Opinion Magazine
Number of visits: 9574986
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાઉદભાઈ ઘાંચી એટલે મુઠ્ઠી ઊંચેરા મશાલચી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|8 June 2020

દાઉદભાઈને પહેલવહેલો, ભલા, ક્યારે મળ્યો હોઈશ ? સંભારું છું તો યાદ આવે છે રઘુવીરભાઈ ચૌધરી જોડે બાપુપુરાના પ્રવાસે અમે હતા. વળતાં મોડાસા ખાતે દાઉદભાઈ ઘાંચીની શિક્ષણસંસ્થામાં સરિક થવા અમે ગયેલા. રઘુવીર ચૌધરી એ અવસરના મુખ્ય મહેમાન હતા. ગયા સૈકાના આઠમા દાયકાની આ વાત હશે.

દરમિયાન, દાઉદભાઈ બ્રિટન અવારનવાર આવ્યા કરે. એમના ત્રીજા સંતાન ફારૂકભાઈ એ દિવસોમાં ગ્લાસગૉ ખાતે ઉચ્ચ અભ્યાસ કરે. દાઉદભાઈએ લાગલા પોતાના દીકરા, ફારૂકભાઈને જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાર્ષિક સભ્યપદે નોંધી દીધા. આ સભાસદ પોતે નહીં, બલકે એમના પિતા જ દર વખતે સભ્યપદ તાજું કરાવી લે !

એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય અકાદમી પોતીકા પરીક્ષા તંત્ર હેઠળ ગુજરાતીની પાંચસ્તરીય પરીક્ષાઓ વાર્ષિક ધોરણે લેતી. દેશ ભરમાંથી સેંકડો વિદ્યાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષાઓમાં બેસતાં. એક તબક્કે આ આંકડો બારસો-પંદરસો લગી પહોંચેલો તેમ સાંભરે છે. દેશની પાંત્રીસ-ચાળીસ ગુજરાતી ભણાવતી નિશાળો તેમ જ આનુષંગિક સંસ્થાઓ સાથે મળીને પહેલી મેની ચોપાસના રજાના દિવસે, અકાદમીના નેજા હેઠળ ‘આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ’ની, આખા દિવસની, ઉજવણી યોજતી. હજારબારસોની મેદની વચ્ચે બાળકો, ‘સંસ્કાર ગુર્જરી’ નામક ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં અને તે ટાંકણે આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલાં પરીક્ષાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતાં. વળી, પહેલા-બીજા-ત્રીજા ક્રમાંકે આવતાં પરીક્ષાર્થીઓનું ઉચિત સન્માન કરવામાં આવતું. જાગતિક સ્તરે ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ ક્ષેત્રે નામી વ્યક્તિને અતિથિ વિશેષ તરીકે અકાદમી આદરભેર લઈ આવતી.

નેવુંના દાયકાના આરંભે, સન 1995માં, બર્મિંગમ શહેરના પેરી બાર વિસ્તારમાં, ‘ગુજરાતી હિન્દુ ઍસોસિયેશનના યજમાનપદે, સાતમો આંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ મનાવાઈ રહ્યો હતો. દેશ ભરમાંથી પરીક્ષાર્થીઓ, તેમનાં માવતરો, તેમનાં શિક્ષકો, જે તે ગુજરાતી નિશાળના અન્ય સંચાલકો, બર્મીંગમ શહેરની વિધવિધ ગુજરાતી નિશાળોનાં પરીક્ષાર્થીઓ, તેમનાં માતાપિતાઓ, શિક્ષકો, સંચાલકો તેમ જ અનેક ગુજરાતી શહેરીઓ ઊમટી આવેલાં. હૈયેહૈયું દળાય એટલો માનવમહેરામણ હતો. સભાખંડ ખીચોખીચ હતો. આ અવસરે ગુજરાતે આપેલા એક ઉત્તમ કેળવણીકાર, શિક્ષક, વિચારક, લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી અતિથિ વિશેષ હતા. પોતાના દીકરા, ફારૂકભાઈ જોડે ગ્લાસગૉથી એ પધાર્યા હતા.

“ઓપિનિયન”ના મે 1995ના અંકમાં પ્રતિભાવ રૂપે એ લખતા હતા : ‘… તા. 30-04-1995ના દિવસે મેં બર્મીંગમ ખાતેના અકાદમીના કાર્યક્રમમાં ગાળેલા ત્રણ-ચાર કલાક મારે માટે સાંસ્કૃતિક ભાથું બની રહેશે. એવી એમાં ગરિમા હતી, ભાવિ માટેની શ્રદ્ધા હતી. શ્રમની સોડમ અનોખી હોય છે. એ કાર્યક્રમ તમારા સર્વદેશીય શ્રમનો પરિપાક હતો. એ એક સતત ચલાવાઈ રહેલા અભિયાનનો સફળતા આંક સૂચવતો પ્રસંગ હતો.’

દાઉદભાઈની કલમ આગળ વધે છે : ‘ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટકેટલાં વાનાં હાથ ધર્યાં છે ! એનો કાર્યપટ જીવન જેટલો વિશાળ લાગે છે ! કાશ, તળ ગુજરાતની અકાદમીએ એના આરંભકાળથી આવું કોઈક દર્શન કર્યું હોત ! “અસ્મિતા”નો 1993નો અંક માત્ર સિદ્ધિપત્ર નથી, દર્શનપત્ર પણ છે. જેનું દર્શન સુસ્પષ્ટ, એનું કર્તવ્ય ધારદાર. અકાદમીના સૂત્રધારોએ આ બાબતે ઘણી કાળજી રાખી છે એ માટે એમને આપો એટલાં અભિનંદન ઓછાં છે ! એ ખોબલે, ખોબલે અપાતાં રહેવાં જોઈએ. અહીં બ્રિટનમાં, અને ઘેર ગુજરાતમાં.’

‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ નામક મથાળા સાથે લખાયેલા આ પત્ર-લેખમાં, દાઉદભાઈએ કહ્યું છે: ‘તમારી સાથેના થોડીક જ પળોના સહવાસથી મને પણ થઈ જાય છે કે હું બ્રિટનમાં જ હોઉં તો વૈચારિક નવજન્મ પામું ! એટલો શક્તિપ્રપાત કરવાની તમારાં સ્વપ્નો, આયોજનો અને કાર્યક્રમોમાં સંભાવના ભરી પડી છે.’

દાઉદભાઈએ અતિશયોક્તિ અલંકાર અહીં ઉપયોગમાં લીધો હોય, ન ય લીધો હોય પણ આ પછી એમની જોડેનો સંપર્ક જીવંત તેમ જ ઘનિષ્ટ બનીને રહ્યો. જ્યારે જ્યારે એ આ મુલકે આવે ત્યારે ત્યારે અમારે મળવાનાહળવાના તેમ જ અંગત આદાનપ્રદાનના અવસરો બનતા રહ્યા. માન્ચેસ્ટરની મેટૃોપોલિટન યુનિવર્સિટીમાં એક પરિસંવાદનું આયોજન થયેલું. તેમાં એક અતિથિ વક્તા તરીકે મારી પસંદગી થયેલી અને બીજા અતિથિ વક્તા તરીકે દાઉદભાઈ પણ હાજર હતા. આદાનપ્રદાન તો થયું. અમે ખૂભ હળ્યા, મળ્યા, ને છૂટા પડ્યા. ત્યાં સુધીમાં ફારૂકભાઈ યૉર્કશરમાં, બ્રેડફર્ડ નગર પાસેના શિપલી ગામે કાયમી ધોરણે વસવાટ કરતા થઈ ગયા હતા.

અને પછી તો અમારો હળવાનો સિલસિલો શરૂ પણ થઈ ગયો. ઘાંચી દંપતી આ મુલકે આવ્યાં હોય અને હું શિપલી એકાદબે દિવસનો સમય ગાળવા ગયો જ હોઉં ! બીજી પાસ, ગુજરાતને પ્રવાસે હોઉં તો દાઉદભાઈ કને પાંચ હાટડી, કલોલ જવાનું થાય. દાઉદભાઈએ પારાવાર સ્નેહ વહેવા દીધો છે. એમાં સતત વહેતો રહી પાવન પણ થયો છું. આવી ભીની ભીની લાગણીઓ મને મહેન્દ્રભાઈ મેઘાણી, દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ નટુભાઈ સી. પટેલે પણ થોકબંધ બંધાવી આપી છે.

વર્ષ 2005માં “ઓપિનિયન”ની દશવાર્ષિકીનો ઉત્સવ યોજાયો હતો. ચોમેરથી પત્રકારો, લેખકો, વિચારકો, વાચકો મેળે હીલોળા લેતા હતા. ટાંકણે ‘ગુજરાતી પત્રકારત્વ એટલે ખાળે દાટા અને દરવાજા ઉઘાડા’ નામે લોકઅદાલત ભરાઈ હતી. ‘ગુજરાતી પત્રકારત્વની ખબર પૂછવા અને ખબર લેવાના આ કામને અસ્મિતા પર્વ સિંહાસને બેસાડાયું હતું, તેમ જાણીતાં ગુજરાતી કવયિત્રી અને લેખિકા લતાબહેન હીરાણીએ નોંધ્યું છે. આ લોકઅદાલતના ન્યાયમૂર્તિપદે દાઉદભાઈ ઘાંચી જ બિરાજમાન હતા. કેફિયત ને રજૂઆત માટે હાજર હતા પાકિસ્તાનના એક અગ્રગણ્ય પત્રકાર-લેખક-કવિ હયદરઅલી જીવાણી, બ્રિટનના વિચારક ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, અમેરિકાથી આવેલા હરનિશભાઈ જાની, બ્રિટનના મનસુખભાઈ શાહ અને પછી આવ્યો વારો ગુજરાતીના એક શિરમોર પત્રકાર પ્રકાશભાઈ ન. શાહનો. દાઉદભાઈ સમાપન કરતાં કરતાં કહેતા હતા: ‘તળ ગુજરાતથી અલગ રહીને પણ અહીં ગુજરાતી પત્રકારત્વ વિશે આટલી ચર્ચા થઈ. તળ ગુજરાતમાં પણ આવી ચર્ચા થાય એવું ઈચ્છીએ.’ દાઉદભાઈએ ઠોસપૂર્વક લોકઅદાલતને આટોપતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક સ્તરે જ આપણે સંગમસ્થાન ઊભું કરી શકીએ, અન્યથા નહીં. 

પછીના સપ્તાહઅંતે, 30 ઍપ્રિલથી બે દિવસ સારુ, ગુજરાતી સાહિત્ય અકાદમીની સાતમી ભાષા-સાહિત્ય પરિષદ મળતી હતી. નારાયણ હેમચંદ્ર નગરની સ્થાપના કરાઈ હતી. આ પરિષદમાં ત્રીજી બેઠકનો વિષય હતો: ‘ગુજરાતી ડાયસ્પોરા અને તળ ગુજરાત : ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ.’ મુખ્ય વક્તા તરીકે, અલબત્ત, દાઉદભાઈ ઘાંચી હતા. લતાબહેન હીરાણી નોંધે છે તેમ, દાઉદભાઈનો વાણીપ્રવાહ પછી સતત વહેતો રહ્યો. એમાં અનુભવોનો નિચોડ હતો, જગતભરની અનેક મુલાકાતોનું નિરીક્ષણ હતું, કેળવણીના આરોહઅવરોહની સમજણ હતી. વળી જીવંત કેળવણીકારનું સક્ષમ તારણ પણ વણાયું હતું. દાઉદભાઈ, અંતે તારવતા હતા કે ‘તમે જે ભાષાની ચિંતા કરી રહ્યા છો, એમાં જ એના બચાવની બાબત પણ દેખાઈ રહી છે.’

આ બન્ને અવસરના દરેક ભાષણ “ઓપિનિયન” સામયિકના સન 2005ના વિધવિધ અંકોમાં પ્રગટ થયેલા જ છે. દાઉદભાઈનું સમૂળગું પ્રવચન ઑક્ટોબર 2005ના અંકમાં તો લેવાયું જ છે. રસિકજનો તેમ જ સંશોધકો સારુ આ મુઠ્ઠી ઊંચેરાં ઓજારો નીવડ્યાં છે.

“ઓપિનિયન”માં અનિયમિતપણે પરંતુ એક ચોક્કસ ઘાટીએ દાઉદભાઈએ લેખો આપ્યા છે. વિચારપત્રના વિવિધ અંકોમાં આ તમામ પ્રગટ થયા છે. એમાંથી પસાર થતા થતા એક મુદ્દો સ્પષ્ટ તરી આવે છે : ભાષા પરનો એમનો બેમિશાલ કાબૂ, અને વળી કેટકેટલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સંસ્કરણ આપવું. દાઉદભાઈને ગુજરાતીમાં સરળતાએ વહેતા અનુભવ્યા છે તેમ અંગ્રેજીમાં ય વાચનક્ષમ, વિચારક્ષમ રહ્યા છે. એમનું વાચન વિશાળ છે અને સંસ્કૃત સમેતની એમની જાણકારી સતત અનુભવાયા કરી છે. કેળવણીના આ પ્રકાંડ માણસે શિક્ષણ, કેળવણીના વિવિધ પાસાંઓ ખોલી સમજાવ્યા છે, તેમ એમનાં લખાણોમાં અંગ્રેજી શબ્દાવલિઓની છૂટેદોર બિછાત જોવા મળે છે. આટલું ઓછું હોય તેમ આ અંગ્રેજી શબ્દોને, વળી, ગુજરાતીમાં શબ્દો રચી અવતાર્યા છે. આમ પરિણામે આપણા ગુજરાતીના વિધવિધ કોશો સમૃદ્ધ બનતા ગયા છે.

ગુજરાતી સાહિત્ય અકાદમીનો ત્રીસીનો અવસર તળ ગુજરાતે અમદાવાદમાં રંગેચંગે ઉજવવાનો અમે નિર્ણય કર્યો. એ 2009નું વરસ હતું. બે દિવસના આ અવસરના યજમાન દિવંગત રતિલાલભાઈ ચંદરિયા તેમ જ ‘ગુજરાતી લેક્સિકૉન’ હતાં. પહેલા દિવસે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં અવસર થયો. વિષય હતો : ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’. દાઉદભાઈનું વડપણ હતું. મકરન્દભાઈ મહેતા તથા શિરીનબહેન મહેતા સરીખાં ઇતિહાસકાર લેખકોએ બ્રિટનપ્રવાસને અંતે તૈયાર કરેલા અભ્યાસપુસ્તક – ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’નો લોકાર્પણ થવાનો હતો અને પુસ્તકે ઉઠાવેલા પ્રશ્નોને કેન્દ્રમાં રાખી જાહેર પરિસંવાદ પણ અવસરે યોજાયો હતો. લેખક દંપતી ઉપરાંત રઘુવીરભાઈ ચૌધરી, દિવંગત ઇલાબહેન પાઠક, કૃષ્ણકાન્તભાઈ વખારિયા, દિવંગત મંગુભાઈ પટેલ, સુદર્શનભાઈ આયંગાર પણ વક્તા તરીકે સામેલ હતાં.

દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી, એમ ક્ષમા કટારિયાએ “નિરીક્ષક”ના 16 જાન્યુઆરી 2009ના અંકમાં નોંધ્યું છે. આ નોંધ અનુસાર, દાઉદભાઈએ વિશેષે કહ્યું, પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.

ગુજરાતના આવા આવા પ્રવાસ ટાંકણે ‘ગુજરાતી વિશ્વકોશ ટૃસ્ટ’માં જવાનો યોગ થતો. દાઉદભાઈ ઘાંચીના વરિષ્ટ સાથીદાર દિવંગત ધીરુભાઈ ઠાકરનું એ સંતાન. ધીરુભાઈ સાથેનો વરસો જૂનો એક નાતો. આવી બેઠકોમાં જવાનું થાય તે વેળા દાઉદભાઈ પણ બહુધા હાજર હોય. ધીરુભાઈ ઠાકર મોટે ગામતરે સિધાવ્યા તે પછી કુમારપાળભાઈ દેસાઈએ મને મળવા સાંભળવાનો એક જાહેર કાર્યક્રમ યોજેલો. બ્રિટનમાં ચાલતી ‘ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિઓ તથા માતૃભાષા સંવર્ધન’ વિશે રજૂઆત કરવાની હતી. બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી તેમ જ “ઓપિનિયન”ની વિવિધ કામગીરીની મારે વાત કરવાની હતી. અને દાઉદભાઈ તેથી પૂરા માહિતગાર. એથી મને પોરસ ચડતો રહ્યો. 19 ડિસેમ્બર 2014ની એ વાત. દાઉદભાઈ એ સભાબેઠકના સભાપતિસ્થાને હતા. વળી આપણાં વરિષ્ટ સાહિત્કાર ધીરુબહેન પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. દાઉદભાઈને ઉમ્મર તેમ જ થાક બન્ને વર્તાતા હતા. અને તેમ છતાં હાજર હતા તેનું મને ગૌરવ હતું. તે દહાડે એમણે ય પોરસાવે તેવી વાતો કરીને બ્રિટનમાં થતાં આ કામોની વધામણી કરેલી.

“ઓપિનિયન” પુરસ્કૃત મનુભાઈ પંચોળી ‘દર્શક’ વ્યાખ્યાનમાળાનો મંગળ આદર કરવાનો હતો. ઑક્ટોબર 2016નો સમગાળો હતો. પહેલા વક્તા તરીકે ડૉ. ભીખુભાઈ પારેખની પસંદગી થઈ હતી. ગૂજરાત વિદ્યાપીઠનું સ્થળ હતું. અમને હતું કે સભાપતિપદે દાઉદભાઈ ઘાંચી જ હોય. અમે એમને અરજ કરી આગ્રહ કર્યો. વય, સ્વાસ્થ્યને કારણે અમારું આમંત્રણ એ સ્વીકારી શક્યા નહીં. પરંતુ દાઉદભાઈ સપત્ની અવસરે હાજર જરૂર રહ્યા હતા.

વચ્ચેના સમયગાળામાં, ફારૂકભાઈ ઘાંચીની દીકરીનું લગ્ન લેવાયું હતું. માતાપિતા તો સો ટકા હાજર, પણ દરેક ભાંડું પણ દેશપરદેશથી હાજરી આપવા શિપલી ઊલેટભર પધારેલાં. પંચમભાઈ શુક્લ જોડે પ્રસંગે જવાનું થયું હતું. પરિવાર સાથે, પરિવારના થઈને અમારે ય મહાલવાનું થયું હતું. તે દિવસે ય દાઉદભાઈએ અમારી જોડે આનંદે વાતચીત કરી અને વખત લઈને અમારાં કામોની લાગણીસભર પૂછતાછ કર્યા કરી.

સોમવાર, તારીખ 21 ઑગસ્ટ 2017ના દિવસે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં તથા અહમદ ‘ગુલ’ના જીવનકાર્યનું બ્રિટિશ ગુજરાતી સમાજ સંદર્ભે મૂલ્યાંકન કર્યું.

આરમ્ભે, સમારંભના પ્રયોજન વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે મેં જણાવ્યું હતું કે, અકાદમી ચાળીસ વર્ષ પૂરાં કરે છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં બ્રિટિશ ગુજરાતી સમાજની અસ્મિતાના જતનમાં જેમનું યોગદાન છે તેવી વિભૂતિઓનું બહુમાન કરવાનો પણ ઉપક્રમ છે. દાઉદભાઈએ ઠેઠ ગુજરાતમાં બેઠાં બેઠાં પણ બ્રિટનના ગુજરાતી સમાજની ગતિવિધિની ખેવના કરી છે. “ઓપિનિયન” સામયિકમાં પ્રગટ થયેલ એમનાં ચિંતનીય લખાણો આનું ઉદાહરણ છે. આપણા વસાહતી સમાજ પ્રત્યેની આ નિસબતની કદરરૂપે એમને આ શાલ અને સ્મૃતિલેખ સાદર કરીએ છીએ.

આ અવસરે અદમ ટંકારવી કહેતા હતા તેમ, ‘દાઉદભાઈ ધાંચીએ હમણાં જ આત્મદીપ્ત આવરદાનાં નેવું વર્ષ પૂરાં કર્યાં. વિદ્યાર્થી, શિક્ષક, વ્યાખ્યાતા, પ્રાદ્યાપક, આચાર્ય, ઉપકુલપતિ − આમ આખો જન્મારો શિક્ષણ સાથે સંકળાયેલા રહ્યા. શિક્ષણ એ જ એમનું જીવનકાર્ય. આ કાર્ય એમણે તપોનુષ્ઠાનના તાદાત્મ્યથી કર્યું તેથી એ તપસ્યા થઈ ગયું. દાઉદભાઈ નિષ્ઠા અને નિસબતનો પર્યાય. પોતાના શિષ્યો પ્રત્યેની નિસબત એવી કે એમના વિદ્યાર્થીઓને મન તો દાઉદસાહેબ ઋષિતુલ્ય.’

આ કવિમનીષી અદમભાઈએ તે દહાડે વ્યક્ત કરેલી લાગણીઓ ફેર દોહરાવી આપણે પણ મન મૂકીને કહીએ:

‘હાલમાં ખાનગીકરણ અને લાગવગશાહીને પગલે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે જે અધોગતિ અને અવદશા જોઈએ છીએ ત્યારે તો દાઉદભાઈના જીવનકાર્યનું અને પુરુષાર્થનું મૂલ્ય વધુ તીવ્રતાથી સમજાય છે. હરાયા ઢોર ભુરાંટ થઈ વિદ્યાધામોને ભેલાડી રહ્યાં છે ત્યારે ડચકારો કરી કે ડફણું લઈ એમને તગેડનાર કોઈ શિક્ષકના જીવની રાહ જોવાય છે. શૈક્ષણિક કટોકટીની આ ઘડીએ હૃદયમાં એવી એષણા જાગે છે કે, આપણા દુર્ભાગી દેશને યુગેયુગે દાઉદભાઈઓ મળતા રહે − May his tribe increase.’

પાનબીડું :


બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

                                                  — રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

હૅરો, 29 મે / 08 જૂન 2020

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

ભારતે સરહદી વિવાદનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 June 2020

ભારત સામે એક સમસ્યા છે. એમાં ઓછામાં ઓછા બે અને કેટલીકવાર તો પાંચ કે છ પક્ષકાર છે. પક્ષકાર દેશી છે, વિદેશી છે, એક સમયના દેશી પણ હવે વિદેશી છે. જે દેશી છે એ ધર્મ, ભાષા, પ્રદેશ અમે દરેક પ્રકારના દેશી છે. એ સમસ્યા સો વરસ, દોઢસો વરસ અને એનાથી પણ જૂની છે અને દરેક પક્ષકારને સમાધાન થાય એ રીતે તેનો હજુ નિકાલ આવતો નથી. સમસ્યા અંગ્રેજોને પણ વારસામાં મળી હતી, અંગ્રેજોએ તેનો લાભ લઈને વધારે અઘરી કરીને વારસામાં આપી છે અને અંગ્રેજોએ પેદા કરીને સ્વતંત્ર ભારતને વારસામાં આપી હતી. અને આવી સમસ્યા એક-બે-પાંચ નથી; પણ પચાસ છે. આ ભારત દેશ છે. આવી જે પચાસ જેટલી સમસ્યા છે એમાં એક ચીન સાથેનો સરહદી વિવાદ છે.

મને સમજાતું નથી કે ચપટી વગાડતા દરેક સમસ્યાને હલ કરવાનો આત્મવિશ્વાસ આપણા વડા પ્રધાન ક્યાંથી લઈ આવે છે? કાં તો એમને સમસ્યાના સ્વરૂપનું ભાન નથી અથવા તેમને એ ઉકેલવામાં કોઈ રસ નથી. મને તો બંને સંભાવના એક સરખી સાચી લાગે છે, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ક્યારે ય ભારત સમજાયું નથી અને વિદેશથી આયાત કરેલા રાષ્ટ્રવાદના ચશ્માંથી તેઓ ભારતને જુએ છે. તેમને ભાન જ નથી કે ભારત ઇટલી નથી. જો ભારતનાં સ્વરૂપની સાચી સમજ હોત તો સવાલ થવો જોઈતો હતો કે જેમાં બંને પક્ષકાર હિંદુ છે એવી સમસ્યાઓ કેમ ઉકેલાતી નથી? અને આવી એક-બે નથી; એક ડઝન સમસ્યાઓ છે જેમાં બંને પક્ષકારો હિંદુ છે. ઉદાહરણ આપવાં હોય તો હિંદી ભાષાના રાષ્ટ્રભાષા તરીકેના સ્વીકારનું આપી શકાય. બે રાજ્યો વચ્ચેનાં સરહદી વિવાદોનું આપી શકાય, પ્રાંતીય ભાષાઓનું આપી શકાય. અનામતનું આપી શકાય, ભૂમિપુત્ર અને પરપ્રાંતીઓનું આપી શકાય. જેમાં બંને પક્ષકારો હિંદુ હોય એવી સમસ્યાઓ કેમ નથી ઉકેલાતી? આર.એસ.એસે. અત્યાર સુધી દરેક સમસ્યાનું રાષ્ટ્રવાદના નામે સરળીકરણ જ કર્યું છે. તેમની સમસ્યા એ છે કે જો દેશની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરે તો તેમના ધ્યાનમાં આવે કે અહીં તો બાંધછોડ કરવી પડે એમ છે અને બધાને સાથે રાખીને ચાલવું પડે એમ છે. એટલે ભાંગી નાખું કાપી નાખુંના પાડો બરાડા!

આમ વડા પ્રધાનને ભારતની ટિપીકલ સમસ્યાઓની ખાસ કોઈ સમજ હોય એમ લાગતું નથી, કારણ કે સંઘને સમજ નથી. આ ઉપરાંત સમસ્યા ઉકેલવા તેઓ કોઈ ગંભીર હોય એમ પણ લાગતું નથી. જરૂર શું છે જ્યારે પાળેલા શ્વાન બોલેલા શબ્દોને બ્રહ્મવાક્ય માનીને ચાટતા હોય અને ભક્તો તાળીઓનો ગડગડાટ કરતા હોય. બંને મળીને સાચવી લેશે.

શ્વાનો તો પૈસા માટે જયજયકાર કરે છે પણ ભક્તોએ એક વાર અમસ્તા વિચારવું જોઈએ કે દાદાભાઈ નવરોજીથી લઈને મનમોહન સિહ સુધીના શું બધા જ લોકો નમાલા અને નાસમજ હતા? સમજદારી અને બહાદુરીનો પ્રાદુર્ભાવ પહેલી વખત ૨૦૧૪માં થયો? જો સમસ્યા એક બે નહીં પચાસ જેટલી હોય, એ પાછી સો દોઢસો વરસ જૂની હોય, એમાં અનેક પક્ષકારો હોય અને દાદાભાઈ નવરોજીથી લઈને મનમોહન સિંહ સુધીના એકાદ હજાર મહાનુભાવો હલ કરી શક્યા ન હોય એ આપણા સાહેબ ચપટી વગાડતા ઉકેલી નાખે! થોડી તો અક્કલ વાપરો!

ચીન સાથેનો સરહદી વિવાદ આવો પેચીદો છે. એમાં ભારત, પાકિસ્તાન. ચીન, તિબેટ અને કાશ્મીર એમ પાંચ પક્ષકારો છે. એ અંગ્રેજોએ આપણને વારસામાં આપ્યો છે અને તેને ૧૦૭ વરસ થઈ ગયાં છે. ૧૯૧૩માં બ્રિટિશ ભારત-તિબેટ અને ચીન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી થઈ હતી જેમાં અંગ્રેજોએ ખેંચેલી સરહદની રેખા ચીને તેની નિર્બળતાને કારણે માન્ય રાખવી પડી હતી. એ સમયે સમજૂતી ઉપર સહી કરતી વખતે ચીનના પ્રતિનિધિએ લખ્યું હતું: નોટ એક્સેપ્ટેબલ એન્ડ સાઈનિંગ વિથ પ્રોટેસ્ટ. ભારતને આઝાદી મળી અને અને ચીન સામ્યવાદી બન્યું એ પછી બે દેશ વચ્ચે એક વાર યુદ્ધ થઈ ચૂક્યું છે. ચીને અનેક વાર સરહદનું ઉલ્લંઘન કર્યું છે અને તેની પાછળનો ઈરાદો ભારતને મૂંઝવવાનો હોય છે. પાકિસ્તાને અક્સય ચીનનો પ્રદેશ ચીનને આપી દીધો છે જ્યાંથી કોર્રાકોરમ હાઇવે કાઢવામાં આવ્યો છે. હવે પાકિસ્તાનના ગ્વાડર બંદર સુધી બીઝનેસ કૉરીડોર બનાવી રહ્યું છે. ચીને ભારતનાં તમામ પાડોશી દેશો સાથે સમજૂતીઓ કરીને ભારતને લગભગ ઘેર્યું છે. આ ઉપરાંત ચીનની લશ્કરી અને આર્થિક તાકાત ૧૯૬૨ની તુલનામાં અનેકગણી છે. ચીન અત્યારે એક મહાસત્તા છે.

આનો અર્થ એવો નથી કે ભારતે ચીન સામે ઝૂકી જવું જોઈએ. જો લડી શકાય એમ હોય અને લડવું હોય તો લડવાની ગંભીરતાપૂર્વક તૈયારી કરવી જોઈએ જે રીતે ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં કરી હતી. જો સરહદીવિવાદ સાચો હોય (અને સાચો છે જ) તો તેનો વાતચીત દ્વારા આપ-લેના ધોરણે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. જો ભારતે પોતાના કબજાનો પ્રદેશ ન જ છોડવો હોય અને લડાઈ પણ ટાળવી હોય તો એ રીતના સંભવ હોય એવા પ્રયાસ કરવા જોઈએ. આગલી સરકારો આ ત્રીજા વિકલ્પ માટે પ્રયાસો કરતી આવી છે એ કોઈ પણ દૃષ્ટિએ નબળાઈ તો ન જ કહેવાય. પણ નરેન્દ્ર મોદીને એમ લાગતું હોય કે તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે એમ છે તો કરે તૈયારી!

આ ત્રણ સિવાય કોઈ ચોથો વિકલ્પ નથી. વડા પ્રધાન કોઈ એક વિકલ્પ અપનાવી લે. આજે બન્યું છે એવું કે ચીને લદાખમાં દસેક હજાર સૈનિકો ઉતાર્યા છે અને પંદર-વીસ કિલોમીટર વિસ્તાર કબજે કરી લીધો છે અને ભારત નથી વાસ્તવિકતાનો સ્વીકાર કરી શકતું કે નથી વાસ્તવિકતા બદલી શકતું. ડોકલામમાં પણ આવું જ બન્યું હતું. હાકલા પડકારા કરતા રહીએ અને સાથે પ્રદેશ ગુમાવતા રહીએ એ ડહાપણનો સોદો કહેવાય?

મારો અંગત અભિપ્રાય એવો છે કે ભારતે બીજો વિકલ્પ અપનાવવો જોઈએ. ૧૯૧૩ની સરહદ-સમજૂતી એકપક્ષીય અને દાદાગીરીવાળી હતી. એ વાત જુદી છે કે ચીન જે પ્રદેશ ઉપર દાવો કરે છે એ ચીનનો પ્રદેશ નથી, પણ તિબેટનો છે જેને ચીન રક્ષણ કરવાને નામે ગળી ગયું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જૂન 2020

Loading

વાલ્ડેમર હાફકિન : હિંદુસ્તાનને બે મહામારીથી બચવાનાર

કિરણ કાપૂરે|Opinion - Opinion|7 June 2020

માનવજાતને મહામારીથી સુરક્ષા બક્ષનાર અને આજે ભૂલાઈ જનારમાં વાલ્ડેમર હાફકિનનું નામ મોખરે લઈ શકાય. આઝાદી પૂર્વે ભારતને બે મહામારીમાં લાખોનાં જાન બચાવનાર વાલ્ડેમર હાફકિનનું નામ ભાગ્યે જ ક્યાંક દેખા દે છે. વાલ્ડેમરનું આ યોગદાન અપૂર્વ હતું અને તેમની સ્મૃતિરૂપે આજે પણ મુંબઈમાં હાફકિન ઇન્સ્ટિટ્યૂટ ઊભું છે. અંગ્રેજોની ગુલામી કાળ દરમિયાન કેટલીક જે મહામૂલી વ્યક્તિઓ હિંદુસ્તાનના સંપર્કમાં આવી તેમાં એક વાલ્ડેમર હતા. વાલ્ડેમરનું ભારત આવવું એક માત્ર સંયોગ હતો અને પછી તેઓ બે દાયકા સુધી અહીં રહ્યા. અહીંયા તેમણે કોલેરા અને પ્લેગની મહામારીમાં વેક્સિન શોધીને લાખોનાં જીવનને સુરક્ષિત બનાવ્યા.

વાલ્ડેમરના કહાનીની શરૂઆત ઓડેસ્સા (યુક્રેન) નામના રશિયાના શહેરથી થઈ હતી. 1860માં ઓડેસ્સામાં એક યહૂદી વેપારી પરિવારમાં તેમનો જન્મ થયો. યુક્રેનમાં જ તેમનું શિક્ષણ આરંભાયું. મેલોરોસિસ્કી યુનિવર્સિટીમાં નેચરલ સાયન્સમાં તેમનો પ્રવેશ થયો અને તેઓ અહીંયા ભવિષ્યમાં નોબેલ પારિતોષિકથી સન્માનિત થનારા એલી મેચનીકોવ[Ilya Mechnikov]ના સંપર્કમાં આવ્યા. અહીંયા તેમણે ડૉક્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ રશિયાની તત્કાલીન ઝારશાસનમાં યહૂદીને ઉચ્ચ ડિગ્રી મળતી નહીં, તેથી તેઓ ડૉક્ટરેટની ડિગ્રીથી વંચિત રહ્યા. આનું એક કારણ તેઓ યુવાન વયે ક્રાંતિકારી યહૂદી જૂથો સાથે સંપર્ક ધરાવતા હતા તે પણ હતું. રશિયામાં ક્રાંતિ કરવાના તેમના સપનાં હતા સાથે કારકિર્દીમાં આગળ વધવાનું ઝનૂનેય હતું; તેથી તેઓ 1888માં સ્વિત્ઝર્લેન્ડની ‘યુનિવર્સિટી ઓફ જિનિવા’ પહોંચ્યા. અહીંયા તેમનો ભેટો વેક્સિન સંશોધનમાં પાયારૂપ કાર્ય કરનારા લુઈ પાશ્ચર સાથે થયો. હાફકિન અહીં લાઇબ્રેરિયન તરીકે જોડાયા હતા, પરંતુ સાથે-સાથે તેઓ બેક્ટેરિયા પર સંશોધનનું કાર્ય પણ કરતા.

તે કાળે કોલેરા મહામારી ખૂબ પ્રસરેલી તેથી વાલ્ડેમરના પ્રયોગ કોલેરાની રસી બનાવવાનો હતો. 1892 આવતા સુધીમાં તેઓ કોલેરાની વેક્સિન બનાવવાના પ્રાથમિક સ્ટેજમાં પહોંચી ચૂક્યા હતા. પેરિસની ‘સોસાયટી ઓફ બાયોલોજી’માં તેમણે તેમના પ્રાથમિક સંશોધનનાં પરિણામ રજૂ કર્યા. અને પછીથી પોતાની જાત પર જ આ વેક્સિનના પ્રયોગ આદર્યા. આ ગાળામાં તેમની મુલાકાત અર્નેસ્ટ હેનકીન સાથે થઈ, જેઓ ભારતમાં મલેરિયા, કોલેરા અને અન્ય મહામારી પર સંશોધન કરી રહ્યા હતા. તેમણે વાલ્ડેમર હાફકિનને પ્રયોગ માટે ભારત આવવા જણાવ્યું. બંગાળમાં તે વખતે ખૂબ મોટા પાયે કોલેરા પ્રસર્યો હતો. 1893માં વાલ્ડેમર ભારત પહોંચ્યા અને તેમને અંગ્રેજ સરકારે વેક્સિનના પ્રયોગ માટે તત્કાલ મંજૂરી પણ આપી દીધી. અહીં તેઓ પ્રેસિડન્સી હોસ્પિટલમાં બેક્ટેરોલોજિસ્ટ તરીકે જોડાયા. બસ, અહીંયાથી ભારત સાથેનો તેમનો શરૂ થયેલો નાતો બે દાયકા સુધી ચાલ્યો. હાફકિનને જે પદ મળ્યું હતું તેમાં અંગ્રેજ સરકારની માગણી મુજબ ઝડપથી રસી શોધવાની હતી. રસી શોધવાનો પડકાર તેમની સામે હતો તેમ અહીંના અંગ્રેજ પદાધિકારીઓ અને હિંદુસ્તાનમાં તેના પ્રયોગ કરવાનાં પણ પડકાર હતા. પરંતુ મહિનાઓમાં જ રસી શોધીને બે વર્ષમાં અંગ્રેજ સૈન્ય, નાગરિકો અને સ્થાનિકો સહિત વાલ્ડેમરના દેખરેખ હેઠળ 42,000 કોલેરાની રસી આપી.

આ રસીનાં પરિણામ તત્કાલિન સરકારને સારાં દેખાયા. હજુ તો કોલેરાની રસી આપીને તે બીમારી પર કાબૂ મેળવ્યો હતો ત્યાં તો વળી મુંબઈમાં ઑક્ટોબર 1896માં મોટા પાયે બ્યુબોનિક પ્લેગ પ્રસર્યો. આ પ્લેગમાં મૃત્યુઆંક ખૂબ હતો, તેથી ઝડપથી રસી શોધવાની જવાબદારી ફરી હાફકિન પર આવી પડી. ચાર મહિનામાં ગાળામાં તેઓ ફરી પ્લેગની રસી શોધી શક્યા અને તેનો પ્રયોગ પણ પહેલાં જાત પર જ કર્યો. ત્યાર બાદ તે પ્રયોગ ભાયખલા જેલના કેદીઓ પર થયો. તે વખતે કેદીઓ પર રસીના પ્રયોગ થવા તે વાત સામાન્ય હતી. 154 કેદીઓ પર થયેલા પ્રયોગમાંથી ત્રણના મૃત્યુ થયા, પરંતુ ત્યાર બાદ તે રસીનાં પરિણામ સારાં મળ્યા. બસ, પછીના ત્રણ મહિનામાં 11,000 રસી પ્લેગગ્રસ્ત ક્ષેત્રમાં આપવામાં આવી. 1898માં બરોડા રાજ્યમાં પણ પ્લેગ પ્રસર્યો હતો અને ત્યાં ઉંધેરા ગામમાં હાફકિને આયોજનબદ્ધ વેક્સિનેશન કાર્યક્રમ કર્યો. અને તેના પરિણામ પણ સારાં મળ્યા, તેથી પછી મોટી સંખ્યામાં રસીનું ઉત્પાદન થયું અને અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રસીકરણ કરવામાં આવ્યું.

પ્લેગ સામે જે રક્ષણ હાફકિને આપ્યું તેનાથી તેઓની ખ્યાતિ ઇંગ્લંડ સુધી પહોંચી. જો કે આ વચ્ચે એક ધર્મે યહૂદી અને મૂળે રશિયન હોવાના નાતે તેમના પર અનેક આરોપ પણ લાગ્યા. ઘણી વાર અંગ્રેજ અધિકારીઓના શંકાના દાયરામાં આવતા રહ્યા. જો કે હાફકિન આ બધાથી ચલિત થયા વિના પોતાના કામમાં મથતાં રહ્યા અને બીમારીઓ સામે લોકોને રક્ષણ આપતા રહ્યા. થોડાં વર્ષો પછીથી તેમના દ્વારા શોધાયેલી પ્લેગની રસી પચાસ ટકા જ કારગર હતી એવું પુરવાર થયું. જો કે પ્લેગની મહામારીની અસરને તેઓ આ રસી દ્વારા પચાસ ટકા ઘટાડી શક્યા હતા.

1902માં એક એવી ઘટના બની તેનાથી હાફકિનની તમામ ખ્યાતિ પર પાણી ફરી વળ્યું. બન્યું હતું એમ કે પંજાબના મુલ્કોવલ ગામમાં પ્લેગ પ્રસર્યો હતો. આ ગામમાં હાફકિનના દેખરેખ હેઠળ 107 લોકોને રસી આપવામાં આવી. આ રસી આપ્યા બાદ અહીંયા લોકો મૃત્યુ પામવા લાગ્યા અને પછી તેના આરોપ હાફકિન પર લાગ્યો. હાફકિન પર તપાસ બેસાડવામાં આવી અને તેઓ પોતાનો પક્ષ રજૂ કરતા રહ્યા. અંતે તપાસમાં એ નિષ્કર્ષ આવ્યું કે રસી આપવામાં થયેલી ગેરરીતિનાં કારણે લોકોના મૃત્યુ થયા, તેમાં હાફકિનની કોઈ ભૂલ નહોતી.

હાફકિનનો ભારત સાથેનો નાતો 1915 સુધી રહ્યો, પછી તેઓ કાયમ માટે યુરોપમાં રહ્યા. 1918માં ભારતમાં સ્પેનિશ ફ્લૂ પ્રસર્યો ત્યારે તેમને યાદ કરવામાં આવ્યા. પરંતુ હાફકિનના જીવનમાં વિજ્ઞાન સાથે હવે યહૂદી ધર્મ પ્રત્યે અપાર આસ્થા પ્રગટી હતી. તેમનું પાછલું જીવન મહદંશે ધાર્મિક રહ્યું. 1925માં તેમની સ્મૃતિમાં મુંબઈમાં તેમના નામે ‘વાલ્ડેમર હાફકિન ઇન્સ્ટિટ્યુટ’ નિર્માણ પામી. ભારત સરકારે તેમના સન્માન અર્થે 1960માં પોસ્ટલ સ્ટેમ્પ પણ પ્રકાશિત કરી.

વાલ્ડેમરનાં જીવન બહુરંગી છે અને તેમના અનુભવ પણ વ્યાપક હતો. અહીંયા માત્ર તેમના વિજ્ઞાન શાખાની ચર્ચા છે, બાકી તેમના ધર્મ પ્રત્યેના વલણનો પણ વિસ્તૃત અભ્યાસ થઈ શકે એમ છે. તેમના જીવનને આલેખતું 'મહાત્મા : ધ સેવિઅર મેનકાઇન્ડ નેવર ન્યૂ' નામનું પુસ્તક પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે.

Loading

...102030...2,3112,3122,3132,314...2,3202,3302,340...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved