોંપવાનું બંધ કરી દીધેલું. જો કે, ત્યાર પછી પણ હું કંઈકને કંઈક મોકલ્યા તો કરતો પણ reformat કરીને. એના ટાઈપ મોટા કરતો જેથી એમને એ લખાણો વાંચતાં ઝાઝી તકલીફ ન પડે. જ્યારે પણ હું એમને ફોન કરતો ત્યારે એ કહેતા કે કશુંક વાંચવા તો જોઈએ જ. પછી કહેતા કે મારાથી વાંચી શકાય છે, લખાતું નથી. હું એમને કહેતો કે હવે તમે આરામ કરો. ઘણું કામ કર્યું છે. તો એ જીવ બાળતા ને કહેતા કે જો કોઈક લખનાર મળી જાય તો હું એને અનુવાદ dictate કરી શકું. એક બે વાર એમણે મને પૂછેલું પણ ખરું કે હું કોઈ એવા વિદ્યાર્થીને જાણું છું જે આ કામ કરવા તૈયાર થાય. એમણે એ કામ પેટે મહેનતાણું આપવાની પણ વાત કરેલી. પણ, આ બાબતમાં મેં અને રાજુભાઈએ કરમશીભાઈ ન જાણે એમ નક્કી કરેલું કે દાદાને હવે વધારે તકલીફ નથી આપવી. એમને કોઈ જ કામ નહીં સોંપવાનું.

એક વાર મેં એમને ફ્રેંચ ફિલસૂફ Francois Laruelleનો On the Black Universe : In the Human Foundations of Color લેખ મોકલેલો. આ લેખ પર જ અહીં અમેરિકામાં ક્યાંક સેમિનાર થયેલો અને એ સેમિનારમાં રજૂ થયેલાં પેપર એક પુસ્તકમાં પ્રગટ થયેલાં. એમાંનું મુખ્ય પેપર મારા જ એક પ્રોફેસરનું હતું. મને થયું કે આ લેખનો ગુજરાતીમાં અનુવાદ થાય તો સારું. પણ, મારે એ માટે કરમશીભાઈને તકલીફ આપવી ન હતી. એ લેખ વાંચીને દાદા કહે, “આનો તમે અનુવાદ કરો.” મેં કહ્યું કે આપણે એક કામ કરીએ. હું દર રવિવારે તમને ફોન કરીશ. આપણે ફોન પર આનો અનુવાદ કરીશું. એ કહે : “ચાલો, આજે એનું પહેલું સૂત્ર લો.”Laruelleનો એ લેખ નાનાં નાનાં સૂત્રોનો બનેલો હતો. મેં એનું પહેલું સૂત્ર વાંચી બતાવ્યું : “In the foundations of color, vision sees the Universe; in the foundations of the Universe, it sees man; in the foundations of man, it sees vision.” એ સાંભળીને કહે, ‘Universe’નું ગુજરાતી શું કરશો? મેં કહ્યું, “વિશ્વ.” એ કહે, “ન ચાલે. વેદો કે ઉપનિષદોમાં જુઓને. આ સૂત્ર ઉપનિષદના સૂત્ર જેવું છે. પછી કહે, “અઘરું છે. અહીં Universeનો U કૅપિટલમાં છે. ગુજરાતીમાં એ ભાવ કઈ રીતે લાવીશું? હું મુંઝાઈ ગયો. મેં કહ્યું, “આપણે એટલું Bold બનાવીશું.” એ કહે, “ચાલશે, પણ visons sees the Universeનું શું કરશો? હું થાકી ગયેલો. મને એ કહે કે મૂળમાં જે mysticism છે એવો mysticism અનુવાદમાં આવે તો જ મજા પડે. મેં એમને પૂછેલું, “દાદા, ગુજરાતીમાં કોઈને આ બધાની પડી હશે ખરી?” તો એ કહે, “કોઈને ય નહીં. પણ મને અને તમને તો ખરી જ.” અમારી એ અનુવાદ પ્રવૃત્તિ પછી બહુ લાંબી ચાલી ન હતી.

એ ઘણી વાર પૂછતા, “તમે ક્યારે ભારત આવો છો?” અમે એમને પૂછતાં, “તમે અમેરિકા ક્યારે આવો છો?” ઘણી વાર રેખા એમને કહેતી કે હું ટિકિટ મોકલું છું અને તમારે આવવાનું છે. તમારી તબિયતની ચિન્તા ન કરતા. અમે અહીં બેઠાં છીએ. એ ના પાડતા. ઘણી વાર એ રેખાને એવું કહેતા કે જો તમે ભારતમાં હોત તો મારી તબિયત કદાચ સારી હોત. દાદા અને રેખા વાત કરતાં ત્યારે હું ભાગ્યે જ હાજર રહેતો. ક્યારેક કરમશીભાઈ એના દાદા બની જતા ક્યારેક પિતા. રેખા દાદાની જન્મ તારીખ કદી ભૂલતી નહીં. દર વરસે એ ફોન કરીને એમને શુભેચ્છાઓ આપતી.

કરમશીભાઈએ સતત મારી સર્જનપ્રવૃત્તિમાં અને intellectual પ્રવૃત્તિમાં પણ રસ લીધો છે. મારી ‘ધૂળિયો’ વાર્તા એમને ખૂબ ગમી ગયેલી. એનાં કેટલાંક દૃશ્યો લઈને એમણે મને ઘણી વાર એમાં રહેલું ‘સૌંદર્ય’ બતાવેલું. એમાં રહેલી homosexualityની બાબતમાં એ કહેતા કે આવું બહુ બને છે પણ ગુજરાતી સાહિત્યમાં ઓછું. મેં મારી ‘કાચંડો અને દર્પણ’ કૃતિ ૧૯૯૦/૧૯૯૧માં લખેલી અને ભરતભાઈને ‘ગદ્યપર્વ’ માટે મોકલેલી. ભરતભાઈને એ કૃતિ ગમી ગયેલી પણ એમને ડર હતો કે મેં કદાચ પશ્ચિમમાં લખાયેલી કોઈક કૃતિનું અનુકરણ કર્યું હશે. એટલે એમણે એ કૃતિ કરમશીભાઈને આપીને એમને પૂછ્યું કે આ કૃતિ પ્રગટ કરવા જેવી છે ખરી? કરમશીભાઈએ લીલી ઝંડી આપી પછી જ ભરતભાઈએ એ કૃતિ પ્રગટ કરવાનું જોખમ લીધેલું. ત્યાર પછી હું ભારતમાં હતો ત્યાં સુધી કોઈ પુસ્તક પ્રગટ કર્યું ન હતું. અમેરિકા આવ્યા પછી મારી સર્જકતાને એક પ્રકારનો વેગ મળ્યો. મેં ક્યાંક લખ્યું છે એમ મને મારા હસ્તાક્ષરનો ફોબિયા હતો. એને કારણે હું ઝાઝું લખી શકતો ન હતો. પણ અમેરિકા આવ્યા પછી હું મારું મોટા ભાગનું કામ કૉમ્પ્યુટર પર કરતો થઈ ગયો. એથી પેલો ફોબિયા ચાલ્યો ગયેલો.

મારી મોટાભાગની કૃતિઓ પ્રગટ થતા પહેલાં કરમશીભાઈએ વાંચેલી અને એ પ્રગટ કરવા જેવી છે કે નહીં એ વિશે અભિપ્રાયો આપેલા. ‘વળગાડ’ અને ‘ગુરુજાપ અને માંલ્લું’ મેં એમને મોકલી ત્યારે એમણે મને કહેલું કે તમે એક મિસાઈલ પછી બીજી મિસાઈલ છોડી રહ્યા છો. એમને એ બન્ને કૃતિઓ ખૂબ ગમેલી. કરમશીભાઈ હયાત હતા ત્યાં સુધી મેં એક નિયમનું પાલન કરેલું : હું મારી દરેક કૃતિ પ્રગટ કરતાં પહેલાં કરમશીભાઈને મોકલતો અને કરમશીભાઇ સારો અભિપ્રાય આપે તો જ પ્રગટ કરતો. જો કે, આ memoir એ કદી પણ વાંચવાના નથી એનું મને અપાર દુ:ખ છે. મેં છેક ૨૦૦૯માં ‘અથાતો ઇલિકાજિજ્ઞાસા’ નામના એક કાવ્યસંગ્રહની હસ્તપ્રત તૈયાર કરેલી. એમાંની કેટલીક કવિતાઓ ‘એતદ્’, ‘સન્ધિ’ તથા ‘તથાપિ’માં પ્રગટ થયેલી. પણ, કોણ જાણે કેમ મને એમ લાગતું હતું કે હજી આ કવિતાઓમાં કશુંક ખૂટે છે. મેં એની હસ્તપ્રત કરમશીભાઈને મોકલી અને સાથે મોકલેલા કાગળમાં લખ્યું કે આ સંગ્રહને હું હવે કચરાપેટીમાં ફેંકી દેવા માગું છું પણ એ પહેલાં તમારો અભિપ્રાય આપજો. એમણે કહેલું કે “જેમ છે એમ પ્રગટ કરો તો પણ સરસ છે. પણ જો થોડુંક વધારે કામ કરો તો કદાચ એક નવા જ પ્રકારનું કામ થાય.” આ વાતને દસ વરસ થયાં. હજી મને એના પર કામ કરવાનો સમય મળતો નથી.

મેં અને ઇન્દ્ર શાહે ‘સન્ધિ’નું સંપાદન શરૂ કર્યું ત્યારે પણ એ મને સતત માર્ગદર્શન આપતા રહેલા. ‘સન્ધિ’ના પહેલા અંકની સામગ્રી મેં ધારેલી એ પ્રમાણે હતી પણ એનું પ્રોડક્શન મેં ધારેલું એના કરતાં તદ્દન વિપરીત. કેટલાક મિત્રોએ એ બદલ સામયિકની અને મારી પણ અંદોરઅંદર ટીકા કરેલી. મેં કરમશીભાઈને પૂછ્યું તો એ કહે, “ચિન્તા ન કરો. પ્રોડક્શન તમારા હાથની વાત ન હતી. તમે આટલે દૂર બેસીને બધું કામ ન કરી શકો. પણ હવે એ પણ તમે તમારા નિયંત્રણમાં લઈ લો.” પછી તો જ્યારે પણ ‘સન્ધિ’નો નવો અંક પ્રગટ થાય પછી કરમશીભાઈ એ અંકને જુએ અને એને પ્રમાણિત કરે તો જ મને અને ઇન્દ્રભાઈને એમ થાય કે આ વખતનો અંક સારો થયો છે. ઇન્દ્રભાઈ પણ મને ફોન કરીને પૂછતા, “કરમશી શું કહે છે? આ અંક એમને કેવો લાગ્યો?” જો મેં દાદા સાથે વાત ન કરી હોય તો એ મને ટોકતા ને કહેતા, “આવું લાહરિયું ખાતું તમારું. કાલે જ ફોન કરીને વાત કરો.” મારે બીજા જ દિવસે કરમશીભાઈને ફોન કરવો પડતો. ઇન્દ્રભાઈ પણ કરમશીભાઈનું પ્રમાણપત્ર અંતિમ ગણતા!

હું અને કરમશીભાઈ એકબીજાના પરિચયમાં આવ્યા પછી જેમ મારા જીવનમાં અનેક ઘટનાઓ બની એમ એમના જીવનમાં પણ. સૌ પહેલાં એમના ભાઈનું અવસાન થયું. પછી એમનાં ભાભીનું. ત્યારે હું ભારતમાં હતો. હું અમેરિકા આવ્યો પછી એમના ભત્રીજા ઉલ્લાસભાઈનું અવસાન થયું. એ ઘટનાએ એમને તથા એમનાં કુટુંબીઓને પણ હચમચાવી નાખ્યાં. હું પણ કરમશીભાઈ સાથે એ વિષે વાત પણ કરી શકું એમ ન હતો. તો પણ મેં મારામાં હતી એટલી હિમંત ભેગી કરીને એમની સાથે વાત કરેલી. એ દિવસે અમે બન્ને યોગ્ય શબ્દો માટે, યોગ્ય વાક્યો માટે તરફડતા હતા. અમને અમારી પરિસ્થિતિનું વર્ણન કરી શકે એવી ભાષા જડતી ન હતી. ફોનની શરૂઆતમાં તો અમે મૌન રહેલા. એ મૌન પર મરણના હસ્તાક્ષર હતા. એ વખતે રેખાએ મને ઊભાઊભ કરમશીભાઈ પાસે પહોંચી જવાની સલાહ આપેલી. પણ, એ કામ ખૂબ અઘરું હતું. મેં હવે પછી પ્રગટ થનારી મારી આત્મકથામાં લખ્યું છે એમ અમેરિકામાં હોઈએ ત્યારે ભારતમાં સ્વજનોનાં થતાં મરણનાં પરિમાણો જુદા જ પ્રકારનાં હોય છે.

ત્યાર પછી પણ એમના કુટુબમાં એક એવી ઘટના બની જેને કારણે એ પુષ્કળ વ્યથિત હતા. જો કે, એમાંથી એમનું કુટુંબ બહાર આવી ગયેલું. પણ, એમની ચેતના પર એ ઘટનાના પડેલા નહોર કોણ જાણે કેમ ભૂંસાતા ન હતા. એક તો વધતી જતી વય, બીજું ઉલ્લાસભાઈનું અવસાન, અને આ ત્રીજી ઘટના – આ બધાંને કારણે એમનો જીવન પરત્વેનો અભિગમ પણ ઘણો બદલાઈ ગયો હતો. એ હવે અંદરથી સંકોચાતા જતા હતા. મારે ફોન પર વાત થતી પણ હવે એ વાતમાં પહેલાંના જેવો ઉલ્લાસ દેખાતો ન હતો. ઘણી વાર અમે બન્ને પાંચ પાંચ મિનિટ સુધી ફોન પકડીને બેસી રહેતા. ન હું બોલતો, ન એ બોલતા. ક્યારેક એ કહેતા, “બાબુ. ફોન કપાઈ ગયો કે?” ક્યારેક હું કહેતો, “દાદા, તમે લાઈન પર છો કે?” એ કહેતા, “હા. હલો. બીજા શું ખબર છે?”એ ‘ખબર’ને ‘સમાચાર’ ગણતા અને એ રીતે એને પુલ્લિંગમાં વાપરતા. પણ, હવે અમારા ફોનનો સમય ઓછો થવા લાગેલો. બે કલાકમાંથી એક કલાક અને એક કલાકમાંથી દસ કે પંદર મિનિટ પણ આવી ગયેલો. એટલું જ નહીં, અમારી ફોનની frequency પણ ઘટી ગયેલી. છેલ્લે છેલ્લે, તો અમે વાત પણ કરી શકતા ન હતા. એમની શ્રવણશક્તિ ખાસી ઘટી ગઈ હતી. રાજુભાઈએ એમને સારી ગુણવત્તાવાળું શ્રવણયંત્ર લાવી આપ્યું હતું. પણ એમને એ યંત્ર વાપરવાનું ઝાઝું ફાવતું ન હતું. એ હવે બહાર પણ ખૂબ ઓછું જતા હતા. મને ફોન પર કહેતા, “હવે નીચે પણ બહુ ઊતરાતું નથી.” અર્થાત્, ઘરની બહાર જવાતું નથી. હું એમને વધારે નહીં તો થોડીક પણ કસરત કરવા કહેતો. પણ મને લાગતું હતું કે એમણે એમની જાત સાથે એક પ્રકારનું અસહકાર આંદોલન શરૂ કરી દીધું હતું.

એ દરમિયાન, મારે પણ પાપી પેટ માટે ફિલાડેલ્ફિયા છોડીને કેલિફોર્નિયાના પાલો આલ્ટોમાં આવવું પડ્યું. હું કેટલાંક સંરચનાગત કારણોસર એમને અવારનવાર ફોન નહોતો કરી શકતો. તો પણ દર પંદર દિવસે હું ફોન કરતો. પણ ઘણી વાર એમને સંભળાતું નહીં. મારે રાજુભાઈને વચ્ચે રાખવા પડતા. પણ, એથી અમારી વચ્ચે માહિતી સિવાય બીજા કશાની આપલે નહોતી થતી. તો ય બે વરસ તો આમ ચાલ્યું. પછી મારે પાલો આલ્ટોથી એની નજીકમાં જ આવેલા બીજા એક શહેર ફ્રિમોન્તમાં આવવું પડ્યું. એ પણ પાપી પેટ માટે જ. ફ્રિમોન્તમાં સંરચનાગત મર્યાદાઓનો કોઈ પાર ન હતો. ભારત ફોન કરવાનો સમયગાળો હોય ત્યારે હું જે કુટુંબમાં રહું છું એ કુટુંબનાં સભ્યો બધાં ઊંઘતાં હોય. એથી ફોન થાય નહીં. બહાર જઈને ફોન કરી શકું. પણ અમે જેમની કાળજી લેવાનું કામ કરીએ છીએ એ માજી જાગી જાય તો બહાર જવાય નહીં. કેમ કે એમને આલ્ઝાઈમેરનો રોગ છે. એક માણસ કામ કરે તો બીજા માણસે એમની પાસે બેસવું પડે. એને કારણે હું વચ્ચે વચ્ચે રાજુભાઈને ફોન કરતો અથવા ભરતભાઈને ફોન કરતો. ભરતભાઈ પણ હવે કરમશીભાઈથી દૂર રહેવા ગયા છે. વળી એમણે ત્યાંથી દૂર આવેલા ભાંભરડા ગામમાં ખેતીવાડી રાખી છે. એ ત્યાં પણ ગયેલા હોય. બહુ બહુ તો હું કમલને ફોન કરી શકતો. અતુલ તો આમે ય ખૂબ જ વ્યસ્ત. છેલ્લે છેલ્લે કમલ, ભરતભાઈ અને બીજા મિત્રો લગભગ નિયમિત કરમશીભાઈના ત્યાં જતા અને કમલ મને દરેક વખતે કરમશીભાઈના ફોટા પાડીને મોકલતો. હું દરેક ફોટાને ધારી ધારીને જોતો પણ કોણ જાણે કેમ હું એ ફોટાઓમાં દેખાતા કરમશીભાઈને સરળતાથી સ્વીકારી શકતો ન હતો. એમનું શરીર લેવાઈ ગયું હતું. એમની આંખો સહેજ ઊણી ઊતરી ગયેલી હતી. મોઢા પર સ્મિત હતું પણ જાણે કે ફોટો પડાવવા માટે જ ક્યાંકથી ખેંચી લાવ્યા ન હોય એવું. કરમશીભાઈ જ્ઞાની પુરુષ હતા. એમને ખબર હતી કે બધા હવે એમને કેમ અવારનવાર મળવા આવે છે. પણ, હું સમજું છું ત્યાં સુધી એમને પણ ખબર હતી કે એ ક્યાં જઈ રહ્યા છે. કદાચ એ સ્વેચ્છાએ એ માર્ગ પર જઈ રહ્યા હતા. જૈન પરંપરા પ્રમાણે.

અમેરિકા આવ્યા પછી હું ત્રણ વાર ભારત ગયો છું. પહેલી વાર ઑગસ્ટ ૨૦૦૫માં. બીજી વાર જુલાઈ ૨૦૧૩માં અને ત્રીજી વાર ફેબ્રુઆરી ૨૦૧૭માં. ત્રણેય વાર હું કરમશીભાઈના ત્યાં રહેલો. પહેલી બે મુલાકાતો વખતે હું એમના માટે ખાસાં બધાં પુસ્તકો લઈને ગયેલો. ત્રીજી મુલાકાત વખતે એમણે કહેલું : કંઈ ન લાવતા. મારાથી કશું વંચાતું નથી. હું એમના માટે થોડીક DVD લઈ ગયેલો. તદ્ઉપરાંત, થોડીક ઑડિયો સામગ્રી પણ. એમાં કેટલાંક પુસ્તકો ઉપરાંત અમેરિકાની ખૂબ લોકપ્રિય એવા ગ્રેટ કોર્સિસની કેટલીક ઑડિયો સામગ્રીનો પણ સમાવેશ થતો હતો. ત્યારે એ પથારીવશ તો ન હતા. પણ, એ ઓછું ચાલતા. મોટા ભાગનો સમય બેસી રહેતા કે સૂઈ રહેતા. હું મારી કેટલીક Blue Ray DVD લઈ ગયેલો. એ માટે હું અને રાજુભાઈ એક સ્ટોરમાં જઈને Blue Ray DVD player પણ ઊભાઊભ લઈ આવેલા. એમણે થોડીક ફિલ્મો જોયેલી પણ આખી તો એક પણ નહીં. થોડીક જ ફિલ્મ જોઈને એ થાકી જતા હતા. ક્યારેક એ ટેકનોલોજી હેન્ડલ નહોતા કરી શકતા. એકાદ બે વાર એ ખિજાઈ પણ ગયેલા. પણ, અમારા પર નહીં. ટેકનોલોજી પર. હું મારી સાથે iPod લઈ ગયેલો. એમાં પણ ઘણીબધી ઑડિયો સામગ્રી હતી. એમણે મને કહ્યું કે પ્રબોધ પણ મારા માટે એક iPod લઈ આવ્યો છે. એમાં પણ ઘણી સામગ્રી છે. પણ એમને એ iPod ચલાવતાં ફાવતું ન હતું. મને કહે, “તમારું બરાબર ફાવે એવું છે.” આમ તો બન્ને એકસરખાં હતાં. ફરક એટલો જ હતો કે મારા iPodની ક્ષમતા વધારે હતી અને એનું કદ પણ જરા મોટું હતું. મેં કહ્યું કે તો તમે આ પણ રાખો. કેમ કે મારે એની કોઈ જરૂર ન હતી. હું સાથે એક સારામાંનો Sony કંપનીનો હેડફોન લઈ ગયેલો. એના પર અવાજ સાંભળીને એ કહે : બસ, આવો અવાજ સાંભળવો હતો મારે. કેટલા સમયે મેં આવો અવાજ સાંભળ્યો. મેં એમને કહ્યું કે આ પણ તમે રાખો. એમની ઇચ્છા પ્રમાણે મેં એને એમના ટી.વી.ને પણ લગાડી આપ્યું. પણ, એ બધી ટેકનોલોજી ચલાવવાનાં steps ભૂલી જતા હતા. હું જોઈ શકતો હતો કે એમણે એમની મરજીના વિરુદ્ધમાં જઈને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. એ છેલ્લી મુલાકાત વખતે જ મને ખ્યાલ આવી ગયેલો કે હવે અમે કદાચ ફરી વાર નહીં મળી શકીએ. અને એવું જ બન્યું.

જ્યારે કમલે મને એક સંદેશામાં જણાવ્યું કે કરમશીભાઈ હવે લાંબું ખેંચી શકે એમ લાગતું નથી ત્યારે મેં તરત જ રેખાને કહ્યું કે હું જાઉં છું ભારત. દાદાને મળીને પાછો આવું છું. એકાદ બે મિત્રોએ એવી સલાહ પણ આપી કે હું પહોંચીશ ત્યારે કદાચ ખૂબ મોડું થઈ ગયું હશે. હું એમની એ સલાહ સ્વીકારવા તૈયાર ન હતો. મને હતું કે એક વાર જો એમને કોઈ કહેશે કે હું એમને મળવા માટે આવી રહ્યો છું તો એ ચોક્કસ થોડુંક તો રોકાઈ જ જશે. મેં ભારત જવા માટે માનસિક તૈયારી કરવા માંડી પણ ત્યાં જ એક અડચણ આવી. અમે જેમની કાળજી લઈ રહ્યાં છીએ એ માજીનાં દીકરીને કોઈક નાણાંકીય વહીવટના કામ માટે મુંબઈ આવવાનું થયું. એ કહે, “હું જઈ આવું પછી તમે જાઓ.” મુક્ત અર્થતંત્રના જમાનામાં મરણ રાહ જોઈ શકે પણ નાણાંકીય નિર્ણયો રાહ ન જોઈ શકે. હું એમની સાથે સંમત થયો. દસ દિવસ થયા, પંદર દિવસ થયા. મહિનો થયો તો પણ અમારાં દર્દીનાં દીકરી મુંબઈ ન ગયાં અને એક રાતે કમલે વૉટ્સઅપ પર સંદેશો મોકલ્યો : કરમશીભાઈ હવે નથી રહ્યા. સમય રાતનો. ઘર બીજાનું. બધાં ઊંઘતાં હોય. એ સંજોગોમાં પોકે પોકે રડી પણ ન શકાય. રેખા અમારા દર્દીના રૂમમાં સૂતી હતી. મેં એને જગાડી. હું એને સમાચાર પણ આપી શકતો નથી. પણ એ સમજી ગઈ. એ બોલી : કરમશીભાઈ? મેં માથું હલાવ્યું. અમે બન્ને રડ્યાં. બન્નેએ એકબીજાને સાંત્વન આપ્યું. અમેરિકા આવ્યા પછી મેં મા ગુમાવ્યાં, પછી બાપુજી, પછી ઇન્દ્ર શાહ અને હવે કરમશીભાઈ. ઘણી વાર મને લાગે છે કે માણસ સૌ પહેલાં તો પોતાના અને પછી સ્વજનના મરણની તૈયારી કરવા માટે જ જનમ લેતો હોય છે. 

કરમશીભાઈના અવસાન પછી મેં રાજુભાઈ સાથે વાત કરી. રાજુભાઈએ કહ્યું : “દાદા છેલ્લે છેલ્લે તમને ખૂબ યાદ કરતા હતા. એટલે સુધી કે કોઈ માણસ આવે તો એને પણ ‘બાબુ’ કહી દેતા. એમની સેવા કરવા રાખેલા માણસને પણ એ ઘણી વાર ‘બાબુ’થી બોલાવતા અને ‘બાબુ આવ્યો’ એવું પણ પૂછતા.

એમના અવસાનની પળે એમની સાથે ન હોવાનો વસવસો કદાચ સાત જનમ સુધી રહેશે.

e.mail : basuthar@gmail.com

સૌજન્ય : “એતદ્દ”, 223; સપ્ટેમ્બર 2019; પૃ. 62 – 86

છબિસૌજન્ય: “નવનીત સમર્પણ” તંત્રી દીપકભાઈ દોશી તેમ જ “એતદ્દ” સંપાદક કમલભાઈ વોરા.

Loading

Pakistan and Indian Muslims

Ram Puniyani|English Bazaar Patrika - OPED|9 January 2020

‘Go to Pakistan’ has probably been most often used phrase used against Muslims in India. Recently in yet another such incident the SP of Meerut, UP has been in the news and a video is circulating where he, Akhilesh Narayan Singh, is allegedly using the jibe ‘Go to Pakistan’. In the video he is seen shouting at protestors at Lisari Gate area in Meerut, “The ones (protestors) wearing those black or yellow armbands, tell them to go to Pakistan”. His seniors stood by him calling it ‘natural reaction to shouting of pro Pakistan slogans. Many BJP leaders like Uma Bhararti also defended the officer. Breaking ranks with fellow politicians, Mukhtar Abbas Naqvi of BJP, criticised the said officer and asked for suitable action against him. Interestingly this is same Naqvi, who earlier when the beef related arguments were going on; had stated that those who want to eat beef can go to Pakistan.

Interestingly this is probably the first time that any BJP leader has opposed the use of this jibe against the Indian Muslims. True to the dominance of trolls who support divisive politics, Naqvi has been trolled on the issue As such vibe ‘Go to Pakistan’ has been a strong tool in the hands of aggressive elements to demonise Muslims in general and to humiliate those with Muslim names. One recalls that when due to the rising intolerance in the society many eminent writers, film makers were returning their awards, Aamir Khan said that his wife Kiran Rao is worried about their son. Immediately BJP worthies like Giriraj Singh pounced on him that he can go to Pakistan.

The strategy of BJP combine has been on one hand to use this ‘go to Pakistan’ to humiliate Muslims on the other from last few years another Pakistan dimension has been added Those who are critical of the policies of BJP-RSS have on one hand been called as anti National and on the other it is being said that ‘they are speaking the language of Pakistan’.

Use of Pakistan to label the Muslims and dissidents here in India has been a very shrewd tool in the hands of communal forces. One remembers that the ‘cricket nationalism’ was also the one to use it. In case of India-Pakistan cricket match, the national hysteria, which it created, was also aiming at Indian Muslims. What was propagated was that Indian Muslims cheer for Pakistan victory and they root for Pakistan. There was an unfortunate grain of truth in this as a section of disgruntled, alienated Muslim did that. That was not the total picture, as most Indian Muslims were cheering for Indian victory. Many a Muslim cricketers contributed massively to Indian cricket victories. The cricket legends like Nawab Mansoor Ali Khan Pataudi, Irfan Pathan, and Mohammad Azaruddin are just the few among the long list of those who brought glories for India in the field of cricket.

Even in matters of defence there are legions of Muslims who contributed to Indian efforts in the war against Pakistan all through. Abdul Hamid’s role in 1965 India Pak war and the role of Muslim soldiers in Kargil war will be part of Indian military history. There have been generals in army who contributed in many ways for the role which military has been playing in service of the nation. General Zamiruddin Shah, when asked to handle Gujarat carnage, does recount how despite the lack of support from local administration for some time, eventually the military was able to quell the violence in some ways.

During freedom movement Muslims were as much part of the struggle against British rule as any other community. While the perception has been created that Muslims were demanding Pakistan, the truth is somewhere else. It was only the elite section of Muslims who supported the politics of Muslim League and later the same Muslim League could mobilize some other section and unleash the violence like ‘Direct Action’ in Kolkata, which in a way precipitated the actual process of partition, which was the goal of British and aim of Muslim League apart from this being the outcome of ‘Two Nation theory’.

Not much is popularized about the role of great number of Muslims who were part of National movement, who steadfastly opposed the idea and politics which led to the sad partition of the subcontinent. Few excellent accounts of the role of Muslims in freedom movement like Syed Nasir Ahmad, Ubaidur Rahman, Satish Ganjoo and Shamsul Islam are few of these not too well know books which give the outline of the great Muslim freedom fighters like Khan Abdul Gaffar Khan, Maulana Abul Kalam Azad, Ansari Brothers, Ashfaqulla Khan.

Immediately after partition tragedy the communal propaganda did the overdrive to blame the whole partition process on Muslim separatism, this totally undermined the fact that how poor Muslims had taken out massive marches to oppose the Lahore Resolution of separate Pakistan moved by Mohammad Ali Jinnah. The whole Muslim community started being seen as the homogenous, ‘The other’ and other misconceptions started against the community, the one’s relating them to atrocities of Muslim kings started being made as the part of popular folklore, leading the Hate against them. This Hate in turn laid the foundation of violence and eventual ghettoisation of this community.

The interactive-syncretism prevalent in India well presented by Gandhi-Nehru was pushed to the margins as those believing in pluralism did not actively engage with the issue. The economic marginalization of this community, coupled with the increasing insecurity in turn led to some of them to identify with Pakistan, and this small section was again presented as the representative of the whole Muslim community.

Today the battle of perception is heavily tilted against the Muslim community. It is a bit of a surprise as Naqvi is differing from his other fellow colleagues to say that the action should be taken against the erring police officer. The hope is that all round efforts are stepped up to combat the perception constructed against this religious minority in India. 

Loading

સુવર્ણમંદિરમાં સ્ત્રીઓને શબદ કીર્તનની છૂટ સ્ત્રી-સમાનતાની દિશામાં નાનું પણ નોંધપાત્ર કદમ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 January 2020

કેરળના સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વરસની ઉંમરની સ્ત્રીઓને પ્રવેશ મળતો નથી. મુંબઈની હાજી અલીની દરગાહ અને બીજાં પણ કેટલાંક ધર્મોનાં એવાં સ્થાનો છે, જેમાં સ્ત્રીઓ પ્રવેશી શકતી નહોતી. હવે સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની પીઠ વિવિધ ધર્મસ્થાનો પર સ્ત્રીઓ પ્રત્યે આચરાતા ભેદભાવની સુનાવણી કરવાની છે. સામાજિક, રાજકીય, ધાર્મિક નેતાઓએ મળીને જે સવાલોનો હલ શોધવાનો હોય તે આપણે અદાલતો પર ઢોળી દઈએ છીએ તે અયોધ્યાના કેસમાં પણ બન્યું છે. આ સંજોગોમાં પંજાબ વિધાનસભાએ અમૃતસરના સુવર્ણમંદિરમાં સ્ત્રીઓને શબદ કીર્તનની મંજૂરી આપવા વિનંતી કરતો જે સર્વસંમત ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કર્યો છે, તે નવી હવાની લહેરખી સમાન છે. પંજાબના તમામ ફિરકાઓએ એક અવાજે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું તે બહેતરીન બદલાવ તરફનું કદમ છે.

ગુરુ નાનકે (ઈ.સ.૧૪૬૯-૧૫૩૯) જીવનભર  જાતિ અને લિંગ આધારિત ભેદભાવ વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો.  તેમના ૫૫૦મા પ્રકાશ પર્વે તેમના આ વિચારોને ધ્યાનમાં રાખીને પંજાબ વિધાનસભામાં મંત્રી રાજિંદરસિંહ બાજવાએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં અકાલ તખ્ત અને શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિને વિનંતી કરવામાં આવી છે કે અમૃતસરના સુવર્ણ મંદિરમાં શીખ મહિલાઓને પણ પુરુષોની જેમ શબદ કીર્તન કરવાની છૂટ મળે. જ્યારે વિધાનસભામાં આ પ્રસ્તાવ ચર્ચા માટે આવ્યો ત્યારે આરંભે અકાલી દળના નેતાઓએ વિરોધ કર્યો હતો. તેમના વિરોધનું કારણ એ હતું કે આ પ્રસ્તાવથી  દુનિયા જાણશે કે સુવર્ણ મંદિરમાં સ્ત્રીઓને જાણી બૂઝીને કીર્તન કરવા દેવામાં આવતું નથી! રહત મર્યાદા કહેતાં આચાર સંહિતા મુજબ શીખ મહિલાઓને કીર્તનની મંજૂરી ન હોવાની વાત પણ અકાલી નેતાઓએ નકારી હતી. જો કે વાસ્તવિકતા એ પણ છે કે ૨૦૦૫માં જ્યારે બીબી જાગીર કૌર શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હતાં, ત્યારે તેમણે પણ સ્ત્રીઓની શબદ કીર્તનની પરવાનગી માટે પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહોતાં. શીખોના ઇતિહાસમાં મહિલાઓ વિરુદ્ધના કોઈ ભેદભાવની જિકર નથી. તો પણ શીખ મહિલાઓ સુવર્ણ મંદિરમાં શબદ કીર્તન કરી શકતી ન હોવાની હકીકત છે. હવે વિધાનસભાના સર્વસંમત પ્રસ્તાવ પછી સ્ત્રીઓના શબદ કીર્તનનાં દ્વાર ખૂલ્યાં છે.

શીખ ધર્મના સ્થાપક, ધર્મ અને સમાજ સુધારક ગુરુ નાનકના જન્મ સમયનું, એટલે કે પંદરમી સદીનું ભારત, ખાસ તો ઉત્તર ભારત, ધર્મના નામે કર્મકાંડ અને અંધશ્રદ્ધાથી ગ્રસ્ત હતું. લોકોના જીવનમાં કટ્ટરતા, દ્વેષ, વેરઝેર, ઊંચનીચની ભાવના અને અનૈતિકતા પ્રસરેલાં હતાં. ધર્મ કર્મકાંડ કે રીતરસમ બની ગયો હતો. કેન્દ્રિત ધર્મ કે સંઘશક્તિનો અભાવ હતો. આવા માહોલમાં ગુરુ નાનકે ધર્મ અને સમાજ સુધારણાનું કામ હાથ પર લીધું હતું. આજે દુનિયાના પાંચમા ક્રમના શીખ ધર્મમાં જે અનેક સારી બાબતો જોવા મળે છે, તે આદિગુરુ નાનકની દેણ છે. સ્ત્રી સન્માન અને જાતિભેદ મિટાવવાની વાત ગુરુ નાનકે સ્પષ્ટપણે કહી હતી. “નાનક ઉત્તમ, નીચ ન કોઈ”નો જપુજીનો નાનકદેવનો સંદેશ આચરણમાં પણ મુકાયો હતો. તેમના અનેક સાથીઓ અને અનુયાયીઓ સમાજના કહેવાતા નીચલા વર્ણના હતા. ગુરુ નાનકે તેમના વિચારો કે ઉપદેશ કવિતાની શૈલીમાં વ્યક્ત કર્યા હતા. પંજાબી, સિંધી, અરબી, ફારસી, વ્રજ અને ખડી બોલીના પ્રયોગોવાળા તેમના ઉપદેશ “ગુરુ ગ્રંથસાહિબ”માં સમાવવામાં આવ્યા છે. પૂજારી અને મૌલવી બેઉ પાસે શરૂઆતનું શિક્ષણ મેળવનાર નાનકદેવે તેમના ઉપદેશમાં હિંદુ અને ઈસ્લામ બેઉ ધર્મની કુરીતિઓની આલોચના કરી છે તો બંને ધર્મોની સારી બાબતો પોતાના ધર્મમાં સમાવી છે.

સ્ત્રી સન્માન અને સ્ત્રી સમાનતા ગુરુ નાનકના ધર્મોપદેશમાં કેન્દ્રસ્થાને હતી. “સો ક્યા મંદા જાનિએ, બિન જનમેં રાજાન” અર્થાત્‌ જેણે રાજાઓને અને મહાપુરુષોને જન્મ આપ્યો છે તે સ્ત્રીને નીચી ન માનો, એમ તેમણે કહ્યું હતું. શીખ ધર્મને મજબૂત કરવામાં શીખ સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. પરંતુ ઈ.સ. ૧૫૭૪માં સ્થપાયેલા અને ઈ.સ. ૧૬૦૪માં જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હતો તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં એકવીસમી સદીના બીજા દાયકાના અંત ભાગના વરસોમાં સ્ત્રીઓ શબદ કીર્તન ન કરી શકતી હોય તે ભારે અચરજભરી અને શોચનીય બાબત છે. માત્ર ભારતીય જ નહીં વિદેશવાસી શીખોની પણ લાગણી અને અને માગણી હતી કે શીખ મહિલાઓ જેની હકદાર છે તે સમાનતા ધોરણે તેમને શબદ કીર્તન કરવા મળવું જોઈએ. ગુરુ નાનકના જન્મની ૫૫૦મી જયંતીએ હવે તે શક્ય બનવાનું છે.

શીખ ગુરુ રામદાસે અમૃત સરોવર બંધાવેલું તેની મધ્યમાં અને અમૃતસર શહેરની વચ્ચોવચ્ચ સુવર્ણમંદિર આવેલું છે. ઓગણીસમી સદીમાં અફઘાન હુમલાખોરોએ તેને સંપૂર્ણ નષ્ટ કરી દેતાં મહારાજા રણજિતસિંહે તેને પુન:સ્થાપિત કર્યું હતું. તેનો બહારનો ભાગ સુવર્ણે મઢેલો છે. શીખો પોતાના ધર્મમંદિરને ગુરુદ્વારા કહે છે. પંદરમી સદીની સંત પરંપરામાંથી ઉદ્દભવેલા શીખ ધર્મ અને તેના અનુયાયીઓ માટે સુવર્ણ મંદિરનું હરમંદિર, કે દરબારસાહિબ અગત્યનું ધાર્મિક શ્રદ્ધા સ્થાનક છે. ગુરુ નાનક સામાજિક સદ્દભાવના અને પ્રેમનો સંદેશ આપતા હતા. તેઓ બહુદેવોપાસનાને અનાવશ્યક માનતા હતા. અને મૂર્તિપૂજાના વિરોધી હતા. એટલે ગુરુદ્વારાઓમાં તેમના ધર્મ પુસ્તક ગુરુ ગ્રંથ સાહિબની પૂજા અર્ચના અને કીર્તન થાય છે. ગુરુદ્વારા ન માત્ર ધર્મમંદિર છે તે ક્ષુધાતુર માટે ભોજન શાળા, જિજ્ઞાસુ માટે જ્ઞાનશાળા, બીમાર માટે ઔષધાલય, વિદ્યાર્થી માટે પાઠશાળા અને મહિલા સલામતી, સુરક્ષા અને સન્માન માટે રક્ષણહાર દુર્ગ છે. એટલે સ્ત્રી મુખે ગુરુદ્વારામાં શબદ કીર્તન ન કરવા દેવાનો તર્ક સમજવો કઠિન છે.

સૌ સાથે મળીને જમતા હોય તેવા “લંગર”, સૌ સાથે મળીને ગાતા હોય, સંવાદ કરતા હોય તેવી “સંગત” શીખ ધર્મની આગવી ઓળખ છે. જ્યાં શીખોની સવિશેષ વસ્તી છે તે પંજાબમાં ૨૦૧૧માં સ્ત્રી સાક્ષરતાનો દર ૭૧.૩૪ ટકા હતો. અનેક ક્ષેત્રોમાં શીખ મહિલાઓ ટોચના સ્થાને છે શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખપદે શીખ મહિલા વિરાજી ચૂક્યાં છે. એટલે સુવર્ણ મંદિરના ગર્ભગૃહમાં શીખ મહિલાઓનું શબદ કીર્તન ન માત્ર આવશ્યક છે અનિવાર્ય પણ છે. ગુરુનાનકના ૫૫૦મા પ્રકાશ પર્વે તેનું શક્ય બનવું તે ગુરુ નાનકને આપવામાં આવેલી સાચી આદરાંજલિ છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના તાજેતરના સ્ત્રી-પુરુષ અસમાનતા સંબંધી રિપોર્ટમાં ભારતનું સ્થાન નીચે ધકેલાયું હોવાનું જણાવાયું છે, ત્યારે સ્ત્રી સમાનતાની દિશામાં આ નાનું પણ નોંધપાત્ર કદમ છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 08 જાન્યુઆરી 2020 

Loading

...102030...2,5752,5762,5772,578...2,5902,6002,610...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved