Opinion Magazine
Number of visits: 9664046
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“એને પિતા કહેવાય છે !”

વસુધા ઈનામદાર|Opinion - Opinion|17 June 2025

એક માણસ એવો !
માણસ એક એવો,
પહાડ જેવો !
ના નમે, ના ડગે !
એ સૂરજને પોંખતો રહે,
તાપને સહેતો રહે,
વાદળને આવકારતો રહે,
વિજળીથી ઉર્જા પામી,
દોડતો રહે, તો વળી
વીજના ચમકારાથી
ક્યારેક ડરતો રહે !
એ વરસાદે ભીંજાયો,
સ્નેહની સરવાણી,
ઝીલીને, વહેતો થયો,
લીલો છમ થતો ગયો !
વાવાઝોડાને સંભાળીને,
સહુને બચાવતો  રહ્યો !
અવારનવાર નમતો ગયો !
મૂળિયા સોતે થાકતો ગયો,
પહાડ જેવો એ માણસ,
સૂકી નદીની જેમ વહેતો રહ્યો !
કિનારાનાં વૃક્ષો એને
સહેલાવતાં રહ્યાં !
લાગણીની વિરડી છલકાતી રહી,
જોત જોતાંમાં, વૃદ્ધિ પામતાં
પહાડ જેવો એ માણસ
વૃદ્ધ  થયો !
તો ય પાનખરની જેમ,
રંગ ઉલાળી હસતો રહ્યો
એ કોણ ?
“એને પિતા કહેવાય છે”

બોસ્ટન
e.mail : inamdarvasudha@gmail.com

Loading

ટ્રમ્પ અને મસ્કની લડાઈ : આત્મમુગ્ધ લીડરોમાં સહાનુભૂતિ જેવું હોતું નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 June 2025

રાજ ગોસ્વામી

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક વચ્ચે લડાઈ થઇ ગઈ છે. ટ્રમ્પ પ્રશાસનમાંથી મસ્કની વિદાઈ, ટેક્સ બિલને લઈને કાઁગ્રેસની વારંવાર ટીકા, ટ્રમ્પને ‘ઉઘાડા’ પાડવાની ધમકી, મસ્કની કંપનીઓ પર લગામ કસવની ટ્રમ્પની વળતી ધમકી અને આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો દુશ્મનીથી ઓછો નથી. ટ્રમ્પ કહે છે કે મસ્કનું દિમાગ સંતુલન બગડી ગયું છે. મસ્ક કહે છે કે અમેરિકામાં હવે ત્રીજી પાર્ટી બનાવવાનો સમય આવી ગયો છે.

બંને જણા એવી રીતે ભેગા થયા હતા જાણે વર્ષો પહેલાં મેળામાં છૂટા પડી ગયા હોય અને હવે એવી રીતે વર્તે છે જાણે બાપે માર્યા વેર હોય. ટ્રમ્પને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન મસ્કના પૈસા અને સોશિયલ મીડિયાના પ્રભાવની જરૂર હતી. મસ્ક પોતે (દક્ષિણ આફ્રિકામાં જન્મ્યો હોવાથી)  રાષ્ટ્રપતિ બની શકે તેમ ન હોવાથી તેને વ્હાઈટ હાઉસમાં પોતાનો માણસ જોઈતો હતો.

અમેરિકન વહીવટીતંત્રની સાફસફાઈ કરવા માટે ટ્રમ્પે જે રીતે મસ્કને બિનશરતી ટેકો અને અમાપ સત્તા આપી હતી અને મસ્કે જે રીતે ચારેબાજુથી કચરો વાળ્યો હતો (અને વળતામાં નવો કચરો વેર્યો હતો), તે પછી તે ટ્રમ્પની દરેક નીતિ-રીતિમાં સલાહ-સૂચન આપતો હતો. એમાં તેને એવું લાગવા માંડ્યા હતું કે તે જ સુપર-પ્રેસિડેન્ટ છે. ટ્રમ્પે ઇલેક્ટ્રિક વાહનોના પરથી ટેક્સ ક્રેડિટ દૂર કરી તેના પગલે મસ્કની ટેસ્લા કાર કંપનીને મોટો ફટકો પડ્યો અને તેમાંથી બંને વચ્ચે ફટક્યું હતું.

જાણકાર લોકો કહે છે કે વહેલું કે મોડું, આવું થવું અનિવાર્ય હતું. મનોવિજ્ઞાનઓ કહે છે કે બંને અહંકારી છે, બંને આત્મમુગ્ધ છે. આપણે ત્યાં કહેવત છે કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, તેના જેવું છે આ. 

મનોવિજ્ઞાનમાં ‘આલ્ફા મેલ’ની એક ધારણા છે. થોડા વખત પહેલાં, અભિનેત્રી અને સાંસદ કંગના રાણાવતે એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી, જે પાછળથી ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાના કહેવાથી હટાવવી પડી હતી. તેમાં કંગનાએ લખ્યું હતું, ‘એમાં કોઈ બેમત નથી કે ટ્રમ્પ એક આલ્ફા મેલ છે, પરંતુ આપણા પી.એમ. સૌ આલ્ફા મેલના બાપ છે.’ પી.એમ.ની તો ખબર નથી, પણ ઈલોન મસ્ક જરૂર ટ્રમ્પનું માથું ભાંગે તેવો આલ્ફા મેલ છે. અમેરિકાની રાજનીતિમાં અત્યારે જે તમાશો થઇ રહ્યો છે તે આ બે આલ્ફા મેલની લડાઈ છે.

આલ્ફા મેલની ધારણાને સમજવા જેવી છે. તેની કલ્પના જંગલી વરુ (આલ્ફા વોલ્ફ) સાથે જોડાયેલી છે. ઘણા લોકો શિયાળને વરુ કહે છે, પણ બંને શ્વાન કુળનાં ભિન્ન પ્રાણી છે. વરુ, માંસાહારી શ્રેણીના કૅનિડે કુળનું સસ્તન વન્ય પ્રાણી છે. ગુજરાતી સ્થાનિક બોલીમાં તેને નાર, ભાગડ, લાગડ કહે છે. તેની 32 ઉપજાતિઓ છે અને તેમાં નર માદા કરતાં મોટો હોય છે. વરુ સૂકાં જંગલોમાં અને ગાંડા બાવળની ઝાડીઓ વાળા મેદાનવાળા વિસ્તારોમાં જોવા મળે છે. 

તે એકલવાયું જનાવર છે. મતલબ કે તે ટોળામાં નથી ફરતું. તાકતવાર અને આગેવાન પુરુષોને આલ્ફા મેલ કહેવામાં આવે છે તે પણ આ જ કારણથી; તે સૌથી આગળ અને એકલા હોય છે. વરુ દેખાવમાં કૂતરા જેવું હોય છે, પરંતુ તે વાઘને પણ ઊભી પૂંછડીએ ભગાડવા સક્ષમ હોય છે. માણસ આજ સુધી તેના ગળે પટ્ટો બાંધી શક્યું નથી. એટલા માટે તમને પ્રાણી સંગ્રહાલયમાં વાઘ જોવા મળશે, પણ વરુ નહીં. 

વરુ તેના પ્રદેશમાં સૌથી શાતીર અને તાકાતવર શિકારી છે. તે કોઈનાથી ડરતું નથી. તેની પ્રકૃતિ જ એવી છે કે તે તેના પિતરાઈ શ્વાનની જેમ માણસોના પંપાળવાથી ન તો ભરમાઈ જાય છે કે ન તો મસિયાઈ બહેન શિયાળની જેમ તેનાથી મોટાં શિકારી પ્રાણીથી ડરી જાય છે.

એવું કહેવાય છે કે તેના બાળકને જો કોઈ પશુ ઉઠાવી જાય તો, તે પૂરા પ્રદેશને તબાહ કરી નાખે છે. તે જ્યારે શિકાર પર જાય ત્યારે, તેની સાથે વૃદ્ધ વરુઓને નથી રાખતું. તેમના માટે શિકાર કરવો એ યુદ્ધથી કમ નથી અને એમાં યુવાન અને તેજ વરુઓ જ ઉપયોગી હોય છે. વરુઓની આવી અનોખી લાક્ષણિકતાઓના કારણે જ માણસે તેની વાર્તાઓમાં માનવ વરુ(વેયરવુલ્ફ)ની કલ્પના કરી છે. 

વરુઓની વસ્તીમાં એક જોડી એવી રહેતી હતી જે પૂરા જૂથ પર, આહાર પર અને સમાગમ પર નિયંત્રણ રાખતી હતી. અર્થાત, વરુઓ આપસમાં લીડર બનવા માટે લડાઈ કરતાં અને એમાંથી એક જોડી ‘વરુ સમાજ’માં પોતાનું પ્રભુત્વ સ્થાપતી. આ બંને આલ્ફા મેલ અને આલ્ફા ફીમેલ કહેવાય છે.

ઉત્ક્રાંતિવાદી મનોવૈજ્ઞાનિકોનો દાવો છે કે માનવ સમાજમાં પુરુષોનો સામાજિક વ્યવહાર પણ વરુઓ જેવો જ છે. પુરુષ પણ તેના જૂથમાં લીડર બનીને બીજા પર શાસન કરવા, સંસાધનો પર કાબૂ જમાવા અને સ્ત્રીને તેની મેટિંગ પાર્ટનર બનાવવા માટે લડાઈ કરતો રહે છે.

પુરુષોમાં કુદરતી રીતે જ બીજાઓ પર પ્રભુત્વ જમાવાની વૃત્તિ હોય છે, અને જે પુરુષ આત્મવિશ્વાસ, દૃઢતા, કરિશ્મા અને શારીરિક શક્તિનું પ્રદર્શન કરે છે તે વધુ આકર્ષક અને જીવનમાં વધુ સફળ હોય છે. તેઓ આ માણસોને આલ્ફા કહેતા અને જે નબળા, આજ્ઞાકારી, અસુરક્ષિત અને બોરિંગ હતા તેને બીટા કહેતા હતા.

આલ્ફા શબ્દ ગ્રીક બારાખડીમાંથી આવે છે. તેના પહેલા અક્ષરને આલ્ફા કહે છે. છેલ્લા અક્ષરને ઓમેગા કહે છે. તદ્દનુસાર, જે પ્રથમ છે, પ્રાથમિક છે, અગ્રણી છે, સૌથી ઉપર છે, એક નંબર પર છે તે આલ્ફા છે. ઈસાઈ ન્યૂ ટેસ્ટામેન્ટમાં, ઈશ્વર પોતાને આલ્ફા અને ઓમેગા ગણાવે છે; હું જ પ્રારંભ છું અને હું જ અંત છું. 

અમેરિકાને ફરીથી મહાન બનાવવાની રાજનીતિમાં ટ્રમ્પ અને મસ્કની મન:સ્થિતિ પણ આવી જ છે: હું જ પ્રારંભ છું અને હું જ અંત છું. પણ આવું માનવાવાળો એક હોય, બે નહીં. બે હોય તો મતભેદ અને મનભેદ થવો અનિવાર્ય છે. જેમ વરુ તેની ટેરેટરી માટે લડાઈ કરે તેમ આ બે જણા પણ તેમની સત્તા અને સર્વોપરિતા માટે લડી પડ્યા છે. 

ટ્રમ્પ-મસ્કનો ઝઘડો વ્યક્તિગત છે અને તેમાં અમેરિકાની જનતાનું અને લોકશાહીનું નુક્શાન છે. આત્મમુગ્ધ લોકોના હાથમાં રાજકીય અને પૈસાની સત્તા આવી જાય ત્યારે તેઓ કેવી ઘટિયા રીતે વર્તે છે તેનું આ બંને ઉદાહરણ છે. આત્મમુગ્ધ અને અહંકારી લીડરો નિર્દયી હોય છે અને તેમનામાં સહાનુભૂતિ જેવું કશું હોતું નથી.

તેઓ આજુબાજુના લોકો પર પોતાનો કંટ્રોલ સ્થાપીને અથવા સતત વાહવાહી અને એટેન્શન મેળવીને તેમની અણઆવડતની ભાવનાથી પીછો છોડાવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતે કેટલા યોગ્ય છે તે સાબિત કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આત્મમુગ્ધ લીડરો એટલા માટે જ પોતાની ટીકા કે રિજેક્શન સહન નથી કરી શકતા અને જે કંઈ ખરાબ હોય તેના માટે બીજા લોકોને દોષિત ઠેરવીને પોતાને પીડિત તરીકે પેશ કરે છે. ટ્રમ્પ અને મસ્ક અત્યારે એ જ કરી રહ્યા છે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 15 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અભરખા કે સંબંધોની હૂંફ? મોટી ઉંમરે લગ્ન કરવાં ઉપહાસનો વિષય નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 June 2025

રાજ ગોસ્વામી

મમતા બેનર્જીની તૃણમૂલ કાઁગ્રેસ પાર્ટીની 50 વર્ષીય તેજતર્રાર નેતા મહુઆ મોઇત્રાએ, 65 વર્ષના નામી વકીલ અને ઓડિસાની પાર્ટી બીજૂ જનતા દળના નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન રચાવ્યાં છે. 5મી જૂને મહુઆએ જ તેની સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આ જાહેરાત કરી હતી. બંને જર્મનીમાં હતાં અને ત્યાં 30મી મેના રોજ એક ખાનગી વિધિ સાથે તેમણે જીવન-મરણના કોલ લીધા હતા.

બંનેનાં આ બીજાં લગ્ન છે. મહુઆનાં પહેલાં લગ્ન મૂળ ડેન્માર્કના એક ફાયનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયાં હતાં. તેની સાથે તલાક પછી મહુઆના બીજા બે સંબંધો રહ્યા હતા. હવે તેમણે પિનાકી મિશ્રાને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. 

ચાર વખત સાંસદ રહી ચુકેલા મિશ્રાનાં લગ્ન સંગીતા મિશ્રી સાથે થયાં હતાં, જેમાં તેમને એક દીકરો અને દીકરી છે. મિશ્રા રાજનીતિમાં અને સુપ્રીમ કોર્ટમાં એક વજનદાર નામ છે. તેઓ અમુક સરકારી સમિતિઓમાં પણ રહી ચુક્યા છે. 

ભારતીય સમાજમાં મોટી ઉંમરે લગ્ન વર્જિત ગણાય છે, સિવાય કોઈ મજબૂરી કે સંકટ હોય. એમાં ય જો પ્રેમ લગ્ન હોય તો, સમાજ તેને પાપથી ઓછું ગણતો નથી. ભારતમાં લગ્નને યુવાન ઉંમર સાથે જોડવામાં આવે છે કારણ કે તે પ્રજોત્પતિની ‘આદર્શ’ ઉંમર છે. લગ્નને આપણે સાહચર્ય અને સૌહાર્દના માધ્યમ તરીકે જોતા નથી, એટલે, મોટી ઉંમરે કોઈ લગ્ન કરે તો આપણી પહેલી પ્રતિક્રિયા એવી હોય છે કે, ‘આમને આ ઉંમરે શું અભરખા રહ્યા હશે?’ તેમાં એક પ્રકારનો ઉપહાસ હોય છે. 

એટલા માટે રાજકારણીઓનાં આવાં લગ્નોને સમાજ સ્વીકારતો નથી. ઇન ફેક્ટ, રાજકારણીઓ લગ્ન જ ન કરે તેને સમાજ વધુ માનથી જુવે છે. ટૂંકમાં, જે લગ્ન કરે છે તે સ્વાર્થી છે અને જે ન કરે તે સેવાભાવી છે એવો ભાવ લોકોના મનમાં હોય છે. રાજકારણમાં લગ્ન ન કરવાં એ એક પ્રકારનું બલિદાન છે. 

જો કે, મોટી ઉંમરે લગ્ન કરનારા રાજકારણીઓની આપણે ત્યાં નવાઈ પણ નથી. અને તેમણે લગ્ન ‘અભરખા’ માટે નહીં, પરંતુ માનવીય સંબંધોની હૂંફ માટે કર્યાં હતાં. જેમ કે, બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરે 57 વર્ષની ઉંમરે 39 વર્ષનાં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યાં હતાં. બાબાસાહેબનું સ્વાસ્થ્ય ત્યારે નાદુરસ્ત રહેતું હતું અને તેમને સાર-સંભાળની બહુ જરૂર હતી. ડૉ. શારદા તેમના માટે વરદાન બનીને તેમના જીવનમાં આવ્યાં હતાં.

દક્ષિણ ભારતમાં સામાજિક સમાનતાની ચળવળ ઊભી કરનાર પેરિયાર ઈ.વી. રામાસ્વામીએ 70 વર્ષની ઉંમરે 32 વર્ષની કાર્યકર મનીમ્માઈ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નને તમિલ સમાજમાં ‘કૌભાંડ’ ગણવામાં આવ્યું હતું અને તેમના સંગઠનમાં ઊભી તિરાડ પડી હતી જેમાંથી અન્નાદુરાઈ અને કરુણાનિધિએ અલગ પાર્ટી સ્થાપી હતી.

દ્રવિડ મુનેત્ર કડગમ પાર્ટીંના રચિયતા કરુણાનિધિએ પણ તેમનાથી 42 વર્ષ નાની રાજથિયા અમ્મલ સાથે જીવન શરૂ કર્યું હતું. તેમણે આ લગ્નની આત્મસન્માનનું લગ્ન નામ આપ્યું હતું. તે ન તો કોર્ટ મેરેજ હતું કે ન તો પંડિતે ફેરા લેવડાવ્યા હતા. પાર્ટીના બુઝુર્ગોના આશિર્વાદ લઈને લગ્ન સંપન્ન કરવામાં આવ્યું હતું. તે કરુણાનિધિનાં આ ત્રીજાં લગ્ન હતાં. તે અમ્મલને પત્ની નહીં, ‘સાથી’ ગણાવતા હતા. ડી.એમ.કે.ની સાંસદ કનીમોઝી અમ્મલની દીકરી છે.

1944માં, કરુણાનિધિની ઉંમર 20 વર્ષની હતી અને તેઓ તેમના પહેલા લગ્ન પ્રસંગમાં પત્નીની રાહ જોઇને બેઠા હતા, ત્યારે ત્યાંથી હિન્દી ભાષા થોપવા સામે એક રેલી નીકળી હતી. તેમના પર તેની એટલી અસર થઇ હતી કે તેઓ ‘તમિલ ઝિંદાબાદ, હિન્દી મુર્દાબાદ’ના નારા લગાવતા જાન છોડીને રેલીમાં સામેલ થઇ ગયા હતા. જાનૈયા એક કલાક પછી તેમને પકડીને પાછા લાવ્યા હતા.

દક્ષિણના જ બીજા એક રાજ્ય આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ફિલ્મસ્ટાર એન.ટી. રામારાવે 73 વર્ષની ઉંમરે લક્ષ્મી પાર્વતી સાથે લગ્ન કર્યાં હતાં. લક્ષ્મી કોલેજમાં લેકચરર હતી અને પતિથી અલગ થયેલી હતી. તે રામારાવના જીવનમાં તે સમયે આવી હતી, જ્યારે પત્નીના કેન્સરમાં અવસાન પછી સાત દીકરાઓ અને ચાર દીકરીઓએ રામારાવને ત્યજી દીધા હતા. રાજનીતિમાં વ્યસ્ત રામારાવ નોકરોની સંભાળમાં જીવતા હતા. લક્ષ્મી તેમનું જીવનચરિત્ર્ય લખવા માટે તેમને નિયમિત મળતી હતી, જેમાંથી તેમને એકબીજાનો સંગાથ પસંદ આવ્યો હતો.

એન.ટી.આર.ના જમાઈ અને તે વખતે રાજ્યના નાણાં મંત્રી એન. ચંદ્રાબાબુ લક્ષ્મીના વિરોધી હતા અને લક્ષ્મી તેલુગુ દેસમ પાર્ટીમાં દખલઅંદાજી કરે છે તેવા આરોપ સાથે તેમણે બળવો પોકાર્યો હતો અને સસરાને ઉથલાવીને મુખ્ય મંત્રી બની ગયા હતા.

વરિષ્ઠ કાઁગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ તિવારીએ 88 વર્ષની ઉંમરે ઉજ્વલા શર્મા નામની તેમની લાંબા સમયની પ્રેમિકા સાથે 2014માં ફેરા લીધા હતા. આ લગ્ન જો કે અસલી અર્થમાં ‘કૌભાંડ’ હતું. વગર લગ્નએ વર્ષો પહેલાં ઉજ્વલાથી થયેલા પુત્ર રોહિત શેખરે 32 વર્ષની ઉંમરે તિવારી સામે કોર્ટ કેસ કરીને તેમને પોતાના પિતા સાબિત કર્યા હતા અને તેની મજબૂરીમાં તિવારીજી લગ્ન કરવાં પડ્યાં હતાં. તિવારી વર્ષોથી આ સંબંધને માનવાનો ઇનકાર કરી રહ્યા હતા. 

પાંચ દાયકાઓ સુધી શ્રીમતી ઇન્દિરા ગાંધીના અંગત સચિવ તરીકે કામ કરનારા આર.કે. ધવન માટે કહેવાતું હતું કે તેમણે 1963 પછી એક પણ દિવસ માટે રજા લીધી નહોતી. તે અતિશય કામ કરતા હતા અને શ્રીમતી ગાંધીનો પડછાયો બનીને રહેતા હતા. વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર જનાર્દન ઠાકુરને ધવને એકવાર કહ્યું હતું, ‘હું દરરોજ, ત્રણસોને પાંસઠ દિવસ, સવારથી રાત સુધી વડા પ્રધાન સાથે હોઉં છું. કોઈ રજા નહીં.’

કદાચ એટલા માટે જ 2011માં 74 વર્ષના ધવન તેમની લાંબા સમયની પ્રેમિકા અચલા મોહન સાથે લગ્નની ગાંઠે બંધાઈ ગયા હતા. અચલાના છૂટાછેડા થયેલા હતા અને 1990માં તે અને ધવન સાથે હતાં. લગ્ન કેમ? એક પત્રકારે પૂછ્યું હતું. ધવને કહ્યું હતું, ‘હું તેને ખુશ જોવા માંગતો હતો. તે દરેક પ્રસંગે મારી સાથે આવતી હતી અને હું તેને ‘મિત્ર’ તરીકે પરિચય આપીને થાકી ગયો હતો.’

કાઁગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે 60 વર્ષની ઉંમરે, તેમની મિત્ર અને વાઈસ એડમિરલ (રિટાયર્ડ) ઇન્દ્રજીત ખુરાનાની દીકરી રવીના ખુરાના સાથે 2020માં લગ્ન કર્યાં હતાં. ભા.જ.પ.ના બંગાળ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે પણ 60 વર્ષની ઉંમરે પાર્ટીની જ એક કાર્યકર્તા રિન્કુ મજમુદાર સાથે લગ્ન કર્યાં હતાં. 

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કાઁગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંઘે 67 વર્ષની ઉંમરે 40 વર્ષીય ટેલિવિઝન પત્રકાર અમૃતા રાય સાથેના રોમેન્ટિક પ્રેમનો એકરાર કર્યો હતો અને પછી બંનેએ લગ્ન રચાવી લીધાં હતાં.

જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા કહે છે કે નેતાઓના નિજી સંબંધો પ્રત્યે સમાજ ઉદાસીન હોય છે. તેનું કારણ આપણી પૌરાણિક માનસિકતા છે. તેઓ કહે છે, ‘નેતાઓના નિજી જીવનની અસર એમના સાર્વજનિક જીવન પર ન પડતી હોય ત્યાં સુધી આપણને એની સાથે કોઇ લેવા-દેવા ન હોય તે સમજદારીભર્યો અભિગમ છે. ભારતીય જનમાનસમાં આવી સમજદારી વિકસવાનું કારણ કદાચ મહાભારત-રામાયણ જેવા ગ્રંથો છે, જેનાં પાત્રો પણ આવા અનેક નિજી સંબંધોમાં ગૂંચવાયેલાં છે.’

જો કે હવે આ અભિગમમાં ફરક આવ્યો છે. હવે નેતાઓ વધુ ખુલ્લા થયા છે અને સમાજ પણ તેમના સંબંધોને સ્વીકારતો થયો છે. અને એટલા માટે જ મહુઆ મોઇત્રા લગ્નની પાર્ટીના ફોટા સાથે પોતાના નવા જીવનની ખુશી ખુશી જાહેરાત કરી શકે છે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 15 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...245246247248...260270280...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved