Opinion Magazine
Number of visits: 9575823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યારે મોટેરા માધવબાગ બન્યું અને ‘સુધારાવાળા’ પરાસ્ત થયા

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|26 February 2020

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત નિમિત્તે, ‘બે મહાન લોકશાહીના મિલન’થી માંડીને ‘બે પ્રતિભાશાળી વ્યક્તિત્વોના મિલન’ જેવાં સંખ્યાબંધ હોર્ડિંગ અમદાવાદમાં ઉભરાતાં હતાં. પરંતુ મુલાકાત પૂરી થયા પછી, તેના વિશે એટલુ જ કહેવાનું થાય કે તે તમાશાબાજ, ભપકાપ્રેમી, પ્રસિદ્ધિકેન્દ્રી, આત્મરતિગ્રસ્ત એવા બે નેતાઓનું પરસ્પર પીઠખંજવાળક મિલન હતું. દુનિયાના સૌથી મોટેરા સ્ટેડિયમમાં, છતી લોકશાહીએ મોટેરા ભાઈઓ(બીગ બ્રધર)ની જેમ વર્તતા બંને નેતાઓ મળ્યા ને પ્રાયોજિત દર્શકગણે જયજયકાર કર્યો. તેની સરખામણી ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલમાં આવતી માધવબાગની સભામાં, રૂઢિચુસ્તો જે રીતે જાતે ને જાતે સુધારાવાળાની હાર અને પોતાની જ્વલંત જીત જાહેર કરે છે, તેની સાથે થઈ શકે. વધુ કલ્પનાશક્તિ ધરાવતા સિનેમાપ્રેમીઓને ચાર્લી ચેપ્લિનની અમર ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં હિટલરે કરેલું મુસોલિનીનું સ્વાગત અને તેમાં દેખીતા ભપકા-કડપ તળે છુપાયેલી હાસ્યાસ્પદતા પણ સાંભરી શકે. (નોંધઃ અહીં મોદી-ટ્રમ્પને ક્રૂરતા કે શાસનપદ્ધતિના મામલે હિટલર મુસોલિની સાથે સરખાવ્યા નથી, પણ બે આત્મરતિગ્રસ્ત નેતાઓના ભપકા તળે કેવી હાસ્યાસ્પદતા છુપાયેલી હોઈ શકે છે, તેની વાત છે.)

પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહીને તેના માળખામાં રહીને કેટલી હદે તોડીફોડી શકાય તેનો નમૂનો જેમ ટ્રમ્પે પૂરો પાડ્યો છે, એવી જ રીતે સંસદીય લોકશાહીના માળખામાં રહીને લોકશાહીના અર્ક અને મિજાજને કઈ હદે રફેદફે કરી શકાય છે તેનો દાખલો બીજી મુદ્દતમાં નરેન્દ્ર મોદીએ પૂરો પાડ્યો છે. એ દૃષ્ટિએ બન્ને ‘પ્રતિભાશાળી વ્યક્તિત્વો’ ગણાય એની ના નહીં. તેમની વચ્ચેની દોસ્તીને હોર્ડિંગમાં ઘણું પ્રાધાન્ય અપવામાં આવ્યું અને ટ્રમ્પ પણ તેમના ‘ગ્રેટ ફ્રેન્ડ મોદી’નાં વખાણ કરતા રહ્યા. તે એટલી હદે કે ગાંધીજીના આશ્રમની વિઝિટર્સ બુકમાં પણ ટ્રમ્પે ગાંધીજી વિશે કશું લખવાને બદલે ‘ફ્રેન્ડ’ને જ અંજલિ આપી.

આશ્રમમાં ભારતના વડાપ્રધાને અમેરિકી પ્રમુખને ગાંધીજીના પ્રિય એવા ત્રણ વાંદરાના રમકડાની પ્રતિકૃતિ ભેટ આપી. ત્યારે બંનેએ આંખોઆંખોંમેં એકબીજા સાથે શી વાત કરી હશે? કલ્પના તો એવી જ આવે કે ‘લિન્ચિંગ વખતે બોલવાનું નહીં, નક્કર ટીકાઓ સાંભળવાની નહીં અને શાહીનબાગ જેવાં વિરોધ પ્રદર્શનો જોવાનાં નહીં.’ ટ્રમ્પની મુલાકાત પછી આશ્રમની વિઝિટર્સ બુકમાં તેમણે લખેલી ગાંધીજીના ઉલ્લેખ વગરની બે લીટી તથા તેમની સહી ચર્ચામાં રહ્યાં, તો મુલાકાત પહેલાં ગરીબ ઝૂંપડાવાસીઓને ઢાંકવા માટે બનાવાયેલી દીવાલનો મુદ્દો, બંને પ્રતિભાઓને પ્રિય એવા સોશ્યલ મીડિયા પર ગરમાગરમ ચર્ચામાં રહ્યો અને ઘણાં કાર્ટૂનોમાં સ્થાન પામ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એવી ચોખવટ કરવામાં આવી કે આ દીવાલ અમસ્તી પણ બાંધવાની જ હતી. પરંતુ એ ખુલાસા ખાતરનો ખુલાસો હતો, જેને લોકો પોતાના હિસાબે ને જોખમે જ માની શકે. એવું જ સ્ટેડિયમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માંડવાળ કરવાના અને નાગરિક અભિવાદન સમિતિ રચવાના નિર્ણય તથા તેના ખુલાસા વિશે પણ કહી શકાય.

ટ્રમ્પની મુલાકાત નિમિત્તે થયેલી ભપકાબાજીને વાજબી ઠરાવવા માટે આખા તમાશાને રાબેતા મુજબ ‘માસ્ટર સ્ટ્રોક’ ગણાવવામાં આવ્યો. ટ્રમ્પના ભાષણમાં ઓડિયન્સ તરીકે એકથી સવા લાખ માણસને એકઠાં કરવામાં આવ્યાં (જેમાંથી ઠીક ઠીક સંખ્યામાં લોકોએ ટ્રમ્પના પ્રવચનમાં અધવચ્ચેથી ચાલતી પકડી હોવાના અહેવાલ છે). તેનાથી ટ્રમ્પ-મોદી દોસ્તી જ નહીં, ભારત-અમેરિકા દોસ્તીમાં નવો અધ્યાય ઉમેરાયો હોવાનાં વિશ્લેષણ થયાં. જગતજમાદાર ગણાતા અમેરિકાના પ્રમુખ સાથે ભારતના વડાપ્રધાનનું સમીકરણ સારું હોય, તેનાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતને ચોક્કસ ફાયદો થાય. પણ આવા સંબંધોને મૈત્રી તરીકે દર્શાવવા અને ભેટાભેટી કરીને એવી મૈત્રીની જાહેર પહોંચો દેખાડવી — એમાં નક્કરતા ઓછી ને જોણું વધારે હોય છે. કેમ કે, બે નેતાઓ વચ્ચેનાં વ્યક્તિગત સમીકરણો મહત્ત્વનાં હોવા છતાં, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં છેવટે આવી કથિત દોસ્તી નહીં, પણ વ્યક્તિગત કે દેશનું કે બંનેનું હિત જ સૌથી મહત્ત્વનાં હોય છે. ગાલાવેલા થઈને ઉભરાઈ જઈને, બધી વખતે કથિત દોસ્તીનું કે સંબંધોની નિકટતાનું પ્રદર્શન કરવાથી નક્કર ઉપલબ્ધિ થાય એ જરૂરી નથી અને નક્કર ઉપલબ્ધિ માટે આવું કરવું પડે એ પણ જરૂરી નથી.

ટ્રમ્પે પાકિસ્તાન વિશે નકારાત્મક ટીપ્પણી કરી, તે સ્ટેડિયમમાં બેઠેલા સરકારી ઓડિયન્સે વધાવી લીધી ને પાકિસ્તાન વિશેની તેમની સકારાત્મક વાત પાકિસ્તાની મીડિયાએ માથે મૂકીને નાચવાનું શરૂ કર્યું. આ બંને પ્રતિક્રિયા આપનારાં જૂથો એક વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે ટ્રમ્પ માટે ભારત કે પાકિસ્તાન કરતાં ઘરઆંગણે પોતાની સત્તા ને પોતાનો સ્વાર્થ વધારે મહત્ત્વનાં છે. એવી જ રીતે, ભારતના વડાપ્રધાનને ‘હાઉડી’ (કેમ છો?) કહેવા માટે હ્યુસ્ટન નજીક લાગે છે અને શાહીનબાગ દૂર. આ બંને નેતાઓ ભારતની લોકશાહીના પાયામાં રહેલી, તેની તાકાત જેવી સર્વસમાવેશકતા અને વૈવિધ્યને ભાષણોમાં અંજલિઓ આપે છે, પણ શાસક તરીકે તેમનો વ્યવહાર સાવ સામા છેડાનો રહ્યો છે. બંને પોતપોતાના દેશમાં ધીક્કાર, ઝેર અને જૂઠાણાં ફેલાવતાં પ્રચારયંત્રોના પ્રેરક કે પ્રેરણાસ્રોત ગણાય છે. સોશિયલ મીડિયાનો અવિરત ઉપયોગ બંનેની ખાસિયત છે. લોકશાહીના હાર્દના પાયામાં ઘા કરતા નિર્ણયો લેવાની હરીફાઈ ટ્રમ્પ અને મોદી વચ્ચે થાય તો તેમાં ટ્રમ્પ જીતી જાય, પણ મોદી તેમને મજબૂત ટક્કર આપી શકે તેમ છે. અને હા, ટ્રમ્પ પાસે અમિત શાહ નથી.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતની બિનસત્તાવાર જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાને દિલ્હી ચૂંટણીની પ્રચારરેલીમાં કરી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાનનું નામ વિજય રુપાણી છે — કદાચ નામ યાદ ન હોય તો. કારણ શું કે ટ્રમ્પ-મોદી હોર્ડિંગબાજીમાં યજમાન રાજ્યના મુખ્ય મંત્રીનું ક્યાં ય નામોનિશાન ન હતું. (અગાઉ ચીનના વડા શી જિનપિંગ આવ્યા ત્યારે નહેરુ બ્રિજના છેડે લાગેલાં તોતિંગ હોર્ડિંગોથી માંડીને ઠેકઠેકાણે જિનપિંગ અને મોદી સાથે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સ્થાન મળ્યું હતું.) અમદાવાદમાં વિદેશી વડાઓ આવે તેનાથી ઘણા ગુજરાતીઓને ગૌરવ થાય છે, તો ઘણા બિનગુજરાતીઓને લાગે છે કે ભૂવો ધૂણીને નારિયેળ ઘર ભણી ફેંકે છે. આ બંને લાગણીઓ અસ્થાને છે. સરકારી તંત્રમાં કામ કરતા માણસોથી માંડીને એરપોર્ટ પર સલવાઈ ગયેલા મુસાફરો સુધીના લોકોને પૂછી જોજો. સરકારી તંત્રમાં કલેક્ટર કે મામલતદાર નહીં, તેથી પણ નીચલા સ્તરે ટ્રમ્પના સ્વાગત માટે કેટલા લોકો લાવવાની ને તેમના આખા દિવસ માટે સાચવવાની કેટલી તૈયારી કરાઈ હતી અને તેના માટેનાં નાણાંનો વહીવટ દરેક નીચલા હોદ્દેદારે કેવી રીતે પોતાની જાતે કરી લેવાનો હતો, તેની પણ કથાઓ સાંભળવા મળશે.

આખા તમાશાને બંને દેશો વચ્ચેના સંબંધની મજબૂતીની દૃષ્ટિએ વાજબી ઠરાવવા ઉત્સુક લોકોને જણાવવાનું કે બે દેશો વચ્ચેના સંબંધ મજબૂત બનાવવાના બીજા સન્માનજનક રસ્તા પણ હોય જ છે. તેના માટે લોકોને અપાર અગવડ પડે અને જેમાં જાહેર નાણાંનો અઢળક ધુમાડો થાય એવા અન્યોન્યઆત્મરતિમાં ડૂબેલા ચીતરીચઢાઉ તમાશા યોજવાનું ફરજિયાત નથી હોતું. આ વાત સમજવી હોય તો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં પણ દેશનો ઇતિહાસ હતો એટલું સ્વીકારવું પડે અને તેનો ઉપરછલ્લો પણ અભ્યાસ કરવાની તૈયારી રાખવી પડે.

સૌજન્ય : "નિરીક્ષક", 01 માર્ચ 2020; પૃ. 03-04

Loading

નિશાને સંવિધાનઃ ભ્રમ અને વાસ્તવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 February 2020

બંધારણની સફળતા-નિષ્ફળતાનો આધાર તેનો અમલ કરનાર કેવા છે તેના પરથી જ કરી શકાશે તેવી કસોટીએ જ બંધારણની સફળતા મૂલવી શકાશે.

ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી પ્રેસે ૨૦૧૯ના વરસના સૌથી ચર્ચાસ્પદ શબ્દ તરીકે ‘સંવિધાન’ની પસંદગી કરી છે. સંવિધાન શબ્દે ગયા વરસે વ્યાપક સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ૩૭૦મી કલમની નાબૂદીથી જ સંવિધાન શબ્દ જનમાનસમાં વ્યાપી ગયો છે. સંવિધાનની કસોટીએ લોકતંત્ર, બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યોની પરખ થઈ રહી છે. નાગરિકતા સંશોધન કાનૂન વિરોધી આંદોલનોમાં ભારતના બંધારણનો અને તેના કાવ્યમય આમુખનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેથી બંધારણ જડ કાયદાપોથી મટી લોકવિરોધ અને લોકમિજાજનું પ્રતીક બની ગયું છે. દેશમાં જમણેરી બળો બળવત્તર બની રહ્યાં છે ત્યારથી કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો અને નાગરિક ચળવળો સંવિધાન તેમના નિશાના પર હોવાનું કહે છે.

ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ બંધારણ સમીક્ષાના નામે બંધારણ બદલી નાંખવાનો ગુપ્ત એજન્ડાનો, પક્ષની રાજકીય-સાંસ્કૃતિક વિચારધારાને અનુરૂપ ફેરફરોનો અને વર્તમાન સંસદીય લોકશાહીને બદલે પ્રમુખ પદ્ધતિનું શાસન દાખલ કરવાનો પ્રચાર લાંબા સમયથી થતો રહ્યો છે. ‘બંધારણ બચાવો’ની આ બૂમરાણ કોઈ રાજકીય પ્રચારબાજી જ માત્ર છે કે તેમાં કોઈ તથ્ય પણ છે તે જાણવાનો એક પ્રયાસ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પક્ષના સિદ્ધાંતકોવિદ લાલકૃષ્ણ અડવાણીની આત્મકથાના વાચનની સાખે કરવા જેવો છે. એકાદ દાયકા પૂર્વે લખાયેલી દળદાર, વિગત અને સંદર્ભખચિત એવી અડવાણીની આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઈફ’નો ગુજરાતી અનુવાદ તાજેતરમાં જ સુલભ થયો છે. ૮૪૦ પૃષ્ઠોની આત્મકથાના ખંડ-૫ના ચોથા પ્રકરણ ‘ભારતીય બંધારણની કાર્ય સમીક્ષા’માં અડવાણીએ, ‘બંધારણ સમીક્ષા સમિતિની રચનાનો વિચાર મૂળભૂત રીતે મારો હતો’, એવા દાવા સાથે લખ્યું છે કે ‘શપથગ્રહણ(૧૩મી ઓક્ટોબર, ૧૯૯૯)ના પંદર દિવસની અંદર જ વાજપેયી સરકારે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કરાયેલું એક વચન પૂરું કર્યું. એ વચન હતું બંધારણની સમીક્ષા કરવા માટે એક રાષ્ટ્રીય પંચની રચના કરવી.’ (પૃષ્ઠ-૫૨૫) ભારતીય બંધારણના સુવર્ણજયંતી વરસે રચાયેલા આ પંચનો ઉદ્દેશ બંધારણના અમલના પચાસ વરસના અનુભવોની સમીક્ષા કરી ભવિષ્યના પડકારો મુજબના સંશોધનનો હતો. એ સમયે પ્રવર્તતી રાજકીય અસ્થિરતાને કારણે તેને રોકવાના ઉપાયો ચીંધવા, અવિશ્વાસ પ્રસ્તાવના સ્થાને રચનાત્મક વિશ્વાસ મતની વ્યવસ્થા વિચારવી અને સોનિયા ગાંધીના વિદેશી મૂળને ધ્યાનમાં લઈને વિદેશમાં જન્મેલી વ્યક્તિ ભારતના વડાપ્રધાન થઈ શકે કે કેમ તે અંગેની ભલામણનો પણ હેતુ હતો.

લગભગ બે દાયકા પૂર્વે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ વેંકટ ચૈલ્લેયાહના અધ્યક્ષસ્થાને રચાયેલા બંધારણ સમીક્ષા પંચના સભ્યોમાં ત્રણ નિવૃત્ત ન્યાયાધીશો (બી.જી. જીવન રેડ્ડી, કે. પુનૈયા અને આર.એસ. સરકારિયા,) બે કાયદાવિદ્ ( કે.પારાશરન અને સોલી સોરાબજી), બંધારણવિદ્ (સુભાષ કશ્યપ), પત્રકાર (સી.આર. ઈરાની), પૂર્વ રાજદૂત (આબિદ હુસૈન) પૂર્વ લોકસભા સ્પીકર (પી.એ. સંગમા) અને સાંસદ તથા મહાત્મા ગાંધીનાં પૌત્રી સુમિત્રા કુલકર્ણીની નિમણૂક કરવામાં આવી હતી. ૨૨ પરામર્શ પત્રો, દેશભરમાંથી મળેલાં ૨૬ હજાર સૂચનો અને ૧૦ નિષ્ણાત જૂથો દ્વારા પંચે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. પંચની રચના સામે વિરોધ વંટોળ ઊઠતાં સરકારને વિષયક્ષેત્ર સીમિત કરવાની ફરજ પડી હતી. સંસદીય લોકતંત્રની મર્યાદામાં રહીને, બંધારણના મૂળભૂત સ્વરૂપ કે વિશિષ્ટતાને હાનિ પહોંચાડ્યા વિના જ બે વરસ પછી ૧૧મી માર્ચ, ૨૦૦૨ના રોજ ૨૪૯ ભલામણો સાથેનો અહેવાલ પંચે સરકારને સુપરત કર્યો હતો.

કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળ માળખામાં ફેરફર કરવાનો સંસદને પણ અધિકાર નથી તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. અનુચ્છેદ ૩૬૮ હેઠળ સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે, સમીક્ષા નહીં તે હકીકતથી વાકેફ બંધારણ સમીક્ષા પંચના અધ્યક્ષ જસ્ટિસ વેંકટ ચૈલ્લેયાહે કાર્યવાહીના આરંભે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે “પંચનું કામ બંધારણના કામકાજની સમીક્ષા કરવાનું છે. તેના પુનર્લેખનનું નથી.” પંચે જે ભલામણો કરી હતી તેનાથી સરકારને પોતાનો ઈરાદો બર આવતો ન લાગતાં તેણે અહેવાલ અભરાઈએ ચડાવી દીધો. પંચે કરેલી ભલામણોનો જો અમલ કરવો હોય તો ૫૮ બંધારણ સુધારા, ૮૬ કાયદામાં સુધારા અને ૧૦૫ વહીવટી સુધારા કરવા પડે તેમ હતા, પરંતુ તે માટે, તત્કાલીન એન.ડી.એ. સરકાર પાસે ન તો બહુમતી હતી કે ન તો રાજકીય ઈચ્છાશક્તિ. વ્યાપક ચૂંટણી સુધારાની ભલામણો છતાં પંચે, ઉમેદવારોને ચૂંટણી માટે સરકારી ફ્ંડ આપવા કોઈ ભલામણ ન કરી, તેને ‘નિરાશાજનક’ લેખી, તો વિદેશી મૂળના નાગરિકોના મુદ્દે રાષ્ટ્રીય વિમર્શની આવશ્યકતાના પંચના વલણને ‘પલાયનવાદી’ ગણી આત્મકથામાં અડવાણી વખોડે છે.(પૃષ્ઠ-૫૩૦).

બંધારણ સમીક્ષાપંચની અનેક દુરોગામી ભલામણો અને કટુ આલોચનાનો બે દાયકે પણ અમલ થઈ શક્યો નથી. યુ.પી.એ. સરકારે માહિતીનો અધિકાર અને શિક્ષણના અધિકારના જે કાયદા ઘડ્યા તેની ભલામણ મૂળે તો પંચના રિપોર્ટમાં હતી. મૂળભૂત અધિકારોમાં નવા મૂળભૂત અધિકારો સામેલ કરવા સંદર્ભે પંચે જન્મ અને જાતિના આધારે રાજકીય અને અન્ય વિચારધારા તથા સંપત્તિના આધારે ભેદ કરી શકાશે નહીં તથા સ્વતંત્રતાના અધિકારમાં પ્રેસની આઝાદી અને માહિતીના અધિકારને સામેલ કરવાની ભલામણ કરી હતી. અદાલતી અવમાનના કેસમાં બચાવની તક, નિર્દયતાપૂર્વક, અમાનવીય અને હીન વ્યવહાર કરવામાં આવે તો જીવન કે દૈહિક સ્વતંત્રતાથી વંચિત વ્યક્તિને પ્રતિકારનો હક, પાંચ વરસમાં રોજગારના તમામ અવસર ઉપલબ્ધ કરાવવાની રાજ્યની બાંયધરી, મતદાન અને કર ચુકવણીની નાગરિકની ફરજ, કોઈપણ વિધેયકને રાજ્યપાલ ૬ મહિનામાં અને રાષ્ટ્રપ્રમુખનો પરામર્શ જરૂરી હોય તો વધારાના ૩ મહિનામાં મંજૂરી આપવી, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતીનાં સંતાનને શિક્ષણ અને નોકરીમાં અડધો ટકો અનામત, જ્ઞાતિમુક્ત થનાર વ્યક્તિને ખાસ સવલતોની પણ પંચની ભલામણ હતી.

બી.જે.પી.એ જ નહીં પૂર્વેની કૉન્ગ્રેસ સરકારોએ પણ બંધારણ સમીક્ષાના પ્રયાસો કર્યા હતા. ૧૯૫૧, ૧૯૫૪, ૧૯૬૭, ૧૯૭૬ અને ૧૯૮૦માં થયેલા બંધારણ સુધારા આ પ્રકારના જ હતા. કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધીએ કરેલો બેતાળીસમો બંધારણ સુધારો તો બંધારણના મૂળમાં ઘા કરનારો હતો. આ સુધારા દ્વારા જ આમુખમાં બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને અખંડતા જેવા શબ્દો ઉમેરાયા, મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી અને લોકસભા અને વિધાનગૃહોની મુદ્દત વધારાઈ હતી, તે પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ૪૩ અને ૪૪મા બંધારણ સુધારા મારફ્ત ૪૨મા સુધારાની ઘણી બાબતો રદ્દ કરી હતી. ભા.જ.પે. ૧૯૯૯ની ચૂંટણીઓ પછી તેના ચૂંટણીઢંઢેરાઓમાંથી બંધારણ સમીક્ષાનો મુદ્દો પડતો મૂક્યો અને વર્તમાન કેન્દ્ર સરકાર ‘બંધારણ દિવસ’ મનાવે છે છતાં તેની સામેનો બંધારણ વિરોધીનો પ્રચાર ઓસરતો નથી. બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે બંધારણની સફ્ળતાનો આધાર તેનો અમલ કરનાર પર રહેલો છે, તેમ કહ્યું હતું તે કસોટીએ જ બંધારણની સફ્ળતા મૂલવવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 26 ફેબ્રુઆરી 2020

Loading

શાંતિદૂત ભારતની શસ્ત્રોના વેપારમાં આગેકૂચ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|26 February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગન લઈને નિશાન તાકતી એક તસવીર હાલમાં વાઇરલ થઈ છે. આ તસવીર લખનઉમાં યોજાયેલા ‘ડિફેન્સ એક્સ્પો’ની છે. ભાગ્યે જ ભારતના કોઈ વડા પ્રધાનની આવી તસવીર જોવા મળી હશે. વડા પ્રધાનની જેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને ઉત્તર પ્રદેશના આદિત્યનાથ યોગીએ પણ હાથમાં ગન લઈને ફોટોશૂટ કરાવ્યું. શસ્ત્રો સાથે આટલું સહજ થવાનું ઊંચા પદે બિરાજેલા ભારતીય રાજકીય નેતાઓએ ટાળ્યું છે. પણ સમય સાથે આગેવાનો અને દેશની નીતિ બદલાઈ છે. ‘ડિફેન્સ એક્સ્પો’ દેશમાં 1981થી થાય છે, પણ ડિફેન્સ એક્સપર્ટના સ્થાને રાજકારણીઓ મોટા પ્રમાણમાં દેખાય તેવું પ્રથમવાર બન્યું છે. 

શસ્ત્રોના વેપારમાં દેશની આગેકૂચ સર્વસ્વીકાર્ય છે, કારણ કે સંરક્ષણની બાબતમાં ભારત નબળા દેશ તરીકે પેશ આવતું રહ્યું છે. આક્રમક મોડ પર આપણો દેશ દેખાયો નથી. વર્તમાન સરકાર દેશની છબિ તેવી રાખવા માંગતી નથી. હરહંમેશ દેશ સશક્ત અને સલામત રહે, તેવું સરકાર પુરવાર કરવા માગે છે. ‘ડિફેન્સ એક્સ્પો’માં વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં આ વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે, “આપણી અગાઉની નીતિ અને રાજનીતિ વિદેશી શસ્ત્રો ખરીદવા માટેની હતી, જે કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરનારો દેશ બન્યો છે. હવે ઉદ્દેશ વૈશ્વિક સ્તરે શસ્ત્રો નિર્યાત કરીને રોજગારીની તકો સર્જવાની અને અર્થતંત્રને ઉપર લાવવાનું છે.”

શસ્ત્રોના નિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ડિફેન્સ સાધનોનો નિકાસનો આંકડો 2,000 કરોડથી 17,000 કરોડ સુધી પહોંચાડ્યો છે. આવનારાં પાંચ વર્ષમાં તેને 35,000 કરોડ સુધી લઈ જવાનો ઇરાદો વર્તમાન સરકાર ધરાવે છે.

સરકારે આ માટે ખાનગી રોકાણકારોનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અગાઉની સરકારે લીધેલા નિર્ણયો પણ બદલ્યા છે. જેમ કે, ‘પી-75(1)’ પ્રોજેક્ટ અંતર્ગત 50,000 કરોડમાં છ સબમરીન વિદેશની અલગ-અલગ કંપનીઓ પાસેથી ખરીદવાનું યુ.પી.એ. સરકારે ઠરાવ્યું હતું. એન.ડી.એ. સરકારે આ નિર્ણયને ફેરવી કાઢ્યો છે. તેના સ્થાને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ અને ભારત સરકારની ‘મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ને આ કામ સોંપ્યું છે. સબમરીનનો આ કિસ્સો સંરક્ષણ ક્ષેત્રે સરકાર કેમ પ્રવેશવા માગે છે, તેનો આદર્શ દાખલો છે.

સરકારનો દાવો એક બાજુ સંરક્ષણ ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચાડવાનો છે, ખાનગી રોકાણકારો માટે આ ક્ષેત્ર ખોલવાનો છે, અર્થતંત્રમાં તેનો સંરક્ષણ ક્ષેત્રનો હિસ્સો વધારવાનો છે, રોજગારી વધારીને મસમોટા ડિફેન્સ કોરીડોર સ્થાપવાનો છે. પણ જ્યારે આ પૂરી કસરતના લાભ તળના સૈનિકોને મળે છે કે નહીં તે તપાસીએ ત્યારે તેનો જવાબ શંકાના દાયરામાં આવે છે.

હાલમાં સંસદમાં મૂકવામાં આવેલા ‘ધ કમ્પ્રટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા’(કેગ)ના રિપોર્ટ અનુસાર સિયાચીનમાં તૈનાત જવાનો અપૂરતા સંસાધનો વચ્ચે કામ કરે છે. સિયાચીન અને લદાખ જેવાં ક્ષેત્રોમાં સૈનિકોએ વિષમ સ્થિતિમાં ફરજ બજાવે છે. અહીંયા સ્નો ગોગલ્સ અને વિશેષ પ્રકારના બૂટ જોઈએ. ‘કેગ’ના રિપોર્ટ મુજબ બૂટ, ગોગલ્સ સહિતની પ્રાથમિક સુવિધા સૈનિકોને મળી નથી! જે સ્લિપીંગ્સ બેગ્સ મળી છે તેની પણ ગુણવત્તા યોગ્ય જણાઈ નથી.

‘કેગ’ દ્વારા સૈન્ય ક્ષેત્રમાં થઈ રહેલાં અનેક ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધાઈ છે; જેમાં મરો અંતે સૈનિકોનો છે. કારગીલ યુદ્ધ પછી ‘ઇન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી’ની સ્થાપના કરવાનો ઉદ્દેશ હતો, જે અનુસંધાને દેશની સુરક્ષાની નબળી કડી પર કામ કરવાનું હતું, પણ તે પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. સંરક્ષણ ક્ષેત્રના પાયાના કામો અને સૈનિકોને મળવી જોઈએ તેવી સુવિધામાં ધાંધિયા હોય ત્યારે નિકાસના દાવા પર સવાલ ખડા થાય છે.

શસ્ત્રોનો ધંધો ધિકતો છે. તેમાં નફો માતબર છે. ભારત અત્યાર સુધી શસ્ત્રોનું નિર્યાત કરતું રહ્યું છે, પણ તેમાં ક્યારે ય બિઝનેસ ઉદ્દેશ દેખાતો નથી. છેલ્લાં પચ્ચીસ વર્ષનો રેકોર્ડ જોઈએ તો 1995થી લઈને 2000 સુધી શસ્ત્રના વેપારમાં ભારત તરફથી જરાસરખો પણ વધારો થયો નથી. 2000થી 2005 સુધી પણ આ વેપારનો આંકડો વધ્યો નહોતો. પરંતુ ત્યાર બાદના પાંચ વર્ષ (2006-2010) સુધીમાં શસ્ત્રના વેપારમાં વધારો જોવા મળ્યો હતો. ફરી 2011થી લઈને 2014 સુધી આ વેપારમાં કોઈ વધારો નહોતો. 2014માં એન.ડી.એ. સરકાર આવ્યા બાદ વડા પ્રધાને જાતે આમાં રસ લઈને શસ્ત્રોનો બિઝનેસને વધાર્યો છે. છ વર્ષમાં વર્ષવાર શસ્ત્રોના બિઝનેસમાં ભારત આગળ વધી રહ્યું છે.

જો કે અહીંયા એ નોંધવું રહ્યું કે જે ઇરાદા-દાવા શસ્ત્ર વેપારમાં વડાપ્રધાન રાખે છે, તેની સત્યતા તપાસીએ ત્યારે આ ઇરાદા-દાવા પોકળ થવાની શક્યતા વધુ છે. વર્તમાન જમાનો અત્યાધુનિક શસ્ત્રોનો છે. તેમાં પણ અમેરિકા-ચીન-રશિયા જેવાં આ બિઝનેસના પાક્કા ખેલાડી તેમાં રોજબરોજ સંશોધન કરીને નવાં-નવા શસ્ત્રો લાવે છે. આની સામે સરકારી માળખાંની મદદ લઈને વિશ્વમાં વેપાર કરવાનું કામ પડકારભર્યું છે. એક હદ સુધી સફળતા મળે, પણ તેમાં આપણા દેશે સતત ટકી રહેવું નિષ્ણાતોને અશક્ય લાગે છે.

અશક્ય લાગવાનું એક મહત્ત્વનું કારણ દેશ માટે શસ્ત્ર બનાવનારી કંપની ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન’(ડી.આર.ડી.ઓ.)ની મર્યાદા છે. 2008માં તેની મર્યાદા શું છે તે જાણવા માટે એક એક્સર્ટનલ કમિટિ પણ રચવામાં આવી હતી. આ કમિટિ અંતર્ગત ‘ડી.આર.ડી.ઓ.’ના માળખાની ખામી શોધવાનું કામ થયું હતું. આ રિપોર્ટમાં બહાર આવેલી વિગત ગંભીર હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ડી.આર.ડી.ઓ.’નો મુખ્ય પ્રશ્ન એચ.આર. મેનેજમેન્ટનો છે. આ ઉપરાંત, ‘ડી.આર.ડી.ઓ.’માં ઇજનેર સંબંધિત ક્ષેત્રમાં પીએચ.ડી કર્યું હોય તેવાં વિજ્ઞાનીઓની ટકાવારી માત્ર ત્રણ ટકા છે! બાકીના સાઠ ટકા સ્ટાફ માત્ર સ્નાતક-અનુસ્નાતક થયેલો છે. ‘ડી.આર.ડી.ઓ.’માં સાધનોની પણ કમી છે.  રિપોર્ટમાં ‘ડી.આર.ડી.ઓ.’ની તમામ વિભાગમાં મર્યાદા દર્શાવવામાં આવી હતી અને વ્યાવસાયિક વલણ અંગે સૌથી વધુ નબળાઈ રિપોર્ટમાં આલેખવામાં આવી હતી. આ તમામ મર્યાદા આજે પણ લાગુ પડે છે. આ માળખાંમાં કોઈ ટારગેટ મૂકવામાં આવે તો તે સર થવો અશક્ય છે.

અંતે વાત શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં તે અંગેની. આપણો દેશ અત્યાર સુધી શાંતિદૂત બનીને વિશ્વમાં ઊભર્યો છે. વિશ્વશાંતિનો સંદેશ ભારતની ભૂમિ પરથી પ્રસર્યો છે તેવો દાવો આપણે કરીએ છીએ. સપ્ટેમ્બર, 2019માં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જે ભાષણ આપ્યું હતું તેમાં પણ ‘અમે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે’ તે વાત કરી હતી. આ ભાષણમાં વડાપ્રધાને ગાંધીજીની 150 જન્મ જયંતીના ઉજવણી ભારત જોરશોરથી કરી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. સાથે અમે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે તે વાત મક્કમપણે રજૂ કરી હતી.

આખું ચિત્ર જોઈએ તો તેમાં ક્યાં ય શાંતિના સિદ્ધાંત કે શસ્ત્રોના વેપાર એ બંને બાબતોમાં સરકારની કોઈ પ્રતિબદ્ધતા દેખાતી નથી. જો આ રીતે શાંતિ અને વેપારના દાવા કરી નાંખવામાં આવે છે તો પ્રજા માટે તે ચેતવા જેવી સ્થિતિ છે.

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5292,5302,5312,532...2,5402,5502,560...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved