સ્ત્રી કોણ છે તેનો કોઈએ વિચાર કર્યો છે ? સાક્ષાત્ દેવી છે, એટલે કે, ત્યાગમૂર્તિ છે. સ્ત્રીઓમાં એવી અદ્દભુત શક્તિ છે કે, જો તેઓ કામ કરવા ધારે અને તેને ખંતપૂર્વક કરે છે તો એક પહાડને પણ હલાવી શકવાની તાકાત ધરાવે છે એટલી શક્તિ ભરી છે.
સ્ત્રીઓ પુરુષોની ગુલામ કે દાસી નથી પણ અર્ધાંગિની છે, સહધર્મિણી છે. એટલે પુરુષોએ સ્ત્રીઓને પોતાની મિત્ર સમજવી જોઈએ. એને અબળા કહીને આપણે દેવીઓનું અપમાન કરીએ છીએ. આપણે ત્યાં ઘેર ઘેર લક્ષ્મીપૂજન કરવામાં આવે છે, દેવીઓના તહેવારો મનાવવામાં આવે છે. બંગાળમાં તો ખાસ ‘પૂજાદિન’ કહેવાય છે. પણ એ દેવીઓની પૂજા સાચા અર્થમાં કરતાં નથી, તેથી સુખી થતાં નથી. તમારાં ઘરોમાં જે સ્ત્રીઓ છે તેને દેવીના રૂપમાં જોવી જોઈએ. દેવીમાં શક્તિ ભરેલી છે તેનો સદુપયોગ કરીએ. આપણા પૂર્વજોએ દેવીઓની સેવા, પૂજા કરાવવાનો જે રિવાજ ધાર્મિક વિધિ સહિત આપણા રોજિંદા જીવનમાં દાખલ કર્યો, તેમાં મૂળ રહસ્ય આ જ ભર્યું છે કે, સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન આપો. સ્ત્રીઓનો આત્મત્યાગ જુઓ !
પોતાના એક બચ્ચાને મોટું કરવા માટે એક સ્ત્રી કેટકેટલી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે ! નૈતિક હિંમતમાં તો પુરુષો કરતાં સ્ત્રીઓ અનેક રીતે ચઢી જાય છે. સ્ત્રીઓ અહિંસા, ધૈર્ય, સહનશીલતા અને ધર્મની સાક્ષાત્ મૂર્તિ છે.
પણ આજે ? આજે તો એવી દેવીઓની કતલ કરીએ છીએ ! એવી દેવીઓની આબરૂ લઈએ છીએ ! આ બધું કયાં ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, એ તો મને કોઈ બતાવો ! પણ યાદ રાખજો કે, જે ઘરમાં, જે સમાજમાં અને જે દેશમાં સ્ત્રીઓનું સન્માન નથી કરાતું, તે ઘર, તે સમાજ અને તે દેશ બરબાદ થઈ જશે, એ નિ:શંક વાત છે.
[29-06-1947]
સૌજન્ય : મનુબહેન ગાંધીની ડાયરી (પુનર્મુદ્રણ – જૂન 2013) : ‘બિહાર પછી દિલ્હી’; પૃ. 229
![]()


પેટ્રોલ-ડીઝલનો ભાવ લિટરના હજાર રૂપિયા થઈ જાય તો પણ કોઈના પેટનું પાણી હાલે તેમ નથી. એના બે અર્થ થાય. એક તો એ કે પ્રજા પાસે વધારાની એટલી કમાણી છે કે તેને મોંઘવારી ગમે તેટલી વધે તો પણ ફેર પડે તેમ નથી. તેને ખાતરી છે કે સરકાર ગમે તેટલો ભાવ વધારો ઝીંકે તો પણ બીજી ઘણી રીતે એટલી કમાણી તો કરી જ લેવાશે કે ગજવું હલકું નહીં થાય. બીજો અર્થ એ થાય કે અનેક પ્રકારની મોંઘવારીનો ત્રાસ વેઠીને પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે તેની વિરોધની શક્તિ જ મરી પરવારી છે. તે જાત બચાવે કે સરકાર સામે દાંતિયા કરે? લોકોમાં એક વર્ગ એવો છે જેને સરકારમાં ઉત્તમથી ઓછું તો કંઈ જણાતું જ નથી ને એક વર્ગ એવો છે તે ખામી ગણ્યા કરે છે, પણ તેના વિરોધના દાંત-નખ નીકળી ગયેલા છે એટલે તેનું કંઈ ઉપજે તેમ નથી. એક વફાદાર વર્ગ છે જે નફાદાર પણ છે એટલે તે તો સરકારની આરતી ઉતારવામાં માને છે ને જે ખોટમાં છે તે વર્ગ ખૂણે રડીને બેસી રહે છે. આ બંને પરિસ્થિતિનો ભરપેટ લાભ ઉઠાવાય છે. તંત્રો બરાબર જાણે છે કે ક્યાંયથી વિરોધ થવાનો નથી એટલે પ્રજાની બોચી પકડવામાં વાંધો નહીં આવે. કૉન્ગ્રેસ વિરોધ કરે છે, પણ એ તો કરે હવે, એમ માની લેવાયું છે. એ વિરોધ પક્ષ છે તો વિરોધ તો કરે જ ને! કૉન્ગ્રેસનો વિરોધ સરકાર લેખામાં લેતી નથી. કારણ એમાં દમ નથી ને એ વિરોધનો પડઘો દૂર સુધી પડે એમ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં એટલું થયું છે કે જરૂરી બાબતોનો પ્રજા કે સંગઠનો દ્વારા વિરોધ કરવાનું લગભગ બંધ થયું છે. આ સારાં એંધાણ નથી. લોકશાહીને દાવ પર લગાવવા જેવું છે. પ્રજાએ વિચારી લેવાનું રહે કે તે લોકશાહીને સાચવવા માંગે છે કે તેને લોકશાહી વિરુદ્ધનું પણ કંઈ ખપે તેમ છે?