Opinion Magazine
Number of visits: 9680726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.નો “ભાષાસંસ્કાર વૈભવ”

સતીન દેસાઈ − ‘પરવેઝ’; ‘દીપ્તિ “ગુરુ|Diaspora - Features|15 September 2020

જે દેશની આબોહવામાં ભાષાલક્ષી આવો મંત્ર ગુંજતો હોય "ગુજરાતી સાંભળીએ, ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ ને ગુજરાતી જીવીએ." અર્થાત્‌ જેની સર્વ પ્રજ્ઞાઓથી માંડી, શ્વાસ-પ્રાણ ગુજરાતી ભાષા પ્રદાન કરતી સરસ્વતીને સમર્પિત હોય, એવા યુનાઇટેડ કિંગ્ડમના જાગૃત  ભાષાસંવર્ધકોને વંદન કરતા પૂર્વે, ગઝલ ગુરુવર રાજેન્દ્ર શુક્લના શિષ્ય હોવાના નાતે, હું સ-વંદન એમનો ભાષાલક્ષી મત્લાનો આ એક શેર ટાંકી, આ આલેખનને શણગારીશ.

"તતત તોતડાતાં ભરે ડગ આ ભાષા,
અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે?
ગઝલ તો હજી આવવાની હવે છે,
હજી પૂરું, વાતાવરણ ક્યાં રચ્યું છે!”

                                         − રાજેન્દ્ર શુકલ

[ગુરુવરની ‘ગઝલસંહિતા’નું ‘સભર સુરાહી’ પુસ્તક; પૃ.105]

મંડળની ગઝલનો આ પ્રશ્નાર્થ એના યથાર્થ સાથે ખરેખર જ ગુજરાતમાં આજના ગુજરાતી ભાષાસાહિત્યનાં વાતાવરણને લાગુ પડે છે, કે જ્યાં ઝવેરચંદ મેઘાણી, રાજેન્દ્ર શાહ, બ.ક. ઠાકોરથી માંડી ઉમાશંકર જોષી જેવા અણિશુદ્ધ ભાષા આરાધકોના અભાવે આજે રાજેન્દ્રભાઈના ઉપરોક્ત કથનની વેદનાઓને પડઘાતી કરી દીધી છે. ત્યારે યુનાઇટેડ કિંગ્ડમનાં એ પરભાષીય વાતાવરણમાં ય  નિજ ભાષાકીય નાભિનાદ ગુંજને પ્રત્યેક ગુજરાતીમાં મંત્રસ્થ કરવાને પ્રતિજ્ઞારત એવા સમાધિસાધકો છેલ્લા પાંચ દાયકાઓથી અવિરત અથાક યજ્ઞ કરી રહ્યા છે. જેનો સારગર્ભ એમના જ સેવી પંચમ શુક્લના આ શેરમંત્રમાં આપણે પામી શકીશું.

"મિલન પળ અધૂરી કદી આવજો ના.
કશી બેસબૂરી કદી આવજો ના."

                                      − પંચમ શુક્લ

સાક્ષાત્‌ બ્રહ્મ-દર્શનની ઘડીઓને આનંદ ઉલ્લાસે ઉઘાડતો આ પંચમભાઈનો શેર જ એ અકાદમીના પૂર્ણ ધ્યેય-٘મિલન અને એની કબીરી સબૂરીની પ્રતીતિ કરાવે છે.

સગર્વ પંચમભાઈને એ સંકલ્પનો અધિકાર પણ છે જ, કે તેઓ છેલ્લાં પાંચ વરસથી અકાદમીના મૂર્ધન્ય સ્થાપક, સંવાહક અને માર્ગદર્શક એવા ગાંધીવાદી વિચારશૈલી ધરાવતા મૂલ્યનિષ્ઠ, નિર્ભીક પત્રકાર, કટાર તથા નિબંધ લેખક વિપુલ કલ્યાણીના શિષ્યપદે અકાદમીના દેશ વિદેશના પ્રચાર-પ્રસાર કાજે વેબસાઈટ અને ડિજીટલ માધ્યમનો સ-કુનેહ ઉપયોગ કરે છે. કારણ કે એ સ્વયં ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગમાં ડોક્ટરેટ હોઈ, ત્યાં એન્જિનિયરીંગ અધ્યાપક તરીકે મેટ્રોપોલિટન યુનિવર્સિટી સંલગ્ન સેવાકર્મ સાધે છે.

જ્યારે આપણું ગુજરાત આ ભાષા સમૃદ્ધિ જાળવવા અનેકાનેક સરકારી બિન સરકારી માધ્યમોથી ભેખ ધરી રહ્યું છે, ત્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં માતૃભાષાના એ પ્રથમ ઉદ્દગારની જ અમૃત વાણીલીલાના પર્વ પળેપળ ઉજવવાની અમીટ તરસ સીંચનાર કેટલાક જાગ્રત વીરોએ મુશાયરા પ્રવૃત્તિઓ દ્વારા વિલાયતના લેન્કેશર પરગણામાં ઓઞણીસો પંચોતેરના ગાળામાં ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’ની સ્થાપના કરી, પ્રવૃત્તિઓને યુરોપ સુધી વેગ આપ્યો. પછી લંડન ખાતે ‘ગુજરાતી સાહિત્ય સંઘ’નું નિર્માણ થયું. જે સમય જતાં ‘ગુજરાતી સાહિત્ય મંડળ’માં રૂપાંતરિત થયું. આ ચૈતન્ય પૂર્વે ઓગણીસસો ચોસેઠમાં ત્રણ ગુજરાતી શાળાઓએ અસંખ્ય શિક્ષકો તૈયાર કર્યા.

માતૃભાષા લેખનીની અનન્ય પિપાસાએ અનેક જાગ્રત લહિયાને લંડનના સામાયિક ‘ગુજરાત સમાચાર’, ‘ગરવી ગુજરાત’ અને 'નવ બ્રિટન’ વગેરેમાં દીપાવી ઝળહળતાં કર્યાં. પણ એમનાં ચૈતન્યને ભાષાના મોરપીંછ શણગાર ને મેઘધનુના સપ્તરંગી ઝબકારમાં સજાવવા કાજે કવિસંમેલનના પ્રણેતાઓએ ઓગણીસો સત્યોતેરમાં સૂર્યકાંત દવેના નિવાસ સ્થાને, કવિ ડાહ્યાભાઈ પટેલ, વિપુલ કલ્યાણી સહિત અનેક ભાષાભક્તોના કપાળે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપનાનું ચંદન તીલક કર્યુ. જે હજી આજે સાડા ચાર દાયકાના ગાળામાં યે એઓની ભાષા સંસ્કૃતિ સાધનાભક્તિની દીવાનગીના કારણે એવું જ ઝળહળ મહેકે છે.

સંસ્થાકીય ઉપક્રમોને આગળ વધારતા પહેલાં, હું એ ભાષાઋણત્વની એક ઝલક જે મેં અનુભૂત કરી છે, એ વિશે સહેજ ફોડ પાડું કે જ્યારે તમે માતૃભાષા જ શ્વસતા હોય, ત્યારે એ સમાન જીવો વચ્ચે અપિરિચિતતાનો કે અંતરનો કોઇ અવકાશ ક્યાં ય રહેતો જ નથી. ડાહ્યાભાઈ પટેલને સદેહે હું સન્મુખ નથી થઈ શક્યો. પણ એમની કવિતાના આસ્વાદ ગ્રંથમાં મારો આસ્વાદ આલેખિત છે. તો એઓએ રચિત સત્યેશ્વર ગાંધીજી ફાઉન્ડેશનમાં પ્રતાપ પંડ્યા અને મોહનભાઈ બારોટની કૃપાઓથી અનેક વાર મેં મંચ શોભાવી શબ્દ પુષ્પો અર્પણ કર્યા છે. વિપુલભાઈને તો "નિરીક્ષક" સામાયિકમાં તથા અનેક અખબાર પત્રોમાં વાંચી ધન્યતા અનુભવી જ છે. જ્યારે પંચમભાઈ મારા વતન દાહોદના જ ગુરુવર રાજેન્દ્ર શુક્લના ઋષિવંશને શોભાવવા જ મિત્ર દિલીપભાઈ તથા રાજેશ્વરીબહેનનાં કૂળચરિત્રને અધ્યાત્મવાદથી શોભાવવા અવતર્યા હોવાથી જ, એમનું સાન્નિધ્ય અનેક અવસરે એમના આ શેર જેમ જ માણ્યું છે.

"શિખર પર ગોઠવી શૈયા ઉદિતની રાહ જોઉં છું.
ઘટાટોપે છો ઘેરાઉં તડિતની રાહ જોઉં છું. 

પ્રતિ ક્ષણ પુષ્પ જેવી પલ્લવિત આશા નિરાશાઓ,
સતત સમભાવ રાખી સંભવિતની રાહ જોઉં છું.”

                                                         − પંચમ શુક્લ

જનમજાત જ અધ્યાત્મના શિખરે ઉદિતની રાહ જોતાં, હરેક સહ સમભાવ દાખવનાર પંચમભાઈએ એમનું સાહિત્યસર્જન કર્મ તથા સેવાકર્મ સંભવિત શૈલીમાં નહીં, પણ સંકલ્પની શ્રદ્ધેય શૈલીમાં જ સિદ્ધ કર્યું છે. એથી જ એઓ યુનાઇટેડ કિંગ્ડમનિવાસી હોવા છતાં, ‘નવનીત સમર્પણ’, ‘શબ્દ સૃષ્ટિ’, ‘કવિલોક’, ‘કવિતા’ એવા” અગણિત સુપ્રસિદ્ધ ગણનાપાત્ર ગુજરાતી સામાયિકોમાં યુનાઇટેડ કિંગ્ડમની અકાદમીને ઝળહળાવી રહ્યાં છે.

અકાદમીના ભેખધારીઓ રાજકીય લક્ષણા દાખવ્યા વિના, એકત્વના જ એકલક્ષી તારે વણાઈ, વિપુલભાઈના નેજા હેઠળ સાહિત્ય સંસ્કૃતિ તથા કલા ઉન્નતિના જે સંયોજનો કરે છે, એ અકલ્પનીય છે. કવિ સંમેલન, સાહિત્યિક સેમિનાર, લિટરેરી ફેસ્ટીવલ, પુસ્તકમેળા, બહુવિધ વ્યાખ્યાન આયોજન, ચર્ચાઓ, નૃત્ય સંગીત તથા ચિત્રકામને ય પ્રાધાન્ય આપવામાં એ ગૌરવ અનુભવે છે. વિપુલભાઈની વિલક્ષણ ચૈતન્ય દ્રષ્ટિને કારણે, એમણે 1995થી સ્થાપેલ “ઓપિનિયન" મેગેઝીનને કારણે અનેકવિધ દેશોના બુદ્ધિજીવી સર્જકોના સર્જનાત્મક વિચારોની આપ-લે એ ક્રાંતિ જગાવી છે. વાણી વિચારની અવકાશી મોકળાશને જગવનાર આ સર્જકના ઐતિહાસિક કતૃત્વે ગુજરાતી લેક્સિકોનની સામગ્રીના પ્રચાર અને પ્રસારને જે વેગ દીધો છે, એ અતૂલ્ય છે. તો એમની વિચાર પ્રધાન લેખનીઓ પણ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં સુવર્ણ અક્ષરે અંકિત જ છે.

અંતે, આ સાહિત્ય અકાદમીને મારી સલામી દેતા એ જ કહીશ કે પંચમ શુક્લના આ શેરની જેમ મા સરસ્વતીનાં શરણમાં સર્વ સમર્પિત કબૂલાત સાથે નિસ્વાર્થ નિજાનંદી ભાષાઅર્ચન કરતા આ ભક્તોને  ઈશ્વર જોરે કલમ ઔર જ્યિયાદા દે. 

"તમે સનાતન લીલાં ભગવન.
અમે વિનાશી ટીલાં ભગવન.
તમે અગોચર પાવડી,
અમે રગશિયા ચીલા ભગવન."

પંચમભાઈ, આપની આ ઈશ્વરીય વંદના શીશે ચડાવતા એટલું જરૂર કહીશ કે તમે સૌએ ભાલે જે ભાષાભક્તિ-તિલક કર્યાં છે, એ અવિનાશી છે જ અને અવિરત અવિનાશી રહેશે જ. કારણ કે તમે જે સરસ્વતીને સાધો છો, એની પાસે તમારા શેર જેમ જ ક્યાં કૈં  બિન જરૂરી માગો છો?

"અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિન જરૂરી કદી આવજો ના."

એ/3 અભિલાષા ફ્લેટ, પારિજાત સોસાયટી પાસે, ફતેહપુરા, પાલડી અમદાવાદ.  380 007

સૌજન્ય : “તોફાની તાંડવ” દૈનિક, અમદાવાદ : તંત્રી – જિગર ઠકકર; 10 સપ્ટેમ્બર 2020

Loading

યુનિવર્સિટીઓનાં પીએચ.ડી.નાં કારખાનાં બંધ થવાં જોઈએ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 September 2020

વીર નર્મદ યુનિવર્સિટીમાં એવો નિયમ છે કે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ આપવા. એટલે કે વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તેના માર્ક્સ કપાય. આ નિયમ રાજ્યની બીજી યુનિવર્સિટીઓમાં નથી. તેમાં ખોટો જવાબ હોય તો માર્ક્સ કપાતા નથી. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં માર્ક કપાય ને એ જ રાજ્યની બીજી યુનિવર્સિટીમાં ન કપાય એ યોગ્ય છે? એક જ રાજ્યની બધી યુનિવર્સિટીમાં આવી અતંત્રતા વહેલી તકે દૂર થવી જોઈએ. કમસે કમ પીએચ.ડી. લેવલે બધી યુનિવર્સિટીઓમાં એકવાક્યતા હોય એટલી સાદી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ ન કરી શકે? બીજી વિચિત્રતા વીર નર્મદ યુનિવર્સિટીમાં એ પણ છે કે પીએચ.ડી. એન્ટ્રન્સ એકઝામમાં પરીક્ષાનાં પેપર્સ યુનિવર્સિટી પરત લઈ લે છે. બધી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપી દેવાતાં હોય તો વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપી દેવાનો શો વાંધો છે એ સમજાતું નથી. કેટલાક અધ્યાપકોને આ અંગે પૂછતાં એ જાણવા મળ્યું કે આ અંગે વિદ્યાર્થી યુનિયનો અને યુનિવર્સિટી અંગે વાટાઘાટો ચાલે છે ને એનો સુખદ ઉકેલ આવે એમ લાગે છે.

એક તો આ એન્ટ્રન્સ એક્ઝામ પોતે જ એક તૂત છે. ઘણા નવા પ્રવેશ માટે પરીક્ષાઓ કમાણીનું એક સાધન બની રહી છે. આજકાલ તો શિક્ષણ કરતાં પરીક્ષાઓ જ વધુ મહત્ત્વની થઈ પડી છે. જે આવે તે પરીક્ષા જ લીધે રાખે છે. કોરોના ગાળાની વાત કરીએ તો માર્ચ મહિનાથી ભણાવવાનું બંધ છે ને બીજી તરફ પરીક્ષા લેવાનું વધતું જ આવે છે. થોડા વખતથી ઓનલાઈનનું તૂત દાખલ થયું છે ને શિક્ષણ ને પરીક્ષણનું કામ એના પર ચાલે છે. એમાં જેની પાસે મોબાઈલ કે નેટની વ્યવસ્થા નથી તેની ચિંતા હવે શિક્ષણ વિભાગનો વિષય રહ્યો નથી. ગમે તેટલી ટેકનિકો વિકસે તો પણ હાલના સંજોગોમાં ગામડાંઓમાં કે આદિવાસી વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ શક્ય જ નથી ત્યારે સરકારે ઓફ લાઈન શિક્ષણ ચાલુ કરી દેવું જોઈએ. જ્યાં કોરોનાનો ફેલાવો નથી ત્યાં શહેરનાં ઓનલાઈન શિક્ષણ સાથે તાલ મિલાવી શકે એટલે પણ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ શરૂ થાય તે જોવાવું જોઈએ.

રહી વાત પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાની, તો એ એક તૂતથી વધારે નથી. કોઈ વિદ્યાર્થી માસ્ટર્સ ડિગ્રી મેળવી ચૂક્યો હોય ને કોલેજની વિવિધ પરીક્ષાઓ છએક વર્ષ આપી હોય, તેણે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા આપવી પડે એ વાત જ વિચિત્ર છે. એક સમયે વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરતો પછી તેને સંશોધનમાં રસ હોય તો તે પીએચ.ડી. માટે યુનિવર્સિટીમાં જે તે વિષય સાથે રજિસ્ટ્રેશન કરાવતો ને થોડાં વર્ષોમાં તેને ડિગ્રી મળતી કે ક્યારેક નયે મળતી. તે અધ્યાપક હોય તો તેની કીર્તિમાં વધારો થતો ને ડિગ્રી ન મળતી તો પણ તેનું અધ્યાપન તો ચાલુ જ રહેતું. તે પીએચ.ડી. ન થતો તો તે નબળો અધ્યાપક છે એવું ન મનાતું. આજે નેટ, સેટ, એન્ટ્રન્સ એક્ઝામ વગેરે પછી વિદ્યાર્થી પીએચ.ડી. થાય તો તે ઉત્તમ અધ્યાપક જ બને એવું નથી.

આદર્શ વ્યવસ્થા તો એ હોય કે એક જ રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીનો પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચ.ડી. કોઈ પણ યુનિવર્સિટીમાંથી, કોઈ પણ વધારાની પરીક્ષા વગર જ થઈ શકે, પણ કમનસીબે એવું નથી. વડાપ્રધાન કહે છે કે નવી શિક્ષણ નીતિમાં પરીક્ષાનું ભારણ નહીં હોય. એવું હોય તો એ સારી વાત છે, પણ અત્યારે તો પરીક્ષાઓ તમામ વિદ્યાર્થીઓનું લોહી પી રહી છે તે હકીકત છે.

પ્રવેશ પરીક્ષાઓ એમ સૂચવે છે કે યુનિવર્સિટીને પોતે આપેલાં પરિણામોમાં જ ભરોસો નથી. એવું ન હોય તો પ્રવેશ પરીક્ષા લેવાની જરૂર જ કેમ પડે? જ્યાં સુધી પીએચ.ડી.ને લાગે વળગે છે ત્યાં સુધી તે સંશોધનનો મુદ્દો છે. તેને માટે અગાઉ રૂઢ થયેલી પરીક્ષાઓ બહુ ઉપયોગી ન નીવડે એમ બનવાનું. એવું પણ બને કે લેવાતી પરીક્ષાઓ જોડે સંશોધનનો વિષય કોઈ મેળ જ ન ધરાવતો હોય, ત્યાં પેલી પરીક્ષાઓ નિરર્થક વ્યાયામથી વિશેષ શું સિદ્ધ થાય તે વિચારવાનું રહે.

એકાએક પીએચ.ડી.નો રાફડો કેમ ફાટ્યો છે તે પણ વિચારવા જેવું છે. બધાંને સંશોધનમાં રસ પડ્યો છે એટલે પીએચ.ડી. કરવા માંગે છે એવું નથી. અત્યારે પીએચ.ડી. થવા બધાં નીકળી પડ્યાં છે તેનાં મૂળમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુ.જી.સી.) છે. યુ.જી.સી.એ નક્કી કર્યું કે જેણે અધ્યાપક થવું હોય તેને માટે પીએચ.ડી. ફરજિયાત છે. એટલે અધ્યાપક થવા ઇચ્છુકો પીએચ.ડી. કરવા લાચાર છે. યુ.જી.સી.એ અધ્યાપકો માટે નેટ, સેટ પરીક્ષાઓ પણ ફરજિયાત કરી. એ પાસ ન કરવાને કારણે વીર નર્મદ યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોને છૂટા કરવાની વાત પણ આવી. તે ઓછું હોય તેમ પીએચ.ડી.થવાનું પણ  ફરજિયાત ! ટૂંકમાં, અધ્યાપક થવું હોય તો લગભગ અડધી જિંદગી પરીક્ષામાં જ વીતે. એ બધું થયા પછી પણ શિક્ષણનું સ્તર તો કથળતું જ જાય છે, તો, એ તો વિચારવું પડશેને કે આ પરીક્ષાઓનો કે ડિગ્રીનો કોઈ અર્થ છે કે કેમ?

એક સમયે પોસ્ટ ગ્રેજ્યુએશન અધ્યાપક થવાની ઓછામાં ઓછી લાયકાત ગણાતી હતી. એમાં જો કોઈ પીએચ.ડી. મળી આવે તો તે વિશેષ લાયકાત બનતી, પણ એ ફરજિયાત ન હતી. હવે પીએચ.ડી. હોવું  ફરજિયાત છે. એથી થયું છે એવું કે બધાં જ પીએચ.ડી. કરવા મંડી પડ્યા છે. એને કારણે જે સંશોધનો થયાં છે તેમાં નાવીન્ય ઓછું ને યાંત્રિકતા વધુ છે. આ સંશોધનોનું સ્તર, કેટલાક અપવાદોને બાદ કરતાં નિમ્નતમ કક્ષાએ પહોંચ્યું છે. એટલા બધા થિસિસ બહાર પડે છે કે એની ગુણવત્તા સંદર્ભે પ્રશ્નો થાય. આટલી બધી પરીક્ષાઓ પછી પણ જો સંશોધનની આ દશા હોય તો એ  વિચારવાનું રહે કે પીએચ.ડી.નો આટલો ફુગાવો જરૂરી ખરો?

પૈસા લઈને પીએચ.ડી.નો થિસિસ લખી આપનારા હાથવગા છે. થિસિસ એટલે ઉતારાઓ – એ નવી વ્યાખ્યા પણ હાથવગી છે. પીએચ.ડી. કરાવનાર ગાઈડો વિદ્યાર્થિનીનું શોષણ કરે છે એવી વાતોની પણ નવાઈ નથી. વારુ, અધ્યાપકની પસંદગી વખતે ઈન્ટરવ્યૂમાં જે ગેરરીતિઓ અપનાવાય છે ત્યાં તો આ બધી પરીક્ષાઓ ને થિસિસ ને બધું જ એકદમ ગૌણ થઈ જાય છે ને ભળતું જ પરિણામ સામે આવે છે. આમાં ડિગ્રી તો કેવળ ઔપચારિકતા જ બની રહે છે.

એટલું સ્પષ્ટ છે કે એન્ટ્રન્સ એક્ઝામ, નેટ, સેટ, પીએચ.ડી. વગેરે અધ્યાપન માટે ફરજિયાત થયાં તેણે સંશોધનનું કોઈ મહત્ત્વ રહેવાં ન દીધું. થિસિસના ઢગલા થયા જે કોઈ લાઇબ્રેરીનું કબાટ ભરવા જેટલા પણ ઉપયોગી ન રહ્યા. આવું હોય તો એ વિચારવું ઘટે કે આ આખા વ્યાયામનો કોઈ મતલબ ખરો?

વધારે સાચું તો એ છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં ‘કમિશન’ જ વધુ સૂચક છે એટલે એ કમિશન જ જવું જોઈએ. યુ.જી.સી. એક્ટ ૧૯૫૬નું સ્થાન ભારત ઉચ્ચ શિક્ષા આયોગ અધિનિયમ, ૨૦૧૮ લે એમ બને. ધારો કે એ ન જ જાય તો અધ્યાપક માટે નેટ, સેટ, પીએચ.ડી.નું ફરજિયાતપણું કાયમી ધોરણે જવું જોઈએ. એ બધાનું વિશેષ લાયકાત લેખે ભલે મૂલ્ય હોય કે એના વધારાના માર્ક્સ પણ ભલે નક્કી થાય, પણ અધ્યાપક થવા માટે એ ફરજિયાત ન જ હોય.

એક સમયે પીએચ.ડી. ફરજિયાત ન હતું. એ સમયે જે સંશોધનો થતાં ને જે થિસિસ બહાર પડતા તે ગુણવત્તા યુક્ત પણ રહેતા. એ સ્થિતિ આટલી પરીક્ષાઓ અને ફરજિયાતપણું દાખલ થયું હોવા છતાં આજે નથી. આજે પણ સારા અધ્યાપકો ને વિદ્યાર્થીઓ છે જ, પણ શિક્ષણની ટકાવારી ને સજ્જતા વધી હોવા છતાં તેનું પ્રમાણ બહુ જ ઓછું છે. આજે વિદ્યાર્થીઓ વધુ હોવા છતાં વિદ્વત્તા ઓછી છે. એક પ્રોફેસર પીએચ.ડી.ના ૮-૮ વિદ્યાર્થીનો ગાઈડ હોય ને તેણે કોલેજ કે યુનિવર્સિટીમાં બીજી ફરજો પણ બજાવવાની હોય તો તેણે કરાવેલાં સંશોધનનું કેવુંક ધોરણ હોય તે સમજવાનું અઘરું નથી. યુનિવર્સિટી જો મોટાં પ્રમાણમાં પીએચ.ડી.નું કારખાનું ચલાવવા પર બ્રેક મારે તો જ સંશોધનની ગુણવત્તા સુધરે. જો અધ્યાપક થવા પીએચ.ડી.ની ડિગ્રી ફરજિયાત ન હોય કે નેટ,સેટની પરીક્ષાઓ માથે ન મરાય તો યુનિવર્સિટી ઘણા બોજમાંથી મુક્ત થઈ શકે, પણ તેમ કરે તો આ બધાંમાંથી થતી કમાણી તેણે જતી કરવી પડે. સંશોધન ને તેની ડિગ્રી અધ્યાપન માટે સ્વૈચ્છિક બનશે તો રસ લેનારાઓ ફરજના ભાગ રૂપે નહીં, પણ રસને કારણે જે તે વિષયમાં પ્રવૃત્ત થશે. એ જે સંશોધનો બહાર પડશે તે આજનાં જેટલાં છીછરાં ને ઉતારાઓ નહીં જ હોય એટલું નક્કી છે.

બીજું કંઈ નહીં તો જેટલું બને એટલું પરીક્ષાઓનું ભારણ ઘટે એ દિશામાં યુ.જી.સી.એ અને શિક્ષણ વિભાગે સક્રિય થવાની જરૂર છે. આપણે શિક્ષણનું મૂલ્ય ઉપજાવવામાં પડ્યાં છીએ ને જરૂર મૂલ્યનું શિક્ષણ આપવાની વિશેષ છે એવું નથી લાગતું?

૦

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 સપ્ટેમ્બર 2020

Loading

અક્ષર બિરાદરી જોગ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 September 2020

ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનું મારું ભાવાત્મક સંધાન સંભારું છું ત્યારે માનસપટ પર ઊભરતી પહેલી છબી ૧૯૫૫માં ગોવર્ધનરામના શતાબ્દીવર્ષે નડિયાદમાં મળેલી પરિષદના અહેવાલોએ ઝિલાયેલી છે. કાલિદાસની સર્ગશક્તિ હોય મારી કને તો સિંહના દાંત ગણવા કરતા શિશુ ભરત શું નાટ્યચિત્ર આલેખું, પણ હમણાં તો એટલું જ કહું કે કનૈયાલાલ મુનશીની એકચક્રી પકડ સામે સંસ્થામાં લોકશાહી ખુલ્લાશ વાસ્તે પડકાર – મુદ્રામાં ઉમાશંકર જાણે કે અવિધિસરના મેન ઑફ ધ મૅચ રૂપે સૌ સમક્ષ આવ્યા હતા.

અલબત્ત, પરિષદ સાથેનું પહેલું પ્રત્યક્ષ સંધાન તો તે પછી નવા બંધારણને ધોરણે અમદાવાદમાં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં મળેલા યશસ્વી અધિવેશન વેળાનું. તે પછી નાનાવિધ સત્ર ને સભામાં સામેલ થવાનું કદાપિ છૂટ્યું નથી – ને છેલ્લા ત્રણ દાયકાથી તો મધ્યસ્થ સમિતિ, કારોબારી, પ્રકાશનમંત્રી, મહામંત્રી (વહીવટી મંત્રી), ઉપપ્રમુખ સહિતને હોદ્દે જવાબદારી સંભાળવાનું બન્યું છે, તો વિભાગીય અધ્યક્ષ તરીકે નિર્વહણ કરવાનું પણ બન્યું છે. ઉશનસ્‌, જયન્ત પાઠક, રઘુવીર ચૌધરી, બકુલ ત્રિપાઠી, નિરંજન ભગત, ધીરુબહેન પટેલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર આદિ પ્રમુખોના કાળમાં યથાસંભવ સહભાગી થવાનું સહજ ક્રમે થતું રહ્યું છે. આમાં જે સીમાચિહ્નો બની આવ્યાં તેમાં જો હું યશભાગી હોઉં તો સહિયારી જવાબદારીને ધોરણે મારે હિસ્સે મર્યાદાઓ પણ બેલાશક હોય જ. છેલ્લાં દસપંદર વરસમાંથી નમૂના દાખલ બે ઉલ્લેખો કરું તો નારાયણ દેસાઈના પરિષદપ્રવેશમાં અને સ્વાયત્તતાને મુદ્દે સ્ટૅન્ડ બાબતે મેં કંઈક ઠીક ભૂમિકા ભજવી છે.

રણજિતરામનું અસ્મિતાસ્વપ્ન, નટરાજની પેઠે અંગાંગ ઉત્સ્ફૂર્ત ચૈતન્યે પલટાતા સમયમાં ઉત્તરોત્તર શોધનવર્ધનપૂર્વક ચરિતાર્થ થતું રહે એ માટે કોઈ પણ સહૃદય અક્ષરકર્મીને સહજ એમ મારી રીતેભાતે મથતો રહ્યો છું. આજની તારીખે ગુજરાતના અક્ષરજીવન અને જાહેરજીવનના સાર્થક પારસ્પર્યની સંગમભૂમિએ ઊભી જે સમજવાનું છે તે એ કે સાહિત્ય પરિષદ કોઈ હી ઑલ્સો રેન જેવી ઇત્યાદિ પ્રકારની સંસ્થા નથી, પણ નીરક્ષરવિવેકપૂર્વક નરવાનક્કુર અવાજ અને નીરમ ને નેજાશી એની કાર્યભૂમિકા છે.

પરિષદનું આ પ્રજાસૂય, રિપીટ, પ્રજાસૂય દાયિત્વ, આંતરબાહ્ય સ્વાયત્તતા અને શુચિતાની આ જે જદ્દોજહદ, એમાં કંઈક અગ્રભાગી-કંઈક સહભાગી થવાની આ દાયકાઓમાં મારી કોશિશ રહી છે અને એના અનુસંધાનમાં મારી ઉમેદવારી છે, એમ હું સમજું છું.

૧૯૬૮-૬૯માં ‘વિશ્વમાનવ’ની સંપાદકીય જવાબદારી સ્વીકારી, ૧૯૭૧માં ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’ સાથે સંકળાયો તે પછી વિધિવત્‌ અધ્યાપન સહજ ક્રમે છૂટતું ગયું અને જાહેરજીવનલક્ષી લોકશિક્ષણને અગ્રતા મળતી ગઈ. કટોકટીના કારાવાસ પછી બહાર આવી સહજક્રમે એના જ અગ્રસંધાન રૂપે ‘જનસત્તા-લોકસત્તા’ અખબારોમાં વરિષ્ઠ તંત્રી તરેહની ભૂમિકા સંભાળવાનું બન્યું, તો ‘દિવ્ય ભાસ્કર’ના આરંભકાળે સંપાદકીય સલાહકાર પણ રહ્યો. ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારમાં નિમિત્ત બન્યો તો એપ્રિલ ૧૯૯૨થી ‘નિરીક્ષક’નું દાયિત્વ પણ (હવે તો રજતવર્ષો વટીને) સંભાળું છું.

સંપાદકીય કામગીરી દરમિયાન લખવાનું અને ગ્રંથસ્થ કરવાનું પરસ્પર વ્યસ્ત સંબંધમાં રહ્યું છે. પાંત્રીસેક વરસ પર દિલીપ ચંદુલાલ, ડંકેશ ઓઝા અને ચંદુ મહેરિયાએ ત્યાં સુધી લખાયેલા લેખોમાંથી સ્થાયી મૂલ્યવત્તા ધરાવતા ‘વ્યક્તિ અને વિચાર’ તરીકેના ત્રણેક ગ્રંથોની સામગ્રી તારવી આપી હતી. હમણાં પાંચ-સાત વરસ પર ઉર્વીર્શી કોઠારી ને ચંદુ મહેરિયાએ તે પછીના વિપુલ લેખરાશિમાં સહેજે ત્રણ ગ્રંથો જેટલી પસંદગીલાયક સામગ્રી જોઈ હતી. દસ વરસમાં જે કેટલીક વ્યાખ્યાનમાળાઓ થઈ, જેમ કે ‘ટૉલ્સ્ટોયથી ગાંધી’, ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ-એક માનવી જ કાં ગુલામ’, ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’, ‘સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં’, ‘ભારતવર્ષની સ્વરાજસાધના’, એ પ્રત્યેક સ્વતંત્ર પુસ્તક પેઠે સામગ્રીસમ્પન્ન છે. આ એક નાનીશી તપસીલ.

તેમ છતાં, આજની તારીખે મારું કથયિત્વ બલકે પ્રતિપાદન એ છે કે પ્રજાકીય સંસ્થારૂપે પરિષદની એક ચોક્કસ કાર્યભૂમિકા છે અને એને અંગે ન તો મેદાન છોડી શકાય, ન તો હાથ ઊંચા કરી દઈ શકાય. અને વાતનો બંધ વાળું તે પૂર્વે રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’ના વાર્તિક રૂપે ઉમાશંકરનું એ ટિપ્પણ સંભારું કે શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે … ગોવર્ધનરામના સાક્ષરજીવનની નવ્ય આવૃત્તિ જાણે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09

Loading

...102030...2,2132,2142,2152,216...2,2202,2302,240...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved