Opinion Magazine
Number of visits: 9574954
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુરુષોએ સ્ત્રીઓને પોતાની મિત્ર સમજવી જોઈએ

મો.ક. ગાંધી|Opinion - Opinion|21 June 2020

સ્ત્રી કોણ છે તેનો કોઈએ વિચાર કર્યો છે ? સાક્ષાત્ દેવી છે, એટલે કે, ત્યાગમૂર્તિ છે. સ્ત્રીઓમાં એવી અદ્દભુત શક્તિ છે કે, જો તેઓ કામ કરવા ધારે અને તેને ખંતપૂર્વક કરે છે તો એક પહાડને પણ હલાવી શકવાની તાકાત ધરાવે છે એટલી શક્તિ ભરી છે.

સ્ત્રીઓ પુરુષોની ગુલામ કે દાસી નથી પણ અર્ધાંગિની છે, સહધર્મિણી છે. એટલે પુરુષોએ સ્ત્રીઓને પોતાની મિત્ર સમજવી જોઈએ. એને અબળા કહીને આપણે દેવીઓનું અપમાન કરીએ છીએ. આપણે ત્યાં ઘેર ઘેર લક્ષ્મીપૂજન કરવામાં આવે છે, દેવીઓના તહેવારો મનાવવામાં આવે છે. બંગાળમાં તો ખાસ ‘પૂજાદિન’ કહેવાય છે. પણ એ દેવીઓની પૂજા સાચા અર્થમાં કરતાં નથી, તેથી સુખી થતાં નથી. તમારાં ઘરોમાં જે સ્ત્રીઓ છે તેને દેવીના રૂપમાં જોવી જોઈએ. દેવીમાં શક્તિ ભરેલી છે તેનો સદુપયોગ કરીએ. આપણા પૂર્વજોએ દેવીઓની સેવા, પૂજા કરાવવાનો જે રિવાજ ધાર્મિક વિધિ સહિત આપણા રોજિંદા જીવનમાં દાખલ કર્યો, તેમાં મૂળ રહસ્ય આ જ ભર્યું છે કે, સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન આપો. સ્ત્રીઓનો આત્મત્યાગ જુઓ !

પોતાના એક બચ્ચાને મોટું કરવા માટે એક સ્ત્રી કેટકેટલી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે ! નૈતિક હિંમતમાં તો પુરુષો કરતાં સ્ત્રીઓ અનેક રીતે ચઢી જાય છે. સ્ત્રીઓ અહિંસા, ધૈર્ય, સહનશીલતા અને ધર્મની સાક્ષાત્‌ મૂર્તિ છે.

પણ આજે ? આજે તો એવી દેવીઓની કતલ કરીએ છીએ ! એવી દેવીઓની આબરૂ લઈએ છીએ ! આ બધું કયાં ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે, એ તો મને કોઈ બતાવો ! પણ યાદ રાખજો કે, જે ઘરમાં, જે સમાજમાં અને જે દેશમાં સ્ત્રીઓનું સન્માન નથી કરાતું, તે ઘર, તે સમાજ અને તે દેશ બરબાદ થઈ જશે, એ નિ:શંક વાત છે.

[29-06-1947]

સૌજન્ય : મનુબહેન ગાંધીની ડાયરી (પુનર્મુદ્રણ – જૂન 2013) : ‘બિહાર પછી દિલ્હી’; પૃ. 229

Loading

પેટ્રોલ-ડીઝલનો ભાવ લિટરના હજાર રૂપિયા કરી નાખવો જોઈએ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 June 2020

પેટ્રોલ-ડીઝલનો ભાવ લિટરના હજાર રૂપિયા થઈ જાય તો પણ કોઈના પેટનું પાણી હાલે તેમ નથી. એના બે અર્થ થાય. એક તો એ કે પ્રજા પાસે વધારાની એટલી કમાણી છે કે તેને મોંઘવારી ગમે તેટલી વધે તો પણ ફેર પડે તેમ નથી. તેને ખાતરી છે કે સરકાર ગમે તેટલો ભાવ વધારો ઝીંકે તો પણ બીજી ઘણી રીતે એટલી કમાણી તો કરી જ લેવાશે કે ગજવું હલકું નહીં થાય. બીજો અર્થ એ થાય કે અનેક પ્રકારની મોંઘવારીનો ત્રાસ વેઠીને પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે તેની વિરોધની શક્તિ જ મરી પરવારી છે. તે જાત બચાવે કે સરકાર સામે દાંતિયા કરે? લોકોમાં એક વર્ગ એવો છે જેને સરકારમાં ઉત્તમથી ઓછું તો કંઈ જણાતું જ નથી ને એક વર્ગ એવો છે તે ખામી ગણ્યા કરે છે, પણ તેના વિરોધના દાંત-નખ નીકળી ગયેલા છે એટલે તેનું કંઈ ઉપજે તેમ નથી. એક વફાદાર વર્ગ છે જે નફાદાર પણ છે એટલે તે તો સરકારની આરતી ઉતારવામાં માને છે ને જે ખોટમાં છે તે વર્ગ ખૂણે રડીને બેસી રહે છે. આ બંને પરિસ્થિતિનો ભરપેટ લાભ ઉઠાવાય છે. તંત્રો બરાબર જાણે છે કે ક્યાંયથી વિરોધ થવાનો નથી એટલે પ્રજાની બોચી પકડવામાં વાંધો નહીં આવે. કૉન્ગ્રેસ વિરોધ કરે છે, પણ એ તો કરે હવે, એમ માની લેવાયું છે. એ વિરોધ પક્ષ છે તો વિરોધ તો કરે જ ને! કૉન્ગ્રેસનો વિરોધ સરકાર લેખામાં લેતી નથી. કારણ એમાં દમ નથી ને એ વિરોધનો પડઘો દૂર સુધી પડે એમ નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં એટલું થયું છે કે જરૂરી બાબતોનો પ્રજા કે સંગઠનો દ્વારા વિરોધ કરવાનું લગભગ બંધ થયું છે. આ સારાં એંધાણ નથી. લોકશાહીને દાવ પર લગાવવા જેવું છે. પ્રજાએ વિચારી લેવાનું રહે કે તે લોકશાહીને સાચવવા માંગે છે કે તેને લોકશાહી વિરુદ્ધનું પણ કંઈ ખપે તેમ છે?

એવું જરા ય માનવાની જરૂર નથી કે લોકશાહી ખતરામાં છે. એવું નથી. તે ઈન્ટેકટ છે, પણ અત્યારના સંજોગો એવા છે કે પ્રજા લોકશાહી અંગે પૂરતી બેપરવા થઈ ગઈ છે. ચિંતાજનક છે તે આ. ઉદાહરણ આપીને વાત કરું તો ગઈ ૭ જૂનથી રોજ, એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ વધે છે. હવે એ સાબિત કરવાની જરૂર નથી કે વ્યક્તિના ભાવ ઘટે છે ને વસ્તુના ભાવ વધે છે. એ ક્રમે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધે છે ને રોજ વધે છે, પણ કૉન્ગ્રેસના જરાતરા વિરોધ સિવાય ખાસ કોઈ ઊહાપોહ નથી. એનો અર્થ એવો થાય કે ભાવવધારો કૉન્ગ્રેસને જ લાગે છે ને પ્રજાને તેની કોઈ અસર વર્તાતી નથી. કોઈ માઈનો લાલ પૂછતો નથી કે ભાઈ આ રોજ શું માંડ્યું છે? રોજ જ ભાવ કેમ વધે છે? એવું કોઈ પૂછતું નથી. આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ભાવો વધ્યા છે? કોઈ યુદ્ધ શરૂ થયું છે?ના, એવું તો કંઈ નથી. તો પછી ભાવો વધે છે કેમ? ને આ પેટ્રોલ-ડીઝલ પૂરતી જ વાત નથી. શાકભાજીનો ઉપાડ ઘટી ગયો ત્યારે શાક ફેંકાઈ ગયું, પણ સસ્તું ન જ થયું. બીજી ખાસિયત પણ જોવા જેવી છે. માની લઈએ કે આવક નથી એ સ્થિતિમાં ભાવો વધે તો તે સમજી શકાય, પણ આવક થાય પછી ભાવો ઘટવા જોઈએ, પણ તેવું થતું નથી. ભાવો વધેલા જ રહે છે ને તેમાં વધારો થશે, પણ ઘટાડો થતો નથી.

સરકારે માર્ચ ૧૪ને રોજ પેટ્રોલ અને ડીઝલમાં ત્રણ ત્રણ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી વધારી. પછી ફરી મે ૫ ને રોજ પેટ્રોલમાં ૧૦ રૂપિયા અને ડીઝલમાં ૧૩ રૂપિયા વધાર્યા. એમાં બે લાખ કરોડની વધારાની આવક થઈ. યાદ રહે કોરોના કાળમાં સરકારને આ આવક થઈ. આપણે ત્યાં એવું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર જ વધારે એવું નથી. એ સરકારની જ ત્રણ કંપનીઓ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ ભાવોની સમીક્ષા જૂન ‘૧૭થી કરતી જ આવી છે. એ બધામાં ન પડીએ તો પણ એટલું છે કે ૭ જૂનથી ૧૮ જૂન સુધીના ૧૨ દિવસમાં જ પેટ્રોલમાં ૬.૫૫ રૂપિયા અને ડીઝલમાં ૭.૦૪નો લિટરે વધારો થયો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે અગાઉ પેટ્રોલના ભાવમાં બે વખત સાત ટકાનો ઘટાડો સરકારે કર્યો હતો. આ એટલે કહ્યું કે રાજ્ય સરકારે ૧૬ જૂનથી બે રૂપિયાનો વધારો કર્યો તેનો ઊહાપોહ ન થાય. આ વધારો, પેલા રોજ વધતા ભાવ ઉપરાંતનો છે. આ બે રૂપિયા ખાસ ગુજરાત સરકારની ભેટ (કે ફેંટ) છે. આ વધારાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલા ભાવ નથી. તે તો હજી તળિયે જ બેઠેલા છે. તો, ભાવ વધારવાનું કારણ શું? કારણ એ કે સરકાર પાસે પૈસા નથી. મે મહિનામાં બે લાખ કરોડની સરકારને કમાણી થઈ તેમાં ગુજરાત સરકારને કંઈ મળ્યું નથી એમ માનીએ તો જ સરકાર પાસે પૈસા નથી એ વાત ગળે ઊતરે. નાયબ મુખ્યમંત્રીશ્રી, સરકાર પાસે પૈસા નથી તો તમે ભાવ વધારીને પ્રજાનું ખીસું કાતરશો, પણ આ ગાળામાં પ્રજા ક્યાં કમાવા ગઈ તે કહેશો? પૈસા તો પ્રજા પાસે પણ નથી. તો, તે કોનું ગજવું કાતરે? જેમ સરકારની આવક ઘટી છે એમ જ પ્રજાની આવક પણ પણ ઘટી છે તેનું શું? જેને કમાણી જ નથી થઈ એને લૂંટો છો, એટલી શરમ તો રાખો, ભલા માણસ!

એ સમજી શકાય એવું છે કે કોરોના પ્રકરણને કારણે સરકારોની આવક ઘટી છે એટલે તે વધારવા જુદા જુદા હેડ નીચે તે ભાવ વધારી આવક મેળવવા મથે છે, પણ આ જ ગાળો પ્રજા માટે પણ ખતરનાક પુરવાર થયો છે, તેનું શું? લાખો લોકોએ રોજગારી ગુમાવી છે. પગાર વગર રહેવાનું આવ્યું છે ને ખર્ચા તો ચાલુ જ રહ્યા છે. ઘરમાં રહેવાને કારણે વીજળીનો વપરાશ વધ્યો છે. સ્કૂલો-કોલેજો બંધ રહી, પણ તેની ફીની તલવાર માથે લટકે જ છે. ખાનગી નોકરી કરનારાઓ ઘરમાં રહેવા જતાં ઘરે બેઠાં છે તે સરકાર જાણે છે? ઘરમાં રહેવાનો કોઈ પગાર આપતું નથી, તેમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારીને સરકાર મરેલાંને મારવા બેઠી છે તે બરાબર નથી.

સરકાર પોતે મોંઘવારી વધારી રહી છે તે સ્પષ્ટ છે, કારણ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધે છે તો ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ પણ વધે છે. કારણ એ વાહનો ડીઝલથી ચાલે છે ને ડીઝલના ભાવ વધે તો તેનાં ભાડાં વધે જ છે. એને લીધે વાહનોમાં આવતી ચીજ વસ્તુઓ પણ મોંઘી થાય છે. એની અસર પણ પ્રજા પર જ પડે છે. એટલે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો સરકારે વિચારીને જ કરવો જોઈએ. છાશવારે ભાવ વધારવાનું કોઈ પણ રીતે પ્રજાનાં હિતમાં નથી એ સરકારે સમજવાનું રહે છે.

લોકડાઉનમાં દુનિયા લગભગ બંધ રહી એમાં એવું થયું કે વાતાવરણ સુધર્યું. જળ,વાયુનું પ્રદૂષણ ઘટ્યું. વાહનો બંધ પડ્યાં એને કારણે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ લગભગ બંધ રહ્યો. એની અસર એ પડી કે પેટ્રોલ-ડીઝલના ભાવ તળિયે નહીં, માઈનસમાં ગયા. પેટ્રોલને, પેટ્રોલની ટાંકીમાં જ પડીને આપઘાત કરવાનો વખત આવ્યો. એ તબક્કે તો એવું લાગતું હતું કે પેટ્રોલ, પાણીને ભાવે વેચાશે. પણ, ભારતમાં તો પાણી જ પેટ્રોલને ભાવે વેચાતું હોય ત્યાં પેટ્રોલ, પાણીને ભાવે તો વેચાય જ કેમ?ભારતમાં સસ્તું ને શુદ્ધ કશું મળે એમ નથી. તેનું કારણ છે – રાજા અને પ્રજા. બંને ભ્રષ્ટ છે. સરકાર જાણે છે કે પ્રજાને કઈ કઈ યુક્તિથી લૂંટી શકાય એમ છે. એટલે તે તો અનેક પ્રકારના સીધા-આડા કરવેરા નાખીને લૂંટશે જ. બીજી બાજુ પ્રજા પણ જાણે છે કે કેવી રીતે સરકારની આંખમાં ધૂળ નાખીને છટકતાં રહેવું. આ સ્પર્ધા છે ને એમાં જે પ્રમાણિક છે, ગરીબ છે, સાધારણ છે તેનો મરો થાય છે. એને જીવવાનો અધિકાર જ ન હોય તેમ દુનિયા તેની સાથે વર્તે છે. આમ ન થવું જોઈએ, પણ થાય છે ને એની શરૂઆત ઘણીવાર તો સરકારથી થતી હોય એવું લાગે છે. આ અટકવું જોઈએ.

પ્રગટ : “ધબકાર”, 19 જૂન 2020

Loading

ચાર દાયકા પછી ગુજરાતી દલિતકવિતાના નવા સ્વરૂપે દર્શન

ભી.ન. વણકર|Opinion - Literature|19 June 2020

બી / ઉમેશ સોલંકી

'તું છે કોણ?'
હું? 
હું સદીઓથી ધરામાં ખદબદતું બી
મળશે સ્હેજ અવકાશ 
તો તુર્ત વૃક્ષ
હશે મને અઠ્ઠાવીસ ડાળ
બધ્ધી ડાળમાં મોકળી હળવાશ
બધ્ધાં પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ
ત્યારે 
છાંયડે મારા આવીશ તું
તો હું 
નહીં પૂછું
તું છે કોણ?
કારણ 
હું સદીઓથી ધરામાં ખદબદતું બી.

ઉમેશ સોલંકી ‘નિર્ધાર' નામના માસિકના તંત્રી છે. નવોદિત કવિ છે. ભારતીય સમાજવ્યવસ્થામાં સૌપ્રથમ પુછાતો પ્રશ્ન, ‘તું છે કોણ?’ જેમાં પ્રદેશ, ભાષા કે ધર્મ નહીં પણ જાતિ પુછાય છે. કેટલાક ગ્રામીણ પ્રદેશમાં ‘કુણ બીના છો?’ જેવી પ્રાદેશિક બોલીમાં પુછાય છે, જેમાં ચાતુર્વર્ણનો નિર્દેશ સહજ પ્રગટ થાય છે. મરાઠી કવિવર કેશવસુત દલિતોના પક્ષધર બની બિનદલિત સમાજને પૂછે છે, ‘શા માટે પૂછો છો તમે કોણ?’ પછી જવાબમાં કવિ કહે છે, ‘આ અમે જ છીએ જેમના સર્જને અમૃત વરસાવ્યું, આ અમે જ છીએ જેમણે તમને માંગલ્યનું શરણ આપ્યું.’ 

અહીં ‘તું છે કોણ?'નો પ્રત્યુત્તરમાં કવિ ‘હું?'ને પ્રશ્નાર્થંમાં મૂકે છે, વ્યવહારમાં ‘તું' અને ‘હું’ અહીં જાતિપરખ પરિચય કે પછી તારું 'અસ્તિત્વ શું?’ ઘડીભર કવિ પોતે પણ ‘હું’ને પ્રશ્ન પૂછે છે. ‘અહં બ્રહ્માસ્મિ’ કે ‘શિવોહમ્’ જેવો કોઈ આધ્યાત્મિક સવાલ નવી કે ‘પ્રશ્નોપનિષદ'નો કોઈ પ્રશ્ન નથી. કવિ કોઈ પ્રતિદોષ કે પ્રતિઘોષ કરવાને બદલે પોતાની એક નવી ઓળખ વ્યક્ત કરે છે, 

‘હું સદીઓથી 
ધરામાં ખદબદતું બી 
મળશે સ્હેજ અવકાશ 
તો તુર્ત વૃક્ષ' 

ઊગવા માટે અવકાશ શોધતા, ધરામાં ધરબાયેલા બી સાથે પોતાની ઓળખ વ્યક્ત કરે છે. બીમાં રહેલી ક્ષમતા, સર્જકતા અને પ્રગટ હોવાપણાની સજીવી શક્તિ અસીમ છે. અહીં આકાશી વાત નવી, ધરતી પરની વાત છે. બી વૃક્ષ નથી બની શકતું, કારણ, તેને અવકાશ નથી મળ્યો. 'ઐતેરેય ઉપનિષદ’ના ઋષિ ઐતેરેયમુનિ માતાને પૂછે છે, ‘બીજા બાળકોની-ભાઈઓની જેમ મને મારા પિતા વહાલ નવી કરતા?’ ત્યારે ઈતરા કહે છે, ‘બેટા, આપણે ધરતીપુત્ર છીએ.’ ધરતીમાં રહેલી ફળદ્રૂપતા સર્જનત્વ અને બીમાં રહેલી વૃક્ષ પ્રગટવાની ક્ષમતા આ બધું ય હોવા છતાં કવિ કહે છે, ‘મળશે સ્હેજ અવકાશ …' અને આ અવકાશ સાથે કવિ કહે છે ‘સદીઓથી’, અહીં કવિ નિજી સમસ્યાના તમામ સંદર્ભ વ્યકત કરે છે, દલિતોમાં રહેલી ક્ષમતા અપાર છે, પરંતુ દલિતોને વિકસવા માટે, પ્રગટ થવા માટે અવકાશ મળ્યો નથી અને તે ય સદોઓથી … બીનું પ્રતીક લઈ કવિ અનેક ગર્ભિત સૂચિતાર્થો કલાત્મક રીતે અભિવ્યક્ત કરે છે. 

બીજી ટૂંકમાં કવિ કહે છે, 

‘હશે મને અઠ્ઠાવીસ ડાળ 
બધી ડાળમાં મોકળી હળવાશ
બધ્ધાં પાનમાં વ્હાલ નીતરતી ભીનાશ' 

અહીં અઠ્ઠાવીસ ડાળનો ઉલ્લેખ કરીને દેશનાં અઠ્ઠાવીસ રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે. આમ, આ વૃક્ષને રાષ્ટ્રીય ફલક મોકળી હળવાશ હશે પછી તો બધાં જ પાનમાં વહાલ નીતરતી ભીનાશ હશે. વૃક્ષ તેનાં ડાળે-ડાળે અને પાંદડે-પાંદડે ખીલી ઊઠશે. સમગ્ર રાષ્ટ્રમાં તે ફેલાયેલું હશે. રાષ્ટ્ર દેવો ભવ:! 

રાષ્ટ્રદેવતાને નમસ્કાર કરનાર નાગરિક બાબાસાહેબના શબ્દોમાં કહીએ તો, ‘હું પ્રથમ ભારતીય છું અને પછી પણ ભારતીય છું.' આમ, ભારત-રાષ્ટ્રની ભાવનાથી ભીંજાયેલો નાગરિક સોળે કળાએ ખીલી ઊઠ્યો હશે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આવનાર યુગ દલિતશક્તિનો હશે'. કવિવર રવીન્દ્રનાથ ટાગોર તેમની ‘રથયાત્રા' રચનામાં કહે છે, ‘રાષ્ટ્રીય રથના કર્ણધાર શૂદ્રો હશે’ આવી કંઈક જીજીવિષાનાં કારણોસર બીમાંથી વટવૃક્ષ બનવાનાં સ્વપનાં સેવે છે અને ત્યારે કવિ કહે છે, 

‘છાંયડે મારા આવીશ તું 
તો હું, 
નહીં પૂછું 
તું છે કોણ?’ 

આજે દલિતો તરફ તિરસ્કારની ભાવનાથી પૂછવામાં આવે છે તે રીતે દલિતો નહીં પૂછે કે,

‘તું કોણ છે?’ 

અહીં સમભાવ, સદ્ભાવ મને સમરસતા (?) વ્યક્ત થાય છે. ‘ગીતાંજલિ’માં રવીન્દ્રનાથ કહે છે, ‘હે મારા દેશ, તેં જેમને તિરસ્કાર્યા છે, અપમાન કર્યા છે તે તારે ભોગવવા ૫ડશે.’ દલિતસાહિત્ય વિદ્રોહ, અને પ્રતિશોધની ભાવનાથી પ્રગટ થયું છે એવું આ કવિ માનવાનું ના પાડે છે. ગુજરાતી દલિતકવિતાના આજે ચાર દાયકા પછી નવાં દર્શન થાય છે પ્રતિશોધ નહીં પણ બંધુતા, સમાનતા અને સ્વતંત્રતા સૌ માટે હોવાનું કવિ અહીં પ્રગટ કરે છે. તું મને હુંના કારણે તો ‘સાબાર ઉ૫૨ માનુષ સત્ય' (ચંડીદાસ) જેવું સનાતન સત્ય ભુલાઈ ગયું છે. રવીન્દ્રનાથ ટાગોરે યથાર્થ જ કહ્યું છે, ‘આપણી સંસ્કૃતિ ત્યારે જ એની પૂર્ણતાને પામે છે જ્યારે માનવતાને પ્રગટ કરે છે … માનવજગતને યાતના સહન કરવી પડે છે કારણ કે અનેકવિધ ગતિ તાલબદ્વ નથી.’ આમ, કવિ ઈચ્છે છે કે હું સદીઓથી ધરામાં ખદબદું છું તેમ અન્યને નસીબે ના હો! તેમ છતાં સદીઓની યાતના કોઈ એક રાતમાં પૂર્ણ ના થાય, 

આમ જો કહેવા બેસું તો યુગો વીતી જશે
આમ જો તું સાંભળે, તો એક ક્ષણની વાત છે
એક રાતાચોળ ગુલમહોરે જે આરંભી હતી
હવે અનાદિકાળથી મ્હોરેલ વ્રણની વાત છે

                                                   – ભગવતીકુમાર શર્મા

આ વ્રણને વર્ણવવા બેસીએ તો યુગો વીતી જાય, પરંતુ ક્ષણમાં પૂર્ણ કરવી હોય તો માનવતા, બંધુતા અને પ્રેમ પૂરતો છે. આ ભાવનાથી બંધાયેલી પ્રજાની નાતો છે પરિણામે રાષ્ટ્ર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. કવિ કરસનદાસ માણેક્ના શબ્દોમાં કહીએ તો, 

‘નથી ગમતું ઘણું, પણ કૈંક તો એવું ગમે છે, 
બસ એને કારણે આ ઘરતીમાં રહેવું ગમે છે.’

આમ, કવિ સમગ્ર કવિતામાં દલિતોમાં રહેલી ‘વૃક્ષ' બનવાની અમાપ ક્ષમતાને વ્યક્ત કરે છે, જેમાં રાષ્ટ્રભાવના, માનવતા અને બંધુતાની વાત કરીને દલિતકવિતા એ પ્રતિશોધની નથી, પરંતુ રાષ્ટીય ભાવનાથી રંગાયેલી માનવીય સમરસતાની (?) કવિતા છે તે અહીં ‘બી'ના કલ્પન દ્વારા કવિએ સુપેરે વ્યક્ત કરી છે.

(પ્રગટ : 'દિશા' 15 સપ્ટેમ્બર, 2009)

Loading

...102030...2,3002,3012,3022,303...2,3102,3202,330...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved