Opinion Magazine
Number of visits: 9574609
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 August 2020

હૈયાને દરબાર 

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે;
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે.

•   કવિ : તુષાર શુક્લ   •   સંગીતકાર : નયનેશ જાની   •   ગાયિકા : નિશા કાપડિયા

—

કેટલાંક ગીતો અમુક કલાકારની સિગ્નેચર ટ્યુન જેવાં બની જાય છે. ગાયકનો જ ટ્રેડમાર્ક હોય એ રીતે. શીર્ષકનું જે ગીત છે એ કોનો ટ્રેડમાર્ક છે એ સુગમસંગીત પ્રેમીઓને કહેવાની જરૂર નથી. કવિનો શબ્દ, સંગીતકારનો શણગાર તો અતિ મહત્ત્વના છે જ, પરંતુ ગાયકની રજૂઆત એને ચાર ચાંદ લગાવી શકે. આંખોમાં બેઠેલા ચાતક … ગીત કવિ તુષાર શુક્લએ લાજવાબ લખ્યું છે, સંગીતકાર નૈનેશ જાનીએ કુંવારી કન્યાની લાગણીને શિવરંજની-મધુવંતી જેવા મધુર રાગથી સરસ શણગારી છે પરંતુ, નિશા ઉપાધ્યાય-કાપડિયાએ જે બખૂબીથી એ ગીત ગાયું છે, ક્યા કહેના!

આ ગીતમાં યૌવનથી થનગનતી કાચી કુંવારી છોકરીની પ્રેમની લાગણી બહુ નાજુક રીતે વ્યક્ત થઈ છે. પ્રેમ નવો હોય ત્યારે કેટકેટલી મિશ્ર લાગણી થતી હોય. એમાં ય વરસાદ એ તો ભીંજવા-ભીંજાવાની મોસમ. વિરહ-મિલનની ઋતુ. ગીતના શબ્દે શબ્દે લાવણ્યમયી યુવતીની લજ્જા અને લાગણી તાજાં ઝાકળ જેવી લાગે છે. ગીતમાં કુંવારી કોડીલી કન્યાની વાત છે જે પહેલી વખત પ્રિયતમને મળવાની અદમ્ય ઝંખનાનો અનુભવ કરવા ઉત્સુક છે. કુતૂહલ, મૂંઝવણ, પ્રતીક્ષા, લજ્જા, ઉત્કટતા, ઉત્તેજના જેવી મિશ્ર લાગણી સાથે એ પ્રિયજનના ઈન્તજારમાં છે. આ લાગણી થતી હોય ત્યારે ગાલ પર શરમના શેરડા ના ફૂટે તો બીજું થાય શું? આ મીઠી લાગણીને કવિએ કેવી સુંદર રીતે વાચા આપી છે. આવી સંવેદનશીલ વાત નાજુકીથી કાવ્ય દ્વારા રજૂ કરવી એ જ કેટલી મોટી વાત!

કવિ તુષાર શુક્લે અનેક વિષયોમાં અનન્ય કાવ્યો અને ગીતો આપ્યાં છે. પછી એ ગીત ભાષા વિશે હોય, માતૃત્વ-પિતૃત્વનું હોય, માનવ સહજ પ્રેમનું હોય કે પ્રકૃતિ ગીત. આંખોમાં બેઠેલા ચાતક, એમ પૂછીને થાય નહીં પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને જેવાં ગીતો વિનાં સુગમ સંગીતના કાર્યક્રમો અધૂરા લાગે. શબ્દો સાથે તુષારભાઈની ગાઢ મૈત્રી. તુષારભાઈની વાક્પ્રતિભા કોઈને ય પ્રભાવિત કરી શકે. વિષય ઉપર એકદમ માપસર, સીધું અને હ્રદયપૂર્વક જોડાણ થાય એવું એમનું સંચાલન કે પ્રવચન હોય. એવા આ કવિએ આકાશવાણી કાર્યક્રમ નિયામક તરીકે જોડાયા ત્યારે આ ગીત લખ્યું હતું. ત્રણ-ચાર દાયકા પહેલાંની વાત છે. આ ગીત વિશે તુષાર શુક્લ કહે છે, "કવિતા આપોઆપ સૂઝતી હોય છે. હું માનું છું કે પહેલી પંક્તિ ઉપરથી આવે છે. બાકીની કડી કવિ પછી જોડતા જાય. ચોમાસું આસપાસ…વાળી વાત કવિતામાં પહેલીવાર આવી અને મન પ્રસન્ન થઈ ગયું. બાકીની પંક્તિઓ પછી ગોઠવાતી ગઈ. યુવાનીમાં પ્રવેશેલી નાજુક નમણી કન્યાને લાગે છે કે સંયમ, લજ્જા છોડીને હવે વ્યક્ત થવું જરૂરી છે. વરસાદી વાતો તો એક આભાસ છે. પ્રેમ ખયાલોમાં ન ચાલે. છત્રી-છજાં છોડીને ભરપૂર ભીંજાવું પડે. પ્રેમ થયો હોય તો ઈચ્છા કહેવી પડે. ઈજન સ્વીકારવું પડે. આષાઢી ઉલ્લાસને હ્રદયમાં ભરી લેવા ઈચ્છતી નાયિકાનું નિતાંત લાગણીભર્યું આ ગીત છે. જો કે, મારે કહેવું જ જોઈએ કે આ ગીતમાં સ્વરાંકન અને ગાયકીની વિશેષ મજા છે. નયનેશ જાનીએ મીઠું સ્વરાંકન કર્યું છે. નિશા કાપડિયાએ તો આ ગીતને એટલું લોકપ્રિય બનાવ્યું છે કે હવે તો ઘણા કલાકારો આ ગીત ગાય છે. હવે આ ગીત અમારું નહીં, નિશાનું થઈ ગયું છે.

સ્વરકાર નયનેશ જાનીનું પણ આ મનગમતું સ્વરાંકન છે. નયનેશ જાની માત્ર સુગમસંગીતને જ સમર્પિત છે અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. એમણે બહુ સરસ વાત કરી આ ગીત વિશે. "આ ગીત સૌપ્રથમ દૂરદર્શન પર ’મહેફિલ’ નામે એક કાર્યક્રમ આવતો હતો એમાં રજૂ થયું હતું. દૂરદર્શન દ્વારા ૮૦ના દાયકામાં મોટી સ્પર્ધા યોજવામાં આવી હતી. હર્ષજિત ઠક્કર રોય એના નિયામક. ૩૦૦૦ એન્ટ્રી આવી હતી જેમાંથી ૩૦૦ સ્પર્ધકો પસંદ થયા. એમાંથી ફાઈનલ રાઉન્ડમાં ૩૦ને પ્રવેશ મળ્યો. હું પણ સ્પર્ધક હતો અને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. નિશા પણ ફાઈનલમાં આવી. ફાઈનલ રાઉન્ડ માટે મેં જ તૈયાર કરાવેલું આંખોમાં બેઠેલા ચાતક ગાવાનું એણે નક્કી કર્યું ત્યારે મને ચેતવવામાં આવ્યો કે નિશાને બીજું ગીત ગાવાનું કહો તો કદાચ તમારો નંબર લાગી જાય! પણ એ તો જાત સાથે છેતરપિંડી કરી કહેવાય. એ તો મારી બહેન સમાન એટલે મેં એને વધારે સારી રીતે તૈયાર કરાવ્યું અને નિશા પ્રથમ આવી હતી. શબ્દોને સમજી ભાવપૂર્વક ગાનારી એ કલાકાર છે. આ બહુ જ જરૂરી છે. શબ્દોને તોડી-મરડીને ગાવાથી ગીતનું કાવ્યત્વ જ ગુજરી જાય. કવિતા શું માગે છે એ તો જુઓ! ફિલ્મ સંગીતની જેમ ત્રણ મિનિટમાં ગીત પરફોર્મ કરવાની કલા હસ્તગત કરવાની જરૂર છે. આ ગીત તુષાર શુક્લે મને આપ્યું ત્યારે જ એવું ગમી ગયું કે આકાશવાણીથી પાછાં ઘરે જતાં બસમાં એનું મુખડું બની ગયું હતું. પછી તો આખું ગીત કરવાની એવી ચટપટી લાગી કે ઘરે પહોંચીને જમ્યા વિના સીધો હારમોનિયમ પર બેસી ગયો હતો.

આ ગીત સાથેની સ્મૃતિઓ સંકોરતાં ગીતનાં મૂળ ગાયિકા નિશા કાપડિયા કહે છે કે, "આ ગીત સાથે જ મારી મુંબઈમાં એન્ટ્રી થઈ. ૧૯૮૯માં કોપવૂડ સંગીત સંમેલન બહુ મોટા પાયે મુંબઈમાં યોજાયું હતું. હું ભૂજની અને ગીતના સંગીતકાર નયનેશભાઈ કલોલથી આવ્યા હતા.

સુગમ સંગીતના અન્ય ધૂરંધરોની સામે અમે તો સાવ નવાં કલાકારો એટલે કોઈનું બહુ ધ્યાન પણ ન જાય. સોલી પણ એ વખતે મુંબઈમાં પહેલી વાર પરફોર્મ કરવાના હતા. સૌના આશ્ચર્ય વચ્ચે આંખોમાં બેઠેલાં ચાતકને જે જબ્બર પ્રતિસાદ મળ્યો એ અમારે માટે ધન્ય ઘડી હતી. સુગમ સંગીતના આ સંમેલન પછી મારી અને સોલી બન્નેની સંગીતજગતમાં નોંધ લેવાઈ અને અમારી કારકિર્દી ઊંચકાઈ. દૂરદર્શન પર તો આ ગીતે પ્રથમ સ્થાન મેળવ્યું જ હતું. તમે માનશો? ગીતનો આલાપ તો સ્પર્ધામાં જતાં પહેલાં રિક્ષામાં તૈયાર કર્યો હતો. આમ, આ ગીતે મારી કારકિર્દી ઘડવામાં નક્કર પ્રદાન આપ્યું એમ ચોક્કસ કહી શકું."

આપણે સૌ નિશાની ઉજ્જ્વળ કારકિર્દીના સાક્ષી છીએ જ. ગુજરાતી ફિલ્મોમાં તો એમણે ગાયું જ છે પરંતુ જાવેદ અલી સાથેનું એમનું ગીત બિન તેરે સનમ … ખૂબ લોકપ્રિય થયું હતું અને ગત વર્ષે મરાઠી ફિલ્મ ’સવિતા દામોદર પરાંજપે’ના એક અત્યંત કર્ણપ્રિય ગીત માટે એમને એવોર્ડ પણ મળ્યો છે.

વરસાદી માહોલમાં આ ગીત સાંભળવા માટે થઈ જાઓ સજ્જ. ઈન્ટરનેટના માધ્યમથી સાંભળી જ શકશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ઑગસ્ટ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=654241

Loading

એક અતૃપ્ત ઝંખના / An unfulfilled desire!

બકુલા ઘાસવાલા / Translated in English by Bhadra Vadgama|Opinion - Opinion|20 August 2020

હિંદુસ્તાનમાં આવી ઈચ્છા જ ટીકાપાત્ર છે તેની મને પૂરી ખબર છે કારણ કે કરોડો લોકોને માટે આવાસ નથી, ત્યાં આ તો લક્ઝરી કહેવાય; પણ માંકડાં જેવાં મનમાં કાવ્ય આવ્યું તો એને જાકારો કેમ કરીને આપું?

: એક અતૃપ્ત ઝંખના :

બેઠકથી માંડ પાંચ-સાત ડગલાંનું અંતર અને
આવી જાય છે વિચારમાં લીન થવાની વેળા !
એક રીતે તો આરામગાહ,
અહીં મળે છે અવકાશ ,
એકલાં પડવાનો
અને
જાત સાથે રહી શકવાનો!
પાણીનો કાપ ન હોય અને
વખતે છૂટ મળે તો એ જલશિકરોથી
જાત સાથે થોડી મસ્તી કરવાનો!
ક્યારેક અહીં જ સૂઝે છે કાવ્ય
કે મળી જાય છે વાર્તાનું બીજ.
ભૂતકાળની કડવીતૂરી વાતો યાદ આવી જાય ત્યારે
મનોમન બબડી લેવાની તક! 
ક્યારેક આક્રંદ અને ક્યારેક આક્રોશ,
ક્યારેક આનંદ તો ક્યારેક ઉત્સાહ,
પરંતુ મોટા ભાગે તો મુક્તિ માટેનો વલવલાટ!
હવે ક્યાં કશી એવી વાતો રહી છે
જે થકી દુનિયા ડોલાવી શકાય!
બસ, જે વાતો રહી છે તે આ :
હું : આજે પેટ સાફ આવ્યું કે?
એ : કેથેટર થઈ જાય તો થોડી રાહત થાય.
તારાં ફોન પર કેટલાં ટાયલાં?
ચા – નાસ્તાનો સમય થયો.
આજે તો કાંઈક ગરમ નાસ્તો હોય તો સારું.
ને થાળમાં શું? કંઈક  સારું સારું હોય તો સારું!
હું :  શું સારું?
એ : નથી ખબર …..
બ્લડપ્રેશર માપો.
ડાયાબિટીસ જુઓ.
યાદ રાખીને દવા કાઢી કે?
બ્લડ-યુરિન લેવા માણસ આવ્યો કે?
રિપોર્ટ શું આવ્યો?
દવા મંગાવી કે?
હું : હા, બધું બરાબર ગોઠવ્યું છે.
દીકરો ઉવાચ :
મમ્મા, તારે  તો તબિયત સારી રાખવી જ પડશે!
નહીં તો હું બધા મોરચે કેમ ઝઝૂમીશ?
ને ભાઈબહેનો પાસે કોઈ આશો નથી કારણ કે –
એને મળવાનો કે ફોન કરવાનો કાંઈ અર્થ નથી!
એકની એક વાત ને
એકની એક એની જાત પર દયા ખાવાની ટેવ!
શું કહેવાય એને? સેલ્ફપીટી!
છતાં જો કોઈ ઈમરજન્સી આવશે તો પહોંચી જઈશું એમને મળવા!
બધું ભુલાય જાય છે
જ્યારે અવકાશ મળે છે જાત સાથે રહેવાનો….
ક્યાં?
શૌચાલયમાં…..
જ્યાં શોચી શકાય છે!
પણ કાશ!
એ ફ્કત મારા માટે જ અને અલાયદું હોત!
બાળપણથી જોયેલું કે ઘરમાં એક જ હોય
એટલે વિચારવાનો અવકાશ જ ન હતો!
પરણીને પણ એક જ જોયેલું, સહિયારું !
શ્વશુરજી અને મરદો માટે પહેલી તક ને વળી
એની પર પણ સાસુમાનો ડોળો કાયમ!
તાં હું ભરાય રે’વાનું બૈરાં માણહે!
દેખાય કે’ની કામના કોટ?
પછી ………………………………………..પછી તો
સ્વતંત્ર બંગલો, વાહ એટેચ્ડ ટોઈલેટ – બાથરૂમ !
પાંચ-દસ ડગલાંનું જ માંડ અંતર.
હવે તો વિચારવાનો અવકાશ જ અવકાશ જ…….
ક્યારે?
એવણ ઘરે ન હોય ત્યારે જ!
બાકી તો
પડી પટોળે ભાત તે એક જ કે બૈરાંએ હું વિચારવાનું?
ને કેટલો વાર …..!
દીકરો પૂછે, મા બોલ નવું ઘર કેવું બંધાવું?
માનો જવાબ :
એવું જ્યાં અવકાશ મળે અને વિચારી શકાય!
દીકરો ઉવાચ : મા, સિત્તેર વર્ષે પણ આટલી જ ઈચ્છા?
મા ઉવાચ :
હા, મારે પણ એટેચ્ડ ટોઈલેટ સાથે અલાયદો
એક બેડરૂમ જ્યાં રીડિંગ અને રાઈટિંગ સ્પેસ હોય,
ડાઈનિંગટેબલ પર બેસીને લખવાનું ન હોય અને
!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?!?
વગરની શાંત જિંદગી હોય……………………

૪/૭/૨૦૨૦

°°°°°°°°°°°°°°°°°°°°°°°

I am very sure that even to conceive such an idea will be open to criticism in India. When millions of people are homeless, this idea could be considered a luxury. But impish as this mind is, a poem has emerged within. How could I reject it? Moreover, it’s only a poem :

An unfulfilled desire!

I am only but a few steps away from my seat and
There occurs a moment to get engrossed in my thoughts!
In a way, it’s a moment to rest,
Here I get the space,
To be alone
And
To be with myself!
If there was no ban on water and
If time permitted,
To enjoy the sprays of a water sprinkler!
Sometimes just at this moment a poem is born
Or the seed for a story is planted.
An opportunity to curse the bitter memories
From the past!
Sometimes a lament; sometimes a reproach,
Sometimes pleasure; sometimes a zeal’
But mostly restlessness for freedom!
But now there is no such talk
That can shake the world!
Only such talk remains:
I: Did you have a good shit?
He: I will feel better if I had a catheter.
How long are you going to be stuck to that phone?
It’s time for breakfast.
I hope there is a hot snack today.
And what will there be in my thali?
Hope something nice.
I: What is nice?
He: Don’t know…
Check my blood pressure
And the sugar level.
Have you remembered to give me my medicines?
Did someone come to take samples of my blood and urine?
Have you asked for repeat prescriptions?
What does the report say?
I: Yes, everything is in order.
Our son speaks:
Ma, you must look after yourself!
I won’t be able to cope with so much.
It’s useless to expect help from my siblings.
It’s not worth meeting them or phoning them!
They will repeat the same story:
Their customary habit of feeling sorry for themselves!
What is it called? Self-pity!
But in case of an emergency, we will be there to see him! [Blah-blah-blah!] But everything is forgotten.

Occasionally, I do have a space to be with myself…
Where?
In the toilet…
Where I can think!
But alas!
Only if it was for my use only!
From my childhood I have seen that there is
Only one toilet in each home
So there is no way I could sit there and just think!
Even in the in-laws’ home there was a communal one.

Father-in-law and the men folk had the first priority for its use!
And when women used it, mother-in-law’s stern eye
Was followed with a string of these words on her tongue:
Why should women spend so much time in there
when tons of household chores remain to be done?
Then………….then 
An independent bungalow of our own
A bedroom with ensuite bathroom/toilet
Only a few steps away.
Now I have all the space available to think!
But when?
Only when he is not at home.
Otherwise…
It’s like a repeated print on a sari:
What do women have to think about?
And for how long…!
The son asked me,
Ma, what sort of house shall I build for you?
I reply:
Where I have space to think!
The son says:
Ma, only this wish even at the age of 70?
Ma says:
Yes son, I want a separate bedroom with ensuite bathroom/toilet
A bedroom which has space for me to read and write
As a dining table is not for writing and
Where there is peace in my life without
!?!?!?!?!?!?!?

A Gujarati poem ATRUPT ZANKHANA by Bkula Ghaswala-Desai Translated by Bhadra Vadgama

19/08/2020

Loading

કોરોનાકાળમાં કૃષિક્ષેત્રને અવળી અસર કરે એવા ત્રણ વટહુકમ

ભરત મહેતા|Opinion - Opinion|19 August 2020

ભારતના સોશિયલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ ધૂમ મચાવી છે. તેમાં સી.બી.આઇ. તપાસની માંગ થઈ. બીજી બાજુ આપણી સંવેદનહીનતા જુઓ. પુલવામામાં 40 લશ્કરી જવાનો શહીદ થયા હતા, તે સંદર્ભે સી.બી.આઇ. તપાસની માગ નથી થતી! ભારતમાં વર્ષ 1995થી 2018 સુધીમાં ત્રણ લાખ ત્રીસ હજાર ખેડૂતોની આત્મહત્યા એ કેવળ આંકડા છે. એનાથી કોઈનું  રુંવાડું ય ફરકતું નથી! નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, પ્રતિ વર્ષ સરેરાશ 10 હજારથી 12 હજાર ખેડૂતો આત્મહત્યા કરે છે. લૉક ડાઉનમાં સરકારે કામદારવિરોધી નિર્ણયો લીધા (જેમ કે કામના કલાકો બાબતમાં) એ રીતે પાંચમી જૂને ત્રણ વટહુકમો એવા કર્યા છે કે જેથી ભારતનો ખેડૂત વધુ મોટા સંકટમાં ધકેલાશે.

૧૯૯૦ પછીના વૈશ્વિકીકરણમાં જળ, જંગલ, જમીન અને ઘણી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરાયું હતું. પણ ખેડૂતો અને ખેતી તેમાંથી બાકાત રહ્યાં હતાં. નવા વટહુકમોમાં એ કામ પણ થઈ ગયું છે. જેમ આપણે બાળપણમાં માનતા કે આપણા દેશમાં એક રેલવે એવી છે જે ન ખરીદી શકાય, આજે (રેલવેના અંશતઃ ખાનગીકરણની) એ ‘સિદ્ધિ’ પણ આ સરકારે હાંસલ કરી, એક પછી એક ટ્રેનો ખાનગી થઈ રહી છે. એવું જ ખેતીનું લાગી રહ્યું છે. નવા ત્રણ વટહુકમો કિસાનો પર આવી રહેલા ભારે સંકટની એંધાણી જેવા લાગે છે.

એ તો સૌ જાણે છે કે ખેડૂતોની દશા બેઠેલી છે. નીતિ આયોગના આંકડા બતાવે છે કે તેમની આવક દિન-પ્રતિદિન ઘટી રહી છે. ભારત ગામડાંમાં જીવે છે એમ ભલે કહેવાય, પણ હકીકતે તો ભારત ગામડાંમાં રોજબરોજ મરી રહ્યું છે. ભારતમાં ખેડૂતો પોતાની પેદાશ વેચી શકે તે માટે MSP (મેક્સિમમ સપોર્ટ પ્રાઈઝ)થી APMCમાં વેચી શકે. ત્યાં ટેક્સ ભરવાનો હોય છે. ભારતમાં આજે 7,000 APMC છે. હકીકતે પાંચ કિલોમીટરના ક્ષેત્રમાં આવી માર્કેટ હોવી જોઈએ. ખેડૂતને પેદાશો વાહનવ્યવહાર દ્વારા લઇ જવાનું મોંઘુ પડે છે. જરૂર છે 42,000 APMCની. અત્યારની માર્કેટમાં ભારતના કેવળ 6 ટકા ખેડૂતો પહોંચે છે. બાકીના 94 ટકા ખેડૂતો વચેટિયાના સહારે જીવે છે. તેથી APMCની સમાંતરે મુક્ત બજારનો અભિગમ આ સરકાર લાવી રહી છે. જે રહીસહી સગવડ પણ છીનવી લેશે. સરકારની દલીલ છે કે મુક્ત બજારથી ખેડૂતોની દશા સુધરશે. અરે! અત્યારે જ 94 ટકા મુક્ત બજારના હવાલે છે તો શું દશા સુધરી છે? વળી, સરકારના દાવાને નિષ્ફળ કરતું ઉદાહરણ બિહારમાં મળ્યું છે.

બિહારમાં APMCની સમાંતરે મુક્ત બજાર શરૂ કરાયું વર્ષ 2006માં. ત્યાં દોઢ દાયકામાં કશો સુધારો થયો નથી. એ.પી.એમ.સી. એક્ટ હટાવવાથી નવી ક્રાંતિ થશે, એવા દાવા ખાલી ખખડતા જ જોવા મળ્યાં છે. આ પણ અનેક બાબતની જેમ અમેરિકાનું અનુકરણ છે. અમેરિકામાં પણ આજે ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. હકીકતે અમેરિકા પાસે માર્કેટ નથી. ચીનનું બજાર હવે મુશ્કેલ છે. એમની નજર ભારતના બજાર પર છે. જેથી મુક્ત બજારના નામે વિદેશી કંપનીઓને ભારતીય ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે છૂટી મૂકી દેવામાં આવશે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટેના કાનૂની અંકુશો પાણીપાતળા કરીને, ભારતીય ખેડૂતોને લલચાવી છેતરવામાં આવશે. સરકારનો આ નિર્ણય ખેડૂતોના ભોગે ખોટનો ધંધો કરવાનો છે. વૈશ્વિકીકરણમાં હંમેશાં બને છે તેમ, આપણાં જેવું બજાર ધરાવતો દેશ લૂંટાતો જ રહ્યો છે. 

સરકારનો વધુ એક નિર્ણય ભારતના તબાહ થઇ રહેલા કૃષિક્ષેત્રને વધુ તબાહ કરશે. ખેડૂત પોતાને મનગમતાં ભાવ લઈ શકે એવી લોલીપોપ આપીને,  સરકાર હકીકતે તો ખેડૂતને મુક્ત બજારમાં છૂટ્ટો મૂકીને એ ક્ષેત્રમાંથી પલાયન કરી રહી છે. જેમ, ‘ખાનગી શિક્ષણ ઉત્તમ શિક્ષણ’વાળો રાગ આલાપીને શિક્ષણમાંથી સરકારે હાથ ઊંચો કરી નાખ્યાં છે. જે આપણે કોરોનાકાળમાં અનુભવ્યું છે તે હવે કૃષિક્ષેત્ર થશે. જેમાં ખાનગી શાળાઓ ઊંચી ફીમાં જરા ય સમાધાન કરવા તૈયાર નથી અને સરકારી શિક્ષણ ભૂંડેહાલ કરી મૂક્યું છે.

‘આત્મનિર્ભર ભારત’ના સૂત્ર પ્રમાણે હવે મોટી કંપનીઓ આત્મનિર્ભર થશે અને ખેડૂત વધુ પરાવલંબી. અત્યારે ટેકાના ભાવના કારણે એ નાના વેપારીથી લૂંટાતો હતો, હવે કાયદાકાનૂનથી દૂરની કંપનીઓ તેને લૂંટશે. કરાર આધારિત ખેતી થશે. વાવણી વખતે જ સોદા થશે! કહેવાયું છે કે આ ખેડૂત સશક્તિકરણનો કાયદો છે પણ હકીકતે કંપની સશક્તિકરણનો કાયદો છે.

સંસદ ચાલુ હોય કે બંધ, વ્યાપક ચર્ચા વિના નવી નીતિઓ સરકાર માથે મારતી રહી છે, જેનો  માર પ્રજાએ સહન કરવો પડે છે અને કોઈ ફાયદો થતો નથી. સંસદ બંધ છે ત્યારે વીજળી અને કોલસાનું ક્ષેત્ર ખાનગી કંપનીઓને હસ્તાંતરિત કર્યું, એવી જ રીતે ખેડૂતોનું હિત હસ્તાંતરિત કરવામાં આવી રહ્યું છે. ભારતીય આર્થિક સર્વે મુજબ ભારતીય ખેડૂતની સરેરાશ વાર્ષિક આવક રૂ. વીસ હજાર છે. મહિને રૂ. 1,650 થયા. આવો રાંક સરેરાશ ખેડૂત શું મહાકાય કંપનીઓ સામે ઝીંક ઝીલી શકશે?

એક વટહુકમની વિગત એવી છે કે સંગ્રહાખોરી ગુનો રહેશે નહીં. તેથી મોટાં વેપારી/કંપની મોટી સંગ્રહખોરી કરશે અને ભાવ વધારો થાય ત્યારે વેચશે. 2002-03માં વાજપેયી સરકારે ઘઉંની વિક્રમી નિકાસ કરેલી, પણ હાલત એવી થઈ કે ભારત માટે 55 લાખ ટન ઘઉંની વિદેશથી ખરીદેલા! કરારી ખેતીનો ત્રીજો જે વટહુકમ છે તે પણ કંઈ નવો નથી. તેની કાનૂની ગૂંચો એવી છે કે ખેડૂતો ભોગ બની શકે. સર્વ સત્તા કલેકટરને અપાઈ છે, પરંતુ કલેક્ટરો 80થી વધુ સમિતિના અધ્યક્ષ હોય છે, સતત સ્થળ બદલતાં  હોય છે. શું એ ખેડૂતને ન્યાય આપી શકશે?

કેન્દ્ર સરકારે એ.પી.એમ.સી. એક્ટમાં કરેલો સુધારો તેની સ્વાયત્તતા હુમલો છે. કેમ કે, એ.પી.એમ.સી. રાજ્ય સરકારનો મામલો છે. ખેડૂતસમાજના પ્રશ્ને લડતાં કાનૂનવિદ્ આનંદ યાજ્ઞિકે આ વટહુકમનો વિરોધ કર્યો છે. છેલ્લાં દોઢ દાયકામાં જમીનનું અધિગ્રહણ એક તરફ ચાલે છે એ પહેલાં તો અટકાવો. આત્મનિર્ભર ભારતનું આવું ચિત્ર હોય? આ આત્મઘાતી ભારતનું ચિત્ર છે. ખેડૂત પોતાની જમીનને સાચવી શકે એ માટે પાણી, વીજળી, ખાતર અને ખેતીવિષયક સાધનો શક્ય એટલાં સસ્તાં ઉપલબ્ધ કરાવી આપવાં જરૂરી છે, એ પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે ખેડૂતને કંપની વચાળે મોકલી દેવો હિતાવહ નથી. એ.પી.એમ.સી. એક્ટમાં સુધારો ચોક્કસ જરૂરી હતો. પરંતુ પાયાની જરૂરિયાતો પૂરી પાડવાના બદલે મુક્ત બજાર એ સામ્રાજ્યવાદ સામેની શરણાગતિ છે. હાલની સરકારને સામ્રાજ્યવાદનું શરણું લીધા વિના ચેન પડતું નથી.

('જતન' દ્વારા આયોજિત વેબિનારનાં વક્તવ્યોના આધારે)

e.mail : bharatmehta864@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 11-13

Loading

...102030...2,2132,2142,2152,216...2,2202,2302,240...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved