Opinion Magazine
Number of visits: 9575610
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રમિકોનાં જાન અને જહાનનું શું?

સુદર્શન આયંગાર|Opinion - Opinion|3 May 2020

શિકાગો ખાતે 1884માં સંગઠિત વ્યાપાર સંઘ અને મજૂર મંડળની (Federation of Organised Trades and Labour Unions) પરિષદમાં ઠરાવાયું હતું કે પહેલી મે, 1886એ તેમ જ ત્યાર બાદ શ્રમિક માટે 8 કલાકનું કામ કાયદાકીય રીતે એક દિવસનું કામ ગણાશે. 135 વર્ષ બાદ મુંબઈમાં બાંધકામ કરતા કડિયા સાથે કામ કરતો એક શ્રમિક પહેલી મેના થોડા દિવસ પહેલાં 1,400 કિલોમીટરની પગપાળા મુસાફરી કરી ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં તેના વતન મથકન્વા ગામમાં પહોંચે છે. તેને અલગ રખાય છે અને ત્યાં જ તે મરણને શરણ થાય છે. ભાગ્ય તો જુઓ! માતા-પિતાએ તેનું નામ પાડ્યું હતું ઇન્સાફઅલી. અલીના અંદાજ અનુસાર, બાકી રહેલા પાંચ હજાર રૂપિયા તેને માયાનગરી મુંબઈમાં તાળાબંધી બાદના સપ્તાહો દરમિયાન ટકી રહેવા સારુ પૂરતા ન હતા. આ એક જ અલી સરકાર અને સમાજ પાસેથી ઇન્સાફ માગી રહ્યો નથી. એ તો તનતોડ મજૂરી કરીને પેટિયું રળતા લાખો મજૂરોની દર્દનાક હાલત અને તેમની યાતનાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

મે માસના પ્રારંભે બે પ્રશ્ન આપણી સહુની સમક્ષ વિકરાળ જડબાં ફાડીને ઊભાં છે : હિંદુસ્તાનમાં આજે શ્રમિક ક્યાં છે અને જાતમહેનતનું, બીજા શબ્દોમાં, શ્રમનું ગૌરવ ક્યાં અદૃશ્ય થયું છે? બીજો મુદ્દો, જાન સાથે જહાનનો. અર્થકારણનું શું કરીશું?

અમેરિકામાં 1884માં થયેલી ઐતિહાસિક ક્રાંતિ બાદ વ્યાપાર અને શ્રમિક સંઘો ફૂલ્યા-ફાલ્યા. હિંદુસ્તાનના વ્યાપાર અને મજૂર સંઘોના ઇતિહાસમાં ભરતી-ઓટ આવ્યાં છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનાં ઉત્પાદનમાં સંગઠિત શ્રમનો હિસ્સો 20 ટકાથી વધ્યો ન હોવાનું દર્શાવતા અર્થશાસ્ત્રીય અભ્યાસોથી અલમારીઓ ભરાઈ ગઈ છે. અસંગઠિત તથા સ્વ-રોજગાર કરતા શ્રમને ગતિશીલ કરવા અંગે અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે. આ સંદર્ભે કેટલાક પ્રશંસનીય પ્રયાસ પણ થયા છે. સ્વ-રોજગાર મહિલાઓનું મંડળ (SEWA) અને ગ્રામીણ બેન્ક જેવા પ્રયાસોની જગતે નોંધ લીધી છે. પરંતુ આઝાદ હિંદુસ્તાનમાં શારીરિક શ્રમ કરનારની ઓળખ વ્યક્તિ તરીકેની નહીં, માત્ર મજૂર તરીકેની છે. આ મજૂર માટે કોને નિસબત છે? જાણીતા કવિ દુષ્યંત કુમારના શબ્દોમાં, યે જિસમ બોજ સે ઝૂક કર દુહરા હુઆ હોગા / મૈં સજદેમેં નહીં થા, આપકો ધોકા હુઆ હોગા. (લદાયેલા ભારથી શરીર બેવડ નમી ગયું હતું; તમને ગેરસમજ થઈ હશે, પણ હું પ્રાર્થના કરતો ન હતો.)

બે દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ગયો, પણ તેની ઉજવણી કેવી? શહેરો અને નગરોમાં બાંધકામ, ઉત્પાદન પ્રક્રિયામાં વિના અવાજે કામ કરીને વસ્તીને જીવાડનારા અને સમૃદ્ધ કરી હિંદુસ્તાનને નંબર વન બનાવવા કુલ રાષ્ટ્રીય પેદાશમાં વધારા માટે ગૌરવ અપાવનારા કરોડો હાથ આજે ગલીઓ, ખખડી ગયેલાં ઝૂંપડાં, વણવપરાયેલાં મકાનોમાં સુસ્ત થઈ પડ્યા છે. સવારના છ અને બપોરના ચાર વાગ્યાની ધખતી ધરા પર કોઈ છત્ર કે છાયા વિના અન્ન માટે કતારમાં ઊભેલા શ્રમિકને આ ભોજન બપોરે બાર અને સાંજે સાત કલાકે પણ મળશે તેની કોઈ ખાતરી નથી.

આ સ્થિતિમાં સંડાસ અને નાવણિયાને યાદ કરવાની ધૃષ્ટતા કેવી રીતે કરી શકાય? પાણી અને સાબુથી વારંવાર હાથ ક્યાંથી ધોઈ શકાય, જ્યાં ન પાણી હોય કે ન સાબુ? મજૂર નામની આ પ્રજાતિ પર સમાજ અને સરકાર કોઈ ક્રૂર મજાક તો નથી કરી રહ્યાં ને? આવી નિરાશ પરિસ્થિતિમાં કેટલાક મજૂરો મરણિયા બનીને પોતાનો નહિવત્ અસબાબ અને બાકી બચેલાં નાણાં લઈને મહિલાઓ તથા બાળકો સાથે વતન ભણી પગપાળા નીકળી ચૂક્યા છે. દિલ્હીમાં સાઇકલરીક્ષા ચલાવનારા લાંબી મજલ સાઇકલ પર કાપીને બિહાર જઈ રહ્યા છે. અલબત્ત, કર્મશીલો ખડેપગે છે, પણ તેમાંથી કેટલાને અને ક્યારે તે મદદ પહોંચાડશે?  આપણે ઈન્સાફ સારુ શું કરી શકીએ?

ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારોને 3 મે બાદ મજૂરોને તેમના વતનમાં પરત મોકલવા માટેની વ્યવસ્થા કરવા જણાવાયું છે. સર્વશક્તિશાળી કેન્દ્ર અને આટલા 'લોકપ્રિય અને પોલાદી' નેતાને તાળાબંધી જાહેર કરતાં પૂર્વે આ પગલાં લેતાં કોણે અટકાવ્યાં હશે? ત્વરિત અને દૃઢ નિર્ણયકર્તાની છબી બરકરાર રહેવી અનિવાર્ય હોવાથી, તેમાંથી પરિણમતો બોજો સહુએ સમાંતર ભોગવવાનો. પણ કોણ ભોગવશે? નેતાએ તો રૈયતને બજારમાં ધસી વસ્તુઓની સંગ્રહખોરી ન કરવાની જાહેરાત કરી છે, કારણ કે સઘળું પ્રાપ્ય છે! પણ કોના માટે? પૂરતી ખરીદશક્તિ ધરાવતા ધનિક અને મધ્યમ વર્ગ સારુ. મજૂર અને ખેડૂતે જીવવા માટે જાતે લડાઈ કરવાની. વચન પણ અપાયું કે જનધન ખાતામાં નાણાં જમા કરાશે. કેટલાં? કેટલા દિવસ ચાલશે?

નિષ્ણાતોના મતે રોગના પ્રારંભ અને તેના ફેલાવાની તારીખની જાણકારી આધારે કહી શકાય કે સમુદાય સુધી આ રોગનું સંક્રમણ નહોતું થયું. એપ્રિલમાં આ આંકડો ઝડપથી વધ્યો. વતન જવા ઇચ્છનારા વધારાની રેલવે અને બસની મદદથી વતન પહોંચી શક્યા હોત. રાજ્યોનો પણ હકારાત્મક પણ પ્રતિભાવ મળી શક્યો હોત. નાણાંનું હસ્તાંતરણ થઈ શક્યું હોત, પુરવઠા અને આંતરમાળખાકીય વ્યવસ્થા કરી શકાઈ હોત. આવાં આગોતરાં આયોજનમાં નાટકીયતા અને આંચકા ખરાં? ના. પરંતુ રૈયતને ભય અને રહસ્યના ઓથાર નીચે સતત રાખીને સર્વસત્તાધીશ બનવામાં માહેર નેતા રૈયતને આંચકો ન આપે તે કેવું? આંકડા બતાવે છે કે જો સમુદાય સંક્રમણ ન હતું, તો માત્ર ચાર કલાકમાં તાળાબંધીનો અમલ જરૂરી હતો? અલબત્ત, તેના તથાતથ્યમાં ન જઈએ. કારણ તેના વિષે ઘણું લખાઈ અને કહેવાઈ ચૂક્યું છે.

'હરેક મઝદૂર-કિસાન'ને હ્રદયમાં રાખનાર આપણા નેતા ભલે તાળાબંધીનો બોજો સૌને માટે કહે, પણ વાસ્તવમાં તો મજૂર અને કિસાનને જ બોજો વેંઢારવાનો આવશે. જો ગરીબ મજૂરને આજે ચેપ લાગ્યો હશે અને તે રોગનાં લક્ષણો ધરાવતો નહીં હોય; ને જો તે 3 મે પછી શારીરિક અંતર જાળવ્યા વિના મુસાફરી કરીને વતન જશે, ત્યારે તે ગામના વડીલો કે જે અન્ય શારીરિક સમસ્યાઓ પણ ધરાવતા હશે તેમને પણ ચેપગ્રસ્ત કરશે. આ પણ સ્વીકાર્ય સમાંતર નુકસાન ગણાશે.

પાટા પરથી ઊતરી ચૂકેલી અર્થરચનાને પુન: પાટે કેમ લાવવી, તે બીજો પ્રશ્ન. (જો કે ગાડી પાટા પરથી તો કોવીડ-19 પહેલાં જ ઊતરી ગઈ હતી. અલબત્ત, એ મુદ્દો આજે ચર્ચામાં નથી.) ચતુર અમલદારો, અર્થશાસ્ત્રીઓ અને બૌદ્ધિકોમાં આજકાલ તળિયેથી ટોચ (bottom-up) અભિગમ ચર્ચાનો મુદ્દો છે! ઔદ્યોગીકરણ અને શહેરીકરણ વડે આર્થિક વૃદ્ધિ અને રાષ્ટ્રીય પેદાશનો ઊંચો વૃદ્ધિ દર મેળવવાની ઘેલછામાંથી જન્મેલી કેટલીક બાહ્ય અસર સારુ પાછાં પગલાં શક્ય નથી. નુકસાન થઈ ચૂક્યું છે અને રહેશે. 

ગાંધી 150ની ઉજવણી માટેની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષે સફાઈ અભિયાન શરૂ કરી સારો દેખાવ કર્યો. પરંતુ શું આપણે આટલેથી અટકી જઈશું? સફાઈ મનની પણ જરૂરી. પશ્ચિમે આપેલા આર્થિક મૉડેલના સ્વીકારે હિંદુસ્તાનના અર્થકારણને કઈ સ્થિતિમાં મૂક્યું છે? માનવ અને કુદરતી સંસાધનોની સ્થિતિ કેવી છે? આ સંજોગોમાં સ્વાવલંબન ને સ્વદેશીના બે પાયા પર ગાંધીના સ્વપ્નનું ગ્રામ સ્વરાજ  મેળવવું તે રાષ્ટ્રપિતાને યોગ્ય અંજલિ નથી? વિજ્ઞાન અને ટૅક્નોલૉજીની મદદ વડે સમુચિત શોધખોળ ને તે દ્વારા ગામ અથવા ગ્રામસમૂહના સ્તરે કરી શકાતા ઉત્પાદનનું વ્યવસ્થાપન પણ તે જ એકમ દ્વારા ચોક્કસ થઈ શકે. જળ, જમીન અને જંગલ જેવાં કુદરતી સંસાધનો પાછાં મેળવી શકાય. સ્થાનિક શાણપણ(જ્ઞાન)ની મદદથી ગામનું શ્રમદળ ગામમાં જ રહી ઉત્પાદન કરી શકે. શહેરોમાં સુલભ પાયાની સગવડ ગામને પણ પ્રાપ્ત થાય તો સ્થળાંતરનો દર ઘણો નીચો આવે. અલબત્ત, શરત એ કે માગમાં ઘટાડો થવો જોઈએ. દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના જાણીતા શિક્ષક પુલિન નાયકે આ દલીલ કરી છે! કોવીડ-19 આપણને રાજનીતિ અને અર્થનીતિમાં પરિવર્તન કરવાની તક પૂરી પાડે છે. જો ગ્રામસભાને રાજકીય સત્તા ને કુદરતી તથા અન્ય આર્થિક સંસાધનો પર માલિકી હક આપવામાં આવે તો કિસાન અને મજૂરનાં ગૌરવનું પુન:સ્થાપન થશે. શ્રમિકોને આથી ઉત્તમ શી ભેટ આપી શકાય?

આપણે સહુ રાહત અને પુન:વસનને ટોચથી તળિયે નહીં, પરંતુ તળિયેથી ટોચ તરફની પ્રક્રિયા ગણતા થયા છીએ, તો રાજ્યકર્તાઓ, અર્થશાસ્ત્રીઓ અને શુભચિંતકોને ગ્રામઅર્થરચનાને સફળ બનાવવા માટેના આયોજન અને અમલીકરણ માટે કોણે અટકાવ્યાં છે?

e.mail : sudarshan54@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 મે 2020

https://www.thebillionpress.org/articles/2020/05/01/questions-very-different-may-day

Loading

બેંકોનું મર્જર કે મર્ડર?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 May 2020

એવા સમાચાર છે કે રિઝર્વ બેંકે કેટલાક વિલફુલ ડિફોલ્ટરોના 68,000 કરોડ માંડી વાળ્યા છે. એમાં મેહુલ ચોકસીના 5,492 કરોડ સહિત 50 જેટલાં નામો છે. કોઈ એવોર્ડ જાહેર કર્યા હોય તેમ આ માંડી વાળવાની રિઝર્વ બેંકની ટેવ ઘાતક છે. આની ભરપાઈ કોણ કરશે? તો કે બેંકોના ગ્રાહકો ક્યારે કામ આવશે?

રિઝર્વ બેન્ક કરતી આવી છે તેમ વળી રેપો રેટમાં ઘટાડો કરશે ને વ્યાજ દર ઘટાડશે તેથી લોન સસ્તી થશે. આ લોન લેનારા જ  બેન્કોને ડુબાડતા આવ્યા છે. નાની લોન લેનારા પર બેંક ડોળા લાલ કરતી રહે છે ને મોટી લોનવાળા પર અમી નજર રાખી લોન માંડવાળ કરતી રહે છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી જેવાને એ મામલે યાદ કરી શકાય.

અત્યારનો એન.પી.એ.નો આંકડો 19 લાખ કરોડ સંભળાય છે. આ આંકડો આનાથી વધારે પણ હોઈ શકે છે. રિઝર્વ બેંક અત્યારે બે મોટાં કામો કરી રહી છે. રેપોરેટ ઘટાડીને લોન સસ્તી કરવાનું. એમાં ડિપોઝિટર્સની તો એણે પથારી ફેરવી નાખી છે. તેમાં પણ જે લોકો વ્યાજ પર જીવે છે એવા સિનિઅર્સને તો મરવા વાંકે જ જીવવાની તેણે ફરજ પાડી છે. બીજું કામ તે હજારો કરોડની માંડવાળીનું. કેટલા ય માલેતુજારોને આવી નીતિને કારણે તેણે હરામી બનાવ્યા છે. જે પ્રમાણિક છે તે મરવા માટે જ છે. તેને અનેક નાના મોટા ચાર્જીસ લગાવીને લૂંટી શકાય એમ છે ને એ રીતે માંડવાળીની વસૂલાત કરવાનું બેંકોને ફાવતું આવ્યું છે ને આવશે. એવા દિવસ આવે તો આઘાત ન લાગવો જોઈએ કે બેલેન્સ પૂછવાનો ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલાય.

એક બીજું કામ રિઝર્વ બેંકે કર્યું છે તે મરેલી બેંકોને જીવતી કરવાનું. યસ બેંક પડી. તેને સ્ટેટ બેંકે બેઠી કરવા ટેકો કર્યો. એ સારું થયું કે ખરાબ, તે તો સમય કહેશે. બીજી કેટલીક નબળી બેંકો ને કેટલીક સક્ષમ બેંકો સાથે મર્જ કરવામાં આવી. એનાથી નબળી બેંકો કેટલી ઊભી થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ સક્ષમ બેંકો પર તો બોજ વધ્યો જ છે. તેના મર્જ થયેલ બેંકો સાથેના પ્રશ્નો વધ્યા છે. સ્ટાફની વ્યવસ્થાના, ખાતેદારોના ખાતાના સવાલો સામે આવ્યા છે. એમાં જતે દિવસે સક્ષમ બેંકો નબળી ન જ પડે એવી આગાહી કોઈ કરી શકે એમ નથી. એ સંજોગોમાં મર્જર, મર્ડરની ગરજ સારે તો નવાઈ નહીં. ખરેખર તો મર્જરના આ વેપલા બંધ કરવા જેવા છે. આમે ય કેટલીક બેંકો બંધ પડી જ છે ને પોતાનો બોજ ઉપાડી શકી નથી તેમાં જે તે બેંકોની જવાબદારી બને જ છે. તેને થોડોઘણો ટેકો કરવાથી બેન્ક બેઠી થતી હોય તો તેવા પ્રયત્નોની ના જ નથી, પણ સારી કેરી પાસે સડેલી કેરી મૂકવાથી સારી પણ સડે તે આપણે સૌ જાણીએ છીએ. રિઝર્વ બેંકને એની ખબર હોય તો આનંદ થાય.વધારે શું કહેવું?

Loading

સંક્રાન્તિમાં સુવાણની સમજ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 May 2020

થોડા દિવસ ઉપર (૨૭મી એપ્રિલે) ફેસબૂકના ફળિયે પાલનપુરના હરફન મૌલા જેવા મિત્ર હિદાયત અને ‘બહુરંગ બનાસ’ખ્યાત મનુ માલધારીની એક પોસ્ટ સાથે મુખોમુખ થવાયું, બલકે તારામૈત્રક જ રચાઈ ગયું. ઈન્દુકુમાર જાનીએ સંકલ્પપૂર્વક ‘નયા માર્ગ’નો સંકેલો કીધો તે અંગે વસમી ખોટ તરેહનો એક દલિતવંચિત સૌનો ભેરુ ગુમાવ્યાનો દિલી વસવસો એ પોસ્ટમાં હતો, અને હું પણ છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી જે મીઠી વલૂરના દોરમાંથી ગુજરી રહ્યો હતો તે વ્યક્ત કરતાં મને રોકી ન શક્યો. દોડવું’તુંને ઢાળ મળ્યો : “સૌની લાગણી” એવી ટાંપ સાથે મેં એ ટપાલ શેર કરી.

એક વાર નારિયેળ રમતું મુકાયું; ડહીનો ઘોડો પાણીપીતો રમતોજમતો છૂટો મુકાયો એટલે જાતભાતનાં સ્નેહફટાણાં ને સ્મરણબોલ પણ આવી મળ્યાં. પણ અહીં તો બે-ત્રણ જ ટાંકીશ: ભાનુભાઈ રોહિતે લખ્યું કે 1988માં હું ઈડર કૉલેજમાં જોડાયો ત્યારે ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ની રાહ જોતો. (કેટલાક મિત્રોએ આવું વાંચવાની ના પણ પાડી એવુંયે એમણે ઉમેર્યું છે.) સુરતસ્થિત કિરણ દેસાઈએ અભ્યાસશિસ્ત અને નિસબતના ધોરણે આરંભ તો એ એક વ્યાપક અવલોકનથી કીધો કે ‘નિરીક્ષક’, ‘નયા માર્ગ’, ‘ભૂમિપુત્ર’નું ગુજરાતના જાહેર જીવનમાં વૈચારિક અને સૂક્ષ્મ પ્રદાન રહ્યું છે. પછી અલબત્ત એમણે વિગતે નોંધ તો સહજ હતું તેમ વર્ણ્ય વિષયની જ લીધી અને દલિતવંચિત તબકાઓની ચિંતા એ ‘નયા માર્ગ’નો વિશેષ રહ્યો છે એ વાત પર ભાર દીધો.

મુદ્દે, છેલ્લાં વર્ષોમાં આ ત્રણે પત્રોનાં નામ સાથે લેવાતાં રહ્યાં છે. યથાપ્રસંગ કોઈક સમયે ‘ખોજ’નું નામ હું એમાં ઉમેરી શક્યો હોત. કાશ, ઉર્વીશ કોઠારી હસ્તક ‘દલિત શક્તિ’ અને ચંદુ મહેરિયા હસ્તક ‘દલિત અધિકાર’ એ બેને પૂરી ઈનિંગ્ઝ મળી હોત! ગમે તેમ પણ, ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’ એ સાથે લેવાતાં રહેલાં નામો છે અને પોતપોતાની રીતેભાતે આગવી વિશેષતાપૂર્વક એ સક્રિય રહ્યાં છે. વૈચારિક સમશોધનની રીતે આ ત્રણ પૈકી કોઈ એક જ પત્ર અપૂરતું પણ હોઈ શકે છે.

હમણાં આરંભબિંદુ તરીકે હિદાયત અને માલધારીની પોસ્ટની જિકર કરી, પણ હમણેના દિવસોમાં ‘નયા માર્ગ’નો સંદર્ભ જેમ ચિંતવ્યો તેમ અણચિંતવ્યે છેડેથી સાંભળવાનું બનતું રહ્યું છે, અને આ નોંધ પાછળ વડો ધક્કો એનો જ છે. ‘નિરીક્ષક’ના વાચકોના એક વર્ગમાં જેમ ડિજિટલ સંસ્કરણ પરત્વે આનંદ અને આવકારનો સહભાગી-સંવાદી ભાવ જોવા મળે છે, તેમ સામગ્રીના એક હિસ્સા બાબતે આ ‘કકળાટ’ શેણે. એવો વિરોધભાવ નહીં તો લગભગ મજ્જાગત અભાવ માલૂમ પડે છે. કામૂ, હરારી, હેમિંગ્વે બાઅદબ બામુલાહિજા બસરોચશ્મ, પણ સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સની કોરોના શિસ્તચર્યાનું ઓઠું લઈને કે જે-તે નિમિત્તે આ બધો દલિત ને એવોતેવો ‘કકળાટ’ શીદને એવું તો નથી ને. કોઈ કોઈ કદાય વિમાસે પણ છે કે ‘નયા માર્ગ’ની સામગ્રી અને લેખકો અહીં આવી જશે એવું તો નહીં થાય ને.

ભાઈ, ‘નિરીક્ષક’ હોય કે ‘નયા માર્ગ’ અગર ‘ભૂમિપુત્ર’, એના વિશ્વદર્શનમાં જનસામાન્યનું અસામાન્ય સ્થાન છે તે છે. લોકશાહી પ્રક્રિયામાં (અને એ રાહે કથિત ‘વિકાસ’માં) જનસામાન્યનો પ્રવેશ અને પ્રતિષ્ઠા ઉત્તરોત્તર વધતાં જાય અને કથિત મુખ્ય પ્રવાહમાં એમની સાર્થક સહભાગિતા વધતી જાય એથી રૂડું શું.

મુદ્દે, એક સાવ સાદો – એલિમેન્ટરી, માય ડિયર વૉટસન – દાખલો આપું તો ટ્રેઇનમાં આપણે સૌ ધક્કામુક્કી કરીને ચઢીએ છીએ, પછી બરાબર ગોઠવાઈ જઈએ છીએ. આગલે સ્ટેશને નવસહિતના જોસ્સાથી પાછું તાલ સે શુરૂ: નવા ચઢનારાંનો પ્રતિકાર. વળી નવાં ચઢેલાંનો અને આગળથી અંદરનાંઓનો મેળ થઈ જાય છે, અને આગલે સ્ટેશને પ્રતિકાર ! ધીરે ધીરે, આપણો કોઠો મૂળ તો ફિલસૂફનો રહ્યો એટલે હશે ભાઈ, આ તો પંખીનો મેળો છે, લગરીક રહીને વળી છૂટા પડવાનું …

પ્રજાસત્તાક સ્વરાજની યાત્રામાં, કથિત મુખ્ય પ્રવાહમાં તેમ મધ્ય પ્રવાહમાં સ્વાભાવિક જ નવા વર્ગો ભળતા જાય છે. આપણું વર્ણવાસ્તવ પણ ન્યાય, હક અને સમાસની ઘોર ગડમથલમાં છે. ગુજરાતમાં જેમને વિચારપત્ર કહેવાનો ખરોખોટો પણ ચાલ છે એમનું ઈતિહાસકર્તવ્ય સહજ ક્રમે આ સંક્રાન્તિમાં સુવાણની સમજનું છે. સુવાણની વ્યાખ્યામાં સિઝેરિયનને નકારી શકવાની સ્થિતિમાં આપણે બધો વખત હોતા પણ નથી. ટ્રેન જેવો બાળબોધ દાખલો ન પણ ચાલે.

આ લખી રહ્યો છું એ કલાકોમાં ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પર નૉળવેલની મહેકનો નવો હપતો મુકાયાની વધામણી ફેસબૂક પર જોઉં છું. રૂબરૂ મળવાનું થતું એ દિવસોમાં પરિષદપ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રે શરૂ કરેલો કાર્યક્રમ ‘આનંદની ઉજાણી’નો હતો. નવલરામે પુસ્તકસમીક્ષા કે આસ્વાદની પ્રક્રિયાને બહુ સમર્પકપણે ‘ઉજાણી’ કહેલ છે. કોરોનાકાળે, જેમને આ પ્રયોગની પૃષ્ઠભૂ, મર્મ ને માયનો ખબર ન હોય એમને કદાચ તે અગ્રાહ્ય લાગે કે અન્યથા પણ સિતાંશુ યશશ્ચંદ્રે નૉળવેલની મહેક જેવો પ્રયોગ રમતો મૂક્યો છે. નૉળવેલનું ખેંચાણ, ચિર સર્પસત્ર વચ્ચે કોને ન હોય. કેમ ન હોય.

સિસૃક્ષાએ નૉળવેલ કને જવું તે આવી ક્ષણોમાં સહજ સૂઝવું જોઈએ. વિવેકાનંદ, ગાંધી, ફૂલે પરિવાર, વલ્લભભાઈ આદિએ નાનાવિધ મહામારીમાં ભજવેલી સાર્થક ભૂમિકાથી માંડીને મહામારી માહોલનાં કામૂ, હેમિંગ્વે અને બીજાનાં મહામંથન એ આવી ક્ષણોનું સહજ સહ્રદય સંબલ છે. અહીં અપેક્ષિત અભિગમ કોઈ દિમાગી અય્યાશીનો નથી કે સુખવસ્તુ સાહિત્યની કાલક્ષેપ કામગીરીનો મહિમા હોય. આ પ્રક્રિયા પલાયનની નથી. વંચિતોના સુખદુ:ખ આ પ્રક્રિયાનો અવિનાભાવ હિસ્સો છે.

માટે આ દિવસોનું ‘નિરીક્ષક’. ‘નયા માર્ગ’ દીધી શ્રી પણ એને કાલવીને કેમ ન મળી રહે વારુ. ભલુ થાજો હિદાયત અને માલધારીનું, કે એમણે આ હૃદયવાર્તા માટે નિમિત્ત સંપડાવ્યું.

e.mail :prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020

Loading

...102030...2,4202,4212,4222,423...2,4302,4402,450...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved