Opinion Magazine
Number of visits: 9573958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા જીવનનો અર્થસભર દાયકો

આશા વીરેન્દ્ર|Opinion - Opinion|17 August 2020

2010 જૂનથી 2020 જૂન – ‘ભૂમિપુત્ર’ના છેલ્લા પાનાની વાર્તાની લેખિકા તરીકે આ પખવાડિક સાથે જોડાયાને એક દસકો થઈ ગયો. સાત દાયકાના પ્રલંબ પટ પર વિસ્તરેલા જીવનમાંથી એક દશકનો ગાળો ઓછો તો ન જ કહેવાય અને એ પણ મારા જેવી કોઈ એક કામને લાંબો સમય વળગીને ન રહી શકનારી વ્યક્તિ માટે. દિવંગત હરવિલાસબહેન અને કાંતિભાઈના પ્રેમાગ્રહ આગળ નમતું જોખીને આ કામ સ્વીકાર્યું તો ખરું પણ બહુ ગંભીરતાથી લીધેલું નહીં. જોઉં, થાય ત્યાં સુધી કરીશ, નહીં થાય ત્યારે ના કહી દેવામાં ક્યાં વાર લાગવાની છે? – એવી બેફિકરાઈ પણ ખરી ! એમાં વળી કાંતિભાઈએ એવી વાત કરી કે આપણે આ કામ માટે ત્રણ મહિનાનો પ્રોબેશન પિરિયડ રાખીએ – ત્યાં સુધીમાં તમને ન ફાવે તો તમે ના કહી શકો અને અમને એવું લાગે કે વાર્તાઓ જોઈએ એવી નથી લખાતી તો અમે ના કહેવા અથવા બીજા કોઈને આમંત્રણ આપવા છુટ્ટા. મને એમની આ વાત ગમી ગઈ. થયું કે એક-બે વાર્તાઓ લખી જોઈએ, પછી ના કહી જ શકાશે ને?

આજે પાછું ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે મારી એ આનાકાની પાછળ અસ્વીકારનો ભય હતો. જે બંને બહેનોને ખુદ વિનોબાજીએ ‘હરિશ્ચંદ્ર’ નામ પ્રદાન કરેલું એમની કલમથી 45-45 વર્ષોથી ટેવાયેલા વાચકો મારા જેવી શિખાઉને સ્વીકારશે? જો શરૂઆતથી જ કદાચ વાચકોના નકારાત્મક પ્રતિભાવો આવશે તો? આવી બધી મથામણ સાથે કામની શરૂઆત તો કરી પણ 2010ના 1લી જૂનના અંકમાં જ્યારે પહેલવહેલી વાર્તા છપાઈ ત્યારે તો દિલ એવું ધડક ધડક થતું હતું કે એવું તો અત્યાર સુધીમાં આપેલી કોઈપણ પરીક્ષા વખતે ય નહોતું ધડક્યું. મારે કેટકેટલી તાવણીમાંથી પસાર થવાનું હતું ! મારા સૌથી પહેલા અને કડક પરીક્ષક હતા કાંતિભાઈ, એ પછી ભૂલ દેખાય ત્યાં હંમેશાં કાન આમળતા રહેલા મુરબ્બી નારાયણકાકા, ત્યાર બાદ નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન – એવું માનનારા મારા અંતરંગ મિત્રો, આલોચકો અને આ પરીક્ષાના પરિણામનો જેમના પર સૌથી વધુ મદાર હતો એવો વાચકગણ. જો કે ત્યારે અવર્ણીય આનંદ થયો હતો જ્યારે બધાએ ભેગા મળીને પાસ થયેલી જાહેર કરીને વધાવી હતી.

એવું તો નહોતું કે, મેં આ વાર્તાઓથી જ લેખનકાર્યની શરૂઆત કરી હતી. એમ તો લગભગ 15-20 વર્ષોથી જુદાં જુદાં સામયિકોમાં, અખબારોમાં કે પત્રિકાઓમાં મારી વાર્તાઓ, હાસ્ય લેખો, પ્રવાસ વર્ણન કે નિબંધ છપાતાં રહેતાં. પણ આ કામ સાવ જુદા પ્રકારનું હતું. પોતાના બાળકનો ઉછેર કોઈ માને અઘરો ન લાગે પણ અન્યના બાળકની સંભાળ રાખવાની, એની માવજત કરવાની આવે ત્યારે ગભરાટ થવો સ્વાભાવિક છે. અત્યાર સુધી મેં મૌલિક જ લખ્યું હતું પણ ‘ભૂમિપુત્ર’ની વાર્તાઓ ભારતની અથવા વિશ્વની કોઈપણ ભાષાના લેખકની વાર્તાનો આધાર લઈને લખવાની હતી. એમ કહી શકાય કે મારે જશોદામૈયાની ભૂમિકા ભજવવાની હતી. કહેવાય છે કે, ‘કામ કામને શીખવે’ એ પ્રમાણે જેમ જેમ વાર્તાઓ લખાતી ગઈ એમ એ અંગેની સમજ સ્પષ્ટ થતી ગઈ. આઠ કે દસ પાનાંની વાર્તાનો ‘ભૂમિપુત્ર'ના છેલ્લા એક જ પાનામાં એ રીતે સમાવેશ કરવો કે વાંચનારને ક્યાં ય રસક્ષતિ થતી ન લાગે અને એને આખી વાર્તા વાંચ્યાનો સંતોષ પણ મળે. એ માટે કયો મુદ્દો બાદ કરવો અથવા કઈ અગત્યની ઘટનાનો વિસ્તાર કરવો એ બાબતની ફાવટ આવતી ગઈ. પૂર્વસૂરિઓને આપેલું વચન નિભાવવા ખાતર જ જે કામ હાથમાં લીધેલું એમાં ધીરે ધીરે એટલો રસ પડવા લાગ્યો કે જાણે એનું વ્યસન થઈ ગયું.

આ દસ વર્ષના ગાળામાં 40-40 વાર્તાઓનો એક એવા બે સંગ્રહ તર્પણ – 1 (2013) અને તર્પણ – 2 (2014) પ્રગટ થયા. તર્પણ ભાગ 3, 4 અને 5 ની 120 વાર્તાઓ પોતે ક્યારે પ્રકાશમાં આવે એની રાહ જોતી તૈયાર ઊભી છે. હરિશ્ચંદ્ર બહેનોની 45 વર્ષો દરમ્યાન લખાયેલી વાર્તાઓના 18 સંગ્રહો ‘વીણેલાં ફૂલ’ નામથી પ્રકાશિત થયેલા અને ખૂબ લોકપ્રિય થયા છે. મારી વાર્તાઓ એમને તર્પણરૂપે હોવાથી ‘તર્પણ’ નામ આપવાનું નક્કી કર્યું. દસકાના ગાળામાં અનેક સારા-માઠા પ્રસંગો આવ્યા, ઘર ગ્રૃહસ્થીની, વ્યાવહારિક એવી અનેક જવાબદારીઓ આવી પણ ગમે તેવા સંજોગો છતાં દર પંદર દિવસે ‘ભૂમિપુત્ર’ના કાર્યાલય પર વાર્તા પહોંચાડવાનું કામ અચૂકપણે નિભાવી શકાયું એનો ખૂબ સંતોષ છે. આટલા ગાળામાં લગભગ 250 વાર્તાઓ થઈ. એક એક વાર્તા પસંદ કરતા પહેલાં ઓછામાં ઓછી 10 વાર્તાઓ વાંચવી પડે છે. આ હિસાબે જોવા જઈએ તો અત્યાર સુધીમાં ભારતની અલગ અલગ ભાષાઓ જેવી કે, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી વગેરે અને કેટલીય વિદેશી ભાષાની એમ બધું મળીને 2,500 જેટલી વાર્તાઓમાંથી પસાર થવા મળ્યું.

કેટલા ય વાચકમિત્રો પૂછતા હોય છે કે, આટલી બધી નવી નવી વાર્તાઓ તમને મળે છે ક્યાંથી? ચાલો, આજે એ રહસ્ય પરથી પડદો ઊંચકી લઉં. વાર્તાઓ તૈયાર કરવા માટે મુખ્યત્વે જુદી જુદી ભાષાનાં સામયિકોનો આધાર લેવાનો રહે છે. દર મહિને મળતાં નવનીત (હિંદી), સમકાલીન સાહિત્ય, નયા જ્ઞાનોદય, મિળૂન સાર્યાજણી (મરાઠી), સ્ટેટ્સમેન (અંગ્રેજી) વગેરેમાંથી ઘણી વાર્તાઓ મળી રહે છે. વળી ઘણાં સામયિકોમાં દરેક અંકમાં એક ઈતર ભાષાની વાર્તાનો હિંદી અનુવાદ પણ મળે છે. આમ એક વખત વાર્તાનું ચયન થયા પછી એને 750 થી 800 શબ્દોમાં સમાવવાની ગડમથલ ચાલુ થાય. ધીમે ધીમે આ બધી મથામણ એટલી રસપ્રદ લાગવા માંડી કે, ઘણી વખત વાર્તાને આ ઘાટ આપવો કે પેલો, એવી દ્વિધામાં રાતની ઊંઘ પણ ઊડી જતી. વાર્તાનાં પાત્રો સાથે મારી સંવેદના એ હદે જોડાઈ જતી કે, ક્યારેક પાત્રની વેદના, એની તકલીફનો વિચાર કરતાં આંખોમાં આંસુ પણ આવી જાય.

આ દસ વર્ષોએ મને કેટકેટલું આપ્યું છે! આત્મ સંતોષ, આંતરિક સમૃદ્ધિ, ભાષાઓની સુંદરતાનો પરિચય, વાચકોનો પ્રેમ અને આદર – આ બધું કદાચ ક્યારે ય ન મેળવી શકત, જો આ દાયકો મારા જીવનમાં ન આવ્યો હોત તો ! હમણાના કોરોના કાળની વાત કરું તો રોજે રોજના આઘાતજનક આંકડાઓ, સમગ્ર દુનિયાની દયનીય પરિસ્થિતિ અને અમંગળની આશંકાને કારણે મન એવું તો ક્ષુબ્ધ રહે છે કે, કશું પણ સર્જનાત્મક લખવાની કે કંઈ નવું  કરવાની કે વિચારવાની ઇચ્છા જ નથી થતી. એક ઉદાસી ચારેકોરથી ઘેરી લેતી હોય એવી પળોમાં ‘ભૂમિપુત્ર’ માટે વાર્તા તૈયાર કરવાની ચાનકે મને ઉગારી લીધી છે એમ કહું તો ખોટું નથી. ગમે તેટલી નિરાશ પળોમાં પણ બીજું કંઈ નહીં તો વાર્તાઓ વાંચવાનું કામ તો થતું રહે છે અને એ રીતે મનને  સધિયારો રહે છે કે, સમયનો કંઈક તો સદુપયોગ કરી શકાય છે!

દસ વર્ષની આ યાત્રામાં કેટકેટલાનો સાથ, સહકાર, પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં છે. એમાંથી કોઈનાં નામ ગણાવીને કોઈની ય ઓછી કે વધુ કિંમત આંકવાનો  આશય નથી પણ આ તબક્કે એટલું તો જરૂર કહીશ કે આપ સૌના પીઠબળ વિના અહીં સુધી પહોંચવું શક્ય નહોતું. દસ વર્ષના આ મહત્ત્વના મુકામ પછી આ સફર કેટલી આગળ ચાલશે એ તો આપણે કોઈ નથી જાણતા પણ મારી લાગણી વ્યક્ત કરવા નિરંજન ભગતની પેલી પંક્તિઓનો આધાર લેવાનું મને ગમશે કે,

‘કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ, (બહેનો તો કેમ ભુલાય !)
આપણો ઘડીક સંગ  રે…
આતમને તોયે જન્મોજનમ લાગી જશે એનો રંગ … કાળની કેડીએ’

‘ભૂમિપુત્ર’ની કેડીએ આપણો સંગ કાયમ રહે એવી અભિલાષા.

https://bhoomiputra1953.com/2020/07/25/મારા-જીવનનો-અર્થસભર-દાયક/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 જુલાઈ 2020; પૃ. 10-11

Loading

રાજસ્થાનમાં સત્તાની રાજરમતમાં લંગડાતી આપણી લોકશાહી

કમલેશ ઓઝા|Opinion - Opinion|16 August 2020

રાજસ્થાનની રાજકીય કટોકટી ચરમસીમાએ પહોંચી છે – આજે આ લખાય છે ત્યારે રાજસ્થાનની સત્તાની ખેંચતાણના વરવા દૃષ્યો અને ધારાસભ્યોની વાડાબંધી અને અનિર્ણયાત્મક સ્થિતિ છેલ્લા ૩૦ દિવસથી આખો દેશ નજર સામે નિહાળી રહ્યો હતો.

યુવા નેતા સચિન પાયલોટના અતિમહત્ત્વાકાંક્ષા અને અશોક ગેહલોતના સચિન પાયલોટ તરફના ઓરમાયા વર્તનથી કૉન્ગ્રેસની ચાલતી સરકારમાં પડેલું પંચર અને ભા.જ.પ. તરફથી સચિન પાયલોટને હાથો બનાવી કૉન્ગ્રેસની ચાલતી સરકારને ઉથલાવવાનું ષડયંત્ર આપણે ૩૦ દિવસથી જોઇ રહ્યા હતા.

આ એક નગ્ન વાસ્તવિકતા સાથે રાજસ્થાનની સરકાર ક્વોરેન્ટાઇન પર હતી. પ્રજાતંત્ર આમ રગદોળાયું છે. લોકશાહીનાં મૂલ્યોનું અધ:પતન થઇ ચૂક્યું છે. આખો દેશ આ ચિત્ર દયામણી સ્થિતિમાં જોઇને આજના રાજકારણ તરફ નફરત કરવા લાગ્યો છે. અને કોરોના જેવા ભયંકર મહામારીમાં પ્રજાની પડખે ઊભા રહેવાને બદલે આખી સરકાર સત્તાની નાગચૂડમાં ધારાસભ્યોને બન્ને બાજુના કૉન્ગ્રેસના જ અલગ અલગ હોટલોમાં ૩૦ દિવસથી ઘેટાં બકરાંની જેમ પૂરીને સત્તા મેળવવાનો તેમ જ ટકાવવાનો નિર્લજ પ્રયાસ કરાયો છે અને લાખો રૂપિયાની બરબાદી કરી વેડફી પ્રજાતંત્રને લગભગ નિષ્પ્રાણ બનાવી દીધું છે. ત્યારે કેટલાયે કર્મશીલો, વિચારકો, પત્રકારો, બૌદ્ધિકો એ વિચારે અટવાઇ ગયા છે કે ભારત દેશની આ કેવી લોકશાહી કે જ્યાં લાખો રૂપિયા ધારાસભ્યોન સાચવવા – વેડફવા પડે અને સામે કાંઠે પેલો ફૂટપાથી વસાહતવાળો માણસ બે ટંક ભોજન માટે વલખા મારે છે. આજે આખો દેશ કોરોનાના ભયંકર આફતમાંથી પસાર થાય છે ત્યારે પ્રજાની પડખે રહી કોરોનાનો રોગને કાબૂમાં લેવાની તાતી જરૂરિયાત હોવા છતાં બન્ને પછે કૉન્ગ્રેસ ભા.જ.પ. અને સચિન પાયલોટનું ગ્રુપ સત્તા મેળવવા અને ટકાવવા અત્યંત હલકી કક્ષાના બધા જ પ્રયાસો કરી પ્રજાને મૂર્ખ બનાવવાની હોડમાં લાગ્યા હતા. વળી, ધારાસભ્યોને વાડાબંધીમાં રાખી લાખો રૂપિયાનો ખર્ચ કરી સત્તાનો નાગો નાચ કર્યો છે તે ભારતની લોકશાહી માટે એક મોટુ કલંક છે.

જો તમે હિસાબ માંડો તો એક ધારાસભ્યને રાખવા માટેનો એક રૂમના ૧૦,૦૦૦ રૂપિયા દરરોજના ચા-નાસ્તો ભોજન વગેરેને બીજા ૧૦,૦૦૦ લગભગ એક દિવસના હોય તો ૩૦ દિવસના આ બધા જ અશોક ગેહલોતના ગ્રુપના ૯૯ તેમ જ સચિન પાયલોટના ૧૯ ધારાસભ્યોના ખર્ચ ક્યાં જઇને પહોંચે અને આજે આ ખર્ચ કરે જ છે આજ સુધીમાં આ આંકડો સાંભળીને આંચકો આપી જાય તેમ છે. એટલે એક તટસ્થ પત્રકાર તરીકે અને વિચારશીલ નાગરિક તરીકે પૂછું કે આટલા બધા નાણા આ બન્ને ગ્રુપના લોકો ક્યાંથી લાવે છે – શું આ લોકો અંબાણી, ગૌતમ અદાણી કે તાતા, બીરલા અને બીજા મોટા ઉદ્યોગો મારફત ધંધો કરે છે – આટલાં નાણાં ક્યાંથી લાવે છે – એક જ  જવાબ છે કે આ બધો જ ખર્ચ સત્તામાંથી મેળવેલો છે. પ્રજાના નામે ખર્ચ કરવાને બદલે અમુક ખર્ચ સાઇડમાં કરી, આ મૂડી ભેગી કરી હોઈ શકે અને સત્તા મેળવવાની મથામણ પણ એટલે જ કરતા હોય કે સત્તા મળ્યા પછી તો આપણે જ વહીવટ કરવાના છીએ ને આમ રાજકારણને ધંધો બનાવી પ્રજાતંત્રના વહીવટમાંથી ગેરકાયદેસર સંપત્તિ ઊભી કરી ધારાસભ્યોને ખરીદી કરોડોનો વેપલો કરી કોઇપણ હિસાબે સત્તા ટકાવવાનું મેળવવાનું કારસ્તાન આ દેશમાં હવે સામાન્ય બની ગયું છે. અને એટલે જ હું કહું છું કે ભૂતકાળમાં દેવીલાલથી શરૂ થયેલ આયારામ ગયારામની પક્ષપલટની રીતરસમ આજે ફાલી ફૂલીને વિકસી છે કરોડો રૂપિયાનાં વહીવટ ધારાસભ્યોને ખરીદીને યેનકેન પ્રકારે સત્તા મેળવવાના હવાતિયા આપણી લોકશાહીને પાંગળી બનાવે છે તે વાત કહેતા હું જરાપણ ખચકાટ અનુભવતો નથી.

મણિપુર, ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશમાં જે રીતે ચાલતી સરકારને ઉથલાવવામાં ભારતીય જનતા પાર્ટીએ રીસરસમ અપનાવી તે જ રીત રસમ, રાજસ્થાનની સરકાર ઉથલાવી ભારતીય જનતા પાટી કૉન્ગ્રેસ-મુક્ત શાસન કરવા માંગે છે. પણ હું એમ કહેતા અચકાઇશ નહીં કે રાજસ્થાનમાં સરકાર ઉથલાવવાનું તેમનું કામ કપરું હતું કારણ કે સચિન પાયલોટ પાસે માત્ર ૧૯ ધારાસભ્યો જ હતા. જે બહુમતી મેળવવાના આંકડા નજીક પહોંચી શકે તેમ નહોતા. આ બાબતમાં અશોક ગેહલોતનો માસ્ટર સ્ટ્રોક વધારે મજબૂત રહ્યો અને આજે હું લખું છું ત્યારે ભા.જ.પ.નાં વસુંધરા રાજે સમર્થક ૬ ધારાસભ્યો ગુમ છે. આમ કૉન્ગ્રેસને અને સચિન પાયલોટ ગ્રુપને ધારાસભ્યો સાચવવા પડે તે માટે વાડાબંધી કરવી પડે તેવી વાડાબંધી ભારતીય જનતા પાર્ટીને પણ કરવી પડી છે, અને વસુંધરા રાજેના સમર્થક ધારાસભ્યો ૧૪મી ઓગષ્ટે ફ્લોર ટેસ્ટમાં તૂટે નહીં એટલે તેમને રાજસ્થાનથી ગુજરાતમાં સોમનાથ મંદિરમાં સાગર હોટલમાં શીફ્ટ કરી વાડાબંધી કરવી પડી હતી. તે બનાવ ભારતીય જનતા પાર્ટીની એકસૂત્રતા, એકજુટતાનો માહોલમાં મોટું ગાબડું પડી ગયું છે. તેમ કહેતા અચકાઇશ નહીં. ભા.જ.પ.ને પણ પોતાના ધારાસભ્યોની તોડફોડની બીક લાગતા કેટલાક ધારાસભ્યોને મધ્યપ્રદેશ મોકલી દેવામાં આવ્યા હતા. જેમને ૧૪મી ઓગષ્ટે વિધાનનસભાના સત્ર ચાલુ થઇ ત્યારે જયપુર લાવવામાં આવેલા.

૩૦ દિવસથી રાજસ્થાનમાં ચાલતી રાજકીય ચહલપહલ, ધમસાણ-હાઇકોર્ટ સુપ્રીમકોર્ટમાં કરાયેલી અપીલો એસ.ઓ.જી. મારફત રાજસ્થાન સરકારે કરેલી અરજી ૧૨૪ કલમ મુજબ સચિન પાયલોટ ગ્રુપના ધારાસભ્યોને દેશદ્રોહની કરવામાં આવેલી અરજી આ બધા નાટકીય બનાવોની હારમાળામાં સતત ૩૦ દિવસથી પ્રજાતંત્ર રગદોળાયું રહ્યું. હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં ફૂટબોલ માફક ફેકાતી અરજી અને આજ સુધી તેમાં કોઇ નિકાલ કે નિર્ણયાત્મક તબક્કા પર નહીં આવેલો ચુકાદો એ બનાવે રાજસ્થાનના વહીવટ તંત્ર પ્રજાતંત્રને લગભગ લકવાગ્રસ્ત બનાવી દીધું હતું અને આ કોર્ટના અંતિમ ચુકાદો ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીના ૬ ધારાસભ્યોના કૉન્ગ્રેસમાં જે દસ મહિના પહેલા ભળી ચૂક્યા છે, તેની સામેનો હાઇકોર્ટમાં ચાલતી અપીલની સુનાવણી છેલ્લે ૧૧મી ઑગષ્ટે પડેલી મુદ્દત, આ બધા જ બનાવોની હારમાળા અને અનિર્ણાયક સ્થિતિએ રાજસ્થાનના સતાકારણના આટાપાટામાં મહત્ત્વનું સ્થાન ભજવ્યું છે. જે આજસુધી રાજસ્થાનની પ્રજા માટે સરકાર માટે અસમંજ સ્થિતિ પેદા કરી છે. …એટલે જ રાજસ્થાનની પ્રજાતંત્ર વધુ એક વખત અનિર્ણાયક સ્થિતિમાં મુકાયું તેમ મને સ્પષ્ટ લાગે છે – અને અન્તે રાષ્ટ્રપતિ શાસન રાજસ્થાનમાં લાદવામાં ન આવ્યું તેની જ નવાઈ.

રાજસ્થાનમાંથી અશોક ગેહલોતને બદલાવી કેન્દ્રમાં કૉન્ગ્રસે પાર્ટીમાં સંગઠનનું કામ આપી, સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે સમાધાન કરાવવું જોઇએ સમાચાર સૂત્રોના અહેવાલ પ્રમાણે કોંગ્રેસ હાઇકમાન્ડ આ બાબતમાં ગંભીર રીતે વિચારે છે તેવું મીડિયા દ્વારા જાણવા મળ્યું છે.

જો આમ થાય તો બી.જે.પી.ની સરકાર ઉથલાવવાનું સ્વપનું નાકામયાબ રહે, સચિન પાયલોટને પાછા રાજસ્થાનના રાજકારણમાં સક્રિય બનાવી કૉન્ગ્રેસનું સ્થાન યથાયોગ્ય જળવાઇ રહે અને સચિન પાયલેટનું ગ્રાસરૂટ વર્ક વધારે પાવરફુલ છે તે દિશામાં કૉન્ગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને તેમ હું સ્પષ્ટ માનું છું.

ટૂંકમાં ભારતનાં આજના રાજકારણ સત્તાકારણમાં સામાન્ય માણસ ખોવાઇ ગયો છે. વિકાસ માત્ર કાગળ પર છે. ભારતીય રાજકારણમાં અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સત્તાનશીન થવાના સમયથી આજ સુધી ૨૦૧૪થી આજ સુધી રાજકારણ લગભગ પ્રદૂષિત થઇ ચૂક્યું છે. – મૂલ્યનિષ્ટ નીતિ, સુશાસન, લગભગ માઇનસના ગ્રાફમાં છે – ધર્મપ્રેરિત રાજકારણ, નફરતનો સીલસીલો અને અર્થકારણ અને અર્થતંત્રની પાયમાલી એકહથ્થુ સત્તા તરફનું પ્રયાણ આ બધી જ બાબતો ભારતની લોકશાહી માટે ચિંતાજનક છે. કરોડો રૂપિયાથી ધારાસભ્યોને ખરીદી વિરોધપક્ષનો સફાયો કરવાની નેમ વિ.માં આપણી લોકશાહી લંગડાતી સ્થિતિમાં હોવાનું લાગે છે.

આ દેશની લોકશાહી બચાવવા સંવિધાન બચાવવા, પ્રજાએ જાગૃત થવાની જરૂર છે પણ આજનો યુવાન બિલકુલ નિષ્ક્રિય છે. પ્રજા બિલકુલ દયામણી સ્થિતિમાં જીવી રહી છે. કોરોનાની મહામારીથી પીડાતી પ્રજા, કોરોનાનો કેશમાં દિનપ્રતિદિન વધતાં આંકડો, આપણા દેશ માટે કટોકટીનાં કાળમાં છે, ત્યારે બધી જ પોલિટકલ પાર્ટીઓએ રાજનીતિ બંધ કરી, સરકારને સહયોગ આપી પ્રજાતંત્રને સુસ્વસ્થ બનાવવું જોઇએ. આવનારા સમયમાં જો આમ જ સ્થિતિ રહેશે ખુલ્લેઆમ ધારાસભ્યોને ખરીદી એકહથ્થુ સત્તા મેળવવાનો પ્રયોગ ચાલુ રહેશે તો આપણી લોકશાહીમાંથી પ્રજાના વિશ્વાસ ઊડી જશે. તે વાત સ્પષ્ટ છે.

આજની પરિસ્થિતિમાંથી બહાર આવવા, મૂલ્યનિષ્ઠાનું પુન: સ્થાપન જરૂરી છે હું આવતા સમયમાં નવનિર્માણ જેવા લોકઆંદોલનો થશે અને લોકજુવાળ ફાટી નીકળશે તેવી સ્થિતિ થાય તેવા અણસાર મને દેખાય છે. પ્રજા આજે શાંતિથી બેઠી છે પણ આ શાંતિ ક્યારેક પ્રચંડ તાકાત સાથે લોકઆંદોલનમાં પરિણમે તે કહી શકાય નહીં. આ અંગે ધારાસભ્યો સંસદસભ્યોને રાઇટ ઓફ રિકોલ દ્વારા પાછા બોલાવવા માટે જનઆંદોલન જ એક જ રસ્તો હશે તેમ કહી હું વિરમું છું.

e.mail : koza7024@gmail.com

Loading

બુકાની

‘બાબુલ’|Poetry|16 August 2020

સાંપ્રત બુકાનીકાળમાં મમળાવવા કાજ :

‐‐——————-

તું
રહે ખામોશ
યા વદે
પ્રત્યેક શ્વાસે ઉભરે છે
જે કંપારી
તારી
નવલી બુકાનીમાં
એ
અજબ અહેસાસ
જગાવે છે
મારાં મનમાં

—×–

સૌ
કહે છે
એ ગાળે છે
ચાળે છે, હવા
માન્યું!
કે ખાળે છે વ્યથા
કિન્તુ
બાળે છે દિલ
તારાં સુર્ખીલાં અધર આવરતી
બુકાની

–×–

નથી
પિછાની શકતો
એ
પ્રેમ છે કે ઘાત
ને આમ તો
છે એ
મારી જ જાત
બાંધી છે જેણે
જડબેસલાક
રુપાળી બુકાની.

15 ઑગષ્ટ 2020

Loading

...102030...2,2192,2202,2212,222...2,2302,2402,250...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved