Opinion Magazine
Number of visits: 9680803
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી મૂલ્યોની પુનઃસ્થાપના કેવી રીતે થાય?

જસ્ટિસ એ.પી. શાહ (નિવૃત્ત), જસ્ટિસ એ.પી. શાહ (નિવૃત્ત)|Opinion - Opinion|2 September 2020

સંસદનું બજેટ સત્ર તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શરૂ થયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના આગલા દિવસે જ કોરોના મહામારી આંતરરાષ્ટ્રીય ચિંતાની બાબત હોવાની જાહેરાત કરી હતી. સંસદનું બજેટ સત્ર ૨ એપ્રિલ સુધી ચાલુ રહેવાનું હતું. પરંતુ માર્ચ ૨૩ના રોજ અનિશ્ચિતકાળ સુધી તે મોકૂફ રખાયું છે અને તેને જીવંત કરવાના કોઈ લક્ષણો દેખાતાં નથી.

મહામારીના આ કટોકટી સમયમાં અન્ય દેશોની સંસદોએ શું કર્યું તે જાણવા જેવું છે. બ્રિટન, કેનેડા, યુરોપિયન સંસદે પોતાની સંસદીય પ્રક્રિયામાં ફેરફાર કરી વર્ચ્યુઅલ સત્રો યોજવાનું ચાલુ રાખ્યું છે. કેટલાક સભ્યો ગૃહમાં હાજર રહે છે અને કેટલાક સભ્યો વીડિયો કોન્ફરન્સથી ભાગ લે છે. દૂર બેઠા મતદાન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જેથી વૈધાનિક કામકાજ કોઈ પણ જાતના અવરોધ વગર ચાલુ રહે. ફ્રાન્સ, ઇટલી, બ્રાઝિલ, ચીલી, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને સૌથી વધારે અસરગ્રસ્ત સ્પેનમાં પણ ધારાકીય કામકાજ ચાલુ રહ્યું છે. માલદીવમાં પણ આ જ રીતે સંસદની બેઠકો યોજાઈ હતી. માલદીવની સંસદ અધ્યક્ષ મહંમદ નશીદે કહ્યું, "લોકપ્રતિનિધિત્વ કરતી કોઈ સંસદ આ કટોકટી દરમિયાન પણ પોતાનું કામ રોકી શકે નહીં. લોકશાહી સંસ્થાઓએ પોતાનું કામકાજ ચાલુ રાખવું જોઈએ."

ભારતમાં આ વલણ વિશે કોઈ પ્રતિભાવ જોવા મળતો નથી. માર્ચ ૨૪થી સંસદગૃહ ભૂતિયા નગર જેવું ભાસે છે. સંસદસત્ર રદ્દ કરવાનો નિર્ણય ભારતની સંસદીય પ્રણાલિકાઓ વિરુદ્ધ છે. ૧૯૬૨માં ચીન સાથેના તેમ જ ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન આપણી સંસદની બેઠકો યોજાઈ હતી. ૨૦૦૧માં સંસદ પર હુમલો થવાના બનાવના બીજા દિવસે પણ સંસદસત્ર ચાલુ રહ્યું હતું. ભારતમાં સંસદીય સમિતિઓની બેઠકો આ રીતે યોજાઈ રહી છે. દા.ત. પગાર અને ભથ્થાઓ પરની સંસદીય સમિતિની બેઠક તારીખ ૨ એપ્રિલ ૨૦૨૦ના રોજ યોજાઈ હતી અને સાંસદોને મતદાર ક્ષેત્ર તેમ જ કચેરી ભથ્થામાં ૩૦ ટકા ઘટાડાની ભલામણ કરી હતી. જો આ રીતે સંસદસભ્યો ઑનલાઇન બેઠક યોજી શકતા હોય તો ચુંટાયેલા પ્રતિનિધિઓએ ધારાકીય કામકાજ ચાલુ રાખવા શા માટે મળવું ન જોઈએ?

સંસદની ભૂમિકા

બંધારણસભાએ સંસદની ભૂમિકા વિશે બરાબર વિચાર કર્યો હતો. સંસદીય પ્રથામાં કારોબારી (પ્રધાનમંડળ) સંસદને જવાબદાર છે. દરરોજ અથવા સમયાંતરે કારોબારીના કાર્યોની ચકાસણી થઈ શકે છે. પ્રશ્નોતરી, ઠરાવો, અવિશ્વાસ પ્રસ્તાવ અને ચર્ચા તેના સાધનો છે, ઉપરાંત વિવિધ સંસદીય સમિતિઓ પણ કારોબારી કાર્યોની સમીક્ષા કરે છે. દર પાંચ વર્ષે યોજાતી સામાન્ય ચૂંટણી સમયે પણ લોકપ્રતિનિધિનાં કાર્યોની સમીક્ષા થાય છે. ૧૯૭૭માં જનતાએ ઇન્દિરા ગાંધીને ઘેર અને ૧૯૮૦માં પુન: સત્તા સ્થાને બેસાડ્યાં હતાં. રાજ્યસભાની ભૂમિકા બહુ સ્પષ્ટ છે. લોકસભા ઉતાવળથી કોઈ કાનૂન પસાર કરવા ઈચ્છતી હોય ત્યારે રાજ્યસભા તેના પર રોક લગાવે છે. લોકસભાની ભૂલો તરફ ધ્યાન દોરવાનું કામ તેનું છે. આમ સંસદનું કામ કારોબારીને નિયંત્રણમાં રાખવાનું છે. પોતાના મતદારો વતી સાંસદોએ આ કામગીરી બજાવવાની હોય છે. પરંતુ સંસદ જ કામ કરતાં અટકી જાય તો શું થાય? આ કટોકટીના સમયમાં કામગીરી પૂરી પાડવામાં નિષ્ફળ જવા ઉપરાંત, કારોબારીને મનફાવે તેમ કામ કરવાનો છૂટો દોર મળી જાય છે. કારોબારીની જવાબદારી જેવું કંઈ રહ્યું જ નહીં, કારણ કે કોઈ પ્રશ્ન પૂછનાર નથી, કોઈ ઠરાવ લાવનાર નથી કે કોઈ ચર્ચામાં ભાગ લેનાર નથી.

કારોબારોની જવાબદારી નક્કી કરવામાં બીજા અંગોની પણ સહભાગિતા છે. દા.ત. સ્વતંત્ર ન્યાયતંત્રના ચૂકાદો, કાયદાનું શાસન, ઑડિટર જનરલ, ચૂંટણી પંચ, માનવ અધિકાર પંચ, તકેદારી પંચ, લોકપાલ વગેરે પણ કારોબારીના કામોની સમીક્ષા કરે છે અને તેને જવાબદાર ઠરાવે છે. ઉપરાંત મીડિયા અને નાગરિક સમાજના બુદ્ધિજીવીઓ પણ સરકારી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. કમનસીબે આજે આ સંસ્થાઓ ધીમે ધીમે નિષ્પ્રાણ થવા લાગી છે. ઇન્દિરા ગાંધીએ જે રીતે લોકશાહી સંસ્થાઓને ટુંપો આપવા પ્રયાસ કર્યો તે રીતે નહીં, પરંતુ ૨૦૧૪ બાદ ધીરે ધીરે અને વ્યવસ્થિત રીતે આ સંસ્થાઓનું હીર હણી લેવા પ્રયાસ થઈ રહ્યો છે. તેના કારણે મોટા ભાગની બાબતોમાં કારોબારીનું એકહથ્થુ શાસન થઈ રહ્યું છે. તેના કેટલાક ઉદાહરણો જોઈએ. દા.ત. વિરોધ પક્ષના નેતાને માન્યતા ન આપવી, કેટલાક ખરડાઓ 'નાણાં ખરડા' તરીકે રજૂ કરવા કે જેથી રાજ્યસભાની સંમતિની જરૂર ન રહે. સંસદને આ રીતે આંતરવાનો પ્રયાસ છતાં, અન્ય સંસ્થાઓ પાસેથી આપણે શું તેમની ઉત્તમ કામગીરીની અપેક્ષાઓ ન રાખી શકીએ?

આપણા ન્યાયતંત્ર માટે આપણને ગૌરવ છે. કટોકટી દરમિયાન કેટલાક વિવાદો જરૂર થયા હતા. તો પણ દેશના લોકોને ન્યાયતંત્રમાં પૂરી શ્રદ્ધા રહેલી છે. પરંતુ આજના સમયમાં ન્યાયતંત્ર અપેક્ષાએ નિષ્ફળ રહ્યું છે. આજે જ્યારે સંસદની કામગીરી સ્થગિત થઈ ગઈ છે ત્યારે કાશ્મીરનો દરજ્જો, નાગરિકત્વ કાનૂનમાં સુધારો, રાજદ્રોહ કલમનો દુરુપયોગ, ઇલેક્ટોરલ બોન્ડ જેવા મુદ્દાઓની કાયદેસરતા ચકાસવાનું શ્રેષ્ઠ માધ્યમ ન્યાયતંત્ર છે. પરંતુ આ તમામ મુદ્દાઓ અમુક કારણોસર સુનાવણી માટે હાથ ધરાતા નથી. કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ રહેવાના પ્રશ્ને સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવાના બદલે કારોબારી સમિતિને સોંપ્યો છે. કારોબારીના નિર્ણય વિરુદ્ધ કારોબારી સમિતિ નિર્ણય કેવી રીતે લઈ શકે? આવા કોઈ પણ મુદ્દાની ચર્ચા થઇ રહી નથી.

જે અન્ય સંસ્થાઓ અસરકારક ભૂમિકા ભજવી શકે તે તમામ સંસ્થાઓ શાંત છે. લોકપાલની કામગીરી ક્યાં ય દેખાતી નથી. શ્રમિકોની દર્દનાક સ્થિતિમાં માનવ અધિકાર પંચ નિષ્ક્રિય રહ્યું છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. કર્ણાટકમાં સરકાર ગબડાવતી વખતે તત્કાલીન મુખ્ય પ્રધાનનાં સગાંઓને ત્યાં દરોડા પડાવ્યા. રાજસ્થાનમાં પણ મુખ્ય પ્રધાન ગેહલોતનાં સગાંઓને આ રીતે હેરાન કરાયાં. ચૂંટણી કમિશનર લવાસાએ નરેન્દ્ર મોદીએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનો અભિપ્રાય આપતા તેમને, તેમની પત્ની અને પુત્રને આવકવેરા વિભાગની નોટિસો મળી. વિશ્વવિદ્યાલયોનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. ક્યાંક વિદ્યાર્થીઓ તો ક્યાંક શિક્ષકોની વિરોધ કરવા બદલ આડેધડ ધરપકડ કરાઈ રહી છે. નાગરિક સમાજનો અવાજ દબાવવા વ્યવસ્થિત કોશિશ થઈ રહી છે. હાલ માત્ર સરકાર કામ કરી રહી છે. તેના પર નિયંત્રણ રાખનારી કે વિરોધ કરનાર તમામ સંસ્થાઓ કે નાગરિક સમાજનો અવાજ દબાઈ રહ્યો છે. આ સ્થિતિમાં આપણા માટે એક જ ઉપાય બચ્યો છે કે આપણા માટે અને ભાવિ પેઢી માટે બોલતા રહેવાનું છે. જો આપણે તેમાં નિષ્ફળ જઈશું તો અનિયંત્રિત કારોબારી આપણા પર હાવી થઈ જશે અને તેના અકલ્પનીય પરિણામો આવવાની સંભાવના છે. લોકશાહી મૂલ્યોની પુનઃસ્થાપના માટે આ જરૂરી છે.

ભાવાનુવાદઃ અશ્વિનકુમાર ન. કારીઆ, સૌજન્યઃ  સ્ક્રોલ.ઇન

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 04-05

Loading

વિવિધ અહેવાલોનું તારણ : ધિક્કાર ફેલાવવામાં ફેસબુક ભા.જ.પ.નું સહયોગી

સુજાત|Opinion - Opinion|2 September 2020

મારી પેઢી કિશોરાવસ્થામાં પ્રવેશી ત્યારે ફેસબુક પર એકાઉન્ટ બનાવવાનું યુવાનોમાં આકર્ષણ રહેતું. જો કે એવું નિર્દોષ માધ્યમ તો તે હવે ક્યારનું મટી ચૂક્યું છે અને એક પછી એક ગંભીર વિવાદોમાં સપડાતું આવ્યું છે. તાજો વિવાદ ભારતીય જનતા પક્ષ સાથે ફેસબુકના ‘મૈત્રીપૂર્ણ’ સંબંધોને લગતો છે.

શું છે ફેસબુક-ભા.જ.પ. વિવાદ?

ગત 14મી ઑગસ્ટે અમેરિકાના વિખ્યાત સમાચારપત્ર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં આરોપ હતો કે ફેસબુક ભારતમાં પોતે બનાવેલા ‘હેટ સ્પીચ’ – ધિક્કારજનક લખાણો – સામગ્રીને લગતા નિયમોના અમલમાં પક્ષપાતી વલણ અપનાવે છે અને શાસક પક્ષ ભા.જ.પ.ની તરફેણ કરે છે.

અહેવાલ મુજબ, ભા.જ.પી. ધારાસભ્ય ટી. રાજાએ ફેસબુક પર મુસલમાનોને દેશના ગદ્દાર કહ્યા, રોહિંગ્યા મુસલમાનોને ભડાકે દેવાની વાત કરી તથા મસ્જિદો તોડી પાડવાની ધમકીઓ આપી. ફેસબુકના ધ્યાન પર આ વિધાનો આવ્યાં અને પ્રાથમિક તપાસમાં તે ફેસબુકની કમ્યુનિટી ગાઇડલાઇન્સનો ભંગ કરતા હોવાનું તારણ નીકળ્યું. આ પ્રકારના વિધાનો બદલ અમેરિકામાં ફેસબુક વપરાશકર્તાઓને કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવે છે અને એ રીતે ધારાસભ્યને પણ ફેસબુક પરથી કાયમી ધોરણે પ્રતિબંધિત કરવાનું સૂચવાયું. પરંતુ, અહેવાલ પ્રમાણે ફેસબુકનાં ભારત એકમનાં હેડ અંખી દાસે તેમની ટીમને ટી. રાજા વિરુદ્ધ કોઈ પગલાં લેતાં રોક્યા. અંખી દાસની દલીલ હતી કે શાસક પક્ષને ઉશ્કેરવાથી ફેસબુકના ભારતમાં ધંધા પર નકારાત્મક અસર થશે. ઉલ્લેખનીય છે કે વસતિના કારણે ભારત ફેસબુક માટે ખૂબ મહત્ત્વનું બજાર ગણાય છે. ભારતમાં ઇન્ટરનેટ વાપરતા ૫૦.૮ કરોડ લોકોમાંથી આશરે ૩૨.૮ કરોડ લોકો ફેસબુકના વપરાશકર્તા છે અને આશરે ૪૦ કરોડ લોકો ફેસબુકની માલિકીના વોટ્સએપના વપરાશકર્તા છે. વળી, ફેસબુક માટે જાહેરાતો દ્વારા થતી કમાણીનો મોટો રાજકીય સ્રોત ભા.જ.પ. છે. 

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલમાં અન્ય બે ભા.જ.પી. નેતાઓની પણ વાત છે, જેમની સામે ફેસબુક તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી. તેમાં ‘ગોલી મારો સાલોંકો’-ખ્યાત કપિલ મિશ્રા પણ સામેલ છે. ખુદ માર્ક ઝકરબર્ગે કપિલ મિશ્રાની એ વીડિયોને હેટ સ્પીચનું ઉદાહરણ ગણાવ્યું હતું. તે ઉપરાંત પણ હેટ સ્પીચ ગણી શકાય એવી ઘણી પોસ્ટ મિશ્રાએ મૂકી હતી. તેની પર કોઈ કાર્યવાહી થઈ નહોતી. જો કે ‘વૉલ સ્ટ્રીટ જર્નલે' એ બાબતે સવાલ ઉઠાવ્યા પછી ફેસબુકે તેમાંની થોડી પોસ્ટ હટાવી લીધી છે.

અહેવાલમાં ત્રીજું નામ અનંતકુમાર હેગડેનું છે, જેમણે મુસલમાનો કોરોના-જેહાદ કરે છે એ મતલબનાં કેટલાંક કાર્ટૂન મૂક્યાં હતાં. આ મામલે ફરિયાદ પછી ટ્વીટરે તેમનું એકાઉન્ટ બંધ કરી દીધું, પણ ફેસબૂકે કોઈ પગલાં લીધાં નહિ. ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલના પગલે આખરે ફેસબુકે તેમની પણ કેટલીક પોસ્ટ હટાવી લીધી છે.

‘ટાઇમ’નો પૂરક અહેવાલ

‘વૉલ સ્ટ્રીટ જર્નલ'ના વિસ્તૃત અહેવાલો પછી ‘ટાઇમ’ સાપ્તાહિકમાં પણ ફેસબુક-ભા.જ.પ. સાંઠગાંઠ વિશે વિગતવાર અહેવાલ પ્રગટ થયો. તેમાં અગાઉ જણાવેલાં નામ ઉપરાંત આસામના ભા.જ.પ. નેતા શિલાદિત્ય દેવનો ઉલ્લેખ છે. તેમણે એક કિશોરીના મુસ્લિમ યુવક દ્વારા કથિત બળાત્કારના સમાચાર શૅર કરીને લખ્યું હતું કે બાંગલાદેશીઓ આ રીતે આપણા દેશમાં આપણા લોકોને નિશાન બનાવે છે. વર્ષ 2019ની આ પોસ્ટને ફેસબુકના ધ્યાને લાવવામાં આવી હતી, પરંતુ તેની પર એક વરસ સુધી કોઈ પગલાં લેવાયા નહોતાં. આખરે ‘ટાઇમ’ના સવાલો પછી ફેસબુકે ભૂલ સ્વીકારી અને એ પોસ્ટને હેટ સ્પીચ ફેલાવતી હોવાના કારણસર દૂર કરી.

ફેસબુકનો ગરબડિયો ભૂતકાળ

ફેસબુક પર ભા.જ.પ.ની તરફેણના આરોપો અગાઉ પણ લાગી ચૂક્યા છે. ગઈ લોકસભા ચૂંટણી વખતે ફેસબુકે જાહેર કર્યું હતું કે તેણે પાકિસ્તાની લશ્કર અને કૉંગ્રેસને લગતાં નકલી એકાઉન્ટ બંધ કર્યાં છે. ખરેખર આ સૂચિમાં અનેક ભા.જ.પી. એકાઉન્ટ પણ સામેલ હતાં. પરંતુ ફેસબુકની જાહેરાતથી એવી છાપ પડતી હતી કે જાણે માત્ર કૉંગ્રેસ જ તેમાં સામેલ હોય.

‘ધ રીયલ ફેસ ઓફ ફેસબુક ઇન ઇન્ડિયા’ના લેખક પરંજોય ગુહા ઠાકુરતાનો આરોપ છે કે ફેસબુક-ભા.જ.પ. વચ્ચેનું ગઠબંધન તો કાઁગ્રેસ સત્તામાં હતી ત્યારનું સ્થપાઈ ચૂક્યું હતું અને ફેસબુકનો ભા.જ.પ.તરફી ઝોક વર્ષ 2013થી જ જોવા મળે છે.

‘ટાઇમ’ના અહેવાલ મુજબ, ફેસબુકના પૂર્વ પબ્લિક પોલિસી ડિરેક્ટર શિવનાથ ઠુકરાલ 2014 લોકસભા ચૂંટણી દરમિયાન ભા.જ.પ. માટે કામ કરી ચૂક્યા હતા. તેમ છતાં 2019 લોકસભા ચૂંટણી દરમિયાન તેમને ફેસબુકમાં ડિરેક્ટરના પદે રાખવામાં આવેલ હતા. ડિરેક્ટર તરીકે તેમનું કામ હેટ સ્પીચના કિસ્સામાં પગલાં લેવાનું અને સાથોસાથ ધંધામાં પ્રગતિ માટે સરકાર સાથે વાટાઘાટો કરવાનું પણ હતું. આમ, તે દેખીતી રીતે જ હિતોના ટકરાવનો મામલો બનતો હતો. ત્યાર પછી ઠુકરાલ બઢતી મેળવીને હવે વોટ્સએપના ભારત એકમના ડિરેક્ટર બની ચૂક્યા છે.

કર્મચારીઓ દ્વારા જ કંપનીની ટીકા

તાજા વિવાદ પછી ફેસબુકના કેટલાક કર્મચારીઓએ કંપનીની નીતિની ટીકા કરી છે અને રાજકીય દબાણમાં આવ્યા વગર હેટ સ્પીચ સહિત તમામ કમ્યુનિટી ગાઇડલાઇન્સનો અમલ કરવાની માગ કરી છે. તેમની ફરિયાદ છે કે કંપનીમાં એક જ વ્યક્તિ ગાઇડલાઇન્સના અમલ તથા ધંધામાં પ્રગતિ માટે જવાબદાર હોવાને કારણે તટસ્થતાથી નિર્ણય લેવાય એ શક્ય નથી. ઉપરાંત, કમ્યુનિટી ગાઇડલાઇન્સ પર કામ કરતી ટીમમાં એક પણ મુસ્લિમ કર્મચારી નથી. શાસક પક્ષને ખુશ રાખવા કંપનીમાં નીચલા પદે પક્ષના કાર્યકરોની જ મોટા પાયે ભરતી કરવામાં આવે છે, એવો દાવો પણ એક નિવૃત્ત ઉચ્ચ પદાધિકારીએ કર્યો છે.

અંખી દાસઃ ચર્ચાસ્પદ પાત્ર

અંખી દાસ ફેસબુક-ભારત ખાતે પબ્લિક પૉલિસી ડિરેક્ટર છે. અગાઉ તેઓ માઇક્રોસોફ્ટના ભારત એકમમાં પણ આ જ પદે કામ કરી ચૂક્યાં છે. વખતોવખત તેમના લેખો પણ વિવિધ માધ્યમોમાં આવતા રહે છે.  વર્ષ 2014ના એક લેખમાં તેમણે પ્રચારમાં ચતુરાઈપૂર્વક ફેસબુકના ઉપયોગને મોદીના વિજય માટે જવાબદાર ગણાવ્યો હતો.

ભા.જ.પ.તરફી પક્ષપાત બાબતે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. આ દિવસો દરમિયાન તેમના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર તેમણે એટલું જ લખ્યું કે ‘તમે ભલે બીજાના વાંક કાઢો, પણ પોતાની સફળતા કે નિષ્ફળતા માટે તમે પોતે જવાબદાર છો. બીજાના વાંક જોવા બહુ સહેલા છે.’ ભૂતકાળમાં તેમણે મુસ્લિમો પ્રત્યે દ્વેષ ભરેલી કહી શકાય તેવી પોસ્ટ પણ શેર કરી હતી. તે ચર્ચામાં આવતા તેમણે કંપનીના મુસ્લિમ કર્મચારીઓની માફી માગીને તે પોસ્ટ હટાવી લીધી હતી.

વૉલ સ્ટ્રીટના અહેવાલ પછી ફેસબુક-ટ્વીટર પર અંખી દાસ વિશે ટીકા ઉપરાંત ભદ્દી ને ભડકાઉ ટિપ્પણીઓ પણ થઈ. તેની સામે અંખી દાસે ફરિયાદ નોંધાવી છે. સાથોસાથ, છત્તીસગઢમાંથી અંખી દાસ સામે વિસંવાદ ભડકાવવાના આરોપસર એક કેસ નોંધાયો છે.

વ્યાપક ટીકાઓના જવાબમાં ફેસબુકના ભારત એકમના વાઇસ-પ્રેસિડેન્ટ અજિત મોહને એક બ્લોગ-પોસ્ટમાં ફેસબુકનો બચાવ કર્યો છે. તેમનો દાવો છે કે કંપની પોતાની નીતિઓને નિષ્પક્ષ રહીને અમલ કરે છે. જો કે કોઈ ચોક્કસ સવાલના સ્પષ્ટ જવાબ વિના આ જવાબ તદ્દન પોલો લાગે છે. તેમણે લખ્યું છે કે ટી. રાજાનું એકાઉન્ટ બંધ નહીં કરવાનો નિર્ણય આખરી નથી.

સંસદીય તપાસ

અહેવાલ પછી સંસદની ઇન્ફર્મેશન ટૅક્નોલોજી કમિટીના અધ્યક્ષ શશિ થરૂરે ફેસબુકને બીજી સપ્ટેમ્બરે હાજર થવા જણાવ્યું છે. તૃણમૂલ કાઁગ્રેસના સાંસદ મહુઆ મિત્રાએ શશિ થરૂરના પગલાંને સમર્થન આપ્યું છે, તો ભા.જ.પ.ના નિશિકાંત દુબેએ સમિતિના સભ્યો સાથે ચર્ચા કર્યા વિના પગલું ભરવા બદલ શશિ થરૂરની ટીકા કરી છે અને એ બાબતે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી છે.

જો કે સંસદીય સમિતિઓ પાસે શિક્ષાત્મક પગલાં ભરવાની સત્તા હોતી નથી. ઉપરાંત, સમિતિઓમાં એન.ડી.એ. બહુમતી ભોગવતી હોવાને કારણે તેના તરફથી સંસદમાં આખી ઘટના પર ઠેકાણાસરનો અહેવાલ સુદ્ધાં રજૂ થાય તેની શક્યતા નહીંવત્ છે. દેશના કેટલાંક નિવૃત્ત સનદી સેવા અધિકારીઓએ માર્ક ઝકરબર્ગને પણ આ અંગે ફરિયાદ કરીને ગાઇડલાઇન્સને લગતા નિર્ણયો પરથી અંખી દાસનો પ્રભાવ દૂર કરવા માગણી કરી છે. કાઁગ્રેસે પણ એ મતલબનો પત્ર લખીને યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી હતી. સંસદીય સમિતિ ઉપરાંત દિલ્હી વિધાનસભાની ‘શાંતિ અને સૌહાર્દ સમિતિ’એ પણ ફેસબુક સત્તાધીશોને હાજર થવા ફરમાન કર્યું છે.

આ બધી તપાસો ઊહાપોહ શમાવવાની કવાયતો બને છે કે પછી તેમાંથી નિષ્ઠાપૂર્વક ઊંડા ઊતરીને ફેસબુક-ભા.જ.પ.ની સાંઠગાંઠના તળ સુધી જવાની કોશિશ થાય છે, તે જોવાનું રહે છે. પણ આવી તપાસોનો અત્યાર લગીનો ઇતિહાસ ખાસ આશા જન્માવે એવો નથી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 06-08

Loading

વિપક્ષોએ ભા.જ.પ.ની હિંદુત્વની રાજનીતિની નકલ કરવાનો મોહ છોડવો પડશે

રમા લક્ષ્મી|Opinion - Opinion|2 September 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પછી જે.ડી.યુ. અને આર.જે.ડી. જેવા વિપક્ષોના કેટલાંક નેતાઓએ જાનકી જન્મભૂમિના વિકાસનો રાગ છેડ્યો છે. તે ભવ્ય રામમંદિરની જેમ જ ભવ્ય સીતામંદિર બનાવવા માગે છે. 5 ઓગસ્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પહેલાં લગભગ દરેક રાજકીય પક્ષનાં નેતાઓમાં જય શ્રી રામના જાપ જપવાની હોડ લાગી હતી.

આજકાલ ઉત્તર ભારતમાં તો હિંદુત્વની નકલ કરી એકબીજાની બરાબરી કરવાની સ્પર્ધા ચાલી રહી છે. તે સંદર્ભે કોકા કોલા (કોક) વિરુદ્ધ પેપ્સીના બ્રાન્ડિંગ-યુદ્ધની યાદ તાજી થાય છે. પેપ્સી ‘કોકા-કોલા જેવુ’ પીણું મનાતું હતું. બીજુ બાજુ કોકે તેની ‘ધિ રિયલ થિંગ’ — એટલે કે ‘અસલી ચીજ’ની ટેગલાઇન જાળવી રાખી હતી. પીણાંના નામની અગાઉથી જાણ કર્યા વગર બંને પીણાં ચખાડવામાં આવે તો મોટા ભાગના લોકોને કોક કરતાં પેપ્સી વધુ ભાવતી હતી. તેમ છતાં ઠંડા પીણામાં કોક બ્રાન્ડ નેમ બની રહ્યું છે એ હકીકત છે.

નરેન્દ્ર મોદી-અમિત શાહના ભા.જ.પ.ની પણ કંઈક આવી જ સ્થિતિ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હિંદુત્વ કોક જેવું છે, જે બજારની સૌથી ઊંચી બ્રાન્ડ ગણાય છે. બીજી તરફ વિપક્ષોનું હિંદુત્વ પેપ્સી જેવું છે. તેમાં કૉન્ગ્રેસનું જનોઈધારી, આમ આદમી પાર્ટીનું હનુમાનચાલીસાના પાઠ કરતું-શાહીનબાગથી દૂર ભાગતું, આર.જે.ડી.-જે.ડી.યુ.નું સીતામંદિરવાળું અને એસ.પી.-બી.એસ.પી.નું  પરશુરામ બ્રાન્ડ હિંદુત્વ. આવી તો હિંદુત્વની કેટલી ય બ્રાન્ડ છે.

‘મૂળભૂત હિંદુત્વ’ માટેની ખેંચતાણ

ભારતીય લોકશાહી સાથે ઠીક ઠીક સામ્ય ધરાવતા, ગરમાગરમ સ્પર્ધાત્મક બજારમાં જે કંપનીઓ પોતાની વિશિષ્ટતા સ્થાપિત કરી શકે, તે જ રાજ કરે. અને જે એવું ન કરી શકે, તેમને કોઈ પ્રમાણભૂત – ‘અસલ’ ન ગણે.

5 ઑગસ્ટના રામમંદિર ભૂમિપૂજન પહેલાં કેટલાંક કૉન્ગ્રેસીઓએ ‘આખરે તાળું કોણે ખોલ્યું?’ એવો સવાલ ઉઠાવ્યો હતો. આ સવાલ પાછળ તેમનો ખરો ઉદ્દેશ્ય રામમંદિર નિમાર્ણનાં બીજ 1985માં રાજીવ ગાંધીના હસ્તે રોપાઈ ચુક્યાં હતાં તે સાબિત કરવાનો હતો. કારણ કે 1985માં રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદ ખોલવાની અને 1989મા મંદિરનાં શિલાન્યાસની મંજૂરી આપી દીધી હતી. એક રીતે તો મૂળભૂત હિંદુત્વ પરની કૉન્ગ્રસની દાવેદારીનું આ ઉત્તમ ઉદાહરણ છે. તે એ પણ દર્શાવે છે કે પોતાની બ્રાન્ડનું પોઝિશનિંગ કેવી રીતે ન કરવું.

ઉલ્લેખનીય છે કે, કમ્પ્યૂટરની શોધ સ્પેરી રેન્ડે કરી હતી. પણ આજે કોઈને એ કંપની યાદ છે? અમેરિકન લેખક અલ રીસે તેમના પુસ્તક ‘પોઝિશનિંગ : ધ બેટલ ફોર યોર માઈન્ડ’માં કહ્યું છે કે બ્રાન્ડ લીડર તે જ છે જે ગ્રાહકોને આકર્ષે છે અને તેમનાં હ્રદયને સ્પર્શે છે. જેમ આઈ.બી.એમ.એ કમ્પ્યૂટરનાં કિસ્સામાં કર્યું. આ વાત ભા.જ.પ. અને અયોધ્યાનાં કિસ્સામાં પણ લાગુ પડે છે.

ગ્રાહક સમક્ષ બજારની શ્રેષ્ઠ બ્રાન્ડ હોય તો કોઈ પણ ગ્રાહક કોઈ નકલી બ્રાન્ડને શા માટે પસંદ કરે? આ વાતને હિંદુત્વ સાથે જોડીને જોઈએ તો, જેની હિંદુત્વની બ્રાન્ડ બજારમાં શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે જ લોકો આકર્ષિત થાય. લોકો પાસે મૂળભૂત – અસલ બ્રાન્ડનો વિકલ્પ હોય ત્યારે તે છોડીને તેની નકલ કરતી બ્રાન્ડની શા માટે પસંદગી કરે? એ તો ‘બર્ગર કિંગ’ને છોડી ‘બર્ગર સિંઘ’ને અપનાવવા જેવું થાય છે.

શશિ થરૂરે પણ ૨૦૧૭માં ચેતવણી આપી હતી કે કૉંગ્રેસે ભા.જ.પ.ની નકલ કરવી જોઈએ નહીં. ‘કૉંગ્રેસ ભા.જ.પ.ની નબળી નકલ કરશે તો તે ‘કોક ઝીરો’ જેવું થશે ને આપણા હાથમાં ઝીરો જ આવશે’ એવું તેમણે કહ્યું હતું. નબળી નકલ ટૂંકા ગાળામાં થોડો ફાયદો જરૂર કરાવે, પણ લાંબા ગાળે તે કદી લાભપ્રદ બનતી નથી. દાખલા તરીકે 2014માં ‘ફૅર એન્ડ હેન્ડસમ’ ફેસ ક્રીમનું રિ-લોન્ચ શાહરુખખાન દ્વારા કરાયું હતું. ‘ફેર એન્ડ હેન્ડસમ’ ક્રીમે મહિલાઓ માટેની બ્રાન્ડ ‘ફૅર એન્ડ લવલી’(જેનો ઉપયોગ પુરુષો પણ છાનામાના કરતા હતા)ની લોકપ્રિયતાનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આગળ કહ્યું તેમ, નકલ લાંબા સમય સુધી ટકી શકતી નથી. એ ન્યાયે ‘ફૅર એન્ડ હેન્ડસમ’નો જાદુ પણ  થોડા સમયમાં ઓસરી ગયો.

જમણેરી બનવાની હોડ

નકલી હિંદુત્વમાં રહેલા બ્રાન્ડ પોઝિશનિંગનાં જોખમ ઉપરાંત, જે લોકો ધાર્મિક કટ્ટરતાનો વિકલ્પ શોધી રહ્યા છે તેમના માટે પણ તે રાજકારણને સાવ કંટાળો આવે એ રીતે વિકલ્પ વગરનું બનાવી મૂકે છે. જો સૌ કોઈ  ખુલ્લેઆમ હિંદુ રાજનીતિ અથવા તેના કોઈ પણ પ્રકારને અપનાવે છે તો તેમને મૂળ કટ્ટર હિંદુ કરતાં અધિક કટ્ટર હિંદુ થવાની ફરજ પડશે. એ તો તળિયે પહોંચવાની હોડ બની જશે.

ઇઝરાઇલની ગત ચૂંટણીમાં બધા પક્ષોનું વલણ જમણેરી હતું. તેના કારણે રાજકીય પક્ષો વચ્ચેની રાજકીય વિચારધારાનો ભેદ ભૂંસાઈ ગયો. આ જ બાબત પાડોશી દેશ પાકિસ્તાનને પણ લાગુ પડે છે. પાકિસ્તાનમાં લગભગ તમામ મુખ્ય પક્ષો જેવા કે પી.પી.પી., પી.એમ.એલ.(એન.) અને પી.ટી.આઈ.માં રાજકીય વિચારધારાનો તફાવત બહુ ઓછો છે. પાકિસ્તાનના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ઇસ્લામિક કટ્ટરવાદીઓને પ્રોત્સાહન આપે છે અને સૈન્યનાં ગુણગાન ગાય છે.

ગયા વરસે મેં લખ્યું હતું કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણમાં હિન્દુ ધર્મ, રાષ્ટ્રવાદ, સામાજિક ઉદારવાદ અને લોકકલ્યાણવાદનું સંયોજન ધરાવતો એક નવો મધ્યમમાર્ગીય  વિકલ્પ આપી રહ્યા છે. પરંતુ તે પછી કેજરીવાલ મધ્યમ માર્ગથી દૂર હઠીને જમણેરી બળોની વધુ નજીક જતા રહ્યા છે. તંગ દોરડા પર તેમની આ નટચાલ ભારે જોખમી છે. સમય વીતતાં વાસ્તવિક વિકલ્પનો અભાવ અને જવાબદાર તંત્રની ગેરહાજરી ભારતના લોકતંત્રને-તેના પોતાને નબળું પાડી શકે છે. વિપક્ષોએ નકલ કરવાને બદલે બ્રાન્ડનું નવેસરથી પોઝિશનિંગ કરવાની જરૂરિયાત છે.

નંબર બે જ આગળ વધી શકશે

વિજ્ઞાપન જગતમાં અને ભાડાની કારના બજારમાં એવિસની સામે હર્ટ્ઝની બ્રાન્ડનું યુદ્ધ દંતકથા સમું બની ચુક્યું છે. કારબજારમાં એવિસ બ્રાન્ડનું સ્થાન બીજા ક્રમાંકે હતું, જ્યારે હર્ટ્ઝની બ્રાન્ડ બજારમાં મોખરે હતી. વર્ષોથી એવિસની ટેગ લાઇન (જાહેરખબરમાં વપરાતું ચોટડૂક સૂત્ર) હર્ટ્ઝની ટેગ લાઇન જેવી જ હતી. ત્યાર બાદ એવિસે તે બદલી નાખી અને બજારમાં બીજા સ્થાને રહીને જ પોતાની જાહેરખબર શરૂ કરી. બલકે, તેણે બીજા સ્થાનને પોતાની વિશિષ્ટતા બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેનો નવો સંદેશો એવો હતો કે ‘અમારી સેવા લો. અમે ભાડે કાર આપનારી બીજા નંબરની મોટી કંપની છીએ. અમે વધુ સારો દેખાવ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમારા ગ્રાહક ઓછા છે, જેથી અમારી કાર પણ સારી સ્થિતિમાં હોય છે, વગેરે.’ ત્યાર પછી એવિસે કમાવાનું શરૂ કર્યું, પણ તે હર્ટ્ઝના જેવી બનીને નહીં, હર્ટ્ઝની સામે પડીને શક્ય બન્યું.

જ્યારે કોઈ કંપની બજારમાં ખૂબ મોટી અને ટોચની કંપની બને છે ત્યારે તે પોતાના જ વાયદાઓમાં અને પોતાની રચેલી સૃષ્ટિમાં અટવાતી જાય છે. સફળતા કોઈને પણ આળસુ બનાવે છે અને હર્ટ્ઝ સાથે પણ કંઈક આવું જ થયું. વધારે વિચાર્યા વગર અને ગભરાઈને નિર્ણય લેવાને બદલે, એવિસે ટોચની – નંબર વન કંપનીની નબળાઈ – તેના કામગીરી સુધારવાનાં અભાવનો લાભ લેવાનું નક્કી કર્યું.

કોલાની બોલબાલાવાળા ઠંડા પીણાંના બજારમાં સેવન અપે ‘અન-કોલા’ બનીને કંઈક આવું જ કર્યું હતું. એ જ રીતે અમેરિકામાં લાંબી અને ચમકિલી ગાડીઓનું ચલણ હતું ત્યારે ફોક્સવેગન બીટલે તેની પ્રખ્યાત ટેગ લાઇન 'થિન્ક સ્મોલ' રજૂ કરી. પેપ્સીએ પણ જ્યારે યુવાનોને આકર્ષવા સંગીતના માધ્યમથી માઇકલ જેક્સનને તેની જાહેરાતોમાં દર્શાવવાનું શરૂ કર્યું, ત્યારે તે પોતાનું સ્થાન જમાવી શકે. તાજગીભરી પસંદગીના રૂપમાં રજૂ થઈને પેપ્સીએ કોકને જૂનવાણી સાબિત કરવાનો પ્રયાસ કર્યો.

કુઆલાલુમ્પુરસ્થિત બ્રાન્ડ વિશ્લેષક શિવરંજન સહગલ જણાવે છે કે, 'કોઈ પણ વ્યવસાયીએ તેનો ધંધો વધારવા નવા ગ્રાહકોને પોતાની સાથે જોડવાની કે હાલના ગ્રાહકોને ઉત્પાદનનો વધુ ઉપયોગ કરવા પ્રેરવાની કે ઉત્પાદનનાં નવા ઉપયોગોને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. એ જ રીતે, રાજકીય પક્ષોએ પણ નવા સમર્થકોને પોતાના તરફ આકર્ષવાની અને ચોક્કસ સંદેશ સાથે મૂળ સમર્થકોમાં પોતાની પ્રાસંગિકતા વધારવાની જરૂર હોય  છે.

વિપક્ષોએ પણ આ વાતમાંથી એ ધડો લેવાનો છે કે ભા.જ.પા.નું પ્રભાવશાળી હિંદુત્વ મોજૂદ હોય ત્યારે નકલી હિંદુત્વમાં કોને રસ પડે?

‘ધ પ્રિન્ટ-હિંદી,’ અનુવાદ દિપ્તીકા ડોડીઆ

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 08-10

Loading

...102030...2,2332,2342,2352,236...2,2402,2502,260...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved