Opinion Magazine
Number of visits: 9683793
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેન્દ્રના અંદાજપત્રમાં ગરીબો ક્યાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 February 2020

બજેટમાં ગરીબલક્ષી યોજનાઓ માટે ઓછી નાણાં ફાળવણી અને વર્ષાંતે આવી યોજનાઓ હેઠળ વણવપરાયેલાં નાણાં બજેટમાં ગરીબોનું સ્થાન દર્શાવે છે.

આકાંક્ષી ભારત, સૌનો આર્થિક વિકાસ અને બહેતર સમાજની થીમ પર આ વરસનું કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. ૨૦૨૦-૨૧ના નાણાંકીય વરસના આવક ખર્ચના હિસાબો સાથે ભાવિ યોજનાઓનો અંદાજ આ બજેટમાંથી મળે છે. આમ આદમીને બજેટથી શું સસ્તું થશે કે મોંઘું તેનો અને પગારદાર, મધ્યમ વર્ગને આવકવેરામાં મળનારી રાહતનો ઈંતજાર હોય છે. સંસદમાં કે રાજ્યોની વિધાનસભાઓમાં બજેટ જેવા અઘરા વિષય ઉપર ઉપરછલ્લી જ ચર્ચાઓ થાય છે. તેનાથી પણ બજેટનો સાચો ક્યાસ કાઢી શકાતો નથી. બજેટનું આમ આદમીની દ્રષ્ટિએ મૂલ્યાંકન કે ગરીબોને થનારા લાભાલાભની ચર્ચા પણ માધ્યમોમાં બહુ ઓછી થાય છે.

આપણા ગ્રામીણ અને કૃષિપ્રધાન દેશની અર્થનીતિ કૃષિ કેન્દ્રિત હોવી જોઈએ. ૨૦૨૦-૨૧નું બજેટ એ રીતે મહત્ત્વનું છે કે તેમાં ગ્રામીણ અને કૃષિક્ષેત્રની બજેટ ફાળવણીમાં ૧૮%ની વૃદ્ધિ થઈ છે. ગ્રામીણ ભારતનું ડિજિટલાઈઝેશન, ૧૦૦ જિલ્લામાં જળ સંકટ નિવારણ, ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા જેવી બાબતો હરખ જન્માવે છે. પરંતુ ખાતર પરની સબસિડી જે ગયા વરસે રૂ.૭૯,૯૯૮ કરોડ હતી તે આ વરસે ઘટાડીને રૂ.૭૧,૩૦૯ કરોડ કરી દેવામાં આવી છે. તે જાણીને ફાળ પડે છે.  સરકારે આ બજેટમાં ખાતર, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના સસ્તા અનાજ અને પેટ્રોલિયમ પેદાશો પરની સબસિડી પણ ઘટાડી છે. પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી હશે તો સબસિડીનો બોજ ઘટાડવો પડશે તેવું સરકારના અર્થપંડિતો માને છે.  ૨૦૧૯-૨૦માં સબસિડી જી.ડી.પી.ના ૧.૧% હતી, તેને સરકાર ૨૦૨૦-૨૧માં ૧% અને ૨૦૨૨-૨૩માં એથી પણ ઘટાડીને ૦.૯% કરવા માંગે છે.

અર્થતંત્રમાં પ્રવર્તતી મંદી અને બેરોજગારીનો કોઈ ઉકેલ આ બજેટમાં જોવા મળતો નથી. ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર માટેના મહત્ત્વના સાધન ‘મનરેગા’માં, ૨૦૧૯-૨૦ની રૂ. ૭૧,૨૦૦ કરોડની બજેટ ફાળવણી  આ વરસે ઘટાડીને રૂ. ૬૧,૫૦૦ કરોડ કરી છે. મનરેગાના બજેટમાં ૧૦,૦૦૦ કરોડનો, ગત વરસ કરતાં ૧૩%નો, ઘટાડો ગ્રામીણ બેરોજગારીને વધુ વકરાવશે. રોજગાર સંબંધી વિવિધ કેન્દ્રીય યોજનાઓ માટે ૨૦૧૯-૨૦ના વરસમાં સુધારેલી બજેટ જોગવાઈ રૂ. ૩,૫૦૧.૭૯ કરોડ સામે આ વરસે રૂ. ૨,૬૪૬.૩૯ કરોડ  છે, જે ૪૨.૨% ઓછી છે.

દેશની અર્ધી આબાદી એવી મહિલાઓનાં આરોગ્ય, પેન્શન અને પરિવહન માટે રૂ. ૯,૫૦૦ કરોડ ફાળવ્યા છે. મહિલાઓ શિક્ષણમાં આગે કદમ કરી રહી હોવાની આંકડાકીય વિગતો મહિલા નાણાં મંત્રીએ બજેટ ભાષણમાં આપી છે.  પ્રાથમિક શિક્ષણમાં છોકરીઓનો પ્રવેશ દર ૯૪.૩૨% છે જ્યારે છોકરાઓનો ૮૯.૨૮% છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં છોકરીઓની પ્રવેશ ટકાવારી અનુક્રમે ૮૧.૩૨% છે. અને ૫૯.૭૦% છે. જે છોકરાઓની ૭૮% અને ૫૭.૫૪% કરતાં ઘણી વધારે છે. પરંતુ કન્યા શિક્ષણમાં વૃદ્ધિ માટે સરકારે કોઈ અલાયદું બજેટ ફાળવેલ નથી. હા, નાણાં મંત્રીએ મહિલાઓની લગ્ન વય મર્યાદા જે હાલમાં ૧૮ વરસ છે તે વધારવા ટાસ્ક ફોર્સ રચવાની મહત્ત્વની જાહેરાત કરી છે.

અનુસૂચિત જાતિ અને જનજાતિને તેમની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી કરવાની જોગવાઈ ૧૯૭૯-૮૦થી અમલી શેડ્યુલ્ડ કાસ્ટ સબપ્લાન અને ટ્રાયબલ સબપ્લાનમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. દેશમાં અનુસૂચિત જાતિની વસ્તી આજે આશરે ૧૬.૬% છે તે હિસાબે તેમના વિકાસ માટે રૂ. ૩૦.૪૨ લાખ કરોડના કુલ બજેટમાંથી રૂ. ૫.૦૫ લાખ કરોડ ફાળવવાના થાય છે. પરંતુ વર્તમાન બજેટમાં રૂ.૮૩,૦૦૦ કરોડ જ ફાળવ્યા છે. અનુસૂચિત જન જાતિની ૮.૬% વસ્તી માટે રૂ. ૨.૬૧ લાખ કરોડ ફાળવવાને બદલે રૂ. ૫૩,૦૦૦ કરોડ (કુલ બજેટના ૧.૬૭%) જ ફાળવ્યા છે. ગત વરસોમાં એસ.સી.એસ.ટી. ખાસ અંગભૂત યોજનાઓ હેઠળ જે બજેટ એલોકેશન થયું હતું તે પણ પૂરતું વપરાયું નથી. ૨૦૧૭-૧૮માં શેડ્યુલ્ડ કાસ્ટ સબપ્લાનમાં બજેટ ફાળવણી પૈકી રૂ. ૨,૯૦૧ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૨૭૬ કરોડ અને ૨૦૧૯-૨૦ના જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં રૂ. ૩૫,૭૯૭.૯૬ કરોડનો ખર્ચ થયો નથી. ચાલુ નાણાકીય વરસે દલિતો માટેની બજેટ ફાળવણીના ૪૪ % નાણાં વયરાયાં વિનાના રહ્યાં છે અને આવું વરસોવરસ બને છે. ટ્રાયબલ સબપ્લાનમાં પણ ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૫૪૫ કરોડ વણવપરાયેલા રહ્યા હતા. તા.૩૧-૦૧-૨૦૨૦ સુધીમાં  ટી.એસ.પી. હેઠળ ૬૨% જ ખર્ચ થયો છે અને ૩૮% રકમ હજુ વણવપરાયેલ છે.

દલિતો આદિવાસીઓના વિકાસ માટે તેમનો શૈક્ષણિક વિકાસ જરૂરી હોવાનું સૌ સ્વીકારે છે. પરંતુ તે માટેના સરકારી પ્રયાસો કેવા પાંખા છે તેનું પ્રતિબિંબ બજેટમાં જોવા મળે છે. અનુસૂચિત જાતિના વિધાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવા ૨૦૧૮-૧૯માં રૂ. ૫,૯૨૮.૧૬ કરોડ ફાળવ્યા હતા.  આ વરસે તેમાં ૫૦%નો ધરખમ કાપ કરીને રૂ.૨,૯૮૭.૩૩ કરોડ જ કરી નાંખવામાં આવ્યા છે.  નેશનલ ફેલોશીપનું ગત વરસનું રૂ. ૩૬૦ કરોડનું બજેટ એલોકેશન ઘટાડીને રૂ.૩૦૦ કરોડ કરી દીધું છે. જો કે પ્રિ મેટ્રિક સ્કોલરશીપમાં ફાળવણી ૧૧૫ કરોડથી વધારીને ૭૦૦ કરોડ કરી છે. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ અને નેશનલ ફેલોશીપ પર ચલાવેલી તલવાર દલિતોના ઉચ્ચ શિક્ષણને રૂંધી નાંખશે. અનુસૂચિત જન જાતિની પ્રિ.મેટ્રિક સ્કોલરશીપમાં ૪૦ કરોડ ઘટાડ્યા છે પણ પોસ્ટ મેટ્રિકમાં ૭૪ કરોડ વધાર્યા છે. આ વધારો ઘટાડો કોઈ તર્ક આધીન છે કે આડેધડ નાણાં ફાળવણી છે તે આંકડાઓ પરથી કળી શકાતું નથી.

દલિત સફાઈ કામદારો દ્વારા હાથથી થતી મળ સફાઈ અને ગટર સફાઈ અટકાવવાની પ્રતિબદ્ધતા દરેક સરકારો વ્યક્ત કરતી હોય છે. વર્તમાન નાણાં મંત્રીએ પણ ગટરો અને ખાળકૂવાની સફાઈ હાથેથી નહીં થાય અને તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. પણ તે માટે કોઈ જ નાણાં ફાળવણી કરી નથી. આઘાતજનક બાબત તો એ છે કે સફાઈ કર્મચારીઓના પુનર્વાસ માટે વરસ ૨૦૧૬-૧૭માં માત્ર રૂ. ૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૂ. ૫ કરોડની જ  ફાળવણી કરી હતી ૨૦૧૮-૧૯માં બજેટ ફાળવણી રૂ. ૭૦ કરોડ સામે રૂ. ૮૫.૭૬ કરોડનો ખર્ચ થયો હતો તેને ધ્યાનમાં રાખીને બજેટ વધારાતું નથી. .

અન્ય પછાતવર્ગોની વસ્તી દેશમાં ૫૨% છે પરંતુ તેમના આર્થિક શૈક્ષણિક વિકાસ માટે પૂરતાં નાણાં ફાળવવામાં આવતા નથી. તેમની સ્કોલરશીપ અને અન્ય શૈક્ષણિક યોજનાઓ, છોકરા અને છોકરીઓ માટેની છાત્રાલય માટેની બજેટ ફાળવણી ગયા વરસની જ યથાવત રાખી છે. તેમાં એક રૂપિયાનો પણ વધારો કર્યો નથી. દેશની લઘુમતીઓના વિકાસ માટે ગત વરસ કરતાં રૂ. ૩૨૯ કરોડની વધુ બજેટ ફાળવણી થઈ છે. પરંતુ ૨૦% વસ્તી ધરાવતા લઘુમતી વસ્તી સમૂહો માટેની રૂ. ૫,૦૨૯ કરોડની બજેટ જોગવાઈ દેશના કુલ બજેટની તુલનામાં તો ૦.૧૬% જ છે.

દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવાનું કેટલું કઠિન છે. અને તે માટે કેવી પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને અર્થનીતિ જરૂરી છે તેની પ્રતિતી આ બજેટ કરાવે છે.  

(તા.૧૯-૦૨-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 19 ફેબ્રુઆરી 2020

Loading

માતેલો બળદ ને ગવરી ગાય!

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|19 February 2020

જેણે  મને આ સમાચારનો ફોટો મોકલ્યો એને લાગ્યું કે આ ‘નોનસેન્સ’ સમાચાર છે તો મેં પણ “પગની પાનીએથી કરી આ ‘વુમનસેન્સ’ અભિવ્યક્તિ! ‘જેણે આ મેસેજ મને Forward કર્યો તે એક સમયે બિન્દાસ, નફકરી, માસુમ પ્રગલ્ભા, ફરફરતી પંખિણી હતી અને હવે ડાહીડમરી ગૃહિણી છે!

માતેલો બળદ ને ગવરી ગાય!

હે! ભૂખ્યા, તરસ્યા, ડાંસ યોનિજિયા ……
લે ખાઈ લે આ રોટલો મારા હાથ કેરો

આમ તું મારો વહાલો યોનિજિયો  !
ક્યારેક મારા રક્તથી સિંચાયેલો
પાળેલો, પોષેલો ને માનો આશાજનક
પણ તાતેલો ને માતેલો ….
કોણ જાણે ક્યાં
આવ્યો ભણીગણી 
તે મેરો બિલ્લો કરે મુઝ સે હી મ્યાઉ …..

ને હે મારી ગવરી ગાય …..
મારી જેમ જ હોંશ તને
પણવાની, જણવાની ને
હડધૂત થવાની?
તનમનઆત્માપ્રાણથી
રક્ત સીંચીને ઉછેર્યાં બાળ
કેટકેટલાં કર્યાં લાડપ્યાર
ને તોયે રહી બિચ્ચારી તું
આપતી અગ્નિપરીક્ષા, ત્યજાતી વનરાવને
લૂંટાતી ભરદરબારે ને વેચાતી ભરબજારે
રાંકડી ને લાચાર ગવરી ગાય …..

કોણ જાણે કિયા જનમનાં મળ્યાં આ વરદાન …..
ને ધરમકરમનાં લાગ્યાં આ બાણ
જો ખાય તું આપનાર તને જીવતદાન હસ્તક                             
તો થાય તું આગલે જનમે બળદ!
ને ન ખાય તો થશે ગવરી ગાય?
જો રહે જગતની રીત આવી તો
નથી ખોટનો ધંધો બળદ થવા જેવો …..
ગવરી ગાય થઈ બંધાવા ગમાણ કરતાં
ડાહીડમરી એકવ્રતા દેખાવાં કરતાં
ફરવું જગત દરબારે થઈ માતેલા આખલા …..

* યોનિજ પરથી યોનિજિયા : યોનિથી જન્મનાર

Loading

‘ભગતસિંહ અને સુભાષ હિન્દુ-મુસ્લિમ એકતા મુદ્દે ગાંધી સાથે હતા’

ઉર્વીશ કોઠારી - આત્મન્‌ શાહ|Opinion - Opinion|18 February 2020

‘જેમ ઉત્ક્રાંતિવાદનો ઉલ્લેખ કર્યા વિના ડાર્વિનની વાત ન થઈ શકે, સાપેક્ષવાદનું નામ લીધા વિના આઈન્સ્ટાઈનની વાત ન થઈ શકે. એવી જ હિંદુ-મુસલમાન સુમેળનો મુદ્દો લાવ્યા વિના ગાંધીજીની વાત ન થઈ શકે. પણ આપણા વડાપ્રધાન હિંદુ-મુસલમાન સુમેળની સદંતર બાદબાકી કરીને ગાંધીજી વિશે ભાષણો પર ભાષણો ઠપકારે છે – આ ટિપ્પણી છે જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની. જાહેર બાબતોમાં સક્રિયપણે સામેલ થતા ગુહાએ ‘ઉલગુલન’ સંસ્થાના ઉપક્રમે ગાંધી અને આજના ભારત વિશે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં વક્તવ્ય આપ્યું. જાણીતા ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક અને મિત્રો દ્વારા સંચાલિત ‘ઉલગુલન’નો અર્થ છે અવિરત સંઘર્ષ. (આ પંજાબી ભાષાનો શબ્દ છે, એવું જાણવા મળ્યું.)

સાંજે છ વાગ્યાનો કાર્યક્રમ હતો, પરંતુ સવા પાંચ-સાડા પાંચથી જ હોલ પર ગીરદી થવા લાગી હતી. ધોળાં માથાં ઓછાં ને કાળાં માથાં ઘણાં વધારે હતાં. પોલીસ દેખાય એવી સંખ્યામાં હતી અને આયોજકોએ ગુહાની સલામતી માટે પણ પૂરતી અને આગોતરી કાળજી લીધી હોય, એવું બાઉન્સરોની હાજરી પરથી જણાતું હતું. શરૂઆતમાં યજમાન આનંદ યાજ્ઞિકે ભૂમિકા બાંધી અને યુવા અભ્યાસી શારીક લાલીવાલાએ ગુહાની કામગીરી તથા સિદ્ધિઓનો ખ્યાલ આપીને માહોલ બાંધ્યો, ત્યારે લગભગ સાતસો બેઠકોની ક્ષમતા ધરાવતો આખો હૉલ ભરાઈ ગયો હતો. (બેઠકોની સંખ્યામાં થોડી ભૂલચૂક લેવીદેવી). ગાંધીઆશ્રમની બહાર યોજાયેલા સી.એ.એ. વિરોધી પ્રદર્શનની જેમ હૉલમાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હતા.

રામચંદ્ર ગુહાએ તેમની લાક્ષણિક શૈલીમાં, વક્તવ્ય કળાને બદલે વિષય પર ધ્યાન આપીને, અવાજના અનિયમિત ચઢાવઉતાર સાથે, લગભગ વાતચિત કરતા હોય એવા અંદાજમાં પોણો કલાક રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. ત્યાર પછી શારીક લાલીવાલાએ શ્રોતાઓ તથા ગુહા વચ્ચે સેતુ બનીને, અભ્યાસ ઉપરાંત રમૂજના ચમકારા સાથે, ચાળીસેક મિનિટમાં સવાલજવાબનો દૌર ચલાવ્યો. રામચંદ્ર ગુહાના વક્તવ્ય અને તેમની સાથેના સવાલજવાબમાં આવેલા કેટલાક મહત્ત્વના મુદ્દાનો સાર :

ગુહાએ વ્યાખ્યાનમાં ગાંધીજીના વિચારો અને આજની વર્તમાન પરિસ્થિતિમાં તેને કેવી રીતે વિચારવા અને જીવવા તે વિશે વાત કરી હતી. તેમણે ગાંધીજીના મતે સ્વરાજની ઇમારત મુખ્ય ચાર પાયા છે તેમ જણાવ્યું હતું : પ્રથમ પાયો એટલે અસ્પૃશ્યતા નિવારણ, અત્યારના સંદર્ભમાં સામાજિક ન્યાય. એટલે કે સમાજની અંદર લોકો વચ્ચે સુમેળ હોય તેવી સ્થિતિ. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીમાં સામાજિક ન્યાયની સભાનતા તેમને આફ્રિકાના પ્રવાસ દરમ્યાન થઈ હતી કે જ્યાં તેઓ વિવિધ ધર્મના લોકોને મળ્યા. આમ, ગાંધીજી જન્મતાની સાથે જ બધી જ સમસ્યાઓ વિષે સભાન હતાં તેવું ન હતું, પરંતુ સમય અને વિવિધ લોકો સાથેના સંવાદે તેમના વિચારો વિકસાવવામાં મદદ કરી હતી. વર્તમાન ભારતમાં સામાજિક ન્યાય તો જાણે નેવે જ મૂકાઈ ગયો હોય તેમ લાગે છે.

બીજો પાયો છે હિન્દુ-મુસ્લિમ એકતા. ગાંધીજીએ હંમેશાં દેશની અંદર વિવિધ ધર્મો વચ્ચે સુમેળ ભર્યું વાતાવરણ રહે તેનો પ્રયત્ન કર્યો હતો. તેઓ કદી પણ દેશના ભાગલા પાડવાની તરફેણમાં ન હતા. દેશમાં આજે સત્તા પક્ષ દ્વારા કોઈકને કોઈક રીતે કોઈ એક ચોક્કસ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખવામા આવે છે અથવા તો તેમના દેશ પ્રેમ ઉપર શંકા ઊભી કરવામાં આવે છે. તેમની વિરુદ્ધ સતત લોકોના મનમાં ઘૃણા ઊભી કરવામાં આવી રહી છે, અને કૈંક અંશે સત્તા પક્ષ તેમાં સફળ પણ થયો છે. જ્યાં સુધી આપણે ધર્મ અને જાતિના વાડાઓમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી જુદાં જુદાં પ્રકારે હિંસા થતી જ રહેશે. યુરોપમાં જે રાષ્ટ્રવાદ આવ્યો તેમાં એક દેશ, એક ભાષા અને એક ધર્મની વાત પ્રચલિત થઈ હતી, પરંતુ ભારતમાં તેવા પ્રકારના રાષ્ટ્રવાદને કોઈ જ સ્થાન નથી. ગુહાએ સમજાવ્યું કે ફ્રાંસના રાષ્ટ્રવાદમાં ઇંગ્લૅંડ સામેની નફરત અને ઈગ્લેંડમાં રાષ્ટ્રવાદી બનવા માટે ફ્રાંસને નફરત કરવી જરૂરી હતી. શું આપણે ભારતમાં આ પ્રકારનો રાષ્ટ્રવાદ જોઈએ છે? શું આપણે આપણાં દેશને પ્રેમ કરવા માટે બીજા દેશને કે પછી ત્યાંનાં લોકોને નફરત કરવી જરૂરી છે? અને જો આપણે એવું કરીએ તો પછી આપણી સંસ્કૃતિ કે જે વસુધૈવ કુટુંબકમ્‌ની વાત કરે છે, તેનું શું થશે?

ગાંધીજીના વિચારનો ત્રીજો પાયો છે અહિંસા. અહિંસા ઉપર વાત કરતાં ગુહાએ જણાવ્યુ કે ગાંધીજી માટે હિંસા એટલે માત્ર કોઈને મારવા કે કોઈને હાનિ પહોંચાડવા એટલાં પૂરતું સીમિત ન હતું પરંતુ વિચારોમાં પણ હિંસા ન હોય તે તેમના માટે મહત્ત્વનું હતું. વર્તમાન ભારતમાં દેશના ચૂંટાયેલા પ્રધાનો દ્વારા જે ભાષા બોલવામાં આવે છે તે ચોક્કસ હિંસાનું જ પ્રતીક છે તેમ કહેવાય.

ચોથો પાયો છે આર્થિક સ્વાવલંબન. ગુહાએ આ વાત સમજાવતા પર્યાવરણ અને વૈશ્વિક તાપમાનના મુદ્દાને પણ ધ્યાનમાં લીધો હતો અને જણાવ્યું હતું કે જો આર્થિક વૃદ્ધિના મોડલની પસંદગીઓ વિચારપૂર્વક કરી હોત તો આજે દેશમાં પર્યાવરણના પ્રશ્નો ઓછાં હોત. આજે વિવિધ સરકારો દ્વારા વ્યાવસાયિક તાલીમ માટેનાં કેન્દ્રો ઊભાં કરવામાં આવે છે અને બજેટમાંથી તેની પાછળ કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે ત્યારે એક પ્રશ્ન ચોક્કસ ઊભો થાય કે શું આ તાલીમ શાળા શિક્ષણ કે પછી કૉલેજ શિક્ષણનો જ ભાગ ન હોવો જોઈએ?

સી.એ.એ. અતાર્કિક, અનૈતિક અને કસમયનો છે

હિંદુ-મુસલમાન સુમેળની વાત કરતાં પહેલાં તેમણે અત્યારના સૌથી ચર્ચાસ્પદ એવા સી.એ.એ.ની વાત કરી અને તેના માટે ત્રણ વિશેષણ વાપર્યાં : ઇલલોજિકલ, ઇમમોરલ ઍન્ડ ઇલટાઇમ્ડ. ‘ઇલલોજિકલ’ કારણ કે તેમાં શ્રીલંકાના (હિંદુ અને ખ્રિસ્તી) તમિલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ‘ઇમમોરલ’ કારણ કે તેમાં મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. અને સી.એ.એ.ને અમિત શાહ જેની વારેઘડીએ ધમકી આપ્યા કરે છે તે એન.આર.સી. સાથે મૂકવામાં આવે, તો તે ભારતભરના મુસ્લિમોને ભયજનક તથા અસલામતી પ્રેરક લાગી શકે. ‘કસમય’નો એટલે કે દેશમાં આર્થિક સહિતની બીજી અનેક સમસ્યાઓ વધારે મહત્ત્વની છે. ઇશાન ભારતનાં રાજ્યોનું ગાડું માંડ ચીલે ચડ્યું હતું. તે આ સરકારની નીતિઓથી ફરી ઠેરનું ઠેર આવી ઊભું છે.

એ સવાલોમાં એક સવાલ એવો આવ્યો કે તમે એને અત્યારે કસમયનો ગણાવતા હો, તો તેના માટે કોઈ યોગ્ય સમય હોઈ શકે? ગુહાનો જવાબ હતો કે કસમયનો કહેવા પાછળનો આશય એ હતો કે ધારો કે એ તાર્કિક અને નૈતિક હોત તો પણ તેનો સમય બરાબર ન હતો. તેમણે કહ્યું કે ગાંધીજી ન હોત તો પણ, કોઈ પણ ઠેકાણાસરનો, ઉન્નત નાગરિક સી.એ.એ.નો વિરોધ કરત. ગુહાએ ભારપૂર્વક કહ્યું કે સર્વોચ્ચ અદાલત આવા અન્યાયી કાયદાને કોઈ કારણસર બહાલી આપે તો પણ નાગરિકોએ તેનો અહિંસક વિરોધ ચાલુ રાખવો જોઈએ.

આઝાદ ભારતના ઇતિહાસમાં ચોથી આફત

ગુહાએ કહ્યું કે ઇતિહાસકાર તરીકે મને ‘બધું રસાતાળ જશે’ (અપોકેલીપ્સ) અને ‘અહીં જ સ્વર્ગ ઊતરી આવશે’ (યુટોપિઆ) – એવા બંને દાવા તરફ શંકાની નજરે જોવાનું મને શીખવવામાં આવ્યું છે. એટલે વર્તમાન સ્થિતિને હું અભૂતપૂર્વ આફત ગણતો નથી. અગાઉ ત્રણ વાર દેશ આવા ગંભીર સંકટમાંથી પસાર થઈ ચૂક્યો છે. (૧) ૧૯૬૦ના દાયકામાં પૂર્વાર્ધમાં ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે (૨) ૧૯૭૫ની કટોકટી વખતે (૩) ૧૯૮૦ના અંત અને ૧૯૯૦ની શરૂઆતમાં ઠેકઠેકાણે થયેલાં કોમી તોફાનો વખતે. ગુહાના કહેવા પ્રમાણે, આ ચોથો પ્રસંગ છે અને લોકો લોકશાહીની વૈવિધ્યની તાકાત વડે તેમાંથી પણ પાર ઉતરશે.

વાંધો એ નથી કે આર.એસ.એસ.એ આઝાદીની લડાઈમાં ભાગ ન લીધો

આર.એસ.એસ.એ આઝાદીની લડાઈમાં કેવો ને કેટલો ભાગ લીધો હતો? એવા સવાલનો ગુહાએ આપેલો જવાબ હતો, લગભગ નહીંવત્‌. ઓલમોસ્ટ ઝીરો. એટલે તો તેમને ઓલ્ટરનેટિવ આઇકોનોગ્રાફી – સમાંતર નેતાગીરી ઉછીની લાવવી પડે છે. ગાંધીજી સાથે મતભેદ ધરાવતા ભગત સિંહ અને સુભાષચંદ્ર બોઝને તે લઈ આવે છે. એ બંને નેતાઓ ગાંધીજી સાથે હિંસા-અહિંસાના મુદ્દે અસંમત હતા, પણ હિંદુ-મુસલમાન સુમેળ બાબતે સુભાષચંદ્ર બોઝ, ભગત સિંહ અને ગાંધીજી સરખા વિચાર ધરાવતા હતા. (એ વાત આર.એસ.એસ. ભૂલાવી દે છે) તેમણે કહ્યું કે આર.એસ.એસ.ને આઝાદીની લડતમાં ભાગ ન લીધો, એ મુદ્દે હું તેની ટીકા કરતો નથી. (I don’t hold it against RSS). એમ તો આંબેડકરે પણ આઝાદીની લડતમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેમની વેલ્યુ સીસ્ટમ શી હતી ને આર.એસ.એસ.ની શી છે? આફતના સમયે આર.એસ.એસ.ની સેવાપ્રવૃત્તિઓ અંગે પુછાયેલા સવાલના જવાબમાં ગુહાએ કહ્યું કે એ તેમાં સાચાં સેવાભાવી માણસો હશે ને સેવા પણ સાચી, પરંતુ આવી સેવા તો ઇઝરાયેલમાં ‘હમાસ’ પણ કરે છે અને બીજાં આ પ્રકારનાં સંગઠનો પણ કરે છે. એનાથી તેમની વિચારધારા યોગ્ય ગણાવી ન શકાય.

ઇઝરાયેલને તેમણે અન્ય એક પ્રસંગની પણ યાદ કરીને કહ્યું કે ભારત ઇઝરાયેલમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે. તેનો કેસ જુદો છે. તે નાનો દેશ છે અને યહૂદીઓને ઐતિહાસિક રીતે અભૂતપૂર્વ ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. છતાં, ભારતે ઇઝરાયેલમાંથી શીખવું જ હોય તો ત્યાં સર્વોચ્ચ અદાલતને કે યુનિવર્સિટીઓને કે પ્રસાર માધ્યમોને મળેલી સ્વતંત્રતામાંથી ઘડો લેવા જેવો છે. ત્યાં સરકાર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલરો નક્કી કરતી નથી.

ગાંધી-આંબેડકર સાથે આવ્યાનો આનંદ

ગાંધીજીનું વિગતવાર જીવનચરિત્ર લખનાર ગુહાએ ડૉ. આંબેડકર વિશે પણ યથા યોગ્ય ભાવ પ્રગટ કર્યો. કેરળના દલિત સુધારક નારાયણગુરુને અને મહારાષ્ટ્રના જોતિબા ફુલેને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીજી જ્ઞાતિના મુદ્દે ધીમેથી આગળ વધ્યા હતા. તેમના પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં સ્વરાજના ચારમાંથી બે પાયા-અહિંસા અને હિંદુ-મુસલમાન એકતા વિશે વિગતે લખાણ છે. પણ અસ્પૃશ્યતા અને દલિત પ્રશ્નની વાત તેમાં મળતી નથી. ‘હિંદ સ્વરાજ’ને પવિત્ર ગ્રંથ સમકક્ષ ન ગણવું જોઈએ, એમ કહીને તેમણે ડૉક્ટરો વિશેના ગાંધીજીના નકારાત્મક અભિપ્રાયો અને તેમને મળેલા આધુનિક તબીબી સુવિધાઓના લાભની અછડતો ઉલ્લેખ કર્યો હતો.

ગાંધીજી અને ડૉ. આંબેડકર વચ્ચે દેખીતા મતભેદ છતાં, આપણને તે બંનેનો ખપ છે એ વાત ગુહાએ ભારપૂર્વક કહી. તેમણે કહ્યું કે દલિતોના મુદ્દે ગાંધીજીની ભૂમિકામાં આવેલા ક્રમિક પરિવર્તનમાં આંબેડકરનો મહત્ત્વનો ફાળો હતો. એવી જ રીતે, આટલા રૂઢિચુસ્ત સમાજમાં ડૉ. આંબેડકર જે કંઈ કરી શક્યા અને તેમને અમુક રીતે સાંખી લેવામાં આવ્યા, એવું વાતાવરણ  સર્જવામાં ગાંધીજીની મહત્ત્વની ભૂમિકા હતી. ગુહાએ કહ્યું કે આંબેડકરને ગાંધીવાદીઓએ ઘણા વખત સુધી ખરાબ ચીતર્યે રાખ્યા. છેક ૧૯૯૦ના દાયકા સુધી. અરુણ શૌરીએ આંબેડકર વિશેનું એક શોચનીય / Lamentable પુસ્તક લખ્યું હતું. ઘણાં આંબેડકરવાદીઓ ગાંધીજીના વિચારોમાં આવેલું પરિવર્તન ધ્યાનમાં લેતા નથી.

સી.એ.એ. વિરોધી પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓ ગાંધી અને આંબેડકરને સાથે લઈ આવ્યા, એ બહુ મોટું કામ થયું.

ગાંધીજીની વાત કેવી રીતે આગળ લઈ જવાય?

યંત્રવત્‌ રીતે કે આંખ મીંચીને (મિકેનીકલી કે બ્લાઇન્ડલી) ? ગાંધીજીનું અનુકરણ ન થાય. ગુહાએ કહ્યું કે આજની ઘણી બાબતો વિશે ગાંધીજીએ તેમના સમયે વિચાર્યું નહીં હોય. એટલે ગાંધીજી મહાન ખરા, પણ એ એકલા જ મહાન, એવું નહીં. ગાંધીજીએ આપણને નૈતિક માળખું ચીંધી આપ્યું. તેને સાકાર કરવા માટે આપણે ગાંધીજી ઉપરાંત બીજા લોકોના વિચાર પણ લેવા જોઈએ. એવી જ રીતે, જેન્ડર (લિંગભેદ) અને કાસ્ટ (જ્ઞાતિભેદ) જેવા મુદ્દે ગાંધીજીનું મૂલ્યાંકન કરતી વખતે તેમના સમયને પણ ધ્યાનમાં લેવો પડે. તેમના સમયમાં તેમનું મૂલ્યાંકન કરવું પડે. એક વિદેશી અભ્યાસની ટીપ્પણી ગુહાએ યાદ કરી, ‘તમને ગાંધી બહુ સસ્તામાં મળી ગયા છે. એટલે તમને એમની કિંમત નથી.’

એકાદ વર્ષ પહેલાં રામચંદ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટીના ગાંધી સ્ટડીઝનો અભ્યાસક્રમ ભણાવવા આવે, એવા પૂરા સંજોગો હતા. પણ રાજકીય (સરકારી) દોરીસંચારના પગલે એ આયોજનની કસુવાવડ થઈ. એ બાબતે સવાલ પૂછાવા છતાં, તેને અંગત ગણાવીને ગુહાએ કશી ટીપ્પણી ન કરી. ઉપરથી સરકારી દબાણો ધરાવતી સંસ્થાઓની સ્થિતિ વિશે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું કે તમે અમદાવાદ યુનિવર્સિટીને ટેકો આપજો.

ગાંધીઆશ્રમ – ગૂજરાત વિદ્યાપીઠ નિષ્ક્રિય છે એવી કાર્યક્રમના આરંભે જ આનંદ યાજ્ઞિકે કરેલી ટીપ્પણી અંગે સવાલજવાબના સમયમાં સાબરમતી આશ્રમના સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ સ્પષ્ટતા કરી. તેમનો મુદ્દો હતો કે બધી સંસ્થાઓની નક્કી કરેલી અને જુદી જુદી ભૂમિકા છે. માટે, વ્યક્તિગત ધોરણે ટ્રસ્ટીઓ અભિપ્રાય રજૂ કરી શકે, પણ ‘ગાંધી આશ્રમ’ તરીકે એટલે કે ગાંધીજીના વિચારના પ્રતિનિધિ તરીકે કોઈ કશી પ્રતિક્રિયા ન આપી શકે. (એમ કરવું એ ધૃષ્ટતા ગણાય.) કાર્તિકેયભાઈએ કહ્યું કે એ અર્થમાં હું, તમે, આપણે બધા ગાંધીઆશ્રમ છીએ. ભૂતકાળમાં Collected Works of Mahatma Gandhiનાં સો ખંડોમાં કેવાં ચેડાં થયાં હતાં, અને દીનાબહેન પટેલે તેને સુધારવાનું કામ કર્યું. તેનો પણ ટૂંકો ઉલ્લેખ કર્યો. રામચંદ્ર ગુહાએ તેમની દલીલ માન્ય રાખી અને કહ્યું કે કામ સરસ જ છે, પણ તમારે સૌએ વડાપ્રધાનને (આશ્રમથી) જરા છેટા (At arms length) રાખવા જેવા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવવામાં ગાંધીનો બહુ ઉપયોગ કરી લીધો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ સી.એ.એ.-વિરોધી પતંગ ચગાવ્યા, તેમાં પોલીસ આવી પડી, તેની પણ ગુહાએ ટીકા કરી.

ગુહાનાં પત્ની કુંવારા હતાં અને એન.આઈ.ડી.માં ભણતાં હતાં, ત્યારે ગુહા તેમને મળવા અવારનવાર અમદાવાદ આવતા. (૧૯૭૯ આસપાસ) ત્યારનાં માણેક ચોકનાં, એલિસબ્રીજનાં, નળ સરોવરનાં સંસ્મરણો તાજાં કરીને ગુહાએ કહ્યું કે મોદી શાહ પહેલાં પણ ગુજરાત હતું ને તેમના પછી પણ રહેવાનું છે. એ આપણે યાદ રાખવું જોઈએ.

અમદાવાદ યુનિવર્સિટીમાં નિમણૂકમાં નિમણૂકવાળી ઘટના પછી, સી.એ.એ. વિરોધી પ્રદર્શનોમાં બૅંગ્લોરની સડક પર એક પાટિયું લઈને ઊભેલા ગુહાની પોલીસે થોડા સમય માટે ધરપકડ કરી, તેની વીડિયોથી ઘણી ટીકા થઈ હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઇતિહાસકારનું શાંતિપૂર્ણ-અહિંસક વિરોધ પ્રદર્શન ખમી ન શકે, એ તે કેવી સરકાર? છતાં, તમામ પ્રકારની સંભાવનાઓ ધ્યાનમાં રાખીને અમદાવાદના કાર્યક્રમને આયોજકોએ અર્ધજાહેર રાખ્યો હતો. સામાન્ય રીતે કરવામાં આવે એવા સોશિયલ મીડિયા સહિતના વ્યાપક પ્રચારપ્રસારથી દૂર રહીને, મીડિયાને પણ સલામત અંતરે (કે બાકાત) રાખીને, પાસ થકી જ એન્ટ્રી મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ શ્રોતાઓની હાજરી પર તેની જરા ય અસર ન વરતાઈ. બે કલાકનો આખો કાર્યક્રમ સરસ રીતે પાર પડ્યો અને શ્રોતાઓને ચર્ચા-વિચારણાના ઘણા મુદ્દા મળ્યા. એ તેની મોટી સફળતા ગણાય.

E-mail : uakothari@gmail.com,

E-mail : atman.shah@sxca.edu.in

સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 08 – 10

Loading

...102030...2,5752,5762,5772,578...2,5902,6002,610...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved