Opinion Magazine
Number of visits: 9574617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત સરકારની કોરોના-ટેસ્ટ અંગેની નીતિ : આબરુ પહેલી, લોકોનું થવું હોય તે થાય

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|18 August 2020

ગુજરાતમાં પહેલી ઓગસ્ટના રોજ કોવિડ-૧૯ના ૨૬,૩૦૩ સેમ્પલ ટેસ્ટિંગ થયા હતા. જે પછીના બે દિવસે ક્રમશ: ઘટીને ૨૩,૨૫૫ અને ૧૯,૭૬૯ થયા  દસમી ઓગસ્ટની ૨૯,૬૦૪ ટેસ્ટિંગની સંખ્યા પછીના દિવસોથી રોજેરોજ વધી રહી છે. અગિયારમી ઓગસ્ટે તેમાં અચાનક ઉછાળો આવ્યો અને ટેસ્ટિંગની સંખ્યા થઈ ૪૧,૬૪૭  તે પછીના દિવસોમાં તે પચાસ હજારનો આંક વટાવી ગઈ. ૧૪મી ઓગસ્ટે અત્યાર સુધીના સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ ૫૧,૨૨૫ થયા છે !

કોરોના ટેસ્ટમાં અચાનક ઉછાળો કેમ ?

રાજ્યમાં ૧૪મી ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં કુલ ૧૨,૧૧,૦૪૭ ટેસ્ટિંગ થયા છે. તેમાં ૧,૯૩,૮૧૩ એટલે આશરે બે લાખ ટેસ્ટ તો છેલ્લા ચાર જ દિવસના છે. ગુજરાતમાં દર દસ લાખે ૧,૧૨૭ લોકો સંક્રમિત છે પરંતુ ટેસ્ટિંગ ૪૨૧ થાય છે. માર્ચના આરંભથી ૭મી મે સુધીમાં એક લાખ ટેસ્ટિંગ થયા હતા. પણ હવે રોજના પચાસ હજાર અને દર બે દિવસે એક લાખ કરતાં વધુ ટેસ્ટિંગ થાય છે. આવો ચમત્કાર કઈ રીતે શક્ય બન્યો છે ? શું ટેસ્ટિંગ કીટની છત ઊભી થઈ છે ? તે સસ્તી થઈ ગઈ છે ? સરકાર અને તેની ચાપલુસ નોકરશાહીને ગુજરાતની પ્રજા પર હેત ઉભરાઈ આવ્યું છે ?

આ બધી ધારણાઓ ખોટી છે. ૧૧મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૮૦ ટકા કરતાં વધુ કોરોના કેસીસ ધરાવતા ગુજરાત સહિતના દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ યોજી હતી. તેમાં વડાપ્રધાને પોતાના મોડેલ સ્ટેટ ગુજરાત સહિતના રાજ્યોના મુખ્યપ્રધાનોને ટેસ્ટિંગ વધારવાની સલાહ આપી હતી. વડાપ્રધાનું સૂચન કે સલાહ ભા.જ.પા.શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો માટે આદેશ જ હોય છે. એટલે ૧૧મી એપ્રિલના મોદી ચાબુકના દિવસે જ આગલા દિવસ કરતાં ૧૨,૦૪૩ ટેસ્ટિંગ વધારે કરવામાં આવ્યા અને પછીના દિવસોએ તો ટેસ્ટિંગ અગાઉના કરતાં બમણા થઈ ગયાં.!

અલ્પ ટેસ્ટિંગ, અલ્પ સંક્રમિત, તો સબસલામત

કોરોના મહામારીના મુકાબલા માટેનું મજબૂત હથિયાર ટેસ્ટિંગ છે. પરંતુ મોદી-મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે તેમ જો ભારતમાં મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવે તો સંક્રમિતોની સંખ્યા અમેરિકા કરતાં પણ વધી જાય .એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાની છબી ઉજળી દેખાડવા અને સબસલામત દર્શાવવા મહામારીની શરૂઆતથી જ મર્યાદિત સંખ્યામાં જ ટેસ્ટિંગ કરવાની રણનીતિ અખત્યાર કરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળ એ ૧૦ રાજ્યોમાં દેશના કુલ કોરોના સંક્રમિતોના ૮૦ ટકા દરદીઓ છે, પરંતુ આ રાજ્યોમાં ટેસ્ટિંગ હજુ પણ ઓછા થાય છે. મહારાષ્ટ્રમાં દર ૧૦૦ ટેસ્ટે ૧૮.૯ % દરદીઓની ભાળ મળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં માંડ ૩.૯ % જ દરદી મળે છે. એનો અર્થ એ નથી કે ત્યાં દરદીઓની સંખ્યા જ ઓછી છે. પણ ટેસ્ટ જ ખૂબ ઓછા થાય છે.

પાંચ પ્રકારના ટેસ્ટિંગ

કોરોના વાઈરસના પરીક્ષણ માટે દેશમાં પાંચેક પ્રકારના પરીક્ષણો પ્રચલિત છે. RT-PCR (REAL TIME POLYMERASE CHAIN REACATION) તેમાં સૌથી અગત્યનો અને વિશ્વસનીય ટેસ્ટ મનાય છે. તે ઉપરાંત રેપિડ એન્ટીજન ડિટેકશન ટેસ્ટ, રેપિડ એન્ટી બોડી ટેસ્ટ, IGG (ઈમ્યુનોજીલોબિલીન-જી) અને TRUTAT AND CBNAAT ટેસ્ટ પણ કરવામાં આવે છે. આર.ટી.-પી.સી.આર. સિવાયના ટેસ્ટ પૂરક મનાય છે. તે ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દરદીને તો પોઝિટિવ માની લેવાય છે પરંતુ નેગિટિવને ભયમુક્ત માનવામાં આવતો નથી અને તેણે મુખ્ય પરીક્ષણ કરાવી લેવું હિતાવહ હોય છે.

આક્રમક ટેસ્ટિંગથી ૭૦% પોઝિટિવનો સરકારી હાઉ

ગુજરાતમાં પ્રથમ લૉકડાઉનના આરંભે જ તબલિઘી જમાતના માથે સંક્રમણનું ઠીકરું ફોડીને ટેસ્ટિંગનો શોર મચાવવામાં આવ્યો. સંક્રમણને ફેલાતું અટકાવવા મુસ્લિમો ટેસ્ટિંગ કરાવે તે માટે મુસ્લિમ ધર્મગુરુઓ અને ધારાસભ્યોનો સાથ લેવામાં આવ્યો હતો. અમદાવાદના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિજ્ય નહેરાએ પણ આક્રમક ટેસ્ટિંગની નીતિ અપનાવી હતી. તેને કારણે અમદાવાદમાં અને રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ વધી ગઈ. સરકાર અને તેના આરોગ્ય તંત્ર પાસે તેને પહોંચી વળવા હોસ્પિટલો, આઈ.સી.યુ. અને વેન્ટિલેટર્સ નહોતા. તેને કારણે દરદીઓને સારવાર મળવામાં વિલંબ થવા માંડ્યો હતો. લોકોની ધીરજ ખૂટી જાય અને સારવારના અભાવે મૃત્યુ થાય તેવું બનતું હતું. જે મોડેલ અને વાઈબ્રન્ટ ગુજરાતના તુંબડે મોદી ભારતના વડા પ્રધાન થયા હતા તેની બૂરી વલે હતી. એટલે સરકારે આક્રમક ટેસ્ટિંગની નીતિ અપનાવનારા મ્યુનિસિપલ કમિશનર નહેરાની બદલી કરી નાંખી અને ટેસ્ટિંગની સંખ્યા જ સાવ ઘટાડી દીધી !ગુજરાતમાં કોરોનાનો કેર વધી રહ્યો છે અને ટેસ્ટનું પ્રમાણ રાજ્યમાં ખૂબ જ ઓછું છે તે વધારવા ગુજરાતની વડી અદાલતમાં ધા નાંખવામાં આવી ત્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે જો સરકાર વધારે ટેસ્ટ કરશે તો રાજ્યની ૭૦% વસ્તી પોઝિટિવ આવવાની શક્યતા છે. એને લીધે રાજ્યમાં માનસિક ભયનું વાતાવરણ ઊભું થશે. જો કે કોર્ટે સરકારનું આ વલણ સ્વીકાર્યું નહોતું કોર્ટનું નિરીક્ષણ હતું કે સરકાર કોરોનાના કેસોને ઓછા ટેસ્ટિંગથી કૃત્રિમ રીતે નિયંત્રિત કરવાની કોશિશ કરે છે.

અદાલતી હસ્તેક્ષપ પછી અને છતાં

કોરોના ટેસ્ટિંગ માત્ર અને માત્ર સરકારી લેબોરેટરીઓમાં જ થતું હોઈ તેનું નિયંત્રણ સરકારના હાથમાં હતું. સરકાર જેમને કોરોના વોરિયર્સ ગણાવીને તેમના માનમાં આકાશમાંથી પુષ્પવર્ષા કરાવતી હતી તે ડોકટર્સ સહિતના આરોગ્યકર્મીઓ શિક્ષકો અને અન્યના કોરોના ટેસ્ટ સરકારની મંજૂરી વિના થઈ શકતા નહોતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૨૫ વર્ષીય એક અનામી રેસિડન્ટ ડોકટરના પત્રને હાઈકોર્ટે જાહેર હિતની અરજી ગણીને સરકારને કાર્યવાહી કરવા આદેશ કરવો પડ્યો હતો. આ ડોકટરમાં કોરોનાનાં લક્ષણો જણાયાં હોવા છતાં સરકારે તેમને ટેસ્ટની મંજૂરી તો ના આપી ઉપરથી ખુલાસો માંગ્યો હતો. આવી સ્થિતિ અનેક કોરોના લડવૈયાઓની હતી. તેમણે સંક્રમણ સામે લડવાનું હતું એના કરતાં વધુ તો સરકારની અનુમતી માટે લડવાનું હતું. રાજ્યનો કોઈ પણ નાગરિક કોરોનાનો ટેસ્ટ કરાવવા મુક્ત નહોતો. સરકારે હાઈકોર્ટમાં બાકાયદા એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે કોવિડ ટેસ્ટને લોકોનો મૂળભૂત અધિકાર ભલે રહ્યો, પરંતુ સરકાર તેના પર વાજબી પ્રતિબંધો લગાવી શકે છે. સરકાર નાગરિકના મૂળભૂત અધિકારો પર ઉચિત પ્રતિબંધ લગાવવા સક્ષમ છે. જો કે અદાલતના ન્યાયમિત્ર અને એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ સરકારની આ વાત સ્વીકારી નહોતી અને અદાલતને જણાવ્યું કહ્યું હતું કે કોઈ પણ નાગરિકને ટેસ્ટ કરતાં  રોકવાનો સરકારને અધિકાર નથી. રાજ્યમાં ૧૯૭૫ જેવી કોઈ આંતરિક કટોકટી નથી. આ માત્ર મહામારી છે. એટલે સરકાર નાગરિકના મૂળભૂત અધિકારનું હનન કરી શકે નહીં. હાઈકોર્ટે સરકારને ટેસ્ટિંગની સૌને છૂટ આપવા અને ટેસ્ટિંગ કીટ, પી.પી.ઈ. કીટ વગેરે અધિક માત્રામાં ખરીદવા નિર્દેશ આપ્યો હતો.

કોરોનાના ટેસ્ટિંગ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થતા હતા. તેના પરિણામો પણ ખૂબ જ મોડા મળતા હતા; તેમ છતાં સરકાર ખાનગી લેબોરેટરીઓને પરીક્ષણની છૂટ આપતી નહોતી. જાણે કે સરકારને જ લોકોની ભારે ચિંતા છે તેવી દલીલો કરતાં તેણે કોર્ટેને જણાવ્યું હતું કે ખાનગી લેબોરેટરીઝ લોકોને બિનજરૂરી ટેસ્ટ કરાવશે તેનાથી નાગરિકોના પૈસાનો વ્યય થશે એટલે જો સરકારી લેબોરેટરીની ક્ષમતા સમાપ્ત થઈ જાય તો જ ખાનગી લેબોરેટરીને મંજૂરી મળશે. હાઈકોર્ટના આદેશો અને ભારે પ્રયાસો પછી જ્યારે સરકારને ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણની છૂટ આપવી પડી ત્યારે તેણે એમ.ડી. ડોકટરની ભલામણ પછી જે તે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીનો લેખિત મંજૂરી આદેશ મેળવવાની શરત દાખલ કરી હતી. આ બાબત સામે પણ અમદાવાદ મેડિકલ એસોસિયેશને વાંધો લીધો હતો. રાજ્યમાં ખાસ તો જિલ્લા-તાલુકા લેવલે એમ.ડી. ડોકટરો જ નથી અને સરકારની મંજૂરીમાં ૩થી ૫ દિવસનો સમય લાગે છે એટલે તત્કાલ જરૂરી સર્જરી, અકસ્માત અને પ્રસૂતિના કેસોમાં ખૂબ જ મુશ્કેલી પડે છે. હાઈકોર્ટે આ બાબત સ્વીકારીને સરકારને એમ.ડી. ડોકટરની ભલામણ અને સરકારી તંત્રની મંજૂરીની શરત રદ્દ કરી માત્ર જાણ કરાવાનો આદેશ કર્યો હતો. સરકાર અને તેના બાબુઓનો આ તમામ અંતરાયોમાં ઊભા કરવાનો  એક માત્ર ઉદ્દેશ ઓછા ટેસ્ટિંગ અને  ઓછા સંક્રમિતો દર્શાવવાનો રહ્યો છે.

ગુજરાતના છ જિલ્લામાં ટેસ્ટિંગની સુવિધા જ નથી

મહામારીના આરંભે માર્ચ મહિનામાં ગુજરાતમાં માત્ર અમદાવાદ અને જામનગરમાં જ કોરોનાના ટેસ્ટિંગની સુવિધા હતી. વળી આ બંને સ્થળે પણ માત્ર સેમ્પલ લેવાતા હતા અને પરીક્ષણ માટે પૂના મોકલાતા હતા. આજે રાજ્યમાં ૩૪ સરકારી અને ૨૫ ખાનગી મળી ૫૯ કોરોના ટેસ્ટિંગ લેબ આવેલી છે. અને સંપૂર્ણ પરીક્ષણ અહીં જ થાય છે. પરંતુ અનેક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાત રાજ્યના ૧૧ જિલ્લામાં આજે પણ કોરોનાના ટેસ્ટિંગની કોઈ જ લેબોરેટરી નથી. સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ એ ત્રણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના ભરુચ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં કોરોનાના ટેસ્ટિંગની સુવિધા નથી. હાઈકોર્ટે તાજેતરમાં જ આ બાબતે રાજ્ય સરકારની સ્પષ્ટતા માંગી છે અને સરકાર જાતે જ સુવિધા ઊભી કરવા માંગે છે કે કોર્ટ કોઈ આદેશ આપે તેમ પણ પૂછાવ્યું છે.

સરકારી મહેરબાનીથી ઊંચા ટેસ્ટિંગ ચાર્જ

કોરોના ટેસ્ટિંગના ઊંચા ચાર્જ લોકોની લૂંટ સમાન છે. સરકારી સંસ્થા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ૧૮મી માર્ચ ૨૦૨૦ના રોજ ખાનગી લેબોરેટરીઓમાં કોવિડ ટેસ્ટિંગનો દર (ચાર્જ) રૂ. ૪૫૦૦/- નક્કી કર્યો હતો. સુપ્રીમ કોર્ટેની જસ્ટિસ અશોક ભૂષણ અને એસ. રવીન્દ્ર ભટ્ટની બેન્ચે ૯મી એપ્રિલે ચુકાદો આપી સરકારને આદેશ કર્યો હતો કે સરકારી અને ખાનગી તમામ લેબોરેટરીમાં કોરોનો ટેસ્ટ મફત થવો જોઈએ. જે નાગરિક રૂ.૪૫૦૦/-  જેટલો ઊંચો દર ચૂકવી ન શકે તેને પરીક્ષણથી વંચિત ન રાખી શકાય. જો કે સરકાર અને આઈ.સી.એમ.આરે. આ બાબત સ્વીકારી નહોતી. એટલે સુપ્રીમ કોર્ટેને આ ચાર્જ માન્ય રાખવો પડ્યો હતો. જે સુપ્રીમ કોર્ટ એપ્રિલ મહિનામાં સરકારને મફત કોરોના ટેસ્ટ માટે આદેશ કરતી હતી તે જુલાઈના અંતે કેન્દ્ર સરકારને દેશમાં કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં એકરૂપતા લાવવા વિનંતી કરે છે!  કેમ કે રાજ્યેરાજ્યે ટેસ્ટિંગના ચાર્જ અલગઅલગ છે. આઈ.સી.એમ.આરે. છેક મે માસના અંતે રૂ. ૪,૫૦૦ના ચાર્જની મર્યાદા ઉઠાવી લીધી તે પછી ઘણાં રાજ્યોએ આ દરમાં ઘટાડો કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશને પણ ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરીને માંગણી કરી હતી કે આ ટેસ્ટનો વાસ્તવિક ખર્ચ રૂ.૧,૬૦૦/-થી ૧,૮૦૦/- જ છે એટલે સરકાર વધુમાં વધુ રૂ.૨,૦૦૦/ ચાર્જ રાખી શકે ખાનગી લેબોરેટરીઓનો કોવિડ ચાર્જ નફા વગરનો, ન્યાયપૂર્ણ, વાસ્તવિક અને વાજબી રાખવાની માંગણી પણ આ તબીબોની સંસ્થાએ કરી હતી. બે એક મહિના ખાનગી લેબોરેટરીઓને કમાવા દીધા પછી જુદી જુદી રાજ્ય સરકારોએ ચાર્જમાં ઘટાડો કર્યો છે. મધ્ય પ્રદેશમાં રૂ.૧,૯૮૦/-, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં રૂ.૨,૨૦૦/, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં, રૂ.૨,૪૦૦/-, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં રૂ. ૨,૫૦૦/- અને કર્ણાટકમાં રૂ.૨,૬૦૦/-નો ચાર્જ રાજ્ય સરકારોએ નક્કી કર્યો છે. સર્વોચ્ચ અદાલતની વિનંતી છતાં અગાઉ રૂ. ૪,૫૦૦/-નો ઊંચો દર નક્કી કરનાર કેન્દ્ર સરકારે તે દર જાતે ઘટાડવાને બદલે રાજ્યો પર નિર્ણય છોડ્યો હતો. તેથી સમગ્ર દેશમાં ચાર્જમાં કોઈ એકરૂપતા નથી.

અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી લેબોરેટરીઓને કોવિડ ટેસ્ટિંગની મંજૂરી મળશે તો તે લોકોને આવશ્યક નહીં હોય તો પણ ટેસ્ટ કરાવી બિનજરૂરી ખર્ચા કરાવશે તેવી દલીલ કરનારા ગુજરાત સરકારના આરોગ્ય તંત્રે જાતે નહીં લોકોની રજૂઆત પછી ટેસ્ટિંગ ચાર્જ ઘટાડ્યો છે !  ખર્ચ રૂ. ૧,૬૦૦થી રૂ. ૧,૮૦૦નો જ થાય છે અને વધુમાં વધુ રૂ. ૨,૦૦૦/- જ રાખી શકાય તેવી ડોકટરોના મંડળની ભલામણની ઉપરવટ જઈને સરકારે રૂ. ૨,૫૦૦/-નો દર ઠરાવ્યો છે. તે દર્શાવે છે કે સરકારના હૈયે કેટલું પ્રજાનું હિત વસ્યું છે અને કેટલું ખાનગી લેબોરેટરીના સંચાલકોનું વસ્યું છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે દેશમાં આરોગ્ય ક્ષેત્રે મોટું કામ કરવાનો દાવો કરનાર અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં યુ.પી. સરકાર પછી કોરોના ટેસ્ટિંગના ચાર્જ ઘટાડ્યા હતા !

નંબર વન ગુજરાત ટેસ્ટિંગમાં તળિયે

મહામારીને નાથવા ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ અપનાવવાની હોવા છતાં ભારત સરકાર અને રાજ્ય સરકારો  ટેસ્ટિંગના મામલે નિષ્ફળ રહી છે. યુ.કે.માં દર દસ લાખની વસ્તીએ ૨.૭ લાખના, અમેરિકા અને રશિયામાં ૨ લાખના ટેસ્ટિંગના થાય છે જ્યારે ભારતમાં તેની સંખ્યા ૧૮,૦૦૦ જ  છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવ દરદીઓની સંખ્યા ૧૪મી ઓગસ્ટ સુધીમાં ૭૬,૫૬૯ છે અને તેમાંથી ૨,૭૪૮ના મોત થયા છે. રિકવરી રેટના ઊંચા અને મૃત્યુ દરના નીચા આંકડા પર ગુજરાતનું સરકારી તંત્ર મુસ્તાક રહે છે. પરંતુ જે ૨૦ રાજ્યોના દર દસ લાખે કોરોના ટેસ્ટિંગના આંકડા ઉપલબ્ધ છે તેમાં દિલ્હી પ્રથમ અને જમ્મુકશ્મીર બીજા ક્રમે છે. બે મહિના પછી જ્યાં નવી વિધાનસભા રચાવાની છે અને અત્યારથી જ ચૂંટણી પડઘમ વાગી રહ્યા છે તે બિહાર સાવ તળિયે ૨૦મા ક્રમે છે. ભા.જ.પા.શાસિત અસમ, કર્ણાટક અને હરિયાણા અનુક્રમે પાંચમા, સાતમા અને આઠમા ક્રમે છે પરંતુ  ગુજરાત ચૌદમા ક્રમે અને તે પણ ઉત્તર પ્રદેશથી એક જ ક્રમ ઉપર છે.

હવે જ્યારે કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારવાની ફરજ પડી છે ત્યારે અગાઉ જો ટેસ્ટિંગ વધારીશું તો રાજ્યની ૭૦% વસ્તી પોઝિટિવ આવશે અને લોકોમાં ભય ફેલાશે એવી દલીલ કરનાર રાજ્ય સરકારે એવી અદ્દભુત કારીગરી કરી છે કે ટેસ્ટિંગ વધારવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા સ્થિર રહે છે. આ  ન સમજાય તેવી બાબત છે. ૯મી ઓગસ્ટે ૩૦,૯૮૫ના ટેસ્ટિંગ સામે કેસોની સંખ્યા ૧,૦૭૮ હતી. ૧૦મી ઓગસ્ટે ૨૯,૬૦૪ના ટેસ્ટિંગ સામે સંક્રમિતો ૧,૦૫૬, ૧૧મી ઓગસ્ટે ટેસ્ટિંગ ૪૧,૬૪૭ અને કેસો ૧,૧૧૮, ૧૪મી ઓગસ્ટે ૫૧,૨૨૫ જેટલા ઊંચા દરના ટેસ્ટિંગ સામે કેસો ૧,૦૮૭ જ છે. ગુજરાત સરકારનું ટેસ્ટિંગ મુદ્દે વલણ ઉદાસીન, ગુનાહિત બેદરકારી કે નકારાત્મક માનસિકતાનું જ નહીં ભારોભાર લોકવિરોધી છે. જો કે ટેસ્ટિંગના ટેસ્ટમાં ફેલ ગુજરાતના હાકેમોને તેનો લગીરે રંજ નથી.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ [સંવર્ધિત] આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 04-07

Loading

આત્મનેપદી : આત્મજ સાહિત્યદર્શનનો નાનો શો દસ્તાવેજ

સુમન શાહ|Opinion - Literature|18 August 2020

= = = = આપણા સાહિત્યમાં થતા રહેતા રીવ્યૂઝની એક રસમ ઊડીને આંખે વળગે એવી છે – તે એ કે ઉમદા સાહિત્યમૂલ્ય ધરાવતાં પુસ્તકોનાં રીવ્યૂ કદી કરવા જ નહીં ! અને ઈન્ટરવ્યૂઝ તો કોના કરવા ને કોણ કરે ને શા માટે કરે? એકબીજાની સામે આવવાનું કે સામે પડવાનું જોમ ખતમ થઈ ગયું છે = = = =

'આત્મનેપદી' સુરેશ જોષીએ અન્યોને આપેલી મુલાકાતોનું પુસ્તક છે. એમાં ૭ મુલાકાતો છે. ૧૯૮૭માં મેં એનું સમ્પાદન કર્યું છે. ૧૯૮૬માં, એમનું અવસાન થયું અને આ સમ્પાદન જોવા તેઓ ન રહ્યા એનું મને આજે પણ દુ:ખ છે. દરેક મુલાકાતને શીર્ષક મેં આપેલાં છે. નૉંધવી ગમે એવી હકીકત એ છે કે મને 'આત્મનેપદી' શીર્ષક એમણે પોતે જ સૂચવેલું.

'આત્મનેપદી' સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત વ્યાકરણમાં 'પરસ્મૈપદ' અને 'આત્મનેપદ'-ની જોગવાઈ છે. એ પરથી એવા બે પ્રકારનાં ક્રિયાપદો બને છે. આપણે એમાં ન જઈએ, પણ નૉંધ લઈએ કે 'પરને વિશેનું પદ' તે પરસ્મૈપદ – વર્ડ ફૉર અનધર; અને 'આત્મને વિશેનું – પોતાને વિશેનું – પદ' તે આત્મનેપદ – વર્ડ ફૉર ધ સેલ્ફ. આ પુસ્તકમાં સુરેશભાઈ આત્મની ભૂમિકાએથી પોતા વિશે તેમ જ આપણા સાહિત્ય વિશે વાતો કરે છે. પૂરી પ્રામાણિકતાથી અને સાવધતાથી કરે છે.

પરિણામે, હું આ પુસ્તકને એક સમ્પ્રજ્ઞ સાહિત્યપુરુષના આત્મજ સાહિત્યદર્શનનો નાનો શો પણ બહુમૂલ્ય દસ્તાવેજ ગણું છું.

મેં સમ્પાદકીયમાં લખ્યું છે :

'કારકિર્દીના ઊગમથી આજ દિન સુધી સુરેશ જોષી આપણે ત્યાં વિવાદાસ્પદ રહ્યા છે. કેટલાક પ્રશ્નો એ વિવાદોની પેદાશ છે, તો કેટલાક ઉત્તરો નવા વિવાદો જગવનારા છે' :

આ વાતને આજે ૨૦૨૦ સાથે મૂકીને જોઈએ તો સાવ અવળું જોવા મળે છે. આજે વિવાદ તો કશો છે જ નહીં, વિ સંવાદ પણ નથી. જાણે ગુજરાતી સાહિત્યનું વિચારતન્ત્ર ખોટકાઈ ગયું છે. જાણે વિચારકો સુખનિદ્રામાં પોઢી ગયા છે. જાણે મોવડીઓ ઇતિ સિદ્ધમ્ કહીને ચૂપ થઈ ગયા છે. હું સારો ને સરસ છું, તું સારો ને સરસ છું, આપણે સૌ સારા ને સરસ છીએ – પ્રકારના બનાવટી સંતોષમાં આપણે બધા મ્હાલીએ છીએ. આ ન નભાવી લેવાય એવી આત્મરતિ છે.

સાહિત્યવિષયક આપણા પ્રશ્નો આજે ઘટ્યા નથી, વધ્યા છે, વધી રહ્યા છે, વધવાના છે. એમના સમયના પરિદૃશ્યની સરખી સમીક્ષા કરીને સુરેશભાઈએ દિશાસૂચક ઉત્તર વાળ્યા છે. એવું કામ કરનારો આપણી વચ્ચે આજે કયો સાહિત્યકાર? સામુદાયિક જાડ્ય એવું ઠર્યું છે કે કોઈને વિવાદાસ્પદ કશું લાગતું જ નથી. કોઈને કશો મમત, દાઝ કે બળાપો છે જ નહીં. ચોતરફ ભૅંકાર સુસ્તી સમસમે છે.

એવા દુ:ખદ વર્તમાનમાં 'આત્મનેપદી'-ના પુન:સ્મરણને હું જરૂરી સમજું છું અને તેના પુનર્વાચનને ઘણું ઉપકારક લેખું છે.

સાહિત્યકલાના ઉત્કર્ષ પરત્વે વિવાદાસ્પદ હોવું તે બહુ મોટું મૂલ્ય છે. કેમ કે સાચો સાહિત્યકાર કે કલાકાર સંસ્કૃતિ અને સભ્યતાને હંમેશાં પ્રશ્નો કરે છે. પોતાના ક્ષેત્રમાં પ્રગટેલા નકામા આવિષ્કારો અને આચરણો વિરુદ્ધ ચર્ચાઓ જગવે છે. નિષેધ, ઊહાપોહ અને વિવાદો સુરેશભાઈની તો સમગ્ર કારકિર્દીનો વિશેષ હતો. તેઓ એક કલાકારની હેસિયતે 'ના' પાડનારા – નેસેયર – હતા. ખુદના જીવનકાર્ય વડે એમણે સમજ આપી કે આપણા સમયમાં નિષેધ પોતે જ કેટલું મોટું મૂલ્ય છે. પણ તેઓ નકારવાદી કે સિનિક ન્હૉતા. આ મુલાકાતોમાં એમણે અનેક દુષ્ટ પરિબળોને કારણે દબાઈ ગયેલી સાહિત્યપરક કેટલીયે આશાઓ અને સૂઝબૂઝોને અનાવૃત્ત કરી બતાવી છે. ૧૯૮૪માં સાહિત્ય અકાદમી દિલ્હીના ઍવૉર્ડનો અસ્વીકાર જાહેર કર્યો એ એમની કારકિર્દીની અત્યન્ત વિદ્રોહશીલ ઘટના હતી. એમણે કહેલું 'સાહિત્ય અકાદમીનું વિ સર્જન કરી નાખવું જોઈએ.' એ અંગે એમણે આપેલાં કારણો ખૂબ વાજબી હતાં. એઓ અમને કહેતા કે ધ્યાન રાખો, વિદ્રોહ કરનારની જવાબદારી અનેકગણી હોય છે. સુરેશભાઈએ કરેલા તમામ વિદ્રોહો જવાબદારીના ભાનથી થયેલા છે, એટલું જ નહીં, સાહિત્ય-અધ્યયન તેમ જ સાહિત્યકલાનાં વિવિધ રસાનુભવોની સાત્ત્વિક ભૂમિકાએથી થયેલાં છે. એમાં સાહિત્યશબ્દનાં બહુવિધ સત ઝલમલે છે.

આ પુસ્તક લઈને બેસનારા વાચકને સુરેશભાઈનો એ જ સાચકલો અવાજ ફરીથી સાંભળવા મળશે. પહેલી વાર વાંચનારને એ અવાજનો ભાસ થશે. એમાં રજૂ થયેલાં એમનાં મન્તવ્યો, મન્તવ્યો જ છે, તેમ છતાં, સાહિત્યકલાની ઊંડી નિસબતથી જન્મેલી, એ એવી સમજદારી છે જેની હંમેશાં ખેવના કરવી જોઈએ. એમના સમગ્ર વિશ્વને સમજવા માગે એ વ્યક્તિ માટે પણ આ દસ્તાવેજને હું અનિવાર્ય ગણું છું. સાહિત્યના તત્ત્વાન્વેષી અધ્યેતાને પણ એમાંથી સમુપકારક વિચારદ્રવ્ય મળી શકે એમ છે.

'આત્મનેપદી' પ્રકાશિત દસ્તાવેજ છે પણ ઉમેરું કે ઘણો કીમતી દસ્તાવેજ છે. એમાં આપણને સુરેશભાઈએ પોતાને અંગે બીજાઓને થયેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. એમની સામે થયેલી અને ઘડીભર ખરી લાગેલી ફરિયાદોનાં નિરાકરણ અને નિવારણ કર્યાં છે. એક વાત ખાસ નૉંધવી જોઈએ કે આ સૌ મુલાકાતકારોએ સુરેશભાઈ પ્રત્યેની શ્રદ્ધાથી અને સાહિત્યપ્રીતિથી એમને પ્રશ્નો કર્યા છે. હા, સુરેશભાઈ કશા ગુનેગાર હોય એમ કોઈ મુલાકાતકાર એમની જડતી લેતા લાગે છે. તો કોઈ વળી એમની વિચારધારાની સામે પડવાની કોશિશ કરતા લાગે છે.

અહીં એક વીગત એ ઊપસે છે કે વગદારોનાં જૂથ, વહાલાદવલાં ને નાના-મોટાના વ્હૅરાઆંતરાથી જન્મેલા સાહિત્યિક રાજકારણે આપણી પ્રગતિને રૂંધી છે. આ સ્થિતિને વિશેનો સુરેશભાઇનો આક્રોશ આ મુલાકાતોમાં અવારનવાર જોવા મળશે. જુઓ, સાહિત્યિક સિદ્ધિ કે સફળતા કે પ્રશંસા કે ઇનામ-ઍવૉર્ડ જેવી અનેક સંલગ્ન માનસિકતાઓ પર સુરેશભાઈએ આ મુલાકાતોમાં ભારે પ્રહારો કર્યા છે. એ પ્રહારોથી ઘણી જાગૃતિ આવેલી. સમજાઈ ગયેલું કે ગુજરાતી લિટરરી કલ્ચર કેટલું તો પછાત છે, રુગ્ણ છે. એવા પ્રહારોની આજે પણ એટલી જ જરૂરત વરતાય છે. ખાસ તો એટલા માટે એ કલ્ચર અને કલ્ચરની વાતો કરનારા પોતે જ પોકળ ભાસી રહ્યા છે. નવોદિતોને અહીં ઊહાપોહને માટેની ઘણી પ્રેરણાઓ અને શીખ મળી શકે એમ છે, નીવડેલાઓને આત્મપરીક્ષણની તકો મળી શકે એમ છે. એવાં એવાં કારણોથી પણ આ પુસ્તક આકર્ષક અને રસપ્રદ બન્યું છે. જેમ વાચક એમનું 'જનાન્તિકે' ન વાંચે તે ન ચાલે એમ 'આત્મનેપદી' ન વાંચે તે પણ ન ચાલે.

મુદ્દો તો એ છે કે કોઈ લેખક પોતાની માતૃભાષાના સાહિત્યકારો સમક્ષ આ રીતે પોતાની સૃષ્ટિ વિશે પોતાનાં અન્તર-મનને ખોલે અને આન્તરપ્રકાશ પાથરે તેનું ચૉક્કસ મહત્ત્વ છે. અનેક મુલાકાતોમાં એમના આન્તરપ્રકાશને પામી શકાય છે. કરવાનું એ રહે છે કે એમની સચ્ચાઈને પ્રમાણીએ, એમણે કરેલી સ્પષ્ટતાઓની અને એકરારોની નૉંધ લઈએ અને ખાસ તો એ કે એમની વાતો કેવાંક સાહિત્યમૂલ્યો ચીંધે છે તેની કાળજીપૂર્વક નૉંધ લઈએ. સુજ્ઞોએ જોયું છે કે એ મૂલ્યો ઉચ્ચોચ્ચ છે, સર્વકાલીન છે, સાર્વત્રિક છે, અને સર્વથા ધ્યાનાર્હ છે.

વિશ્વ સાહિત્યની, સવિશેષે પશ્ચિમના સાહિત્યની, એક વિશેષતા એ છે કે ત્યાં બે પ્રવૃત્તિ નિરન્તર ચાલતી હોય છે : રીવ્યૂઝ અને ઇન્ટરવ્યૂઝ. રીવ્યૂ કરનારો એ લેખકની સૃષ્ટિ વિશે સાફ સાફ કહે અને ઇન્ટરવ્યૂ આપનારો પોતાની સૃષ્ટિ વિશે સાફ સાફ કહે. સામયિકોમાં, રેડીઓ અને ટી.વી. પર તેમ જ હવે ઇન્ટરનેટના માધ્યમથી યુટ્યુબ વગેરે ચૅનલ્સ પર ઇન્ટરવ્યૂ એક કાયમી ફીચર રૂપે સ્થિર થઈ ગયું છે.

આપણા સાહિત્યમાં થતા રહેતા રીવ્યૂઝની એક રસમ ઊડીને આંખે વળગે એવી છે – તે એ કે ઉમદા સાહિત્યમૂલ્ય ધરાવતાં પુસ્તકોનાં રીવ્યૂ કદી કરવા જ નહીં ! અને ઈન્ટરવ્યૂઝ તો કોના કરવા ને કોણ કરે ને શા માટે કરે? એકબીજાની સામે આવવાનું કે સામે પડવાનું જોમ ખતમ થઈ ગયું છે.

પણ વિદેશમાં થતા રહેતા એ ઇન્ટરવ્યૂઝમાં મેં જોયું છે કે એમાંના કેટલાક તો બચાવનામું લાગે એવા નિ:સામાન્ય હોય છે. એમાં વ્યક્તિ પોતાની સિદ્ધિઓને આગળ કરતી હોય છે અને મર્યાદાઓને છાવરતી હોય છે. પણ હું સ્પષ્ટપણે કહી શકું છું કે 'આત્મનેપદી'-માં સુરેશભાઈએ પોતાની સિદ્ધિઓ વિશે ઘણી નમ્રતા દાખવી છે, એટલું જ નહીં, ઊલટું, સાહિત્યિક સિદ્ધિ નામની સમજ સામે એમણે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. હું એમ કહું કે સિદ્ધિમાં તેઓ માનતા જ નથી.

બધી મુલાકાતોમાંથી પસાર થનારને લાગશે કે સુરેશભાઈ તત્સમવૃત્તિને વરેલા નથી, સ્થિતસ્ય સમર્થનમ્ કરનારા નથી. આપણાથી તેઓ જુદું જ વિચારે છે. જેમ કે, સર્જનમાં તેઓ સંતોષમાં નથી માનતા. કહ્યું છે – મારી કૃતિઓથી મને સંતોષ નથી … કેમ કે મને સંતોષ થાય એવી રચના હું હજી કરી શક્યો નથી. સંખ્યાબંધ (૭૦-૮૦) ટૂંકીવાર્તાઓ લખી છે છતાં માત્ર ૧૮-ને જ પ્રકાશનયોગ્ય ગણી છે. જેમ કે, લખાવટ આવડી જાય, લઢણ બેસી જાય, એ જાતની હથોટીથી સાવધ થવા કહે છે. જેમ કે, વાચકને મુશ્કેલ પડશે, એની સાથેના સમ્બન્ધો બગડી જશે એ બીકે એની દયા ખાવામાં નથી માનતા. એ નિમિત્તે કલાકૃતિની ઊણપને નભાવી લેનારા માનવતાવાદમાં નથી માનતા.

સર્જનપ્રક્રિયાને તેઓ સાદીસરળ નહીં પણ પરમ ગુહ્ય વસ્તુ ગણે છે. પણ તેમાં રોમાન્ટિક બનીને આત્મરતિમાં સરી પડવાનો ભય પણ જુએ છે. લીલામાં માને છે, પણ સાધનાને જરૂરી લેખે છે. જણાવે છે કે પ્રકૃતિ ફૂલ જેવા પરિણામને જ બહાર પ્રગટ કરે છે, નહીં કે એ પાછળની પ્રક્રિયાને. આપણને એમણી સમગ્ર સૃષ્ટિ પરથી અંદાજ આવે છે કે સાહિત્યને તેઓ પ્રોડક્ટ નથી ગણતા પણ એને સદા ચાલનારો એક પ્રોસેસ કહે છે. એમનો સર્જકજીવ હંમેશાં પ્રક્રિયામાં પરોવાયેલો રહ્યો છે. અને તેથી આપણે જોઈ શકીએ છીએ કે એમનામાં પ્રયોગને વિશેનું સાહસ છે, ખાંખત છે, અને સફળતાને વિશે તેઓ ઉદાસીન છે. લખાવટ લઢણ કે હથોટી વિશે સાવધ રહેવા કહે છે. પૂર્ણતામાં પણ નથી માનતા. સર્જનને સમ્પન્ન કરવા વિશે આપણને હોય એવી એમને ઉતાવળ નથી હોતી પણ એમનામાં અપાર ધૈર્ય છે, તિતિક્ષા છે. એટલે તેઓ નિરાંતજીવ થવામાં કે ઠરીઠામ થવામાં પણ નથી માનતા. એક મુલાકાતમાં કહ્યું છે કે : આપણને એવું લાગવા માંડે કે ચાલો, આમાં હવે ઠરીઠામ થયા, આ મને ફાવી ગયું, તો એની સામે મને વાંધો છે : એને તેઓ સાર્ત્રના શબ્દોમાં 'ઍબ્સ્યોલ્યુટ ફેઇલ્યૉર ઑફ સક્સેસ' કહે છે.

મર્યાદાઓ વિશે ખૂલીને વાત કરી છે. કેમ કે આત્મપરીક્ષણ કરીને મર્યાદાઓ જોવી એ એમની કાયમની રસમ રહી છે. પોતાનાં લેખનોને રદબાતલ કરવાની એમની તૈયારી વિરલ છે. જાણીતું છે કે પહેલા કાવ્યસંગ્રહ 'ઉપજાતિ'-ને એમણે જાતે રદ્દ જાહેર કરેલો અને 'છિન્નપત્ર'-ને મુસદ્દો કહેલો. એક મુલાકાતમાં કહે છે : 'વાતાયન'ના અન્તમાં સંયમ રાખ્યો હોત તો વધારે સારું થાત : અન્યત્ર કહે છે : કવિતા મને બહુ ફાવી છે એમ હું નહીં કહું : એક સ્થાને એનો સરસ ખુલાસો મળે છે. એમણે જણાવ્યું છે કે નાનપણથી પોતાને વાચનનો જબરો શોખ હતો. કૉલેજકાળમાં બંગાળી શીખેલા. ટાગોર વાંચેલા. સંસ્કૃત જાણતા હતા એટલે વેદોપનિષદોનો પરિચય મેળવેલો. કરાંચીમાં અધ્યાપક થયા એ અરસામાં કૉન્ટિનેન્ટલ લિટરેચર વાંચેલું. પણ એ સઘળી અધ્યયન-સમ્પદાને પરિણામે લેખન અને સર્જનને વિશેનાં એમનાં ધોરણો ઊંચાંથી ઊંચાં થવા લાગેલાં. કહે છે : આ બધાએ મારામાં અમુક ધોરણો જન્માવ્યાં જે વડે મારાં કાવ્યો માપતાં મને સમજાયું કે તેમાં ક્યાં ય રચનાગત સિદ્ધાન્ત યા શિસ્ત ન્હૉતાં, માત્ર લાગણીવેડા હતા અને આવેગો જ હતા, તેથી મેં એનો નાશ કર્યો.

આ પુસ્તકમાં કેટલાં ય સ્થાને આપણને મૂલ્યવાન નવ્ય વિચારો જોવા મળે છે. એમણે સાહિત્યકારની પ્રતિબદ્ધતા વિશે કે પ્રકાશનમાં રાખવા જોઈતા વિવેક જેવા અનેક વાનાં વિશે માર્ગદર્શક વિચારો રજૂ કર્યા છે. બે એકનો ખાસ નિર્દેશ કરું : સર્જન અને વિવેચન ભિન્ન છે એ ખયાલ આપણે ત્યાં વર્ષોથી જામી પડેલો છે – આ સર્જક છે ! આ તો વિવેચક છે ! સર્જક મોટો ગણાય ! વિવેચક વિવેચક જ રહે, સર્જક ન થઈ શકે ! વગેરે. સુરેશભાઇએ બન્ને પ્રવૃત્તિઓને અભિન્ન ગણી છે. હું એ વિવરણમાં નથી જતો. સાહિત્યના ઇતિહાસ વિશે જુદું જ કહ્યું છે. વૈયક્તિક સર્જકતા પોતાના આવિષ્કાર માટે સાહિત્યસ્વરૂપ સાથે મથે છે એ મુકાબલાને ઇતિહાસકારે ધ્યાનમાં લેવો જોઇએ. તો એને એ સાહિત્યસ્વરૂપના વિકાસનો ખયાલ આવે. દાખલા તરીકે, મારી સર્જકતા ટૂંકીવાર્તા સાથે પાનું પાડે છે ત્યારે ટૂંકીવાર્તાના સાહિત્યસ્વરૂપના વિકાસની શક્યતા ઊભી થાય છે. એમનું મન્તવ્ય છે કે ઇતિહાસકારે રેડિમેડ જજમૅન્ટથી ન ચાલવું જોઈએ, ઇતિહાસકારે પોતે જજ બનવું પડે. તો, એ પ્રકારે ઇતિહાસકારનો ધર્મ પણ બની આવે.

આને બચાવનામું નહીં કહી શકાય, આ તો છે એમના સ્વત્વનો ઉઘાડ, એમના આત્મત્વનો વિલાસ. એક મુલાકાતનું શીર્ષક છે, 'વૉઇસ ઑફ સુરેશ જોષી'. એ વૉઇસ ગુજરાતી સાહિત્યવિશ્વમાં રૅઅર છે, સ્પેશ્યલ છે. આપણને સમજાય છે કે સુરેશભાઈ રેલોલ-ના માણસ નથી. એમની વાણીમાં આપણને એક સાચકલા સારસ્વતનાં દર્શન થાય છે. સુરેશભાઈ અહંમન્ય નથી પણ પોતાને વિશે મગરૂર જરૂર છે. સર્જનને સાહસ ગણે છે અને તેને વિશેની એમનામાં યુયુત્સા છે અને નિષ્ઠા તો ઘણી છે. એક મુલાકાતમાં કહ્યું કે : મેં હજી હથિયાર હેઠાં નથી મૂક્યાં : ગુસ્સો નથી દાખવતા એમ નથી પણ પોતાના તિક્ત અને ધારદાર શબ્દને વ્યંગભરી રમૂજમાં રૂપાન્તરિત કરી જાણે છે. નિત્યજાગ્રત છે, સ્થિતપ્રજ્ઞ લાગે – કેમ કે પોતાની કોઈ વાતે ખુશ નથી થઈ જતા કે દુભાઈ નથી જતા.

આજે તો આપણે ત્યાં, કોઈએ નાનકડું ગતકડું કાઢ્યું હોય તે ય કવિ છું કહેતો છાતી ફુલાવીને ઘૂમે છે. અછાન્દસને નામે નિબન્ધ-જેવું ચીતરી પાડ્યું હોય તેને પણ આપણે આપણો કેટલો મોટો અછાન્દસકાર છે કહીને પોરસાવ્યા કરીએ છીએ. સુરેશભાઈની જાગૃતિની જેટલી સ્પૃહા કરીએ એટલી ઓછી.

આ મુલાકાતોમાંથી મારે માટે એમની જે છબિ ઊપસી છે, તે કંઈક આવી છે : એક સાહિત્યજ્ઞ તરીકે સુરેશભાઈ સ્પષ્ટભાષી, નિશ્ચલ પણ નિખાલસ વ્યક્તિ છે. એમના ઉદ્ગારો જુઓ : મારી સમજ પૂરેપૂરી વિકસેલી હોવાનો મારો દાવો નથી : મારે મન એનું મહત્ત્વ નથી : એવું હું નથી માનતો : હું બધી શક્યતાઓનાં દ્વાર ખુલ્લાં રાખીને ચાલતો હોઉં છું : મને એ વાતોનો ઉત્સાહ નથી : ઘણું થઈ શકે પણ એમાં મને રસ નથી : હું કોઈ મધુદર્શી સમન્વયકાર નથી : એની સામે મારો વાંધો છે : મેં કોઈ ચૉકો જમાવ્યો નથી : વગેરે.

સાથોસાથ, સુરેશભાઈ કોઈ વેદાભ્યાસજડ પણ્ડિત નથી પરન્તુ ઋજુહૃદયી ઉમદા મનુષ્ય છે. પાંદડું હાલે ને આ માણસ નિસ્સમયમાં ચાલી ગયો હોય. નિબિડ નિસ્તબ્ધતા છવાઈ ગઈ હોય ને પોતે નિશ્ચિહ્ન થઈ ગયા હોય, સુદૂરમાં ચાલી ગયા હોય, પાછા ફરે ત્યારે પોતે જ પોતાને ઓળખી શકે નહીં. એમણે જાત અને જીવન જોડેનું એવું પરાયાપણું અનુભવ્યું છે. મને એક વાર કહેલું કે – રોજ મારી જાતને હું લખી લખીને પામું છું. મારા સંદર્ભને ઓળખી શકું છું, મારી મર્યાદાઓને સતત જાણતો રહું છું. એક મુલાકાતમાં કહ્યું છે કે સતત એક સૂર, મારે જો પ્રગટ કરવાનો હોય, તો એ આ વિષાદનો કે વેદનાનો સૂર છે. અન્યત્ર કહ્યું કે : જીવન વિશે હું કશું પામી ગયો નથી : એક બીજી મુલાકાતમાં કહ્યું કે : પોતાને હંમેશાં યાદ આવે છે, એક જાતનું હિઝરાયા કરવાનું, સોરાયા કરવાનું, ઝૂરવાનું : તેમ છતાં એમની ઝંખના તો સેતુ અને સાયુજ્યની જ હતી. અહમ્ ઑગળી જાય ને વ્યાપી જવાય એ એમની મૂળ મનીષા હતી.

પુસ્તકમાંથી આ વખતે હું પસાર થયો ને કંઈક જુદું બન્યું. મને ગોવર્ધનરામે લખેલું 'સાક્ષરજીવન' યાદ આવી ગયું. એમાં એમણે સાક્ષરજીવનના આદર્શો અને સાક્ષરના ધર્મકર્મ વિશે વિસ્તારથી ગ્રન્થ ભરીને વાત કરી છે. પણ ગોવર્ધનરામની એ સમગ્ર વાત સર્વસામાન્ય છે, શાસ્ત્રતરફી છે. એટલે, કદાચ એને પરસ્મૈપદી કહેવાની લાલચ થઈ આવે છે. જ્યારે, સુરેશભાઈની વાત વૈયક્તિક છે, અનુભવતરફી છે, પૂરેપૂરી આત્મનેપદી છે. એમાંથી ઊપસતા તમામ વિચારોને સરસ રીતે ગૂંથી શકાય તો સુરેશ જોષીએ કલ્પેલા સાહિત્યકારનું જીવન શું હોવું જોઈએ એની લગીર ઝાંખી થાય. એમના દૃષ્ટાન્તે આપણને સાહિત્યદર્શનની એક નાનકડી નિરૂપણા મળી શકે. અસ્તુ.

(August 16-17-18, 2020: Ahmedabad)

Loading

તારા વરઘોડામાં

વિનોદ ગાંધી|Opinion - Opinion|18 August 2020

એવું તે કંઈ હોય?
તારા રાતના વરઘોડામાં 
પેટ્રોમેક્ષ તો અમારે જ પકડીને ચાલવાનું હોય ને!
જો કે તારું મુખારવિંદ
એટલું તો તેજસ્વી છે કે
એના તેજથી જ વરઘોડો ઝળાંહળાં ‌થઈ જાય એમ છે!
અને તારાં વરઘોડિયાં ય પાછાં ચાંદના ટુકડા !
તારા ફેંટામાં ‌ગુલોપડી ના લગાવી હોત તો ચાલત !
અમે જાણીએ છીએ કે તારા શૂટબૂટ, ટાઈબાઈ તું
ભાડે લાવ્યો નહીં હોય,
અને કદાચ તું લેવા ગયો હોત તોયે તને તો
મફતમાં મળી ગયાં હોત, બજારમાં તારી શાખ જ
બહુ મોટી છે !
પણ, મારા સાહેબ,
અમારું ‌મહેનતાણું ચૂકવવામાં કંજૂસાઈ ના કરતો !
પેટ્રોમેક્ષની ઝાળે
અમારી ઝૂંપડીમાં ચૂલા નથી સળગતા અને
ભેંકડા તાણતાં અમારાં છોકરાઉં
પતરાવળની એંઠ ચાટવાનું ભૂલી ગયાં છે!
બક્ષિસ તો અમારે ના જોઈએ,
દસની નોટથી
હથેળીમાં ‌પડેલા છાલા મટે એવો મલમ પણ
નથી મળતો !
અમારે તો પેટ્રોમેક્ષ ઊંચકી ઊંચકીને
ચાલતાં ચાલતાં તારો વૈભવ જોવો છે.
તારા મોઢા પર બાજેલાં ચાંદીની ઘુઘરીઓ જેવાં
પરસેવાનાં બુંદોને પ્લેટિનમના લચીલા રૂમાલથી
લૂછતી તારી વહાલકૂડી બહેનને ઘણી ખમ્મા !
તારા વરઘોડામાં અમે ગધેડામજૂરી કરીએ એ જ ઠીક  !
વૈભવી ‌પાર્ટીપ્લોટમાં તારા ભોજન સમારંભમાં
વહેંચાનારી વાનગીઓની યાદી વાળી
નાની ચોપડીમાં છાપેલી રંગીન વાનગીઓની
છબિઓ જોઈને જ અમારાં પેટ ભરાઈ ગયાં છે,
અમે ધરાઈ ગયા છીએ.

૮૩, સુવિધા નગર, ભુરાવાવ, ગોધરા,પંચમહાલ ૩૮૯ ૦૦૧

Loading

...102030...2,2172,2182,2192,220...2,2302,2402,250...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved