Opinion Magazine
Number of visits: 9574611
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (35)

સુમન શાહ|Opinion - Opinion|23 August 2020

‘મહાભારત’ યુદ્ધ પછી વ્યક્તિઓ અને આખું લોકતન્ત્ર અસારત્વમાં તણાવા લાગેલું. એના સર્જક વ્યાસનું વચન સાંભળવાજોગ છે : યથા યથા વિપર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય … વ્યાસ પોતે એ અસાર અને દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’ની રચના પાછળનો એમનો એ ઉદ્દેશ એટલો બધો બહાર નથી આવ્યો, પણ ખૂબ જ ધ્યાન આપવા યોગ્ય છે. કેમ કે એમાં મને જીવન અને સર્જન વચ્ચેનો એક ગર્ભિત સમ્બન્ધ છતો થતો અનુભવાય છે – સર્જક ખરેખર તો મનુષ્યનાં દુ:ખોને નીરખે છે, અનુભવે છે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે છે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં નિવારણ છે.

આ કોરોના કાળે પણ મૃત્યુએ પ્રગટાવેલા અસારત્વનો અને એથી જનમેલી વ્યથાઓનો પાર નથી. મને વધારે સતાવે છે તે એ કે મૃતકનાં પરિવારજનોનું શું થયું હશે. પતિ વિનાની પત્ની કે પત્ની વિનાના પતિનું અને સન્તાન વિનાનાં માબાપનું કે મા અથવા બાપ ગુમાવી બેઠેલી દીકરી કે દીકરો કેમ કરી બેઠાં થયાં હશે ને પછી કેમની રીતે સરખાં થયાં હશે. સાચ્ચો અને સખત પ્રેમ જીવનારાં પ્રેમીઓનું શું થયું હશે? એ પ્રિયા કે એ પ્રિયનાં મન-હૃદય શી રીતે સાતા પામ્યાં હશે? સાતા પછીની એ એકલતાએ કેવુંક સ્વરૂપ પકડ્યું હશે? એમના ઘા રુઝાયા હશે? શી રીતે?

વ્યક્તિઓ અને સમગ્ર સંસારતન્ત્ર અસારત્વનો અનુભવ કરી રહ્યું છે. બધું જ મિથ્યા ભાસે છે. એક જાતનો વૈરાગ્ય ભાવ જાગે છે. ચિત્તમાં બેચૅની અને અણગમતી શાન્તતા છવાઈ જાય છે.

તેમ છતાં, જીવન તો જિવાય જ છે. એટલું જ નહીં, મૉજથી જિવાય છે. લોકો સારું સારું ખાય છે, પીએ છે. આજે ગણેશચતુર્થી છે. દેશમાં ઠૅર ઠૅર ગણેશ-સ્થાપન થયું છે. વિજ્ઞાનીઓએ ચેપથી બચવા જાતજાતનાં સૂચનો કર્યાં છે, પણ લોકો તો કશી સાડીબારી વિના ગણેશ-વિસર્જન સુધી આ ઉત્સવને ભક્તિભાવથી અને રંગેચંગે મનાવવાના જ. ઘણા તો એવા મિજાજથી કે -કોરોનાની ઍસી કે તૅસી ! લાડુ આમ તો બ્રાહ્મણોના ગણાય પણ આજે એ સૌના અને સૌને માટે મોદ-ક.

આમ, જોવા જઈએ તો, ઉત્સવો આપણા ઉત્સાહને જગવે છે, ખીલવે છે. એટલો સમય કોઈપણ જાતના સંસારી હેતુ વિના જીવી લેવાય છે. કહેવું તો એમ જોઈએ કે ઉત્સવો પેલા અસારત્વનો નાશ કરે છે …

મને આ ક્ષણે કવિ કાલિદાસનાં બે વચન યાદ આવે છે : એક એમણે એ કહ્યું છે કે ઉત્સવપ્રિયા જના: -લો કો ઉત્સવપ્રિય છે. સાચું છે, આગળ-પાછળના સંજોગો ભલે ને વિપરીત હોય, માણસમાત્રને ગાવું-નાચવું ને હસવું-કૂદવું ગમે છે. બીજું એમણે એ કહ્યું છે કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે. એટલે ગાવા-નાચવાનું તેમ જ હસવા-કૂદવાનું પણ પ્રજાએ પ્રજાએ ભિન્ન હોય છે.

આપણને એવું લાગે કે આપણો ભારત દેશ જ ઉત્સવો ઊજવે છે. ગણેશ ચતુર્થી પહેલાં જન્માષ્ટમી તે પહેલાં રામનવમી તે પહેલાં મકરસન્ક્રાન્તિ ને તે પહેલાં દીપોત્સવી એમ ઉત્સવોનું એક નિશ્ચિત ચક્ર સદીઓથી દેશવાસીઓના મન-હૃદયમાં ગોઠવાઈ ગયેલું છે. પણ એવું નથી, વિશ્વની બધી પ્રજાઓ ઉત્સવો ઊજવે છે. હા, આપણા ઘણા ઉત્સવો દેવો સાથે જોડાયેલા છે, એટલા બીજી પ્રજાઓના નથી …

યુરપના ધ નેધરલૅન્ડ્સના મોસ્ટ પૉપ્યુલર સિટી આમસ્ટર્ડામમાં હું અવારનવાર રહ્યો છું. ૧૬૫થી પણ વધુ કનાલ્સનું આ સિટી એની નાઇટ-લાઇફ માટે જગમશહૂર છે – સારીનરસી બન્ને દૃષ્ટિએ. એ વાત ફરી ક્યારેક. પણ ત્યાં દસથી વધુ મ્યુઝિક ફેસ્ટિવલ યોજાય છે. ખૂબ લોકપ્રિય છે, ‘આમ્સ્ટર્ડામ ડાન્સ ઇવેન્ટ’. પાંચ દિવસની કૉન્ફરન્સ ને પાંચ લાખ જેટલા લોકો ધસી આવ્યા હોય છે. પ્રકાશ અને ગાયન-વાદન-નર્તન સાથે ઉલ્લાસની રેલમછેલ ઊડતી હોય છે. આ ઉત્સવને behemoth નામ અપાયું છે – કોઈ પ્રચણ્ડકાય પ્રાણી …

વર્ષમાં એક એવો ઉત્સવ છે, જેમાં ઠેકઠેકાણેથી લાખ્ખો લોકો આમ્સ્ટર્ડામમાં ભેગા થાય છે. તે દિવસે તમામ દુકાનો અને ધંધા બંધ રખાય છે. પણ નવી નવી કામચલાઉ દુકાનો રાતોરાત ઊભી કરાય છે. કેટલીક તો એવી જેમાં ચીજવસ્તુઓ, નાખી દેવાના ભાવે વેચાય છે. તમે પણ તમારી વસ્તુઓ વેચી શકો. એમાં જૂની-નવી કે વાપરેલી – ન વાપરેલીનો ભેદ જોવાતો નથી. આમ તો બાર્ગેઈન કદી થાય નહીં પણ તે દિવસે ખાસ્સી રકઝક કરી શકાય છે. વિખ્યાત ડીજે-કલાકારો સાઉન્ડ ટ્રૅકિન્ગ અને નાચગાન વડે આખા શહેરને ગજવે છે, કાનમાં ઇયર-બટ્સ નાખવાં જ પડે. લોકો – લગભગ બધા – બીયર પીએ છે. ડબલાં જેમ ફાવે એમ ફગાવી દે છે. જો કે, બીજી સાંજ સુધીમાં આમ્સ્ટર્ડામને હમ્મેશ હોય છે એવું ને એટલું સ્વચ્છ કરી લેવાય છે.

એક ઉત્સવ એવો છે, જેમાં કલાકાર વ્યક્તિ પોતાના ઘરે સ્વરચિત કે અન્યોએ રચેલાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવે છે. ઘરની બહાર વાવટો ફરકાવીને લોકોને ઇન્વાઈટ કરે છે. લોકો આવે, જુએ, અભિપ્રાય આપે, ચર્ચા-ચર્ચી કરે, લખે, ફોટા પાડે, પડાવે. એક વાર એવું ઍક્ઝિબિશન અમે અમારે ત્યાં પણ યોજેલું … સ્વાગત માટે ચૉકલેટ્સ રાખવાની, જેને ખાવી હોય એ જાતે લઈ લે …

ભરપૂર ભયાનક ઍબ્સર્ડિટી વચ્ચે, વિસંગતિ વચ્ચે, એટલી જ મહાન અને શામક સંગતિ રચી લેનારા માણસના આ સ્વ-ભાવને કેવોક કહેવો? આવી ગાંડિયા જેવી પણ રીઢી મનુષ્યપ્રકૃતિને કેમ વર્ણવવી? એનો ઉત્તર એ છે કે માણસ વિસંગતિને સંગતિમાં રૂપાન્તરિત કરી જાણે છે. રડે છે પણ હસી ય શકે છે …

= = =

(August 22, 2020: Ahmedabad)

ADE : Amsterdam Dance Event.

Loading

ગુજરાતમાં ૭૦ માળની ઇમારતો સંદર્ભે ચિંતન અને ચિંતા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 August 2020

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૫૦ અને ૭૦ માળનાં સ્કાયસ્ક્રેપર્સ, ગુજરાતનાં ૫ મહાનગરો ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બાંધવાની વિધિવત જાહેરાત કરી છે એ સાથે જ બિલ્ડર લોબીમાં ઘણે વખતે સળવળાટ વ્યાપી ગયો છે. એ સારી વાત છે કે ગુજરાતનાં આ પાંચ મહાનગરો ઊંચી ઇમારતોથી દુબઈ, સિંગાપોરની જેમ ગુજરાતભરમાં ઝળહળે. આ બધું જ કાગળો પર વ્યવસ્થિત રીતે પાર પડાયું છે ને કાગળો પર તો બધું નિયમો અનુસાર થયું છે ને થશે. આમ કરવા પાછળનાં ધારાધોરણો અને હેતુઓ પણ જાહેર થયાં છે ને એ મુજબ થાય તો ગુજરાતનાં આ શહેરો  વિશ્વકક્ષાના આધુનિક શહેરોની જેમ ઝગમગતાં થશે એ નક્કી છે.

છેલ્લાં ચારેક વર્ષમાં રાજ્ય સરકારે ૨૦૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કિમ્સ મંજૂર કરી દીધી છે. એ માટે કોમન જી.ડી.સી.આર.-૨૦૧૭માં જરૂરી સુધારા પણ કર્યા છે. આ પાંચ શહેરો આ યોજનામાં જાહેર કરવાનું એક કારણ એ પણ ખરું કે આ શહેરોનો રાજ્યના વિકાસમાં અને જી.ડી.પી.માં મહત્તમ ફાળો છે. બીજું કારણ એ કે આ શહેરોમાં રોજગારીની તકો વધુ છે અને ગ્રામ વિસ્તારોમાંથી રોજગારી માટે વધુ ને વધુ લોકો આ મહાનગરોમાં આવે છે. એમને રહેવાની સગવડો આ સ્કાયસ્ક્રેપર્સ પૂરી પાડશે. હકીકત એ છે કે એટલી જમીન નથી કે બધાંને તે પૂરી પડે. એ જોતાં વર્ટિકલ ડેવલપમેન્ટ એ જ એક ઉપાય બચે છે. હવે રહેવા દૂર નહીં, પણ ઊંચે જવું પડે એ સ્થિતિ છે. બીજું જમીન સાથેનાં મકાનો હવે સામાન્ય માણસને પરવડે એમ પણ નથી. એ સ્થિતિમાં પણ સ્કાયસ્ક્રેપર્સ એક સારો ઉકેલ છે. એવું પણ કહેવાય છે કે બિલ્ડિંગો ઊંચી જશે તો મકાનોમાં ઘૂસી જતી જમીન ખેતી માટે બચશે.

આઇકોનિક સ્ટ્રક્ચરનાં નિર્માણથી મંદી દૂર થવાની આશા પણ જન્મી છે. જો કે બાંધકામ મોંઘું થશે. સરકાર દ્વારા હાલ પેઈડ એફ.એસ.આઈ. જંત્રીના ૪૦% વસૂલવામાં આવે છે તે ૭૦ માળનાં નિર્માણ માટે જંત્રીના ૫૦% થશે. આને કારણે પ્રોજેક્ટ કોસ્ટ અને મેઈન્ટેનન્સ કોસ્ટ પણ વધશે. એટલે સામાન્ય માણસને એ કેટલું પરવડશે એ સવાલ તો ઊભો જ રહે છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે સ્પર્ધા વધતાં ક્વોલિટી બાંધકામ વધશે ને ફરતે ખુલ્લી જમીન મળશે એવું કહેવાય છે, પણ વર્ટિકલ ડેવલપમેન્ટ માટે જવું જ એટલે પડ્યું છે, કારણ આસપાસ જમીનની ખેંચ ઊભી થઈ છે એટલે ખુલ્લી જમીન કેટલીક મળશે તે પ્રશ્ન જ છે. આ એફ.એસ.આઈ.નો લાભ ૩૦ મીટર પહોળા રસ્તાને જ મળશે. ૫૦ માળની ઈમારત માટે ૨,૫૦૦ ચો.મી.નો અને ૭૦ માળની ઇમારત માટે ૩,૫૦૦ ચો.મી.નો પ્લોટ હોવો જરૂરી છે. મુંબઈ-દિલ્હી શહેરોનાં મકાનોના નિયમોનો અભ્યાસ કરીને આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ફાયર સેફટી, બિલ્ડિંગ સેફટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વગેરે બાબતો અંગે પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે, ઔડા, સુડા એમ ગમે તેમાં ઊંચી બિલ્ડિંગો બાંધી શકાશે, પણ આ બધું કાગળ પર છે. એમાં કાગળ પર સમિતિઓ પણ રચાશે ને ચકાસણીઓ પણ થશે, પણ વ્યવહારમાં કેટલી ગરબડો હોય છે તે મંત્રીથી માંડીને મુફલિસ સુધીના બધાં જ જાણે છે.

હજી તો ૧૯મી તારીખે ઇમારતો બાંધવાનું નોટિફિકેશન બહાર જ પડ્યું છે ત્યાં સુરતમાં એરપોર્ટ ન ખસે તો સિત્તેર તો શું, ૫૦ માળની ઇમારત બાંધવાનું પણ શક્ય નથી, એ વાત બહાર આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નોકાસ પ્લાન પ્રમાણે સુરતમાં ૭૦ માળની ઈમારતો બાંધવાનું મુશ્કેલ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા બાંધકામને ધ્યાનમાં રાખીને એક નકશો તૈયાર કરવામાં આવે છે. એ મુજબ ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવે છે તે નોકાસ પ્લાન તરીકે જાણીતી છે.તે દ્વારા એન.ઓ.સી. આપવામાં છે. આ નોકાસ પ્લાન મુજબ ૧૦૯ મીટરથી વધુ ઊંચાઈનું બાંધકામ શહેરમાં ક્યાં ય પણ શક્ય બને એમ નથી. એ હિસાબે ૩૫ માળથી વધુ ઊંચાઈની ઈમારત સુરતમાં શક્ય જ નથી, સિવાય કે એરપોર્ટ બીજે ખસે. એટલે એવું બને કે ક્યાં તો એરપોર્ટ અથવા તો ૭૦ મજલી ઈમારત-માંથી કોઈ એકથી જ સુરતે ચલાવવાનું આવે.

આમ દરેક વખતે સરકારની ટીકા કરવાનું યોગ્ય નથી, પણ ટૂંકી દૃષ્ટિને કારણે સરકાર મતલબી પુરવાર થતી આવી છે. તે આગળ પાછળનું વિચારીને વર્તે તો તેનાં દૂરગામી પરિણામો મળે, પણ કમભાગ્યે તેવું ખાસ થતું નથી. સુરતમાં ૭૦ માળની ઇમારતો બાંધવાની જાહેરાત કરતાં પહેલાં સુરત એરપોર્ટના નોકાસ પ્લાનનો સરકારે વિચાર કર્યો લાગતો નથી અથવા તો એરપોર્ટ ઓથોરિટીએ ક્યાંક કાચું કાપ્યું હોય એમ બને. આ અંગે ખુલાસો થવો જોઈએ.

૭૦ માળનું નોટિફિકેશન બીજા પણ પ્રશ્નો ઊભા કરે છે. ઊંચાઈએ રહેવાનું થાય તો આજુબાજુની જમીન બચે એ વાતમાં તથ્ય હશે, પણ ૫૦ માળ માટે ૨,૫૦૦ ને ૭૦ માળ માટે ૩,૫૦૦ ચો.મી.નો પ્લોટ જોઈએ. એમાં આજુબાજુની જમીન નથી જ જતી એવું નથી. ખેતીલાયક જમીન બચે એ વાત પણ ગળે ઓછી જ ઊતરે છે. ૩૦ મીટરનો રોડ હોય ત્યાં જ આવી ઇમારતો બંધાવાની હોય તો એટલો મોટો રોડ ખેતરમાં શું કામ હોય? એટલે ઇમારતો માટે તો એન.એ. થયેલી જમીનો જ ખપમાં આવવાની. ત્યાં ખેતીની જમીન બચવાની વાત સમજાતી નથી. શક્યતા તો એવી વધારે છે કે કરામતો કરીને ખેતીલાયક જમીન એન.એ.માં બદલવામાં આવે ને પરિણામ ખેતી માટેની જમીન ઘટવામાં આવે.

એક વાત આ પણ વિચારવા જેવી છે. થોડા મહિનાઓ પર સુરતમાં એક ક્લાસમાં આગ લાગેલી ને કેટલાંક છોકરાંઓ એ આગમાં બળી મરેલાં ને કેટલાકે જીવ બચાવવા ચોથા માળેથી પડતું મૂકેલું ને એમ પણ મોત જ વહાલું થયેલું. એ પછી આખા રાજ્યમાં ફાયર સેફટીની ચળવળ ચાલેલી ને ઘણા ક્લાસો ફાયર સેફટી ન હોવાને કારણે બંધ રહેલા. પૂરતાં સાધનો વસાવાયાં પછી જ ક્લાસો ફરી શરૂ થયેલા. એ તબક્કે તો એવું લાગેલું કે આખું ગુજરાત ફાયર સેફટીને મામલે એકદમ સજ્જ ને સજાગ થઈ ગયું છે. એ માન્યતા ખોટી પડી. કોરોનાના ૮ દરદીઓ અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાને કારણે થોડા દિવસ પર જ ગુજરી ગયા. એનો અર્થ એ થયો કે પેલી ફાયર સેફટી ઝુંબેશ પોકળ હતી અથવા એમ માનવું પડે કે એ ક્લાસની ફાયર સેફટી પૂરતી જ સીમિત હતી ને એમાંથી હોસ્પિટલો બાકાત હતી, તે એટલે કે એમાં તો કદી આગ લાગતી જ નથી એવું કદાચ હેલ્થ વિભાગ માનતો હતો. બને કે બીજી બિલ્ડિંગો એ કારણે ફાયર સેફટી મામલે કંઈ નહીં કરે, કારણ તેમની  બિલ્ડિંગો કંઈ હોસ્પિટલ થોડી જ છે?

કોઈનું અહિત ઇચ્છવાનો અહીં રજમાત્ર પણ આશય નથી, પણ આવી માનસિકતા ૭૦ માળની બિલ્ડિંગની હોય ને ન કરે નારાયણ ને આગ ૭૦મેં માળે લાગે તો ફાયર સેફટીને મામલે એ સજ્જ હોય એવું લાગે છે? પવનમાં દીવો હોલવાઈ જાય તેમ ૭૦મેં માળે પવન જ એટલો હોય કે આગ હોલવાઈને જ રહે એવું માનનારાઓ નહીં જ હોય એમ માનવાને કારણ નથી. ચોથા માળે લાગેલી આગ જો બંબાવાળા ન હોલવી શક્યા હોય ને વિદ્યાર્થીઓનો અગ્નિસંસ્કાર ક્લાસમાં જ થઈ ગયો હોય તો ૭૦મે માળે ગુજરાતનાં બંબાખાનાં પહોંચે એમ લાગે છે? આવું જરા પણ ઈચ્છવા જેવું નથી, પણ આપણા ભ્રષ્ટ તંત્રો ૭૦ માળની પરમિશન મળતાં રાતોરાત બદલાઈને પ્રમાણિક થઈ જાય એવું સ્વપ્નમાં બને તો બને, બાકી ચાન્સ તો ભ્રષ્ટતાના ને અપ્રમાણિકતાના જ વધારે છે. જો આવી સ્થિતિ હોય તો ૭૦ માળની બિલ્ડિંગો કેટલી સલામત હશે તે ગુજ્જુઓએ વિચારી લેવાનું રહે. આપણે આરંભે શૂરા છીએ જ, પણ જ્યાં ફોલો અપની વાત આવે છે કે આપણે ભાગ્યે જ સફળ થઈએ છીએ. ફોલો અપમાં આખો દેશ બહુ ગરીબ છે.

આમ તો આ ભેંશ ભાગોળે ને છાશ છાગોળે જેવું છે, પણ સિત્તેરમે માળેથી સ્વર્ગ નજીક પડતું હોય તો પણ બીજાની બેવકૂફીનો ભોગ આપણે ન બનવું પડે એટલે આટલી આગોતરી ચિંતા કરી છે. આમાં ખોટા પડવાનું થાય તો તેનો આનંદ જ થશે. અસ્તુ !

૦

e.mail : ravindra21111946@gmail.com

સૌજન્ય : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑગસ્ટ 2020

Loading

આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 August 2020

હૈયાને દરબાર 

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે;
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે.

•   કવિ : તુષાર શુક્લ   •   સંગીતકાર : નયનેશ જાની   •   ગાયિકા : નિશા કાપડિયા

—

કેટલાંક ગીતો અમુક કલાકારની સિગ્નેચર ટ્યુન જેવાં બની જાય છે. ગાયકનો જ ટ્રેડમાર્ક હોય એ રીતે. શીર્ષકનું જે ગીત છે એ કોનો ટ્રેડમાર્ક છે એ સુગમસંગીત પ્રેમીઓને કહેવાની જરૂર નથી. કવિનો શબ્દ, સંગીતકારનો શણગાર તો અતિ મહત્ત્વના છે જ, પરંતુ ગાયકની રજૂઆત એને ચાર ચાંદ લગાવી શકે. આંખોમાં બેઠેલા ચાતક … ગીત કવિ તુષાર શુક્લએ લાજવાબ લખ્યું છે, સંગીતકાર નૈનેશ જાનીએ કુંવારી કન્યાની લાગણીને શિવરંજની-મધુવંતી જેવા મધુર રાગથી સરસ શણગારી છે પરંતુ, નિશા ઉપાધ્યાય-કાપડિયાએ જે બખૂબીથી એ ગીત ગાયું છે, ક્યા કહેના!

આ ગીતમાં યૌવનથી થનગનતી કાચી કુંવારી છોકરીની પ્રેમની લાગણી બહુ નાજુક રીતે વ્યક્ત થઈ છે. પ્રેમ નવો હોય ત્યારે કેટકેટલી મિશ્ર લાગણી થતી હોય. એમાં ય વરસાદ એ તો ભીંજવા-ભીંજાવાની મોસમ. વિરહ-મિલનની ઋતુ. ગીતના શબ્દે શબ્દે લાવણ્યમયી યુવતીની લજ્જા અને લાગણી તાજાં ઝાકળ જેવી લાગે છે. ગીતમાં કુંવારી કોડીલી કન્યાની વાત છે જે પહેલી વખત પ્રિયતમને મળવાની અદમ્ય ઝંખનાનો અનુભવ કરવા ઉત્સુક છે. કુતૂહલ, મૂંઝવણ, પ્રતીક્ષા, લજ્જા, ઉત્કટતા, ઉત્તેજના જેવી મિશ્ર લાગણી સાથે એ પ્રિયજનના ઈન્તજારમાં છે. આ લાગણી થતી હોય ત્યારે ગાલ પર શરમના શેરડા ના ફૂટે તો બીજું થાય શું? આ મીઠી લાગણીને કવિએ કેવી સુંદર રીતે વાચા આપી છે. આવી સંવેદનશીલ વાત નાજુકીથી કાવ્ય દ્વારા રજૂ કરવી એ જ કેટલી મોટી વાત!

કવિ તુષાર શુક્લે અનેક વિષયોમાં અનન્ય કાવ્યો અને ગીતો આપ્યાં છે. પછી એ ગીત ભાષા વિશે હોય, માતૃત્વ-પિતૃત્વનું હોય, માનવ સહજ પ્રેમનું હોય કે પ્રકૃતિ ગીત. આંખોમાં બેઠેલા ચાતક, એમ પૂછીને થાય નહીં પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને જેવાં ગીતો વિનાં સુગમ સંગીતના કાર્યક્રમો અધૂરા લાગે. શબ્દો સાથે તુષારભાઈની ગાઢ મૈત્રી. તુષારભાઈની વાક્પ્રતિભા કોઈને ય પ્રભાવિત કરી શકે. વિષય ઉપર એકદમ માપસર, સીધું અને હ્રદયપૂર્વક જોડાણ થાય એવું એમનું સંચાલન કે પ્રવચન હોય. એવા આ કવિએ આકાશવાણી કાર્યક્રમ નિયામક તરીકે જોડાયા ત્યારે આ ગીત લખ્યું હતું. ત્રણ-ચાર દાયકા પહેલાંની વાત છે. આ ગીત વિશે તુષાર શુક્લ કહે છે, "કવિતા આપોઆપ સૂઝતી હોય છે. હું માનું છું કે પહેલી પંક્તિ ઉપરથી આવે છે. બાકીની કડી કવિ પછી જોડતા જાય. ચોમાસું આસપાસ…વાળી વાત કવિતામાં પહેલીવાર આવી અને મન પ્રસન્ન થઈ ગયું. બાકીની પંક્તિઓ પછી ગોઠવાતી ગઈ. યુવાનીમાં પ્રવેશેલી નાજુક નમણી કન્યાને લાગે છે કે સંયમ, લજ્જા છોડીને હવે વ્યક્ત થવું જરૂરી છે. વરસાદી વાતો તો એક આભાસ છે. પ્રેમ ખયાલોમાં ન ચાલે. છત્રી-છજાં છોડીને ભરપૂર ભીંજાવું પડે. પ્રેમ થયો હોય તો ઈચ્છા કહેવી પડે. ઈજન સ્વીકારવું પડે. આષાઢી ઉલ્લાસને હ્રદયમાં ભરી લેવા ઈચ્છતી નાયિકાનું નિતાંત લાગણીભર્યું આ ગીત છે. જો કે, મારે કહેવું જ જોઈએ કે આ ગીતમાં સ્વરાંકન અને ગાયકીની વિશેષ મજા છે. નયનેશ જાનીએ મીઠું સ્વરાંકન કર્યું છે. નિશા કાપડિયાએ તો આ ગીતને એટલું લોકપ્રિય બનાવ્યું છે કે હવે તો ઘણા કલાકારો આ ગીત ગાય છે. હવે આ ગીત અમારું નહીં, નિશાનું થઈ ગયું છે.

સ્વરકાર નયનેશ જાનીનું પણ આ મનગમતું સ્વરાંકન છે. નયનેશ જાની માત્ર સુગમસંગીતને જ સમર્પિત છે અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. એમણે બહુ સરસ વાત કરી આ ગીત વિશે. "આ ગીત સૌપ્રથમ દૂરદર્શન પર ’મહેફિલ’ નામે એક કાર્યક્રમ આવતો હતો એમાં રજૂ થયું હતું. દૂરદર્શન દ્વારા ૮૦ના દાયકામાં મોટી સ્પર્ધા યોજવામાં આવી હતી. હર્ષજિત ઠક્કર રોય એના નિયામક. ૩૦૦૦ એન્ટ્રી આવી હતી જેમાંથી ૩૦૦ સ્પર્ધકો પસંદ થયા. એમાંથી ફાઈનલ રાઉન્ડમાં ૩૦ને પ્રવેશ મળ્યો. હું પણ સ્પર્ધક હતો અને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. નિશા પણ ફાઈનલમાં આવી. ફાઈનલ રાઉન્ડ માટે મેં જ તૈયાર કરાવેલું આંખોમાં બેઠેલા ચાતક ગાવાનું એણે નક્કી કર્યું ત્યારે મને ચેતવવામાં આવ્યો કે નિશાને બીજું ગીત ગાવાનું કહો તો કદાચ તમારો નંબર લાગી જાય! પણ એ તો જાત સાથે છેતરપિંડી કરી કહેવાય. એ તો મારી બહેન સમાન એટલે મેં એને વધારે સારી રીતે તૈયાર કરાવ્યું અને નિશા પ્રથમ આવી હતી. શબ્દોને સમજી ભાવપૂર્વક ગાનારી એ કલાકાર છે. આ બહુ જ જરૂરી છે. શબ્દોને તોડી-મરડીને ગાવાથી ગીતનું કાવ્યત્વ જ ગુજરી જાય. કવિતા શું માગે છે એ તો જુઓ! ફિલ્મ સંગીતની જેમ ત્રણ મિનિટમાં ગીત પરફોર્મ કરવાની કલા હસ્તગત કરવાની જરૂર છે. આ ગીત તુષાર શુક્લે મને આપ્યું ત્યારે જ એવું ગમી ગયું કે આકાશવાણીથી પાછાં ઘરે જતાં બસમાં એનું મુખડું બની ગયું હતું. પછી તો આખું ગીત કરવાની એવી ચટપટી લાગી કે ઘરે પહોંચીને જમ્યા વિના સીધો હારમોનિયમ પર બેસી ગયો હતો.

આ ગીત સાથેની સ્મૃતિઓ સંકોરતાં ગીતનાં મૂળ ગાયિકા નિશા કાપડિયા કહે છે કે, "આ ગીત સાથે જ મારી મુંબઈમાં એન્ટ્રી થઈ. ૧૯૮૯માં કોપવૂડ સંગીત સંમેલન બહુ મોટા પાયે મુંબઈમાં યોજાયું હતું. હું ભૂજની અને ગીતના સંગીતકાર નયનેશભાઈ કલોલથી આવ્યા હતા.

સુગમ સંગીતના અન્ય ધૂરંધરોની સામે અમે તો સાવ નવાં કલાકારો એટલે કોઈનું બહુ ધ્યાન પણ ન જાય. સોલી પણ એ વખતે મુંબઈમાં પહેલી વાર પરફોર્મ કરવાના હતા. સૌના આશ્ચર્ય વચ્ચે આંખોમાં બેઠેલાં ચાતકને જે જબ્બર પ્રતિસાદ મળ્યો એ અમારે માટે ધન્ય ઘડી હતી. સુગમ સંગીતના આ સંમેલન પછી મારી અને સોલી બન્નેની સંગીતજગતમાં નોંધ લેવાઈ અને અમારી કારકિર્દી ઊંચકાઈ. દૂરદર્શન પર તો આ ગીતે પ્રથમ સ્થાન મેળવ્યું જ હતું. તમે માનશો? ગીતનો આલાપ તો સ્પર્ધામાં જતાં પહેલાં રિક્ષામાં તૈયાર કર્યો હતો. આમ, આ ગીતે મારી કારકિર્દી ઘડવામાં નક્કર પ્રદાન આપ્યું એમ ચોક્કસ કહી શકું."

આપણે સૌ નિશાની ઉજ્જ્વળ કારકિર્દીના સાક્ષી છીએ જ. ગુજરાતી ફિલ્મોમાં તો એમણે ગાયું જ છે પરંતુ જાવેદ અલી સાથેનું એમનું ગીત બિન તેરે સનમ … ખૂબ લોકપ્રિય થયું હતું અને ગત વર્ષે મરાઠી ફિલ્મ ’સવિતા દામોદર પરાંજપે’ના એક અત્યંત કર્ણપ્રિય ગીત માટે એમને એવોર્ડ પણ મળ્યો છે.

વરસાદી માહોલમાં આ ગીત સાંભળવા માટે થઈ જાઓ સજ્જ. ઈન્ટરનેટના માધ્યમથી સાંભળી જ શકશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ઑગસ્ટ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=654241

Loading

...102030...2,2122,2132,2142,215...2,2202,2302,240...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved