Opinion Magazine
Number of visits: 9575986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકમિલાપ – નતમસ્તકે પ્રણામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 February 2020

આખરે એ છવ્વીસમી જાન્યુઆરી આવી ને ગઈ. લોકમિલાપે વિદાય લીધી.

ભાવનગરમાં ‘લોકમિલાપ’નાં ફળિયામાં – કે જ્યાં ઉજમ અને ઉલ્લાસભર્યા મનભર પુસ્તકમેળા થતા હતા – તે ફળિયામાં એક અનૌપચારિક કાર્યક્રમ ગોઠવાયો હતો. તેમાં ‘મહેન્દ્ર મેઘાણી’ નામનાં એક પુસ્તકનું, તેના ૯૬ વર્ષના ચરિત્રનાયક અને તેમના પરિવારજનોને હસ્તે વિમોચન કરવામાં આવ્યું.

આ નાનકડું પણ મહત્ત્વનું પુસ્તક ગુજરાતના નોખા પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારીએ તૈયાર કર્યું છે. સાર્થક પ્રકાશને વ્યક્તિવિશેષો પર ‘સાર્થક સંવાદ શ્રેણી’ હેઠળ બહાર પાડેલાં આ ચોથા પુસ્તકમાં મહેન્દ્રભાઈની મુલાકાતો દ્વારા તેમનાં ‘જીવન-સર્જનનું અંતરંગ આલેખન’ છે. ઉપરાંત તેમની જિંદગીની પહેલી વખત નોંધાયેલી તવારીખ અને તેમના થકી સંપાદિત, અનુવાદિત અને સંક્ષેપિત પુસ્તકોની યાદી છે.

ઉર્વીશે આ પુસ્તક મહેન્દ્રભાઈના દિવંગત ભાઈ તેમ જ સાધુ-સમ ગ્રંથવિક્રેતા નાનકભાઈ મેઘાણી અને તેમનાં ‘પુત્રીવત્‌ સાથી’ હંસાબહેનને અર્પણ કર્યું છે. હંસાબહેને મહેન્દ્રભાઈના હાથે પુસ્તક સ્વીકાર્યું ત્યાર બાદ મહેન્દ્રભાઈએ બે-ત્રણ મિનિટ વાચન કર્યું. તેમણે ૧૯૫૦માં દેશના પહેલાં ગણતંત્રદિને લોકમિલાપનાં કામનો  જે ‘મિલાપ’ માસિકથી પ્રારંભ કર્યો હતો તે માસિકના ડિસેમ્બર ૧૯૭૮ના અંતિમ તંત્રીલેખનો અંશ વાંચ્યો. લેખનો ઘણો હિસ્સો ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી સાહિત્યના સમર્પિત અધ્યાપક અને રંગકર્મી મહેન્દ્રસિંહ પરમારે તેમની લાક્ષણિક હૃદયસ્પર્શી શૈલીમાં વાંચ્યો. રુચિસંપન્ન વાચક અને ભાવનગરના કાપડના વેપારી ભરતભાઈ શાહે મહેદ્રભાઈનું ગૌરવ કરતી પદ્યરચનાઓ વાંચી.

અમદાવાદથી ભાવનગરમાં પ્રવેશતાં નારી ચોકડી નામના ચાર રસ્તા આવે છે. તેના થોડાં પહેલાં રસ્તાની બાજુમાં માંડવો કરીને પેંડા બનાવી રહેલાં એક વેપારીને રસ્તો પૂછ્યો : ‘ભાવનગરમાં સરદારનગર જવું છે’. ભાભાએ પૂછ્યું : ‘સરદારનગરમાં ક્યાં જાવું છે ?’ અમે કહ્યું ‘લોકમિલાપ’. એમણે વળતો સવાલ કર્યો : ‘એ તો આજે પૂરું થાય છે ને?’ વળી રસ્તામાં એક ગલ્લાવાળા, એક રિક્સાવાળા અને એક પોલીસવાળા ભાઈઓને પૂછવાનું થયું. બધાને લોકમિલાપની ખબર હતી. અમારામાંથી એકે ટીખળ કરી : ‘અમદાવાદમાં આશ્રમ રોડ પર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની ઑફિસ પાસે  ઊભા રહીને સાહિત્ય પરિષદનું પૂછો તો ખબર નથી હોતી!’ જો કે સવાલ તો લોકનો જ છે!

એમ થયું કે આ હિસાબે કાર્યક્રમમાં તો બસો-પાંચસો લોકો હશે. ઉર્વીશે તો બહુ નાના પાયે અને સાદી રીતે કાર્યક્રમ વિચાર્યો છે. લોકમિલાપનાં બારણે ફૂટપાથ પર વિદ્યાર્થી યુવક-યુવતીઓ પ્લૅકાર્ડસ્‌ લઈને ઊભા હતાં. પ્લૅકાર્ડસ પર લોકમિલાપનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠો હતાં : ‘અરધી સદીની વાચનયાત્રા’, ‘કોન-ટિકિ’, ‘ગીત એક ગાયું ને વાયરે વાયું’, ‘જ્વાલા અને જ્યોત’, ‘યાદગાર કાવ્યો’ ‘વિસરાતાં કાવ્યો’. સહુથી સરસ પ્લૅકાર્ડ હતું ‘આભાર લોકમિલાપ’. આ યુવાઓ પછી ફળિયામાં કાર્યક્રમમાં જોડાયાં.

અભિવાદન અને વાચન બાદ કેટલાંકે ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ નામનું પુસ્તક મહેન્દ્રભાઈની સહી સાથે વસાવ્યું. આ પુસ્તક ‘વિદાય વેળાએ લોકમિલાપનું અંતિમ પ્રકાશન’ એમ પ્રસિદ્ધ થયું છે. સાડા પાંચસો પાનાંનું આ સંપાદન મહેન્દ્રભાઈએ તે જ નામે ૧૯૯૬માં બહાર પાડેલા એક સંચયની બીજી  સંવર્ધિત આવૃત્તિ છે. તેમાં મેઘાણી-સાહિત્યમાંથી ચૂંટેલાં કાવ્યો, નવલિકાઓ, લોકગીતો અને લોકવાર્તાઓ છે. આ પુસ્તક લેવાં ઉપરાંત કેટલાંક મહેન્દ્રભાઈ સાથે તસવીરો ખેંચતા હતાં. એ બધાં થઈને ભાવેણાનાં પોણાસો સ્ત્રી-પુરુષ પુસ્તકપ્રેમીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતાં, તેમાં વડીલોની સંખ્યા વધુ નોંધપાત્ર હતી. જો કે ગયાં પંદરેક દિવસથી તો લોકમિલાપમાં ખૂબ અવરજવર હતી. સવા મહિના જેટલા સમયથી લોકમિલાપ પુસ્તકો પર ૨૦% વળતર આપતું હતું.

કાર્યક્રમ ભાવુક ન બની જાય છતાં ય તેની આત્મીયતા જળવાય તે રીતે ઉર્વીશે સંચાલન કર્યું. છતાં ય  કૂણાં તડકાવાળી સ્વચ્છ સવારે પણ હૈયાં કંઈક ઘેરાયેલાં હતાં. ‘આ દિવસ અઘરો તો રહ્યો જ’, એમ ‘સ્ત્રીઆર્થ’ નામનો ખૂબ મહત્ત્વનો શબ્દ વહેતો મૂકનાર ભાવનગરનાં વાર્તાકાર પ્રતિભાબહેને ફેસબુક પર નોંધ્યું છે.

મહેન્દ્રભાઈએ વાંચ્યું : ‘ગુજરાતની ફૂલવાડીમાં ‘મિલાપ’ પણ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, અને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે એ ખરી પડે છે. આજે નહીં પણ બે-પાંચ વરસે એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવામાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.’  

આ શબ્દો મહેન્દ્રભાઈએ ડિસેમ્બર ૧૯૭૮ના અંતિમ તંત્રીલેખમાંથી વાંચ્યાં. ગયાં ચારેક દાયકાથી લોકમિલાપ પ્રકાશન અને પુસ્તકભંડારના મિશનને  જીવનનનો સર્વોચ્ચ અગ્રતાક્રમ તરીકે મૂકનાર દંપતી એટલે મહેન્દ્રભાઈના ચિરંજીવી ગોપાલભાઈ અને ગોપાલભાઈનાં જીવનસંગિની રાજુલબહેન.

આ દંપતીએ ફેસબુક પર ૧૭ નવેમ્બરે નિખાલસતાથી નિર્મળભાવે લખ્યું છે : ‘સિત્તેર વર્ષની સાહિત્યયાત્રા હવે પૂરી કરીએ છીએ. પુસ્તકપ્રેમીઓનો પહેલો પ્રતિભાવ હોય જ કે કેમ બંધ કરો છો? દરેક પ્રારંભનો અંતિમ પડાવ ક્યારેક તો આવવાનો જ. લોકમિલાપના હાલના સંચાલકો આશરે પચાસ વર્ષોથી આ મનગમતું કામ કરી રહ્યાં છે. હવે તેમની ઇચ્છા આ કામને વિરામ આપી અન્ય પ્રવૃત્તિઓ કરવાની છે, જે એક પુસ્તક-ભંડાર ચલાવતા મોકળાશથી થઈ શકેલ નથી. … પુસ્તક ભંડાર દ્વારા ભાવનગર શહેર તથા દેશ-વિદેશના સાહિત્યપ્રેમીઓને પુસ્તકો પૂરાં પાડ્યાં, સેંકડો પુસ્તકમેળાઓ કર્યા, અનેક પુસ્તક યોજનાઓ કરી, બાળફિલ્મોનાં આયોજન થયાં. આવાં વિવિધ મનગમતાં કાર્યો થયાં તેના પાયામાં લોકમિલાપના અનેક કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની મહેનત તથા પુસ્તકચાહકોનો સહકાર. ભાવનગરની પ્રજાએ અમને આટલાં વર્ષો નર્યો પ્રેમ આપીને એક આદર્શ પુસ્તકભંડાર ચલાવવાની  હોંશ સંતોષી છે. એમને, સમગ્ર ગુજરાતના તથા વિદેશના પુસ્તક-પ્રેમીઓને વિદાયની પળે નતમસ્તકે પ્રણામ.’

પુસ્તક ચાહકો પણ કહેશે : નતમસ્તકે પ્રણામ !

પૂર્ણવિરામે પ્રણામથી કૃતજ્ઞતા જાગે પણ શાતા મળવાની ? મહેન્દ્રભાઈએ ડિસેમ્બર ૧૯૭૮માં ‘મિલાપ’ને વિરામ આપ્યો ત્યારે ‘લોકમિલાપ’ પૂરબહારમાં હતું. પણ નવેમ્બર ૨૦૧૯માં ગોપાલભાઈએ લખ્યું તે પછી ગુણવત્તાભર્યાં પુસ્તકોની, એટલે કે  સંસ્કાર – સિવિલાઇઝેશનની દુનિયામાં, લોકમિલાપ જેવું બીજું કશું ગુજરાતમાં પૂરબહારમાં નથી.

‘ત્યારે કરીશું શું?’ ટૉલ્સ્ટૉયને અને મહેન્દ્રભાઈને સતાવી ચૂકેલો સવાલ હવે ઘણાંને સતાવવાનો.

૨૮ જાન્યુઆરી ૨૦૨૦

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 23 તેમ જ 14 

છબિ સૌજન્ય : રક્ષાબહેન ભટ્ટ, ઉર્વીશભાઈ કોઠારી, યશભાઈ મેઘાણી

Loading

CAA – NRCથી મુસ્લિમો નાગરિકતા વિનાની વ્યક્તિ બની જશે?

કુશલ એમ. તમંચે (એડવોકેટ)|Opinion - Opinion|3 February 2020

૧૮મી સદીમાં જેરેમી બેન્થામએ ઉપયોગિતાવાદનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત મુજબ રાજ્યે એવા કાયદા બનાવવા જોઈએ જે લોકોને મહત્તમ ખુશી આપે અને નિમ્નતમ પીડા આપે. પરંતુ દેશમાં હાલની સ્થિતિ જોતાં NDA સરકાર ઉપયોગિતાવાદ સિદ્ધાન્તનો કંઇક અલગ અંદાજમાં ઉપયોગ કરી રહી છે. કેમ કે હાલમાં NDA સરકાર એવા કાયદા બનાવી રહી છે જે લોકોને મહત્તમ પીડા અને નિમ્નતમ સુખ આપી રહ્યો છે. NDA સરકાર ઘરવાપસી, લવ જેહાદ, ત્રણ તલાક, આર્ટીકલ ૩૭૦, કાશ્મીર બ્લોકેજ, જેવા હિન્દુ – મુસ્લિમ નેશનલ સિલેબસ સમાન મુદ્દા આગળ ધરી હિન્દુ – મુસ્લિમ ડિબેટ કરાવવા સિટિઝન અમેન્ડ્મેન્ટ એક્ટ (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) જેવા મુદ્દા આગળ ઘરી રાષ્ટ્ર બનવાની કોશીશ કરી રહી છે. પરંતુ સરકાર એ રાષ્ટ્ર નથી અને એ બની પણ ન શકે તેમ છતાં સિટિઝન અમેન્ડ્મેન્ટ એક્ટ સંસદના બંન્ને ગૃહમાં પાસ થઇ ગયો છે, અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ તેને મળી ગઈ છે; ઉપરાંત નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સની પણ કાર્યવાહી ચાલુ થઇ ગઈ છે. આમ લોકશાહી દેશમાં પ્રથમ વખત ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવશે. 

સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯ની નવી જોગવાઈ :

આ એક્ટની નવી જોગવાઈ મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં લઘુમતી તરીકે વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના નાગરિકોને જરૂરી દસ્તાવેજ ન હોય તો પણ ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરોક્ત ધર્મના નાગરિકોએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભારતમાં પ્રવેશ કરી લીધો છે તો તેઓ નાગરિકતા માટે આવેદન કરી શકશે. ઉપરાંત ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પછી ઉપરોક્ત ધર્મના નાગરિકો ભારતમાં આવ્યા હશે તો તેઓને હવે સળંગ ૧૧ વર્ષની જગ્યાએ ફક્ત ૫ વર્ષનો સળંગ વસવાટ કરવાનો રહેશે અને તેઓને નાગરિકતા મળી જશે. ઉપરોક્ત ધર્મના નાગરિકોને ગેરકાયદે ઘૂષણખોરી કરનારા નહીં માનવામાં આવે. તેમ જ ઉપરોક્ત ધર્મના નાગરિકો સામે ભારતમાં પહેલેથી કોઈ ગેરકાયદે ઘૂષણખોરી કે નાગરિકતા સાબિત કરવા અંગેનો કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો હશે તો તે કેસ આપમેળે સમાપ્ત થઇ જશે. ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોને આજીવન વિઝા અને ભારતમાં કામ કરવાની પરવાનગી હોય છે. પરંતુ આ કાર્ડ કૌભાંડ કરીને મેળવ્યું હશે અને કાર્ડધારકની નોધણીના ૫ વર્ષની અંદર કોઈ અપરાધમાં ૨ કે તેથી વધુ વર્ષની સજા થઇ હોય તો ભારતની સુરક્ષા સબંધે આવા લોકોની નાગરિકતા રદ્દ થશે પણ તેઓને કાનૂની રીતે પોતાનો પક્ષ રજૂ કરવાનો હક મળશે. ઉપરાંત આ વિધેયકનો લાભ એવા લોકોને પણ મળશે જેઓ પાસપોર્ટ અને વિઝા વગર ભારતમાં પ્રવેશેલા છે અને તેમના વિઝા કે પાસપોર્ટ રદ્દ થઇ ગયા છે, હવે તેઓને પણ નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરીની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા કાયદામાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સાથે મુસ્લિમોને ઘૂષણખોર માનવામાં આવશે અને અન્ય છ ધર્મના લોકોને શરણાર્થી માનવામાં આવશે.

ઉત્તર – પૂર્વ ભારતના રાજ્યો માટે કાયદો લાગુ નહિ પડે 

ભારતીય બંધારણની અનુસૂચિ ૬ મુજબ ચાર રાજ્યો આસામ, મેધાલય, મિઝોરમ, ત્રિપુરાના ટ્રાઇબલ એરિયાને વિશેષ સવલતો અને સ્વાયતતા આપવામાં આવેલી છે. તેથી ભારતના ઘણાં કાયદા ત્યાં અમલી બની શકતા નથી, તેથી વિશેષ જોગવાઈ હેઠળ નવો બનેલો નાગરિકતા કાયદો ઉપરોક્ત રાજ્યોના ટ્રાઇબલ એરિયામાં અમલી બનશે નહિ. તેથી ત્યાં બાંગ્લાદેશમાંથી આવતી કોઈ પણ વ્યક્તિ ના વસવાટ કરી શકશે, ના જમીન ખરીદી શકશે, ના ઉપરોક્ત રાજ્યોમાં વસવાટ કરી ભારતીય નાગરિકતા મેળવી શકશે.

ઉત્તર-પૂર્વના અન્ય ત્રણ રાજ્યો અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ “ઇનર લાઈન પરમીટ” અંગેની વિશેષ સુવિધા ધરાવે છે, આ ઇનર લાઈન પરમીટની એવી જોગવાઈ છે કે ઉપરોક્ત રાજ્યોમાં એ રાજ્ય સિવાયની વ્યક્તિને ત્યાં જવું હોય તો રાજ્ય સરકારની પરમીટ લેવી પડે છે. એ પરમીટની મર્યાદા બહાર કોઈ ત્યાં રહી ન શકે, કાયમી ધોરણે વસવાટ ન કરી શકે, ઉપરાંત રાજ્ય સરકારને યોગ્ય લાગે તો પરમીટ માટે કોઈને ના પણ પાડી શકે. ઉત્તર – પૂર્વ રાજ્યોમાં મણિપુર માટે પણ ઇનર લાઈન પરમીટ કાયદો રાજ્ય વિધાનસભામાં પાસ થઇ ગયો છે, પરંતુ હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળી નથી પણ જેમ રાષ્ટ્રપતિની મંજૂરી મળશે તો મણિપુર રાજ્યમાં પણ ઇનર લાઈન પરમીટની વિશેષ સવલત રાજ્યને પ્રાપ્ત થઇ જશે.

નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન (NRC)

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ, કેટલાંક લોકોએ આસામમાંથી પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) સ્થળાંતર કર્યું પરંતુ તેમની જમીન આસામમાં હતી તેમ જ ભાગલા બાદ લોકોની અવરજવર બંને વિસ્તારોમાં રહી, જેના માટે ૧૯૫૧માં NRC તૈયાર કરવામાં આવ્યું. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશમાં રૂપાંતર થયા બાદ મોટી સંખ્યામાં શરણાર્થીઓનું સ્થળાંતર થયું જેનાથી આસામની વસ્તીમાં વધારો થઇ ગયો. આસામ સંધી અનુસાર ૨૫ માર્ચ ૧૯૭૧ પહેલાં આસામમાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરેલ લોકોને તથા જે વ્યક્તિનો જન્મ આસામમાં થયો હોય તેને પણ આ યાદીમાં સમાવિષ્ટ કરી ભારતીય નાગરિકતા આપવામાં આવશે. NRC એક રજીસ્ટર છે જેમાં બધા ભારતીય નાગરિકોની વિગતોનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આસામ રાજ્યની NRC અપડેટ થઇ હતી. ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ એન.ડી.એ. સરકારે આસામ રાજ્યમાં ગેરકાયદે રીતે વસતા લોકોને ઓળખી કાઢવા સંપૂર્ણ રાજ્યની નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનની પ્રથમ યાદી બહાર પાડી હતી. ત્યારબાદ સંપૂર્ણ યાદી બહાર પાડવામાં આવી જેમાં ૧૯ લાખ લોકોના ૧૨ અલગ અલગ જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે યાદીમાં નામ ના આવ્યા. આ ૧૯ લાખ લોકોમાં ૧૪ લાખ હિન્દુ છે અને બાકીના મુસ્લિમો છે. એન.ડી.એ. સરકારને એવુ હતું કે એ યાદીમાં મુસ્લિમો વધુ નીકળશે, પરંતુ હિન્દુ વધુ નીકળતાં એન.ડી.એ. સરકાર સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯ લાવ્યું.

આ એક્ટ મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા અને ધાર્મિક સતાવણી પામેલા પીડિત હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, પારસી, બૌદ્ધ ધર્મના લોકોને ધર્મના આધારે નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી, પરંતુ આ એક્ટમાં મુસ્લિમોને સામેલ કરવામાં આવ્યા નથી, તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯નો નાગરિકતા આપવાનો બંધારણીય કે તાર્કિક આધાર તો કોઈ છે નહિ, આનો આધાર NRCમાં છુપાયેલો છે. અહીં નાગરિકતા સાબિત કરવાની જવાબદારી નાગરિકોના શિરે છે. જો કોઈ નાગરિક પોતાની નાગરિકતા નહિ સિદ્ધ કરી શકે તો તો તેને ડિટેન્શન સેન્ટરમાં (અટકાયત કેન્દ્ર) નાંખી દેવામાં આવશે. પણ નવા નાગરિકતા કાયદા મુજબ મુસ્લિમ છોડી છ ધર્મના નાગરિકોને તો નવા કાયદા હેઠળ નાગરિકતા મળી જશે. નવા કાયદા મુજબ મુસ્લિમો પીડિત હશે તો પણ તેમને નાગરિકતા નહિ મળે. સિવાય કે કોઈ મુસ્લિમ કાયદેસર રીતે નાગરિકતા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તેઓને એક પ્રક્રિયા મારફતે નાગરિકતા મળી શકશે, પરંતુ તેઓને ૧૧ વર્ષ ભારતમાં વસવાટ કર્યા બાદ નાગરિકતા મળશે. મુસ્લિમ છોડી અન્ય છ ધર્મના નાગરિકો જો ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હશે, તો તેઓને ભારતની નાગરિકતા મળી જશે પણ મુસ્લિમોને નહિ મળે. અહીં ખરેખર તો સરકારે સાબિત કરવું જોઈએ કે જે કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી તો ક્યા દેશનો નાગરિક છે. પણ અહીં લોકોએ સાબિત કરવું પડશે કે તે ભારતનો નાગરિક છે. NRCમાં જે લોકોનું નામ નથી ઉપરાંત ફોરેનર ટ્રિબ્યુનલમાં પણ જે વ્યક્તિને નાગરિક માનતો નથી તેઓને એ પણ બતાવવામાં આવતું નથી કે તેઓ ક્યા દેશના નાગરિક છે. તેઓને નાગરિકતા વિહોણા દર્શાવી અટકાયત કેન્દ્રમાં નાંખી દેવામાં આવશે.

CAA અને NRC સામે વિરોધ 

સિટીઝન અમેન્ડ્મેન્ટ એક્ટ ૨૦૧૯માં મુસ્લિમોને ષડયંત્ર હેઠળ ઇરાદાપૂર્વક બાકાત રાખી આપખુદી વર્તવામાં આવી છે. બંધારણમાં ક્યાં ય એવુ લખેલું નથી કે ધર્મના આધારે નાગરિકતા આપવામાં આવે. જો ધાર્મિક સતાવણી આધાર હોય તો બધા ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવવી જોઈએ. ધર્મના આધારે કોઈ ભેદભાવ ના કરી શકાય, ભલે પછી તે વ્યક્તિ ભારતની નાગરિક હોય કે ના હોય. બંધારણના આર્ટીકલ ૧૪ મુજબ ધર્મના આધારે ભેદભાવ ના કરી શકાય તેમ જ ધર્મના આધારે કોઈ કાયદો પણ ના બનાવી શકાય. આ આર્ટીકલ મુજબ જે લોકો ભારતના નાગરિક નથી, છતાં તેને રાઈટ ટુ ઇક્વાલિટી હશે, રાઈટ ટુ પર્સનલ લિબર્ટી હશે, રાઈટ ટુ રિલીજિયન હશે ઉપરાંત આ આર્ટીકલ નિશેષ ફરમાવે છે કે સરકાર એવો કોઈ કાયદો ન બનાવી શકે જે આપખુદ (ARBITARY) હોય તેથી આર્ટીકલ આપખુદ કાયદા સામે પણ રક્ષણ આપે છે.

નવા નાગરિકતા કાયદામાં ફક્ત ત્રણ દેશોમાંથી આવતા મુસ્લિમ છોડી અન્ય છ ધર્મના લોકોને નાગરિકતા આપવાની વાત છે. પણ નેપાળમાં મધેશિયા સમુદાય સાથે પણ ધાર્મિક સતાવણી થાય છે, મ્યાનમારમાં રોહીન્ગ્યા સમુદાય પર પણ ધાર્મિક આધાર પર અત્યાચાર થાય છે. શ્રીલંકામાં તમિલો પર અને તિબ્બતમાં બૌદ્ધ સાથે ધાર્મિક સતાવણી થાય છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં નાસ્તિકો પર પણ હુમલા થાય છે. તેમ જ ઉપરોક્ત ત્રણેય દેશોમાં વસવાટ કરતા અને ધાર્મિક રીતે સતાવણી પામેલા પીડિત અહેમદિયા સમુદાય, ઇસ્માઇલી સમુદાય, મુઝાહીર સમુદાય, અને શિયા સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. તેથી સરકાર ધાર્મિક રીતે લોકો વચ્ચે ભાગલા પાડી પોતાની રાજનીતિ ચમકાવા માંગે છે. સરકાર સ્પષ્ટ રીતે ધાર્મિક આધાર પર નાગરિકતા આપી રહી છે જો નાગરિકતાનો આધાર માનવતા હોય તો માનવ અધિકારના દાયરામાં રહીને અન્ય ધર્મના સમુદાયને પણ નાગરિકતા આપવામાં આવવી જોઈએ.

નવા નાગરિકતા કાયદાની સૌથી વધુ ભનાયકતા એ છે કે જ્યારે સમગ્ર દેશમાં NRC થશે અને જે લોકો નાગરિકતા સાબિત કરવા જરૂરી દસ્તાવેજ રજૂ નહિ કરી શકે તો તેઓને ફોરેનર ટ્રિબ્યુનલમાં નાગરિકતા સાબિત કરવી પડશે અને જો તેઓ ટ્રિબ્યુનલમાં પણ નાગરિકતા સાબિત નહિ કરી  શકે તો જે તે નાગરિકોને ડિટેન્શન સેન્ટરમાં બંધ કરી દેવામાં આવશે. પરંતુ જો હિન્દુ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન પોતાની નાગરિકતા સાબિત નહિ કરી શકે તો તેઓને નવા કાયદા મુજબ ધાર્મિક આધાર પર આપમેળે નાગરિકતા મળી જશે. તેઓને કોઈ ડિટેન્શન સેન્ટરમાં નહિ પુરવામાં આવે. ઉપરાંત તેઓની સામે કોઈ ગેરકાયદે ઘૂષણખોરીના ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યા હશે તો તેવા કેસ પણ સમાપ્ત થઇ જશે. પરંતુ મુસ્લિમો નાગરિકતા અંગે જરૂરી દસ્તાવેજ રજૂ નહિ કરે તો તેઓને ફોરેનર ટ્રિબ્યુનલમાં નાગરિકતા સાબિત કરવી પડશે અને જો તેઓ ટ્રિબ્યુનલમાં પણ નાગરિકતા સાબિત નહિ કરી શકે તો તેઓને ડિટેન્શન સેન્ટરમાં બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત જે મુસ્લિમો સામે પહલેથી ઘૂષણખોરીના કેસ ચાલી રહ્યા હશે તે કેસો પણ સમાપ્ત નહિ થાય. મુસ્લિમો સિવાય અન્ય છ ધર્મના નાગરિકોને સમગ્ર રાહત મળશે પણ મુસ્લિમોની નાગરિકતા છીનવી તેઓને રાષ્ટ્ર વિહોણા બનાવી દેવામાં આવશે.

Loading

ચલ મન મુંબઈ નગરી — 29

દીપક મહેતા|Opinion - Opinion|2 February 2020

મુંબઈમાં કિલ્લો તોડ્યો, ટાવર બાંધ્યો, કોણે?

અમેરિકન સિવિલ વોરે અને ગવર્નરે

રાજાબાઈ ટાવરના રખેવાળને ઊંઘ આવી ગઈ એટલે ટાવરની રોશની વહેલી સવાર સુધી ચાલુ રહી અને તેથી કોટ વિસ્તારનાં ઘણાંખરાં સરકારી મકાનોની રોશની પણ ચાલુ રહી – ૧૯૫૦ની આ વાત આપણે ગયે વખતે કરી હતી. એક જમાનામાં મુંબઈની સૌથી ઊંચી ઈમારત હોવાનું માન આ રાજાબાઈ ટાવરને મળ્યું હતું. માત્ર આ ટાવરને જ નહિ, મુંબઈના આખા કોટ વિસ્તારને અમેરિકાના આંતર વિગ્રહ – સિવિલ વોર – સાથે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો તમે માનો? પણ એ હકીકત છે. આજે પણ જે કોટ વિસ્તાર તરીકે જ ઓળખાય છે તે વિસ્તારને ફરતો કોટ કહેતાં કિલ્લો, કહેતાં ફોર્ટ અંગ્રેજોએ બાંધ્યો હતો. કોટની અંદરના ભાગમાં મોટે ભાગે અંગ્રેજો રહેતા હતા અને સરકારી ઓફિસો હતી. ‘દેશી’ઓ બહાર કોટમાં, એટલે કે કોટની બહારના વિસ્તારમાં રહેતા હતા અને તેમની જુદી જુદી બજારો પણ ત્યાં ઊભી થઈ હતી. પણ કવિએ કહ્યું છે ને કે ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ વખત જતાં મુંબઈ શહેરના વિકાસ આડે અવરોધરૂપ બનવા લાગ્યો એ કિલ્લો. વળી જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે આવતા જે હુમલાખોરોથી બચવા માટે એ કોટ બાંધ્યો હતો તેમના હુમલાઓનો ભય હવે રહ્યો નહોતો. એટલે કોટનો કશો અર્થ રહ્યો નહોતો.

મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે

૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં કોટની દિવાલોની નિરર્થકતા તરત આવી ગઈ. એટલે એ દીવાલો તોડી પાડવાનો હુકમ આપ્યો જેથી મુંબઈ શહેરનો વિકાસ થઈ શકે. ફ્રેરેનો જન્મ ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે. અવસાન ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૮૩૪માં મુંબઈ આવ્યા અને કોર્ટના ‘રાઈટર’ તરીકે જોડાયા. ૧૮૩૫માં પૂનાના આસિસ્ટન્ટ કલેકટર બન્યા. ૧૮૪૨માં મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના પ્રાઈવેટ સેક્રેટરી બન્યા. ૧૮૫૦માં સિંધ(એ વખતે બોમ્બે પ્રેસિડન્સીમાં તેનો સમાવેશ થતો હતો)ના ચીફ કમિશ્નર બન્યા ૧૮૬૨માં તેઓ મુંબઈના ગવર્નર બન્યા અને ૧૮૬૭ સુધી એ પદે રહ્યા.

૧૮૬૧માં અમેરિકાની સિવિલ વોર શરૂ થઇ તેથી હિન્દુસ્તાન – અને ખાસ કરીને મુંબઈથી રૂની નિકાસ રાતોરાત ખૂબ વધી ગઈ. તેને પરિણામે એ વખતે મુંબઈમાં પૈસાની, સોનાચાંદીની રેલમછેલ થઈ હતી. એટલે કિલ્લો તોડીને શહેરનો વિકાસ કરવા માટેની આ સોનેરી તક હતી અને સર બાર્ટલ ફ્રેરેએ એ તક ઝડપી લીધી. પણ ફક્ત કિલ્લો તોડવાથી જ શહેરનો વિકાસ બહુ નહિ થઈ શકે એ વાત પણ તેમના ધ્યાનમાં આવી. મુંબઈ તો હતું સાત ટાપુનું બનેલું શહેર. તેના વિકાસ માટે જમીન કાઢવી ક્યાંથી? પણ ફ્રેરે લીધેલી વાત મૂકવામાં માનતા નહોતા. દરિયો છે તો શુ થયું? આપણે દરિયો પૂરીને – રેકલમેશન કરીને – જમીન મેળવીએ. પણ આ કાંઈ સરકારનું કામ નહોતું. પણ મુંબઈના લોકો તો આ કામ કરી શકે ને? અને અત્યારે મુંબઈમાં તો ધનના ઢગલા થયા છે, તો તેનો ઉપયોગ આ માટે કેમ ન થઈ શકે? આજે જે હોર્નિમેન સર્કલ તરીકે ઓળખાય છે તે એ વખતે એલ્ફિન્સ્ટન સર્કલ તરીકે ઓળખાતું. ત્યાંનાં ઘણાંખરાં મકાનો ૧૮૬૧ અને ૧૮૬૫ વચ્ચેની મુંબઈની જાહોજલાલી દરમ્યાન બંધાયેલાં. પહેલાં તો ત્યાં સપાટ મેદાન હતું જ્યાં રૂની ગાંસડીઓ બંધાતી અને તેનો વેપાર થતો.

પ્રેમચંદ રાયચંદના હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર

એ વખતે મુંબઈના વેપારી જગતના બેતાજ બાદશાહ ગણાતા હતા પ્રેમચંદ રાયચંદ. વેપારીઓ જ નહિ સરકારી અમલદારો, સમાજના અગ્રણીઓ, સહુ તેમનો પડ્યો બોલ ઝીલતા. એટલે ગવર્નરે પ્રેમચંદ રાયચંદને મળવા બોલાવ્યા અને દરિયો પૂરીને જમીન મેળવવા માટે એક કંપની કાઢવાનું સૂચન કર્યું.  પ્રેમચંદ શેઠને નેટિવ સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનના કામનો અનુભવ હતો. પૈસા હતા, વગ હતી. એ વખતે અંગ્રેજી બોલી-વાંચી શકે તેવા તેઓ એકમાત્ર શેર બ્રોકર હતા. ૧૮૬૦ સુધીમાં તેઓ લખપતિ બની ચૂક્યા હતા. (એ વખતે એ મોટી વાત હતી) ગવર્નર સાથે વાટાઘાટ કર્યા પછી બેકબે રેકલમેશન કંપની કાઢવાનું નક્કી થયું. આ કંપનીએ ૧૫૦૦ એકર જેટલી જમીન નવસાધ્ય કરવી તેમ ઠરાવ્યું. અને એ કંપનીના ચીફ પ્રમોટર કોણ, તો કે પ્રેમચંદ રાયચંદ. ભલે સીધી રીતે નહિ તો આડકતરી રીતે સરકારનો આ કંપની પર કાબૂ તો રહેવો જોઈએ ને? એટલે ગવર્નર ફ્રેરેએ આ નવી કંપનીના ૪૦૦ શેર ખરીદ્યા. લોકોને તો પ્રેમચંદશેઠ પર એવો આંધળો વિશ્વાસ કે તેમનું નામ પડતાં જ આ નવી કંપનીના શેર મેળવવા માટે પડાપડી થવા લાગી. ૫૦૦ રૂપિયાનો એક શેર. લોકો તેના ચાર-પાંચગણા ભાવ આપવા તૈયાર હતા. તેની દેખાદેખીથી બીજી પણ રેકલમેશન કંપનીઓ નીકળી. પણ સાચા અને પાકા વેપારીઓ કાંઈ પોતાને પૈસે શેર ખરીદે નહિ. તો શેર ખરીદવા પૈસા કોણ ધીરે? એ વખતે આખા મુંબઈ ઈલાકાની સૌથી મોટી બેંક હતી મુંબઈમાં આવેલી બેંક ઓફ બોમ્બે. ગવર્નરે પ્રેમચંદશેઠને એ બેંકના એક ડિરેક્ટર બનાવી દીધા. પણ ગવર્નરે આં કંપનીના શેર ખરીદ્યા છે એ વાતની ખબર લંડનમાં બેઠેલા અધિકારીઓને પડી. એટલે હિન્દુસ્તાનની સરકારે એ શેર વેચી નાખવાનો ગવર્નરને આદેશ આપ્યો એટલે એક શેરના ૫૦૦૦ના ભાવે એ શેર વેચાયા. એ રકમ એશિયાટિક બેંકિંગ કોર્પોરેશનમાં થાપણ તરીકે મૂકવામાં આવી. પણ આ એશિયાટિક બેંકિંગ કોર્પોરેશનની સ્થાપના કોણે કરી? તો કહે પ્રેમચંદ રાયચંદે. એટલે હવે મુંબઈના વેપારી જગત પરની તેમની પકડ વધુ મજબૂત બની. પ્રેમચંદશેઠની મીઠી નજર પડે તો માણસ ન્યાલ થઈ જાય. જે બે બેંકો સાથે તેઓ જોડાયા હતા તેમાંથી લોન મેળવવા માટે શું કરવું? શેઠસાહેબ સાદા કાગળની ચબરખી પર લખી આપે. એ લઈને બેંકમાં જાવ એટલે પૈસા હાજર, અલબત્ત ઊંચા વ્યાજે. લોકોને એ રીતે લોન લેવામાં વાંધો નહોતો દેખાતો કારણ જે રીતે શેરના ભાવ વધતા જતા હતા એ જોતાં વ્યાજની રકમ તો નફાની ચપટી જેટલી થશે એમ લોકો માનતા. અને બેંકોને લાગતું હતું કે ઊંચે વ્યાજે લોન આપીને આપણે ઢગલો પૈસા મેળવી લેશું.

બોમ્બે બેંક

રૂના વેપારીઓ

કવિએ કહ્યું છે ને કે ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે.’નહોતી રૂના વેપારીઓને ખબર, નહોતી બેંકોને ખબર કે નહોતી મુંબઈ સરકારને ખબર કે અમેરિકાની સિવિલ વોર ૧૮૬૫ના મે મહિનાની પહેલી તારીખે પૂરી થઈ જવાની છે. એટલે હિન્દુસ્તાનના રૂની નિકાસનો પરપોટો ફૂટી જવાનો છે, એટલે ભયંકર મંદી આવવાની છે, એટલે વેપારીઓ, રેકલમેશન કંપનીઓ, બેંકો, બધાં રાતોરાત પાયમાલ થઈ જવાનાં છે. અરે, બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદે પણ આવું તો નહોતું ધાર્યું.  બીજા બધાની જેમ તેમણે પણ લગભગ સર્વસ્વ ગુમાવ્યું. બેંક ઓફ બોમ્બે કેમ ફડચામાં ગઈ તે અંગે તપાસ કરવા સરકારે એક સમિતિ નીમી. તેણે પોતાના અહેવાલમાં જણાવ્યું કે પ્રેમચંદ રાયચંદ જે આડેધડ રીતે લોન આપવા બેન્કને ભલામણ કરતા હતા તેણે મોટો ભાગ ભજવ્યો હતો. જો કે પ્રેમચંદ શેઠે પોતાનું અંગત બધું દેવું ધીરે ધીરે ચૂકવી દીધું. રાખમાંથી ફરી જન્મેલા ફિનિક્સ પક્ષીની જેમ ફરી વેપારમાં પગભર થયા, પણ પહેલાંની પ્રતિષ્ઠા, પહેલાંની જાહોજલાલી પાછી ન આવી. પણ જ્યારે પૈસાની રેલમછેલ હતી ત્યારે એમણે સખાવત કરવામાં પાછું વાળીને જોયું નહોતું. છોકરીઓ માટે સ્કૂલ શરૂ કરવી છે? પ્રેમચંદશેઠ પૈસા આપશે. નવી લાઈબ્રેરી કાઢવી છે કે જૂનીને વધુ સમૃદ્ધ કરવી છે? પ્રેમચંદશેઠ છે ને? અને તેઓ માત્ર મુંબઈમાં જ દાન નહોતા આપતા. ગુજરાતની પણ અનેક સંસ્થાઓને સખાવત કરી હતી. અરે, છેક કલકત્તા યુનિવર્સિટીને પણ દાન આપ્યું હતું.

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે

આવા દાનવીર મુંબઈ યુનિવર્સિટીને દાન ન આપે એવું બને? તેની શરૂઆતથી આજ સુધી મુંબઈના (હવે મહારાષ્ટ્રના) ગવર્નર હોદ્દાની રૂએ તેના ચાન્સેલર હોય છે. એટલે ગવર્નર ફ્રેરે જેના ચાન્સેલર હોય તે યુનિવર્સિટીને તો પ્રેમચંદશેઠ દાન આપે જ ને! ૧૮૫૭માં આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે તેની પાસે પોતાનું મકાન નહોતું. એટલે તેની શરૂઆત ટાઉન હોલના મકાનમાં થઈ હતી. વર્ગો ત્યાં લેવાતા અને મેટ્રિકની તથા બીજી પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. આ નવી યુનિવર્સિટીને તેનાં પોતાનાં બે મકાનો બાંધવા માટે ઉદાર હાથે દાન આપનાર બે ગુજરાતીઓ હતા — સર કાવસજી જહાંગીર અને શેઠ પ્રેમચંદ રાયચંદ. સરસાહેબે કોન્વોકેશન હોલ માટે દાન આપ્યું અને પ્રેમચંદશેઠે લાઈબ્રેરી અને ટાવર માટે દાન આપ્યું. આ બંને ઈમારતની ડિઝાઈન બ્રિટનમાં તૈયાર થઈ હતી. એ બાંધવાનું કામ પણ બ્રિટિશ કંપનીને આપવા ધાર્યું હતું. પણ પહેલી  કંપનીએ ખર્ચનો જે અંદાજ આપ્યો તે ખૂબ વધુ હતો. કોન્વોકેશન હોલ માટે રૂપિયા સાડા બાર લાખ અને લાઈબ્રેરી અને ટાવર માટે ૧૫ લાખ. આટલો ખર્ચ કોઈને પોસાય તેમ નહોતો. એટલે મુંબઈ સરકારના આસિસટન્ટ આર્ચિટેક્ટની મદદ મગાઈ. તેમણે મૂળ ડિઝાઈનમાં ઓછામાં ઓછા ફેરફાર કર્યા. અને કોન્વોકેશન હોલના બાંધકામ માટે ખર્ચનો અંદાજ આપ્યો ૪ લાખ, ૧૫ હજાર ૮૦૪ રૂપિયા અને લાઈબ્રેરી તથા ટાવર માટે અંદાજ આપ્યો પાંચ લાખ ૨૮ હજાર ને ૯૩ રૂપિયા. લાઈબ્રેરી અને ટાવર માટે પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું, જે એ વખતે ઘણી મોટી રકમ કહેવાય. તેની ઈમારત બાંધતાં ચાર વર્ષ લાગ્યાં અને ૧૮૭૮ના નવેમ્બરમાં તેનું બાંધકામ પૂરું થયું. ત્યારે અગાઉના અંદાજ કરતાં વધુ ખર્ચ થયો હતો – પાંચ લાખ ૪૭ હજાર ૭૦૩ રૂપિયા. એટલે કે અંદાજ કરતાં ૧૯૬૧૦ રૂપિયા વધુ. ત્યાં સુધીમાં રૂની નિકાસના અને શેર બજારના ફુગ્ગા તો ક્યારના ફૂટી ગયા હતા. પણ આટલાં વર્ષો દરમ્યાન પ્રેમચંદશેઠના ચાર લાખ રૂપિયાનું જે વ્યાજ આવ્યું હતું તેમાંથી આ વધારાની રકમ ચૂકવાઈ શકી હતી. ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે સર કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ, યુનિવર્સિટી લાઈબ્રેરી, અને ટાવરનું વિધિપૂર્વક ઉદ્ઘાટન થયું. એ પ્રસંગે ટાવર પર રોશની કરવાનું નક્કી થયું હતું. ત્યારે મુંબઈમાં હજુ વીજળી તો આવી નહોતી એટલે ચાર હજાર રૂપિયાને ખર્ચે ટાવરને દીવાઓથી શણગારવામાં આવ્યો હતો. પણ એ દીવાનો ઝળકાટ થોડી મિનિટ જ ટક્યો હતો. કારણ જોરથી પવન ફૂંકાયો અને ઘણાખરા દીવા બુઝાઈ ગયા!  દાન આપતી વખતે એક પત્ર દ્વારા પ્રેમચંદ રાયચંદે ટાવર સાથે તેમની માતાનું નામ જોડવાની વિનંતી કરી હતી. તેમનાં અંધ માતાનું નામ હતું રાજાબાઈ. એટલે ટાવરને રાજાબાઈ ટાવર એવું નામ આપ્યું. એક લોકવાયકા એવી છે કે પોતાનાં અંધ માતા ટાવરના ડંકા સાંભળીને કેટલા વાગ્યા તે જાણી શકે એટલા ખાતર પ્રેમચંદશેઠે આ ટાવર બંધાવ્યો હતો. આજે પણ કોટ વિસ્તારના ઘણા ભાગોમાં આ ટાવરના ડંકા સંભળાય છે. પણ પ્રેમચંદશેઠ અને તેમનું કુટુંબ તો રહેતાં હતાં છેક ભાયખલામાં, પ્રેમચંદશેઠે બંધાવેલ ‘પ્રેમોદ્યાન’ નામના બંગલામાં. અને કોટ વિસ્તારમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકા ઠેઠ ભાયખલામાં સંભળાય એ શક્ય જ નથી. આ પ્રેમોદ્યાન બંગલો આજે પણ હયાત છે. અત્યારે તે ‘રેગીના પાસીસ’ તરીકે ઓળખાય છે અને નજીકમાં આવેલ ગ્લોરિયા ચર્ચ ત્યાં  છોકરીઓ માટેની સ્કૂલ ચલાવે છે.

પ્રેમચંદ રાયચંદનો બંગલો પ્રેમોદ્યાન

આમ, અમેરિકન સિવિલ વોરે મુંબઈને ભેટ આપી કોટ વિસ્તારના વિકાસની અને રાજાબાઈ ટાવરની. કોન્વોકેશન હોલ સાથે જેમનું નામ જોડાયું છે તે સર કાવસજી જહાંગીર રેડીમની વિશેની વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 01 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5512,5522,5532,554...2,5602,5702,580...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved