Opinion Magazine
Number of visits: 9456469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નો ડિટેન્શન પોલિસી અંગે રાજ્યો એકમત નથી !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 February 2025

ચંદુ મહેરિયા

સોળમી ડિસેમ્બર ૨૦૨૪ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ગેઝેટમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું એક નોટિફિકેશન પ્રગટ થયું હતું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર (સુધારો) નિયમ, ૨૦૨૪ શીર્ષક હેઠળની આ અધિસૂચના અનુસાર કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં હવેથી નો ડિટેન્શન પોલિસી ખતમ કરવામાં આવી છે. અર્થાત ધોરણ ૫ અને ૮ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને હવે ઉપલા ધોરણમાં ચઢાવી શકાશે નહીં. સરકારે અનુતીર્ણ થનાર વિદ્યાર્થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવતો રહે તે માટેના સુધારાત્મક પગલાંની આવશ્યકતા અધિસૂચનામાં ભાર દઈને જણાવી છે. પરંતુ તે તરફ દુર્લક્ષ સેવીને પ્રાથમિક શાળાઓમાં પાંચમા-આઠમામાં પણ બાળકોને નાપાસ કરી શકાશે તેની જ સર્વત્ર ચર્ચા છે.

છ્યાંસીમા બંધારણ સુધારા(વર્ષ ૨૦૦૨)થી છથી ચૌદ વર્ષનાં બાળકોને અનુચ્છેદ ૨૧-એ-થી શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ની ધારા -૧૬માં દેશના તમામ બાળકો ધોરણ આઠ સુધીનું પ્રારંભિક શિક્ષણ કોઈ પણ પ્રકારની  બાધા, અવરોધ કે અટકાવ વિના મેળવે તેવી જોગવાઈ કરી હતી. કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ મેળવતું અટકાવવું નહીં અને તે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત મેળવે અને તેને શાળામાંથી તગેડી મૂકવામાં ના આવે તે માટેની આ જોગવાઈ હતી. પરંતુ શાળાઓએ ડિટેન્શન પોલિસીનો અર્થ બાળકોને નાપાસ ના કરવા તેવો કર્યો અને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાંખ્યા.  

તણાવમુક્ત શિક્ષણનો માહોલ ઊભો કરવો, માત્ર વાર્ષિક પરીક્ષાનાં મૂલ્યાંકનથી દૂર રહેવું, શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધારવું, શાળા છોડી જતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, ભિન્નભિન્ન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતાં બાળકોને શિક્ષણ મેળવવાનો સમાન અવસર પૂરો પાડવો, અનેક પડકારો છતાં બાળક પાંચમા કે આઠમા ધોરણ સુધી તો ટકી રહે અને નબળાં વિદ્યાર્થી પણ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેવો ઉદ્દેશ નો ડિટેન્શન પોલિસી પાછળ રહેલો હતો.

બાળકોને શાળાની બહાર નહીં ધકેલવાની આ નીતિ પાછળ બાળકોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ શોધવી અને અપનાવવી તેવો મુખ્ય હેતુ સ્વાભાવિક હતો. પરંતુ ખોટા અર્થઘટન અને અમલીકરણના પડકારોને કારણે તે નીતિએ શિક્ષણને વધુ નબળુ બનાવ્યું છે. એટલે અમલના થોડાંક જ વરસો પછી ઘણા રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને દફન કરવા અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણ પહેલા માત્ર રાજ્યોનો વિષય હતો. પરંતુ આંતરિક કટોકટીના વરસોમાં ૧૯૭૬ના બેતાળીસમા સુધારાથી તેને સમવર્તી કે સંયુક્ત સૂચિમાં સમાવવામાં આવેલ છે. એટલે શિક્ષણ સંબધી કાયદા કેન્દ્ર અને રાજ્યો બંને ઘડી શકે છે. કેન્દ્રના કાયદા કે નિયમો રાજ્યો માટે બંધનકર્તા નથી હોતા. 

૨૦૧૦-૧૧થી અમલી બનેલી નો ડિટેન્શન પોલિસી સામે ૨૦૧૫ની કેન્દ્રિય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બાળકોને નાપાસ નહીં કરવાને કારણે શિક્ષણ કથળ્યું હોવાનું અને તેને લીધે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામનું રિઝલ્ટ પણ નબળું આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આમે ય ભારતનાં બાળકો બુનિયાદી સાક્ષરતા અને ગણિતમાં એટલે લેખન, વાચન,  ગણનમાં નબળાં છે. તેમને પાંચમા-આઠમામાં નાપાસ નહીં કરવાની સરકારી નીતિને કારણે તેમની આ નબળાઈમાં ઓર વધારો થયો છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, અસર(ASER)ની હકીકતો પણ વિરોધીઓના સમર્થનમાં હતી. ૨૦૨૨માં ધોરણ ૫ના ૨૫.૬ ટકા વિદ્યાર્થી ધોરણ- ૨ના બે અંકોના સરવાળા બાદબાકીના દાખલા ગણી શકતા નહોતા. તો ૪૨.૮ ટકા બીજા ધોરણનું વાંચી શકતા નહોતા. ચૌદથી અઢાર વરસના ચોથા ભાગના વિદ્યાર્થી પોતાની માતૃભાષાનો કોઈ પાઠ અસ્ખલિત વાંચી શકતા નહોતા. ૨૦૨૩માં દેશના સાઠ જેટલા પરીક્ષા બોર્ડની દસમી-બારમીની પરીક્ષામાં આશરે ૬૫ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ બધા માટે બાળકોને વગર પાસ થયે કે આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

 વિદ્યાર્થીઓને આપમેળે ઉપર ચઢાવી દેવાતાં બાળકો, વાલીઓ અને ખુદ શિક્ષકો શિક્ષણ પ્રત્યે બેજવાબદાર બન્યા હતા. ભણાવો તો ય શું અને ન ભણાવો તોય શું, ભણો તો ય ઠીક અને ના ભણો તો ય ઠીક, બાળક્ને નિશાળે મોકલીએ કે ના મોકલી બધું સરખું જ છે, તેવું વલણ સમાજમાં પ્રવર્તવા માંડ્યું હતું. એટલે સરકારે સંસદમાં ૨૦૧૯માં ૨૦૦૯ના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારો કરીને નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી હતી. 

જો કે તે અંગેના નિયમો છેક ૨૦૨૪માં સુધાર્યા અને નીતિને દફનાવી દીધી છે. કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ સ્કૂલ્સ, નવોદય વિદ્યાલયો, એકલવ્ય શાળાઓ, સૈનિક સ્કૂલ્સ વગેરે મળીને ત્રણ હજાર શાળાઓમાં હવે આ વરસથી ધોરણ ૫ અને ૮માં કોઈને આપમેળે પ્રમોશન મળશે નહીં. જો કે સરકારે અનુતીર્ણ થનાર બાળકોની બે મહિનામાં પુન:પરીક્ષા લેવાની અને તેમાં જો તે પાસ થાય તો ઉપલા ધોરણમાં મોક્લવાની જોગવાઈ કરી છે. આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને નાપાસ થનાર કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવા અને તેમના પર વિશેષ ધ્યાન આપવા પણ જણાવ્યું છે.

પ્રાથમિક શાળાના બાળકોને આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની કે વગર પાસ થયે ઉપરના ધોરણમાં નહીં ચઢાવવાની નીતિ અંગે રાજ્યોનો મત વહેંચાયેલો છે. વળી કેન્દ્રે નો ડિટેન્શન પોલિસી પરત ખેંચી છે, એટલે બી.જે.પી.શાસિત તમામ રાજ્ય સરકારો તેને અનુસરશે તેવું પણ જોવા મળતું નથી. દેશના અડધા રાજ્યો આ નીતિની તરફેણમાં છે તો અડધા વિરોધમાં છે. વિપક્ષશાસિત રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને ખરાબ ગણી તિલાંજલી આપી હોય તેમ છે તો ભા.જ.પા.શાસિત રાજ્યોએ હજુ પણ આ નીતિ જારી રાખી છે. દેશનું સૌથી મોટું અને બી.જે.પી.ની રાજવટ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ નો ડિટેન્શન પોલિસીની તરફેણમાં છે. ભા.જ.પ.ના વિરોધમાં કાયમ રહેતી દિલ્હીની આમ આદમી પાર્ટીની કે મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસની બંગાળ સરકાર કેન્દ્રની નીતિના સમર્થનમાં છે અને તેનો અમલ કર્યો છે. આવું જ દેશના સૌથી શિક્ષિત અને ડાબેરી શાસન ધરાવતા કેરળની સરકારનું છે.  ભા.જ.પ.ના શાસન હેઠળના રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, છતીસગઢ અને ગોવામાં નો ડિટેન્શન પોલિસી અમલમાં છે. કાઁગ્રેસશાસિત રાજ્યોમાં પણ આમ જ છે. સંયુક્ત યાદીનો શિક્ષણ પરનો કેન્દ્રનો નિર્ણય રાજ્યોને બાધ્યકારી નથી એ ખરું પણ આવા મહત્ત્વના વિષયે દેશમાં સર્વસંમતિ ન હોય તે બાબત વિચારણીય છે.

ગુજરાતમાં ૨૦૨૩થી ધોરણ ૫ અને ૮માં નાપાસ વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવતા નથી. જો કે ધોરણ ૧થી ૪ અને ૬-૭ માં નાપાસ થાય તો ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે. એટલે શિક્ષણની ગુણવતા કથળવાની હોય તો તે પાંચમા –આઠમાં નાપાસ થવાથી જ કથળે કે કોઈપણ ધોરણમાં ? હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું ? તે સવાલ પણ ઊભો જ છે. નો ડિટેન્શન પોલિસીનો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી. સતત પરીક્ષણ અને મૂલ્યાંકન નિષ્ફળ રહ્યું હતું. હાલની પરીક્ષા પદ્ધતિનો વિકલ્પ શોધવામાં કોઈને રસ ન પડ્યો. એટલે જેમ રાજ્યોનો મત આ નીતિ અંગે વહેંચાયેલો છે તેમ આ નીતિના લાભાલાભ અંગે પણ સમજવું રહ્યું. 

e.mail : maheriyachandu@Fgmail.com

Loading

ઓળખાણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|13 February 2025

સંતુ નાના ગામમાં મોટી થઈ હતી. રૂઢિચુસ્ત ગામ અને ગામમાં માન્યતા એવી હતી કે દીકરીઓને ભણાવાય નહીં. દીકરીઓને ભણીને શું કામ છે. દીકરીઓને ક્યાં ક્યાં ય કમાવા જવાનું છે? એટલે સંતુને ભણવાનો મોકો મળ્યો નહોતો. જ્યારે ગગજી ચાર ચોપડી ભણી બાપા સાથે ખેતીનાં કામે લાગી ગયો હતો. ખેતી બહુ મોટી નહોતી એટલે ભાગિયા રાખવા પોસાય એમ નહોતા એટલે બાપાને મદદ કરવા અભ્યાસ છોડી ખેતી કરવા લાગ્યો હતો. સંતુને પોતે ભણી શકી નહોતી, તેનો અફસોસ હતો, એટલે દીકરા ગોપુને ખૂબ ભણાવી મોટો ઓફિસર બનાવવાની ઈચ્છા હતી.

“સાંભળો છો.” “હા, બોલ.” “આપણે ગોપુને ખૂબ ભણાવવો છે. હું ન ભણી શકી. તમે પણ ચાર ચોપડી ભણ્યા. આપણું તો ગાડું જેમ તેમ કરીને ગબડી ગયું પણ ગોપુને મારે ખેતી નથી કરાવવી.” “અરે! ગાંડી, આપણી એટલી હેસિયત ક્યાં છે કે ગોપુને શહેરમાં ભણવા મોકલી શકીએ. મારી ઈચ્છા તો તેને મારી સાથે ખેતીમાં કામે લગાડવાની છે એટલે એક મજૂરનાં પૈસા બચી જાય.” 

“ના, હો! મારે તો ભણાવવો છે. આપણે વધારે કામ કરીશું. હું પણ તમને મદદ કરીશ. મને કચ્છીભરત, સારું આવડે છે અને બધાને પસંદ પડે છે, એટલે એ કામ કરી હું તમને મદદ કરીશ. એમ કરીને ગોપુનો ભણવાનો ખર્ચ કાઢી લેશું. થોડી કરકસર કરીશું. મારે તો આગળ ભણવા માટે શહેરમાં મોકલવો છે.” “જેવી તારી ઈચ્છા.”

સંતુ અને ગગજી ખૂબ મહેનત કરવા લાગ્યા ને ગોપુને અભ્યાસમાં અને શહેરમાં રહેવાની કોઈ આર્થિક તકલીફ ન પડે એટલે પોતાની જરૂરિયાત ઓછી કરી કરકસરથી રહેતા હતા. શરૂ શરૂમાં ગોપુ વેકેશનમાં, રજામાં ઘરે આવતો જેથી ખર્ચમાં બચાવ થાય અને ગગજીને ખેતીમાં મદદ પણ કરતો. સંતુ અને ગગજી બંને ખૂબ ખુશ હતા.

ઘણા સમયથી ગોપુ ઘરે આવ્યો નહોતો અને કાંઈ ખબર પણ નહોતા. સંતુને ચિંતા થવા લાગી. “તમે ગોપુ પાસે આંટો મારી આવોને, મને ચિંતા થાય છે. હું તમને ગોપુને ભાવતો નાસ્તો બનાવી આપું.” “મારે અહીં ઘણું કામ છે ગોપુ અભ્યાસને લીધે નહીં આવ્યો હોય.” “ભલે તમે ગમે તે કહો મારું મન નથી માનતું તમે જાવ તો સારું.” “ભલે તારું મન કહે તેમ હું ગોપુ પાસે જઈ આવું.” સંતુએ ગોપુને ભાવતો નાસ્તો બનાવ્યો ગગજીને તાકીદ કરી કે ગોપુને નાસ્તો તમારા હાથે ખવરાવજો અને પૂછજો તારી માએ કેવો નાસ્તો બનાવ્યો છે? પૂછજો હો, દીકરાને વહાલ કરવામાં ભૂલી ન જતા.”

ગગજી ગોપુને મળવા શહેર જવા નીકળી ગયો. સંતુ ઘરમાં એકલી પડીને ભાવિ સપનાંમાં સરી પડી કે મારો ગોપુ મોટો ઓફિસર બની જશે પછી હું આ ખેતીનું કામ નહીં કરું અને ગગજીને પણ નહીં કરવા દઉં. દીકરાને ભણાવવા માટે આ તનને તોડી નાખ્યું છે, હવે સુખનાં દાડા આવે એટલે સુખ ભોગવી લેવાનું. મહેનત, મજૂરીમાં પોણી જિંદગી ખર્ચી નાખી છે. પછી તો ગોપુ માટે મોટા મોટા ઘરનાં માગા આવશે પણ હું એમ જલદી મારા ગોપુ માટે કન્યાની પસંદગી નહીં કરું. કન્યા પણ ગોપુની સાથે શોભે એવી હોવી જોઈએ. હવે અમારું ઘર પણ પાંચમાં પૂછાતું થઈ જશે! આમ સંતુ, ગગજી આવ્યો ત્યાં સુધી સપનામાં વિહરતી રહી, રાચતી રહી.

ગગજી પાસે ગોપુએ આપેલું સરનામું હતું એટલે હોસ્ટેલને શોધતા બહુ વાર ન લાગી. ઓફીસમાં ગોપુનો રુમ નંબર પૂછી ગગજી રુમ પાસે પહોંચી અંદર ડોકિયું કર્યું. ગોપુ પાંચ–સાત મિત્રો પાસે બેઠો હતો, ગગજીને જોઈને કહ્યું “બહાર બેસો હમણાં આવું છું.” ગગજી રુમ બહાર બાંકડા ઉપર બેઠો. “ગોપુ, કોણ આવ્યું છે?” “મારા ગામનાં મારા બાપનાં ઓળખીતા છે.” “શું કામ આવ્યા છે?” “ખબર નથી?” “ગોપુ તારા બાપા તો નથી ને?” “ના, રે! ના.” “તો તારા બાપાએ આવા લઘરવઘર ગામડિયાંને શું કામ તને મળવા મોકલ્યો?” ગગજીએ આ વાત સાંભળી અને સમજી ગયો કે ગોપુએ મારી ઓળખાણ બાપા તરીકે નહીં પણ ગામનાં બાપાના ઓળખીતા તરીકે આપી છે. ખૂબ ગુસ્સો આવ્યો. અંદર જઈને બે ધોલ મારીને કહેવાનું મન થયું કે હું તારા બાપનો ઓળખીતો ગામડિયો નહીં ખુદ તારો બાપ છું. પછી વિચાર્યું કે ખુદ દીકરો જ જો મારી સાચી ઓળખાણ આપવા માગતો ન હોય તો બીજા ક્યાંથી ઓળખશે. અમારા સંસ્કારમાં ક્યાં કચાશ રહી ગઈ, લાગે છે. નહીંતર આવું ન બને. ગગજીનું મન ખાટું થઈ ગયું હતું.

ગગજી ગોપુને મળ્યા વગર ઊભો થયો અને સડેડાટ દોડી બસ સ્ટેન્ડે પહોંચી ગામ જતી બસમાં બેસી ગયો. બસમાં વિચારતો હતો કે સંતુને શું જવાબ આપીશ, નાસ્તા વિશે, ગોપુ વિશે, અને અભ્યાસ વિશે પૂછશે તો? આ બધાં સવાલના જવાબ મારી પાસે ક્યાં છે. આ ગડમથલ અને વિચારમાં ગામ ક્યારે આવી ગયું ખબર ન પડી.

ગામના પાદરે ઉતરી લીમડાનાં થડે બેસી વિચારતો હતો ત્યાં મહાદેવનાં મંદિરનાં ઘંટનો અવાજ સંભળાયો, વિચાર્યું, ચાલ મહાદેવને પૂછું કે અમારી ગોપુ માટેની તપસ્યાનું આવું ફળ કેમ મળ્યું? અમારા ઉછેરમાં શું ભૂલ થઈ? સંતુનાં સપનાંનાં વાવેતરમાં કાંટા કેમ ઉગ્યા? મહાદેવને ફરિયાદ કરી પગથિયા ઉતરતા ઉતરતા ગગજીની નજર લાઈનમાં બેઠેલા ભિક્ષુકો ઉપર પડી અને તેને સંતુએ ગોપુ માટે આપેલા નાસ્તાનું શું કરવું એ રસ્તો સુજી ગયો. ગગજીએ બધો નાસ્તો ભિક્ષુકોમાં વહેંચી દીધો. ભિક્ષુકોને સંતુએ ગોપુ માટે બનાવેલો નાસ્તો ખાતા જોઈને મન તૃપ્ત થઈ ગયું.

“આવી ગયા? કેમ છે મારા ગોપુ ને? નાસ્તો ભાવ્યો ને? ગોપુને નાસ્તો ભાવ્યો જ હોય. માના હાથનો નાસ્તો કોને ન ભાવે. તબિયત સારી છે ને?” “અરે! અરે! મને શ્વાસ તો લેવા દે.” ગગજીએ સંતુને નિરાંત થાય એવી વાત કરી પણ સાચી વાત ન કરી. ગગજી સંતુનો ભ્રમ અને ગોપુ ઉપરનો વિશ્વાસ તોડવા નહોતો માગતો, બસ આમ જ “બાંધી મુઠ્ઠી લાખની” રાખવા માગતો હતો.

સંતુએ આજે જીદ્દ કરી મારે ગોપુને મળવા જવું જ છે ઘણા દિવસથી આવ્યો નથી કે મળ્યો નથી. ગગજી મુંઝાણો હવે શું! કરવું. સંતુ માટેની ગોપુ જે ઓળખાણ આપશે એ સંતુ સહન નહીં કરી શકે અને શહેરથી ગામ લાવવી ભારે પડશે. ગગજીએ સંતુને સમજાવવા બહુ પ્રયત્ન કર્યા પણ સંતુ એકની બે ન થઈ! અંતે ગગજીએ સંતુને સાચી હકીકત કહી દેવાનું નક્કી કર્યુ.

ગગજીએ સંતુને પાસે બેસાડી, “જો સંતુ, તું ગોપુને મળવા જવાની જીદ્દ છોડી દે. આપણો ગોપુ શહેરની ભીડમાં ખોવાઈ ગયો છે. એ તને અને મને નહીં ઓળખે.” ગગજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. “કેમ એમ બોલો છો? મને માંડીને વાત કરો.” ગગજીએ બધી વાત કરી. સંતુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. “મારી જીદે તમારી જિંદગીનો આનંદ લૂંટી લીધો. તમારી પાસે એકલું કામ જ કરાવ્યું. મને માફ કરી દ્યો.” “અરે! તું શું કામ માફી માગે છે. સપનું તો આપણા બંનેનું હતું, ન પૂરું થયું. બધાં સપનાં પૂરા થાય જ એવું થોડું છે. તું ને હું ક્યાં જુદા છીએ. હજી મારા બાવડામાં બળ છે. આપણે બે સાથે જીવીશું ને મરીશું.” સંતુ દોડીને ગગજીની બાહોમાં સમાઈ ગઈ, ગગજીએ મન મૂકીને સંતુને રડવા દીધી, જેથી તેનું મન હળવું થઈ જાય. પણ દીકરાએ આપેલ ઓળખાણમાં અટવાયેલો ગગજી મન હળવું કરવા ક્યાં જાય …..

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

‘હિન્દુત્વના છળકપટને ઓળખો !’

રમેશ સવાણી|Opinion - Opinion|12 February 2025

9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે હું અને દિનેશકાકા (Dinesh Kanani, Marryland, USA) સુરતથી અમદાવાદ સવાણી સાહેબના પુસ્તક ‘છળકપટ’ના વિમોચન કાર્યક્રમમાં સહભાગી થવા નીકળ્યાં, ત્યારે જ રસ્તામાં અચાનક 2002ના કોમી દંગાના પોસ્ટર બોય અશોક પરમારની વાત નીકળી. એટલે મેં કહ્યું, “કાશ, આપણે એમને એક વખત રૂબરૂ મળી શકત !” અને દિનેશકાકાએ હરિભાઈ બગડાને કોલ કર્યો અને એમણે અમારો કોન્ટેક્ટ ડો. મુકેશ પરમાર સાથે કરાવ્યો. ડોકટર સાહેબે અમને અશોક મોચી સુધી પહોંચવામાં મદદ કરી.

લગભગ 11 વાગ્યાની આસપાસ અમે શાહપુર દરવાજા પહોંચ્યાં, જ્યાં ફૂટપાથ પર અશોકભાઈ બૂટ સીવતા હતા. મેં મારી ઓળખાણ આપી અને નાનકડો ઇન્ટરવ્યૂ કરવા માટે પરમિશન માંગી, જે એમણે ખુશી ખુશી આપી. ત્યારબાદ અમે એમની સાથે ઓન કેમેરા અને ઓફ કેમેરા ઘણી બધી વાત કરી. આ આખી વાતચીત દરમિયાન દિનેશકાકા પણ જોડાયેલા રહ્યા. ત્યારબાદ અમે લોકો ત્યાંથી અશોકભાઈને ઘરે પણ ગયા અને જ્યાં તેઓ જમે છે એ લોજમાં પણ ગયા.

આ મુલાકાતમાં અમે જોયું કે કેવી રીતે એક પછાત સમાજનો સામાન્ય યુવાન જે એક સમયે હિંદુત્વના નશામાં ડૂબી, પોતાની જિંદગીની અને ભવિષ્યની પરવા કર્યા વગર, ધર્મની રક્ષા કાજે ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો હતો અને આજે હિન્દુત્વવાદી-રાજમાં પણ ફૂટપાથ પર બેસી બૂટ સીવવા મજબૂર બની ગયો છે ! એટલું જ નહીં આજે એ માણસ એટલી ખરાબ હાલતમાં જીવે છે કે એ પરિસ્થિતિ બયાન કરવા માટે મારી પાસે શબ્દો ખૂટે છે. આજે એની હાલત એવી છે કે એ વ્યક્તિ બે ટંક ભરપેટ ભોજન પણ મેળવી શકતો નથી. જે લોજમાં એ જમે છે એના માલિકની માનવતાનાં કારણે એને ભૂખ્યા નથી સૂવું પડતું, પણ કેટલીયે વાર એ મહિનાઓ સુધી જમવાનું બિલ ચૂકવી શકતો નથી.

અશોકભાઈ પાસે સારાં કપડાં નથી, આધાર કાર્ડ પણ નથી કે કોઈએ તેને આધારકાર્ડ કઢાવી આપ્યું નથી. કોઈ બેંકમાં ખાતું નથી. RSS / VHP / બજરંગ દળ / કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ કોઈ મદદે ન આવ્યું. જેમણે લોકોને ઉશ્કેર્યા તે સત્તાની નિસરણી સડસડાટ ચઢી ગયા. હુલ્લડો કોઈને મહેલમાં લઈ ગયા કોઈને જેલમાં લઈ ગયા, તો કોઈને ફૂટપાથ પર જીવવા મજબૂર કરી ગયા !

અશોકભાઈને મળ્યા બાદ અમે એમને પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવવા માટે ભારપૂર્વક આમંત્રણ પાઠવ્યું. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. અમારી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમના અંતે અશોકભાઈને મંચ પર બોલાવી છળકપટ પુસ્તક આપી તેમનું સન્માન પ્રકાશ ન. શાહ / ઉત્તમભાઈ પરમાર / જગદીશ બારોટ / કિરણ ત્રિવેદી / પ્રો. હેમંતકુમાર શાહ / રમેશ સવાણી / પૂર્વ IGP શશીકાન્ત ત્રિવેદી / પૂર્વ કલેક્ટર પ્રવીબ ગઢવીએ કર્યું હતું. અશોકભાઈએ કહ્યું હતું : “2002માં અમે ધર્મવાદના છળકપટનો ભોગ બન્યા હતા. હિન્દુત્વનું કેવું છળકપટ ! મારી એટલી જ વિનંતિ છે કે હિન્દુત્વના છળકપટને ઓળખો!”

અશોકભાઈના ફોટાઓ અખબારોમાં / સામયિકોમાં આવ્યા છે. તેમના ઈન્ટરવ્યુ ચેનલોમાં ખૂબ આવ્યા છે. ઘણા પત્રકારોએ અશોકભાઈ પર સ્ટોરી કરીને વાહવાહી પણ મેળવી છે. પણ કોઈએ આજ સુધી એમને મદદ કરી નથી. આજે માનવતાવાદી / રેશનાલિસ્ટ દિનેશકાકાની પરમિશન લીધા વગર હું અહીં જાહેર કરવા માંગુ છું કે તેમણે અશોકભાઈ મોચીને મદદ માટે હાથ આગળ કર્યો. જે બદલ દિનેશકાકાને ધન્યવાદ આપવા ઘટે.

છેવટે, એટલું કહીશ કે અશોકભાઈને કદાચ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો આજે એની જિંદગીમાં એ ખૂબ જ સફળ વ્યક્તિ હોત ! 

[સૌજન્ય : જ્યોત્સના આહિર]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...251252253254...260270280...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved