Opinion Magazine
Number of visits: 9574790
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્ય પરિષદના નામમાં ‘ગુજરાતી’ શબ્દ ૧૯૦૫માં તેની સ્થાપના વખતથી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 July 2020

ઇતિહાસકારનું કામ ઐતિહાસિક તથ્યોનો અભ્યાસ કરીને વર્તમાનને મુલવવાનું અને ભવિષ્યનું પૂર્વાનુમાન કરવાનું છે, પણ ઇતિહાસકાર જ્યારે ઇતિહાસની કોઈ વાતનો ઉપયોગ 'સળી' કરવા માટે કરે, ત્યારે તેના અભ્યાસ અને મૂલ્યાંકન, બંને પર શંકા જાય. ગયા અઠવાડિયે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ આવી જ એક સળી કરીને અનાવશ્યક અને બેવકૂફીભર્યો વિવાદ ઊભો કર્યો. તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર, ૧૯૩૦ના દાયકામાં એક બ્રિટિશ લેખક ફિલિપ સ્પ્રેટના કથિત વિધાનને ટ્વીટ કરીને, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં લોકોને નારાજ કરી દીધા. ૧૧ જૂને ગુહાએ ટ્વીટ કરી હતી – "ફિલિપ સ્પ્રેટે ૧૯૩૯માં લખ્યું હતું – ગુજરાત ભલે આર્થિક રૂપે સમૃદ્ધ હોય, પણ સાંસ્કૃતિક સ્તરે પછાત છે … જ્યારે બંગાળ આર્થિક રૂપે પછાત છે, પણ સાંસ્કૃતિક સ્તરે વિકસિત છે."

સ્વાભાવિક રીતે જ ગુજરાત અને પશ્ચિમ બંગાળે તો, ફિલિપ સ્પ્રેટ તો સ્વર્ગસ્થ છે એટલે, રામચંદ્ર ગુહાની આ ગુસ્તાખીનો આકરો વિરોધ કર્યો, પણ અન્ય પક્ષો અને બુદ્ધિજીવીઓએ પણ આ વિધાનના ઔચિત્ય સામે પ્રશ્ન કર્યો. રામચંદ્ર ગુહાએ એ વિધાનની આગળ-પાછળ કોઈ સંદર્ભ આપ્યો ન હતો, એટલે બહુ વિરોધ થતાં એ એવું કહીને છૂટી પડ્યા કે, "હું જ્યારે કોઈ કથનનો હવાલો આપું, જે મને મારા રિસર્ચ દરમિયાન મળે, તો એ મને રસપ્રદ લાગે એટલે કરું છું, જરૂરી નથી કે તે વિચારો સાથે હું સંમત છું. એટલે તમે તમારો પ્રેમ અને ગુસ્સો એ વ્યક્તિ માટે જ રાખો, જેનું એ કથન છે."

રામ ગુહાને આ વિધાન કેમ 'રસપ્રદ' લાગ્યું, તે તેમને ઓળખનારા લોકો માટે સમજવું આસાન છે. શક્ય છે કે તેઓ કશું વાંચતા હોય અને ફિલિપ સ્પ્રેટનું આ વિચિત્ર વિધાન નજરે પડ્યું હોય, પણ એમાં એવી ય કોઈ ઊંડી, ડાહી કે મહાન સામાજિક સમજણ નથી કે તેને તત્કાળ લોકો સમક્ષ રજૂ કરવી પડે. રામ ગુહા પોતે ગુજરાતી સંસ્કૃતિમાંથી પેદા થયેલા મહાત્મા ગાંધીના લેખક છે, અને આસાનીથી ફિલિપ સ્પ્રેટના કથિત વિધાનની ઉપેક્ષા કરી શક્યા હોત, પણ તેમણે 'સળી' કરવાના આશયથી જ તેને ટ્વીટ કર્યું હતું. સોશ્યલ મીડિયા પર ભલભલા બુદ્ધિજીવીઓ ઘા ભેગો ઘસરકો ને લીટી ભેગો લસરકો કરવાનું ચૂકતા નથી, તેનું આ ઉદાહરણ છે.

આ ફિલિપ સ્પ્રેટ કોણ હતો? વિકિપીડિયા કહે છે કે ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સ્થાપકો પૈકીનો એક ફિલિપ સ્પ્રેટ (૧૯૦૨-૧૯૭૧) હતો, અને ૧૯૨૯માં મેરઠ ષડ્યંત્ર નામના એક કેસમાં રાજદ્રોહ બદલ બ્રિટિશરોએ તેને જેલમાં પૂર્યો હતો. એટલે શક્ય છે કે તેને ગુજરાતીઓની ઉદ્યોગસાહસિકતા સામે વિરોધ હોય. ફિલિપ સાઉથ લંડનમાં પેદા થયો હતો અને કેમ્બ્રિજમાં ગણિતમાં અભ્યાસ કરતી વખતે કેમ્બ્રિજની ચર્ચા સભા, યુનિયન સોસાયટી, અને યુનિવર્સિટી લેબર ક્લબનો સભ્ય બન્યો હતો.

૨૪ વર્ષની ઉંમરે તેને, ઈંગ્લેંડમાં ભારતીય સર્જન ઉપેન્દ્ર દત્તના પુત્ર ક્લેમેંસ દત્તે, ભારત જઈને કમ્યુનિસ્ટ પાર્ટીની રચના કરવાનું સૂચન કર્યું હતું. તેનું કામ ભારતીય કૉનગ્રેસ, ટ્રેડ યુનિયનો અને યુવા સંગઠનોમાં કમ્યુનિસ્ટ સભ્યોને નેતાગીરી અપાવવાનું હતું. ૧૯૨૭માં ફિલિપ સ્પ્રેટે 'ઇન્ડિયા એન્ડ ચાઈના' નામની એક પત્રિકા લખી હતી અને તે બદલ તેની ધરપકડ થઇ હતી. તે પછી માર્ચ ૧૯૨૯માં બ્રિટિશ ઇન્ડિયા સામે બળવો કરવા બદલ ફિલિપ સ્પ્રેટ સહિત ૩૦ કમ્યુનિસ્ટો, કૉન્ગ્રેસીઓ, કામદાર આગેવાનોની મેરઠમાં ધરપકડ થઇ હતી. સ્પ્રેટને એમાં ૧૨ વર્ષની જેલ થઇ હતી, પરંતુ અપીલ બાદ તેને ૨ વર્ષની કરવામાં આવી હતી. જેલમાં તેનું 'હૃદય પરિવર્તન' થયું, અને સામ્યવાદમાંથી તેનો વિશ્વાસ ઊઠી ગયો. કોલકત્તાના 'મોડર્ન રિવ્યુ' નામની પત્રિકામાં તેણે દિલ પણ ઠાલવ્યું હતું.

૧૯૩૪માં સવિનય કાનૂન ભંગ વિરોધી ધારા હેઠળ તેની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને કર્ણાટકમાં બેલગામ કિલ્લામાં ૧૮ મહિના સુધી રાખવામાં આવ્યો હતો. તે મેરઠમાં હતો, ત્યારે હિન્દી શીખ્યો હતો અને તેણે હિન્દીમાં પહેલું પુસ્તક વાંચ્યું, તે મહાત્મા ગાંધીની 'આત્મકથા' હતી. તેના પરથી તેણે ગાંધીજી પર અભ્યાસ કરવા નક્કી કર્યું હતું અને બેલગામમાં હતો, ત્યારે 'ગાંધીઝમ: એન એનાલિસ' નામનું પુસ્તક લખ્યું હતું.

૧૯૪૩માં તે એમ.એન. રોયની ડેમોક્રેટિક પાર્ટીનો સભ્યો બન્યો હતો અને ૧૯૪૮માં પાર્ટીનો વિલય થયો પછી તે ઇન્ડિયન કૉન્ગ્રેસ ફોર કલ્ચરલ ફ્રિડમમાં જોડાયો હતો. ૧૯૬૪ સુધી તે બેંગ્લોરમાં 'માય ઇન્ડિયા' નામના મૂડીવાદ તરફી સામાયિકનો તંત્રી રહ્યો હતો, જેમાં તેણે ઉદ્યોગસાહસિકોને સાથે અપરાધી જેવો વ્યવહાર કરતી સરકારની ટીકા કરી હતી. પછી તે મદ્રાસ ગયો અને સી. રાજગોપાલાચારીના 'સ્વરાજ' સમાચારપત્રનો તંત્રી બન્યો હતો. ૮ માર્ચ ૧૯૭૧માં મદ્રાસમાં જ તેનું અવસાન થયું.

શરૂમાં ઉધોગસાહસિકતાનો વિરોધ અને પછી તેની જ તરફેણ કરવા પાછળ ફિલિપ સ્પ્રેટનાં કોઈ મજબૂત સૈદ્ધાંતિક કારણો નહીં જ હોય (અને એટલે ગુહાએ ટાંકેલું તેનું વિધાન પણ ઉપેક્ષા કરવા જેવું જ છે), પણ આ વિવાદમાં એક એવો તર્ક પણ આપવામાં આવ્યો કે સ્પ્રેટે ગુજરાતનું નામ લઈને આવું કહ્યું હોય તે વાત જ ખોટી છે, કારણ કે ગુજરાત તો ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું, અને તે વખતે (૧૯૩૯માં) ‘ગુજરાત’ નામ ચલણ ન હતું. આજનું ગુજરાત બોમ્બે પ્રેસિડેન્સીનો હિસ્સો હતું. આ એક અલગ વિષય બની શકે તેમ છે : ગુજરાતનું નામ સ્વતંત્ર રાજ્ય બન્યા પછી અસ્તિત્વમાં આવ્યું કે તે પહેલાં પણ તે બોલાતું હતું?

‘ઓલ્ટ ન્યુઝ’ નામની એક ફેક્ટ-ચેકિંગ કરતી વેબસાઇટે એવો હવાલો આપ્યો છે કે સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ બહુ પહેલેથી ‘ગુજરાત’નો ઉલ્લેખ કરતા હતા. રવીન્દ્રનાથ ટાગોરે લખેલા અને ૧૯૧૧માં પહેલીવાર ગવાયેલા રાષ્ટ્રગીતમાં ‘ગુજરાત’નો ઉલ્લેખ છે. મહાત્મા ગાંધીએ ૧૯૪૮માં લખેલા (સિલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી : વોલ્યુમ ૪) એક પત્રમાં તેમણે ‘ગુજરાતના લોકો’ શબ્દ વાપર્યો છે. ‘ઓલ્ટ ન્યુઝ’ કહે છે કે સ્વતત્રતા પહેલાં ગાંધીજીએ સરદાર પટેલને લખેલા અનેક પત્રોમાં ‘ગુજરાત’નો ઉલ્લેખ છે. બ્રિટિશ શાસન હેઠળની બોમ્બે પ્રેસિડેન્સીના ગેઝેટ(૧૮૮૦)માં અને ૧૯૧૧ની ભારતીય વસ્તી ગણતરીમાં પણ ‘ગુજરાત’નો ઉલ્લેખ છે.

ગુજરાત રાજ્ય સરકારના પોર્ટલમાં સંદર્ભ છે કે ‘ગુજરાત’ નામ ‘ગુજ્જરોની ભૂમિ’ પરથી આવ્યું છે, જે ૭૦૦મી-૮૦૦મી સદીમાં અહીં શાસન કરતા હતા. જેના કારણે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ પડ્યું, તે ‘મહાગુજરાત ચળવળ’ શબ્દની રચના કનૈયાલાલ મુંશીએ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં કરી હતી. સાહિત્ય પરિષદના નામમાં ‘ગુજરાતી’ શબ્દ ૧૯૦૫માં તેની સ્થાપનાની સાથે જ છે. પરિષદના પહેલા પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી હતા, જેમની કાલજયી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’એ ગુજરાતી સંસ્કૃતિનો ડંકો દેશ-વિદેશમાં વગાડ્યો છે.

ખાલી પરિષદના પ્રમુખ રહી ચૂકેલા અમુક નામો વાંચીએ, તો ય ખબર પડે કે ગુજરાત સંસ્કૃતિક ક્ષેત્રે કેટલું સમૃદ્ધ હતું : નરસિંહરાવ દીવેટિયા, ‘આચાર્ય’ આનંદશંકર ધ્રુવ, મોહનદાસ કરમચંદ ગાંધી, અરદેશર ખબરદાર, રામનારાયણ વી. પાઠક, કાકા કાલેલકર, જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્‌,’ ઝીણાભાઈ દરજી ‘સ્નેહરશ્મિ,’ મનુભાઈ પંચોલી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, જયંત પાઠક, નિરંજન ભગત, નારાયણ દેસાઈ, વગેરે.

ફિલિપ સ્પ્રેટે અને રામ ગુહાને આ ખબર ના હોય, તે શક્ય છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 જુલાઈ 2020

Loading

સંઘવીસાહેબને છેલ્લી સલામ…

દિવ્યાશા દોશી|Opinion - Opinion|13 July 2020

૧૦૦ વર્ષની ઉંમરે પણ તેઓ ટટ્ટાર ચાલતા, કમ્પ્યુટર વાપરતા અને આજની દુનિયા સાથે અનુસંધાન સાધી શકતા. રવિવારે સુરતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ કાર્યરત હતા.

તડફડ કરનારા સંઘવીસાહેબ કહો કે નગીનબાપા કહો, તેઓ હવે આ દુનિયામાં નથી એ સાંભળવું તેમને મળનાર દરેકને માટે અઘરું લાગે. ૧૦૦ વર્ષની ઉંમરે પણ તેઓ ટટ્ટાર ચાલતા, કમ્પ્યુટર વાપરતા અને આજની દુનિયા સાથે અનુસંધાન સાધી શકતા. રવિવારે [12 જુલાઈ 2020] સુરતમાં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ કાર્યરત હતા. તેમના પૌત્ર સૌમિલ સાથે તેમણે વાત કરી હતી એને યાદ કરતાં સૌમિલ જણાવે છે કે ‘તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી ડૉક્ટર પાસે લઈ ગયા હતા અને છાતીમાં પાણી ભરાયું હોવાથી હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા અને ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા.’

નગીનદાસ સંઘવીને મળનાર કે શ્રોતા તરીકે સાંભળનાર વ્યક્તિ તેમના ખડખડાટ હાસ્યને વીસરી ન શકે. કટારલેખક અને વિશ્લેષક તરીકે જાણીતા નગીનદાસ સંઘવીએ કૉલમ લખવાની શરૂઆત સુરતના ‘ગુજરાતમિત્ર’થી કરી હતી અને યોગાનુયોગ તેમણે અંતિમ શ્વાસ પણ સુરતમાં લીધા. મૂળ સૌરાષ્ટ્રના, પણ કર્મભૂમિ મુંબઈ જે તેમને ખૂબ પ્રિય હતું. તેમના જીવનનો મોટો કાળ મુંબઈમાં વીત્યો. છેલ્લે તેમને મળવાનું સુરતમાં બન્યું ત્યારે મુંબઈ જેવી મજા ગુજરાતમાં નથી આવતી એવી આછી ફરિયાદ તેમણે કરી હતી. મુંબઈનું ધમાલિયું જીવન તેમને યાદ આવતું હતું. જો કે જીવનના દરેક પડાવને તેમણે સ્વીકાર્યા છે એ જ રીતે આ પડાવને પણ સહજતાથી સ્વીકારી લીધો હતો.

નગીનદાસભાઈ હંમેશાં સફેદ લેંઘો-ઝભ્ભો પહેરતા. લગભગ ૬ ફૂટની શારીરિક ઊંચાઈ. છેલ્લાં વર્ષોમાં તેમણે જીવનમાં અંગત રીતે અનેક ચડાવ-ઉતાર જોયા હતા. મૂળ ભાવનગરના, પણ તેમનો જન્મ બ્રહ્મદેશના અક્યાબ[Akyab]માં ૧૯૧૯ની ૨૧ એપ્રિલે. પ્રાથમિક શિક્ષણ ભાવનગર રાજ્યના ભૂંભલી ગામમાં લીધું હતું, તો ભાવનગર શહેરમાંથી બીએ પાસ કરીને મુંબઈ આવ્યા હતા. અહીં તેમણે માસ્ટર્સ કર્યું અને ત્રણેક વર્ષ ઇન્શ્યૉરન્સ કંપનીમાં નોકરી પણ કરી હતી. ત્યાર બાદ ત્રણ કૉલેજમાં ૩૨ વર્ષ પ્રોફેસર તરીકે નોકરી કરી. સૌ પ્રથમ ભવન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. પૉલિટિકલ સાયન્સ અને ઇતિહાસ તેમના મુખ્ય વિષય રહ્યા હતા. છેલ્લે મીઠીબાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા હતા. ૧૯૬૫ની સાલથી તેમણે કૉલમ લખવાનું શરૂ કર્યું હતું. અધ્યાપક તરીકે નિવૃત્ત થયા બાદ તેમનો એકનો એક દીકરો જયંત ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો, એટલે ઘરની દરેક જવાબદારી પાછી તેમના શિરે આવી હતી. પત્નીના મૃત્યુ બાદ મોટી ઉંમરે એટલે કે ૯૭ વર્ષની ઉંમરે એકલા રહેવાનું અઘરું પડતાં મોટી દીકરી હર્ષા સાથે સુરત રહેવા ગયા હતા. તેમને બે દીકરીઓ હર્ષા અને ઉષા છે. ૨૦૧૮ની સાલમાં તેમને પદ્‍મશ્રીનો ખિતાબ મળ્યો હતો.

મુંબઈ સ્થાયી થવાની વાત કરતાં નગીનદાસભાઈએ કહેલું કે ‘એ દિવસોમાં સૌરાષ્ટ્રથી લોકો રોજગારની શોધમાં મુંબઈ જ આવતા, કારણ કે ત્યારે ગુજરાતનાં શહેરો એટલાં વિકસ્યાં નહોતાં એટલે બીજો કશો જ વિચાર કર્યા વિના મુંબઈ આવવાનું જ હોય અને એ પણ વાયા વિરમગામ. મને કૉલેજમાં ભણાવવાની ઇચ્છા તો હતી, પણ અંધેરીની ભવન્સ કૉલેજમાં એ સમયે ભણાવવા જવાની હિંમત કોઈ નહોતું કરતું. આપણે તો ત્યારથી જ બિન્દાસ હતા. ડરવાનું તો હું શીખ્યો જ નહોતો એટલે સૌ પ્રથમ ભવન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે સારા પગાર સાથે જોડાયો. અંધેરીમાં એ સમયે આટલી વસ્તી નહોતી. ત્યાર બાદ રૂપારેલ કૉલેજમાં દસેક વર્ષ ભણાવ્યું. એ સમયગાળા દરમ્યાન મેં ખૂબ વાંચ્યું અને વિચારોને યોગ્ય રીતે રજૂ કરતાં શીખ્યો. રૂપારેલ કૉલેજમાં આવતા વિદ્યાર્થીઓ ખૂબ સજ્જ હોવાને કારણે મારું પણ ઘડતર થયું એવું કહી શકાય. એ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં એટલે ગુજરાતી વિરુદ્ધની ઝુંબશનો સામનો મારે ય કરવો પડ્યો હતો, કારણ કે એ વિસ્તાર મહારાષ્ટ્રિયન. બીજા બધા પ્રોફેસર મહારાષ્ટ્રિયન અને હું એકલો જ ગુજરાતી. બંદા ત્યારે ય ડર્યા વિના, ધમકીઓની પરવા કર્યા વિના લેક્ચર લેવા જતા.’

આમ નગીનદાસ સંઘવી નીડર વ્યક્તિત્વના સ્વામી હોવાને કારણે જ રાજકારણ અને રાજકારણીઓ વિશે કે ધર્મ વિશે સંશોધન કરીને સત્ય બિન્દાસ કહી શકતા. અભ્યાસ કર્યા સિવાય કશું જ લખવું કે બોલવું નહીં એ તેમનો સિદ્ધાંત. તેમણે ૧૯૮૫માં ‘રામાયણની રામાયણ’ નામે કૉલમ ‘સમકાલીન’માં લખી હતી. આ કૉલમ લખવાનો હેતુ મૂળ કથાની સાચી અને સાધાર તેમ જ સચોટ રજૂઆત કરવી. ધર્મના નામે જે બાબાઓ-સંતો વાતો કરતા હતા તેમની સામે સંશોધનપૂર્ણ વાત કરવાનો તેમનો મૂળ હેતુ હતો. જો કે એમાં કેટલીક એવી બાબતો હતી જે રૂઢિગત માન્યતાઓને ગળે ઊતરે એવી નહોતી એથી એ સમયે તેમનો ખાસ્સો વિરોધ થયો હતો. તેમના પર અનેક આક્ષેપ થયા અને કૉલમ બંધ કરવી પડી. તેમણે બીજા જ વર્ષે ‘રામાયણની અંતરયાત્રા’ નામે પુસ્તક જાતે જ પ્રકાશિત કર્યું. જેમને રામાયણ વિશે સંશોધનાત્મક વાંચવું હોય તેમણે આ પુસ્તક વાંચવું જ રહ્યું.

નગીનદાસ સંઘવીએ સ્વતંત્ર ભારતના દરેક વડા પ્રધાનનો કાર્યકાળ જોયો છે. દરેક રાજકીય નેતા અને પક્ષ વિશે અભ્યાસપૂર્ણ અને વિશ્લેષણાત્મક લેખો પણ તેમણે હજી આ અઠવાડિયા સુધી લખ્યા હતા. રાજકારણ વિશેનો તેમનો અભ્યાસ અને સ્પષ્ટ અભિગમ હોવા છતાં તેમને કોઈ રાજકીય પક્ષોએ ટ્રોલ નહોતા કર્યા. લોકોને ગમે એવું લખવાનો પ્રયત્ન તેમણે ક્યારે ય નહોતો કર્યો, પણ પોતે સંશોધન અને અભ્યાસ કર્યા બાદ જે માને એ સ્પષ્ટ રીતે કહેવામાં તેઓ કોઈની શેહશરમ રાખતા નહીં. રાજકારણનો તેમનો અભ્યાસ અને સમજ જોઈને રાજકારણમાં કેમ સક્રિય નહોતા થયા એવા સવાલ તેમને વારંવાર પુછાતા ત્યારે નગીનદાસ બ્રૅન્ડ આંખોમાં ચમક સાથે જવાબ આપતા, ‘રાજકારણમાં જોડાવા માટે ત્રણ લાયકાત હોવી જરૂરી છે. એક, એ માણસ સંત જેવો હોવો જોઈએ કે પછી શ્રીમંત હોવો જોઈએ અને કાં તો શઠ હોવો જોઈએ. મારામાં આ ત્રણેય લક્ષણ ન હોવાને કારણે રાજકારણમાં ન ગયો.’ આવું કહીને તેઓ ખુલ્લા મોઢે ખડખડાટ હસતા.

જો કે તેઓ શરૂઆતમાં મુંબઈ આવ્યા ત્યારે કાંદિવલીમાં રહેતા એ સમયે રાજકીય પાર્ટી સાથે સક્રિય કામ પણ કર્યું છે એ ઓછા લોકો જાણે છે. લગભગ ૧૯૫૬ની સાલમાં તેઓ કૉન્ગ્રેસમાં સક્રિય હતા. મિત્રો માટે ચૂંટણીસભાઓમાં ભાષણો પણ આપ્યાં છે. ગાંધીજી વિશે તેઓ કહેતા કે આપણા દરેક રાજકારણીઓએ ગાંધીજીને અનુસરવા જેવું છે. ખાસ કરીને જ્યારે કોઈ સમાજસેવાની વાત કરતું હોય ત્યારે ગાંધીજીનું જીવન સમજવું જરૂરી છે. પોતે ગાંધીજી જેવા સંત નથી એટલે પણ રાજકારણમાં ન ચાલી શકે એવું કહીને તેઓ પોતાના પર હસી શકતા.

ચિંતક-ફિલોસૉફર પ્લેટોને તેઓ અવારનવાર ટાંકતા. પ્લેટોએ કહ્યું હતું કે તમારે કોઈ માણસને સુધારવો હોય તો હરામખોર માણસને સુધારો, કારણ કે તેનામાં શક્તિ છે, હિંમત છે અને કામ કરવાની આવડત પણ છે. સામાન્ય માણસ નકામો છે એ આમે ય નકામો અને તેમે ય નકામો. હું સામાન્ય માણસ છું એટલે રાજકારણમાં ન જઈ શકું, પણ પ્લેટોએ કહ્યું છે કે જો તમે સરકારની ગતિવિધિમાં રસ ન લેતા હો તો મૂરખ વ્યક્તિના શાસન તળે જીવવા નિર્માયા છો.

નગીનદાસભાઈએ મુંબઈમાં જીવનનિર્વાહ માટે અનેક સંઘર્ષ છેલ્લે સુધી કર્યા છે. મુંબઈમાં સ્થાયી થયા ત્યારે વગડા જેવા કાંદિવલી વિસ્તારમાં રહેતા. લગ્ન કર્યાં એટલે બે છેડા ભેગા કરવા તેમણે અનુવાદનું કામ પણ પુષ્કળ પ્રમાણમાં કર્યું હતું. પછી તો અધ્યાપક થયા અને કૉલમ લખવાનું પણ શરૂ કર્યું એટલે જાણીતા થયા છતાં હજી આજે પણ લેખ લખતાં પહેલાં તેઓ એ સંદર્ભે અભ્યાસ કરવાનું ચૂકે નહીં. પત્રકારત્વ વિશે તેમની સ્પષ્ટ સમજ હતી. તેમનો આગ્રહ રહેતો કે પત્રકારત્વમાં વાંચન અને અભ્યાસ ખૂબ જરૂરી છે. તેમને અફસોસ પણ હતો કે આજે મોટા ભાગના પત્રકારો વાંચતા નથી કે પોતાનું હોમવર્ક કરતા નથી. રાજકારણી વિશે તેઓ કહેતા કે પહેલાં લોકો સમાજસેવા માટે રાજકારણમાં આવતા, જ્યારે આજે લોકો પોતાની ‘સેવા’ માટે એટલે કે ‘લેવા’ માટે રાજકારણમાં આવે છે. પહેલાંના રાજકારણીઓ વિદ્વાન હતા. તેઓ ખૂબ વાંચતા અને અભ્યાસુ હોવાને કારણે તેમની સાથે મુદ્દાસર વાત થઈ શકતી. સ્પષ્ટવક્તા હોવાની છાપ ધરાવતા નગીનદાસ સંઘવીની સ્પષ્ટતા હવે મળવી મુશ્કેલ છે. તડ ને ફડ વાત કહેનાર નગીનદાસભાઈ અંગત રીતે ખૂબ હળવા અને રમૂજવૃત્તિ ધરાવનાર વ્યક્તિ હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી મોરારિબાપુની રામકથાનો વિદેશના શ્રોતાઓ માટે અંગ્રેજીમાં અનુવાદ કરતા. બાપુની અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહેતા એ બદલ ક્યારેક તેમની ટીકા પણ થતી. તેમને અંગત રીતે જાણનાર વ્યક્તિઓ એની પાછળના દૃષ્ટિકોણને સમજી શકતા. ભારતીય પ્રાચીન પરંપરા અને આધુનિક સમાજ બન્નેનું તેમનું અધ્યયન અસાધારણ હતું.

તેમની વિદ્વત્તાનો ભાર સામી વ્યક્તિને ન લાગે એની દરકાર પણ તેઓ રાખતા. દરેક વસ્તુ અને બાબતને ઝીણવટથી તલસ્પર્શી રીતે સમજવાનો તેઓ પ્રયત્ન કરતા. તેઓ પોતે પણ વિદ્વત્તાના ભાર સાથે ન જીવતા એટલે જ તેઓ સ્વસ્થતાથી અને સહજતાથી ૧૦૦ વર્ષ જીવી શક્યા. તેમની ટીકા કરનાર વ્યક્તિ પણ તેમને મળ્યા બાદ તેમની હળવાશના પ્રભાવમાં આવ્યા વિના ન રહેતી.

ગુજરાતી પત્રકારત્વમાં આટલી ધારદાર, સત્યનિષ્ઠ અને લાંબી ઇનિંગ્સવાળી કલમ આજે વિરામ પામી છે. આવી કલમ માટે ગુજરાતી પ્રજા તેમની સદા ઋણી રહેશે.

***

તેમને શ્વાસની તકલીફ થતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) જાણીતા કટારલેખક અને પદ્‍મશ્રીનું સન્માન મેળવનાર નગીનદાસ સંઘવીનું ગઈ કાલે ૧૦૦ વર્ષની ઉંમરે સુરતમાં અવસાન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સુરતના મહિધરપુરામાં આવેલી બુરહાની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. બપોરે સાડાત્રણ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું હોવાની સાથે આ વર્ષે જ તેમને પદ્‍મશ્રીથી સન્માનિત કરાયા હતા. ૧૦ માર્ચે નગીનદાસભાઈએ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

કટારલેખક નગીનદાસભાઈનો જન્મ ૧૯૨૦ની ૧૦ માર્ચે ભાવનગરમાં થયો હતો. અહીંની જાણીતી શામળદાસ કૉલેજમાંથી તેમણે બી.એ. કર્યું હતું. ૧૯૫૧થી ૧૯૮૦ દરમ્યાન મુંબઈની ત્રણ કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક રહ્યા હતા.

મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

હું જ્યારે તેમને પહેલી વખત મળ્યો ત્યારથી ‘બાપા’ કહીને જ સંબોધતો રહ્યો છું. અચાનક બાપાએ તેમની શતાયુ યાત્રા પૂરી કરી લીધી છે. તેઓ ‘તડ અને ફડ’ લખતા રહ્યા અને જીવન સાથે પણ થોડા જ કલાકોમાં તેમણે તડફડ કરી લીધું.

તેમને હું શ્રદ્ધાંજલિ તો શું આપું? મને આ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ વડીલનો સત્સંગ સતત મળતો રહ્યો. એક સાચા શબ્દસેવી એવા પૂજ્ય બાપાના નિર્વાણને હું મોરારિબાપુ હૃદયથી પ્રણામ સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પરિવારજનોને પણ મારા પ્રણામ. જેમનું સમગ્ર જીવન શ્લોકમય હોય તેમની વિદાયનો શો શોક કરવો? તેમની ચેતનાને પુનઃ પ્રણામ કરું છું.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક અને વિચારક હતા. તેમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની અસાધારણ શક્તિનો પરિચય થાય છે. તેમના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ વાચકવર્ગને સાંત્વના …

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 13 જુલાઈ 2020

https://www.gujaratimidday.com/news/articles/in-memory-of-gujarati-columnist-nagindas-sanghvi-divyasha-doshi-writes-about-the-sharp-columnist-121627

Loading

અલવિદા નગીનબાપા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 July 2020

શતાયુ નગીનદાસ સંઘવીનું, મોરારિબાપુના સેવ્યા નગીનબાપાનું જવું – અને તે બિલકુલ કલમકર્મે જોતરાયેલ જેવા અગર તો બુટ સોતા સોલ્જર પેઠે જવું – એ ખરું જોતાં જીવનનો ઉત્સવ છે. એમના વર્ગશિક્ષણ વિશે તો કોઈ છાત્ર કહેશે ત્યારે જાણીશું. પણ આ અધ્યાપકે વિશેષરૂપે નિવૃત્તિ પછી કલમ ઝાલી એ મુદ્દત આખી આપણે એમની તડફડાટીથી જાણીએ છીએ. આ પ્રક્રિયામાં હવાઇ આડી ફાટી શકે પણ સામાન્યપણે સેનિબિટી (વયપ્રાપ્ત આડાઅવળી) શોધી ન જડે.

મળવાનું તો મોડેથી થયું, નવનિર્માણ આસપાસના ગાળામાં એકાદ રાતે અમારે ધાબે પણ રોકાયા હશે, પણ એમની કીર્તિ એ પૂર્વે ભોગીભાઈ પાસે ખાસી સાંભળી હતી. જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણીમાં એ ‘સ્વરાજ દર્શન’ સાથે લેખક તરીકે જોડાયેલા હતા અને સંપાદક ભોગીલાલ ગાંધી ને લેખક સંઘવી પળ પળ માથાઝીકના પાછળથી સંભારવા ગમે એવા દોરમાંથી પસાર થયા હતા. કેટલીક વાર સિનિક જેવા વરતાતા નગીનદાસે, પાછળથી એક વાર મને કહેલું કે ભોગીભાઈનિમંત્ર્યા ઢેબરભાઈએ ‘સ્વરાજદર્શન’ની પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું ત્યારે સાદ્યંત વાંચી જવાના એમના આગ્રહે અમારે ચર્ચામાં ઊતરવાનું આવ્યું અને એમણે ઝીણી ઝીણી વિગતોમાં સ્વાનુભવને ધોરણે ઊંડા જવું પસંદ કર્યું એ જુદો જ અનુભવ હતો. ઢેબરભાઈની આ ગુણસંપદાથી સામા નહીં તો પણ અલગ છેડાનો એમનો અનુભવ રતુભાઈ અદાણી સાથેનો હતો. એમની મુલાકાત લેવા ગયેલા નગીનદાસ પ્રશ્નને બદલે પ્રવચનની લંબાઈમાં સરી જતા જણાયા ત્યારે રતુભાઈએ એમને આંતર્યાઃ માસ્તર, તમે ઈન્ટરવ્યુ લો છો કે હું. (નરભેરામ સદાવ્રતી એ વખતે હાજર હતા અને એમણે મને આ કહ્યું હતું.)

ગમે તેમ પણ, ઢેબરભાઈ – રતુભાઈના (અને એવા બીજા પણ અનેક) દાખલા પરથી સમજાતું વાનું એ છે કે નગીનદાસ લખવા પાછળ ઉદ્યમ ખાસો કરતા. એક છેડેથી બીજે છેડે ફરી વળતા. વાંચવામાં આળસ નહીં ને મુલાકાતમાં વાર નહીં. જેવા માથાના, એવા પગના પણ આખા.

હમણાં રતુભાઈને યાદ કર્યા. હું ધારું છું ત્યાં સુધી કેન્દ્રમાં મોરારજી દેસાઈની સરકાર ગઈ અને ગુજરાતમાં બાબુભાઈની સરકારની મુદ્દત પૂરી થવામાં હતી એના વચગાળાની એ વાત હશે. નગીનદાસે ત્યારે ગુજરાતનું હવેનું ચૂંટણીચિત્ર શું હશે એને અનુલક્ષીને ‘જન્મભૂમિ’ના તે વખતના તંત્રી જયન્તી શુક્લના સૂચનથી લેખમાળા કરી હતી. (અને પછીથી તે પુસ્તિકારૂપે બહાર પણ પડી હતી.)

તડફડ, અભ્યાસમંડિત અને મુલાકાતખચીત તડફડ, એ જરૂર હતી. પણ ગુજરાતચૂંટણીની પિછવાઈ એમણે પકડી હશે કે કેમ તે બાબત હું ચોક્કસ નથી. નવનિર્માણના દિવસોમાં અને જેપી આંદોલનના વચગાળાના દિવસોમાં અમારે એક વાર જે ચર્ચા થયેલી તે હું સંભારું. નગીનદાસે કહ્યું કે તમે ગુજરાતના લોકો રાજ્યશાસ્ત્ર, રાજવટ અને રાજકારણનો પાયાનો સિદ્ધાંત સમજતા નથી. ગૃહમાં પક્ષનો નેતા (અને તેથી મુખ્યમંત્રી) કોણ બને, ન બને એ ચૂંટાયેલ ધારાસભ્યોએ નક્કી કરવાનું છે. એમાં લોકોએ આંદોલન કરવાનું ક્યાં આવ્યું. મને એમનું દૃષ્ટિબિંદુ નકરું ટેક્‌નિકલ બલકે ક્લિનિકલ લાગ્યું હતું. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં લોકશાહીની ઇતિ નથી. લોકપહેલ, લોકહસ્તક્ષેપ, લોકસહભાગિતા વિના લોકશાહી સજીવ-સપ્રાણ બની શકતી નથી. લોકઆંદોલન એ રાજકીય સાર્વભૌમ (જનતા) તરફથી કાનૂની સાર્વભૌમ (સરકાર / રાજકીય શાસકીય અગ્રવર્ગ) જોગ અપીલ છે એવું વ્યાકરણ એમને કાવ્યની પેઠે પારલૌકિક લાગતું હશે ? વસ્તુઃ આપણી રાજવટ લોકશાહી હશે, પણ સમાજ લોકશાહી નથી એવી એક પાયાની પ્રતીતિ જેમણે એકથી વધુ વાર બોલી બતાવી છે તે નગીનદાસને તો આ પકડાવું જોઈતું હતું.

હમણાં જે તડફડાટીની જિકર કરી તે ક્યારેક કેવી ભળતી ધાર પર લાવી મૂકે એનો એક દાખલો આપું. થોડા મહિના પર એમણે એક સુરેખ અને સ્વાધ્યાયમંડિત કૉલમ નેહરુની ભૂમિકા અને યોગદાન વિશે કરી હતી. વૉટ્‌સઍપ યુનિવર્સિટીના સ્નાતકોના જવાહરલાલ એ સ્વાભાવિક જ નહોતા, એમને સારુ નેત્રદીપક હોઈ શકતા એ નિઃશંક હતા. પણ આખા લેખમાં એક લીટી બાપાએ એમ જ ફટકારી’તી કે નેહરુ શરાબ અને સુંદરીના શોખીન હતા. (સામાન્યપણે  સરદારસ્તુતિમાં સામેલ થતે છતે નગીનદાસને એમ કહેતા સાંભળ્યાનું યાદ છે કે જવાહરલાલે એડવિનાપ્રેર્યા ભાગલા સ્વીકાર્યા એમ કહેવામાં માલ નથી. સરદારને ભાગલા અનિવાર્ય જણાયા હતા, વ.) નેહરુના જીવનનું એક હેડોનિસ્ટિક પાસું જરૂર હશે, પણ તે એમનાં ત્યાગ અર્પણ અને યોગદાન પરનું ગ્રહણ નથી. કૉલમમાં એમણે એક લીટી અમથી જ તડફડ કરી નાખી અને વૉટ્‌સઍપ યુનિવર્સિટીના અદકપાંસળા ચાન્સેલરોને અણચિંતવ્યા ન્યાલ કરી દીધા, બીજું શું.

એમની કોલમકારી કેવળ ચાલુ રાજકીય બાબતોમાં સીમિત નહોતી એ એક વિશેષ પણ અહીં આદર સાથે સંભારવો જોઈએ. ‘દિવ્ય ભાસ્કર’ની એમની છેલ્લી કોલમ ‘ચાતુર્માસ : ધર્માચરણ અને ધર્મસાધનાનો અવસર’ એ શીર્ષકે છે. અને એમણે કે સંપાદકે વિન્ડોમાં કાઢેલી બે પંક્તિ પણ મજબૂત છે કે ‘ધર્મ બેધારી તલવાર છે.’ અને કૉલમની છેલ્લી પંક્તિઓ તો વાંચો : ‘માણસ મરી જાય પણ તેનાં હાડપિંજરો સદીઓ સુધી ટકે છે. પયગંબરોએ સર્જેલા ધર્મોને આપણે હાડપિંજર બનાવી દીધાં છે.’

આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે દસેક વરસ પર સુરતના સાહિત્યસંગમે નાનુબાપાની પહેલથી અને જનક નાયકના સંયોજનમાં ગ્રંથયાત્રા શ્રેણીનું આયોજન કર્યું ત્યારે નગીનબાપાએ એને સારુ તારવી આપેલા લેખો ‘ધર્મ અને સમાજ’ નામે ગ્રંથસ્થ થયા હતા. અધ્યાત્મને નામે ચાલતી બુવાબાજીથી ઉફરાટે સીધા સમાજસંદર્ભમાં ધર્મ પ્રવાહોની ચર્ચા એમાં જોવા મળે છે.

નગીનદાસનું આ વિશેષ પાસું લક્ષમાં આવે છે અને એ કદર તેમ જ કૃતજ્ઞતાપૂર્વક સંભારવાનું બને છે ત્યારે લવર્સ ક્વૉરલ જેવો એક મુદ્દો ચર્ચામાં સાથેલગો મૂકવા ચહું છું. આપણે ત્યાં સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતાની જે ચગડોળે ચડેલ ચર્ચા છે એમાં મોટાભાગના લોકો અને લેખકો હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેક કર્યા વગર કૂદી પડેલા ને ભટકતા માલૂમ પડે છે. એથી ઊલટું, કોઈ બાબતમાં નગીનદાસ કૉંગ્રેસના ટીકાકાર અને ભા.જ.પ. સરકારના પ્રશંસક માલૂમ પડે ત્યારે પણ સામાન્યપણે તે આ વિવેક કરતા. તો, શી વાતે છે, મારી ફરિયાદ ? ભલા ભાઈ, જેમ હિંદુધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેકનો કોઠો ભેદવાનો રહે છે તેમ ધર્મ અને હિંદુધર્મ વચ્ચે પણ વિવેક કરવો રહે છે.

આપણી પરંપરામાં ધર્મનો જે વ્યાપક (કહો કે રૂઢાર્થમાં ‘ધર્મ’મુક્ત) અર્થ છે, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જેની કંઈક ઝાંખી વિવેકાનંદમાં તો વીસમી સદીના પૂર્વાર્ધમાં ગાંધીમાં જોવા મળે છે, એના સગડ આપણા કૉલમિસ્ટે કાઢવા જોઈતા હતા. એમના તડફડ રનવે પરથી એ એક નવો જ ટેક ઑફ હોઈ શકત. મોરારિબાપુએ ધર્મ ધર્મ વચ્ચે સંવાદનો જે ઉપક્રમ હાથ ધર્યો હતો એમાં સંકળાયેલા ને સંડોવાયેલા, કંઈક અંશે આ પ્રક્રિયામાં ફ્રૅન્ડ, ફિલોસોફર ને ગાઈડ જેવા, નગીનદાસે આ અવસર તેમ જ સંભાવના કેમ અણકાલવી જવા દીધી હશે ? રામાયણની અંતર્યાત્રાના લેખક અને એક રામાયણી વચ્ચે ઊઘડતી ક્ષિતિજોના નવસંચારની શક્યતા પણ એમાં હશે સ્તો.

કેમ કે આ એક ભરપેટ, ભરપુર ઇનિંઝ સબબ ‘જીવનના ઉત્સવ’ની વિદાયનોંધ છે, એક સૂચન નકરી કૉલમજીવી વિચારપેઢી સંદર્ભે કરું ? છેલ્લા ત્રણચાર દાયકાને લક્ષમાં રાખી જે તે પ્રસંગે, વહેણવળાંકવમળે, નગીનદાસ સંઘવીએ અને બીજા કૉલમલેખકોએ કરેલ ટીકાટિપ્પણ સાથે મૂકીને જોવાંતપાસવાં જોઈએ. નિરામય પથશોધનની રીતે એક વણથક જિંદગીને વૃત્તગુજરાતની એ અનોખી અંજલિ હશે.

જુલાઈ ૧૨, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 01-02

નગીનદાસ સંઘવીના કૅરિકેચર માટે અશોકભાઈ અદેપાળનું સહૃદય સૌજન્ય

Loading

...102030...2,2712,2722,2732,274...2,2802,2902,300...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved