Opinion Magazine
Number of visits: 9663925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ, આજે (૨૮) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|28 June 2025

સુમન શાહ

આજે માણસ એકને નહીં પણ અનેકને એક રીતે નહીં પણ અનેકશ: અનુભવી રહ્યો છે. બહુમુખી અને બહુવચનીય સમયમાં જીવી રહ્યો છે. એ પ્રવર્તમાન યુગસ્પન્દન વિશે વિચારવું જરૂરી છે. 

જુઓ, માણસોને હવે બધી વસ્તુઓ સરખે સરખી લાગે છે. ગૉળ-ખૉળનો ભેદ નથી રહ્યો. સારું-નરસું લીલું-સૂકું નિરર્થક-સાર્થક સાચ-જૂઠ ધર્મ-અધર્મ, નીતિ-અનીતિ બધું બરાબર છે એ ભાવ વિકસી રહ્યો છે. એ ભાવ ભેદકતાનાશક હોત તો આવકાર્ય ગણાત, પણ આ તો વિશિષ્ટતાનાશક છે. નીવડેલા સાહિત્યકાર અને નવોદિત સાહિત્યકાર વચ્ચે ભેદ ન કરીએ, ન જ કરીએ, પણ નીવડેલાની સૃષ્ટિની સાહિત્યિક ગુણવત્તાને મામુલી લેખીએ એ સામાન્યીકરણ સારી વાત નથી. કોઈક સાહિત્યકાર રોજ સવારે ગુજરાતી ભાષા-સાહિત્યના પરિદૃશ્ય વિશે ચિન્તા વ્યક્ત કરતો હોય એને જગન્નાથની અવસ્થામાં પોઢેલા સાહિત્યકારની સુખનિદ્રા સાથે ન સરખાવાય.

વિશિષ્ટતાનાશ અને સૌ-સરખાવાદ બહુ ઝડપથી પ્રસરી રહ્યા છે. એ કશી નીરસતા નથી પણ દરેકને વિશિષ્ટ નહીં પણ બધાને સામાન્ય ગણનારો અવળા મોઢે વિકસી રહેલો આવિષ્કાર છે. એનાં અનેક કારણો છે : મોટું કારણ તો માહિતીની ભરપૂરતા. hiper-normalization. એ ભરપૂરતામાં ખરા-ખોટાની જાળવણી ન પણ થતી હોય, એમાં સમીક્ષાત્મક વિશ્લેષણ પણ ન થતું હોય – કોણ કરે? 

એટલે, વિજ્ઞાન જેને sensory overload કહે છે એ પ્રભવે છે. માહિતીએ જનમાવેલા વિવિધ ઇન્દ્રિયબોધોના – sensory inputsના – ચિત્ત અર્થ કરવા જાય, એને પ્રક્રિયામાં ઢાળવા મથે, પણ એક સાથે શી રીતે વૅંઢારી શકે? જુઓ ને, માણસ નિરાંતે 

શ્રેયા ઘોષાલને સાંભળતો હોય પણ વાહનોનું ભૉંભૉં-ચીચી, જોડે કૂતરાંનું ભસંભસા, વળી અમિતાભ બચ્ચન, વળી રાજકારણીઓ, અને વળી ભાડૂતી પત્રકારોએ મચાવેલો ઘૉંઘાટ! ભાષિક કે બિનભાષિક બધા જ સંકેતો અને પ્રકાશ ટોળાં ગન્ધ-દુર્ગન્ધ કે સામે ઘેર શેકાતો શીરો – એ સૌ, માણસના મગજને તાકીને બેઠાં હોય છે.

આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વગેરે સોશ્યલ મીડિયા અતિશયિત બહુવચનીય વાતાવરણ છે. દૃષ્ટિબિન્દુઓ કે માત્ર બિન્દુઓ, કાવતરાં કે કાવતરાંખોર વાતો, સુબોધીનાં કે અબુધનાં મન્તવ્યો, ચાલુ રાજકારણ વિશેના સાચા કે ખોટા બળાપા, વગેરે બધું જ સોશ્યલ ગણાય છે, એટલું જ નહીં, સાથે સાથે હોય છે. ડાહ્યા જનો કહેતા હોય છે કે વિવેક વાપરવાનો. એ ખરું પણ રજનીશની રીલ જોડે જાતીય પ્રદર્શન કરતી યુવતીની રીલ ડોકાય ત્યારે વિવેક બચારો ચૂપ થઈ જવાનો. કેટલા બધા લોકો સ્વસ્થ સુખી સમૃદ્ધ જીવન જીવવા વિશેના બોધ પીરસે છે – મને તો થાય, જાણે મને જીવન જીવતાં આવડતું જ નથી! તીવ્ર સમીક્ષા અર્પે એ નિપુણતાના ભરપૂર અભાવમાં આ દિશાહીન બહુવચનવાદ વકરી રહ્યો છે. 

સાહિત્યવિષયક કે જીવનવિષયક સાચો કે ખોટો વિચાર, ખરું કે ખોટું મન્તવ્ય કે કોઈપણ બાબત, એના નાણાકીય કે માનસિક ક્રયવિક્રય માટે ઊંચામાં ઊંચો અવાજ ઊભો કરી આપતાં સંખ્યાબંધ પ્લૅટફૉર્મ્સ, અને AI જેવી અતિ વિકસિત ટૅક્નોલૉજિનાં ઉપકરણોનો આ બહુવચનવાદના વિકાસમાં મોટો ફાળો છે. 

હવે નમ્બર્સનો મહિમા છે. મને મળેલા likesના Kથી હું ઊંચેરો બુદ્ધિવાન લાગું છું. મારા Facebook friends અને followersના આંકડાથી મારી મહાનતા નક્કી થાય છે. હું અનેક લોકોને એકઠા કરી શકું, મોટી મોટી સભાઓ ગજવી શકું, લોકને નચવી શકું, તો એ મારી રાજકીય કુનેહ ગણાય છે. રાજકારણે રાજનીતિનો અર્થ ભૂંસી નાખ્યો છે.

હવે રીયલનું સ્થાન વર્ચ્યુઅલે લીધું છે એમ ન કહો; એમ કહો કે વર્ચ્યુઅલ એના પ્રભાવે કરીને રીયલ લાગે છે. બૉદ્રિલાર્ડે simulacra વિભાવના વડે જણાવેલું કે મૂળ વિનાની નકલો થશે; પણ તેઓ હોત તો કહેત કે હવે તો નકલો જ મૂળ છે. AIએ સરજેલા personas, ચમકદમક સાથે રજૂ કરાતાં રાજનેતાઓનાં કે ઉદ્યોગપતિઓનાં વ્યક્તિ-ચિત્રો, સિનેમા ઍક્ટર્સ, અને રમતવીરોની યશગાથાઓને કારણે એક ચડિયાતા સમાજનું નિર્માણ થયું છે. પરિણામે, દેખીતી રીતે પણ અન્ય સામાજિક વર્ગો – અઢળક પ્રજાજનો – ડઘાયેલા અને રાંક દીસે છે.

એટલે વિચારણીય મુદ્દા ખૂણે હડસેલાઇ ગયા છે : લોકશાસન છે તો એ કયા વેશે છે, સર્વોચ્ચ છે તો એના નિર્ણયોની સમીક્ષા ક્યાં છે? ચાલુ યુદ્ધોમાં વિશ્વમાં રોજ મનુષ્યો મરે છે. દીવાળીની હવાઇઓની જેમ સામસામે જીવલેણ મિસાઇલો છોડાઇ રહી છે. એ તે કેવા પ્રકારની રાજનીતિનું ફળ છે? વગેરે વિશે બૌદ્ધિકો ભાગ્યે જ બોલે છે. 

કોઈપણ સિસ્ટમના સિદ્ધાન્તોનું મૂલ્ય ન જળવાતું હોય ત્યારે એ સિસ્ટમનું બીજું રૂપ પ્રગટી ચૂક્યું હોય છે, એ દેખાવું જોઇએ, પણ જવલ્લે જ દેખાય છે. હું એ કહેવા માગું છું કે લોકશાહીના ઝભ્ભા હેઠળ વિકસી રહેલી આપખુદશાહી દેખાય છે -? રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રકલ્યાણને નામે યુદ્ધો લગી પ્હૉંચી ગયેલા geopoliticsની અમાનુષી ચાલ પરખાય છે?

પણ હવે યુદ્ધો આપણને સદવા માંડ્યાં છે. લોકો બોલતા હોય છે – એ તો ચાલ્યા કરે, આપણે શું! કુદરતી આફતો કોરોના પછી સામાન્ય લાગવા માંડી છે. રોજિંદા જીવનની આ નવ્ય ગતિ કોઈપણ કટોકટીનું સામાન્યીકરણ કરી આપશે. પણ એ સાથે નૉંધવું જોઈશે કે સંવેદનશીલતા પ્રેમ કે કરુણા જેવી મનુષ્યજીવનની ચાલકનિયામક ચીજોને જડતા વળગવા લાગી છે. એટલે પછી, આ પરિદૃશ્ય સામે પ્રકોપ અનુકમ્પા કે આમૂળ ક્રાન્તિ માટેનું બળ માણસ ક્યાંથી લાવવાનો’તો?  

આ નવ્ય ઉચ્ચાવચતાયુક્ત ઑર્ડર અને રીયલ પર વર્ચ્યુઅલની સરસાઈને બહુવચનવાદ નષ્ટ નહીં કરી શકે બલકે એનાં અવનવાં રૂપો સરજી આપશે.

ખરો સવાલ એ છે કે માણસના વાસ્તવિક અનુભવનું શું -? એક આશા છે, સાહિત્ય અને અન્ય કલાઓ. એ દિશાએથી એક વિધાયક બહુવચનવાદી સમાજનું તેમ જ યુગસ્પન્દનનું સર્જન કે એથી સંતુલન અશક્ય નથી. કેમ કે કલાઓ વર્ગો કે જૂથોને નહીં પરન્તુ ધરતી પરનાં સૌ મનુષ્યોને જોડે છે. એને સરહદો રાજકારણ કે પ્રગતિશીલ ટૅક્નોલૉજિ હરાવી શકતાં નથી.  

પણ સાહિત્યકારો અને કલાકારો જ હારી ગયા હશે, તો?

= = = 

(270625USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમૃતા પ્રીતમ : સમયને પાછળ રાખીને ચાલતી ભારતીય લેખિકા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 June 2025

રવીન્દ્ર પારેખ

વિદેશમાં સિમોન-દ-બોવારેએ ‘સેકન્ડ સેક્સ’ દ્વારા સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતાનો સંકેત આપ્યો. એ ખરું કે સ્ત્રી બીજા નંબરની નાગરિક જ રહી છે ને એમાં આજ સુધી બહુ ફરક નથી પડ્યો. એવો ઊહાપોહ ભારતમાં કોઈ એક લેખિકાએ જગાવ્યો હોય, તો તે પંજાબની અમૃતા પ્રીતમે –

બ્રિટનના ગુજરાંવાલામાં 31 ઓગસ્ટ, 1919માં જન્મેલી અમૃતા, રાજ બીબી અને નંદની દીકરી બની. રાજ બીબી ગુજરાતની હતી. પિતા નંદ, દયાળજીના ડેરામાં ‘બાલકા સાધુ’ તરીકે જાણીતા હતા. એમની કવિતા સાંભળતાં રાજ બીબી ખેંચાઈ ને દયાળજીએ નંદને કહ્યું કે ‘જોગ’ તારે માટે નથી, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર. અમૃતા મોટી થતી ગઈ તેમ તેમ પિતા નંદના ધાર્મિક પ્રભાવની બહાર હઠપૂર્વક રહેતી થઈ. તે સ્વપ્નશીલ હતી, તો કલ્પનાશીલ પણ ખરી. તેનું મોટા ભાગનું સર્જન એક પ્રકારના અભિનિવેશનું પરિણામ છે.

અમૃતાએ ‘રસીદી ટિકટ’ આત્મકથા પંજાબીમાં લખી. તે પછી તેનો હિન્દી, ગુજરાતીમાં પણ અનુવાદ થયો. અમૃતા અને ખુશવંતસિંહ મિત્રો હતા. આત્મકથા સંદર્ભે તેમણે અમૃતાને ટકોર કરેલી કે તારે આત્મકથામાં વધારે તો શું કહેવાનું હોય ! એ તો રેવન્યૂ સ્ટેમ્પ જેટલી જગ્યામાં પણ આવી જાય. એ પરથી આત્મકથાનું નામ રેવન્યૂ સ્ટેમ્પ / રસીદી ટિકટ રખાયું. આત્મકથા પત્ર, ડાયરી સ્વરૂપે, તો ક્યાંક કાવ્ય અને તેના અનુવાદ તરીકે પણ ગતિ સાધે છે. અનુવાદ પંજાબીનુમા હિન્દીમાં છે એટલે પંજાબીની છાંટ વર્તાય છે. તેનું ગદ્ય સોંસરું, વેધક અને કાવ્યાત્મક છે.

સાહિર લુધિયાન્વી અને અમૃતા પ્રીતમ

અમૃતાએ કવિતાઓ, વાર્તાઓ, નવલકથા, નિબંધ … નાં સોએક પુસ્તકો લખ્યાં ને ઘણાંના હિન્દી, અંગ્રેજી, ગુજરાતીમાં અનુવાદો પણ થયા. તેની નવલકથા, ’પિંજર’ પરથી એવોર્ડ વિનિંગ ફિલ્મ બની. એ ઉપરાંત ‘ડાકુ’, ‘કાદંબરી’ જેવી ફિલ્મો પણ તેની કૃતિઓ પરથી બની છે. તેનો વિરોધ પંજાબમાં વધારે થયો, પણ પંજાબની બહાર તે વખણાઈ, વંચાઈ વધારે. આ જીવ જન્મજાત અજંપ જ રહ્યો. એ સમયના પંજાબમાં ધર્મ અને હિંસાનો એવો પ્રભાવ હતો કે તેની બહાર વિચારનાર-વર્તનારને માથે માછલાં જ ધોવાતાં. તેણે આસપાસના જગતના એટલા પ્રતિબંધો, નકાર ને વિરોધ અનુભવ્યા કે શ્વાસોમાં આગ લાગી જતી. જાણનાર તો ટીકા કરતાં જ, પણ ન જાણનાર પણ કરતાં. સ્ત્રીઓની સ્થિતિનો તેણે લેખનથી એવો પડઘો પાડ્યો કે દેશ આખામાં સંભળાયો.

તેનાં સર્જનથી તે વિવાદોમાં રહી જ, પણ વધુ ચર્ચામાં તો તે પ્રેમ અને લગ્નને મામલે રહી. ઘણા કવિઓ, અફસરો તેનાં તરફ ખેંચાયા. લાહોર રેડિયોના એક અફસરે તો તેને ત્યાં સુધી કહ્યું કે મેં તમને થોડાં વર્ષ પર જોયા હોતે, તો હું મુસલમાનથી શીખ થઈ ગયો હોત કે તમે શીખથી મુસલમાન થઈ ગયાં હોત ! એક સાપ્તાહિકના સંપાદકે તો એમ કહ્યું કે ભાગલા ને અપમૃત્યુ એટલે થયાં કે અમૃતાએ તેમની મૈત્રી નકારી. ભાગલા વિષે અમૃતાએ લખ્યું છે કે તેણે લાશો જોઈ હતી ને લાશો જેવા માણસો જોયા હતા. એ કત્લેઆમ પરથી જ તેણે હીરને માટે લખનાર વારિસ શાહને કવિતામાં પૂછ્યું કે પંજાબની એક દીકરી રડી તો લાંબી દાસ્તાન લખી, આજે લાખો દીકરીઓ રડી રહી છે, તો કબરમાંથી બોલો ને જુઓ કે ચિનાબ લોહીથી છલકાઈ ઊઠી છે.

અમૃતાનાં લગ્ન તો થયાં, સંતાનો પણ થયાં, પણ લગ્ન ટક્યાં નહીં. તે પછી એક શાયર ને હિન્દી ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવીનો અમૃતાની જિંદગીમાં પ્રવેશ થયો. સાહિર અને અમૃતા એકબીજાના પરિચયમાં ભાગલા પહેલાંથી હતાં. સાહિર પહેલીવાર ઘરે આવે છે તો અમૃતા કહે છે, ‘ મેરી દહલીજોં ને પહલી બાર ઇસકે કદમ છુએ ..’ સાહિરને મળવામાં ઘણીવાર તો મહિનાઓ વીતી જતા ને કોઈ વાર આવી ચડતો તો લાગતું, ‘મારી કાળી રાતો પણ સપનાનાં કદમો નીચે ચાંદની બિછાવી’ રહી છે. એકવાર સાહિર તેની નઝમ વાંચવા આપે છે, તે વાંચીને કાગળ અમૃતા પાછો આપે છે, તો સાહિર કહે છે, ‘હું આ પાછો લઈ જવા નથી લાવ્યો.’ અમૃતાને લાગે છે કે એ રાત્રે તારાઓ તેનાં હૃદયની જેમ ધડકતા હતા ને પછી જ્યારે પણ નઝમ લખતી તો થતું કે તે સાહિરને પત્ર લખે છે.

એક પુસ્તકનાં ટાઇટલ નિમિત્તે, ઇમરોઝનો પ્રવેશ થાય છે – અમૃતાની જિંદગીમાં. ઇમરોઝ ચિત્રકાર હતો તેણે કેનવાસમાં જ નહીં, અમૃતાની જિંદગીમાં પણ સજીવ રંગો ભર્યા. અમૃતાનાં અનેક ચિત્રો એવી રીતે કર્યા કે ચિત્રો જ ઘર થઈ ઊઠ્યાં ! અમૃતા તો 31 ઓક્ટોબર, 2005ને રોજ ગુજરી ગઈ, પણ ઇમરોઝ માટે એ વધારે સજીવ થઈ ઊઠી. ઇમરોઝનું મૃત્યુ 97 વર્ષની વયે થયું, પણ અમૃતા મૃત્યુ પામી છે, એવું ઇમરોઝને પોતાનાં મૃત્યુ સુધી લાગ્યું જ નહીં, તે એ હદે કે અમૃતા લખતી હતી, તો તે ગઈ પછી ઇમરોઝે લખવાનું શરૂ કર્યું. ચિત્રકાર, કવિ પણ થયો. તે છેવટ સુધી અમૃતાનું એક્સટેન્શન જ બની રહ્યો. આમ તો પોતાને, અન્યને સમર્પિત કરવાનું અઘરું છે, પણ પ્રેમમાં એ કેટલું સરળ હોઈ શકે, તેનું ઇમરોઝથી મોટું ઉદાહરણ જડતું નથી.

અમૃતાનાં જીવનમાં સાહિર અને ઇમરોઝ પ્રવેશ્યા, તો અમૃતા પણ તેમની જિંદગીમાં શબ્દો ને રંગો થઈને પ્રવેશી. બંનેનાં જીવનમાં અમૃતકાળ થઈને જ રહી અમૃતા ! ત્રણે ધરતી પર રહ્યાં, પણ આકાશથી ઓછું તેમને કૈં પરવડ્યું જ નહીં ! અમૃતા રહી ઇમરોઝ સાથે, પણ સાહિરનુ રટણ તો રહ્યું જ, તે ત્યાં સુધી કે પાછલી સીટ પર બેઠેલી અમૃતા આંગળી વડે ઇમરોઝની પીઠ પર નામ સાહિરનું લખતી. જો કે, સાહિરના પ્રેમમાં એસ્થેટિક ડિસ્ટન્સ હંમેશ રહ્યું. સાહિરનું વલણ ગીતોમાં, ‘ચલો એક બાર ફિરસે, અજનબી બન જાયે હમ દોનો …’, કે ‘તુમ અગર ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમ કો, મેરી બાત ઓર હૈ, મૈંને તો મુહબ્બત કી હૈ ..’ જેવું રહ્યું. સાહિરનું માનવું એ રહ્યું, ’વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા ..’

– ને સાહિરનું હોવું ‘એક ખૂબ સૂરત મોડ’ પર જ રહ્યું.

અમૃતા પ્રીતમ – ઈમરોઝ

આમ તો અમૃતા, સાહિર ને ઇમરોઝ વચ્ચે સીધો સંવાદ ઓછો જ રહ્યો છે. સાહિરે કવિતા દ્વારા અમૃતાને જેટલું કહ્યું છે, એટલું સીધું બહુ કહ્યું નથી. અમૃતાએ જ સાહિર માટે લખ્યું છે, ‘યહ ખામોશી કા હસીન રિશ્તા થા.’ એ ખામોશીને કારણે જ અમૃતા લખીને જેટલી વ્યક્ત થઈ છે, એટલી સાહિર સામે થઈ નથી. સાહિરના મૃત્યુના સમાચાર અમૃતાને મળે છે, તો પહેલી એશિયન રાઇટર્સ કોન્ફરન્સનો એક પ્રસંગ તેને યાદ આવે છે. કોન્ફરન્સ માટે બધાંને બેજ આપવામાં આવેલા. સાહિરે પોતાનો બેજ અમૃતાને લગાવ્યો ને અમૃતનો પોતે લગાવ્યો. ઘણાંએ કહ્યું પણ કે બેજ બદલાઈ ગયો છે, પણ બંનેએ બેજ ધરાર ન જ બદલ્યો. એ બેજ પરથી મૃત્યુ પોતાને બદલે સાહિરને તો નહીં લઈ ગયું હોય ને એવો અફસોસ અમૃતાને થયો. કૈંક અંશે ઇમરોઝનું ઉચ્ચરિત શબ્દોમાં અભિવ્યક્ત થવાનું ઓછું જ રહ્યું છે. બીજી ઘણી વાતો થાય છે, પણ લાગણી તો રંગોમાં ને પછી કવિતામાં જ વ્યક્ત થાય છે. અભિવ્યક્તિ ત્રણેની ઘણું ખરું અવ્યક્તિ સામે જ રહી છે. એ વિચિત્ર લાગે, પણ એ જ આ ત્રણેને અપૂર્વતા પણ બક્ષે છે.

અમૃતા તો ગદ્ય અને પદ્ય બંનેમાં સક્રિય છે, પણ સર્જકને સર્જન ધારીએ એટલું સરળ હોતું નથી. તેણે એક નવલકથા લખી ‘યાત્રી’. તેનું એક પાત્ર તે ‘સુન્દરાં’. બિલકુલ કાલ્પનિક. વાસ્તવ જીવન સાથે કોઈ સંબંધ નહીં. ક્લ્પનામાંથી સીધી જ પાનાંઓ પર ઊતરી. આ નોવેલ ઇમરોઝને સંભળાવતી વખતે સુન્દરાંનો ઉલ્લેખ આવતાં જ અમૃતાને એક ટીસ ઊઠી ! એમ લાગ્યું જાણે અમૃતા પોતાની નાડી તપાસી રહી છે.

સાધારણ રીતે એવું બનતું હોય છે કે સર્જકનાં પાત્રો હૃદય કે ચિત્તમાં ઘડાઈને કાગળો પર અવતરતાં હોય છે, પણ સુન્દરાંની બાબતમાં ઊલટું થયું. તે કાગળોમાંથી ઊઠીને મન-મસ્તિષ્ક પર છવાઈ ગઈ. એકદમ લાગ્યું કે આ સુન્દરાં ‘હું’ છું. અચેતન મનથી રચાયેલું પાત્ર ચેનતવંતું થઈ ઊઠ્યું. એવું એ જ નવલકથામાં એક મહંતનું પાત્ર અમૃતાએ સર્જ્યું ને વર્ષો પછી એ વાંચ્યું તો લાગ્યું કે પાત્ર પિતા થઈ ઊઠ્યું છે ! પાત્રો કલ્પનામાં મળ્યાં હોય ને નવલકથામાં સજીવ થઈ ઊઠે, હાડમાંસના અનુભવાય કે ક્યારેક વાસ્તવિક જીવનમાંથી ઉપાડાયેલું પાત્ર કલ્પનામાં વિહરવા લાગે છે. એવું બને છે કે કોઈ કાલ્પનિક પાત્રનો વ્યવહાર નવલકથામાં થઈ ચૂક્યો હોય ને એવો જ વ્યવહાર કોઈ વાસ્તવિક પાત્ર અજાણતાં જ કરે ત્યારે સવાલ થાય કે જે ઘણું વહેલું થઈ ચૂક્યું છે, તે વ્યવહાર જગતમાં શક્ય કોણ કરે છે? સર્જન પ્રક્રિયા એટલી જટિલ છે કે તે સાચાખોટામાં પડતી નથી, તે તો સર્જે છે ને તેનું અસ્તિત્વ એવું કલાત્મક રૂપ ધારણ કરે છે કે દરેકને તે પોતીકું લાગવા માંડે છે. એટલે જ તો ફિલ્મનું પાત્ર આપણું સગું નથી, પણ તે હસે છે તો આપણે ખુશ થઈએ છીએ ને રડે છે, તો આંખો ભીની થઈ જાય છે.

અમૃતા પ્રીતમને દેશ-વિદેશમાં જ્ઞાનપીઠ, પદ્મ પુરસ્કારથી માંડીને અનેક માન-સન્માન મળ્યાં, અનેક ડેલિગેશનમાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કર્યું. આટલું સન્માન ભારતમાં ને ભારતની બહાર કોઈ લેખિકાને મળ્યાનું જાણમાં નથી. આટલા વિરોધ અને આટલા વખાણનું આનાથી ઊજળું ઉદાહરણ જડવું મુશ્કેલ છે. અમૃતા,અ-મૃતા છે તે એ નથી ત્યારે પણ સાચું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 જૂન 2025

Loading

આષાઢસ્ય પ્રથમ દિવસે …

દીપક મહેતા|Opinion - Literature|26 June 2025

ગ્રંથયાત્રા : 6

આષાઢસ્ય પ્રથમ દિવસે …

જન્મ દસકોઈ તાલુકાના ભુવાલડી જેવા સાવ નાનકડા ગામમાં. ભણતરની શરૂઆત ત્યાંની જ નિશાળમાં. પછી અમદાવાદમાં ભણી મેટ્રિક થયા. નોકરી મુંબઈની પોલીસ કોર્ટમાં ઇન્ટરપ્રિટરની. પણ આપબળે સંસ્કૃત અને અંગ્રેજીનો સારો એવો અભ્યાસ કરેલો. પરિણામે કવિ કાલિદાસના વિખ્યાત કાવ્યનો ગુજરાતી અનુવાદ કર્યો જે તેમના જમાનાના વિવેચકો અને વાચકો બન્નેએ માણ્યો અને વખાણ્યો હતો. અને એ માત્ર અનુવાદ નહોતો. મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટી(હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)માં દિવસોના દિવસો સુધી બેસી, અંગ્રેજી અને સંસ્કૃત પુસ્તકોનો અભ્યાસ કરી, અનુવાદ સાથે જોડવા માટે તેમણે વિસ્તૃત પ્રસ્તાવના પણ તૈયાર કરી હતી. એ પુસ્તકની પહેલી આવૃત્તિ ૧૯૧૩માં અને બીજી આવૃત્તિ ૧૯૨૩માં પ્રગટ થઈ હતી. જો કે બીજી આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં અનુવાદકનું તો ૧૯૧૪માં અવસાન થયું હતું. એ પુસ્તક તે કાલિદાસના મેઘદૂત કાવ્યનો અનુવાદ, અને એ અનુવાદ કરનાર તે કિલાભાઇ ઘનશ્યામ ભટ્ટ. પણ વખત જતાં તેમનું નામ અને કામ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. એક કારણ એ પણ ખરું કે ‘મેઘદૂત’ના બીજા ગુજરાતી અનુવાદો પણ પ્રગટ થયા હતા, અને તેમાંના કેટલાક સાહિત્યની દુનિયાનાં કેટલાંક મોટાં માથાંએ કર્યા હતા.

પણ વિસરાઈ જવા આવેલા આ પુસ્તકને થોડાં વર્ષો પહેલાં મુંબઈના હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉન્શન દ્વારા નવજીવન આપવામાં આવ્યું. અને તે પણ આજના જમાનાને અનુરૂપ એવી રીતે. આમ થાય તે માટે પ્રકલ્પના સંપાદક રજનીકુમાર પંડ્યાએ ઘણી જહેમત લીધી. પુસ્તકમાં કિલાભાઈનો અનુવાદ તો આખેઆખો છાપ્યો જ. પણ એ અનુવાદ પદ્યમાં, સંસ્કૃતના મંદાક્રાન્તા શ્લોકમાં છે. વળી ભાષા આજથી લગભગ સો વર્ષ પહેલાંની. એટલે આજના વાચકને સમજવા-માણવામાં કદાચ થોડી મુશ્કેલી પડે. તો એ ટાળવા માટે સંસ્કૃત સાહિત્યના અભ્યાસી ગૌતમ પટેલે લખેલું વિવરણ પણ સાથોસાથ છાપ્યું. પછી તેમાં પાને પાને ઉમેર્યાં વાસુદેવ સ્માર્તનાં બહુરંગી ચિત્રો. બીજા કેટલાક કલાકારોનાં ચિત્રો પણ ઉમેર્યાં. અને આ બધું જાડા આર્ટ પેપર પર સુંદર સુભગ મુદ્રણ દ્વારા રજૂ થયું. એટલે પુસ્તક માત્ર વાંચવા માટેનું ન બની રહ્યું, સાથોસાથ જોવા જેવું પણ બન્યું. 

પણ આ અનુવાદ આખો વાંચવો ન હોય અને છતાં માણવો હોય તો? આજના માણસને વાચક બનવા કરતાં શ્રોતા અને દૃષ્ટા બનવાનું વધુ ફાવે છે. એટલે વાચન અંગે બહુ ઉમળકો ન હોય તેવા ભાવકો માટે પણ અહીં સગવડ કરી છે. આપણા અગ્રણી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ બધા શ્લોકોને સંગીતબદ્ધ કર્યા, અને જાણીતા ગાયક પ્રફુલ્લ દવેએ તેને પોતાનો કંઠ આપ્યો. પુસ્તકમાં સાથે મૂકાયેલી બે ઓડિયો સી.ડી.માં એ ગાન સંઘરાયું છે જે સાંભળતાં કાલીદાસ અને કિલાભાઇની પ્રતિભાની સાથોસાથ સંગીતકાર અને ગાયકની પ્રતિભાનો પણ પરિચય થાય છે. આ ઉપરાંત પુસ્તકમાં કેટલીક પૂરક સામગ્રી પણ સૂઝપૂર્વક ઉમેરવામાં આવી છે. ‘મેઘદૂત’ વિશેના કવિ રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોનો અનુવાદ, ‘મેઘદૂત’ ફિલ્મમાંનું કૃતિના સારાંશ રૂપ ગીત, આપણા દેશના ટપાલ ખાતાએ ૧૯૬૦માં બહાર પાડેલી ટપાલ ટિકિટ વિશેની માહિતી, મેઘદૂતનું રચના સ્થળ મનાય છે તે રામટેક વિશેની માહિતી, ઉજ્જયીનીમાં આવેલી કાલિદાસ સંસ્કૃત અકાદમીનો પરિચય, મેઘદૂતના કેટલાક ગુજરાતી અનુવાદો વિશેની માહિતી, કાલિદાસ અને કીલાભાઈનો પરિચય, મેઘદૂતમાં ઉલ્લેખિત સ્થાનોનો પરિચય, અને મેઘમાર્ગનું નિદર્શન કરતો નકશો. આ બધું અહીં શ્રમ અને સૂઝથી ઉમેરવામાં આવ્યું છે. પુસ્તક માટેનું પૂરક લેખન કરવાનું તથા પરામર્શન કરવાનું કામ બિરેન કોઠારીએ કર્યું છે. ૧૯૧૩માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં માત્ર અનુવાદ આપ્યો હતો, મૂળ સંસ્કૃત પાઠ આપ્યો નહોતો. પણ આ ખોટ બીજી આવૃત્તિમાં મૂળ સંસ્કૃત પાઠ ઉમેરીને પૂરી કરાઈ હતી. ૨૦૧૦માં પ્રગટ થયેલા આ નવા સંસ્કરણમાં થોડાક જ મૂળ સંસ્કૃત શ્લોકો આપ્યા છે. બધા જ શ્લોકો આપ્યા હોત તો પુસ્તક વધુ ઉપયોગી બની શક્યું હોત. પણ પ્રશિષ્ટ કૃતિઓને આમ નવા રૂપે રંગે રજૂ કરવાનો વિચાર જ ગમી જાય તેવો છે, અને એવા વિચારના ફળ જેવું આ પુસ્તક પણ સાહિત્યપ્રેમીઓના હૃદયમાં વસી જાય એવું છે. 

આ પુસ્તકમાં કિલાભાઈનો જે અનુવાદ છાપ્યો છે તેમાંથી કેટલાક શ્લોકો જોઈએ. (જોડણી મૂળ પ્રમાણે રાખી છે.)

સ્વામી સેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,

કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;

સીતાસ્નાને પુનીત જલાના, મીઠડી છાંયવાળા,

રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા.

***

ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યા આ બનેલા,

ક્યા સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લઇ જવાતા; 

એવું કાઈ ણ લહિ, અધીરો યાચાતો યક્ષ એને, 

કામી નિશ્ચે જળ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે.

***

વર્ષી ખાલી થઇ, ગજમદે કૈંક તીખું સુગંધી,

જંબુ કુંજે ખળિ રહ્યું ભરી, પાણી એનું ફરીથી;

ભારે થાતાં ઘન! નહિ શકે વાયુ ખેંચી તને ત્યાં,

હોયે ખાલી હલકું સઘળું, ભાર છે પૂર્ણતામાં.

***

રસ્તો વાંકો અહીથી બહુ છે, ઉત્તરે મેઘ! જાતાં

તો’યે ઊંચા ભવન પર જૈ બેસજે ઉજ્જનીમાં;

વિદ્યુત્તેજે નયન મિચતી નાગરીનાં કટાક્ષો,

જોતો ત્યાં ટુ રમિશ નહિ તો જાણજે રે ઠગાયો.

***

લંબાવીને મુખ નભ થકી, ઇન્દ્રના હસ્તિ પેઠે,

જો ગંગાનું સ્ફટિક સરખું સ્વચ્છ, ટુ વારિ પીશે;

તો આ તારી વિશાળ જળમાં, પેસતી શ્યામછાયે,

ગંગા વચ્ચે મળતી યમુના હોય, તેવી જણાશે.

***

નાનાં વસ્ત્રો, મધુ નયનને આપનારું વિલાસ,

તાજાં પુષ્પો, કિસલય રૂડાં, ભૂષણો ભાતભાત; 

તાજો રાતો સરસ અળતો રંગવા પાદપદ્મ,

આપે છે જ્યાં સકળ અબળાભૂષણો, કલ્પવૃક્ષ.

ત્યાં હર્મેથી ધનપતિતણા, ઉત્તરે ધામ મારું,

દ્વારે ઊંચી સુરધનુસમી છે કમાને સુહાતું;

જેની પાસે સુતસમ ગણી વા’લીએ છે ઉછેર્યો,

ગુચ્છે ઝૂકી કર અડકતો દેવ મંદાર નાનો.

***      

શ્યામાવેષે નહીં નીચીઉંચી, ફૂટડાં ગાત્રવાળી,

ઘાટે નાની, હરિણી સરખાં નેત્રવાળી રૂપાળી;

હારે હારે દશન કણિઓ રત્ન જેવી જણાતી,

શોભે ઝીણી કળિ અધરની બિંબશી રાતી રાતી;

ઊંડી નાભિ ઉદર વિલસે; પાતળી કેડ જેની,

ભારે ઊંચા સ્તનથી કટિમાં, સે’જ નીચી નમેલી;

શ્રોણીભારે, મલપતી રૂડી ચાલતી ધીમી ચાલે,

નારીરૂપે, પ્રથમ વિધિએહોય નિર્મેલી જાણે.

***

સાધી, મારું પ્રિય, અઘટતું છે છતાં પ્રાર્થનાથી,

કાં મૈત્રીથી,વિરહિ સમજીને દયા આણી મારી;

વર્ષાશ્રીથી સુભગ બનતો, જા ગમે તે તું દેશ,

માં થાશો એ! ક્ષણ વીજળીથી, આમ તારો વિયોગ.

***

રવીન્દ્રનાથ ટાગોરે સાચું જ કહ્યું છે કે મેઘદૂતના મંદાક્રાન્તાના સઘન સંગીતમાં વિશ્વના તમામ વિરહીઓનો શોક ઘોળાયેલો છે. અષાઢ મહિનો આજથી શરૂ થઈ ગયો છે ત્યારે આ તો મેઘદૂતની થોડી પ્રસાદી.

26 જૂન 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...232233234235...240250260...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved