Opinion Magazine
Number of visits: 9575912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૮૧ વર્ષનાં ‘વાઈલ્ડ’ વહીદા રહેમાન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 January 2020

‘હીટ ગર્લ’ નામની આત્મકથામાં, એક્ટ્રેસ આશા પારેખ તેની હતાશા અને ચિંતાની વાત કરે છે. એ લખે છે, “મારી માતાના ગયા પછી મારા પિતા સાવ ચૂપ જ થઇ ગયા હતા. યાદદાસ્ત પણ નો’તી. ૨૦૦૩માં એ પણ જતા રહ્યા. મને પહેલીવાર થયું કે મારે કોઈ ભાઈ-બહેન હોવાં જોઈતાં હતાં. ખાલી ઘર મને ખાવા ધાતુ હતું. જીવનનો કોઈ અર્થ જ રહ્યો ન હતો. બીમાર વિચારો આવતા અને ગભરામણ થતી. મને થતું હતું કે હું પાગલ થઇ રહી છું.

એક દિવસે એટલો બધો ઊચાટ ઘેરી વળ્યો કે મેં વહીદા(રહેમાન)ને ફોન કરીને કહ્યું કે મને થાય છે કે ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદી જાઉં. વહીદા ગભરાઈ ગઈ અને મને ધમકાવી, “બેકાર વાત ના કર. મને વચન આપ કે તું આવા વિચાર બંધ કરી દઈશ.’ બીજા દિવસે એ મારી પાસે આવી, અને કહ્યું કે – આશા, તું કસમ ખા, તું એકલી છું, એવું નહીં વિચારે. મને ક્યારેક વિચાર આવે છે કે હું તે દિવસે કૂદી ગઈ હોત તો?”

આશા પારેખ ૭૪ વર્ષની છે, અને વહીદા રહેમાન ૮૧ વર્ષની છે. આશા સિંગલ છે, એટલે આ ઉંમરે પરિવારની ગેરહાજરી સાલે, તે સ્વાભાવિક છે. પણ એમ તો બાળકો મોટાં થઇ જાય અને ખુદની દુનિયામાં જીવવા લાગે, તો સપરિવાર વ્યક્તિને પણ મોટી ઉંમરે એકલતા સતાવે જ. એમાં ય તમે સિનેમાની ચકાચાંધમાં જીવ્યા હો, અને અચાનક તાળીઓનો ગડગડાટ બંધ થઇ જાય, કેમેરાની ફ્લેશ લાઈટ અદ્રશ્ય થઇ જાય, ટેલિફોન સૂના થઇ જાય, લોકોની ભીડ વિખરાઈ જાય અને તમારી ઉપયોગિતા ખતમ થઇ જાય, તો ભલભલા સ્ટારનું જીવન આકરું થઇ જાય. એટલા માટે જ આશા પારેખની સરખામણીમાં વહીદા રહેમાને તેની ૮૧ વર્ષની ઉંમરે જે ‘નવું’ શરૂ કર્યું છે, તે કોઈપણ સિનિયર સિટિઝન માટે ઉદાહરણરૂપ છે.

એવું કહે છે કે શોખની કોઈ ઉંમર નથી હોતી. એમાં ય મોટી ઉંમરમાં તો શોખનો અને સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાઈકોલોજી વિભાગના પ્રોફેસર ડો. રચેલ વોએ એક અભ્યાસમાં કહ્યું છે કે મોટી ઉંમરમાં નવો હુન્નર શીખવાથી, છ જ સપ્તાહમાં તમારું મગજ ત્રણ દાયકા જેટલું યુવાન થઇ જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે યાદદાસ્ત ઓછી થવી, નિર્ણયશક્તિ ધીમી થઇ જવી અને બોલવામાં મુશ્કેલી આવે છે તેવા મોટી ઉંમરની અલ્ઝેઈમરની બીમારીમાં ફોટોગ્રાફી, સંગીત, પેઇન્ટિંગ કે લખવા જેવા શોખ મગજના પાવરને મજબૂત બનાવે છે.

વરિષ્ઠ એક્ટ્રેસ, વહીદા રહેમાન, ૮૧ વર્ષની ઉંમરે આ જ તો કરે છે. આ લેખ સાથે તમે જે ફોટો જુવો છો, તે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર વહીદા રહેમાનનો છે, અને તેની સાથે તેમણે લીધેલા બે સુંદર ફોટા છે. એકમાં કેન્યામાં આવેલા 'માસાઈ મારા'ના જંગલમાં લીધેલા જિરાફનો છે, અને બીજો ફોટો તાન્ઝાનિયાની ડુટુ સફારીમાં, અવળા ફરીને બેઠેલા બે ચિત્તાનો છે. હા, વહીદા રહેમાન છેલ્લા છ વર્ષથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરે છે, અને તેમની સાથેના ૨૪ ફોટોગ્રાફરો(જેમાં સૌથી નાનો ઉંમરનો ફોટોગ્રાફર ૧૮ વર્ષનો, અને સૌથી મોટી ઉંમરનાં વહીદા છે)નું એક પ્રદર્શન પણ મુંબઈમાં યોજાઈ ગયું છે.

વહીદાને કેમેરાનો શોખ તો વર્ષોથી હતો, પરંતુ જંગલોમાં જઈને પ્રાકૃતિક જીવનની ફોટોગ્રાફી કરવાનું હમણાં જ શરૂ કર્યું છે. તેમની પાસે બહુ શરૂઆતના રોલેઈફ્લેસ્ક અને પેન્ટેક્સ સહિતના ૨૫ કેમેરા છે. અત્યારે તે ઓલિમ્પસ કેમરા વાપરે છે. વહીદા કહે છે, "હું અને મારા પતિ (સ્વર્ગસ્થ શશી રેખી) હનીમૂન માટે ન્યૂયોર્કમાં હતા, ત્યારે તેમને મારા માટે ગિફ્ટ ખરીદવી હતી. મેં કહ્યું કે પેન્ટેક્સ ખરીદો, તો એ અચંબિત થઇ ગયા. મારે એમને કહેવું પડ્યું કે છોકરીનો અસલી દોસ્ત ડાયમન્ડ નહીં, કેમેરા હોય."

વહીદા રહેમાન, હિમાંશુ ચંદ્રકાંત શેઠ નામનાં એક ગુજરાતી વાઈલ્ડ લાઈફ અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફર પાસેથી ફોટોગ્રાફીની તકનીક શીખ્યાં છે. "મારી ફોટોગ્રાફીમાં બહુ ભલીવાર નથી," વહીદા કહે છે, "પણ મને બહુ પહેલેથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં રસ હતો. હિમાંશુ શેઠ મારા ગુરુ છે. છ-સાત વર્ષ પહેલાં હું તેમને મળી હતી, જે મને સફારી પર લઇ જતાં હતાં, તેમાંથી આ સિલસિલો શરૂ થયો. અમે આ તસ્વીરો માટે પૂરા ભારત, તાન્ઝાનિયા, નામિબિયા, કેન્યા, આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભટક્યાં છીએ."

હિમાંશુ શેઠ કહે છે, "ફોટોગ્રાફી શીખવાની વહીદાજીની બહુ જૂની ઈચ્છા હતી, પણ તેને વિકસાવવાની સરખી તક મળતી ન હતી. હું તેમના દીકરા, સોહેલ માટે, એક નાનકડું શૂટ કરતો હતો. એને ખબર પડી કે હું ફોટોગ્રાફી ટુર કરું છું, તેણે તરત મને કહ્યું કે તેની માતાને ફોટો સફારી પર આવવાનું અને ફોટોગ્રાફી શીખવાનું ગમશે. એ વાતને છથી વધુ વર્ષ થઇ ગયાં. દરેક પ્રવાસમાં અમારું બંધન વધુ મજબૂત થાય છે."

ઉંમરની વાતમાં વહીદા કહે છે, "ભારતમાં લોકોને ઉંમરને લઈને બહુ વાંધા હોય છે. 'આ ઉંમરે તેણે આવું બધું કરવાની શું જરૂર છે?' એવું લોકો પૂછ-પૂછ કરે. આ માનસિકતા બદલવાની જરૂર છે. તમારામાં થનગનાટ હોય, અને મન ખુલ્લું હોય, તો તમે જે ચાહો તે શીખી શકો. શોખને ઉંમરનો બાધ ના હોવો જોઈએ. ઉંમર થાય, તેમ શોખનું મહત્ત્વ વધી જાય. પૂરા લગાવથી કરો. એ ખર્ચાળ હોય, તે જરૂરી નથી. મારી ૮૭ વર્ષની બહેન (શહીદા માલિક) ભરતકામની શોખીન છે. મને તંદુરસ્ત શરીરના આશીર્વાદ છે. હું રોજ ઘરે યોગ કરું છું, જે મને ચૂસ્ત રાખે છે. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે આમ પણ ટ્રાવેલિંગ કરવું પડે અને લાંબુ ચાલવું પડે."

ઇન ફેક્ટ, મોટી ઉંમરે કેવી રીતે જીવાય, તે વહીદા પાસે શીખવા જેવું છે. ‘પ્યાસા,’ ‘કાગજ કે ફૂલ,’ ‘સાહેબ, બીબી ઔર ગુલામ,’ ‘ગાઈડ,’ અને ‘નીલ કમલ’ જેવી યાદગાર ફિલ્મોની સ્ટાર તેની સમકાલીન એક્ટ્રેસ આશા પારેખ (74) અને હેલન (81) સાથે સાથે ખાસ બહેનપણાં છે, અને ત્રણે અવારનવાર રખડવા ઉપડી જાય છે, સિનેમા જોવાં જાય છે અને ખાવા-પીવા પર ભેગાં થાય છે. વાસ્તવમાં, આ ‘ચાર ચોટલા’ હતાં, પણ સાધના અને નંદા એમાંથી ‘ખરી’ પડ્યાં.

આશા પારેખ કહે છે, “હું એકલી છું અને વહીદાને બે બાળકો છે, પરંતુ’ હેલનની સાથે અમે બંને એકબીજાંના સંપર્કમાં રહીએ છીએ. અમે ત્રણ જમવા માટે બહાર જઈએ છીએ અને હોલીડે પર જઈએ છીએ.” થોડાં વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં વહીદાએ કહ્યું હતું કે, “ હું આ બંનેને કહેતી રહું છું કે, જાતને વ્યસ્ત રાખવા માટે તમારે સતત કશું કરતા રહેવું જોઈએ. કોક દિવસ આપણે ત્રણેએ એક નાટક કરવું જોઈએ, જેમાં આપણે આપણી જ ભૂમિકા કરીએ અને એમાં વાતો કરીએ, એકબીજાંની ખીલ્લી ઉડાવીએ.”

હમણાં થોડા દિવસ પહેલાં ટ્વિંકલ ખન્નાને વહીદા રહેમાન સાથે એક નાનકડો ઈન્ટરવ્યુ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એમાં ટ્વિંકલે પૂછ્યું હતું કે, “હવે જીવનમાં શું કરવાનું બાકી રહ્યું છે?” ત્યારે વહીદાએ આંખનું મટકું માર્યા વગર કહ્યું હતું, “સ્કુબા ડાઈવિંગ.”

ટ્વિંકલ સ્તબ્ધ થઇ ગઈ, “૮૧ વર્ષની ઉંમરે સ્કુબા ડાઈવિંગ કરવું છે?”

“તો શું થયું?” વહીદાએ વળતો સવાલ કર્યો, “હું તંદુરસ્ત હોઉં, તો હું એ પણ કરી શકું.”

આ જે “તો શું થયું?” સવાલ છે, તેમાં ઢળતી ઉંમરે કેવી રીતે વ્યસ્ત અને સકારાત્મક જીવાય, તેનો મંત્ર છુપાયેલો છે.

પ્રગટ : લેખકની ‘બ્લોકબસ્ટર’ નામક સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 જાન્યુઆરી 2020

Loading

ઉત્તમ વાચન સાથે ગુજરાતનો સિત્તેર વર્ષથી મેળાપ કરાવનાર ‘લોકમિલાપ’ના પુણ્યના વેપારને પૂર્ણવિરામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|24 January 2020

ગુજરાતી ભાષાનાં અનન્ય પ્રકાશન અને પુસ્તકભંડાર ‘લોકમિલાપ’ આ રવિવારે વિદાય લેશે. લોકમિલાપ પુસ્તકો વાંચનાર-વસાવનાર લોકોના જીવનનો હિસ્સો છે. ભાવનગરનાં લોકમિલાપે રસાળ, સુબોધ અને સત્ત્વશીલ સાહિત્યનાં પુસ્તકો થકી ગુજરાતને વાંચતું રાખ્યું.

દેશના પહેલા લોકતંત્રદિન 26 જાન્યુઆરી 1950થી લઈને આજ સુધી લોકમિલાપે ઓછા દરે લગભગ અવિરતપણે બહાર પાડેલાં પુસ્તક-પુસ્તિકાઓ અક્ષરશ: લાખોની સંખ્યામાં ગુજરાતી વાચકોએ વસાવ્યાં છે. લોકમિલાપ પુસ્તકભંડાર ભાવેણાનું ઘરેણું હતો. વળી, ઑનલાઈનના જમાના પહેલાં સાઠ વર્ષ સુધી તેણે દુનિયાભરના વાચનપ્રેમીઓ સુધી પુસ્તકો પહોંચાડ્યાં. તેના માટે ટપાલસેવાના ઉપયોગ કરવા ઉપરાંત સેંકડો પુસ્તકમેળાઓ પણ યોજ્યા. પુસ્તકમેળો શબ્દ લોકજીભે ચઢ્યો તે લોકમિલાપને કારણે.

લોકમિલાપે ખૂબ વ્યવસાયકુશળતા એટલે કે પ્રોફેશનાલિઝમથી ઉત્તમ પુસ્તકોનાં પ્રકાશન અને વેચાણનો વ્યાપાર  કર્યો. પણ તેના સ્થાપક મહેન્દ્ર મેઘાણી માટે  તે ‘પુણ્યનો વેપાર’ હતો. ગયાં ત્રીસેક વર્ષથી ‘લોકમિલાપ’ની ખૂબ ચીવટ અને ચોકસાઈભરી પ્રચંડ કામગીરી મહેન્દ્રભાઈના ચિરંજીવી અને પુત્રવધૂ ગોપાલભાઈ અને રાજુલબહેનનાં સમર્પણને કારણે શક્ય બની છે.

મહેન્દ્રભાઈ ‘લોકમિલાપ’નો પર્યાય છે. અત્યારે 96 વર્ષના મહેન્દ્રભાઈને લોકોએ ‘ગુજરાતના ગ્રંથના ગાંધી’  તરીકે પોંખ્યા છે. ગયા સાત દાયકા દરમિયાન ‘લોકમિલાપે’ બહાર પાડેલાં બસો કરતાં ય વધુ પુસ્તકોનાં નિર્માણની કામગીરી લગભગ સંપૂર્ણપણે મહેન્દ્રભાઈનાં શબ્દકર્મને આભારી છે. પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા માટેની સામગ્રીની પસંદગીથી શરૂ કરીને પુસ્તક કોઈ ભૂલ વિના વાચકના હાથમાં અને ત્યાંથી સોંસરું તેના હૈયામાં પહોંચે ત્યાં લગીની આખી ય સાંકળની દરેક કડીમાં ‘શબદના સોદાગર’ મહેન્દ્ર મેઘાણીની સમાજલક્ષી સાહિત્યની ઊંડી સમજ અને સખત મહેનત છે.

મહેન્દ્રભાઈએ પુસ્તકો તેમ જ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, અને નિવડેલાં સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન-પ્રસારનું જે કામ આજીવન કર્યું છે તે લોકોત્તર છે. તેમાં ન્યોછાવરી કે ત્યાગનો દાવો તેમણે કર્યો નથી. પણ ટૉલ્સ્ટૉય-ગાંધી પ્રણીત ‘બ્રેડ-લેબર’ એટલે કે ઇમાનદારીપૂર્વકના સખત સતત ઉત્પાદક પરિશ્રમ દ્વારા વધુ સારી દુનિયા બનાવવાની કોશિશની જરૂર કરી છે. ‘ઇતિહાસમાં બૅલટ કે બુલેટથી ક્રાન્તિઓ આવી હશે, ‘લોકમિલાપ’ બુક્સથી ક્રાન્તિ લાવવા ધારે છે’, એવું મહેન્દ્રભાઈનું જાણીતું કથન છે.

જ્ઞાન થકી દેશના ઘડતરનાં આદર્શ સાથે ઝવેરચંદ મેઘાણીના પુત્ર એવા મહેન્દ્રભાઈએ પહેલા પ્રજાસત્તાક દિને અંગ્રેજી ‘રિડર્સ ડાયજેસ્ટ’ ઢબનું ‘મિલાપ’ માસિક શરૂ કર્યું. તેમાં ઓગણત્રીસ વર્ષ લગી વિવિધ સામાયિકોમાંથી સભાન અને સંવેદનશીલ નાગરિકના ઘડતરમાં ફાળો આપી શકે તેવી સામગ્રીને તારવણી-સારવણી અને ટૂંકાણ-તરજુમા થકી ગુજરાતી વાચકોને પૂરી પાડી.

બીજી બાજુ, લોકમિલાપ પુસ્તકભંડારમાંથી દેશ અને દુનિયાનાં નિવડેલાં પુસ્તકોનાં વેચાણમાંથી ધોરણસરની આવક થતી ગઈ. એટલે ઘસાઈને ઉજળા થવામાં માનનાર મહેન્દ્રભાઈએ ‘નહીં નફો નહીં નુકસાન’નાં ધોરણે ઉત્તમ સાહિત્ય સસ્તા દરે લોકોને પૂરું પાડવા માટે જાણે ઝુંબેશ હાથ ધરી. ગુજરાતી સાહિત્યકૃતિઓની ઓછી કિંમતની આવૃત્તિઓ જુદા જુદા સંપુટો સ્વરૂપે લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી 1970થી વીસેક વર્ષ લગી વિક્રમો સર્જ્યા. આ બધા સંપુટોની ખાસિયત એ હતી કે ખૂબ સુઘડ રીતે છપાયેલાં, સાદગીભરી સુંદરતાવાળા મુખપૃષ્ઠો સાથેનાં, સાતસોથી નવસો પાનાંનું અચૂક ગુણવત્તાવાળું વાચન વધુમાં વધુ દસથી બાર રૂપિયામાં મળી રહેતું.

‘કાવ્ય-કોડિયાં’ થકી લોકમિલાપે કવિતાઓને ગુજરાતના કેટલાં ય ઘરોમાં રમતી કરી. ‘કાવ્ય-કોડિયાં’ એ કવિતાની ચાળીસ રૂપકડી ખીસાપોથીઓ અર્થાત્‌ પૉકેટ-બુક્સ હતી. ઘાટ-ઘડામણમાં થોડા ફેરફાર સાથે ખીસાપોથીઓની હારમાળા પછીનાં વર્ષોમાં, છેક હમણાં 2011 સુધી ચાલુ રહી. અનેક પ્રકારનાં લખાણો પરની ખીસાપોથીઓ આવી. ગયાં દસેક વર્ષમાં પંદર લાખ ખીસાપોથીઓ ગુજરાતી વાચનારા લોકોના ખીસામાં ગઈ છે !

લોકમિલાપનું એક મોટું મોજું હજારો ઘરો અને ગ્રંથાલયોમાં પહોંચ્યું તે 2003થી ચાર વર્ષ દરમિયાન બહાર પડતાં રહેલાં ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ થકી. તેનો આધાર હતો તે ‘મિલાપ’માંનાં લખાણો. ‘અરધી સદી’ના પાંચસો જેટલાં પાનાંના દરેક ભાગની કિંમત પંચોતેર રૂપિયા, જેનો બજાર ભાવ ચારસો રૂપિયા હોય.

લોકમિલાપે સમાજઘડતર માટે કરેલાં કેટલાંક કામોનો ગુજરાતમાં જોટો નથી. જેમ કે તેણે ભાવનગરમાં ફિલ્મ-મિલાપ ઉપક્રમ ચલાવ્યો. જેમાં 1970ના દાયકામાં દર રવિવારે માત્ર એક રૂપિયામાં ઉત્તમ ફિલ્મો બતાવી. તેમાં આવવા-જવા-બેસવામાં મહેન્દ્રભાઈએ સહજ રીતે શિસ્ત અને સમયપાલન માટે કેળવ્યાં. તેમની પાસેથી ખાઉ તરીકે મળતા એક-એક ઘઉંના લોટના બિસ્કિટની સાથે તમામ ઘરોમાંથી આવતા બાળપ્રેક્ષકો આનંદને સંતોષથી અને સરખા ભાગે માણતાં થયાં.

ન માની શકાય તેવી વાત તો 1979ના આંતરરાષ્ટ્રીય બાળક વર્ષની છે. આ વર્ષની ઉજવણી કરવા મહેન્દ્રભાઈએ ભારતમાં બહાર પડેલાં બાળસાહિત્યનાં અંગેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો. પછી તેમણે ‘એર  ઇન્ડિયા’ને સૂચન કર્યું કે લોકમિલાપના બે પ્રતિનિધિઓને યુરોપ અને અમેરિકાના પ્રવાસ માટેની બે ટિકિટો ‘એર ઇન્ડિયા’ આપે. તેની સામે લોકમિલાપ એર ઇન્ડિયાને એટલી કિંમતના બાળસાહિત્યના સેટ આપશે. તે સેટ વિમાન-કંપની દુનિયાભરના દેશોમાં આવેલી તેની કચેરીઓમાં આવનાર યજમાન દેશના બાળકોને બાળવર્ષ નિમિત્તે ભારતનાં બાળકો તરફથી ભેટ આપે. તેમની આ યોજનાને કંપનીએ તરત વધાવી લીધી, અને એ મુજબ યુરોપ-અમેરિકાના દેશોમાં લોકમિલાપના બે પ્રતિનિધિઓએ કુલ અગિયાર મહિના સુધી બાળસાહિત્યનાં પ્રદર્શનો યોજ્યાં.

એક વર્ષે સ્વીડને ભારતનું નેવું કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. મહેન્દ્રભાઈએ એવી ગણતરી માંડી કે તે વખતે ભારતના 60 કરોડ કુલ નાગરિકોમાંથી દરેકને 90 લાખથી પણ ઓછી વસ્તી ધરાવતા સ્વીડનના દરેક નાગરિકે નેવું રૂપિયાની ભેટ આપી. તેના ઋણસ્વીકાર તરીકે મહેન્દ્રભાઈએ યોજના ઘડી કે ગુજરાતના વાચકો સ્વીડનનાં બાળકો માટે પુસ્તક-ભેટ મોકલે. તેમની ટહેલને લોકોએ ઝીલી. મહેન્દ્રભાઈએ ચૂટેલાં અંગ્રેજી બાળપુસ્તકોના નેવુ રૂપિયાનો એક એવા સો સેટ બનાવીને સ્વીડીશ રાજદૂતને પહોંચાડ્યા.

મહારાષ્ટ્રના ઔરંગાબાદના શિક્ષક હેરંબ કુલકર્ણીએ દેશના અસમાનતાના માહોલમાં છઠ્ઠા પગારપંચનું વેતન વધારે લાગતું હોવાથી અંતરાત્માના અવાજને અનુસરીને તેનો અસ્વીકાર કર્યો અને તે અંગે સરકારને જાહેર પત્ર પણ લખ્યો. આ પત્રનો ગુજરાતી અનુવાદ વાંચીને મહેન્દ્રભાઈએ કુલકર્ણીને લોકમિલાપનાં પુસ્તકો ભેટ મોકલ્યાં.

જાન્યુઆરી 1999માં ઓરિસ્સાના મનોહરપુરમાં સેવાકાર્ય કરતાં મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેનાં બે બાળકોને હિન્દુત્વવાદીઓના ઝનૂની જૂથે જીવતાં બાળી મૂક્યાં. અત્યંત વ્યથિત મહેન્દ્રભાઈએ એ કરુણાર્દ્ર હાકલનો પત્ર લખીને એકઠી થયેલી રકમમાંથી સ્ટેન્સનાં પત્ની ગ્લૅડિસને પુસ્તકો અને સહાય મોકલ્યાં.

ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી ગાળામાં લોકમિલાપે ‘સહુને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન’ નામે અવતરણોની સોળ પાનાંની ખીસાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી.

ગુજરાતનાં 2002નાં રમખાણો દરમિયાન મહેન્દ્રભાઈએ સાહિત્યના માનવતાવાદી કર્મશીલ તરીકે ‘આંસુ લૂછવા જાઉં છું …’ નામે સંક્ષેપ-અનુવાદનું પુસ્તક આપ્યું. તેમાં ગાંધીજીએ તેમના છેલ્લા પંદર મહિના દરમિયાન, ભાગલાને પરિણામે લાગેલા કોમી દાવાનળને ઠારવા માટે નોઆખલી પંથકમાં એકલવીરના આત્મબળથી ચલાવેલ શાંતિતપની ઝાંખી મળે છે. તેની પ્રસ્તુતતા વિશે એમણે કહ્યું છે : ‘તેમાં ગુજરાતનું નામ દીધા વિના ગુજરાતની પરિથિતિનું વર્ણન અને ઉકેલ ગાંધીજીએ બતાવ્યાં છે.’ 

લોકમિલાપના અનંત અહેસાન તરફ આભારના પ્રતીક તરીકે આ રવિવારે સવારે અગિયાર વાગ્યે ‘સાર્થક પ્રકાશન’ મહેન્દ્રભાઈની દીર્ઘ મુલાકાત પરનું એક પુસ્તક તેમને ઔપચારિક કાર્યક્રમ વિના પુસ્તકભંડારમાં જ અર્પઁણ કરશે. ગુજરાતભરના વાચકો જ્યાં હશે ત્યાંથી લોકમિલાપને રવિવારે મનોમન વિદાય-વંદના પાઠવશે.

*****

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 24 જાન્યુઆરી 2020ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની રજૂઆત] 

Loading

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 January 2020

હૈયાને દરબાર –

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો …

પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો …

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

•   કવિ : અનિલ જોશી    •   ગાયક-સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય

———————

God smiled when he made daughters
God smiled when he made daughters
Because he knew he had created love and happiness

– For every mom and dad.

અંગ્રેજી ભાષાની આ ઉક્તિ સાચી છે.

દિ’ વાળે એ દીકરી એ પારંપારિક કહેવત તમને યાદ જ હશે. દીકરી એ ઘરનું અજવાળું છે, જીવન ઉત્સવ છે, જિંદગીનું સાર્થક્ય છે. કવિ અનિલ જોશી એટલે જ કહે છે કે દીકરીના ચપટીક અજવાળા સામે એક કરોડ સૂર્ય પણ ઝાંખા પડી જાય છે. ખુદ સૂર્યને આંગણે દીકરીનો માંડવો બંધાય તો સૂરજને ખબર પડે કે અંધારું શું ચીજ છે!

ઘરને ઉજાળનારી આવી દીકરી પરણીને વિદાય થાય ત્યારે મા-બાપનું કાળજું કેવું કંપી ઊઠે એનો ખ્યાલ તો જેને ત્યાં દીકરી હોય એ જ જાણે!

અંગતપણે કહું તો દીકરી હોવી એ મારું ઓબ્સેશન હતું. દીકરો નહીં હોય તો ચાલશે પણ દીકરી તો જોઈશે જ. બ્રાહ્મ મુહૂર્તમાં દીકરી જન્મી ત્યારે હિમાલયના કોઈક નાનકડા મંદિરમાં એકસાથે રૂપાની ઘંટડીઓ બજી ઊઠી હોય એવી અનુભૂતિ થઈ હતી. પુત્રી જન્મની ખુશાલીમાં અમે પેંડા વહેંચ્યા હતા. નાનકડો રતૂમડો ચહેરો, પરવાળાં જેવા ગુલાબી હોઠ અને કપાળમાં કુદરતી રીતે કંડારાયેલો લાલ ચાંદલો. જન્મ સમયે આ નવજાત બાળકીના કપાળની બરાબર વચ્ચે રક્ત જમા થઈ ગયું હતું એ બિલકુલ ચાંલ્લા જેવું લાગતું હતું. મારી માએ પોતાની લાલ રંગની મલમલની બાંધણીમાં એ કુમળી કળીને લપેટી હતી. લેબરરૂમમાંથી બહાર આવ્યા પછી પારણામાં ઝૂલતી દીકરીનું આ પહેલવહેલું દર્શન. લાલ ચૂંદડી ઓઢીને પોઢેલી નવજાત દીકરીને જોઇ આંખમાં ઝળઝળિયાં આવી ગયેલાં. આવી સુંદર, નાજુક-નમણી દીકરી મોટી થતાં આવું જ લાલ પાનેતર પહેરીને પારકી થઈ જશે?

દીકરીના જન્મ સાથે જ માતાને આવો વિચાર આવે એ સ્વાભાવિક છે. કવિ દાદની શ્રેષ્ઠ રચના :

કાળજા કેરો કટકો મારો
ગાંઠથી છૂટી ગ્યો
મમતા રોવે જેમ વેળુમાં
વીરડો ફૂટી ગ્યો …

લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો
‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ
હું તો સૂનો માંડવડો …

કાળજા સોંસરવું નીકળી જાય એવું આ કન્યાવિદાયનું ગીત છે. ડાયરામાં જ્યારે આ ગીત રજૂ થાય ત્યારે દર્શકોમાં કરુણતાનો મહાસાગર હિલ્લોળે ચડે. વાયોલિન જેવા કરુણ વાદ્યમાંથી ડૂસકાં ભરતા કરુણતાના સ્વરો શ્રોતાઓનું હૈયું ભીંજવી જાય અને ઓડિયન્સ હીબકે ચઢે.

કન્યાવિદાયનું આવું જ એક આધુનિક ગીત છે ઝળહળતા કવિ અનિલ જોશીનું.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે …

અનિલ જોશીનો જન્મ ગોંડલમાં. ગ્રામ્ય પરિવેશનું તળપદીપણું એમનાં અનેક કાવ્યમાં પ્રતિબિંબિત થાય છે. કન્યાવિદાયનો સૌથી પ્રાચીન પ્રસંગ ‘અભિજ્ઞાન શાકુંતલમ્’માં વર્ણવાયો છે. શકુંતલાની વિદાય વખતે આશ્રમનાં વૃક્ષ પોતાનાં પર્ણ ખેરવીને આશીર્વાદ આપે છે તો કોયલ મધુર ટહુકાથી વિદાયની અનુજ્ઞા આપે છે એનું વર્ણન હૃદયદ્રાવક છે. મંગલ કામના પ્રગટ કરતાં કણ્વ મુનિ કહે છે, "શકુંતલાનો જીવનમાર્ગ મંગલકારી તથા મંદ અને સુસંગત પવનવાળો બની રહો. પિતાનું પ્રેમાળ હૃદય દીકરીની વિદાયવેળાએ પવનને સાનુકૂળ થવા વિનવે છે. કન્યાવિદાયનું આ સંવેદનશીલ કાવ્ય કોઇ પણ બાપ, જેણે દીકરી વળાવી છે તેની આંખ ભીંજવી દેવા સક્ષમ છે. હસતી-રમતી નાનકડી પરીને પારકા દેશમાં કે પારકા ઘરમાં મોકલ્યા પછી સર્જાનાર શૂન્યાવકાશ પિતાને ડરાવે છે.

અનિલ જોશીની સુંદર કવિતા સમી સાંજનો …ના શબ્દે-શબ્દમાં પણ ‘કન્યા વિદાય’ વખતની પિતાની વેદના આબાદ રીતે ઝીલાઇ છે. દીકરી પરણીને સાસરે જાય એ સાથે જ પિતાના ઘરમાં સુનકાર છવાઈ જાય છે, એ વેદના કવિએ "ખડકી પાસે ઊભો રહીને, અજવાળાને ઝંખે પંક્તિ દ્વારા સુંદર રીતે રજૂ કરી છે. દીકરીના ગયા પછી પિતાના દિલનો અને ઘરનો એક ખૂણો હંમેશાં માટે ખાલી થઈ જાય છે. દીકરીની ઝાંઝરીનો રણકાર અને એનો મીઠો ટહુકો સાંભળવા માટે પિતાના કાન તરસી જાય છે. પિતાની મહામૂલી ‘મૂડી’ અચાનક ‘પારકી થાપણ’ બની જાય છે!

અનિલ જોશીના આ અમર ‘કન્યા વિદાય’ કાવ્યમાં ગીતના શબ્દે-શબ્દે વ્હાલ અને કન્યા-વિદાયનું દર્દ જ નીતરે છે. પછી એ શબ્દોને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સૂરોત્તમનું સ્વરાંકન અને સ્વર મળે ત્યારે એ ઓર દીપી ઊઠે છે.

કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે –

એ કેવી ઉમદા અને અનોખી કલ્પના! દીકરીની વિદાય સાથે આખું ફળિયું જાણે ખાલીખમ થઈ જાય છે. ફળિયામાં રૂમરૂમ રમતી લાડલી કેસરિયાળા સાફાની સાથે આખું ફળિયું ખાલી કરી દે છે. કવિની કાવ્યકલા આ એક વાક્યમાં સંપૂર્ણ ખીલી છે. કવિએ તેમની કલ્પનાશક્તિનો પરિચય બાપ અને દીકરીની વ્યથા બંને સ્વરૂપે આપ્યો છે.

પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;

પાદર બેસી માવતરને રડતી આંખે જોતી દીકરીની વાત, ફફડી ઉઠતી ઘરચોળાની ભાત તો અતિ સુંદર અને લાગણીભીનું સુંદર કલ્પન છે. તે રડે છે કારણ તેનાં સૌ પરિચિત પિયરિયાં હવે પરાયા થવાના છે અને નવા સાથી જોડે નવું જીવન જીવવાનું છે.

આ પંક્તિઓમાં વેદના ચરમસીમાએ પહોંચે છે :

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

જાન વળાવી પાછા ફરેલા બાપનો ખાલીપો દીવડો થર થર કંપેનાં પ્રતીકથી બહુ જ બળૂકી રીતે અનિલ જોશી જેવા સમર્થ કવિ લખી શકે.

‘કન્યાવિદાય’ જેવા બહુ ખેડાયેલા વિષયમાં સંપૂર્ણ નવી તાજગી અને નવા કલ્પનો એ તેમને અને તેમની કૃતિને સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચતમ કક્ષા અપાવી છે.

અનિલ જોશી આ ગીત સાથે સંકળાયેલી હૃદયસ્પર્શી વાત કરે છે. "આ ગીત ૧૯૬૬-૬૭માં લખાયું હતું. એ વખતે મારા લગ્ન પણ નહોતાં થયાં. હું, કવિ રાજેન્દ્ર શુક્લ તથા ધીરેન્દ્ર મહેતા અમદાવાદની હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં આ ગીત લખાયું હતું. કવિના મનમાં અનેક ઘટનાઓ ઘોળાતી હોય છે. એ રીતે શકુંતલાની વિદાયના પ્રસંગનો મારા પર બહુ મોટો પ્રભાવ હતો. પરંતુ, અન્ય એક ઘટના મારે માટે યાદગાર હતી. હું ઘણો નાનો હતો. બાર-તેર વર્ષનો. કિશોરાવસ્થા એટલે આકર્ષણ, પ્રેમ જેવી લાગણીઓની શરૂઆત. મને મારાથી થોડી મોટી એક છોકરી બહુ ગમતી હતી. એ ઘણી મેચ્યોર અને સુંદર હતી. નિર્દોષ પ્રેમ સિવાય એ ઉંમરે બીજું તો શું હોય? અમારા ફળિયામાં એ રહેતી. ત્યાં સ્ત્રીઓ ડાંગર, ચોખા તથા બીજાં અનાજ છડે અને સૂપડામાં લઈ ફોતરાં ઉડાડી અનાજ રાખી લે. મગફળી, લીલા ચણા પણ ઘરની સ્ત્રીઓ ઓટલે બેસીને ફોલે. હું અને એ છોકરી એક રમત રમતાં. મારા ઘરે એ આવે ત્યારે એક મૂઠીમાં દાણા અને બીજીમાં ફોતરાં ભરીને લાવે અને મને કોઈ પણ એક મૂઠી ખોલવા કહે. હું જે મૂઠી ખોલું એમાંથી ફોતરાં જ નીકળે. મને હંમેશાં થાય કે મારા નસીબમાં ફોતરાં જ? અમુક વર્ષ પછી એનાં લગ્ન નક્કી થયાં. વિદાય વેળાએ બધાંને મળ્યા પછી મારી પાસે આવી. હું તો વ્યથિત હૃદયે ઘરની અગાશીએ જઈને વિદાય પ્રસંગ જોઈ રહ્યો હતો. એ ઉપર આવી. બન્ને મુઠીઓમાં કંઈક ભરીને લાવી હતી. મને એક મુઠ્ઠી ખોલવા જણાવ્યું. મેં એ ખોલી ત્યારે એમાંથી દાણા નીકળ્યા. હું તો ખુશ થઈ ગયો. એણે બીજી મુઠ્ઠી ખોલવા કહ્યું. એમાંથીય દાણા નીકળ્યા. મારી આંખમાં આંસુનાં તોરણ બંધાયાં. મને જિતાડવા આવી અંચાઇ? બન્ને હાથમાં એ દાણા લઈ આવી હતી! મેં કહ્યું કે મારા નસીબના ફોતરાં ક્યાં છે? એણે આંખો ઢાળી દીધી. હથેળી ખુલ્લી હતી. હાથમાં ઝીણી ઝીણી મેંદી મૂકેલી હતી. ઝીણાં ફોતરાં જ લાગે. એ જોઈને મને થયું કે મેંદી મુકાવીને એ મારા નસીબના ફોતરાં લઈને ચાલી ગઈ. એ વખતે મને મારા પોપચાં પણ ફોતરાં જેવાં લાગ્યાં હતાં!

આખી વાત કેટલી સંવેદનશીલ છે! આ જ ઘટના સમી સાંજનો ઢોલ ગીતમાં જુદા સ્વરૂપે આકારાઈ છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સર્વોત્તમ સંગીતકારના સ્પર્શે આ ગીત અપાર લોકચાહના પામ્યું જ છે, પરંતુ આ ગીત પર કોઈએ ખૂબ સરસ નૃત્ય કોરિયોગ્રાફી કરીને વીડિયો બનાવ્યો છે જેમાં એકસાથે પચાસેક છોકરીઓ નૃત્ય કરી રહી છે. ગીતનું આ નવીન સ્વરૂપ કહી શકાય.

પરંતુ, આપણા સિદ્ધહસ્ત કવિ રમેશ પારેખે એને લગ્નના ઢાળમાં કમ્પોઝ કર્યું છે. મૃદુલા દેસાઈએ એક કાર્યક્રમમાં એ અદ્ભુત રીતે રજૂ કર્યું હતું.

કન્યા વિદાયનો પ્રસંગ કરુણ અને મંગલમય છે. તેથી જ એ બીજા કોઈપણ પ્રસંગ કરતાં અનોખો પ્રસંગ છે. મા-બાપના વ્હાલ અને વેદનાનું અજબ વલોણું દિલમાં ઉલ્કાપાત મચાવે છે.

કવિ અનિલ ચાવડાની કન્યાવિદાયની આ પંક્તિઓ પણ હૃદયદ્રાવક છે :

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હૂંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતાં એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું …

ખલિલ જિબ્રાને સાચું જ લખ્યું છે :

"જ્યારે રેતી સિવાય બીજું કશું જ ન હોય, એવા વેરાન રણ જેવું હોય છે પુરુષનું જીવન, સિવાય કે મારી જેમ ઈશ્વરે એને ટચૂકડી રાજકુમારીની ભેટ ધરી હોય. હું તો એટલે સુધી કહું છું કે જેમને ઘેર દીકરી ન જન્મી હોય તેમણે તે ગોદ લઈ લેવી જોઈએ. એટલા માટે કે કાળનું રહસ્ય તથા તેનો અર્થ સમજવાની કૂંચી નાનકડી બાલિકાઓના હૈયામાં ભગવાને સંતાડેલી હોય છે.”

સમી સાંજનો ઢોલ સાંભળવાનું ચૂકતા નહીં. અનેક કલાકારોના કંઠે ઉપલબ્ધ છે. કન્યાવિદાયનું એ અપ્રતિમ ગીત છે.

—————————————

સૌજન્ય : લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 જાન્યુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=619964 

Loading

...102030...2,5592,5602,5612,562...2,5702,5802,590...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved