Opinion Magazine
Number of visits: 9753111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગુલામ’ વિશે થોડુંક…….

જય કાન્ત|Diaspora - Reviews|6 June 2020

વલ્લભ નાંઢા લેખિત ‘ગુલામ’ નવલકથા પશ્ચિમ આફ્રિકાથી બળજબરીથી પકડીને અમેરિકા, ઈંગ્લેંડ લઇ જઇ વેચી દેવાતા ગુલામોની દર્દજનક, કરુણકથા છે.

આ કથાનાં પાત્રો લવાન્ડો, અનાબેલ, સોફિયા, બોબ ફિન્ચ, સર હેરિંગ્ટન, મુકુન્ડી વગેરે પાત્રસૃષ્ટિને નિરાળી અને રસપ્રદ બનાવે છે. દરેક પાત્ર નાનાવિધ વ્યક્તિત્વ ધરાવે છે. દરેક પાત્રનો ખૂબ સમજદારીપૂર્વક વિકાસ થતો દર્શાવાયો છે. અહીં પાત્રો વિશે કશું પણ અપ્રસ્તુત વિગતોને સ્થાન અપાયું નથી. પાત્રોના સચોટ સંવાદો તેમ જ પરિસ્થિતિ અનુસાર તેમના વ્યવહારો, પ્રત્યાઘાતો અને પ્રતિભાવો દ્વારા દરેક પાત્ર અલગ વ્યક્તિત્વ પામે છે અને આપમેળે વિકાસ સાધે છે. લવાન્ડો અને અનાબેલ ગતિશીલ પાત્રો છે જે બીજાં પાત્રો પર પોતાનો પ્રભાવ પાડે છે. કથામાં બિનજરૂરી ડોકિયું કરવાની કે બોલબોલ કરવાની લેખકને આદત નથી. તેથી કથાના વહનમાં ક્યાં ય રસભંગ થતો નથી. લેખકે પાત્રોમાં પરકાયાપ્રવેશ કરી તેના અંતરમાં ઉઠતાં સચોટ સંવેદનો નિરૂપ્યાં છે જેથી આ સંવેદનોનું વાચકમાં સરળતાથી સંક્રમણ થાય છે અને વાચકની જિજ્ઞાસા અને રસ સાદ્યંત જળવાય રહે છે.

કથામાં આવતાં વર્ણનો કથાપ્રવાહને ઉચિત પાત્રોની માનસિક દશાને દર્શાવવા માટે પોષકતત્ત્વ અને ઉપકારક બને છે. જહાજની મુસાફરી દરમિયાન દિનરાતનાં વર્ણનો ગુલામોની માનસિક તેમ જ શારીરિક યાતનાને વાચકમનમાં વધારે કરુણ અને ઘેરી બનાવે છે. સામાન્ય રીતે નવલકથામાં લાંબાં વર્ણનો આવતાં હોય છે પણ અહીં વર્ણનોને ગાળી નાખીને ટૂંકા છતાં લેખક બેચાર લસરકે સ્થળકાળનાં ચલચિત્રાત્મક વર્ણનો કરે છે. તેથી વાચક એક ચલચિત્રની જેમ કથાની અનુભૂતિ કરે છે. લિવરપુલ પહોંચ્યા બાદ લવાન્ડો ભાગી જવાનો પ્રયાસ કરે છે એની ભાગદોડનો પ્રદેશ અને સમયનું વર્ણન લવાન્ડોની સાથેસાથે વાચકના હ્રદયમાં પણ ભય, અરેરાટી અને અસલામતી પ્રસરાવે છે. અહીં ભાવકને ભયાનક રસનો અનુભવ થાય છે. અમુક સમયે લેખક કરુણરસ તો ક્યારેક બિભત્સરસનો અનુભવ કરાવી ગુલામોની યાતના, બેબસી અને અવદશા પ્રત્યે વાચકના અંતરમાં હમદર્દી અને સમભાવ જાગૃત કરે છે.

કથાના ગુંફનમાં એક પ્રકારની ચુસ્તતા જોવા મળે છે. બિનજરૂરી વર્ણનો, સંવાદો કે વિગતોને માટે અહીં કોઇ અવકાશ નથી. તેથી કથાનું પોત ફિક્કું પડતું નથી અને કથા ક્યાં ય ખોડંગાતી નથી. કથાની અભિવ્યક્તિનો સમથળ પ્રવાહ, રસભંગ કર્યા વિના સતત આગળ વધતો રહે છે, પરિણામે ‘હવે આગળ શું થશે?’ એ જાણવા વાચકને નવલકથા વાંચવા જિજ્ઞાસુ કરે છે.

સામાન્યરીતે ભૂતકાળમાં ગોરાઓ અશ્વેતો પ્રત્યે ક્રૂર, ઘાતકી, અમાનુષી વ્યવહાર કરતા, તેમ છતાં ગોરાઓમાં કેટલાક સમભાવ ધરાવનારા એવા માણસો પણ હતા જે અશ્વેતો સાથે માનવતા અને સમભાવભર્યો વ્યવહાર કરતા હતા. તેનું જ્વલંત ઉદાહરણ અનાબેલ છે. અનાબેલ એક માની જેમ તેમની કાળજી લે છે, તેમને તાલીમ આપે છે અને તેમના ભવિષ્યનો તેમ જ હિતનો ખ્યાલ રાખે છે. અનાબેલનો સાચુકલો સમભાવ, લાગણી અને માનવતાભર્યો વ્યવહાર ગુલામોને સ્પર્શી જાય છે અને અનાબેલને એક દેવી માને છે. કથાને અંતે અનાબેલ ગુલામોને આઝાદ કરે છે અને તેમને પોતાના વતન જવા માટેની સગવડ કરી આપે છે ત્યારે તેઓ અનાબેલને છોડીને જવાની ના પાડે છે. અહીં લેખકે પાશવતાની સામે માનવતાનો વિજય થતો દર્શાવ્યો છે, સાથેસાથે કવિન્યાય પણ જોવા મળે છે. બોબ ફિન્ચે અશ્વેતોને ગુલામ બનાવવા તેમની સાથે જાનવરથી પણ ખરાબ રીતે વ્યવહાર કર્યો તો કવિન્યાયે એના જહાજે જળસમાધિ લીધી, એ દેવાળિયો બની ગયો અને અંતે કમોતે મર્યો.

‘ગુલામ’ અંધકારમાંથી ઉજાસ તરફ, નિરાશામાંથી આશા તરફ અને જંગલિયતમાંથી માનવતા તરફનું પ્રયાણ બની માનવતાનો મહિમા કરે છે. વલ્લભભાઈ નાંઢા આ રીતે રસપ્રદ નવલકથા તેમ જ નવલિકાનું સર્જન કરતા રહે એવી શુભેચ્છા.

(લેસ્ટર)

ગુલામ : નવલકથા : લેખક – વલ્લભ નાંઢા : પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર, 134 શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ – 400 002 : પ્રથમ આવૃત્તિ – 2019 : પૃષ્ટ – 192 + 24 : કિંમત રૂ. 275

Loading

એ તો હાથણીને જ ફટાકડા ખાવાનું મન થયું હશે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 June 2020

કેરાલાનો પલક્કડ જિલ્લો અત્યારે દેશ આખામાં ચર્ચામાં છે. તે એટલે કે એક હાથણીને કોઈકે પાઈનેપલ ખવડાવી દીધું. હવે પાઈનેપલ કોઈ ખવડાવે તેમાં આખો દેશ ચર્ચામાં શું કામ પડે? પણ પડ્યો. કારણ એટલું કે જેણે પણ પાઈનેપલ ખવડાવ્યું તેણે કરામત એ કરી કે પાઈનેપલમાં ફટાકડા ભર્યા. હવે હાથણીને શું ખબર કે તેણે પાઈનેપલમાં સંતાડેલા ફટાકડા ખાવાના છે? જેમ માણસમાં માણસ જ હોય એની ખાતરી નથી એમ જ પાઈનેપલમાં પાઈનેપલ જ હોય એની ખાતરી બિચારી હાથણીને નહીં ને એણે પાઈનેપલ ખાધું ને જે થવાનું હતું તે થયું. પાઈનેપલ ફૂટ્યું ને મોમાં જ ધડાકાભડાકા થયા. સમજી શકાય એવું છે કે મોઢું કાળઝાળ થઈ જાય. એને એટલી ઈજાઓ થઈ કે ખાવા-પીવાનું બંધ થઈ ગયું. આપણા મોમાં આવું થાય તો શું થાય એની કલ્પના જ કરવાની રહે છે. આપણે તો બોલી-બરાડી પણ શકીએ, જ્યારે આ તો પંદરેક વર્ષની હાથણી. એ શું બોલે? બહારના ભડકાથી તો ભાગી શકાય, આતો મોમાં જ ભડકો! ક્યાં ભાગવું? તો ય દોડી નદી તરફ ને મોમાં લાગેલી આગથી છૂટવા આખો દિવસ પલક્કડની વેલ્લીયાર નદીના પાણીમાં ઊભી રહી. આ સ્થિતિમાં તે કલાકો જીવી અથવા કહો કે મરી. બધાએ તેને બહાર લાવવાની બહુ કોશિશ કરી, પણ તે ન આવી. કદાચ બહાર આવીને બીજું કોઈ જોખમ ઉઠાવવા તે તૈયાર ન હોય એમ બને ને એમ છેવટે ૨૭ મે ને દિવસે તેણે જળસમાધિ લીધી. વધારે કરુણ વાત તો એ છે કે હાથણી મરી ત્યારે પ્રેગ્નન્ટ હતી.

દક્ષિણમાં હાથીનું વિશિષ્ટ સ્થાન છે. તે ઉમદા ને શાંત પ્રાણી છે, કોઈ કનડે નહીં તો તે કોઈને કનડતું નથી. ભારે ચીજ વસ્તુઓ ઉપાડવામાં તે માણસને બહુ ઉપયોગી છે, પણ માણસ ઘરમાં રહેવા છતાં જંગલી થઈ શકતો હોય છે. કોઈએ તેનું કંઈ બગડ્યું ન હોય તો પણ તે ઘણાનું ઘણું બગાડી શકતો હોય છે. હાથણીએ કોઈનું કંઈ બગાડ્યું ન હતું, છતાં હાથણીનો ને તેનાં ગર્ભનો ભોગ લેવાયો. આ કામ માણસનું છે. આમ કરનારને આવું કરવાથી શો લાભ હતો તે નથી સમજાતું. તેને કશું જ મળવાનું ન હતું, સિવાય કે પાશવી આનંદ! આ મજાક હોય તો પણ અક્ષમ્ય છે. કોઈ જ કારણ ન હોય તો પણ માણસ પોતાનું કે અન્યનું અહિત કરવામાં નાનમ નથી અનુભવતો. કારણ વગર જંગલો સાફ કરવાનું માણસ ચૂક્યો નથી ને તેમ કરીને તેણે પર્યાવરણીય સંતુલન ખોરવ્યું જ છે એ વિશે શંકા નથી. પ્રાણીઓને પોતાનો સ્વાર્થ સાધવા લોકો મારી નાખતા હોય છે. હાથીદાંત માટે હાથીને મારવાનું પણ ચાલે જ છે. બને કે આ હત્યા એને માટે પણ થઇ હોય.

હાથણીએ કોઈનું કંઈ બગાડ્યું હોવાનું બહાર આવ્યું નથી, પણ એટલું છે કે કોઈકની આપરાધિક વૃત્તિને કારણે બે જીવ ગયા છે. તંત્રોએ ગુનેગારને પકડવા લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ત્રણેક જણા શંકાના ઘેરામાં છે ને એકાદ આજે જ પકડાયાની વાત પણ છે. બીજા પણ પકડાય તો નવાઈ નહીં. એ તો એની રીતે ચાલશે, પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ પર કેવી રીતે રમી શકે છે તે પણ જોવા જેવું છે.

આ ભારત છે. તેને ખુલાસાઓ વગર ચાલતું નથી ને ખુલાસો ગળે ન ઊતરે તેવો હોય તો તે વધુ ને વધુ ખુલાસાઓ કરીને વાતને એટલી ગૂંચવે છે કે કોઈ છેડો જ ન જડે. આ મામલે બધા રાજકારણીઓ ટ્વીટ ટ્વીટ પણ રમી ચૂક્યા છે. એમાં કેરાલાના મુખ્યમંત્રી પિનારાય વિજયનથી માંડીને જંગલ, હવામાનખાતાના યુનિયન મિનિસ્ટર પ્રકાશ જાવડેકર ને એમ.પી. મેનકા ગાંધી જેવા ઘણાંનો સમાવેશ થાય છે. આ બધાં જ રાબેતા મુજબનું-ગોખેલું બોલે છે. જેમ કે જવાબદારને છોડવામાં આવશે નહીં ને ન્યાય થઈને જ રહેશે … વગેરે. જાવડેકરે ખાસ ઉલ્લેખ પણ કર્યો કે ઘટના કેરાલાના મલ્લાપુરમમાં થઈ છે, તેમાં સૂર પુરાવતાં પૂર્વ કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીએ પણ ઉમેર્યું કે મલ્લાપુરમ તેની ગુનાહિત પ્રવૃત્તિઓ માટે નામચીન છે ને ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે કોઈ પગલાં લેવાતાં નથી એટલે આવું બધું બનતું રહે છે, તો એમ.પી. શશિ થરૂરે પણ ખુલાસો કર્યો કે એવી ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે કે આ ઘટના મુસ્લિમ મેજોરિટીવાળા મલ્લાપુરમ જિલ્લામાં ઘટી છે, પણ હકીકત એ છે કે તે પલક્કડમાં બની છે. કેરાલાના મુખ્યમંત્રી પણ કહેવા લાગ્યા છે કે કેરાલા અને મલ્લાપુરમને યુનિયન મિનિસ્ટર સહિતના લોકો ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યાં છે, તે યોગ્ય નથી ને સ્વીકાર્ય પણ નથી. આ અંગે સંબંધિતોનું ધ્યાન દોરવામાં આવ્યું છે, છતાં સુધારો આવ્યો નથી એ જ બતાવે છે કે આ બધું ઇરાદાપૂર્વક થઈ રહ્યું છે.

તો આ રમતો શરૂ થઈ ગઈ છે.

ઘટના ક્યાં બની એ મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે ને ઘટના શું બની એ વાત પડદા પાછળ ધકેલી દેવાઈ છે. રાજકીય અખાડાઓ ને મલ્લો સાથળ ઠોકી રહ્યા છે ને મતગણતરી ને મતવિભાજનના દાખલાઓ ગણતા હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ. આ ખેલ ચાલશે ને બીજી કોઈ ઘટના ઘટે નહીં ત્યાં સુધી ચાલ્યા જ કરશે. વાતને કેમ મચડવી ને બીજા પર કેમ ઢોળવી એ રાજકારણીઓનો ને એમના અધિકારીઓનો મૂળભૂત સ્વભાવ છે, ધંધો છે. મોટે ભાગે એમણે એ જ કરવાનું હોય છે, પણ મૂળ ને નક્કર વાત એ છે કે પોતાના કોઈ વાંક વગર એક ગર્ભવતી હાથણીએ માણસને પાપે જીવ ખોયો છે.

કેરાલાના ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન સુરેન્દ્રકુમારે કહ્યું કે જંગલી પશુ તો ૨૫મીએ જંગલમાં પાછું ચાલી ગયેલું ને એમણે એ પણ કન્ફર્મ કર્યું કે હાથણી મરતાં પહેલાં આખો દિવસ નદીમાં ઊભી રહેલી. આને શું સમજવાનું? એમ જ ને કે ૨૫મીએ હાથણી જંગલ જવા નીકળી ને ૨૭મીએ ખાસ ડૂબવા માટે જ નદીએ પાછી આવી? સાહેબે એમ પણ કહ્યું કે કોઈએ ઈચ્છાથી પાઈનેપલ ખવડાવ્યું હોય એવું માન્યામાં આવતું નથી .કોઈ હાથી પાસે જવાની એકાએક હિંમત ના કરે. એ સાચું કે કોઈ ગાંડો જ હાથીને ગાંડો કરવાની કોશિશ કરે, પણ એ પણ નોંધવું જોઈએ કે માણસ કોઈ પણ જંગલી પ્રાણી કરતાં વધુ જંગલી થઈ શકે છે. એક વાત નક્કી છે કે પાઈનેપલ કોઈએ, કોઈ પણ રીતે હાથણી સુધી પહોંચાડ્યું છે. આ કંઈ હાથણીની આત્મહત્યા નથી. આ કોઈ નિર્દયી, શેતાની ભેજાની નિર્લજ્જ ચેષ્ટા છે. કોઈ પણ ગણતરીબાજ રાક્ષસનું એ ઈરાદાપૂર્વકનું ગુનાહિત કૃત્ય છે. એ કોઈ એકનું કે બીજા સાથે મળીને કરાયેલું પાપ છે ને કોઈને માટે એવું વિચારવાનું  ન ગમે, પણ અહીં એવું તારસ્વરે કહેવાનું મન થાય કે ગુનેગાર કે ગુનેગારો પકડાય તો સજામાં ફટાકડા ભરેલું પાઈનેપલ તેમને ખવડાવવું જોઈએ ને ત્યાં સુધી ખવડાવવું જોઈએ કે બધા ફટાકડા ફૂટી ન જાય.

એમાં ધારો કે કોઈ સાહેબને ગળે વાત ન ઊતરે કે કોઈ આવું પણ કરી શકે તો એ એમનો પ્રોબ્લેમ છે. એ સાહેબને ગળે કદાચ એવું ઊતરી શકે કે એ તો હાથણીને જ એવું મન થયું કે લાવ જરા પાઈનેપલમાં ફટાકડા ભરીને ખાઉં ને એણે ખાધા ને એમ એણે જીવનનો અંત આણ્યો. નોનસેન્સ!

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જૂન 2020

૦

e.mail : ravindra21111946@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—47

દીપક મહેતા|Opinion - Opinion|6 June 2020

એક વખતનો ચર્ની રોડ, આજનો રાજા રામ મોહન રોય રોડ

તેના પર ચર્ચની નજીક પ્રાર્થના સમાજ

એ જોતાં સવાલ થાય : ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

લક્ષ્મીબાગ હોલ છોડીને આગળ વધીએ એ પહેલાં એક ખુશ ખબર. કોરોનાને કારણે આઈ.સી.યુ.માં હોય તેવો દરદી સાજો સારો થઈને પહેલાંની જેમ ચાલતો ઘરે આવે તો કેટલો આનંદ થાય? વચમાં ઘણાં વર્ષો વહી ગયાં, પણ પછી લક્ષ્મીબાગ હોલના ટ્રસ્ટીઓ – જે દાભોલકર કુટુંબના છે  –  તેમણે આ હોલની મૂળ હેરિટેજ ખાસિયતો જળવાઈ રહે એવી રીતે તેનું નવીનીકરણ કર્યું છે. મૂળ વાસ્તુને નડતરરૂપ ન બને એ રીતે એરકંડિશનિંગ ઉમેર્યું છે, એટલું જ નહિ, ત્યાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ ફરી શરૂ કર્યા છે. આ સપરમા સમાચાર આપવા માટે મિત્ર, ખ્યાતનામ સંતુરવાદક, સંગીતજ્ઞ અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારનો આભાર.

રાજા રામ મોહન રોય

લક્ષ્મીબાગ હોલ પાસે ઊભા રહીને આસપાસમાં કોઈને પૂછીએ કે સેન્ટ ટેરેસા ચર્ચ ક્યાં આવ્યું, તો મોટે ભાગે ‘ખબર નથી’ એવો જવાબ મળશે. પણ જો પૂછીએ કે પોર્ટુગીઝ ચર્ચ ક્યાં આવ્યું તો તરત કહેશે કે જુઓ ને, પેલી નાકા ઉપરની લાલ ઈમારત. એ જ છે પોર્ટુગીઝ ચર્ચ. આપણે ત્યાં સુધી જઈને પછી ડાબે હાથે વળશું. આપણે ઊભા છીએ રાજા રામમોહન રોય રોડ પર. આ તો આજનું નામ. આ રોડનો એક છેડો ચર્ની રોડ સ્ટેશન સુધી પહોંચતો એટલે પહેલાં તે ચર્ની રોડ તરીકે ઓળખાતો. આજનું ચર્ચગેટ સ્ટેશન બંધાયું તે વખતે અગાઉનાં મરીન લાઈન્સ અને ચર્ની રોડ સ્ટેશનને તેના મૂળ સ્થાન કરતાં થોડા દક્ષિણ તરફ, એટલે કે ચર્ચગેટ તરફ, ખસેડાયાં હતાં. એટલે હવે આ રોડનો ચર્ની રોડ સ્ટેશન સાથે પણ બહુ સંબંધ રહ્યો નથી. હવે આ રોડને જેમનું નામ મળ્યું છે તે રાજા રામ મોહન રોયનો જન્મ ૧૭૭૨ના મે મહિનાની ૨૨મી તારીખે, અવસાન ૧૮૩૩ના સપ્ટેમ્બરની ૨૭મી તારીખે. માત્ર બંગાળના જ નહિ, આખા દેશના એમના જમાનાના અગ્રણી સમાજ સુધારક. રાજકારણ, શિક્ષણ, ધર્મ, એમ અનેક ક્ષેત્રોમાં ઊંડો રસ. સતીની પ્રથા અને બાળલગ્નોની કુરૂઢિ સામેની ચળવળના અગ્રણી.

ગિરગામ પોર્ટુગીઝ ચર્ચ

આ રસ્તા ઉપર આગળ વધીએ એટલે વિસ્તાર ‘પ્રાર્થના સમાજ’ તરીકે ઓળખાવા લાગે. ૧૯મી સદીમાં આપણા દેશના દરેકે દરેક ક્ષેત્રમાં ‘સુધારા’નો પવન ફૂંકાવા લાગ્યો હતો. હિંદુ ધર્મની સમૃદ્ધ પરંપરાનો ગર્વ હોવા છતાં કેટલાક અગ્રણીઓ માનતા હતા કે હિંદુ ધર્મમાં અનેક દેવ-દેવી અને ક્રિયાકાંડ, હોમહવન, પૂજાપાઠ, બાધાઆખડી વગેરેનાં જાળાં જામી ગયાં છે તેને દૂર કરવાની જરૂર છે. આ ચળવળની શરૂઆત બ્રહ્મોસમાજ દ્વારા બંગાળમાં થઈ. પછી ૧૮૪૦માં મુંબઈમાં શરૂ થઈ પરમહંસ મંડળી. જ્ઞાતિપ્રથાનો વિરોધ અને જ્ઞાતિનાં બંધનોનો ભંગ એ તેનો મુખ્ય આશય અને કાર્યક્રમ હતો. પણ આવાં કામ જાહેરમાં કરવાની અશક્તિને લીધે તેની બેઠકો ગુપ્તપણે મળતી જેમાં જૂદી જૂદી જ્ઞાતિના લોકો સાથે મળીને ભોજન કરતા. આ ઉપરાંત વિધવાવિવાહનો વિરોધ અને કન્યા કેળવણીની તરફેણ પણ આ મંડળી કરતી હતી. પણ આ મંડળીનું આયુષ્ય બહુ લાંબુ ન નીવડ્યું.

૧૮૬૭માં બ્રહ્મોસમાજી કેશવ ચંદ્ર સેન મુંબઈ આવ્યા. આપણા જ્ઞાની કવિ અખાએ સદીઓ પહેલાં પૂછ્યું હતું : ‘ઘણા પરમેશ્વર એ કયાંની વાત?’ કેશવ ચંદ્ર સેન પણ એક નિરાકાર ઈશ્વરની ઉપાસનાનો પુરસ્કાર કરવા આવ્યા હતા. તેમના ગયા પછી બીજા કેટલાક અગ્રણીઓ સાથે મળીને ૧૮૬૭ના માર્ચની ૩૧મી તારીખે  આત્મારામ પાંડુરંગ તર્ખડકર, તેમના મોટા ભાઈ દાદોબા પાંડુરંગ તર્ખડકર, રામકૃષ્ણ ભાંડારકર વગેરેએ મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરી. મહાદેવ ગોવિંદ રાનડે જોડાયા પછી પ્રાર્થના સમાજનો પ્રભાવ અને પ્રચાર ઘણો વધ્યો. પૂણે, અમદાવાદ, અને દક્ષિણ ભારતમાં પણ તેની શાખાઓ શરૂ થઈ. પ્રાર્થના સમાજના અનુયાયીઓ એક અને નિરાકાર, નિર્ગુણ ઈશ્વરની ઉપાસનામાં માનતા, બીજા કોઈ ક્રિયાકાંડમાં નહિ. ધાર્મિક ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ ‘સુધારા’નો પુરસ્કાર પ્રાર્થના સમાજના અનુયાયીઓ કરતા.

પ્રાર્થના સમાજનું મકાન, ૧૯૨૨માં  આવું દેખાતું હતું

પ્રાર્થના સમાજની સ્થાપના થઈ ત્યારે તેની પોતાની કહી શકાય એવી કોઈ જગ્યા નહોતી. એટલે શરૂઆતમાં તેની અઠવાડિક સભાઓ પ્રાર્થના સમાજના પહેલા પ્રમુખ આત્મારામ પાંડુરંગના કાંદાવાડીમાં આવેલા ઘરે થતી. ચર્ની રોડ પર, પોર્ટુગીઝ ચર્ચથી થોડે દૂર એક બરફનું કારખાનું હતું. એ જગ્યા બેંક ઓફ વેસ્ટર્ન ઇન્ડિયાની માલિકીની હતી. પણ અગાઉ આપણે જેની વિગતે વાત કરી છે તે અમેરિકન આંતરવિગ્રહ પૂરો થયા પછી ૧૮૬૫માં શેર બજાર ઊંધે માથે પછડાયું અને અનેક બેન્કો રાતોરાત ભાંગી એમાં આ બેન્કનો પણ સમાવેશ થતો હતો. બેન્કના લિક્વિડેટરો વિનાયકરાવ જગન્નાથ શંકરશેટ, શેઠ લીમજીભાઈ જમશેદજી બાટલીભાઈ, અને મિસ્ટર જોન રોબિન્સન એ ત્રણેએ આ જગ્યાનો કબજો લીધો. તેમણે એક પાઈ પણ લીધા વગર એ જગ્યા પ્રાર્થના સમાજને વાપરવા માટે આપી, અને તેનું કામકાજ એ જગ્યાએ શરૂ થયું. ૧૮૭૨ સુધી તો કામ એ રીતે ચાલ્યું, પણ પછી એ જગ્યા વેચી નાખવાનું નક્કી થયું. હવે? આ જગ્યાની સામે જ ડો. માણેકજી આદરજીની જગ્યા આવેલી હતી. તે ભાડે લઈને પ્રાર્થના સમાજની પ્રવૃત્તિ ત્યાં ખસેડાઈ. એ વખતે જુદાં જુદાં ભાષા, ધર્મ, જાત-પાતના લોકો હળીમળીને અનેક સામાજિક કામ કરતા. પોતાના ધર્મની નહિ એવી પ્રવૃત્તિ માટે અગાઉ લીમજીભાઈ અને રોબિન્સને જગ્યા આપેલી તેમ ડો માણેકજીએ પોતાની જગ્યા ભાડે આપી એટલું જ નહિ, છેલ્લા વરસનું ભાડું પણ પ્રાર્થના સમાજ પાસેથી લીધું નહિ.

પ્રાર્થના સમાજના સ્થાપક સભ્યો

બીજી બાજુ વધુ પ્રવૃતિઓ કરી શકાય તે માટે પ્રાર્થના સમાજનું પોતાનું મકાન હોવું જોઈએ એમ તેના સભ્યોને લાગતું હતું અને તે માટે જગ્યા ખરીદવા માટે ફંડ પણ ઊભું કર્યું હતું. પણ સાતેક હજારની એ રકમ પૂરતી નહોતી. ત્યારે કચ્છના મહારાવે ૧૭૫૦ રૂપિયા ભેટરૂપે મોકલ્યા! એક બાજુ પારસી ડોક્ટર ભાડું જતું કરે છે તો બીજી બાજુ છેક કચ્છથી મહારાવ ભેટ મોકલે છે! એટલે પછી બરફના કારખાનાવાળી એ જગ્યા જ પ્રાર્થના સમાજે ખરીદી લીધી. ૧૮૭૨ના ડિસેમ્બરની ૨૯મી તારીખે મકાનનો પાયો નખાયો. પાયામાં એક કુંભ મૂકવામાં આવ્યો જેમાં તે વખતનાં ઇન્દુપ્રકાશ, નેટિવ ઓપિનિયન અને બીજાં છાપાંની નકલો અને મહાદેવ ગોવિંદ રાનડેનું એક અંગ્રેજી પુસ્તક મૂકવામાં આવ્યું. પાયાના પથ્થર પર શિલાન્યાસનાં તારીખ-વાર પછી જે શબ્દો કોતર્યા હતા તે છે: सत्यमेव जयते અને एकमेवाद्वितीयम्. આઝાદ ભારતે જે શબ્દોને પોતાના મુદ્રાલેખ તરીકે અપનાવ્યા તે પ્રાર્થના સમાજે છેક ૧૮૭૨માં અપનાવ્યા હતા! મકાનનું બાંધકામ ૧૮૭૪ના એપ્રિલમાં પૂરું થયું. હરિશ્ચન્દ્ર સદાશિવ નામના એન્જિનિયરે મકાન અંગેનું બધું જ કામ એક પાઈ પણ લીધા વગર કર્યું એટલું જ નહિ, સામેથી પચાસ રૂપિયા દાનમાં આપ્યા! તો જમીન ખરીદતી વખતે કાનૂની સલાહ આપીને બધી વિધિ પાર પાડવાનું કામ સોલિસિટર કમરૂદ્દીન તૈયબજીએ એકે દમડી લીધા વગર કરી આપ્યું. આ હતી ૧૯મી સદીના મુંબઈની તાસીર.

સંસ્કૃતના પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ભાન્ડારકર

આ નવા પ્રાર્થના સમાજ મંદિરમાં પ્રવેશ કરવાનો સમારંભ ૧૮૭૪ના એપ્રિલની ૨૬મી તારીખે સવારે થયો. ડો. માણેકજીવાળી જૂની જગ્યામાંથી સરઘસાકારે નીકળીને સભ્યોએ સવારે સાડા સાત વાગ્યે નવા મકાનમાં પ્રવેશ કર્યો. એ વખતે રામચંદ્ર વિષ્ણુ માડગાંવકરે આ પ્રસંગ માટે ખાસ રચેલું પદ ‘પ્રભુ તેજોમયા, પુણ્યરૂપા દયા’ સૌએ સાથે મળીને ગાયું. પહેલવહેલું ઉપદેશ-પ્રવચન સંસ્કૃતના પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ભાંડારકરે આપ્યું હતું. ૧૮૫૭માં સ્થાપાયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૬૨માં પહેલી વાર બી.એ. ડિગ્રી માટેની પરીક્ષા લીધી તેમાં માત્ર ચાર વિદ્યાર્થી જ પાસ થયા હતા. તેમાંના બેએ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. તેમાંના એક હતા રામકૃષ્ણ ભાંડારકર અને બીજા હતા મહાદેવ ગોવિંદ રાનડે. વખત જતાં આ મકાનમાં સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો માટે પ્રાર્થના સમાજની બીજી અનેક પ્રવૃત્તિ શરૂ થઈ. શેઠ દામોરદાસ ગોવર્ધનદાસ પરદેશ ગયા ત્યારે તેમણે કેટલાંક પ્રતિષ્ઠિત જાહેર પુસ્તકાલયોની મુલાકાત લીધી હતી. સ્વદેશ પાછા આવ્યા પછી આપણે ત્યાં પણ એવાં જાહેર પુસ્તકાલયો હોવાં જોઈએ એમ લાગતાં તેમણે પહેલાં ધોબી તળાવ પાસે પીપલ્સ ફ્રી રીડિંગ રૂમની સ્થાપના કરી. પછી દાતા તરીકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે પુસ્તાકાલય શરૂ કરવા પ્રાર્થના સમાજને ૨,૧૦૦ રૂપિયાનું દાન આપ્યું અને એ પુસ્તકાલય સાથે પોતાના ગુરુ રામચંદ્ર ભાંડારકરનું નામ જોડવા સૂચવ્યું. ૧૮૯૭ના ડિસેમ્બર મહિનામાં ડો. ભાંડારકર ફ્રી લાયબ્રેરી એન્ડ રીડિંગ રૂમનું ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરને હાથે ઉદ્ઘાટન થયું.

તર્ખડકર ભાઈઓમાંના સૌથી મોટા દાદોબા પાંડુરંગ (૧૮૧૪-૧૮૮૨) ‘મરાઠી ભાષાના પાણિની’ તરીકે ઓળખાય છે. (સેંકડો વર્ષ પહેલાં પાણિનીએ રચેલું સંસ્કૃત વ્યાકરણ આજે પણ સૌથી વધુ પ્રમાણભૂત મનાય છે.) તેમનું રચેલું વ્યાકરણ દસકાઓ સુધી મહારાષ્ટ્રની સ્કૂલોમાં ભણાવાતું. વ્યવસાયે શિક્ષક દાદોબા પરમહંસ મંડળી સાથે પણ સંકળાયેલા હતા. કેટલોક વખત તેમની બદલી સુરત થઈ હતી ત્યારે તેમણે અને દુર્ગારામ મહેતાજીએ ત્યાં ‘માનવધર્મ સભા’ શરૂ કરી હતી.

ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકર

તેમના નાના ભાઈ ડો. આત્મારામ પાંડુરંગ તર્ખડકરનો જન્મ ૧૮૨૩ના ડિસેમ્બરની ૨૩મી તારીખે. અવસાન ૧૮૯૮ના એપ્રિલની ૨૬મી તારીખે. પ્રાર્થના સમાજની સ્થાપનામાં તેમનો ઘણો મોટો ફાળો. વ્યવસાયે હતા ડોક્ટર. ૧૮૪૫માં મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ. માત્ર મુંબઈ ઈલાકાની જ નહિ, આખા દેશની એ પહેલવહેલી મેડિકલ કોલેજ. આ નવી કોલેજમાં આત્મારામ વિદ્યાર્થી તરીકે દાખલ થયા. તે વખતે હજી યુનિવર્સિટી ઓફ બોમ્બે સ્થપાઈ નહોતી. એટલે ગ્રાન્ટ મેડિકલ કોલેજ પોતે જ પરીક્ષા લેતી અને પોતે જ ડિગ્રી આપતી. એ રીતે પહેલી પરીક્ષા પાસ કરીને જે ચાર વિદ્યાર્થીઓ ડોક્ટર બન્યા તેમાંના એક તે આત્મારામ પાંડુરંગ. તેઓ ડોક્ટર બન્યા ત્યારે શીતળાની રસી મૂકવાની શરૂઆત થઈ હતી. ધર્મનું ઓઠું આગળ કરીને સનાતનીઓ તેનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે તે વખતે પછાત વિસ્તાર ગણાતા થાણેમાં રહીને આત્મારામે સંખ્યાબંધ લોકોને આ રસી મૂકવાનું કામ સફળતાથી કર્યું. વખત જતાં યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા, મુંબઈના શેરીફ બન્યા, બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ઉપપ્રમુખ બન્યા.

આ ઉપરાંત સ્કૂલના શિક્ષણ દરમ્યાન જ તેમને ધર્મસુધારણામાં રસ જાગ્યો હતો. વખત જતાં આ રસને કારણે જ તેમણે પ્રાર્થના સમાજની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તેના પહેલા અધ્યક્ષ બન્યા. આત્મારામ શિક્ષણનું મહત્ત્વ બરાબર સમજ્યા હતા. તેમનાં બાળકોને ભણાવવા માટે અંગ્રેજ શિક્ષિકા ઘરે આવતાં. કેટલાંક સગાંઓએ અને બીજા લોકોએ તેનો વિરોધ કર્યો પણ આત્મારામ મક્કમ રહ્યા. દીકરાઓને તો ખરા જ, પોતાની ત્રણે દીકરીઓને પણ તેમણે ભણવા માટે વિલાયત મોકલેલી. એ જમાનાના ઘણા સમૃદ્ધ અને ‘સુધારાવાદી’ કુટુંબોની જેમ રહેણીકરણી ધીમે ધીમે અંગ્રેજો જેવી થતી ગયેલી. પ્રાર્થના સમાજમાંના તેમના આગળ પડતા સ્થાનને લીધે હિન્દુસ્તાનના બીજા ભાગોના – ખાસ કરીને બંગાળના – સુધારાવાદીઓ સાથે નિકટના સંબંધો બંધાયેલા. કેટલાક સાથે તો કૌટુંબિક સંબંધ પણ બંધાયેલો. તેમાંના એક હતા રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર. પણ હવે આજે મુંબઈથી તરત કલકત્તા જઈ શકાય તેમ નથી. આજનો આપણો ઘણો વખત ધર્મકથામાં ગયો. પણ હવે આવતે શનિવારે વાત માંડશું એક અજબગજબ પ્રેમકથાની. એક મરાઠી મુલગી અને એક બંગાળી બાબુ વચ્ચેની પ્રેમકથાની વાત.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2020

Loading

...102030...2,3812,3822,3832,384...2,3902,4002,410...

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved