Opinion Magazine
Number of visits: 9680965
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાની દેણગી

આશા બૂચ|Opinion - Opinion|28 June 2020

કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો, દુનિયાના મોટા ભાગના દેશોમાં લોક ડાઉન – તાળાબંધી થઇ, હજારોના જાન ગયા. ઘણી ખરી સરકારી કચેરીઓએ સાચા આંકડા છુપાવ્યા. સરકારી અધિકારીઓએ વૈજ્ઞાનિકોની અને મેડિકલ સાયન્સના ધુરંધરોની સલાહ એક કાને સંભાળી, પોતાના રાજકીય હેતુઓને પોષે તેવી માન્ય રાખીને બાકીની સલાહોને ‘અર્થકારણને પુનર્જીવિત કરવા’ના ઉમદા હેતુસર બીજા કાનેથી કાઢી નાખી. અને આવું આવું તો ઘણું છેલ્લા છએક મહિનામાં બની ગયું.

હવે જે દેશોએ ડહાપણ વાપરી લોક ડાઉન વહેલું અજમાવ્યું, ટેસ્ટટિંગ-ટ્રેસીંગ-ટ્રેકીંગની વ્યવસ્થાને પણ ચાલતી-દોડતી કરી અને તેને પરિણામે જાનહાનિનો માર ઓછો ખાધો, એ દેશોએ હરખભેર લોક ડાઉન હળવું કરીને જીવન રાબેતા મુજબ કરવા પગલાં ભર્યાં. પણ એમ આ કાળો દૈત્ય ગાંજ્યો જાય તેમ નથી. બિલાડી જોઈને જેમ ઉંદર દરમાં પાછો પેસી જાય તેમ એ દેશોમાં કોરોના સંક્રમિત કેસીસની સંખ્યા વધતાં લોકોને ફરીને પોતપોતાની ગુફાઓમાં પાછા ઢંકાઈ જવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગોડ, અલ્લાહ, ભગવાન, વાહે ગુરુજી બધાને પૂછ્યું, આ ઉપાધિ ક્યારે ટળશે? બધાએ ખભ્ભા ઉલાળી, હાથ પહોળા કરીને એકબીજા સામે જોઈ, મૌન સેવ્યું.

એટલે હવે ઘરમાં બેઠા કોરોનાની દેણગી વિષે બમણા જોરથી વિચારો આવવા લાગ્યા. તેમાંના કેટલાક પ્રસ્તુત છે.

સુપર માર્કેટમાં કામ કરનારાઓને ‘હીરો’ ગણીને ખૂબ નવાજ્યા એ વ્યાજબી છે. ઘેર બેઠા નોંધાવેલી વસ્તુઓ આપી જાય, ક્લીક અને કલેકટથી આપણે પણ માર્કેટમાં પ્રવેશ કર્યા વિના કરિયાણું લાવી શકીએ અને હવે બે મીટરનું અંતર રાખી, મુખવટો પહેરીને લહેરથી ખરીદી કરી શકીએ એ કઇં ઓછા નસીબની વાત નથી. પરંતુ નાના વેપારીઓ, છૂટક કામ કરનારાઓ અને સ્વરોજગારીથી પેટ ભરનારાઓને દેવાળું કાઢવાનો, નોકરી ગુમાવવાનો અને ધંધા બંધ કરવાનો વારો આવ્યો એ હકીકત બતાવે છે કે કોર્પોરેટ ધંધાઓ આધારિત અર્થવ્યવસ્થાના ચક્રમાં ગોઠવાઈ ગયા હોય તેમને જ જીવવાની તક રહેશે.

બીજી એક હકીકત નજરે ચડી આવી તે એ કે શહેરો અને ગીચ વસતી ધરાવતા લત્તાઓમાં રોગ ઝડપથી ફેલાયા. ભૂતકાળમાં ખેલાયેલા મોટા યુદ્ધો અને આજની નાની લડાઈઓ ટાણે પણ એ જ હાલત થતી જોઈ છે. તો ઔદ્યોગિકરણ અને શહેરીકરણ કરવાની ઘેલછામાં ગામડાં ભાંગ્યાં ત્યારે ભવિષ્યમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય શહેરી ગીચ વિસ્તારમાં જાળવવાં મુશ્કેલ બનશે એ વિચાર નહોતો આવ્યો? અમસ્તું પણ ટૉલ્સ્ટૉયને જ્યારે તેઓ પોતાના વતનને છોડીને મોસ્કો જઈને વસ્યા ત્યારે ભાન થયેલું કે શહેરમાં વ્યાપેલી ગરીબી ઘણી ભૂંડી હોય છે.

હજુ એક વધુ સત્ય ઘણું દબાવવા છતાં છતું થયું. આર્થિક, સ્વાસ્થ્યને લગતી અને સામાજિક અસમાનતાઓ તથા જાતિ, જ્ઞાતિ અને ધર્મના આધારે રચેલા ભેદભાવોને કારણે બિન લાભાન્વિત પ્રજામાં મોતની સંખ્યા વધુ છે, એ હકીકત ઊડીને આંખે વળગી. આ વાત અન્યાયી આર્થિક અને સામાજિક વ્યવસ્થા રચતાં પહેલાં કેમ ન સમજાઈ? 

પર્યાવરણ અને પ્રદૂષણને આ રોગ સાથે જોડવામાં આવે છે. લોક ડાઉનના આદેશનું પાલન કરવાને કારણે વાહનોની ભાગંભાગ ઓછી થઇ અને રસ્તાઓ ધૂંધળા હતા તે સાફ દેખાવા લાગ્યા. પ્રાણી-પક્ષીઓ છૂટથી ફરતાં દેખાયાં. આજે  જીવન પદ્ધતિના સુધારા પર જોર મુકાય છે, તો શું એ વિષે આપણે પહેલાં અજાણ હતા?

એક સમાચાર સાંભળ્યા, યુનાઇટેડ કિંગ્ડમમાં 3 લાખ લોકોએ ધૂમ્રપાન છોડ્યું અને બીજા પણ કોશિશ કરે છે. શુભ સમાચાર. ઘણા લોકો વજન ઘટાડવા કૃતનિશ્ચયી બન્યા છે. એ એથી ય વધુ આવકાર્ય સમાચાર. જ્યારે પબ, ક્લબ, સિનેમા અને રેસ્ટોરન્ટના દ્વાર ખુલશે ત્યારે તેમની પ્રતિજ્ઞા જળવાશે? જે સમાજમાં આત્મસંયમ અને વ્રત પાલનનો ખ્યાલ જમાનાઓથી બારી બહાર ફેંકાયેલો છે એવા ભૌતિક સુખ પાછળ દોડનાર પ્રજાને લીધેલ નિર્ણયો પાળવામાં મુશ્કેલી નડશે. વધુને વધુ સરકારી નિયંત્રણોની જરૂર છે કે સારાસારનો વિવેક કેળવી શકે તેવી સ્વતંત્ર વિચાર ધરાવતી પ્રજાની?

આજકાલ ઘરની અંદર અને બહાર સફાઈ પર ખૂબ જોર અપાય છે. દરિયા, નદી, હવા, શેરીની સડકો, જાહેર રસ્તાઓ સાફ થયાં જણાય છે. આનું ભાન પહેલા કેમ નહોતું થયું?

ખોરાક આ વાયરસના ફેલાવાનું નિમિત્ત છે, એવી ધારણા છે. એક સિદ્ધાંત મુજબ ચામાચીડિયાને થયેલ રોગ બીજા પ્રાણીઓને થયો (કયા પ્રાણીઓમાં ફેલાયો તે વિષે ચોક્કસ માહિતી નથી) અને તેને આરોગવાથી માણસોને એ ચેપ લાગ્યો. જ્યાં ફરીને આ રોગે દેખા દીધી છે ત્યાં પણ કતલખાનાં અને નિરામિષ વાનગીઓનો વિક્ર્ય કરનારાઓ પર પાબંદી લગાવવી પડી છે. માનવ જાત ક્યારે બને તેટલા વધુ પ્રમાણમાં શાકાહારી બનવા તરફ વળશે? હજુ આનાથી વધુ કપરો કાળ આવે તેની રાહ જોવી પોસાય તેમ નથી.

આમ જુઓ તો સ્વાસ્થ્યને લગતી કટોકટી સર્જાઈ, પણ તેની અસર આર્થિકની માફક સામાજિક ક્ષેત્રે પણ પડી એક તરફ લોકો ઘરમાં રહીને કસરત કરે, ગાયન-વાદનથી એકબીજાને મનોરંજન કરાવે, જેને કદી પહેલાં જોયા પણ ન હોય તેવા પડોશીઓ મદદ કરવા દોડી આવે એવું અદ્દભુત માનવતાભર્યું વાતાવરણ ખડું થયું છે. તો બીજી બાજુ કેટલાક લોકો ડ્રગ્સ વધુ લેવા લાગ્યા, ઘરેલુ હિંસાની સંખ્યામાં વધારો થયો એવા સમાચાર પણ છે. જે લોકોને કોરોના વાયરસે કાળના ખપ્પરમાં હોમી દીધા તેમની ખોટ તો પુરાશે નહીં. બાકી રહેલ બે ત્રણ પેઢી સુધી આર્થિક સંકડામણનો અનુભવ કરશે તેમ બને. નાના ઉદ્યોગો અને વેપાર-ધંધા પડી ભાંગશે. એરલાઇનથી માંડીને કાર બનાવનારી ફેકટરીઓ બંધ પડશે (શસ્ત્રો બનવનાર કારખાનાઓનું શું થશે તે વિષે સરકાર મૌન છે તે નોંધવું રહ્યું) અને એવા તો કેટલા ય વ્યવસાયોમાં મંદીને કારણે બેકારી આવશે. હજુ એ ઓછું હોય તેમ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં વિકાસમાં પ્રગતિ થવાને કારણે ડ્રાઈવર વિનાની કાર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવશે એટલે દુનિયા બેકારોથી બેહદ બૂરી રીતે ઘેરાઈ જશે. તો એટલી મોટી સંખ્યાના શિક્ષિતોને સંસ્કૃત કરવા કોણ બીડું ઝડપશે?

જો કે કોરોના દેવીએ બધું જ બૂરું નથી કર્યું. ઘેર રહીને કામ કરવાના આદેશ અને શાળા-કોલેજો-ઓફિસો બંધ હોવાના ઘણા ફાયદાઓમાંનો એક, પતિ-પત્ની અને બાળકો એક બીજાંના કામના પ્રકાર, એ કરવાની રીત અને એ માટે જરૂરી લગન, ખંત અને મહેનતથી વાકેફ થશે. પરસ્પર માટે સમજણ કેળવાશે, આદર વધશે અને સંવાદિતા આવશે. પાડોશીઓ અને કુટુંબીઓની લાગણી અને સહવાસનું મૂલ્ય સમજાવા લાગ્યું છે. સબંધીઓ સમય કાઢીને એકબીજાનો સંપર્ક કરી હાલચાલ પૂછે એ હવે નવી ઘટના ગણાય, પણ ચાલુ રહે તેમ પ્રાર્થીએ. અરે, કેટલાકમાં રમૂજવૃત્તિ ખીલી, પ્રાણાયામ અને માઇન્ડફુલનેસનો પ્રચાર વધ્યો એ કંઈ જેવી તેવી સિદ્ધિ છે?

દુનિયાના ઇતિહાસમાં આજ સુધી ઘણા ચેપી રોગચાળાઓ ફેલાયા નોંધાયા છે. ઘણાં યુદ્ધો અને લડાઈઓ બાદ શરણાર્થીઓ અને હારેલી પ્રજાઓ અકથ્ય પીડા, ભૂખમરો અને બેકારી અનુભવી ચુક્યા છે. પરંતુ કોરોના થકી જેટલું આત્મપરીક્ષણ ક્યારે ય થયાનું જાણ્યું નથી. જ્યાં જુઓ ત્યાં ઉચ્ચ વિચારોની આપ-લે, જીવન રીતિ સુધારવાના સૂચનો, કુદરત અને ઈશ્વર-ભગવાન-રબ-ગોડને સમજવાના રસ્તાઓ, માણસની નૈતિક ફરજોની યાદી વગેરે વિષે અવિરત વાતો થાય છે. માનવ આટલો બધો આધ્યાત્મિક ક્યારે થઇ ગયો? શું આપણે કોરોના વાયરસનો આભાર માનવો પડશે? લોકોને એમ કહેતાં સાંભળ્યા છે કે ભગવન તો દિલમાં રહે છે, બહાર ભજવાની શી જરૂર?

હવે જ્યારે કોરોનાનો ઓથાર ઓછો થવાની શક્યતા વધે છે ત્યારે આટલું વિચારીએ. ખરું જુઓ તો જીવન જીવવા બહુ જ થોડી વસ્તુઓની જરૂર છે એ સમજાઈ ગયું, પરંતુ માણસ શું કાયમ માત્ર પાયાની જરૂરતો પર જીવશે? આનંદ-પ્રમોદ, તહેવાર-પ્રસંગોની ઉજવણી વિના જીવન નીરસ બની જાય. તો એ માટે મધ્યમ માર્ગ શોધવો રહ્યો. ફાસ્ટ ફૂડ, તૈયાર ભોજન અને બહુરાષ્ટ્રીય કંપનીના ખોરાક વિના જરૂર ચાલશે તે સ્વીકારવું જરૂરી થશે. એવી જ રીતે પોતપોતાના દેશમાં તેમ જ વિદેશોમાં ફરવા જવું જરૂર, પણ તે માત્ર પ્રકૃતિ દર્શન અને જ્ઞાન પ્રાપ્તિ માટે જવું વ્યાજબી થશે. દેશ-વિદેશ રહેતા કુટુંબીઓને મળવા વારંવાર દોડી જવું અને નોકરીને બહાને પ્લેનની મુસાફરી કરવાનું બંધ કરવું રહ્યું. રાજકારણીઓએ તો ચાર્ટર્ડ પ્લેન કરી બીજા દેશોની મુલાકાતોથી પોતાના દેશવાસીઓને ખાસ કઇં મેળવ્યા-દીધાનું જાણ્યું નથી, તો એ તો સદંતર અટકવું જોઈશે.

બીજી મહત્ત્વની વાત : કપડાં, ઘરેણાં અને બીજી અંગત વસ્તુઓ જરૂર પડ્યે જ ખરીદવી નહીં કે નવરા બેઠા છીએ, સમય પસાર કરવા શોપિંગ સેન્ટરમાં આંટા મારતાં સેલના પાટિયાં ઝૂલતાં જોઈ મન લોભાઈ જાય અને બિન જરૂરી વસ્તુઓ ખરીદીને કબાટો ભરી દઈએ. હવે જીવનમાં નૈતિકતાને સ્થાન આપવું પડશે.

સવાલ થાય કે પોસ્ટ કોરોના યુગમાં આપણી આદતો અને અભિગમ બદલશે? ઘણી મહામારીઓ આવી અને ગઈ, ઘણી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ વેઠી, હવે જો આપણે તેમાંથી કઇં ન શીખીએ તો આ હવે છેલ્લી તક છે આપણી જાતને સલામત અને જીવિત રાખવાની એ શું નહીં સમજાય?

ડેનિશ સંસ્કૃતિ HYGGE – ‘હૂંફાળી ક્ષણો’ ભોગવવા ગમતા લોકો સાથે ગમતી પ્રવૃત્તિઓ કરવાનું શીખવે છે એ આપણે અપનાવીશું? લાગે છે, કુદરત તરફથી આ તાકીદ છે. આપણે ખોટી દિશામાં બહુ ઝડપથી દોડી રહ્યા છીએ. વધુ પડતો ઝડપી વાહનવ્યવહાર અને દૂરસુદૂર આવેલ કામનાં સ્થળોએ કામ કરવાની સંસ્કૃતિએ શું લાભ અપાવ્યો? જરા વિચારીએ. 

નોકરી કરવા જતાં, મુક્ત વિહાર અને આનંદ કરવા જતાં ઉપલી બાબતો સતત ધ્યાનમાં લેતાં રહેશું તો દાયકાને અંતે ‘સબ સલામત’નો નાદ સંભળાશે. કે પછી એક બોર્ડ, જેમાં “ચેતીને ચાલો, નહિ તો હું પાછો આવીશ’ લિ. તમારો દુષ્મન કોરોના” લખેલ હોય તે મૂકવું પડશે?

e.mail : 71abuch@gmail.com

Loading

હિન્દી સિનેમામાં પ્રવાસી શ્રમિકોની સમસ્યા ‘દો બીઘા જમીન’થી આવી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 June 2020

ચાર કલાકની નોટિસ આપીને દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં બેઘર અને બેકાર થઇ ગયેલા હજારો શ્રમિકોની હૃદયદ્રાવક વાતો અને તસ્વીરો તમે જોઈ હશે. ભૂખ્યા-તરસ્યા અને હાથે-પગે ચાલતા શ્રમિકોનું શહેરોમાંથી તેમનાં ગામો તરફનું પલાયન, ૧૯૪૭ના વિભાજન વખતના પલાયનની યાદ આપાવે તેવું હતું. એમાં ઇન્દોર જિલ્લામાંથી પસાર થતા આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી આવેલો એક વીડિઓ (લેખ સાથે તેની તસ્વીર છે) તમે કદાચ જોયો હશે. તેમાં રાહુલ નામનો ૪૦ વર્ષનો એક માણસ, ગાડામાં એક મહિલા અને છોકરાને લાદીને, ખુદ બળદ સાથે જોતરાયો હતો. તેમાં એ બોલતો હતો, "બસો નથી ચાલતી, નહીં તો અમે બસમાં ગયા હોત. મારા પિતા, ભાઈ અને બહેન આગળ ચાલતાં ગયા છે, શું કરીએ? મારી પાસે બે બળદ હતા, પણ ઘરમાં લોટ અને બીજો સમાન ખતમ થઇ ગયો, એટલે ૧૫,૦૦૦ના બળદને ૫,૦૦૦માં વેચી દીધો."

આઈરીશ કવિ અને નાટ્યકાર ઓસ્કાર વાઈલ્ડે ૧૮૮૯માં તેના એક લેખમાં લખ્યું હતું કે, “કળા જીવનની નકલ નથી કરતું, કળાની નકલ જીવન કરે છે.” પશ્ચિમની કળાની તો આપણને ખબર નથી, પણ ભારતીય હિન્દી સિનેમામાં તો એવું બને છે કે જીવનની વાસ્તવિકતાની પડદા પર પ્રતિબિંબિત કરવામાં આવે છે. એવું ના હોત, તો કેવી રીતે શક્ય છે કે ૧૯૫૩માં બિમલ રોયે તેમની ફિલ્મ ‘દો બીઘા જમીન’માં ઘોડાગાડીમાં ઘોડાની જગ્યાએ બલરાજ સહાનીને જોતર્યા હતા!

એ સાચું કે તત્કાલીન કલકત્તામાં કછોટો મારેલા એક્વલડી માણસો ખેંચતા હોય તેવી હાથ-રિક્ષાઓ ૧૩૦ વર્ષથી પ્રચલિત હતી. ૧૮૭૦ના દાયકામાં જાપાનમાં આવી રિક્ષાઓની શરૂઆત થઇ હતી, કલકત્તામાં તેનો પ્રવેશ થયો તે પહેલાં, બંગાળી શેઠો અને જમીનદારો પાલખીમાં ફરતા હતા. પાલખી તેમનું સામાજિક સ્ટેટ્સ હતું. અંગ્રેજો તેમનું વર્ચસ્વ અને સ્ટેટસ સાબિત કરવા હાથ-રિક્ષાઓ લઇ આવ્યા, અને તેના કારણે એક એવો મજદૂર વર્ગ પેદા થયો, જેનો વ્યવસાય જ હાથ-રિક્ષાઓમાં ગોરા સાહેબો અને પછી તો બંગાળી શેઠોને પણ લાવવા-લઇ જવા માટેનો હતો. ૧૯૭૧માં બાંગ્લાદેશ યુદ્ધ થયું, ત્યારે અનેક વિસ્થાપિત બાંગ્લાવાસીઓ અને ગરીબ ભારતીયો આ વ્યવસાયમાં જોતરાયા હતા.

૨૦૦૫માં તત્કાલિન ડાબેરી સરકારે આને માનવીય શોષણ અને ગરિમાનું અપમાન ગણાવીને હાથ-રિક્ષાઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ એમાં રિક્ષા-ચાલકો બેરોજગાર થઇ જશે, તેવા તર્ક સાથે કોલકત્તા હાઈ કોર્ટે આ પ્રતિબંધ ફગાવી દીધો હતો. કોલકત્તામાં આજે પણ ૧૮,૦૦૦ રિક્ષા ખેંચનારા છે. હવે તેનાં નવાં લાયસન્સ આપવાનાં બંધ થઇ ગયાં છે અને મમતા બેનરજીની સરકાર આ રિક્ષાઓમાં બેટરી બેસાડી રહી છે.

‘દો બીઘા જમીન’માં બલરાજ સહાનીની યાતનાના પગલે દેશના પ્રવાસી શ્રમિકોની કરુણ વાસ્તવિકતાને હિન્દી સિનેમામાં સ્થાન મળ્યું. લોકડાઉનના પગલે દિલ્હીમાંથી શ્રમિકોનું પલાયન શરૂ થયું, ત્યારે શાસક પક્ષના એક નેતાએ સવાલ કર્યો હતો, “આ લોકો ઘેર કેમ જાય છે? જ્યાં છે, ત્યાં કેમ નથી રહેતા?” હિન્દી સિનેમામાં દેશના પ્રવાસી શ્રમિકોની કહાનીઓ આવી, તેમાં એ સવાલનો જવાબ હતો: મજબૂરી ના હોય, તો કોઈ ઘર ના છોડે. એક સમય હતો, જયારે હિન્દી સિનેમામાં ‘મજદૂર’ અને ‘કિસાન’ હિરો હતા, અને તે ભારતીય જીવનની અસલિયતને પેશ કરતા હતા.

એમાં ‘દો બીઘા જમીન’ બેંચમાર્ક છે. બિમલ રોયે (પરિણીતા, બિરાજ બહુ, સુજાતા મધુમતી, બંદિની) રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા ‘દુઈ બીઘા જોમી’ પરથી આ ફિલ્મ બનાવી હતી. ૧૯૫૨માં બિમલ રોયે મુંબઈમાં યોજાયેલા પ્રથમ અંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં ‘બાઈસિકલ થીફ’ (સાઇકલ ચોર) નામની ઇટાલિયન ફિલ્મ જોઈ હતી, જેમાં દ્વિતીય મહાયુદ્ધ પછીના રોમમાં એક ગરીબ પિતા તેની ચોરાઈ ગયેલી સાઈકલ શોધે છે, જે ના મળે તો તેની નોકરી જોખમમાં છે. આ ફિલ્મને પરદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર મળ્યો હતો અને તે ઇટાલીના ગરીબ અને કામદાર વર્ગ પરની સૌથી મહાન ફિલ્મ ગણાય છે. તેના પરથી બિમલ રોયને અસલી લોકેશન પર શૂટ થઇ હોય અને શહેરની વાસ્તવિકતા રજૂ કરતી હોય, તેવી હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.

તે વખતે સંગીતકાર સલિલ ચૌધરી બંગાળી ફિલ્મો જ કામ કરતા હતા. તેમણે ટાગોરની કવિતા પરથી ‘રિક્ષાવાલા’ નામની વાર્તા લખી હતી, જેમાં એક બંગાળી ખેડૂત તેની જમીનને બચાવવા કોલકત્તાની સડકો પર પગ ઘસે છે. સલિલ’દા મૃણાલ સેન અને ઋત્વિક ઘટક સાથે મળીને તેના પરથી ફિલ્મ બનાવવાના હતા, પણ ઘટકના મિત્ર બિમલ રોયે આ વાર્તા વાંચી હતી અને તેમણે સલિલ’દા પર એ જ દિવસે ટેલીગ્રામ કરીને આ વાર્તા માગી લીધી હતી, જે દિવસે સલિલ’દાનાં લગ્ન થવાનાં હતાં. સલિલ’દા એ એક શરતે હા પાડી; ફિલ્મનું સંગીત એ કમ્પોઝ કરશે! સલિલ ચૌધરીનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ અ રીતે થયો હતો. (એક આડ વાત : મીના કુમારીની પણ આ પહેલી ફિલ્મ છે. ‘આ રી આ, નિન્દીયા તું આ’ લોરી ગાવા પૂરતી તે એમાં આવે છે.)

ફિલ્મમાં શંભુ (બલરાજ સહાની) બે વીઘા જમીન પર ગર્ભવતી પત્ની પાર્વતી (નિરૂપા રોય), પુત્ર કનૈયા અને બાપ મંગુનું પાલનપોષણ કરે છે. ગામમાં જમીનદાર હરનામ સિંહ (મુરાદ) તેની વિશાળ જમીન પર મિલ લાવે છે. તેમાં વચ્ચે શંભુની જમીન આવે છે. એ જમીન પડાવી લેવા, ઠાકુર શંભુ પર દેવું ચુકવવા દબાણ કરે છે. શંભુ ઘરનો સમાન વેચીને પણ દેવું ચૂકતે કરી શકતો નથી, કારણ કે ઠાકુરના મુંશીએ નકલી કાગળો બનાવીને દેવાની રકમ ૩૫થી વધારીને ૨૩૫ કરી નાખી હોય છે.

મામલો કોર્ટમાં જાય છે અને કોર્ટ પણ ફેસલો આપે છે કે શંભુએ ૩ મહિનામાં રકમ ચૂકવવી પડશે, નહીં તો જમીન વેચીને વસૂલ કરવામાં આવશે. વખનો માર્યો શંભુ તેના દીકરા સાથે કલકત્તા જઈને રિક્ષા ખેંચવાનું કામ શરૂ કરે છે, પણ એમાં ય એની પનોતી બેસે છે. રિક્ષા ચલાવવામાં એ જખ્મી થઇ જાય છે, તેની સગર્ભા પત્ની તેને મળવા શહેર આવે છે અને અકસ્માતનો ભોગ બને છે. તેનો પુત્ર ગરીબીથી ત્રાસીને ચોરી કરે છે. શંભુની કમાણી પત્નીની સારવારમાં જ ખતમ થઇ જાય છે. થાકી-હારીને પરિવાર પાછો ગામ જાય છે, તો જમીન વેચાઈ ગઈ હોય છે અને મિલ બની રહી હોય છે. તેનો બાપ પાગલ થઇને રખડતો હોય છે. છેલ્લે શંભુ તેની જમીનની માટી મુઠ્ઠીમાં ભરે છે, તો ત્યાં બેઠેલો ગાર્ડ એ માટી પણ લઇ લે છે.

બલરાજ સહાનીનો એક્ટર પુત્ર પરીક્ષિત સહાની પિતાના જીવનચરિત્રમાં લખે છે, “રિક્ષા ખેંચનાર શ્રમિકની ભૂમિકા માટે પિતાએ ખૂબ અભ્યાસ કર્યો હતો. એ જોગેશ્વરીમાં દૂધવાળા ભૈયાની વસ્તીમાં ગયા હતા, જ્યાં તેમનું કામ તો જોવા મળે જ, સાથે તેમનો જુસ્સો પણ સમજવા મળે. એ ખેતરમાં જઈને ખેડૂતો સાથે રહ્યા હતા, ઘરે જઈને સાથે જમ્યા હતા. કોલકત્તામાં ફિલ્મનું શુટિંગ થતું હતું, ત્યારે પિતા એક સ્થાનિક રિક્ષા-ચાલકને મળ્યા હતા, જેની વાર્તા પણ શંભુ જેવી જ હતી. બાકી હોય તેમ, રિક્ષા કેવી રીતે ખેંચાય, તે શીખવા માટે તે શહેરના આસ્ફાલ્ટના રોડ પર ખુલ્લા પગે દોડ્યા હતા. એમાં પગમાં ફોલ્લા પડી ગયા હતા.”

તેમની આત્મકથામાં બલરાજ સાહની લખે છે, “જોગેશ્વરીમાં બિહાર અને ઉત્તરપ્રદેશના ભય્યાઓ રહેતા હતા અને દૂધનો ધંધો કરતા હતા. બિમલ રોય સાથે મારી મુલાકાત થઇ, તે પછી હું તબેલાઓમાં જવા લાગ્યો. હું ધ્યાનથી જોતો કે તેઓ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ખાવા બેસે છે, કેવી બોલી બોલે છે અને કેવાં કપડાં પહેરે છે. હું બધું મગજમાં નોંધાતો હતો અને મારી જાતને તેમના સ્થાને કલ્પના કરતો હતો. ‘દો બીઘા જમીન’ની ભૂમિકામાં જે પણ સફળતા મેં મેળવી છે, તે આ ભૈય્યાઓના અભ્યાસને આભારી છે.”

‘દો બીઘા જમીન’ ડીરેક્ટર બિમલ રોયને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી ગઈ અને બલરાજ સહાનીને એક દમદાર અભિનેતા તરીકે સાબિત કરી ગઈ. ફિલ્મફેરમાં જે બેસ્ટ ફિલ્મની કેટેગરી છે, તે જીતનારી આ પહેલી ફિલ્મ છે. બલરાજ સહાની સામ્યવાદી હતા અને કાર્લ માર્ક્સને ‘ગુરુ’ માનતા હતા. રોજી-રોટી માટે એ ફિલ્મોમાં આવેલા, પણ તેમાં ય તેમણે તેમનો માનવતાવાદી અભિગમ જાળવી રાખ્યો હતો. ફિલ્મોમાં અને ફિલ્મો બહાર તે એક આદર્શ જીવન જીવતા હતા અને ગરીબોના અન્યાય સામે અવાજ ઉઠાવતા હતા.

તે આમ લોકો વચ્ચે જીવતા હતા. તે જવાહરલાલ નહેરુ અને અન્ય અનેક નેતાઓના અંગત મિત્ર હતા અને તેમની સાથે પ્રજાની મુશ્કેલીઓ અંગે ચર્ચા કરતા રહેતા હતા. વિભાજનમાં તે રાવલપિંડીથી કોલકત્તા આવ્યા હતા અને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાં તે અંગ્રેજી ભણાવતા હતા અને તેમની પત્ની હિન્દી ભણાવતી હતી. થોડો વખત તેમણે ગાંધીજી સાથે પણ કામ કરેલું પણ પછી સામ્યવાદી બની ગયા. ૧૯૪૭માં તેમની પત્નીના અવસાન પછી તો તેમણે સમાજ સેવામાં જ ઝંપલાવી દીધું હતું.

એ સમયે બંગાળમાં ભયાનક દુકાળ પડ્યો હતો અને સાહની સાધારણ લોકોની વિપદાને સિનેમાના માધ્યમથી બતાવવા માંગતા હતા. ‘દો બીઘા જમીન’ (અને ‘ધરતી કે લાલ’) જેવી ફિલ્મો કરવા પાછળનું આ મુખ્ય કારણ હતું. તે માનવધિકાર માટે અંદોલનો કરતા હતા અને સરકારની ટીકા પણ કરતા હતા.

૧૯૭૨માં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ મુખ્ય મહેમાન તરીકે બલરાજ સાહનીએ એક અવિસ્મરણીય પ્રવચન આપ્યું હતું. તેમાં એમણે કહ્યું હતું, “જવાહરલાલ નહેરુએ તેમની આત્મકથામાં સ્વીકાર કર્યો છે કે દેશની આઝાદીની લડાઈમાં શરૂઆતથી જ મૂડીવાદી વર્ગનું વર્ચસ્વ રહ્યું છે. એટલે સ્વાભાવિક જ હતું કે આઝાદી પછી આ વર્ગનું શાસન અને સમાજ પર વર્ચસ્વ હોય. આજે કોઈ એ વાતનો ઇનકાર ના કરી શકે કે પાછલા ૨૫ વર્ષથી મૂડીવાદી વર્ગ દિન-પ્રતિદિન વધુ ધનવાન અને શક્તિશાળી બન્યો છે, જ્યારે શ્રમિક-ખેડૂત વર્ગ વધુ લાચાર અને પરેશાન.

“પંડિત નહેરુ આ સ્થિતિને બદલવા માંગતા હતા, પણ ના બદલી શક્યા. સંજોગોથી એ મજબૂર હતા. આજે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં સરકાર આ સ્થિતિને બદલવાની વાતો કરે છે. એ કેટલી સફળ થશે, તે કહી ના શકાય. ન તો મારે એ ચર્ચામાં પડવું છે. રાજકારણ મારો વિષય નથી. માત્ર એટલું જ કહેવું ઘણું છે કે જે રીતે હિન્દુસ્તાનમાં અંગ્રેજોની હુકુમત પર અંગ્રેજી મૂડીવાદીઓનો દબદબો હતો, એવી જ રીતે આજે દેશની હુકુમત પર મૂડીવાદીઓનો પ્રભાવ છે.”

કદાચ આ જ કારણ છે કે ઇન્દોર-આગ્રા હાઈવે પર રાહુલે બળદગાળામાં બળદની જેમ જોતરાવું પડ્યું હતું.

પ્રગટ : ‘બ્લોકબસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 જૂન 2020

Loading

તાપી : મારે રૂંવે રૂંવે છે વ્યાપી

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 June 2020

તાપીના જન્મદિવસ નિમિત્તે

એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે ગંગાનું પુણ્ય તેમાં સ્નાન કરવાથી ને યમુનાનું પુણ્ય તેનું પાન કરવાથી મળે છે અને મઝાની વાત એ છે કે એટલું જ પુણ્ય નર્મદાનાં દર્શન માત્રથી મળે છે, પણ તાપીનો મહિમા અધિક છે, એનાં તો સ્મરણ માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

આમ પણ સંસ્કૃતિઓ નદીકાંઠે વિકસી છે. નદી, સંસ્કૃતિની સદી છે. સદી જ નહીં, સદીઓ. તેમાં તાપી એટલે તો સંજીવની. આખી તાપ્તી રેલવે લાઈન નદીના ખીણ પ્રદેશને સૂચવે છે. સૂરત, સોનાની મૂરત તાપીને કારણે છે. નર્મદ, નંદશંકર, નવલરામ – ત્રણે તાપીનું વરદાન. અર્વાચીનોમાં આદ્ય નર્મદ તો હોડીમાં બેસીને સામે પાર ભણાવવા પણ જતો. તાપી કાંઠે જ બળેવનો ત્રણ દિવસનો મેળો ભરાતો. પછી એ તહેવાર બે દિવસનો થયો કારણ ૧૯૩૮માં હોડી ઊંધી વળી ગયેલી ને ઘણાનાં મરણ થયેલાં. નાનપરા બાગના કાંઠેથી હોડી હજી તો થોડે દૂર જ ગઈ હતી ને ૮૦ જીવોએ જળસમાધિ લઇ લીધી હતી. એ ગોઝારી ઘટના પછી ઉજવણી એક દિવસ ઘટી … પછી તો બે દિવસની ઉજવણી પણ ગઈ ને આજે તો એ ટ્રાફિકથી ધમધમતો ચોકનો વિસ્તાર છે, ગમ્મતમાં એમ પણ કહેવાય કે અહીંની ચહેલપહેલ બારે માસ ઉજવાતા તહેવાર જેવી હોય છે. સૂરતમાં તો તહેવાર એ જ વહેવાર છે.

એક કાળે અહીં ચોર્યાસી બંદરના વાવટા ફરકતા. હજ યાત્રીઓ અહીંના મકાઈ પુલથી હજ પઢવા જતા ને એને જ કાંઠે ખુદાવંદ ખાને  કિલ્લો ૧૫૪૦-૪૧માં બનાવ્યો. કિલ્લાની ફરતે ૬૦ ફૂટ પહોળી ખાઈ હતી. બાંધકામ એવું મજબૂત કે ફિરંગીઓ પણ તેને ભેદી ન શક્યા. એમાં જે પથ્થરો હતા તેને લોખંડના પાટાથી જડેલા હતા ને તેની સાંધમાં સીસું પૂરેલું હતું. ને હવે નવા રૂપે રંગે તાપી કાંઠે એ જ કિલ્લો ફરી અડીખમ ઊભો છે.

તાપીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમ છે. આખું નગર તે દિવસે તાપીને ચૂંદડી ઓઢાડીને તેનું નારીત્વ પૂજે છે. તાપીનું મૂળ નામ તપતી છે. તે સૂર્યની પુત્રી છે. આ સૂર્યપુત્રી સૂર્યદેહા, પયોષ્ણા, સત્યા, શ્યામા, કપિલા, સાવિત્રી, અમૃતસ્યન્દીની, તિગ્મા જેવા બાવીસ નામે ઓળખાય છે. સૂર્યને બે પત્ની હતી, સંજ્ઞા અને છાયા. સંજ્ઞાના સંતાનો તે યમ અને યમુના, તો છાયાના સંતાનો તે સાવર્ણીમનુ, શનિશ્વર અને તપતી.

યમુના ને તપતી વચ્ચે એક વખત વિવાદ થયો ને બંને એ એકબીજાને પૃથ્વી પર પડવાનો શાપ દીધો બસ! ત્યારથી બંને ધરતી પર વહે છે. તાપીનું લગ્ન સંવરણ રાજા સાથે થયું, તે વારિતાપ્યમાં. ના સમજાયું? અરે ભઈ, આજનું વરિયાવ તે જ વારિતાપ્ય! કહેવાય છે કે તાપીના લગ્ન થયાં તે ચોરી પણ હજી છે. સંવરણનું મંદિર પણ છે, સંવરણના સમયનું સૂર્યપૂર તે સૂરત. સંજ્ઞાનું નામ રાંદલ પણ છે ને રન્નાદે પણ. આ રન્નાદે પરથી રાંદેર થયું. અણબનાવ પતિ પત્ની વચ્ચે ન થાય તો એ પતિ-પત્ની જ નહીં! સૂર્ય અને રન્નાદે વચ્ચે પણ અણબનાવ થયો. વાત એમ હતી કે રન્નાદેથી પતિનો તાપ જીરવાતો ન હતો. કઈ પત્નીથી જીરવાયો છે? જ્યારે આ તો સૂર્ય! જીરવાય? રન્નાએ પોતાને બદલે પોતાની પ્રતિકૃતિ મૂકી ને પછી પિયર ચાલી ગઈ. પણ છલના અલ્પજીવી હોય છે. સૂર્યનારાયણ તો પ્રચંડ પ્રકાશ! છળ પકડાઈ ગયું. રન્નાદેએ ક્ષમા માંગી. પણ સૂર્યને જ છાયા નથી, ત્યાં ‘છાયા’ ટકે તો પણ કેટલુંક? સૂર્યે શાપ દીધો – તારો જન્મ પશુ યોનિમાં થાવ! શાપ દેતા તો દેવાઈ ગયો, પછી સૂર્યને પસ્તાવો થયો. પણ રન્નાદે જન્મી ઘોડી તરીકે ને સૂર્યે પણ પ્રાયશ્ચિતરૂપે અશ્વ બનવાનું સ્વીકાર્યું. એના પુત્રો તે અશ્વિનીકુમારો. અશ્વિનીકુમાર તે આજનું તાપી તટનું પવિત્ર તીર્થ.

પુરાણમાં ડોકિયું કરીએ તો એમ કહેવાય છે કે તાપી હિમાલયના આક્રમણ કાળે પ્રગટી. એ સાચું હોય તો તાપી જન્મી તેના યુગો પછી ગંગા, સરસ્વતી પ્રગટ થઇ. એ હિસાબે તો તાપી ગંગા નર્મદા પહેલાંની નદી ગણાય. એ વાત સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ માલપ્રદેશની વાત સ્વીકારવી પડે એમ છે. મધ્યપ્રાન્તનાં બૈતલ પરગણામાં મુલતઈ એ તાપીનું ઉદ્ભવ સ્થાન છે. ત્યાં એ ઝરણા રૂપે ઊછળે છે. મધ્યપ્રાંત ૧૫૦ માઈલનો છે. એમાં થઈને તાપી વહે છે. એની એક બાજુએ વરાડ છે ને બીજી બાજુએ છે બુરહાનપુર. ત્યાંથી નીચે એ પાન દેશમાં પ્રવેશે છે અહીં એને વાઘર ને બીજી નદી મળે છે. ત્યાંથી લગભગ ૨૩૦ માઈલ ડુંગરોમાંથી વહીને તાપી ગુજરાતમાં પ્રવેશે છે. તાપીની વિશેષતા એ છે કે તેના મૂળ પ્રદેશમાં નહીં, પણ મુખ પ્રદેશમાં સંસ્કૃતિ વિકસી છે. એનું કારણ પણ છે. મૂળ પ્રદેશમાં એટલી પર્વતમાળાઓ ને અરણ્યો છે કે ત્યાં માનવ વસવાટ મુશ્કેલ હતો. જો પ્રાગૈતિહાસિક કાળની વાત કરીએ તો મૂલતઈની ઉત્તરે ખાંડવવન હતું. એમાં હૈહેયનામની આક્રમક જાતિ હતી. હવે એનો સામનો કરવો ને અરણ્ય ને પર્વતો વચ્ચે વસવું સહેલું ન જ હોય … બન્યું એવું કે તાપીના મુખપ્રદેશમાં બંદરો વિકસ્યાંને બહારની આક્રમક જાતિએ અધિકાર જમાવવા આદિવાસી જાતિઓને મૂળ તરફ ધકેલી. હવે સમજાય છે કે આદિવાસીઓ અરણ્યોમાં જ કેમ વિકસ્યા?

તાપીના મૂળપ્રદેશમાં સૌથી આદિ સંસ્કૃતિ દસ્યુઓની હતી. આર્યો તો તે પછી આવ્યા. મૂળપ્રદેશમાં નાગપૂજા, લિંગપૂજા અને શક્તિપૂજા થતી રહી. ભૈરવ, કામાપુરી, માંડવી, બહુધન અને તથમ્બુર જેવાં ૧૦૮ જેટલાં તીર્થસ્થાનો તાપી ધરાવે છે. કામાપુરી એટલે કામરેજ ને તથમ્બુર એટલે આજનું બગુમરા.

તાપી ડુમસના દરિયામાં મળે છે. જો કે દરિયો તો ડુમસમાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઊંચો આવતો જાય છે. થોડાં વર્ષો પર દરિયો ઘરોમાં ને કબ્રસ્તાનમાંયે ઘૂસી આવેલો. એક સમય હતો કે ભરતી દરિયાથી ૩૨ માઈલ દૂર વાઘેચા સુધી જતી. ને ડુમસની તો વાત જ જવા દો, જૂના કાળમાં તો નદી વરિયાવમાં જ સમુદ્રને મળતી હતી. વરિયાવના પાણી તે વખતે ખારાં જ રહ્યાં હશે. વરિયાવ આગળ બહુ તાણ ન હોય તો લોકો પગે ચાલીને પણ તાપી પાર જતાં. પણ તાપી બંને કાંઠે વહી છે તે યાદ રાખવું ઘટે. એટલે તો હોપપુલ બંધાયો. એ ‘હોપ’નું પરિણામ છે. એની લંબાઈ ૧,૭૦૦ ફૂટ હતી ને એને જનતા માટે ૧૮૭૭માં ખુલ્લો મુકાયો ને આજે ય ‘ખુલ્લો’મૂકાયા જેવું જ છે.

તાપીની વાત કરીએ તો કંતારેશ્વર મહાદેવને ન ભૂલાય. એ બહુ પ્રાચીન મંદિર છે. ૧૯૭૬માં એનો જીર્ણોદ્ધાર થયો. એમાં સાત અશ્વોવાળા રથ પર પદ્માસનમાં આરૂઢ સૂર્યનું શિલ્પ પણ છે. પૌરાણિક કાળમાં આ સ્થળ ભાનુક્ષેત્ર તરીકે ઓળખાતું. અહીં કપિલમુનિએ આકરું તપ કરીને સૂર્યને પ્રસન્ન કર્યા ને તેમની પાસેથી વરદાન માંગ્યું : આપ સહકુટુંબ આવી અહીં વસવાટ કરો. એને પરિણામે સૂર્ય ને તાપી અહીં છે. એમ કહેવાય છે કે તાપીનો પ્રવાહ એક કાળે મંદિરની બંને બાજુએથી વહેતો હતો. તાપીની ખાસિયત એ રહી છે કે તે કાંઠા બદલતી રહી છે. રાંદેર તરફની જમીન ડુબાણમાં ગઈ કારણ તેનો પશ્ચિમ તરફનો ઘસારો વધ્યો. એ જ કારણ છે કે ઉમરકાંઠાનું રામનાથ ઘેલાનું મંદિર પણ માંડ બચ્યું છે.

સૂરતની તવારીખ ૧૨મી સદીના ઉત્તરાર્ધથી. વિસ્તાર ત્યારે ૨૫ ચોરસ કિલોમીટર. એ તો કિલ્લો બંધાયો ને સૂરત વિકસ્યું. ૧૮૫૨માં સુધરાઈની સ્થાપના થઇ. રેલવે આવી તે પહેલાં મુંબઈ માટે જળમાર્ગ જ હતો. એ જમાનાના  સૂરતના ભાવ જાણવા છે? ૧૮૩૧માં ઘી ૧૬ રૂપિયે મણ હતું. આજે કોઈ ઘી બતાવવાના ૧૬ રૂપિયા લે તો નવાઈ નહીં. સૂરત રેલ, આગ ને લૂંટને કારણે પાયમાલ થયું. સૂરત સોનાની મૂરત મટીને રોતી સૂરત થયું. પણ એ લહેરી તો આજે ય છે. આજે તો સૂરત મિની ભારતની ગરજ સારે છે. સૂરત મોજીલું છે ને કોઈ પણ પ્રજાને આવકારતું આવ્યું છે. તે સિલ્કસિટી, ડાયમંડસિટી અને ટેક્સટાઈલસિટી તરીકે વિશ્વમાં જાણીતું છે. ૧ ઓક્ટોબર, ૧૯૬૬થી નગરપાલિકા, મહાનગરપાલિકા થઇ છે. તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળ્યું છે. આજે તેની હદ ૧૫૦ ચો.કિ.મી.થી વધી છે. જમણ તો સૂરતનું જ – એ વાત આજે ય જૂની નથી થઇ. આજે તો એટલા ઓવરબ્રિજ છે કે તે ઓવરબ્રિજનું મહાનગર પણ કહેવાય છે. વિયર કમ કોઝ વે, બંધ ને નહેરના લાભો સૂરતને મળ્યા છે, તો ગુનાખોરી પણ વધી છે. તાપીનું જળ પ્રદૂષિત થયું છે. કારખાનાઓનું ને ઉદ્યોગોનું ગંદુ પાણી તાપી પીએ છે ને આપણે ઈચ્છીએ છીએ કે તે આપણને શુદ્ધ પાણી આપે. છે ને કમાલ! તે અણુકચરા ને સાયનાઈડનું જોખમ વહોરીને જીવે છે. વિકાસને નામે વિનાશની દિશા પણ આપણે પકડી છે. ૨૦૦૬ની મહાવિનાશક રેલે સૂરતને ખતમ કરી નાખ્યું હતું. પણ સૂરતીઓ રાખમાંથી પાંખ બનાવીને ઉડવાનો મિજાજ ધરાવે છે.

તાપીને રેલની નવાઈ નથી. ૧૮૮૩, ૨૦૦૬ને એવી તો ઘણી સાલ તાપીએ સૂરતીઓને આંગણે આવીને ધમકાવ્યા છે. ૧૯૩૮માં હોડી ડૂબાડી શકે એટલું પાણી હતું ને આજે હોડી ફરી શકે એટલું પાણી ય જડતું નથી. આપણે સૂરતને શાંઘાઈ ને સિંગાપોર ને વર્લ્ડ ક્લાસ સિટી કરવા જઈ રહ્યા છીએ, બીજી તરફ તાપીના પટમાંથી રેતી ઉલેચવાનું બંધ થતું નથી. વિચારીએ કે તાપી વગરનું સૂરત ચાલવાનું છે?સાબરમતી કોરી હતી તેને છલકાતી કરી ને તાપી છલકાતી હતી તે કોરી થઇ રહી છે એની ચિંતા નથી. આ બરાબર નથી. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રકૃતિ મનુષ્ય માટે છે, મનુષ્ય પ્રકૃતિ માટે નથી. પ્રકૃતિનો દુરુપયોગ થશે તો મનુષ્યનો સદુપયોગ નહીં થાય. એટલું ધ્યાન રાખીએ કે પર્વતો પાસે એટલો બરફ તો છે જ કે … વિનાશ માટે અણુબોમ્બ સુધી જવાની ય જરૂર નહીં રહે. સુનામીને તેડીશું તો નનામીઓ જ વધશે. જળ જીવન છે, તો જળ મૃત્યુ પણ છે. તાપીને રૂંવે રૂંવેથી તોડવાં કરતાં તાપીને રૂંવે રૂંવે આત્મસાત કરીએ. અસ્તુ.   

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...2,3302,3312,3322,333...2,3402,3502,360...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved