Opinion Magazine
Number of visits: 9576320
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં ભાવિ વિકાસ : માન્યતા, હકીકત અને થોડી વિચારણા

રમેશ બી. શાહ|Opinion - Opinion|2 February 2020

ભારતના અર્થતંત્રમાં અત્યારે વાતચીતની ભાષામાં મંદી અને થોડા શાસ્ત્રીય સ્વરૂપની ભાષામાં ‘સ્લોડાઉન’ ચાલે છે. ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે તેને ‘ગ્રેટ સ્લોડાઉન’ તરીકે વર્ણવ્યું અને ઉમેર્યું કે ભારતનું અર્થતંત્ર અત્યારે ‘આઈ.સી.યુ.’માં છે, મતલબ કે કટોકટીભરી સ્થિતિમાં છે. અની સામે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પાનગરિયાનો મત છે. તેમના મત પ્રમાણે ભારતના અર્થતંત્રમાં અત્યારે જે સ્થિતિ પ્રવર્તે છે, તે કોઈ રીતે અપૂર્વ કે અસામાન્ય નથી. ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પછી જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં આવી મોટી ગણી શકાય એવી વધઘટ થતી રહી છે. ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર કાયમ માટે નીચી સપાટી પર ઊતરી ગયો છે એમ માનવાની જરૂર નથી. બૅંકોની ખરાબ લોનોના પ્રશ્ન ઉકેલાઈ જતાં બૅંકોની ધિરાણ આપવાની ક્ષમતામાં વધારો થશે અને ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર પૂર્વવત્‌ ઊંચી સપાટી પર પહોંચી જશે.

એક હકીકત તરીકે પાનગરિયાની દલીલમાં તથ્ય છે. ૧૯૯૧ પછીનાં  વર્ષોમાં ભારતની જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં મોટી વધઘટ જોવા મળે છે. દા.ત. ૧૯૯૫-૯૬ના વર્ષમાં તે દર ૭.૪ અને તે પછીના વર્ષમાં ૮.૩ ટકા હતો, પરંતુ ૧૯૯૭-૯૮ના વર્ષમાં તે ઘટીને ૪.૧ ટકા થયો હતો. ૧૯૯૯-૨૦૦૦ના વર્ષમાં તે ૭.૫ ટકા હતો, પણ ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં તે ઘટીને ૩.૭ ટકા હતો, અને ૨૦૦૩-૦૪થી ૨૦૧૧-૧૨નાં નવ વર્ષ સતત ઊંચી સપાટી પર રહ્યો. એ વર્ષોમાં જી.ડી.પી.નો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર ૮.૨ ટકા રહ્યો. અમેરિકામાં ૨૦૦૮માં સર્જાયેલી વિત્તીય કટોકટીએ દુનિયામાં મોટા ભાગના દેશોને મંદીમાં ધકેલી દીધા હતા, પરંતુ ભારત અને ચીન મંદીને ખાળી શક્યા હતા. ૨૦૧૨-૧૩નું વર્ષ નીચા વૃદ્ધિદરનું હતું, પરંતુ ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯નાં વર્ષો ફરીથી ૭.૫ ટકા જેવો ઊંચા વૃદ્ધિદરનાં હતાં. ૨૦૧૯-૨૦નું ચાલુ વર્ષ નીચા વૃદ્ધિદરનું (પાંચ ટકાની આસપાસ) રહેશે. આમ, ૧૯૯૧ પછીના ત્રણ દસકા દરમિયાન જોવા મળેલી જી.ડી.પી.ના વૃદ્ધિદરની તરેહના સંદર્ભમાં ભારતમાં વર્તમાન સ્લોડાઉન એક સામાન્ય ઘટના છે …, પણ ચર્ચવાનો પ્રશ્ન બીજો છે.

ભારતમાં ૨૦૦૩-૦૪થી ૨૦૧૧-૧૨નાં નવ વર્ષ દરમિયાન જી.ડી.પી.નો વૃદ્ધિદર એકંદરે આઠ ટકાથી અધિક રહ્યો. તેમાંથી એક મત બંધાયો છે અને એક અપેક્ષા-આકાંક્ષા ઉદ્‌ભવી છે : ભારતનું અર્થતંત્ર લાંબા સમય માટે જી.ડી.પી.ના આઠ ટકાના દરને ટકાવવાની ક્ષમતા ધરાવે છે, તેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે શ્રી પાનગરિયાએ આવું એક વિઝન આલેખ્યું હતું. ૨૦૧૫-૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથા દીઠ આવક રૂ. ૧,૦૬,૫૮૯ હતી. પંદર વર્ષ દરમિયાન તે વધીને ૨૦૩૧-૩૨માં કુલ જી.ડી.પી. રૂ. ૪૬૯ લાખ કરોડ થશે અને માથા દીઠ આવક રૂ. ૩,૧૪,૭૭૬ થશે. આ ગુલાબી ચિત્ર પાછળ એક ધારણા રહેલી હતી : પ્રસ્તુત પંદર વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી.માં સાતત્યપૂર્ણ રીતે આઠ ટકાના દરે વૃદ્ધિ થયા કરશે. જે પ્રશ્ન વિચારવાનો છે, તે આ અપેક્ષામાંથી ઊભો થાય છે : ભૂતકાળમાં ૧૯૫૦થી ૧૯૮૦ સુધી જેમ ભારતની જી.ડી.પી.નો નૉર્મલ વૃદ્ધિદર ૩.૫ ટકાનો હતો, તેમ ગયા દાયકાથી શરૂ કરીને હવે પછીના દોઢ બે દસકા દરમિયાન ભારતની જી.ડી.પી.નો નૉર્મલ વૃદ્ધિદર ૮થી ૯ ટકા રહેશે. એવી અપેક્ષા કે ધારણા રાખવા માટે આપણી પાસે ખરેખર કોઈ આધાર છે ખરો?

આ પ્રશ્ન ઊભો થવાનાં કારણો છે. ૧૯૬૦ પછી પૂર્વ એશિયાના જે કેટલાક દેશોમાં ‘ચમત્કારિક’ ગણાયેલો વિકાસ થયો હતો. તેમાં ચીનનો અપવાદ બાદ કરતાં કોઈ દેશમાં બે-ત્રણ દાયકાના લાંબા સમયગાળામાં આઠ ટકાનો જી.ડી.પી.નો વૃદ્ધિદર જોવા મળ્યો નથી. ૧૯૭૫થી ૨૦૦૫ના ત્રણ દસકા દરમિયાન સિંગાપોરમાં સરેરાશ ૬.૯ ટકાનો, દક્ષિણ કોરિયામાં ૫.૭ ટકાનો અને હૉંગકોંગમાં ૪.૪ ટકાનો જી.ડી.પી.નો વૃદ્ધિદર માલૂમ પડ્યો હતો. વિકસિત દેશો(OECD)માં તે ૨.૮ ટકાનો હતો. ચીનમાં તે ૯.૬ ટકા હતો. આમ ચીનનો એક માત્ર અપવાદ બાદ કરતાં કોઈ દેશમાં જી.ડી.પી.નો નોર્મલ વૃદ્ધિદર સાત ટકા સુધી પહોંચ્યો નહોતો. તેથી એકવીસમી સદીના પ્રથમ દસકામાં આરંભનાં વર્ષોમાં કેટલાક ઊભરતા વિકાસશીલ દેશોમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર સાત ટકા કે તેનાથી વધુ થયો, ત્યારે તેને ‘ચમત્કારિક’ વૃદ્ધિદર ગણવામાં આવ્યો હતો. અલબત્ત, એ ચમત્કાર ૨૦૦૮ની અમેરિકાની વિત્તીય કટોકટી સુધી જ રહ્યો. એ પછીનાં વર્ષોમાં મોટા ભાગના ઊભરતા વિકાસશીલ દેશોમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ચાર ટકાની સપાટી પર રહ્યો છે.

મુદ્દો એ છે કે ૨૦૦૮ સુધીના દસકાનાં વર્ષો દુનિયામાં જી.ડી.પી.ની વૃદ્ધિની દૃષ્ટિએ અસામાન્ય વર્ષો હતાં. વૈશ્વિકીકરણ તેની ટોચ પર પહોંચ્યું હતું, દુનિયાની નિકાસો સાત ટકાથી અધિક દરે વધી રહી હતી અને વિદેશી મૂડીરોકાણો વિકાસશીલ દેશો તરફ વળ્યાં હતાં. ભારતનો દાખલો લઈએ. તો ભારતની નિકાસો એ દસકામાં ૧૮ ટકા જેવા ઊંચા દરે વધી હતી, જે છેલ્લાં સાત વર્ષોમાં સ્થગિત અવસ્થામાં છે. હવે વૈશ્વિકીકરણનાં વળતાં પાણી થયાં છે અને રાષ્ટ્રવાદ ચલણમાં છે. વિશ્વવેપારમાં બે ટકા જેવા નીચા દરે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જી.ડી.પી.ના આઠ ટકા જેવા ઊંચા વૃદ્ધિદરના એક સ્રોત તરીકે નિકાસો પર મદાર રાખવાનો નથી.

આમ, બજારવાદી અર્થશાસ્ત્રીઓને ૧૩૦ કરોડ વસ્તી ધરાવતા ભારતના આંતરિક બજાર પર ભરોસો છે, પણ ભારતનું આંતરિક બજાર આઠ ટકાના જી.ડી.પી.ના વૃદ્ધિદરને ટકાવવા સક્ષમ છે કે કેમ તે એક પ્રશ્ન છે. ગ્રાહકોની સંખ્યાની દૃષ્ટિએ ભારતનું બજાર ઘણું મોટું છે, પણ ગ્રાહકો પાસે રહેલી કે આવતી ખરીદશક્તિની દૃષ્ટિએ જોતાં ભારતનું બજાર કેટલું મોટું છે, તે ચર્ચાનો વિષય છે. ભારતમાં છેલ્લા બે-ત્રણ દસકાઓ દરમિયાન જ વિદેશી મૂડીરોકાણો થયાં છે, તેનો મોટો ભાગ વીમા અને માહિતી ઉદ્યોગ જેવાં સેવાનાં ક્ષેત્રોમાં થયાં છે. અને ઉદ્યોગોમાં પ્રમાણમાં ઓછાં વિદેશી રોકાણો થયાં છે. તે માટે મજૂરકાયદા અને સરકારી તંત્રોના ભ્રષ્ટાચાર જેવાં કારણો હશે, પણ તેનો એક સૂચિતાર્થ સ્પષ્ટ છે : વિદેશી કંપનીઓને ભારતમાં વિવિધ ઔદ્યોગિક ચીજો માટે મોટું બજાર હોવાની પ્રતીતિ થઈ નથી.

ભારતમાં છેલ્લા ત્રણ દસકા દરમિયાન જે ઊંચા દરે જી.ડી.પી.માં વધારો થયો છે, તેની વહેંચણી ખૂબ અસમાન રીતે થઈ છે. ફ્રાન્સના અર્થશાસ્ત્રી પિકેટીએ પ્રગટ કરેલા એક અભ્યાસલેખમાં તેની વિગતો જોવા મળે છે. એ અભ્યાસલેખનું શીર્ષક માર્મિક છે : ‘ભારતમાં આવકની અસમાનતા, ૧૮૨૨-૨૦૧૪; બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી.’ તેમના તારણ પ્રમાણે ૧૯૮૦થી ૨૦૧૪ વચ્ચે વધેલી આવકનો ૧૧ ટકા હિસ્સો તળિયાના ૫૦ ટકા લોકોના ભાગે ગયો હતો; બીજે છેડે ટોચના ૧૦ ટકા લોકોના ભાગે ૬૬ ટકા જેટલો મોટો ભાગ ગયો હતો. આ બેની વચ્ચેના ૪૦ ટકાના ભાગે વધેલી આવકનો ૨૩ ટકા ભાગ ગયો હતો. આમ, દેશમાં ૯૦ ટકા લોકોના ભાગે, વધેલી આવકનો ૩૪ ટકા ભાગ જ ગયો હતો. એની સરખામણીમાં ટોચના ૧૦ ટકા લોકોના ભાગે ૬૬ ટકા આવક ગઈ હતી. હવે, આ સરખામણી ચીન સાથે કરવા જેવી છે. ચીનમાં ટોચના ૧૦ ટકા  લોકોના ભાગે વધેલી આવકનો ૪૪ ટકા ભાગ ગયો હતો અને બાકીના ૯૦ ટકા લોકોના ભાગે વધેલી આવકનો ૫૬ ટકા ભાગ ગયો હતો. મુદ્દો એ છે કે ભારતના ૯૦ ટકા લોકોના ભાગે વધતી આવકનો ઓછો ભાગ જતો હોવાથી ખરીદશક્તિની રીતે ભારતનું બજાર પ્રમાણમાં ઓછું વધે છે, તેથી તે જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદરને નિભાવી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. ચીન પણ નિકાસવૃદ્ધિમાં ઓટ આવતાં તેના જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદરને ટકાવી શક્યું નથી, તે અનુભવ આપણી નજર સમક્ષ છે.

ભારતમાં ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯નાં વર્ષોમાં જી.ડી.પી.નો ૭.૫ ટકાનો વૃદ્ધિદર ચીનના આ અનુભવના સંદર્ભમાં શંકાસ્પદ બની રહે છે. ઉપર નોંધ્યું છે તેમ ૨૦૧૩ પછી દેશની નિકાસો સ્થગિત થયેલી છે અને મૂડીરોકાણો ઘટ્યાં છે, છતાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૫ જેવી ઊંચી સપાટી પર રહ્યો તે ખરેખર ચમત્કાર ગણાય. આવા ઊંચા વૃદ્ધિદર છતાં બેકારી ૪૫ વર્ષની ટોચ પર પહોંચી તે પણ એક કોયડારૂપ ઘટના છે. સવાલ આંકડાઓની વિશ્વસનીયતાનો છે. ભારતના પૂર્વઆર્થિક સલાહકાર સુબ્રમણ્મે તો ભારતની જી.ડી.પી.ના સત્તાવાર વૃદ્ધિદરમાંથી અઢી ટકા બાદ કરવાનું કહ્યું છે. તે પ્રમાણે ૨૦૧૪થી ૧૯નાં વર્ષોનો વૃદ્ધિદર પાંચ ટકા ગણવો પડે અને ચાલુ વર્ષે અઢી ટકાનો ગણવો પડે.

ભારતમાં જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર બે કારણોથી જરૂરી છે. એક, ભારતમાં રોજગારી માંગતા યુવાનોની સંખ્યા આગામી વર્ષોમાં ટોચ પર પહોંચવાની છે, તેમને રોજગારીની સારી તકો પૂરી પાડવાની છે. રોજગારીની આ સારી તકોનો અર્થ બરાબર સમજાયો નથી. એનો મતલબ એ છે કે આ યુવાનોને વધુ ઉત્પાદક રોજગારી પૂરી પાડવાની છે. દેશના શ્રમિકોની ઉત્પાદકતા વધે તે ઊંચા દરે વધતી જી.ડી.પી.નો એક સ્રોત છે. આ યુવાનો લારી લઈને શાકભાજી વેચે કે પસ્તી ઉઘરાવવા જેવા વ્યવસાયોમાં રોજગારી મેળવે, તેમાં તેમની ગર્ભિત ઉત્પાદનશક્તિનો યોગ્ય ઉપયોગ નથી. તેમાં શ્રમિકોની ઉત્પાદનશક્તિ વેડફાય છે. પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં જે ચમત્કારિક વિકાસ સધાયો, તેનું રહસ્ય ઊભરતી જતી યુવાનોની સંખ્યાને ઉત્પાદક (સારી) રોજગારી પૂરી પાડવામાં છે. રોજગારીની સારી તકો માટેની માંગને આ હકારાત્મક અર્થમાં સમજવાની છે.

દેશમાં લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને સંતોષકારક જીવનધોરણ પૂરું પાડવા માટે જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર જરૂરી છે, પણ તે સાથે આવકની ઓછી અસમાન વહેંચણી થાય તે પણ જરૂરી છે. બીજા શબ્દોમાં, વિકાસ સર્વસમાવેશક (Inclusive) હોય તે જરૂરી છે. ભારતમાં છેલ્લા ત્રણ દસકા દરમિયાન સધાયેલા વિકાસે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, પણ તેમને સંતોષકારક જીવનધોરણ પૂરું પાડ્યું નથી. એ બધા કાયમ માટે ગરીબીમાંથી બહાર આવી ગયા છે એવું પણ કહી શકાય તેમ નથી. એવું પણ કરી શકાય તેમ નથી વિકાસ અબજોપતિઓ સર્જવા માટે કરવાનો નથી. ભારતમાં સધાયેલા વિકાસની આ એક મર્યાદા છે. ભારતના સમાજમાં જ્ઞાતિગત અસમાનતા જાણીતી છે. એ સમાજમાં બજારના માધ્યમથી સર્જાતો વિકાસ આર્થિક અસમાનતા પણ સર્જે તે સહજ છે, તેથી ભારતના સમાજમાં બજારના માધ્યમથી સધાતા વિકાસને સર્વસમાવેશક બનાવવા માટે મૌલિકતા દાખવવી પડે તેમ છે. મતલબ કે દેશની સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓને અનુલક્ષીને બજારપ્રથાને વિકસાવવી પડે. આ એક પડકારરૂપ કાર્ય છે. રોજગારીની સારી તકોનું સર્જન અને વિશાળ લોકસમુદાયને સંતોષકારક જીવનધોરણ પૂરું પાડવું. તે એક સિક્કાની બે બાજુ છે.

આ લંબાઈ ગયેલા લેખનું સમાપન કરીએ. ભારતમાં પ્રવર્તમાન સ્લોડાઉન કોઈ અપૂર્વ ઘટના નથી. છેલ્લા ત્રણ દસકામાં દેશના જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં મોટો ઘટાડો થયો હોય એવાં કેટલાંક વર્ષો આવી ગયાં છે, પણ એકંદરે ભારતમાં જી.ડી.પી. ઊંચા દરે વધી છે. પ્રશ્ન આગામી દોઢ-બે દસકા દરમિયાન જી.ડી.પી.ના વૃદ્ધિદરને આઠ ટકાની સપાટી પર જાળવી રાખવાનો છે, જે દર એકવીસમી સદીના પ્રથમ દસકામાં આપણે હાંસલ કરી શક્યા હતા. પ્રવર્તમાન વૈશ્વિક માહોલ જોતાં ભારતમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૬થી ૭ ટકાની વચ્ચે રહેવાની સંભાવના છે. દેશમાં જી.ડી.પી.ના વૃદ્ધિદરને ઊંચી સપાટી પર ટકાવી રાખવાની સાથે તેને રોજગારી સર્જતો અને સર્વસમાવેશક બનાવવાનો મોટો પડકાર આપણી સમક્ષ છે. છેલ્લા બે દસકામાં જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર રોજગારીની પર્યાપ્ત તકો સર્જવામાં નિષ્ફળ રહ્યા છે અને વધેલી આવકની વહેંચણીમાં તીવ્ર અસમાનતા માલૂમ પડી છે. સારી રોજગારી માંગતા યુવાનોની સંખ્યા ટોચ પર પહોંચવાની છે, ત્યારે જો એ માંગ મોટા પ્રમાણમાં નહિ સંતોષાય, તો એક બાજુ આપણે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ ગુમાવીશું અને બીજી બાજુ યુવાનોનો અસંતોષ વિસ્ફોટક બનશે. એને રાજકીય ચતુરાઈથી ખાળી નહિ શકાય. પણ આપણી તત્કાળ સંતોષવાની જરૂરિયાત જી.ડી.પી.ના આંકડાઓને વિશ્વાસપાત્ર બનાવવાની છે. તે અત્યંત વિવાદાસ્પદ બની ગયા છે.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 08 – 09 

Loading

પરિવર્તન સામે ભારતીયો ઊહાપોહ કરે એ પહેલાં બ્રિટિશ પ્રજા કરશે !

રમેશ ઓઝા|Opinion - Opinion|2 February 2020

ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં લખ્યું હતું કે ચાર પ્રશ્ને અંગ્રેજોએ નિર્ણય લેવાનો હતો. એક. ધર્મ. બે. ભાષા કે ભાષાઓ. ત્રણ. સામાજિક રીતિરિવાજો અને ચાર. ન્યાય. અંગ્રેજો આની ઉપેક્ષા કરી શકે એમ નહોતા, કારણ કે તેઓ વિદેશી હતા અને ઉપરથી તેમનું રાજ્ય પરંપરાગત સત્તાકેન્દ્રી સામ્રાજ્યવાદી નહોતું, પણ સાંસ્થાનિક શોષણ કરનારું સામ્રાજ્યવાદી હતું. અંગ્રેજીમાં આને કલોનિયાલિઝમ કહે છે. યુરોપમાં પુનર્જાગરણ થયું એ પછી વિકસેલાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પણછે આવો નવા પ્રકારનો સામ્રાજ્યવાદ પેદા થયો હતો જેમાં જીતેલા પ્રદેશને વતન બનાવ્યા વિના પરદેશી બની રહીને લૂંટી શકાય અને લૂંટેલુ ધન પોતાને દેશ મોકલી શકાય. આ પણ પાછું સાંસ્થાનિક સ્વરૂપ આપીને સદીઓ સુધી. યુરોપિયનોમાં બહાર જોવાની દૃષ્ટિ અને સાહસ તો હતાં જ.

તો પહેલો પ્રશ્ન હતો ધર્મનું શું કરવું, પણ એ પહેલાં યુરોપિયનો અને ભારતના સંદર્ભમાં અંગ્રેજો એકંદરે કેવું વલણ અપનાવતા હતા અને તેમના વલણમાં કઈ રીતના અભિગમ-ભેદ હતા એ સમજી લેવા જોઈએ. તેઓ ઉપરના ચાર પ્રશ્ને ભારતમાં કયો અભિગમ અપનાવવો એ નક્કી નહોતા કરી શકતા. તેમની વચ્ચે માત્ર મતભેદ નહોતા, સ્વાર્થભેદ પણ હતા.

જેમ કે ભારત પર સીધો કબજો ધરાવનારી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને માત્ર ધંધો કરવામાં અને ભારતનું અને ભારતની પ્રજાનું શોષણ કરીને ધન ઘરભેગું કરવામાં જ રસ હતો. ઘરભેગું કરવામાં આવેલું ધન ઘરે જઈને વહેંચવું ન પડે, બ્રિટિશ સરકારને ઓછામાં ઓછું આપવું પડે અને સરકારની તવાઈ ન આવે તેમ જ ભારતમાં વેપાર કરવાની કંપનીની ઈજારાશાહી જતી ન રહે એ માટે કંપની દરેક પ્રકારના ગોરખધંધા કરતી હતી. કંપનીએ તેના ભારત ખાતેના હાકેમોને બેશરમ નિર્દયી બનતા શીખવ્યું હતું અને લંડન ખાતેના સંચાલકોને ગમે તેને ગમે તે ભાવે ખરીદી લેતા શીખવ્યું હતું. જ્યાં આવી સંસ્કૃતિ હોય ત્યાં અનીતિ અને ભ્રષ્ટાચારનો તો પાર જ ન હોય અને સ્થિતિ પણ એવી જ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની એટલે; શોષણ, નિર્દયતા, છેતરપીંડી, વિશ્વાસઘાત, અનીતિ, ભ્રષ્ટાચાર બધું જ.

સ્વાભાવિકપણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તેના હિતોની વિરુદ્ધ જાય એવા અંગ્રેજો/યુરોપિયનો  ગમતા નહોતા; પછી તે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનારા મિશનરીઝ હોય, પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતાના આગ્રહી હોય, બ્રિટિશ સામ્રાજ્યને ઈશ્વરી અને કલ્યાણકારી માનનારા સામ્રાજ્યવાદી હોય, કાયદાના રાજમાં માનનારા લોકશાહીવાદી હોય કે ઉદારમતવાદી-માનવતાવાદી હોય. આ એવા લોકો હતા જે ચોક્કસ પ્રકારનું વળગણ અને વલણ ધરાવતા હતા જેને કંપની ખરીદી શકતી નહોતી. કંપની અને આ પ્રકારના લોકો વચ્ચેના ઘર્ષણનો લાંબો ઇતિહાસ છે. આ બાજુ આ લોકો પણ પોતાની વાત છોડે એવા નહોતા, કારણ કે તેમને એમ લાગતું હતું કે તેઓ જે વાતનો આગ્રહ રાખી રહ્યા છે તેમાં સમગ્ર માનવજાતનું કલ્યાણ છે.

પહેલા મિશનરીઓની વાત લઈએ. મિશનરીઓને એમ લાગતું હતું કે માત્ર ભારતીય પ્રજા નહીં, સકળ જગતની પ્રજાનો ઉદ્ધાર ઈશુનો સંદેશ જ કરી શકે એમ છે. તેમની આવી પ્રામાણિક માન્યતા હતી. જગતનો સંપૂર્ણ ધર્મ ખ્રિસ્તી ધર્મ છે, જગતનો સાચો ધર્મ ખ્રિસ્તી ધર્મ છે, જગતમાં એક માત્ર ખ્રિસ્તી ધર્મ જ મુક્તિ અપાવી શકે એમ છે, એટલે પરમ કરુણા સાથે મિશનરીઓ જગત આખામાં ફરીને અને કષ્ટ વેઠીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા હતા. ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓએ ખ્રિસ્તી ધર્મનો જે રીતે પ્રચાર કર્યો છે તેનો લાંબો ઇતિહાસ છે. તેમણે એવાં કષ્ટો વેઠ્યાં છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેમણે એવા લોકોની સેવા કરી છે જેના તરફ આપણે જોઈએ પણ નહીં અને તેમણે એવી એવી લબાડી કરી છે જેની આપણે કલ્પના પણ કરી શકીએ. તેમનાં કષ્ટો, સેવા અને લબાડી એમ ત્રણેય કરુણાપ્રેરિત હતાં. તેમની નજરે માનવમુક્તિ માટેનાં હતાં.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ડર હતો કે ભારતમાં લોકોની ધાર્મિક શ્રદ્ધા સાથે મિશનરીઓ ઘોંચપરોણો કરે છે એને કારણે ક્યાંક વિદ્રોહ ન થઈ જાય અને સોનાના ઇંડા આપનારી મુર્ઘીને છોડીને ભાગવું ન પડે. તેઓ મિશનરીઓને રોકવાના અને જો રોકી શકાય એમ ન હોય તો ભારતના છેવાડાના અને આદિવાસીઓના અમુક જ પ્રદેશોમાં તેમને સીમિત રાખવાના અથાક પ્રયત્નો કરતા હતા; પણ મિશનરીઓ પણ ક્યાં ગાંજ્યા જાય એમ હતા. એક વાર તો તેમણે સીધો બ્રાહ્મણો ઉપર હાથ નાખ્યો હતો. મિશનરીઓને એમ લાગ્યું હતું કે ભારતીય સમાજ નિસરણી જેવો છે જેમાં જે માણસ નીચે પગથિયે હોય એ ઉપર ચડવા માટે અને ઉપરવાળાનું અનુકરણ કરીને તેના જેવો થવા મથે છે. મહારાષ્ટ્રની પાઠારે પ્રભુ જ્ઞાતિનો વિધવાવિવાહ વિશેનો ઠરાવ આનું ઉદાહરણ છે. પાઠારે પ્રભુ જ્ઞાતિમાં વિધવાવિવાહ પર પ્રતિબંધ નહોતો, પરંતુ તેમણે બ્રાહ્મણ જેવા ઉચ્ચકુલીન ગણાવવા માટે વિધવાવિવાહ પર પ્રતિબંધ મૂકવા જેવો ઊંધો ઠરાવ કર્યો હતો.

એટલે મિશનરીઓએ જોયું કે જો સામાજિક રીતે સર્વોચ્ચ સ્થાને બિરાજમાન બ્રાહ્મણોને, મુસલમાનોમાં શેખ અને સૈયદોને અને પારસીઓને નિશાન બનાવવામાં આવે અને વટલાવામાં આવે તો બાકીનો પરચૂરણ સમાજ આપોઆપ ખ્રિસ્તી ધર્મ અપનાવી લેશે. ખ્રિસ્તી મિશનરીઓએ અપનાવેલા આવા જુદા જુદા ઉપાયોનો રસપ્રદ ઇતિહાસ છે, પણ એનું અહીં કોઈ કામ નથી; મુદ્દો એ છે કે કંપનીને મિશનરીઓ ગમતા નહોતા અને મિશનરીઓ કંપનીને ગણકારતા પણ નહોતા. ક્વચિત તેમની વચ્ચે સ્વાર્થની ભાગીદારી પણ જોવા મળતી હતી, પરંતુ ક્વચિત. અહીં ખાસ નોંધવા જેવી હકીકત એ છે કે મિશનરીઓએ ભારતીય સમાજનું સ્વરૂપ બદલવામાં અત્યંત મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિશનરીઓએ ભારતીય માનસમાં સ્વ-ધર્મ અને વિ-ધર્મને જોવાની બાબતે નવી દૃષ્ટિ પેદા કરી હતી. આવું આ પહેલાં અને આટલાં મોટા પ્રમાણમાં અને આટલા નિર્ણાયક સ્વરૂપમાં ક્યારે ય જોવા નહોતું મળ્યું.  

બીજા એવા લોકો હતા જેઓ પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતામાં અથવા બ્રિટિશ સામ્રાજ્યને ઈશ્વરી અને કલ્યાણકારી માનતા હતા. તેમને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ધંધાકીય હિતો સાથે લેવાદેવા નહોતી. આવડો મોટો ભારત દેશ અને માત્ર ભારત નહીં, લગભગ આખું એશિયા અને આફ્રિકા યુરોપના કબજામાં આવ્યાં છે તો તેના બે જ અર્થ હોઈ શકે. પાશ્ચાત્ય સભ્યતાની સર્વોપરિતામાં માનનારા લોકોને એમ હતું કે લાગતું હતું કે પૌર્વાત્ય સભ્યતામાં કોઈ સત્ત્વ નથી એટલે તેને તોડી પાડીને પાશ્ચાત્ય સભ્યતા લાગુ પાડવી જોઈએ. માત્ર ઈસાઈ ધર્મ નહીં, પણ બધું જ. ભાષા, રીતિરિવાજ, ન્યાય, શાસનપદ્ધતિ વગેરે બધું જ. ભારતીય પ્રજાનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલી નાખવો જોઈએ. આવો જ મત બ્રિટિશ સામ્રાજ્યને ઈશ્વરી માનનારાઓ પણ ધરાવતા હતા. ફરક માત્ર એટલો હતો કે પહેલા વર્ગના લોકો પાશ્ચાત્યવાદી હતા અને બીજા પ્રકારના લોકો સામ્રાજ્યવાદી હતા. લૉર્ડ મૅકોલેએ કરેલાં પરિવર્તનોની વાત હવે પછી આવશે, પરંતુ અહીં તેનું એક કથન ટાંકવું જોઈએ. મૅકોલેએ કહ્યું હતું કે “તમામ પૌર્વાત્ય સાહિત્ય જો એક જગ્યાએ એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ ન ભરાય.” તેમની પાસે કાંઈ સત્ત્વ જ નથી, એટલે બોરડીને ઝટકારો અને સૂકાં પડી ગયેલાં બોર ખરી જાય એમ એશિયા અને આફ્રિકાના દેશો ખરી પડ્યા છે. જો સત્ત્વ હોત તો આમ ન બનત.

ત્રીજો વર્ગ વિવેકીઓનો, જવાબદાર લોકોનો, ઉદારમતવાદીઓનો અને માનવતાવાદીઓનો હતો. તેમાંના કેટલાક લોકો એમ માનતા હતા કે જો ભારત સૂકાઈ ગયેલા બોર જેવું અથવા નિષ્પ્રાણ થઈ ગયેલી સભ્યતા હોય તો તેનો અર્થ એવો નથી કે તેને તોડી પાડવામાં આવે. તેની અંદર પ્રાણ પૂરવામાં આવે અને એક શાસક તરીકે અંગ્રેજોનો એ ધર્મ છે. જો ભારતીય સભ્યતા ત્રણ-ચાર હજાર વરસથી ટકી રહી છે તો તેમાં જરૂર કોઈ જીવનસિંચન કરનારું તત્ત્વ છે. એ જીવનરસને ભરવો જોઈએ. તેમાંના કેટલાકે ભારત અને પૂર્વનો અભ્યાસ કરવા માંડ્યો હતો જેમાંથી પૌર્વાત્યશાસ્ત્ર વિકસ્યું હતું. બીજા કેટલાક લોકો માનતા હતા કે માનવતાનો તકાદો એમ કહે છે કે શાસનના જે ધારાધોરણો બ્રિટનમાં ઘરઆંગણે છે તે જ સંસ્થાનોમાં હોવાં જોઈએ. આપણા માટે એક માપદંડ અને ગુલામો માટે બીજો માપદંડ ન ચાલે.

તો વાતનો સાર એ કે મિશનરીઓને એમ લાગતું હતું કે ભારતનું કલ્યાણ ભારતીય પ્રજાને ખ્રિસ્તી બનાવવામાં છે. પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે ભારતનું હિત પૌર્વાત્ય ભારતના અસ્તમાં છે. એવું ભારત બનાવવામાં આવે જે ચામડીના રંગને છોડીને દરેક અર્થમાં પાશ્ચાત્ય કે બ્રિટિશ હોય. વિવેકીઓ, જવાબદાર લોકો, ઉદારમતવાદીઓ અને માનવતાવાદીઓને એમ લાગતું હતું કે ભારત પરત્વેનો અભિગમ ન્યાયી, સહાનુભૂતિવાળો અને એકંદરે માણસાઈવાળો હોવો જોઈએ.

આની વચ્ચે પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અને ૧૮૫૭ પછી બ્રિટિશ સરકારે રાજ કરવાનું હતું. વળી ઉપર જણાવ્યા એવા અભિગમ ધરાવનારાઓ એકલદોકલ નહોતા. તેમની મોટી શક્તિ હતી અને તેઓ જાહેરજીવનમાં પણ સક્રિય હતા. બ્રિટનની સંસદમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કારનામાં અનેક વખત ચર્ચાનો વિષય બન્યાં છે. આની વચ્ચે; ધર્મ, સામાજિક રીતિરિવાજ, શિક્ષણ અને ન્યાયની બાબતે કેવા અભિગમ અપનાવવા એ શાસકોએ નક્કી કરવાનું હતું. જો પરિવર્તન કરવામાં આવે તો ભારતીય પ્રજા ઊહાપોહ કરવાની હશે ત્યારે કરશે, પહેલો ઊહાપોહ બ્રિટનમાં બ્રિટિશ પ્રજા કરશે.

ખૂબ લાંબુ વિચારીને અને સંભાળીને ચાલવાનું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 ફેબ્રુઆરી 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 29

દીપક મહેતા|Opinion - Opinion|2 February 2020

મુંબઈમાં કિલ્લો તોડ્યો, ટાવર બાંધ્યો, કોણે?

અમેરિકન સિવિલ વોરે અને ગવર્નરે

રાજાબાઈ ટાવરના રખેવાળને ઊંઘ આવી ગઈ એટલે ટાવરની રોશની વહેલી સવાર સુધી ચાલુ રહી અને તેથી કોટ વિસ્તારનાં ઘણાંખરાં સરકારી મકાનોની રોશની પણ ચાલુ રહી – ૧૯૫૦ની આ વાત આપણે ગયે વખતે કરી હતી. એક જમાનામાં મુંબઈની સૌથી ઊંચી ઈમારત હોવાનું માન આ રાજાબાઈ ટાવરને મળ્યું હતું. માત્ર આ ટાવરને જ નહિ, મુંબઈના આખા કોટ વિસ્તારને અમેરિકાના આંતર વિગ્રહ – સિવિલ વોર – સાથે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો તમે માનો? પણ એ હકીકત છે. આજે પણ જે કોટ વિસ્તાર તરીકે જ ઓળખાય છે તે વિસ્તારને ફરતો કોટ કહેતાં કિલ્લો, કહેતાં ફોર્ટ અંગ્રેજોએ બાંધ્યો હતો. કોટની અંદરના ભાગમાં મોટે ભાગે અંગ્રેજો રહેતા હતા અને સરકારી ઓફિસો હતી. ‘દેશી’ઓ બહાર કોટમાં, એટલે કે કોટની બહારના વિસ્તારમાં રહેતા હતા અને તેમની જુદી જુદી બજારો પણ ત્યાં ઊભી થઈ હતી. પણ કવિએ કહ્યું છે ને કે ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ વખત જતાં મુંબઈ શહેરના વિકાસ આડે અવરોધરૂપ બનવા લાગ્યો એ કિલ્લો. વળી જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે આવતા જે હુમલાખોરોથી બચવા માટે એ કોટ બાંધ્યો હતો તેમના હુમલાઓનો ભય હવે રહ્યો નહોતો. એટલે કોટનો કશો અર્થ રહ્યો નહોતો.

મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે

૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં કોટની દિવાલોની નિરર્થકતા તરત આવી ગઈ. એટલે એ દીવાલો તોડી પાડવાનો હુકમ આપ્યો જેથી મુંબઈ શહેરનો વિકાસ થઈ શકે. ફ્રેરેનો જન્મ ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે. અવસાન ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૮૩૪માં મુંબઈ આવ્યા અને કોર્ટના ‘રાઈટર’ તરીકે જોડાયા. ૧૮૩૫માં પૂનાના આસિસ્ટન્ટ કલેકટર બન્યા. ૧૮૪૨માં મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના પ્રાઈવેટ સેક્રેટરી બન્યા. ૧૮૫૦માં સિંધ(એ વખતે બોમ્બે પ્રેસિડન્સીમાં તેનો સમાવેશ થતો હતો)ના ચીફ કમિશ્નર બન્યા ૧૮૬૨માં તેઓ મુંબઈના ગવર્નર બન્યા અને ૧૮૬૭ સુધી એ પદે રહ્યા.

૧૮૬૧માં અમેરિકાની સિવિલ વોર શરૂ થઇ તેથી હિન્દુસ્તાન – અને ખાસ કરીને મુંબઈથી રૂની નિકાસ રાતોરાત ખૂબ વધી ગઈ. તેને પરિણામે એ વખતે મુંબઈમાં પૈસાની, સોનાચાંદીની રેલમછેલ થઈ હતી. એટલે કિલ્લો તોડીને શહેરનો વિકાસ કરવા માટેની આ સોનેરી તક હતી અને સર બાર્ટલ ફ્રેરેએ એ તક ઝડપી લીધી. પણ ફક્ત કિલ્લો તોડવાથી જ શહેરનો વિકાસ બહુ નહિ થઈ શકે એ વાત પણ તેમના ધ્યાનમાં આવી. મુંબઈ તો હતું સાત ટાપુનું બનેલું શહેર. તેના વિકાસ માટે જમીન કાઢવી ક્યાંથી? પણ ફ્રેરે લીધેલી વાત મૂકવામાં માનતા નહોતા. દરિયો છે તો શુ થયું? આપણે દરિયો પૂરીને – રેકલમેશન કરીને – જમીન મેળવીએ. પણ આ કાંઈ સરકારનું કામ નહોતું. પણ મુંબઈના લોકો તો આ કામ કરી શકે ને? અને અત્યારે મુંબઈમાં તો ધનના ઢગલા થયા છે, તો તેનો ઉપયોગ આ માટે કેમ ન થઈ શકે? આજે જે હોર્નિમેન સર્કલ તરીકે ઓળખાય છે તે એ વખતે એલ્ફિન્સ્ટન સર્કલ તરીકે ઓળખાતું. ત્યાંનાં ઘણાંખરાં મકાનો ૧૮૬૧ અને ૧૮૬૫ વચ્ચેની મુંબઈની જાહોજલાલી દરમ્યાન બંધાયેલાં. પહેલાં તો ત્યાં સપાટ મેદાન હતું જ્યાં રૂની ગાંસડીઓ બંધાતી અને તેનો વેપાર થતો.

પ્રેમચંદ રાયચંદના હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર

એ વખતે મુંબઈના વેપારી જગતના બેતાજ બાદશાહ ગણાતા હતા પ્રેમચંદ રાયચંદ. વેપારીઓ જ નહિ સરકારી અમલદારો, સમાજના અગ્રણીઓ, સહુ તેમનો પડ્યો બોલ ઝીલતા. એટલે ગવર્નરે પ્રેમચંદ રાયચંદને મળવા બોલાવ્યા અને દરિયો પૂરીને જમીન મેળવવા માટે એક કંપની કાઢવાનું સૂચન કર્યું.  પ્રેમચંદ શેઠને નેટિવ સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનના કામનો અનુભવ હતો. પૈસા હતા, વગ હતી. એ વખતે અંગ્રેજી બોલી-વાંચી શકે તેવા તેઓ એકમાત્ર શેર બ્રોકર હતા. ૧૮૬૦ સુધીમાં તેઓ લખપતિ બની ચૂક્યા હતા. (એ વખતે એ મોટી વાત હતી) ગવર્નર સાથે વાટાઘાટ કર્યા પછી બેકબે રેકલમેશન કંપની કાઢવાનું નક્કી થયું. આ કંપનીએ ૧૫૦૦ એકર જેટલી જમીન નવસાધ્ય કરવી તેમ ઠરાવ્યું. અને એ કંપનીના ચીફ પ્રમોટર કોણ, તો કે પ્રેમચંદ રાયચંદ. ભલે સીધી રીતે નહિ તો આડકતરી રીતે સરકારનો આ કંપની પર કાબૂ તો રહેવો જોઈએ ને? એટલે ગવર્નર ફ્રેરેએ આ નવી કંપનીના ૪૦૦ શેર ખરીદ્યા. લોકોને તો પ્રેમચંદશેઠ પર એવો આંધળો વિશ્વાસ કે તેમનું નામ પડતાં જ આ નવી કંપનીના શેર મેળવવા માટે પડાપડી થવા લાગી. ૫૦૦ રૂપિયાનો એક શેર. લોકો તેના ચાર-પાંચગણા ભાવ આપવા તૈયાર હતા. તેની દેખાદેખીથી બીજી પણ રેકલમેશન કંપનીઓ નીકળી. પણ સાચા અને પાકા વેપારીઓ કાંઈ પોતાને પૈસે શેર ખરીદે નહિ. તો શેર ખરીદવા પૈસા કોણ ધીરે? એ વખતે આખા મુંબઈ ઈલાકાની સૌથી મોટી બેંક હતી મુંબઈમાં આવેલી બેંક ઓફ બોમ્બે. ગવર્નરે પ્રેમચંદશેઠને એ બેંકના એક ડિરેક્ટર બનાવી દીધા. પણ ગવર્નરે આં કંપનીના શેર ખરીદ્યા છે એ વાતની ખબર લંડનમાં બેઠેલા અધિકારીઓને પડી. એટલે હિન્દુસ્તાનની સરકારે એ શેર વેચી નાખવાનો ગવર્નરને આદેશ આપ્યો એટલે એક શેરના ૫૦૦૦ના ભાવે એ શેર વેચાયા. એ રકમ એશિયાટિક બેંકિંગ કોર્પોરેશનમાં થાપણ તરીકે મૂકવામાં આવી. પણ આ એશિયાટિક બેંકિંગ કોર્પોરેશનની સ્થાપના કોણે કરી? તો કહે પ્રેમચંદ રાયચંદે. એટલે હવે મુંબઈના વેપારી જગત પરની તેમની પકડ વધુ મજબૂત બની. પ્રેમચંદશેઠની મીઠી નજર પડે તો માણસ ન્યાલ થઈ જાય. જે બે બેંકો સાથે તેઓ જોડાયા હતા તેમાંથી લોન મેળવવા માટે શું કરવું? શેઠસાહેબ સાદા કાગળની ચબરખી પર લખી આપે. એ લઈને બેંકમાં જાવ એટલે પૈસા હાજર, અલબત્ત ઊંચા વ્યાજે. લોકોને એ રીતે લોન લેવામાં વાંધો નહોતો દેખાતો કારણ જે રીતે શેરના ભાવ વધતા જતા હતા એ જોતાં વ્યાજની રકમ તો નફાની ચપટી જેટલી થશે એમ લોકો માનતા. અને બેંકોને લાગતું હતું કે ઊંચે વ્યાજે લોન આપીને આપણે ઢગલો પૈસા મેળવી લેશું.

બોમ્બે બેંક

રૂના વેપારીઓ

કવિએ કહ્યું છે ને કે ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે.’નહોતી રૂના વેપારીઓને ખબર, નહોતી બેંકોને ખબર કે નહોતી મુંબઈ સરકારને ખબર કે અમેરિકાની સિવિલ વોર ૧૮૬૫ના મે મહિનાની પહેલી તારીખે પૂરી થઈ જવાની છે. એટલે હિન્દુસ્તાનના રૂની નિકાસનો પરપોટો ફૂટી જવાનો છે, એટલે ભયંકર મંદી આવવાની છે, એટલે વેપારીઓ, રેકલમેશન કંપનીઓ, બેંકો, બધાં રાતોરાત પાયમાલ થઈ જવાનાં છે. અરે, બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદે પણ આવું તો નહોતું ધાર્યું.  બીજા બધાની જેમ તેમણે પણ લગભગ સર્વસ્વ ગુમાવ્યું. બેંક ઓફ બોમ્બે કેમ ફડચામાં ગઈ તે અંગે તપાસ કરવા સરકારે એક સમિતિ નીમી. તેણે પોતાના અહેવાલમાં જણાવ્યું કે પ્રેમચંદ રાયચંદ જે આડેધડ રીતે લોન આપવા બેન્કને ભલામણ કરતા હતા તેણે મોટો ભાગ ભજવ્યો હતો. જો કે પ્રેમચંદ શેઠે પોતાનું અંગત બધું દેવું ધીરે ધીરે ચૂકવી દીધું. રાખમાંથી ફરી જન્મેલા ફિનિક્સ પક્ષીની જેમ ફરી વેપારમાં પગભર થયા, પણ પહેલાંની પ્રતિષ્ઠા, પહેલાંની જાહોજલાલી પાછી ન આવી. પણ જ્યારે પૈસાની રેલમછેલ હતી ત્યારે એમણે સખાવત કરવામાં પાછું વાળીને જોયું નહોતું. છોકરીઓ માટે સ્કૂલ શરૂ કરવી છે? પ્રેમચંદશેઠ પૈસા આપશે. નવી લાઈબ્રેરી કાઢવી છે કે જૂનીને વધુ સમૃદ્ધ કરવી છે? પ્રેમચંદશેઠ છે ને? અને તેઓ માત્ર મુંબઈમાં જ દાન નહોતા આપતા. ગુજરાતની પણ અનેક સંસ્થાઓને સખાવત કરી હતી. અરે, છેક કલકત્તા યુનિવર્સિટીને પણ દાન આપ્યું હતું.

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે

આવા દાનવીર મુંબઈ યુનિવર્સિટીને દાન ન આપે એવું બને? તેની શરૂઆતથી આજ સુધી મુંબઈના (હવે મહારાષ્ટ્રના) ગવર્નર હોદ્દાની રૂએ તેના ચાન્સેલર હોય છે. એટલે ગવર્નર ફ્રેરે જેના ચાન્સેલર હોય તે યુનિવર્સિટીને તો પ્રેમચંદશેઠ દાન આપે જ ને! ૧૮૫૭માં આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે તેની પાસે પોતાનું મકાન નહોતું. એટલે તેની શરૂઆત ટાઉન હોલના મકાનમાં થઈ હતી. વર્ગો ત્યાં લેવાતા અને મેટ્રિકની તથા બીજી પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. આ નવી યુનિવર્સિટીને તેનાં પોતાનાં બે મકાનો બાંધવા માટે ઉદાર હાથે દાન આપનાર બે ગુજરાતીઓ હતા — સર કાવસજી જહાંગીર અને શેઠ પ્રેમચંદ રાયચંદ. સરસાહેબે કોન્વોકેશન હોલ માટે દાન આપ્યું અને પ્રેમચંદશેઠે લાઈબ્રેરી અને ટાવર માટે દાન આપ્યું. આ બંને ઈમારતની ડિઝાઈન બ્રિટનમાં તૈયાર થઈ હતી. એ બાંધવાનું કામ પણ બ્રિટિશ કંપનીને આપવા ધાર્યું હતું. પણ પહેલી  કંપનીએ ખર્ચનો જે અંદાજ આપ્યો તે ખૂબ વધુ હતો. કોન્વોકેશન હોલ માટે રૂપિયા સાડા બાર લાખ અને લાઈબ્રેરી અને ટાવર માટે ૧૫ લાખ. આટલો ખર્ચ કોઈને પોસાય તેમ નહોતો. એટલે મુંબઈ સરકારના આસિસટન્ટ આર્ચિટેક્ટની મદદ મગાઈ. તેમણે મૂળ ડિઝાઈનમાં ઓછામાં ઓછા ફેરફાર કર્યા. અને કોન્વોકેશન હોલના બાંધકામ માટે ખર્ચનો અંદાજ આપ્યો ૪ લાખ, ૧૫ હજાર ૮૦૪ રૂપિયા અને લાઈબ્રેરી તથા ટાવર માટે અંદાજ આપ્યો પાંચ લાખ ૨૮ હજાર ને ૯૩ રૂપિયા. લાઈબ્રેરી અને ટાવર માટે પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું, જે એ વખતે ઘણી મોટી રકમ કહેવાય. તેની ઈમારત બાંધતાં ચાર વર્ષ લાગ્યાં અને ૧૮૭૮ના નવેમ્બરમાં તેનું બાંધકામ પૂરું થયું. ત્યારે અગાઉના અંદાજ કરતાં વધુ ખર્ચ થયો હતો – પાંચ લાખ ૪૭ હજાર ૭૦૩ રૂપિયા. એટલે કે અંદાજ કરતાં ૧૯૬૧૦ રૂપિયા વધુ. ત્યાં સુધીમાં રૂની નિકાસના અને શેર બજારના ફુગ્ગા તો ક્યારના ફૂટી ગયા હતા. પણ આટલાં વર્ષો દરમ્યાન પ્રેમચંદશેઠના ચાર લાખ રૂપિયાનું જે વ્યાજ આવ્યું હતું તેમાંથી આ વધારાની રકમ ચૂકવાઈ શકી હતી. ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે સર કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ, યુનિવર્સિટી લાઈબ્રેરી, અને ટાવરનું વિધિપૂર્વક ઉદ્ઘાટન થયું. એ પ્રસંગે ટાવર પર રોશની કરવાનું નક્કી થયું હતું. ત્યારે મુંબઈમાં હજુ વીજળી તો આવી નહોતી એટલે ચાર હજાર રૂપિયાને ખર્ચે ટાવરને દીવાઓથી શણગારવામાં આવ્યો હતો. પણ એ દીવાનો ઝળકાટ થોડી મિનિટ જ ટક્યો હતો. કારણ જોરથી પવન ફૂંકાયો અને ઘણાખરા દીવા બુઝાઈ ગયા!  દાન આપતી વખતે એક પત્ર દ્વારા પ્રેમચંદ રાયચંદે ટાવર સાથે તેમની માતાનું નામ જોડવાની વિનંતી કરી હતી. તેમનાં અંધ માતાનું નામ હતું રાજાબાઈ. એટલે ટાવરને રાજાબાઈ ટાવર એવું નામ આપ્યું. એક લોકવાયકા એવી છે કે પોતાનાં અંધ માતા ટાવરના ડંકા સાંભળીને કેટલા વાગ્યા તે જાણી શકે એટલા ખાતર પ્રેમચંદશેઠે આ ટાવર બંધાવ્યો હતો. આજે પણ કોટ વિસ્તારના ઘણા ભાગોમાં આ ટાવરના ડંકા સંભળાય છે. પણ પ્રેમચંદશેઠ અને તેમનું કુટુંબ તો રહેતાં હતાં છેક ભાયખલામાં, પ્રેમચંદશેઠે બંધાવેલ ‘પ્રેમોદ્યાન’ નામના બંગલામાં. અને કોટ વિસ્તારમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકા ઠેઠ ભાયખલામાં સંભળાય એ શક્ય જ નથી. આ પ્રેમોદ્યાન બંગલો આજે પણ હયાત છે. અત્યારે તે ‘રેગીના પાસીસ’ તરીકે ઓળખાય છે અને નજીકમાં આવેલ ગ્લોરિયા ચર્ચ ત્યાં  છોકરીઓ માટેની સ્કૂલ ચલાવે છે.

પ્રેમચંદ રાયચંદનો બંગલો પ્રેમોદ્યાન

આમ, અમેરિકન સિવિલ વોરે મુંબઈને ભેટ આપી કોટ વિસ્તારના વિકાસની અને રાજાબાઈ ટાવરની. કોન્વોકેશન હોલ સાથે જેમનું નામ જોડાયું છે તે સર કાવસજી જહાંગીર રેડીમની વિશેની વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 01 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5532,5542,5552,556...2,5602,5702,580...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved