Opinion Magazine
Number of visits: 9575607
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના મુખ્ય મંત્રીને નાગરિકોની નિસબત અંગે આવેદનપત્ર

— —, — —, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|2 May 2020

કોરોનાની મહામારીમાં આજે સંપૂર્ણ વિશ્વ મોતના ઓછાયા હેઠળ છે. અગાઉ ક્યારે ય બન્યું ના હોય તેમ સમગ્ર વિશ્વમાં આજે ડર વ્યાપેલો છે. આ મહામારીને ખાળવા આપણી સરકાર તૈયાર ન હતી. તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લૉક ડાઉનની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોએ તમામ આદેશોનું એક પાલનકર્તા નાગરિક તરીકે અનુસરણ કર્યું. અલબત્ત લોકોને અકલ્પનીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમ છતાં તેમણે સાથ સહકાર આપ્યો. તેમ જ આ મહામારીને નિયંત્રિત કરવા સોશિયલ ડિસ્ટન્સિન્ગનું પાલન કર્યું.

તાજેતરમાં લૉક ડાઉનનો એક મહિનો પૂર્ણ થયો છે. આ એક મહિનામાં અમે અનેક હૃદયવિદારક ઘટનાઓના સાક્ષી બન્યા છીએ. કોરોનાથી મૃત્યુ ઉપરાંત કામદારોનું સ્થળાંતર અને તેમના પ્રત્યે થયેલ અમાનવીય વર્તને દેશભરના લોકોને આઘાત આપ્યો. તેનો સત્તાધીશોને કોઈ પસ્તાવો નહોતો! એક મહિનાના લૉક ડાઉન બાદ વાઇરસ સામેની લડતમાં સરકારની તૈયારીઓની પોલ ખૂલી ગઈ છે.

પહેલાં તો ટેસ્ટ થતા જ ન હતા. ડોક્ટર-નર્સ વગેરેને સુરક્ષાના સાધનો આપવામાં આવ્યાં ન હતાં. લૉક ડાઉનનો અમલ પોલીસ અને ડ્રોનના ભયથી કરાવવામાં આવ્યો. જ્યારે આઇ.સી.એમ.આર. કહે છે કે કોરોના વાઇરસના ૮૦ ટકા સંક્રમિત દરદીઓમાં લક્ષણો દેખાઈ રહ્યાં નથી. એવા સમયે સંક્રમિત દરદીને શોધવા માટે તેમ જ સંક્રમિત દરદીને શોધીને કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા માટે ટેસ્ટ સિવાય અન્ય કોઈ ઉકેલ જ નથી. ત્યારે સંક્રમિત દરદીઓનો આંકડો ઓછો કરવા તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી કે જે એક ગુનાહિત બેદરકારી સમાન છે. તે લોકોને તેમની જાણ બહાર મૃત્યુ તરફ ધકેલશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પ્રકારના અનૌપચરિક સર્ક્યુલર, ડોક્ટર નર્સ પેરામૅડિકલ સ્ટાફ અને કોર્પોરેશનના અન્ય કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે. પરિણામે સ્થિતિ એવી ઊભી થઈ છે કે મૅડિકલ-પેરામૅડિકલ અને અન્ય સભ્યો પોતે સંક્રમિત થવાના ભયથી પીડાઈ રહ્યા છે. દિવસ રાત કોઈ પણ પ્રકારનાં સુરક્ષા સાધનો વગર કામ કરતા આપણા રક્ષકો હાલમાં હતાશા અને નિરાશામાં ગરકાવ છે. અલબત્ત કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તેમ છતાં છેલ્લા દસ દિવસમાં સંક્રમિત દરદીઓની સંખ્યા બમણી થઇ છે. તેમ જ રાજ્યમાં સાજા થવાનું પ્રમાણ ખૂબ જ નીચું એટલે કે ૯.૧૬ ટકા છે, જે પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. એક બાજુ લોકોને મૃત્યુનો ભય છે, તો બીજી બાજુ આપણી પોલીસ અને તંત્રની શિક્ષાત્મક કાર્યવાહીનો. કાયદાના પાલનકર્તા નાગરિકોની કાયદાનો ભંગ કરવા બદલ, કાયદાની વિવિધ કલમો લગાવીને ધરપકડ કરવામાં આવી રહી છે તેમ જ દંડ પણ કરવામાં આવી રહ્યો છે.

આશ્ચર્ય સાથે કહેવું પડે છે કે કોરોના મહામારીનું પણ કોમવાદીકરણ કરાયું છે. માનવીય સંવેદનાઓ કોમવાદી વલણોમાં ફેરવાઈ ગઈ છે. માત્ર કોમવાદી જ નહીં પરંતુ તેનું રાજકીયકરણ ઉપરાંત તેમાં અમીર અને ગરીબનો ભેદ પણ દેખાઇ રહ્યો છે. આમ કોરોના વાઇરસ કે જેનાથી એક આંતરરાષ્ટ્રીય ઐકય ઊભુ થવું જોઈતું હતું, તેના બદલે વધુને વધુ સંકુચિતતા પેદા થઈ રહી છે. હવે કોરોના વાઇરસની મહામારીને નાથવાના બદલે વ્યાપાર અને અર્થનીતિને વધુ મહત્ત્વ અપાઇ રહ્યું છે. કોરોના મહામારીને એક મહામારી કરતાં અન્ય દેશો પર આર્થિક અગ્રતા પેદા કરવાની તકની જેમ લેવાઈ રહી છે. મનુષ્યજીવનની રક્ષા એકમાત્ર ધ્યેય હોવો જોઈએ. તેના બદલે અર્થનીતિને વેગવંતી બનાવવી એ મુખ્ય ધ્યેય બની ગયો છે. હાલમાં અમે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, મ્યુનિસિપાલિટી, પોલીસ અને લાઠી સાથેની સત્તાથી ઘેરાયેલા છીએ. આ સત્તાથી પરિસ્થિતિમાં અવ્યવસ્થા અને અરાજકતા સર્જાઈ છે. તંત્રના આ બહુઆયામોથી વહીવટીય શૂન્યાવકાશ સર્જાયો છે. તેથી એવું લાગે છે કે ભારતમાં પણ યુ.એસ.ની જેમ મોટી સંખ્યામાં મૃત્યુ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વાત સ્વીકારી હતી કે માત્ર અમદાવાદમાં જ ૩૧મી મે સુધી કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૮ લાખથી ઉપર હશે.

લૉક ડાઉનના કારણે અમે વિચિત્ર પ્રકારની અસંવાદની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કૅલેમિટિ એક્ટ ૧૮૯૬ અને નેશનલ એક્ટ ૨૦૦૬ લાગુ કરવાના કારણે આજે કટોકટી કરતાં પણ વધુ ગંભીર સ્થિતિ છે. આ સંજોગોમાં સોશિયલ મીડિયા થકી જોડાયેલા રહીને સરકાર સમક્ષ અમારી નિસબતને રજૂ કરવી અનિવાર્ય છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અમે નિસબત ધરાવતા નાગરિકો આપના સુધી ઇ-મેલ, વોટ્સપ, ફેક્સ, ટિ્વટર થકી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી કરીને સરકાર અને નાગરિકો વચ્ચે મહામારીના આ સમયમાં એક તંદુરસ્ત સંવાદ જળવાયેલો રહે. અમારી માગણીઓઃ

૧. લૉક ડાઉન બાદનો રોડમેપ જાહેર કરવામાં આવે.

૨. ડોક્ટર, નર્સ, પેરામૅડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, પોલીસ અને અન્ય તમામને સુરક્ષાના જરૂરી સાધનો પૂરતી માત્રામાં આપવામાં આવે.

૩. ટેસ્ટીંગની સંખ્યા વધુને વધુ કરવામાં આવે.

૪. હોસ્પિટલ અને કોરોના કેર સેન્ટરમાં તમામ દરદીઓને જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવે.

૫. સરકાર તમામ ખાનગી હોસ્પિટલો અને હોટલોને પોતાને હસ્તક લે. કોરોનાથી સંક્રમિત તમામને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે.

૬. લોકો ઓછા હેરાન પરેશાન થાય તે રીતે તેમ જ સોશિલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે તમામને ખોરાક, રાશન, કેશ ડૉલ અને જીવન જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે.

૭. કોરોના મહામારીના કોમવાદીકરણ પર નિયંત્રણ લાદવામાં આવે. અને કોમવાદી સ્થિતિ ઊભી કરનાર તમામ તત્ત્વો સામે કડક પગલાં લેવામાં આવે. ઉપરાંત તમામ મંત્રીઓ અને વહીવટી અધિકારીઓને કોમવાદી નિવેદનોથી દૂર રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવે.

૮. આ મહામારીને ખાળવા રાજ્યસ્તરીય ટાસ્કફોર્સની રચના કરવામાં આવે.

૯. વિરોધ પક્ષો, વિવિધ સંગઠનો, નિસબત ધરાવતા નાગરિકોને વિશ્વાસમાં લઈને તેમની વચ્ચે સંકલન સાધવામાં આવે તેમ જ આ તમામ વચ્ચે સંવાદ સાધી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ.

૧૦. ઉપરોક્ત તમામ બાબતો પર નાગરિકોની દેખરેખ રહે તે માટે તાત્કાલિક ધોરણે એક માળખું બનાવવામાં આવે.

[ઇ-મેઇલ તેમ જ ટિ્વટર દ્વારા મોકલાયેલા આ પત્રમાં આશરે ૮૩ નાગરિકોએ સહી કરી હતી, જેમાં કર્મશીલો, પ્રોફેસરો, મહિલા કર્મશીલો, વિદ્યાર્થી કર્મશીલો, વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ વગેરેનો સમાવેશ થાય છે.]

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020

Loading

મરકી, મોહનદાસ અને સાવિત્રીબાઈ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 May 2020

ભારતનાં પહેલાં મહિલા શિક્ષિકા અને અનન્ય સમાજસુધારક મહાત્મા ફુલેનાં જીવનસાથી સાવિત્રીબાઈ ફુલે ૧૮૯૭ના મરકીના રોગચાળામાં લોકોની સેવા કરતાં ખુદ ચેપગ્રસ્ત બની મૃત્યુ પામ્યાં હતાં તે હાલના વૈશ્વિક કોરોનાકાળમાં યાદ આવે તેવી ઘટના છે. જે જમાનામાં શૂદ્રો અને સ્ત્રીઓનાં શિક્ષણ પર સામાજિક તાળાબંધી હતી, ત્યારે ફુલે દંપતીએ તેના વિરોધમાં ઝીંક ઝીલી મહિલાઓ અને દલિતો માટે શિક્ષણનાં દ્વાર ખોલી સમાજસુધારણાની દિશામાં જુદાં કદમ માંડ્યાં હતાં. યુવાન હિંદુ વિધવા સ્ત્રીઓ, કુટુંબના પુરુષોના યૌન શોષણનો ભોગ બની ગર્ભવતી થતાં કુવોહવાડો કરતી હતી. તેને અટકાવવા તેમણે બાળહત્યાપ્રતિબંધક ગૃહ શરૂ કરી આવી સ્ત્રીઓની પ્રસૂતિ કરાવી તેમનાં અનૌરસ સંતાનોને ઉછેરવાની જવાબદારી લીધી હતી. નિ:સંતાન ફુલે દંપતીએ ૧૮૭૩માં પોતાના બાળહત્યાપ્રતિબંધક ગૃહમાં જન્મેલા, કાશીબાઈ નામક વિધવાના પુત્રને દત્તક લીધો હતો. તેનું નામ યશવંત રાખેલું. તેને ભણાવી ગણાવી ડોકટર બનાવ્યો હતો.

જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્યશોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજસુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા. ૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયાં હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધી શોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવાશુશ્રૂષાથી દરદી સાજા પણ થતાં હતાં. પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત અસ્પૃશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર, કોઈ તેની નજીક પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઊંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું. તે પછી સેનામાં ડોકટર તરીકે જોડાયેલા યશવંત ફુલેએ ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા. આજના કોરોના વોરિયર્સના સમયમાં ફુલે માતા-પુત્રનું આ બલિદાન પણ સંભારવાની જરૂર છે.

ગાંધીજીના જીવનમાં આવેલા મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો પણ આજે પ્રાસંગિક છે. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો, તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુદ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી. મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા, જાહેર કામ કરતા પણ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન” કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલાં પાયખાનાં હતાં. આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત, પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાબે લડ્યા અને જીત્યા.

એ પછી તરત, ઈ.સ. ૧૯૦૪માં, જોહાનિસબર્ગના કુલી લોકેશનમાં એકાએક જીવલેણ કાળી મરકી ફાળી નીકળી. એ સમયે ગાંધીજીએ મરકીનો ભોગ બનેલા લોકોની જે સારવાર કરી તેનું વર્ણન તેમની આત્મકથા “સત્યના પ્રયોગો”ના બે પ્રકરણો(મરકી-૧, મરકી-૨)માં વાંચવા મળે છે. શહેરની આસપાસની સોનાની ખાણોમાં મરકીનું ઉપદ્રવ કેન્દ્ર હતું. તેમાં કામ કરતા અને કુલી લોકેશનમાં રહેતા ત્રેવીસ હિંદીઓ મરકીનો ભોગ બન્યા હોવાના સમાચાર મળતાં ગાંધીજી સ્થળ પર પહોંચ્યા અને તેમની સારવારમાં લાગી ગયા. આત્મકથામાં તેનું વર્ણન કરતાં તેમણે લખ્યું છે, “શુશ્રૂષાની રાત્રિ ભયાનક હતી. મેં ઘણાં દરદીઓની સારવાર કરી હતી, પણ મરકીના દરદીની સારવાર કરવાનો અવસર મને કદી પ્રાપ્ત નહોતો થયો. દરદીઓની સેવા ઝાઝી થઈ શકે તેવું નહોતું. તેમને દવા આપવી, આશ્વાસન આપવું, પાણીછાણી આપવાં તથા તેમનું મેલું સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવાપણું નહોતું. જ.”

મરકી ન ફેલાય તે હેતુસર સ્થાનિક તંત્ર પણ મદદે આવ્યું. અહીં પણ ગાંધીજીએ કેટલાક પ્રયોગો કર્યા હતા. દરદીઓને દવા સાથે દારુ તરીકે બ્રાન્ડી આપવામાં આવતી હતી. ડોકટરની પરવાનગીથી જે ત્રણ દરદીઓ દારૂ વિના ચલાવવા  તૈયાર થયા તેમના પર ગાંધીજીએ માટીના પ્રયોગો કર્યા હતા. ગાંધીજી લખે છે, “આ ત્રણ દરદીઓમાંથી બે બચ્યા. બાકીના બધા દરદીઓનો દેહાંત થયો.” (પૃષ્ઠ-૨૮૫) સારવાર માટે મૂકાયેલા નર્સને ગાંધીજી દરદીઓને અડકવા દેતા નહોતા. છતાં તે નર્સ પણ  આ દરમિયાન ચેપથી મૃત્યુ પામ્યાં. ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે, ”પેલા દરદીઓનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ કહી ન શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રદ્ધા અને દવા તરીકે પણ દારૂના ઉપયોગ વિશે મારી અશ્રદ્ધા વધ્યાં”.

વર્તમાન સમયમાં સરકારની ટીકા કરવાથી દૂર રહી સરકારને મદદ કરવાની સલાહ અપાય છે, પણ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પરદેશી હોવા છતાં મરકી અંગે સરકાર અને તંત્રની બેદરકારી અંગે ચૂપ નહોતા રહ્યા. તેમણે સરકારને સખત કાગળ લખેલો અને છાપાંમાં લેખ પણ લખેલો. ગાંધીજી સ્થાનિક વસાહતીઓની પડખે રહી તેમને સમજાવતા રહ્યા. એટલે તેમના સહકારથી સરકાર શહેરથી દૂર વસાહતનું સ્થળાંતર કરાવી શકી અને કુલી લોકેશનની હોળી કરવામાં સફળ રહી. આ રીતે મરકીમાંથી મુક્તિ મળી હતી. આ ઘટનાની ફલશ્રુતિ અંગે ગાંધીજીનું કહેવું હતું કે, “આ મરકીએ ગરીબ હિંદીઓ પરનો મારો કાબૂ, મારો ધંધો ને જવાબદારી વધાર્યાં.”

ફુલે માતા-પુત્રે મરકીનો ભોગ બનેલાની સારવાર કરતાં જાતનો ભોગ આપ્યો હતો. ગાંધીજી જીવનમાં પહેલીવાર પ્લેગના દરદીઓની સારવાર કરતાં પણ પોતાના પ્રયોગો કરતાં ન ખચકાયા. મરકીએ તેમનો ધંધો અને લોકો પરનો કાબૂ વધાર્યા એમ પ્રામાણિકપણે જણાવીને તેણે જવાબદારી પણ વધાર્યાનું લખ્યું હતું. આ બે ઘટનાઓનો આજના સમયનો આ સૌથી મોટો બોધપાઠ છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020

Loading

સંક્રાન્તિમાં સુવાણની સમજ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 May 2020

થોડા દિવસ ઉપર (૨૭મી એપ્રિલે) ફેસબૂકના ફળિયે પાલનપુરના હરફન મૌલા જેવા મિત્ર હિદાયત અને ‘બહુરંગ બનાસ’ખ્યાત મનુ માલધારીની એક પોસ્ટ સાથે મુખોમુખ થવાયું, બલકે તારામૈત્રક જ રચાઈ ગયું. ઈન્દુકુમાર જાનીએ સંકલ્પપૂર્વક ‘નયા માર્ગ’નો સંકેલો કીધો તે અંગે વસમી ખોટ તરેહનો એક દલિતવંચિત સૌનો ભેરુ ગુમાવ્યાનો દિલી વસવસો એ પોસ્ટમાં હતો, અને હું પણ છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી જે મીઠી વલૂરના દોરમાંથી ગુજરી રહ્યો હતો તે વ્યક્ત કરતાં મને રોકી ન શક્યો. દોડવું’તુંને ઢાળ મળ્યો : “સૌની લાગણી” એવી ટાંપ સાથે મેં એ ટપાલ શેર કરી.

એક વાર નારિયેળ રમતું મુકાયું; ડહીનો ઘોડો પાણીપીતો રમતોજમતો છૂટો મુકાયો એટલે જાતભાતનાં સ્નેહફટાણાં ને સ્મરણબોલ પણ આવી મળ્યાં. પણ અહીં તો બે-ત્રણ જ ટાંકીશ: ભાનુભાઈ રોહિતે લખ્યું કે 1988માં હું ઈડર કૉલેજમાં જોડાયો ત્યારે ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ની રાહ જોતો. (કેટલાક મિત્રોએ આવું વાંચવાની ના પણ પાડી એવુંયે એમણે ઉમેર્યું છે.) સુરતસ્થિત કિરણ દેસાઈએ અભ્યાસશિસ્ત અને નિસબતના ધોરણે આરંભ તો એ એક વ્યાપક અવલોકનથી કીધો કે ‘નિરીક્ષક’, ‘નયા માર્ગ’, ‘ભૂમિપુત્ર’નું ગુજરાતના જાહેર જીવનમાં વૈચારિક અને સૂક્ષ્મ પ્રદાન રહ્યું છે. પછી અલબત્ત એમણે વિગતે નોંધ તો સહજ હતું તેમ વર્ણ્ય વિષયની જ લીધી અને દલિતવંચિત તબકાઓની ચિંતા એ ‘નયા માર્ગ’નો વિશેષ રહ્યો છે એ વાત પર ભાર દીધો.

મુદ્દે, છેલ્લાં વર્ષોમાં આ ત્રણે પત્રોનાં નામ સાથે લેવાતાં રહ્યાં છે. યથાપ્રસંગ કોઈક સમયે ‘ખોજ’નું નામ હું એમાં ઉમેરી શક્યો હોત. કાશ, ઉર્વીશ કોઠારી હસ્તક ‘દલિત શક્તિ’ અને ચંદુ મહેરિયા હસ્તક ‘દલિત અધિકાર’ એ બેને પૂરી ઈનિંગ્ઝ મળી હોત! ગમે તેમ પણ, ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ એ સાથે લેવાતાં રહેલાં નામો છે અને પોતપોતાની રીતેભાતે આગવી વિશેષતાપૂર્વક એ સક્રિય રહ્યાં છે. વૈચારિક સમશોધનની રીતે આ ત્રણ પૈકી કોઈ એક જ પત્ર અપૂરતું પણ હોઈ શકે છે.

હમણાં આરંભબિંદુ તરીકે હિદાયત અને માલધારીની પોસ્ટની જિકર કરી, પણ હમણેના દિવસોમાં ‘નયા માર્ગ’નો સંદર્ભ જેમ ચિંતવ્યો તેમ અણચિંતવ્યે છેડેથી સાંભળવાનું બનતું રહ્યું છે, અને આ નોંધ પાછળ વડો ધક્કો એનો જ છે. ‘નિરીક્ષક’ના વાચકોના એક વર્ગમાં જેમ ડિજિટલ સંસ્કરણ પરત્વે આનંદ અને આવકારનો સહભાગી-સંવાદી ભાવ જોવા મળે છે, તેમ સામગ્રીના એક હિસ્સા બાબતે આ ‘કકળાટ’ શેણે. એવો વિરોધભાવ નહીં તો લગભગ મજ્જાગત અભાવ માલૂમ પડે છે. કામૂ, હરારી, હેમિંગ્વે બાઅદબ બામુલાહિજા બસરોચશ્મ, પણ સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સની કોરોના શિસ્તચર્યાનું ઓઠું લઈને કે જે-તે નિમિત્તે આ બધો દલિત ને એવોતેવો ‘કકળાટ’ શીદને એવું તો નથી ને. કોઈ કોઈ કદાય વિમાસે પણ છે કે ‘નયા માર્ગ’ની સામગ્રી અને લેખકો અહીં આવી જશે એવું તો નહીં થાય ને.

ભાઈ, ‘નિરીક્ષક’ હોય કે ‘નયા માર્ગ’ અગર ‘ભૂમિપુત્ર’, એના વિશ્વદર્શનમાં જનસામાન્યનું અસામાન્ય સ્થાન છે તે છે. લોકશાહી પ્રક્રિયામાં (અને એ રાહે કથિત ‘વિકાસ’માં) જનસામાન્યનો પ્રવેશ અને પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતાં જાય અને કથિત મુખ્ય પ્રવાહમાં એમની સાર્થક સહભાગિતા વધતી જાય એથી રૂડું શું.

મુદ્દે, એક સાવ સાદો – એલિમેન્ટરી, માય ડિયર વૉટસન – દાખલો આપું તો ટ્રેઇનમાં આપણે સૌ ધક્કામુક્કી કરીને ચઢીએ છીએ, પછી બરાબર ગોઠવાઈ જઈએ છીએ. આગલે સ્ટેશને નવસહિતના જોસ્સાથી પાછું તાલ સે શુરૂ: નવા ચઢનારાંનો પ્રતિકાર. વળી નવાં ચઢેલાંનો અને આગળથી અંદરનાંઓનો મેળ થઈ જાય છે, અને આગલે સ્ટેશને પ્રતિકાર ! ધીરે ધીરે, આપણો કોઠો મૂળ તો ફિલસૂફનો રહ્યો એટલે હશે ભાઈ, આ તો પંખીનો મેળો છે, લગરીક રહીને વળી છૂટા પડવાનું …

પ્રજાસત્તાક સ્વરાજની યાત્રામાં, કથિત મુખ્ય પ્રવાહમાં તેમ મધ્ય પ્રવાહમાં સ્વાભાવિક જ નવા વર્ગો ભળતા જાય છે. આપણું વર્ણવાસ્તવ પણ ન્યાય, હક અને સમાસની ઘોર ગડમથલમાં છે. ગુજરાતમાં જેમને વિચારપત્ર કહેવાનો ખરોખોટો પણ ચાલ છે એમનું ઈતિહાસકર્તવ્ય સહજ ક્રમે આ સંક્રાન્તિમાં સુવાણની સમજનું છે. સુવાણની વ્યાખ્યામાં સિઝેરિયનને નકારી શકવાની સ્થિતિમાં આપણે બધો વખત હોતા પણ નથી. ટ્રેન જેવો બાળબોધ દાખલો ન પણ ચાલે.

આ લખી રહ્યો છું એ કલાકોમાં ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પર નૉળવેલની મહેકનો નવો હપતો મુકાયાની વધામણી ફેસબૂક પર જોઉં છું. રૂબરૂ મળવાનું થતું એ દિવસોમાં પરિષદપ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રે શરૂ કરેલો કાર્યક્રમ ‘આનંદની ઉજાણી’નો હતો. નવલરામે પુસ્તકસમીક્ષા કે આસ્વાદની પ્રક્રિયાને બહુ સમર્પકપણે ‘ઉજાણી’ કહેલ છે. કોરોનાકાળે, જેમને આ પ્રયોગની પૃષ્ઠભૂ, મર્મ ને માયનો ખબર ન હોય એમને કદાચ તે અગ્રાહ્ય લાગે કે અન્યથા પણ સિતાંશુ યશશ્ચંદ્રે નૉળવેલની મહેક જેવો પ્રયોગ રમતો મૂક્યો છે. નૉળવેલનું ખેંચાણ, ચિર સર્પસત્ર વચ્ચે કોને ન હોય. કેમ ન હોય.

સિસૃક્ષાએ નૉળવેલ કને જવું તે આવી ક્ષણોમાં સહજ સૂઝવું જોઈએ. વિવેકાનંદ, ગાંધી, ફૂલે પરિવાર, વલ્લભભાઈ આદિએ નાનાવિધ મહામારીમાં ભજવેલી સાર્થક ભૂમિકાથી માંડીને મહામારી માહોલનાં કામૂ, હેમિંગ્વે અને બીજાનાં મહામંથન એ આવી ક્ષણોનું સહજ સહ્રદય સંબલ છે. અહીં અપેક્ષિત અભિગમ કોઈ દિમાગી અય્યાશીનો નથી કે સુખવસ્તુ સાહિત્યની કાલક્ષેપ કામગીરીનો મહિમા હોય. આ પ્રક્રિયા પલાયનની નથી. વંચિતોના સુખદુ:ખ આ પ્રક્રિયાનો અવિનાભાવ હિસ્સો છે.

માટે આ દિવસોનું ‘નિરીક્ષક’. ‘નયા માર્ગ’ દીધી શ્રી પણ એને કાલવીને કેમ ન મળી રહે વારુ. ભલુ થાજો હિદાયત અને માલધારીનું, કે એમણે આ હૃદયવાર્તા માટે નિમિત્ત સંપડાવ્યું.

e.mail :prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020

Loading

...102030...2,4212,4222,4232,424...2,4302,4402,450...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved