Opinion Magazine
Number of visits: 9575620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

UAPA : કપરા કોરોનાકાળમાં પણ વિંઝાતો રહેલો આપખુદશાહીનો દંડો

પાર્થ|Opinion - Opinion|20 May 2020

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ-અનલૉફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ (UAPA) ૧૯૬૭માં, ૨૦૧૯ના વર્ષમાં બહુ મોટા સુધારા કરવામાં આવ્યા છે, જે ગેરબંધારણીય છે તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. પરંતુ ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં આ સુધારા અમલી બન્યા છે. આ સુધારા કે કુધારા શું છે?

• આ કાયદા અંતર્ગત હવે માત્ર સંસ્થાઓ જ નહીં, પણ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરી શકાય છે. એટલું જ નહીં, શંકાને આધારે કોઈને પણ આતંકી જાહેર કરી શકાય. વિશેષ વાત એ છે કે આમ કરવા માટે તે વ્યક્તિનો કોઈ પણ આતંકી સંગઠન સાથે સંબંધ બતાવવો જરૂરી રહેશે નહીં.

• વ્યક્તિ પર આતંકવાદીનો આરોપ લાગે તો, હવે પ્રથમ તેણે આરોપ હટાવવા માટે કોર્ટની જગ્યાએ સરકાર દ્વારા બનાવેલ રિવ્યુ કમિટીમાં જવું પડશે. બાદમાં કોર્ટમાં અપીલ કરી શકાય.

• નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એન.આઇ.એ.)ના ડાયરેક્ટ જનરલ (ડી.જી.) પણ આતંકવાદી જાહેર કરાયેલી વ્યક્તિ અથવા જૂથની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી શકશે. અત્યાર સુધી, જે રાજ્યમાં મિલકત હોય ત્યાંના ડી.જી.પી.ની મંજૂરીથી મિલકત જપ્ત કરી શકાય એવું હતું.

• એન.આઇ.એ.ના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. હમણાં સુધી આ તપાસનો અધિકાર ફક્ત ડી.એસ.પી. અને મદદનીશ કમિશનર અથવા તે કક્ષાના અધિકારીને હતો.

• યુ.એ.પી.એ. એક્ટની કલમ 43 ડી (2) વ્યક્તિને આ કાયદા હેઠળ, 30 દિવસ પોલીસ કસ્ટડી મળી શકે છે. ઉપરાંત અદાલત 90 દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકે છે. (ટૂંકમાં આરોપીને ચાર્જશીટ વિના લાંબો સમય જેલમાં રાખી શકવાની જોગવાઈ છે.)

કોરોના લોકડાઉનના સમયમાં પણ પત્રકારો, કર્મશીલો સામે આ કાયદા હેઠળ કેસ દાખલ થયા છે. જે.એન.યુ.ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ, જામિયા મિલિયા ઇસ્લામિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ શિફા-ઉર-રહેમાન તેમ જ જમ્મુ-કશ્મીરમાં ‘ધ હિન્દુ’ અખબારના શ્રીનગરના સંવાદદાતા પીરઝાદા આશિક સામે, પત્રકાર ગૌહર ગિલાની અને 26 વર્ષીય ફોટોગ્રાફર મશરત જાહરા સામે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે યુ.એ.પી.એ. અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા કર્મશીલો અને પ્રશ્નો ઉઠાવતા કાર્યકરોને ચૂપ કરી દેવા આ કાયદા અંતર્ગત હેરાન કરવામાં આવે છે. સરકારી આંકડા મુજબ 67 ટકા કેસમાં આરોપી નિર્દોષ સાબિત થયા છે. માત્ર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે આવા ગંભીર આરોપો લગાવવા કેટલા યોગ્ય છે? આ વ્યક્તિઓ દોષી છે કે નહીં તે ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ ભારતીય દંડ સંહિતાની બીજી ઘણી કલમો અંતર્ગત તેમની સામે કેસ દાખલ કરીને તપાસ કરી શકાય તેમ હોય, ત્યારે યુ.એ.પી.એ. શા માટે?

ન્યાય અને કાયદાની પ્રક્રિયા જટિલ અને સમય લેનારી બને કે જેથી વ્યક્તિની શક્તિઓ ક્ષીણ થઇ જાય, ફરી પોતાની વાત મૂકતાં અચકાય અને પ્રશ્નો પૂછવાનું ટાળે તે હેતુથી સરકાર કાયદાઓમાં ફેરફાર કરીને વધુને વધુ સત્તા પોતાના હાથમાં લઇ રહી છે.

એક તરફ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાથી વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તે અંગે કેસ દાખલ થયો છે અને કોર્ટે સરકારને નોટિસ બજાવી છે, તો બીજી તરફ સરકાર આ કાયદાનો ઉપયોગ કરીને પત્રકારો અને સવાલ ઉઠાવતા લોકોને હેરાન કરી રહી છે. આ કટોકટીના સમયમાં સરકાર પોતાની ટીકા કે મર્યાદા તરફ ધ્યાન દોરવણીને હકારાત્મક લઈને શું વધુ અસરકારક કામ ન કરી શકે?

e.mail : yuvaparth@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020

Loading

શ્રમિક કાયદાઓમાં સુધારાના નામે …

મુનિ દવે|Opinion - Opinion|20 May 2020

ગુજરાત સરકાર સહિત કેટલીક રાજ્ય સરકારોએ શ્રમિક કાયદાઓમાં કેટલાક સુધારાઓ કરવાનું સૂચવ્યું છે. એ માટે તેમણે કેન્દ્ર સરકારની સહમતિ માગી છે, જે મોટે ભાગે મળી જશે. સુધારાનાં કારણોમાં કહેવામાં આવ્યું છે કે આ સુધારાઓને કારણે અર્થતંત્રને બેઠું કરવામાં મદદ મળશે અને ચીનમાંથી બહાર નીકળતી યુરોપ-અમેરિકાની કંપનીઓને ભારતમાં આવવા માટે આકર્ષી શકાશે. આ સુધારાના ભાગરૂપે નવી શરૂ થતી કંપનીઓ માટે આગામી ત્રણ વર્ષ (1200 દિવસ) સુધી શ્રમિક કાયદાઓમાં કેટલાક સુધારાઓ સૂચવાયા છે.

• એક દિવસની શીફ્ટ 8 કલાકને બદલે 12 કલાકની રહેશે. આમ હવે અઠવાડિયાના 48 કલાક્ને બદલે 72 કલાક કામ કરવાનું. હવે ચાર કલાકને બદલે છ કલાકે આરામની રિસેસ પડશે. કેટલાંક રાજ્યોએ નક્કી કર્યા મુજબ, વધારાના આ ચાર કલાકના વધારે પૈસા નહીં ચૂકવવા પડે. ગુજરાત રાજ્ય વધારાના ચાર કલાકના રોજના ભથ્થાના દોઢ ગણા ચૂકવશે. (જાહેરાત પછી મળતા સમાચાર મુજબ, લખનઉ હાઈકોર્ટે 12 કલાકની શિફ્ટ કરવા સામે મનાઈહુકમ આપતાં, ઉત્તર પ્રદેશ સરકારે એ સુધારો પાછો ખેંચી લીધો છે.)

• લઘુત્તમ વેતનની વ્યાખ્યા બદલાઈ શકે છે.

• જે કૉન્ટ્રાક્ટર મજૂરો પૂરા પાડતો હોય તેનું, અમુક લઘુત્તમ સંખ્યા સુધી, રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

• હવે કોઈ ઓફિસર તપાસ માટે નહીં આવે.

• કામ દરમિયાન સ્વાસ્થ્ય અને સલામતીના નિયમો બદલાઈ શકે છે.

• મજૂર સંગઠનો કોઈ દખલ નહીં કરી શકે.

• ઔદ્યોગિક તકરાર નિવારણની કલમો બદલાઈ શકે છે.

• અકસ્માતના કિસ્સામાં મજૂરને મળનારું વળતર બદલાઈ શકે છે.

હું બી.ઇ. મિકેનિકલ ભણેલો એન્જિનિયર છું. મેં 22 વર્ષ વિવિધ કંપનીઓમાં, વિવિધ ખાતાંમાં એન્જિનિયર, ખાતા ઉપરી અને સિનિયર ટેકનિકલ મૅનેજર તરીકે નોકરી કરી છે. (વર્ષ 1974થી 1996 સુધી). ત્યાર બાદ વીસ વર્ષથી જુદાં જુદાં આંતરરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ માટેનો સલાહકાર રહ્યો છું. નક્કી કરેલાં સ્ટાન્ડર્ડ મુજબ કામ થાય તે દેશની અને વિદેશમાંની માલ પૂરો પાડતી કંપનીઓ માટે અનિવાર્ય બનતું જાય છે. આને કારણે બહુ બધી કંપનીઓ ફરજિયાતપણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય તથા સલામતીને લગતા દેશના, રાજ્યના અને આંતરરાષ્ટ્રિય શ્રમ સંગઠન ILO દ્વારા દર્શાવેલા દરેક કાયદા પાળતી થઈ છે. એ માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના ઈન્સપેક્ટરો અને સેફટી ઈન્સ્પેક્ટરો જે બાબતો જવા દેતા હોય, તેવી બાબતોનો પણ સર્ટિફિકેટ દેનારી કંપનીઓના ઑડિટરો કડકપણે અમલ કરાવે છે. આ બધા પછી આખરે જે કંપનીને માલ મોકલવાનો હોય તેના મૅનેજર આવીને કંપનીનું ઓડિટ કરે છે. તે કોઈ પ્રકારની છૂટ આપતા નથી અને કંપનીએ તેમની વાત માનવી જ પડે છે. કારણ કે તેમની પાસેથી કેટલાક લાખનો કે કરોડ રૂપિયાનો ઑર્ડર મળવાનો છે.

અમે આજના એન્જિનિયરોને સતત એ સમજાવીએ છીએ કે અમારા સમયમાં અમારે માત્ર ગુણવત્તાનું ધ્યાન રાખવાનું રહેતું હતું. પણ તેમણે હવે ગુણવત્તા ઉપરાંત પર્યાવરણની જાળવણી, કર્મચારીઓનાં સ્વાસ્થ્ય અને સલામતી, ઉત્પાદનખર્ચ, ઉત્પાદકતા, ખાતાને લગતા કાયદાઓની સમજ અને તેના અમલનું પણ ધ્યાન રાખવાનું છે. હવે તેમની જવાબદારી અનેક ગણી વધી ગઈ છે. હવે તે માત્ર એન્જિનિયર જ નથી, પણ આ દેશના જવાબદાર નાગરિક પણ છે, જે તેમણે દર વર્ષે ઑડિટર સામે સાબિત પણ કરવાનું છે.

છેલ્લા વીસ વર્ષથી અમે દરેક કર્મચારીઓને ફૅક્ટરી એક્ટ અને એન્વાયરન્મેન્ટ એક્ટની દરેક કલમોની સમજ આપીને તેનું પાલન કરવા સમજાવતા રહ્યા છીએ. તેમને ILOના બધા નિયમો વંચાવ્યા છે, જેની અત્યાર સુધી ભાગ્યે જ કોઈ કંપની ડિરેક્ટરે, તેના HR ડિપાર્ટમેન્ટે અથવા સંબંધિત સરકારી અધિકારીઓએ દરકાર કરી છે. મારી દૃષ્ટિએ ભારતના ઔદ્યોગિક વિકાસ માટે આ બહુ મોટો હકારાત્મક બદલાવ છે. તે બદલાવ આવ્યો છે આંતરરાષ્ટ્રિય સ્તરે વ્યાપાર કરવાથી. આ બધી આદતોને ભૂલી જઈશું તો સમાજને અને દેશને બહુ મોટુ નુકસાન થશે.

જ્યારે કોઈ કાયદામાં બદલાવ લાવીએ ત્યારે તેમાં કાં તો બગાડો થાય અથવા સુધારો થાય. સરકારોએ જે બદલાવ કર્યા છે તેને ‘સુધારો’ કહેતાં મારો જીવ નથી ચાલતો. તેનાં કેટલાક કારણઃ

• નવા કાયદાઓ માત્ર નવી શરૂ થનારી કંપનીઓને લાગુ પડશે. જૂની-ચાલુ કંપનીઓને નહીં. એક જ રાજ્યમાં કે કદાચ એક જ GIDCમાં રહેલી બે કંપનીઓમાં જુદા જુદા કાયદા કેવી રીતે હોઈ શકે? તો નોકરી માટે એવી કંપનીને છેલ્લી પસંદગી જ ન મળે?

• દરેક માણસની મર્યાદિત ક્ષમતા હોય. તેને ધ્યાનમાં રાખી ILOએ નક્કી કર્યું છે કે દિવસના આઠ કલાક અને અઠવાડિયાના 48 કલાકથી વધુ કામ વ્યક્તિનાં સ્વાસ્થ્યને અસર કરે છે. આને કારણે ઓવરટાઈમ પણ બને તેટલો ઓછો કરવાનો આગ્રહ હોય છે. યાદ રહે, કારીગર કે મજૂર માણસ છે, મશીન કે રોબોટ નથી. વધુ પૈસા મેળવવા એ પોતાની જાત ઘસવા તૈયાર હોય છે, પણ તેવું અમુક હદથી વધારે ન કરવા દેવાય. રોજના બાર કલાક કામ કરનાર વ્યક્તિ તેનાં બાળકો ઊઠે તે પહેલાં કામે જવા નીકળી જાય અને અડધી રાત્રે ઘરે આવે ત્યારે બાળકો સૂઈ ગયાં હોય. આમ બાળકો તેમના પિતાને અઠવાડિયે એક વાર માંડ જુએ. પિતાની જવાબદારી માત્ર પૈસા કમાઈને આપવાની. એ સિવાય તેની કોઈ કૌટુંબિક-સામાજિક જવાબદારી ના રહે. મહિનાઓ બાદ આવી વ્યક્તિઓની માનસિકતા કેવી બનશે તેનો વિચાર કરવો રહ્યો. મારો અનુભવ છે કે બાર કલાક કામ કર્યા બાદ બીજા દિવસે તેની ઉત્પાદકતા ઘટી જાય છે, એકાગ્રતા જોખમાય છે. અકસ્માતની શક્યતા વધી જાય છે.

• હું જ્યારે એસેમ્બ્લી ખાતાનો ઉપરી હતો ત્યારે મારા કારીગરોને બે કલાકથી વધારે ઓવર ટાઇમ આપતો નહીં. આપવા પડે તો પણ ક્યારેક જ. તેની સામે મશીન શૉપના કારીગરોને ચાર અને ક્યારેક આઠ કલાકનો ઓવરટાઇમ મળતો. એ માટે મેં મારા કારીગરોનો અને ક્યારેક મૅનેજમૅન્ટનો રોષ વહોર્યો છે. પણ હું તેમને ઓવરટાઇમ ન દેવા મક્કમ હતો. હું તેમને કહેતો કે તમે માત્ર પૈસા રળવા નથી જન્મ્યા. સાંજે ઘરે જાઓ ત્યારે ઘરનાં કામના પણ રહેવા જોઈએ, એ મારી નિસબત છે અને આ વાત તે સમજતા પણ હતા.

• ઉત્પાદનની દરેક પ્રક્રિયાઓ સ્વાસ્થ્ય અને સલામતી માટે યોગ્ય હોવી જોઈએ. તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એન્જિનિયરોની છે. મૅનેંજમૅન્ટ સામે લડીને પણ એ કરવું પડે. એમાં કોઈ બાંધછોડ ક્યારે ય ન કરાય. એ દરેક કંપનીની સામાજિક જવાબદારી છે.

• ILOના યોગ્ય સૂચન મુજબ, લઘુતમ વેતન એટલું તો હોવું જ જોઈએ કે એક કુટુંબ—પતિ, પત્ની, બે બાળકો—પૂરતો આહાર મેળવી શકે, બાળકોને ભણાવી શકે, તેમના આરોગ્યની કાળજી રાખી શકે અને નાનું ઘર લઈ શકે.

• મજૂરો અને કામદારો પૂરા પાડનારા (ગમે તેટલી સંખ્યા હોય) કૉન્ટ્રાક્ટરનું રજિસ્ટ્રેશન તો કરાવવું જ પડે અને કોન્ટ્રાક્ટરે એ જવાબદારી લેવી પડે કે તેના કારીગરોને લઘુતમ વેતન મળે, તેમનું પી.એફ. કપાય, તેમના આરોગ્યની કાળજી લેવાય અને સલામતી ન જોખમાય. અકસ્માત વખતે તેમને યોગ્ય વળતર મળે. જો આવું નહીં કરીએ તો અકસ્માત થયા બાદ જાહેર થશે કે તે આ કંપનીમાં હતો જ નહીં, ત્યાં કામ પણ નહોતો કરતો.

• કામ દરમિયાન અકસ્માતે થતા મૃત્યુ વખતે સરકારે ચોક્કસ રકમ નક્કી કરવી પડે, જે મૃતક્ના પરિવારને બાકીનું જીવન વીતાવવામાં મદદરૂપ થાય. તે વળતર કંપની ચૂકવે, જે માટે કંપનીએ વીમો લીધો હોય.

• મજૂર સંગઠનોની દખલ ન હોય તો પછી ILના નિયમ મુજબ કંપનીના મજદૂરોનું પોતાનું યુનિયન હોવું જોઈએ, જે મૅનેજમૅન્ટને પોતાનો અવાજ પહોંચાડી શકે.

• જો કોઈ અધિકારી તપાસ કરવા આવવાનો જ ના હોય તો બહુ ઓછી કંપનીઓ આ બધા નિયમોનું પાલન કરશે. તેનું કારણ માત્ર લોભ જ હશે તેમ નહીં, પણ તે કામ બિન-મહત્ત્વનું ગણાઈ જતાં સૌ કોઈ બેદરકાર થઈ જશે. જેમ પરીક્ષાની તારીખ પાછળ જતા વિદ્યાર્થીઓ વાંચવાનું છોડી દે છે, તેમ જો ઑડિટ ન થાય તો તેના પર ધ્યાન આપવાનું છોડી દેવાય. તેના બદલે તપાસ અધિકારી નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરે તેવાં પગલાં સરકારે લેવાં જોઈએ.

આમ આ સુધારા મજૂરોનાં શોષણને કાયદેસરતા આપવાનું કારણ બની જાય તેવું લાગે છે. તે જેમ તેમનાં સ્વાસ્થ્ય અને સલામતીના નિયમોમાં ઢીલ મૂકે છે, તેમ પર્યાવરણના નિયમોમાં છૂટછાટ આપશે. તો આપણે લૉક ડાઉન વખતે સોશિયલ મીડિયા પર પર્યાવરણ વિશે જે હરખ વ્યક્ત કર્યો તેનો કશો અર્થ નહીં સરે. ફરી પાછા આપણે પર્યાવરણનું નખ્ખોદ કાઢવા તૈયાર થઈ ગયા, એમ કહેવાશે.

કોરોનાનો ફેલાવો મહદ્ અંશે સુખી માણસો દ્વારા થયો છે અને તેમાં મજૂરોનો ખો નીકળી ગયો. સુખી લોકોએ ઘરમાં એ.સી.માં બેસી અવનવા વ્યંજનો ખાધાં, ફિલ્મો જોઈ. પર્યાવરણ વિષે ઊંચી ઊંચી વાતો કરી, ડહાપણ ડહોળ્યું. એ વખતે આ મજૂરો ભૂખ્યા પેટે, ખિસ્સામાં પૈસા વગર, ધોમધખતા તાપમાં ઉઘાડા પગે સેંકડો માઇલ ચાલીને પોતાના વતન પાછા ફર્યા. જેમને રેલવે કે બસોમાં જવાનો લાભ મળ્યો તેમણે બે-ત્રણગણા પૈસા ચૂકવ્યા. દેશનું અર્થતંત્ર બેસી ગયું તેમાં તેમનો તો કોઈ વાંક નહોતો. લૉક ડાઉન કરતાં પહેલાં કોઈ તેમને પૂછવા પણ નહોતું ગયું. તેમ છતાં આવા મૃત:પ્રાય થઈ ગયેલા અર્થતંત્રને બેઠું કરવાની જવાબદારી આપણે જાણે તેમના ખભા પર નાખી દીધી છે. એ માટે તેમણે જ ભોગ આપવાનો છે. માલિકો-મૅનેજરો તો એ.સી. કેબિનોમાં બેસીને કામ કરશે. જ્યારે ત્રણ મહિનાથી અપૂરતું પોષણ મેળવેલા મજૂરો બાર કલાક ગરમીમાં તનતોડ મહેનત કરશે. છતાં આપણે પોતાને સુધરેલા, સંસ્કારી ગણી શકીશું?

e.mail : samanvay.sys@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020

Loading

બાયો-મૅડિકલ કચરાના નિકાલનો પ્રશ્ન અને સફાઈ કામદારો માટેનાં જોખમ

દિલીપ મંડલ|Opinion - Opinion|20 May 2020

કોરોના વાઇરસની પ્રકૃતિ ખૂબ જ ચેપી છે તેથી તેનાથી બચવા માટે માસ્ક, ગ્લોવ્ઝ, પી.પી.ઇ. કીટ વગેરેનો મોટા પાયે ઉપયોગ થાય છે. વપરાયા પછી તે ખૂબ જ ચેપી કચરો બની જાય છે. આવો કચરો મોટા પ્રમાણમાં હૉસ્પિટલો, પૅથોલોજિકલ લેબોરેટરીઝ અને ક્વૉરન્ટીન સેન્ટરોમાં પેદા થાય છે. વાઇરસના અધિક ફેલાવાના દિવસોમાં ચીનના વુહાનમાં બાયો-મૅડિકલ કચરાની માત્રા છ ગણી વધી ગઈ હતી. ભારતના સંદર્ભમાં હજુ આવું કોઈ અધ્યયન થયું નથી, પરંતુ ધારી શકાય છે કે અહીં પણ બાયો-મૅડિકલ વેસ્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું હશે. એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હૉસ્પિટલોનો કચરો — દવા, દવાનાં પૅકેટ, પાણીની બોટલ, કાગળ વગેરે અત્યાર સુધી બિનચેપી માનવામાં આવતાં હતાં. પરંતુ કોરોના વાઇરસ તેની ઉપર પણ જીવંત રહી શકે છે. એટલે હવે તેને પણ ચેપી કચરો ગણવાનો છે.

શું ભારત આટલા મોટા પ્રમાણમાં પેદા થઈ રહેલા બાયો-મૅડિકલ વેસ્ટના નિકાલ માટે સક્ષમ છે? ભારતમાં રોજ આવો ૬૦૮ ટન કચરો પેદા થાય છે. તેના નિકાલ માટે આપણી પાસે ૧૯૮ કૉમન બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટની સુવિધાઓ છે. તે ઉપરાંત ૨૨૫ હૉસ્પિટલોના પોતાના ઇન્સિનરેટરમાં કચરો સળગાવી દેવામાં આવે છે. આ સંખ્યા દેશમાં મોજુદ ૨.૬૦ લાખ હૅલ્થ કેર ફેસિલિટીના હિસાબે ઘણી જ ઓછી છે. એ પણ નોંધવું જોઈએ કે દેશનાં સાત રાજ્યોમાં કોઈ કૉમન વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી નથી! એટલે હંમેશાં દવાખાનાંનો ઘણો બધો કચરો ગમે ત્યાં ફેંકેલો કે મ્યુનિસિપાલિટીના કચરાના ઢગલામાં જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ તે ખતરનાક ગણાય. પણ એ જોખમ દેશના ૪૦ લાખ બેહદ ગરીબ અને દલિત કચરો વીણનારા માટે હોય છે. એટલે નીતિનિર્ધારકોને તેમની કોઈ ચિંતા હોતી નથી.

પરંતુ કોવિડ-૧૯થી અલગ સ્થિતિ પેદા થઈ છે. સંશોધનો પરથી જણાય છે કે જાડા કાગળ કે પૂંઠા પર કોરોના વાઇરસ ૨૪ કલાક, ધાતુ તથા પ્લાસ્ટિક પર ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસો સુધી સક્રિય રહે છે. ખૂબ જ ચેપી હોવાથી આ વાઇરસ તેના સંપર્કમાં આવતા લોકોને ચેપ લગાડે છે. અત્યાર સુધી કોરોનાના પ્રત્યેક દરદીઓની સારવાર નિર્ધારિત કોવિડ હૉસ્પિટલોમાં જ થતી હતી. તે સિવાયના સંભવિત દરદીઓને નિર્ધારિત ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવતા હતા. એટલે આ જગ્યાઓએ જે કચરો પેદા થતો હતો, તેની દેખરેખ અને સુરક્ષિત રીતે નિકાલ શક્ય હતાં જો કે આવું કેટલી હદે કરવામાં આવતું હતું, એ કહેવું મુશ્કેલ છે.

પરંતુ હવે લાખો લોકો શહેરોથી ગામો અને નગરો તરફ જઈ રહ્યા છે. તેમાંના ઘણાંને ક્વૉરન્ટીન કરવામાં આવશે. શક્ય છે કે તે પૈકીના ઘણાંને તેમના ઘરમાં જ અલગ રાખવામાં આવશે. તે સિવાયનાં મામૂલી લક્ષણો ધરાવતા કોવિડ-૧૯ દરદીઓની પણ ઘરે રહીને સારવાર કરવામાં આવશે. તે તમામ લોકોને, કમ સે કમ સૈદ્ધાંતિક રીતે, ચેપ ફેલાવવા માટે સક્ષમ માનવામાં આવશે. સવાલ એ છે કે આ લોકોના ઘરે જે કચરો પેદા થશે તેનું શું કરવામાં આવશે? શું તે અલગથી સંગ્રહીને પીળા રંગની ખાસ પોલિથીન બેગમાં રાખવામાં આવશે? શું પછી તેને એકઠો કરીને નિકાલ માટે નિર્ધારિત બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી સુધી પહોંચાડવામાં આવશે? શું તેને હૉસ્પિટલોના ઈન્સિનરેટરમાં સળગાવી દેવામાં આવશે? જો આમ નહીં થાય તો આ કચરો બીજા સામાન્ય કચરા ભેગો કચરાના ખડકલામાં પહોંચીને બીજા લોકોને સંક્રમિત નહીં કરે?

હવે એવું તો માની લેવાય નહીં કે ચેપ કચરાના સંપર્કમાં આવનાર સુધી જ સીમિત રહેશે અને એ તેનો વાહક નહીં બને. એટલે કે બીજાને ચેપ નહીં લગાડે અને તેનો ફેલાવો નહીં કરે. યાદ રહે, મહાનગરોના જે વિસ્તારોને રેડ ઝોન ઘોષિત કર્યા છે ત્યાં પણ ચોકીદાર અને સફાઈ કામદારને આવતા બંધ કરવામાં આવ્યા નથી. તે સિવાય સફાઈ કામદાર અને તેના પરિવારના સભ્યો ઘણીબધી જગ્યાએ જશે. એટલે જો સફાઈ કામદાર સંક્રમિત થાય તો આ બીમારી બહુ મોટી વસ્તીમાં પ્રસરી શકે છે, એટલું સમજી લેવું જોઈએ.

આ વાત આ રીતે એટલે કહેવામાં આવી રહી છે કે જો જોખમ માત્ર સફાઈ કામદારોના માથે જ હોત તો બાકીનો સમાજ તેમને મરવા દેત. પરંતુ આ વખતે ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ માટે તે શક્ય નથી. સંક્રમણનું જોખમ એમને પણ છે. કોરોનાકાળમાં ‘પવિત્ર’ અને ‘અપવિત્ર’ લોકોનાં હિત બહુ વિચિત્ર રીતે એક થઈ ગયાં છે. જો સફાઈ કર્મચારીઓને મોટી સંખ્યામાં ચેપ લાગે તો એ પણ જોખમ છે. હાલમાં ઘણાંબધાં સફાઈ કામદારો સંક્રમણથી કોરોના પૉઝિટિવ બન્યા છે જ. તેમ છતાં તેમને કામ કરવા મજબૂર કરવામાં આવશે? શક્ય છે કે ઘણાંબધાં સફાઈ કામદારો તો જાણતા પણ નહીં હોય કે ચેપગ્રસ્ત કચરો પણ જીવલેણ નીવડી શકે છે. પરંતુ શક્ય છે કે હવે તેમને આ બાબતની ખબર પડે. બલકે જરૂરી તો એ છે કે તેમને આ જોખમથી વાકેફ કરવામાં આવે. જાન અને જહાનમાંથી — જિંદગી અને રોજગારમાંથી — જો સફાઈ કામદારો રોજગારને બદલે જિંદગીની પસંદગી કરશે તો પરિણામ શું આવશે? શું તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી શકાશે? મોટા ભાગના સફાઈ કામદારો હંગામી અને રોજમદાર છે પગારના નામે તેમને મહિને દસેક હજાર રૂપિયા આપવામાં આવે છે આવા કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી કેટલી કારગત નીવડી શકે? ઘણાની જિંદગી તો કચરાના નિકાલ દરમિયાન તેમાંથી મળતી વસ્તુઓ પર જ નિર્ભર છે અને તેમને કોઈ જ પ્રકારનું વેતન મળતું નથી. આવા લોકોને આપણે કઈ નોકરીમાંથી કાઢી મુકીશું? શું આ લોકો પર એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ એકટ લગાવીને તેમને જેલમાં મોકલી શકાશે?

જો સફાઈ કામદારની કામગીરી આવશ્યક છે, તો તે બાબતને પ્રાથમિકતા આપીને તેમને યોગ્ય વેતન કેમ આપવામાં આવતું નથી? તેમને માસ્ક અને ગ્લોવ્ઝ વિના કામ કેમ કરવું પડે છે? તે જીવ જોખમમાં મુકીને કામ કરે છે, તો સરકાર તેમનો વીમો ઉતરાવી તેનું પ્રીમિયમ કેમ ભરતી નથી? ગટરમાં ઉતરનારા સફાઈ કામદાર વિશે માનવામાં આવે છે કે ત્યાં મોતનું જોખમ ભારત-પાકિસ્તાન સરહદ પર નોકરી કરતા સેનાના જવાન કરતાં પણ વધુ છે. તો પછી દેશ તેમનો યોગ્ય ખ્યાલ કેમ રાખતો નથી ?

આગામી સંકટથી બચવા માટે ઘણાં કામ કરવાં પડશે. સૌથી પહેલાં તો તમામ સફાઈ કામદારોને પ્રાથમિકતાના ધોરણે તમામ સુરક્ષા સાધનો આપવામાં આવે. તેમને આવાં જોખમી કામ માટે એટલો આકર્ષક પગાર આપવામાં આવે કે કોઈને કામ છોડીને જવાનું મન ના થાય. બધાં ક્વૉરન્ટીન સેન્ટર અને ઘરમાં ચેપી કચરો અલગ રાખવા બાબતે જાગૃતિ ફેલાવવામાં આવે. સામાન્ય રીતે વરસે દહાડે હૉસ્પિટલો, ક્લિનિક, પૅથોલોજિકલ લેબોરેટરી અને બાયો-મૅડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીમાં કચરાના નિકાલ માટેની ગાઈડલાઈનનો ભંગ થવાના આશરે ૨૭,૦૦૦ કેસ જાહેર થાય છે. કોવિડ-૧૯ના સમયે તો આ લાપરવાહી જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે બધાને નિયમોથી માહિતગાર કરીને તેનો સખ્તાઈથી અમલ કરવાનું સુનિશ્ચિત કરવું પડશે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોવિડ-૧૯ના કચરાના નિકાલ અંગે વિસ્તૃત ગાઈડલાઈન પ્રગટ કરી છે. તેનો સઘન પ્રચાર આમજનતા સુધી કરવામાં આવે. કેમ કે હવે કોવિડ-૧૯ના દરદીઓ ઘરે પણ રહેશે. બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી અને ઈન્સિનરેટર બનાવવાનું રાતોરાત શક્ય નથી. પરંતુ કમ સે કમ દેશના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારની સુવિધા હોય તે દિશામાં આજથી જ કામ શરૂ કરી દેવું જોઈએ. એ ખરું કે આ લાંબા ગાળાનું કામ છે પરંતુ તે પૈકીનું કેટલું કામ જો કોરોનાકાળમાં થઈ શકતું હોય, તો તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

અનુવાદ :ચંદુ મહેરિયા

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020

Loading

...102030...2,3662,3672,3682,369...2,3802,3902,400...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved