Opinion Magazine
Number of visits: 9575666
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મરકી, મોહનદાસ અને સાવિત્રીબાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 May 2020

ભારતનાં પહેલાં મહિલા શિક્ષિકા અને અનન્ય સમાજસુધારક મહાત્મા ફુલેનાં જીવનસાથી સાવિત્રીબાઈ ફુલે ૧૮૯૭ના મરકીના રોગચાળામાં લોકોની સેવા કરતાં ખુદ ચેપગ્રસ્ત બની મૃત્યુ પામ્યાં હતાં તે હાલના વૈશ્વિક કોરોનાકાળમાં યાદ આવે તેવી ઘટના છે. જે જમાનામાં શૂદ્રો અને સ્ત્રીઓનાં શિક્ષણ પર સામાજિક તાળાબંધી હતી, ત્યારે ફુલે દંપતીએ તેના વિરોધમાં ઝીંક ઝીલી મહિલાઓ અને દલિતો માટે શિક્ષણનાં દ્વાર ખોલી સમાજસુધારણાની દિશામાં જુદાં કદમ માંડ્યાં હતાં. યુવાન હિંદુ વિધવા સ્ત્રીઓ, કુટુંબના પુરુષોના યૌન શોષણનો ભોગ બની ગર્ભવતી થતાં કુવોહવાડો કરતી હતી. તેને અટકાવવા તેમણે બાળહત્યાપ્રતિબંધક ગૃહ શરૂ કરી આવી સ્ત્રીઓની પ્રસૂતિ કરાવી તેમનાં અનૌરસ સંતાનોને ઉછેરવાની જવાબદારી લીધી હતી. નિ:સંતાન ફુલે દંપતીએ ૧૮૭૩માં પોતાના બાળહત્યાપ્રતિબંધક ગૃહમાં જન્મેલા, કાશીબાઈ નામક વિધવાના પુત્રને દત્તક લીધો હતો. તેનું નામ યશવંત રાખેલું. તેને ભણાવી ગણાવી ડોકટર બનાવ્યો હતો.

જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.

ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.

એ પછી તરત, ઈ.સ. ૧૯૦૪માં, જોહાનિસબર્ગના કુલી લોકેશનમાં એકાએક જીવલેણ કાળી મરકી ફાળી નીકળી. એ સમયે ગાંધીજીએ મરકીનો ભોગ બનેલા લોકોની જે સારવાર કરી તેનું વર્ણન તેમની આત્મકથા “સત્યના પ્રયોગો”ના બે પ્રકરણો(મરકી-૧, મરકી-૨)માં વાંચવા મળે છે. શહેરની આસપાસની સોનાની ખાણોમાં મરકીનું ઉપદ્રવ કેન્દ્ર હતું. તેમાં કામ કરતા અને કુલી લોકેશનમાં રહેતા ત્રેવીસ હિંદીઓ મરકીનો ભોગ બન્યા હોવાના સમાચાર મળતાં ગાંધીજી સ્થળ પર પહોંચ્યા અને તેમની સારવારમાં લાગી ગયા. આત્મકથામાં તેનું વર્ણન કરતાં તેમણે લખ્યું છે, “શુશ્રૂષાની રાત્રિ ભયાનક હતી. મેં ઘણાં દરદીઓની સારવાર કરી હતી, પણ મરકીના દરદીની સારવાર કરવાનો અવસર મને કદી પ્રાપ્ત નહોતો થયો. દરદીઓની સેવા ઝાઝી થઈ શકે તેવું નહોતું. તેમને દવા આપવી, આશ્વાસન આપવું, પાણીછાણી આપવાં તથા તેમનું મેલું સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવાપણું નહોતું. જ.”

મરકી ન ફેલાય તે હેતુસર સ્થાનિક તંત્ર પણ મદદે આવ્યું. અહીં પણ ગાંધીજીએ કેટલાક પ્રયોગો કર્યા હતા. દરદીઓને દવા સાથે દારુ તરીકે બ્રાન્ડી આપવામાં આવતી હતી. ડોકટરની પરવાનગીથી જે ત્રણ દરદીઓ દારૂ વિના ચલાવવા  તૈયાર થયા તેમના પર ગાંધીજીએ માટીના પ્રયોગો કર્યા હતા. ગાંધીજી લખે છે, “આ ત્રણ દરદીઓમાંથી બે બચ્યા. બાકીના બધા દરદીઓનો દેહાંત થયો.” (પૃષ્ઠ-૨૮૫) સારવાર માટે મૂકાયેલા નર્સને ગાંધીજી દરદીઓને અડકવા દેતા નહોતા. છતાં તે નર્સ પણ  આ દરમિયાન ચેપથી મૃત્યુ પામ્યાં. ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે, ”પેલા દરદીઓનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ કહી ન શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રદ્ધા અને દવા તરીકે પણ દારૂના ઉપયોગ વિશે મારી અશ્રદ્ધા વધ્યાં”.

વર્તમાન સમયમાં સરકારની ટીકા કરવાથી દૂર રહી સરકારને મદદ કરવાની સલાહ અપાય છે, પણ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પરદેશી હોવા છતાં મરકી અંગે સરકાર અને તંત્રની બેદરકારી અંગે ચૂપ નહોતા રહ્યા. તેમણે સરકારને સખત કાગળ લખેલો અને છાપાંમાં લેખ પણ લખેલો. ગાંધીજી સ્થાનિક વસાહતીઓની પડખે રહી તેમને સમજાવતા રહ્યા. એટલે તેમના સહકારથી સરકાર શહેરથી દૂર વસાહતનું સ્થળાંતર કરાવી શકી અને કુલી લોકેશનની હોળી કરવામાં સફળ રહી. આ રીતે મરકીમાંથી મુક્તિ મળી હતી. આ ઘટનાની ફલશ્રુતિ અંગે ગાંધીજીનું કહેવું હતું કે, “આ મરકીએ ગરીબ હિંદીઓ પરનો મારો કાબૂ, મારો ધંધો ને જવાબદારી વધાર્યાં.”

ફુલે માતા-પુત્રે મરકીનો ભોગ બનેલાની સારવાર કરતાં જાતનો ભોગ આપ્યો હતો. ગાંધીજી જીવનમાં પહેલીવાર પ્લેગના દરદીઓની સારવાર કરતાં પણ પોતાના પ્રયોગો કરતાં ન ખચકાયા. મરકીએ તેમનો ધંધો અને લોકો પરનો કાબૂ વધાર્યા એમ પ્રામાણિકપણે જણાવીને તેણે જવાબદારી પણ વધાર્યાનું લખ્યું હતું. આ બે ઘટનાઓનો આજના સમયનો આ સૌથી મોટો બોધપાઠ છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020

Loading

સંક્રાન્તિમાં સુવાણની સમજ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 May 2020

થોડા દિવસ ઉપર (૨૭મી એપ્રિલે) ફેસબૂકના ફળિયે પાલનપુરના હરફન મૌલા જેવા મિત્ર હિદાયત અને ‘બહુરંગ બનાસ’ખ્યાત મનુ માલધારીની એક પોસ્ટ સાથે મુખોમુખ થવાયું, બલકે તારામૈત્રક જ રચાઈ ગયું. ઈન્દુકુમાર જાનીએ સંકલ્પપૂર્વક ‘નયા માર્ગ’નો સંકેલો કીધો તે અંગે વસમી ખોટ તરેહનો એક દલિતવંચિત સૌનો ભેરુ ગુમાવ્યાનો દિલી વસવસો એ પોસ્ટમાં હતો, અને હું પણ છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી જે મીઠી વલૂરના દોરમાંથી ગુજરી રહ્યો હતો તે વ્યક્ત કરતાં મને રોકી ન શક્યો. દોડવું’તુંને ઢાળ મળ્યો : “સૌની લાગણી” એવી ટાંપ સાથે મેં એ ટપાલ શેર કરી.

એક વાર નારિયેળ રમતું મુકાયું; ડહીનો ઘોડો પાણીપીતો રમતોજમતો છૂટો મુકાયો એટલે જાતભાતનાં સ્નેહફટાણાં ને સ્મરણબોલ પણ આવી મળ્યાં. પણ અહીં તો બે-ત્રણ જ ટાંકીશ: ભાનુભાઈ રોહિતે લખ્યું કે 1988માં હું ઈડર કૉલેજમાં જોડાયો ત્યારે ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ની રાહ જોતો. (કેટલાક મિત્રોએ આવું વાંચવાની ના પણ પાડી એવુંયે એમણે ઉમેર્યું છે.) સુરતસ્થિત કિરણ દેસાઈએ અભ્યાસશિસ્ત અને નિસબતના ધોરણે આરંભ તો એ એક વ્યાપક અવલોકનથી કીધો કે ‘નિરીક્ષક’, ‘નયા માર્ગ’, ‘ભૂમિપુત્ર’નું ગુજરાતના જાહેર જીવનમાં વૈચારિક અને સૂક્ષ્મ પ્રદાન રહ્યું છે. પછી અલબત્ત એમણે વિગતે નોંધ તો સહજ હતું તેમ વર્ણ્ય વિષયની જ લીધી અને દલિતવંચિત તબકાઓની ચિંતા એ ‘નયા માર્ગ’નો વિશેષ રહ્યો છે એ વાત પર ભાર દીધો.

મુદ્દે, છેલ્લાં વર્ષોમાં આ ત્રણે પત્રોનાં નામ સાથે લેવાતાં રહ્યાં છે. યથાપ્રસંગ કોઈક સમયે ‘ખોજ’નું નામ હું એમાં ઉમેરી શક્યો હોત. કાશ, ઉર્વીશ કોઠારી હસ્તક ‘દલિત શક્તિ’ અને ચંદુ મહેરિયા હસ્તક ‘દલિત અધિકાર’ એ બેને પૂરી ઈનિંગ્ઝ મળી હોત! ગમે તેમ પણ, ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ એ સાથે લેવાતાં રહેલાં નામો છે અને પોતપોતાની રીતેભાતે આગવી વિશેષતાપૂર્વક એ સક્રિય રહ્યાં છે. વૈચારિક સમશોધનની રીતે આ ત્રણ પૈકી કોઈ એક જ પત્ર અપૂરતું પણ હોઈ શકે છે.

હમણાં આરંભબિંદુ તરીકે હિદાયત અને માલધારીની પોસ્ટની જિકર કરી, પણ હમણેના દિવસોમાં ‘નયા માર્ગ’નો સંદર્ભ જેમ ચિંતવ્યો તેમ અણચિંતવ્યે છેડેથી સાંભળવાનું બનતું રહ્યું છે, અને આ નોંધ પાછળ વડો ધક્કો એનો જ છે. ‘નિરીક્ષક’ના વાચકોના એક વર્ગમાં જેમ ડિજિટલ સંસ્કરણ પરત્વે આનંદ અને આવકારનો સહભાગી-સંવાદી ભાવ જોવા મળે છે, તેમ સામગ્રીના એક હિસ્સા બાબતે આ ‘કકળાટ’ શેણે. એવો વિરોધભાવ નહીં તો લગભગ મજ્જાગત અભાવ માલૂમ પડે છે. કામૂ, હરારી, હેમિંગ્વે બાઅદબ બામુલાહિજા બસરોચશ્મ, પણ સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સની કોરોના શિસ્તચર્યાનું ઓઠું લઈને કે જે-તે નિમિત્તે આ બધો દલિત ને એવોતેવો ‘કકળાટ’ શીદને એવું તો નથી ને. કોઈ કોઈ કદાય વિમાસે પણ છે કે ‘નયા માર્ગ’ની સામગ્રી અને લેખકો અહીં આવી જશે એવું તો નહીં થાય ને.

ભાઈ, ‘નિરીક્ષક’ હોય કે ‘નયા માર્ગ’ અગર ‘ભૂમિપુત્ર’, એના વિશ્વદર્શનમાં જનસામાન્યનું અસામાન્ય સ્થાન છે તે છે. લોકશાહી પ્રક્રિયામાં (અને એ રાહે કથિત ‘વિકાસ’માં) જનસામાન્યનો પ્રવેશ અને પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતાં જાય અને કથિત મુખ્ય પ્રવાહમાં એમની સાર્થક સહભાગિતા વધતી જાય એથી રૂડું શું.

મુદ્દે, એક સાવ સાદો – એલિમેન્ટરી, માય ડિયર વૉટસન – દાખલો આપું તો ટ્રેઇનમાં આપણે સૌ ધક્કામુક્કી કરીને ચઢીએ છીએ, પછી બરાબર ગોઠવાઈ જઈએ છીએ. આગલે સ્ટેશને નવસહિતના જોસ્સાથી પાછું તાલ સે શુરૂ: નવા ચઢનારાંનો પ્રતિકાર. વળી નવાં ચઢેલાંનો અને આગળથી અંદરનાંઓનો મેળ થઈ જાય છે, અને આગલે સ્ટેશને પ્રતિકાર ! ધીરે ધીરે, આપણો કોઠો મૂળ તો ફિલસૂફનો રહ્યો એટલે હશે ભાઈ, આ તો પંખીનો મેળો છે, લગરીક રહીને વળી છૂટા પડવાનું …

પ્રજાસત્તાક સ્વરાજની યાત્રામાં, કથિત મુખ્ય પ્રવાહમાં તેમ મધ્ય પ્રવાહમાં સ્વાભાવિક જ નવા વર્ગો ભળતા જાય છે. આપણું વર્ણવાસ્તવ પણ ન્યાય, હક અને સમાસની ઘોર ગડમથલમાં છે. ગુજરાતમાં જેમને વિચારપત્ર કહેવાનો ખરોખોટો પણ ચાલ છે એમનું ઈતિહાસકર્તવ્ય સહજ ક્રમે આ સંક્રાન્તિમાં સુવાણની સમજનું છે. સુવાણની વ્યાખ્યામાં સિઝેરિયનને નકારી શકવાની સ્થિતિમાં આપણે બધો વખત હોતા પણ નથી. ટ્રેન જેવો બાળબોધ દાખલો ન પણ ચાલે.

આ લખી રહ્યો છું એ કલાકોમાં ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પર નૉળવેલની મહેકનો નવો હપતો મુકાયાની વધામણી ફેસબૂક પર જોઉં છું. રૂબરૂ મળવાનું થતું એ દિવસોમાં પરિષદપ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રે શરૂ કરેલો કાર્યક્રમ ‘આનંદની ઉજાણી’નો હતો. નવલરામે પુસ્તકસમીક્ષા કે આસ્વાદની પ્રક્રિયાને બહુ સમર્પકપણે ‘ઉજાણી’ કહેલ છે. કોરોનાકાળે, જેમને આ પ્રયોગની પૃષ્ઠભૂ, મર્મ ને માયનો ખબર ન હોય એમને કદાચ તે અગ્રાહ્ય લાગે કે અન્યથા પણ સિતાંશુ યશશ્ચંદ્રે નૉળવેલની મહેક જેવો પ્રયોગ રમતો મૂક્યો છે. નૉળવેલનું ખેંચાણ, ચિર સર્પસત્ર વચ્ચે કોને ન હોય. કેમ ન હોય.

સિસૃક્ષાએ નૉળવેલ કને જવું તે આવી ક્ષણોમાં સહજ સૂઝવું જોઈએ. વિવેકાનંદ, ગાંધી, ફૂલે પરિવાર, વલ્લભભાઈ આદિએ નાનાવિધ મહામારીમાં ભજવેલી સાર્થક ભૂમિકાથી માંડીને મહામારી માહોલનાં કામૂ, હેમિંગ્વે અને બીજાનાં મહામંથન એ આવી ક્ષણોનું સહજ સહ્રદય સંબલ છે. અહીં અપેક્ષિત અભિગમ કોઈ દિમાગી અય્યાશીનો નથી કે સુખવસ્તુ સાહિત્યની કાલક્ષેપ કામગીરીનો મહિમા હોય. આ પ્રક્રિયા પલાયનની નથી. વંચિતોના સુખદુ:ખ આ પ્રક્રિયાનો અવિનાભાવ હિસ્સો છે.

માટે આ દિવસોનું ‘નિરીક્ષક’. ‘નયા માર્ગ’ દીધી શ્રી પણ એને કાલવીને કેમ ન મળી રહે વારુ. ભલુ થાજો હિદાયત અને માલધારીનું, કે એમણે આ હૃદયવાર્તા માટે નિમિત્ત સંપડાવ્યું.

e.mail :prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020

Loading

જીવતાં વૃક્ષ અને મરતાં વૃક્ષ

મૂળ લેખક : ઇતો હિરોમી [ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક], મૂળ લેખક : ઇતો હિરોમી [ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક]|Opinion - Literature|2 May 2020

વસંતની શરૂઆતમાં પાડોશમાં એક મોટું વૃક્ષ મરી ગયું. એ મરી ગયું એવું કહેવું કે ન કહેવું એની ખાતરી નથી મને, કે પછી એને મારી નાખ્યું કે એને કાપી નાખવામાં આવ્યું એમ કહેવું ઠીક ગણાશે. મારા માટે એ મોટી ઘટના હતી. થોડા વખત સુધી હું એ વિશે વાત કરવાની સ્થિતિમાં નહોતી. પરન્તુ હવે એના વિશે વાત કરી શકીશ એવું મને લાગે છે.

એ પૅપ્પરનું વૃક્ષ હતું. ઍનાકાર્ડેસિઆય કુટુંબનું કૅલિફોર્નિયા પૅપ્પર ટ્રી હતું. એના નામમાં ‘કૅલિફોર્નિયા’નો સમાવેશ છે તેથી સ્વાભાવિકપણે અહીં ખૂબ બધાં ઊગેલાં છે. સતત નજર સામે હોવાને લીધે એમને ઓળખવા સહેલાં હોય છે. બરછટ છાલ, વિલૉ કે ફર્નની માફક લટકતા પાંદડા ને નાના લાલ ટેટાનાં ઝૂમખાં બાઝેલાં હોય. મારા પાડોશવાળું એટલું વિશાળ થઈ ગયેલું કે એની ડાળીઓ રસ્તા પર ઝૂકી ગયેલી.

વૃક્ષ કાયમથી ત્યાં હતું. જેટલી વખત ત્યાંથી પસાર થઉં એને અચૂક નિરખું. ‘ઉદાસી’ અને ‘ગમગીની’ માટેના ચીની અક્ષરોમાં લખાયેલો ‘ભભકાદાર’ શબ્દ મનમાં આવતો. વૃક્ષના ઉદાસ છાંયડાને લીધે બધું ગમગીન લાગતું. ત્યાંથી પસાર થતી વેળાએ મને ઍનિમૅટૅડ ફિલ્મ ‘માય નેબર તોતોરો’ની કિશોરી મેયનો અવાજ યાદ આવતો. તે વૃક્ષોની હારમાળાને ‘વૃક્ષની સુરંગ’ કહેતી. જેવું આ યાદ કરતી કે મારા બાળકો મેયની નકલ કરતાં; ‘વૃક્ષની સુરંગ’ એકસાથે બોલી ઊઠતાં. મારા પતિ હંમેશાં કહેતા કે “આટલું કદ મેળવતાં લગભગ સો વર્ષ લાગે.” તે પણ સો વર્ષના હતા એટલે વૃક્ષ સાથે સગપણ અનુભવતા.

ટૂંકમાં, આ વૃક્ષ માટે મારા કુટુંબના દરેક સભ્યને પોતપોતાની રીતે પ્રીતિ હતી. થોડાંક નાના ઘરોની આગળ વૃક્ષ ઊભું હતું. ભાડાના ઘર હતાં એટલે આંગણું કે વાડ નહોતા. વૃક્ષના છાંયામાં ઢંકાઈ ગયા હતા. ઘરો કરતાં મોટું વૃક્ષ હંમેશનું ત્યાં હતું, એની ડાળીઓ રસ્તા પર વૈભવી ઠાઠથી ઝૂકેલી રહેતી.

વસંતની એક વહેલી સવારે મારી દીકરીએ બહાર નીકળતાની સાથે બૂમ મારી: “કોઈએ વૃક્ષ કાપી નાખ્યું છે!”

બધું એટલું અચાનક બની ગયું હતું કે માન્યામાં નહોતું આવતું. મારી અંદર એક લાગણી જન્મી, મને યાદ અપાવવા કે આવી બાબતો બની શકે છે એવી સભાનતા હતી મારામાં. આવા અનુભવો મને પહેલાં કેટલી ય વખત, કેટલાં ય સ્થળે થઈ ચૂક્યાં હતાં ને હું ક્યારે ય કશું કરી નહોતી શકી. મને ખૂબ માઠું લાગતું કે આટલી બધી વખત મરતાં વૃક્ષોને મદદ કરવા હું કશું જ કરી શકતી નહોતી.

મેં એક વાર્તા બનાવવાનો પ્રયત્ન કર્યો: “વૃક્ષ માંદુ પડી ગયેલું અને સડવા લાગેલું.” ઘણા સમય પહેલાં અમે આ જ કારણે એક પાઇન ટ્રી કાપી નંખાવેલું. મેં બીજી વાર્તા બનાવી: “વીજળીની લાઇન પર દબાણ કરતું હતું, એટલે શહેરે પગલાંરૂપે કાપી નાખ્યું. રહીશો વૃક્ષને ઉપદ્રવ માનતા હતા કે એને ઘૃણા કરતા હતા એ સૌથી અઘરો ખુલાસો હતો.

“કોઈને એ વિશે પૂછી જોઈએ?” મારી સૌથી નાની દીકરી ટોમે સવાલ કર્યો.

“પણ આ કોઈને પૂછી શકાય એવી વાત છે શું?” બેમાંથી મોટો સારાકો બોલ્યો.

એ સાંજે આકાશ ગુલાબી હતું. પૂર્વ અને પશ્ચિમ બન્ને તરફ રંગ તેજસ્વી હતા. તે વખતે કૂતરા નાના હતા અને વૃક્ષ હતું એ સ્થળ સુધી હું એમને ચાલવા લઈ જતી હતી. ભૂતકાળમાં અનેક વખત અમે અહીં ચાલતા આવેલા. રસ્તામાં આવતા બે ઘરોમાં કૂતરા હતા. અમે પસાર થતા ત્યારે એ અચૂક ભસતા. મારા કૂતરા નાના ને અડબંગ હતા. એમને ખબર નહોતી કે અજાણ્યા કૂતરા ભસે ને આપણે એમની હદમાં હોઈએ ત્યારે સામે ભસાય નહીં. આ વખતે પણ પેલા કૂતરા ભસ્યા પણ મારા કૂતરા (જે બહુ સમય પહેલા નાના હતા) હવે નબળા દાદી કૂતરા થઈ ગયેલા. અજાણ્યા કૂતરાની એમને દરકાર નહોતી. અમારા કૂતરા તરફથી પ્રતિક્રિયા નહીં મળતા પેલા કૂતરાનું ભસવાનું પણ ફિક્કુ પડી જતું. પરિણામે, મને સમજાયું કે જે અવાજને હું ચેતવણી માનતી હતી એ ખરેખર ધ્યાન ખેંચવા માટે હતો — બૂમ પાડતો અવાજ હતો: “મારી તરફ જો! જો!” વાટમાં ઘણા અકેશઅ હતા. દરેક પર ફૂલ બેઠેલાં. ઑકસેલિસ પણ બધે પથરાયેલા હતાં. સાંજ પડી ગયેલી એટલે ફૂલ બંધ થઈ ગયેલાં. લૉન હતી ત્યાં સક્યુલન્ટ રોપેલા હતા. જીરેનિયમની વેલ વાડ પર ચડેલી હતી. એનો છેડો દેખાતો નહોતો ને  એનાં ફૂલ પૂરબહારમાં હતાં.

વૃક્ષ હવે રહ્યું નહોતું. રસ્તા પર ખૂબ પ્રકાશ પથરાયેલો હતો. રસ્તો સાવ ખાલી હતો. ચીપ્પર શ્રેડરમાં નાખીને વૃક્ષની ડાળીઓ અને થડનો ભૂક્કો બોલાવી દીધો હતો. ઘણા મૅક્સિન પુરુષો લાકડાની ચીપ ઉપાડવામાં લાગેલા હતા. કદાચ એ વૃક્ષની નજીકમાં વસતા હતા અથવા એને કાપવા માટે મજૂરીએ રાખેલા હતા.

વૃક્ષની તમામ નિશાની મટી ચૂકી હતી. જે જગ્યાએ એ ઊભેલું હતું ત્યાં હવે રેતી જેવા દેખાતા ઝીણા વેરનો ઘાટો ઢગલો હતો. ત્રણ ટોટોમી મૅટના માપની એ નાની જગ્યા હતી. આટલી નાની જગ્યામાંથી ઊગીને વૃક્ષ આટલું મહાકાય થયા પછી પોતાને કેવી રીતે ટકાવી શકેલું એ મારા માટે ચમત્કારી બાબત હતી. ફૂટપાથ કડાઝૂડ રીતે ઉખેડી નાખવામાં આવેલો. મારા પગ આગળ ને આખા ફૂટપાથ અને રસ્તા પર પાંદડાં વિખરાયેલાં પડેલાં હતાં. વૃક્ષ કપાયું તે જ ઘડીએ પાંદડાં ખરી પડેલાં. કપાયેલા વૃક્ષને નીચે ઢસળીને વહેરવામાં આવ્યું ત્યારે એના પાંદડા ચારે બાજુ વિખરાઈ ગયાં.

વૃક્ષ સાથે આમ બન્યું એ પછી થોડો સમય સુધી હું દુ:ખી હતી ને એ રસ્તે પસાર થતાં હું થોભી. ત્યારબાદ ટૂંક સમયમાં હું જાપાન પાછી ફરી. વસંતનો મોટા ભાગનો સમય મેં કુમામોટોમાં વિતાવ્યો. મારી જ્યેષ્ટ દીકરી કાનોકો તે વખતે સગર્ભા હતી. એ એના પતિ સાથે મારી પાસે આવી. આસોમાં  આવેલા તાકામોરી નગરમાં પેલું મહાકાય વૃક્ષ જોવા હું એમને લઈ ગઈ. આ એક જીવતાં વૃક્ષની વાર્તા છે.

કુમામોટોમાં માઉન્ટ આસોના તળિયે તાકામોરી આવેલું છે. કુમામોટો ઍરપૉર્ટથી માત્ર ૪૦ મિનિટના અંતરે સ્થિત છે. ત્યાં ઘર અને ખેતરો છે. કોઈ કોઈ ઠેકાણે પાણીનાં સ્રોત છે. અમુક કદરૂપા સ્રોતો વેપારી અર્થે વપરાશમાં લીધેલા છે. બીજા સ્રોતો સામૂહિક કૂવા જેવા દેખાય છે જેને સ્થાનિકો રોજીંદા વપરાશમાં લે છે. થોડેક આગળ જતાં વૃક્ષોની વચ્ચે એક આવો સ્રોત છે. પાણીની સપાટી પર વૃક્ષોના પ્રતિબિંબને કારણે પાણી લીલુંછમ દેખાય છે.

પાણીની સપાટી પર મધ્યમાં જલદેવતાની લીલથી ઢંકાયેલી મૂર્તિ દેખાય છે. જો ઊંડે નજર કરો તો તળાવનું લીલના જાડા થરથી ઢંકાયેલું તળિયું અને એના પર માછલીઓ આમતેમ તરતી દેખાય. જયાંત્યાં બધે જ પાણી ફૂટતું દેખાય. એવાં સ્રોતો છે જ્યાંથી પરપોટા સાથે પાણી ફૂટે છે. પર્વતના પડખાં જેવાં સ્રોતો પરથી જે રીતે પાણી ચઢયું હતું એમ ઉતરે પણ છે.

અરે, થોભો, પાણી વિશેની વાર્તા નહોતી બનાવવાની. આ વાર્તા વૃક્ષો વિશે છે. તાકામોરીમાં એક જૂનું સાકુરા ચૅરીનું વૃક્ષ છે. એને ઈશીંગ્યો કહે છે અર્થાર્થ  એ “પૂરા હૃદયથી (ઈશીન) કોઈ પવિત્ર વ્યક્તિનું તપ (ગ્યો) કરતું હતું. એટલે એવા અર્થથી લદાયેલું વૃક્ષ લાગતું હતું. પડખે એક મોટું સુગી કે સીડાર વૃક્ષ ખડું છે જેને તાકામોરિદોનો નો સુગી કહેવામાં આવે છે.

એટલે કાનોકો અને એનાં પતિને ઍરપોર્ટ પરથી લેવા ગયાં ત્યારે રસ્તામાં ઈશીંગ્યો ચૅરી ટ્રી જોવા ગયાં. એની મહોરવાની વેળા ગુજરી ચૂકી હતી. મહોરવાની ઋતુ પૂરજોશમાં હોય ત્યારે ઘોંઘાટ્યો અને ભીડભાડવાળો ચૅરી બ્લોસમ ફેસ્ટિવલ થતો હોય છે તે પૂર્ણ થઈ ચૂકેલો અને બધાં સ્ટોલ અને નૃત્ય માટેના મંચને તાજેતરમાં જ ખસેડી લેવાયેલા. હવે ચૅરી વૃક્ષો પર માત્ર પાંદડાં દેખાતાં હતાં. મેં ક્યાંક વાંચેલું કે ચૅરીના વૃક્ષની યામાઝાકુરા જાત અને સોમેઈ-યોશીનો જાત વચ્ચે ફરક એ છે કે સોમેઈ-યોશીનો જાતના ચૅરી વૃક્ષના ફૂલ ખતમ થઈ જાય પછી એને પાંદડાં ફૂટે, જ્યારે યામાઝાકુરા જાતના ચૅરી વૃક્ષને ફૂલ અને લાલ કળીઓ એકીસાથે બેસે છે.

કાનોકો સગર્ભા હતી અને એના પતિનો હાથ પકડીને બન્ને ચૅરીના વૃક્ષના ફેરા ફર્યા. ઘરડી થઈ ગયેલી ડાળીઓ પર ટકી ગયેલા કરમાયેલા ચૅરી પુષ્પો સામે જોવા કરતાં એ બન્ને ઘરડા ચૅરીના વૃક્ષના મૂળ પાસે મબલક ઊગેલાં વોયોલૅટ, વૅરોનિકા, ઝીણા અને સાધારણ વૅચિસને નિહાળવા લાગ્યાં. કાનોકોએ એનાં પતિને કહ્યું, “આ જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું …”

પાછા વળતાં હું વિચારતી હતી કે મહાકાય સુગી પાસે રોકાવાનો સમય મળશે કે નહીં. ઘટાટોપ ચૅરી ટ્રીની સામે જતાં રસ્તા પર ત્રીસ મીનિટ જેટલું જાવ ત્યાં રસ્તાની એક બાજુએ એક નાનકડી નિશાની એ રીતે મુકાયેલી છે જાણે એને ધ્યાનમાં લેવાની ના હોય. આગળ એક નાનો ઝાંપો છે. બંધ રખાયેલો. એ ખોલીને તમારે અંદર પ્રવેશવાનું. ગાયો બહાર ન નિકળી જાય માટે ઝાંપો બનાવાયો છે. ઝાંપાની અંદરની બાજુ ચારેબાજુ છાણ પડેલું છે. એવું જ લાગ્યા કરે કે ગમે ત્યારે એની પર પગ પડી જશે. થોડેક અંતરે વૃક્ષોનું ઝૂંડ છે, ઘનઘોર, ભેજલ અને અંધારું સ્થળ છે. ઉનાળામાં મચ્છર કરડવાનો ભય રહે એવું સ્થળ. જ્યાં જુઓ ત્યાં વેલા, હંસરાજ અને લીલ દેખાય. મહાકાય સુગી સુધી પહોંચવા આ વનસ્પતિને ભેદવી પડે. મૂળમાંથી એના બે ફાંટા પડે છે. ઉપર લંબાઈ, રોકાઈ ને નીચે ઝૂકેલું છે. ટૂંકા જ સમયમાં એ પોતાને પોતાનામાં જ લપેટી લેશે. એની તરફ નજર ઊંચકીને જોનારાઓને પણ લપેટી લેશે. એવા પ્રકારનું વૃક્ષ છે એ.

ખેર, મેં ગમે તેટલા હિસાબ લગાવ્યા અમારી પાસે સમય જ નહોતો. કાનોકો અને એનો પતિ હાલ જ કુમામોટો પહોંચેલાં અને મારે સગર્ભાને આરામ કરાવવા ઘેર લાવવાની હતી. વળી જે દિવસે અમે નિકળ્યાં મારા પિતાની તબિયત નાદુરસ્ત હતી એટલે મારે એમના ઘરે પણ આંટો મારવાનો હતો. પાછું કાનોકો અને એના પતિને ત્રણ દિવસમાં આસોની આજુબાજુના સ્થળોની મુલાકાત કરાવવાની હતી, મેં વિચારેલું કે જળાશય, પર્વતનું અગ્નિમુખ અને ગરમ પાણીના ઝરા જોઈને મહાકાય સુગીની મુલાકાત કરીશું.

થયું એવું કે બીજે દિવસે મારા પિતા ગુજરી ગયા. એ કોનોકો અને એના પતિને મળેલા ને એમને તુટ્યા અંગ્રેજીમાં એમને મળ્યાનો આનંદ છે એમ કહેલું “નાઈસુ તુ મી-ચુ”. પછી કાનોકોના વધેલા પેટને પોતાના પેટ સાથે સરખાવેલું. એમના પેટના સ્નાયુઓ તદ્દન શિથિલ થઈ ગયેલાં અને એમના આંતરિક અવ્યવોને બિલકુલ ટેકો નહોતા આપી શકતા. એમનું પેટ ફુલી ગયેલું. એ રાતે એમની તબિયત લથડેલી ને બીજે દિવસે એમણે દેહ ત્યાગી દીધેલો. અમારે દોડધામ વધી ગયેલી, હોસ્પિટલ, અંતિમ સંસ્કાર, ઘર, સગાંવહાલાંનો સંપર્ક ને એવું બધું. સ્વાભાવિક છે કે અમારે આસો જવાનું માંડી વાળવું પડેલું. અંત્યેષ્ટી ગૃહ, બેંક અને હોસ્પિટલથી પરત આવતા મને થયું કે કમસેકમ કાનોકો અને એના પતિને કહેવાતા જાકુશિનસન નો કુસુ કપુરના વૃક્ષની મુલાકાત તો કરાવું. મારા પિતાના અસ્થિ ફ્યુનરલ પાર્લરમાં મુકાઈ ચૂક્યાં હતાં. ઓહ … આવું બોલવાથી એવું લાગે છે કે મારા પિતા હવે મારા પિતા નથી રહ્યા. એમણે ફ્યુનરલ પાર્લરમાં જગા ભાડે રાખી હતી અને હવે એ ત્યાં હતા. ના, થોભો, એ ગુજરી ગયા છે એટલે ખરેખર એ ત્યાં નહોતા. એટલે કે એ વાત જ નથી કે એ ત્યાં ‘હતા’ કે ‘નહોતા’ … હું ગાડી ચલાવી રહી હતી તે વેળાએ આ પ્રકારના વિચારો મારા મગજમાં ચાલતા હતા.

તાબારુઝાકા જવા અમે કુમામોટો શહેરમાંથી પસાર થતા ગ્રામીણ વિસ્તાર ભણી જતા હતા. માર્ગમાં અમને કપુરના વૃક્ષોનું ઝૂંડ નજરે પડ્યું. નજીક પહોંચીને જોયું કે દૂરથી જંગલ જેવું લાગતું હતું એ ખરેખર માત્ર એક મહાકાય કપુરના વૃક્ષનો વિસ્તાર હતો. વૃક્ષ સરસ સચવાયેલા ઉદ્યાનમાં હતું પરંતુ આસપાસ કોઈ જ દેખાતું નહોતું. પાર્કિંગની જગાથી જતા માર્ગમાં જથ્થાબંધ ફૂલો ખીલેલાં હતાં : વાયોલૅટ, વૅરોનિકાના છોડ, હૅનબીટ્સ, નાના અને સામાન્ય વૅચીસ. કાનોકો અને એના પતિએ એકબીજાંના હાથ પકડીને મહાકાય કપુરના વૃક્ષની પ્રદક્ષિણા કરી. વૃક્ષની નીચે મુકેલી પાટલી પર મેં લંબાવ્યું.

મેં ઉપર નજર કરીને વૃક્ષ સામે જોયું, મારા હાથ સામે જોયું ને પછી આકાશ સામે જોયું. આછાં વાદળા છવાયેલું આકાશ હતું. વૃક્ષ મહાકાય, તોતિંગ, કરચલીઓથી ઢંકાયેલું હતું. કરચલીઓથી ભરેલાં થાકેલા, ઉદાસ હાથ હતાં. એમની સામું જોતાં મને ભાન થયું કે મારાથી મોટી ભૂલ થઈ છે. હું વિચારતી હતી કે વર્ષના આ સમયે કપુરના વૃક્ષ ઉપરનો લાલ રંગ એના નવી કૂંપળોને લીધે હોય છે પરંતુ એવું નહોતું. જૂનાં પાંદડાં લાલ થઈ ગયેલાં અને નવી કળીઓના લીલા રંગ સાથે ભળી ગયેલાં. લાલ પાંદડાં પવનમાં ખખડતા હતાં અને ચૅરીનાં વૃક્ષનાં ફૂલ ખરી પડે છે એમ જમીન પર વરસીને પથરાઈ ગયેલાં.

એક બીજા વૃક્ષની વાત કરવી છે મારે. મારા પિતાના મૃત્યુના થોડાક જ અરસા બાદ હું કૅલિફોર્નિયા પાછી ફરી, મારી સૌથી નાની દીકરી ટોમની શાળાથી પાછા ફરવાને રસ્તે એક ફૂલવાળાં વૃક્ષ પર ધ્યાન ગયું. અગાઉ એ ધ્યાનમાં આવ્યું નહોતું પરંતુ એને કારણે ભૂતકાળના કોઈ સ્મરણથી ગમગીન બની જવાતું. એનાં ફૂલ જાંબલી હતાં ને એની તીવ્ર આકારવાળી પાતળી પાંખડીઓ ક્રોસ જેવી દેખાતી હતી. આખું વૃક્ષ આ ફૂલોથી લદાયેલું હતું. ફૂલોની નીચે ચમકતાં લીલાં પાંદડાં છુપાયેલાં હતાં. વૃક્ષ એટલું સુંદર હતું કે હું ત્યાંથી પસાર થતી ત્યારે બાઈક ધીમી પાડીને એને નિરખતી. એક દિવસે મેં બાઈક બંધ કરીને ટોમને થોડાં ફૂલ અને પાંદડાં તોડી લાવવા કહ્યું. ટોમ ડાહ્યી દીકરી હતી અને એની મા એને ગમે તેવું મૂંઝવનારું કામ કહેતી તે કરતી. એણે તોડેલાં ફૂલ અને પાંદડાં મેં જોયા કે તરત જ મને ખાતરી થઈ ગઈ કે એ બીડનું વૃક્ષ હતું, મૅલીએસા કુળનું, એશિયા અને કુમામાટોના મૂળનું મૅલીએ જાતિનું. ચીની અક્ષરોમાં “મેપલ” અથવા “પાનખરનાં પાન” વત્તા “સીડાર”નો અર્થ સમાય એવી રીતે લખાય.

બીડનાં વૃક્ષ ખૂબ ઝડપથી વધે છે. કુમામોટોની નદી સુબોઈગાવાના કિનારે વીસ વર્ષ પહેલાં ઊગી નીકળેલાં વૃક્ષો હાલ મોટાં વૃક્ષો બની છાંયડો પાથરી રહ્યાં છે. માત્ર જંગલમાં જ નહીં, ઠેકઠેકાણે ઉદ્યાનોમાં ઉછેરેલાં પણ જોવા મળી જાય છે. શિયાળામાં એમનાં પાંદડા ખરી જાય છે અને પીળા બીજ એની બોડી ડાળીઓ પરથી લટકતા દેખાય છે.

કેટલાં ય સમય સુધી આ બીડના વૃક્ષને હું વૅક્સનું વૃક્ષ માનતી રહી. વૅકસના વૃક્ષમાંથી મીણ મળે છે ને માટે સામંતી સમયમાં સ્થાનિક સાંમતોએ એના વાવેતરને પ્રોત્સાહન આપેલું. આસોની આસપાસ ઓત્સુથી છેક દાઈબુ સુધી દોડતા જૂના ધોરીમાર્ગને કિનારે આ વૃક્ષો વાવેલાં. મને યાદ આવ્યું કે હું પ્રથમ વાર જ્યારે સ્થળાંતર કરી કુમામોટો આવેલી ત્યારે લોકોએ મને જણાવેલું કે ધોરીમાર્ગના કિનારે ઊભેલાં વૃક્ષો વૅક્સનાં વૃક્ષો છે.

આમ છતાં, ધોરીમાર્ગના કિનારે હારબંધ વૃક્ષો વૅક્સનાં નહીં, બીડનાં છે. ત્રણ વર્ષ પૂર્વે એપ્રિલમાં મારી મા ગુજરી ગયેલી ત્યારે એપ્રિલ અને મેના વ્યસ્ત ગાળામાં હું કૅલિફોર્નિયા અને કુમામોટો વચ્ચે આવજા કરતી. તે વખતે જ્યાંત્યાં બીડનાં વૃક્ષો મહોરવા લાગેલાં પૂરબહારમાં.

વૅકસનાં વૃક્ષ અને બીડનાં વૃક્ષ હૂબહૂ સરખા દેખાય છે પરંતુ એમનાં ફૂલ જુદા હોય છે. વૅક્સનાં વૃક્ષનાં ફૂલ ધ્યાન ખેંચતાં નથી. મે મહિનામાં ખીલતાં બીડનાં વૃક્ષનાં ફૂલ ખૂબસુરત અને આકર્ષક હોય છે. એટલે દક્ષિણ કૅલિફોર્નિયામાં અમારા પાડોશમાંથી ટોમે તોડેલાં ફૂલ નિસંકોચ બીડનાં વૃક્ષનાં જ હતાં.

જો તમે ધ્યાનથી જોશો તો આ ફૂલો દ્વિરંગી હોય છે: સફેદ અને જાંબલી. ફૂલની દરેક પાંખડી પાતળી અને તીવ્ર આકારની હોય છે ને એના લીધે તમને એનો આકાર ક્રોસ જેવો લાગે. પણ હકીકતે એક કળી દીઠ એને પાંચ પાંખડી હોય છે. ને એની સુગંધ એવી કે તમારું ધ્યાન ખેંચાયા વિના રહે નહીં. એટલી તીવ્ર ને તેજ સુગંધ કે માત્ર બે જ ફૂલોથી આખું ઘર પમરવા લાગે.

ત્યાં કુમામોટોમાં સુબોઈગાવાના કિનારે અને ત્યાંના ઉદ્યાનોમાં પણ જે બીડનાં વૃક્ષો છે એ અત્યારે પૂરબહારમાં હશે. મારી નજર સામે તરે છે એ વૃક્ષો. મારા પિતા પણ એપ્રિલમાં ગુજરી ગયેલા, પરંતુ હવે ત્યાં કોઈ રહ્યું નથી કે મારે એપ્રિલ અને મે દરમ્યાન કુમામોટો પાછા ફરવું પડે. ના હું, ના પિતા, ના માતા. આ વિચારે એક આખો વિશાળ ખાલીપો ખોલી દીધો.

જોયા વગર જ જાણી શકું છું. ત્યાં નદી કિનારે બીડનાં વૃક્ષો પવનમાં ઝોલાં ખાય છે ને એમનાં ફૂલ ખરી જાય છે. નદી કિનારેની ઝાડીમાં નર તેતર એની સાથીની તલખાટમાં એને પોકારે છે. પરિપક્વતાએ પહોંચેલા મલ્ટીફ્લૉરા રોઝના છોડ પર ઝુમખેઝુમખાં બાઝેલાં છે અને આખો ય નદી કિનારો સફેદ રંગાઈ ગયો છે જાણે કોઈએ ટૅલકમ પાવડરનો છંટકાવ કર્યો હોય.

~

•   મૂળ ભાષા : જૅપનીઝ    •   અંગ્રેજી અનુવાદ : જૅન પિટ્ટ   •   ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

સ્રોત : asymptote journal.com (Educator’s Guide, Fall 2020)

Loading

...102030...2,4222,4232,4242,425...2,4302,4402,450...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved