Opinion Magazine
Number of visits: 9573994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત અને અમેરિકાની પરિસ્થિતિની સરખામણીઃ ઘણુંબધું દાવ પર છે

શ્રવણ ગર્ગ|Opinion - Opinion|27 September 2020

હવે દોઢેક માસ પછી, બીજી નવેમ્બરે, ભારત સહિત આખી દુનિયાને પ્રભાવિત કરનારી અમેરિકી પ્રમુખની ચૂંટણીના પરિણામ આવશે. તેની પ્રતીક્ષા કરવાની આપણે પણ શરૂઆત કરી દેવી જોઈએ. સાથે એ વાતનું દુ:ખ થવું જોઈએ કે મીડિયાએ બહુ મહત્ત્વના સમયે લોકોનું ધ્યાન જાણીબૂઝીને બિનજરૂરી વિષયોમાં રોકી રાખ્યું છે. મહામારી વચ્ચે યુદ્ધની જેમ યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રવાહો સાથે આપણા ભવિષ્યને પણ સંબંધ છે.

ગયા વરસના સપ્ટેમ્બરની જ વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાત દિવસની અમેરિકા યાત્રા દરમિયાન હ્યુસ્ટનમાં ભવ્ય ’હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકાનાં લગભગ બધાં જ રાજ્યોમાંથી ઊમટેલી પચાસ હજારની ભીડથી અભિભૂત પ્રધાનમંત્રીએ અમેરિકામાં વસતા ભારતીય મૂળના અમેરિકીઓને દસ ભારતીય ભાષાઓમાં આશ્વસ્ત કરતા કહ્યું હતું કે તેમણે જરા ય ચિંતિત થવાની જરૂર નથી. ભારતમાં બધું સરસ ચાલી રહ્યું છે. “ઓલ ઈઝ વૅલ” (હવે દેશના એકસો ત્રીસ કરોડ નાગરિકો જ છાતી પર હાથ રાખીને ઑલ ઈઝ વૅલની અસલિયત બતાવી શકે છે.)

ભારતના વડાપ્રધાને હ્યુસ્ટન રેલીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં જે એક જબરદસ્ત વાત કરી હતી તે એ હતી કે, “અબકી બાર ટ્રમ્પ સરકાર” રેલીમાં ઉપસ્થિત લોકોએ મોદીના આ નારાને જોરદાર રીતે વધાવી લીધો હતો. મોદી અને ટ્રમ્પ બેમાંથી એકેયે એ સમયે જરા ય વિચાર્યું નહોતું કે વરસમાં જ બેઉ દેશોનું ચિત્ર બદલાઈ જશે. અમેરિકીઓની સાથે ભારતીય મૂળના નાગરિકો પણ એમના અત્યાર સુધીના સૌથી મોટા ધર્મસંકટમાં છે કે હવેની વખતે ટ્રમ્પ સરકાર હોવી જોઈએ કે નહીં.

એ કહેવાની જરૂર નથી કે ભારતીય મૂળના અમેરિકીઓનો મત અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને અસર કરે છે. એટલે ટ્રમ્પ અને તેમના હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન બંને ભારતીયોને રિઝવી રહ્યા છે. બાયડને તો ભારતીય મૂળની માતાની અશ્વેત દીકરી કમલા હેરિસનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે. આમ કરીને ટ્રમ્પથી નારાજ અશ્વેત નાગરિકો અને ભારતીય મૂળના લોકો એમ બેઉને પોતાના પક્ષે કરવાનો તેમનો ઉદ્દેશ છે. મુદ્દો એ છે કે આ વખતની અમેરિકાની ચૂંટણીમાં ઘણુંબધું દાવ પર છે. આ વખતે અમેરિકાની સ્થિતિ પણ ભારતના જેવી જ છે.

એને કેવળ સંજોગ જ માની શકાય કે ચૂંટણીના થોડા સમય પહેલાં જાહેર થયેલી વ્હાઈટ હાઉસની ટેપ્સમાં ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસન એકદમ ઝેરીલા અંદાજમાં એમ કહેતા સંભળાય છે કે ભારતીય મહિલાઓ દુનિયાની સૌથી અનાકર્ષક સ્ત્રીઓ છે. ભારતીય મહિલાઓની સેક્સસંબંધી ક્ષમતાઓ પર પણ તેમણે બેહૂદી ટિપ્પણી કરી છે.

ભારતનાં સપનાંનું અમેરિકા આ સમયે ભારે કઠણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જો કે આપણને તેની પૂરી જાણકારી મળી રહી નથી. અમેરિકામાં હવે માત્ર કોરોનાના વધતા સંક્રમણ કે મોતના આંકડા સુધી જ સંકટ સીમિત નથી. તેની સડકો પર મહિનાઓથી હિંસક ઘટનાઓ ઘટી રહી છે. સરકારની વિરુદ્ધ જબરદસ્ત આંદોલનો થઈ રહ્યાં છે. પોલીસ પર પક્ષપાતપૂર્ણ અને રંગભેદી હિંસા આચરવાના અરોપો થઈ રહ્યા છે. (આવું આપણે ત્યાં પણ થાય છે!) આરોપ તો એ પણ છે કે ગોરાકાળા વચ્ચેના ભેદભાવને સરકારનું સમર્થન છે.

અમેરિકી સમાજ આ વખતે બે ભાગમાં વહેંચાયેલો છે. ખરાબ આર્થિક સ્થિતિ અને બેરોજગારીની પણ મોટી સમસ્યા છે. આ ચૂંટણી એ નક્કી કરશે કે ચામડીના રંગના આધારે ચાલતો રંગભેદ અને લઘુમતી અશ્વેતોના સમાન અધિકારો અંગે અમેરિકી મતદારોનું શું વલણ છે. ટ્રમ્પની પાર્ટીને સવર્ણો(ગોરાઓ)નું સમર્થન ધરાવતી પાર્ટીના રૂપમાં રજૂ કરાય છે. કહેવાય છે કે ટ્રમ્પની સત્તાવાપસી અમેરિકામાં લોકતંત્રને ખતમ કરી દેશે. એવો પણ પ્રચાર ચાલી રહ્યો છે કે ટ્રમ્પ અમેરિકાને પુતિનના રશિયાની જેમ ચલાવવા માંગે છે. અને એ તો સતત કહેવાય છે કે ગઈ ચૂંટણી જેમ આ ચૂંટણીમાં પણ રશિયા હસ્તક્ષેપ કરશે.

અમેરિકાનાં ચૂંટણી પરિણામો દુનિયાના ભવિષ્યના વ્યાપારની દિશા, સૈન્ય સમજૂતીઓ, લડાઈઓ અને તેમાં થનારાં મોત, શાંતિ માટેના પ્રયાસો વગેરેને તો નક્કી કરશે જ. ઉપરાંત, જ્યાં કોઈ પણ પ્રકારની લોકશાહી છે તેવા દેશોને પણ અસર કરશે. ભારતમાં પણ આજે એ જ બધી સમસ્યાઓ છે જે અમેરિકામાં છે. અમેરિકામાં રંગભેદને લઈને જે આરોપ ટ્રમ્પ પર થાય છે, તે જ ભારતના સત્તાપક્ષ ભા.જ.પ. પર લઘુમતી મુસ્લિમો અંગેના તેના વલણ અંગે થાય છે. અમેરિકા જેવું વિભાજન અહીં પણ છે. ભારતમાં પણ સરકારની મૂળ તાકાત બહુમતી સમુદાય જ છે.

ભારતના કેટલાક નાગરિકો કમલા હેરિસનની ઉમેદવારીને લઈને ગર્વ અનુભવે છે, પણ ત્યાંના ચૂંટણી પરિણામોની ભારતના લોકતંત્ર પર પડનારી અસરોથી પૂર્ણપણે અજાણ છે. ટ્રમ્પ અગર જો એમ દાવો કરે છે કે મોદી તેમના બહુ જ સારા મિત્ર છે, તો અમેરિકી રાષ્ટ્રપતિ એ વાતની પણ પ્રતીક્ષામાં હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના ટેકામાં ભારતીયોને વોટ આપવા હ્યૂસ્ટન રેલીની જેમ ફરી કોઈ અપીલ કરી દેશે.

ઓપીનિયન પોલમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરતાં આગળ હોય એવું ચિત્ર છે. જો કે, તે કદાચ ભૂલભર્યું ને છેતરામણું પણ સાબિત થઈ શકે છે. કોઈ ચમત્કાર જ ટ્રમ્પને હરાવી શકે છે. કહેવાઈ તો એમ પણ રહ્યું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વધુમાં વધુ બે વખત જ ઉમેદવારી કરવાની જે બંધારણીય મર્યાદા છે તે જો ન હોય તો ટ્રમ્પ પણ પુતિનની જેમ આજીવન રાજ કરવા સક્ષમ છે. અમેરિકાની સડકો પર જેટલું વધુ લોહી રેડાશે એટલું ટ્રમ્પની સત્તાવાપસીની તરફેણ કરતા મતદારોનું સમર્થન વધશે!

શાહીનબાગનો અનુભવ આપણે યાદ કરવા જેવો છે કે કેવી રીતે ધરણા પર બેઠેલી મુસ્લિમ મહિલાઓ પ્રત્યે સમર્થન અને હમદર્દી રાખનારા મુસ્લિમ નેતાઓ પછીથી ભા.જ.પ.માં જોડાઈ ગયા. હવે એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે આ સમગ્ર વિરોધ સત્તાધારી ભા.જ.પ.-પ્રાયોજિત હતો. સરકારો પોતાની જનતાને ખરેખર જાગ્રત જોવા માગે છે, એવા ભ્રમમાં રહેવાની આપણે જરૂર નથી. સરકારોની કલ્પનાના લોકતંત્રના રક્ષણ માટે જનતાનું લાંબા સમય સુધી મૂર્ખ બનવું બેહદ જરૂરી છે. અને આ કામ તે એ જ તત્ત્વોની મદદથી કરી શકે છે જેમના માથે નાગરિકોને સાચી માહિતી આપવાની જવાબદારી છે.

અનુવાદઃ ચંદુ મહેરિયા

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 05-06

Loading

આ પણ ગુજરાત મૉડેલ છે … તે વિશે પણ આપણે વિચારવું જોઈએ

પ્રશાંત દયાળ|Samantar Gujarat - Samantar|27 September 2020

આપણા દેશમાં બીજા રાજ્યમાં રહેતા લોકો ગુજરાતની વાત કરે ત્યારે તેમના મનમાં ગુજરાતનું એક જુદું જ ચિત્ર છે. કદાચ તેઓ ક્યારે ય ગુજરાત આવ્યા નથી અને ગુજરાત આવ્યા છે, તો બે ચાર દિવસના પ્રવાસ તરીકે તેમણે જે ગુજરાતનો અનુભવ કર્યો છે તે સ્મરણને તેઓ આખું ગુજરાત માની લે છે. તે વાતનો સ્વીકાર કરવામાં જરા પણ સંકોચ નથી કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત અનેક મુદ્દે ઉત્તમ છે, પરંતુ ઉત્તમતાના વખાણની વચ્ચે આપણે આપણી મર્યાદાઓની અવગણના કરીએ અથવા નજરંદાજ કરીએ તે પણ વાજબી નથી.

આપણે અવારનવાર દેશના નેતાઓને પોતાના ભાષણમાં ગુજરાત મૉડેલનો ઉલ્લેખ કરતાં સાંભળ્યા છે. ભાષણનો સરળ અને સાદો અર્થ એવો છે કે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતનું ગૌરવ છે, પણ ગુજરાતની મર્યાદાઓને હું શાહમૃગની જેમ અવગણી શકું નહીં. કંગનાએ જ્યારે મુંબઈને પી.ઓ.કે. સાથે સરખાવ્યું ત્યારે સંજય રાઉતે અમદાવાદનો ઉલ્લેખ કર્યો અને આપણા ગુજરાતીઓનું કહેવાતું સ્વાભિમાન ઘવાયું. તેમણે સંજય રાઉતના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું. ગુજરાતમાં ખરેખર સુશાસન અને લોકો ભયરહિત જીવી રહ્યા છે તેવું આપણે માનીએ તો તે આપણો ભ્રમ છે.

ભયરહિત શાસન છે તેવું જે નેતાઓ અને પોલીસ અધિકારીઓ એવું માને છે તેમણે પોતાની છાતી પર હાથ મૂકીને પૂછવું જોઈએ કે આપણે દિવસમાં સાદો કૉલ કરવાને બદલે કોને કેટલી વખત વૉટ્સએપ કૉલ કર્યો દરેકના મનમાં એક છૂપો ભય પડેલો છે કે તેમના ફોન કોલ આંતરવામાં આવે છે.

થોડા મહિના પૂર્વે ગુજરાતના એક સિનિયર મંત્રીના દીકરાનું લગ્ન હતું, આ મંત્રી પોતે મંત્રી થયા ત્યાર પહેલાંના મારા જૂના મિત્ર છે. સ્વાભાવિક રીતે મંત્રીએ પોતાના દીકરાના લગ્નમાં હજારો લોકોને આમંત્રણ આપ્યું હતું. મારા મિત્ર હોવાને કારણે તેઓ મને પણ આમંત્રણ આપવા માગતા હતા, પરંતુ મને મંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યો કે સાહેબની વિનંતી છે કે તમને લગ્નમાં આમંત્રણ આપવામાં આવે તો પણ તમે લગ્નમાં હાજરી આપતા નહીં. કારણ કે તમારી હાજરી સાહેબની મુશ્કેલી વધારી નાખશે. આમ એક શાસકને પોતાની જ પાર્ટીના નેતાઓનો ડર લાગે. કારણ કે શાસક વિરુદ્ધ લખનાર પત્રકારને તેની પાર્ટી પસંદ કરતી નથી. તો આ પણ આપણું ગુજરાત મૉડેલ છે.

આવી જ સ્થિતિ શિક્ષણ અને આરોગ્યમાં પણ છે. સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓ બંધ થતી જાય અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની સંખ્યા વધતી જાય. આજે જે વાલીઓ પોતાના સંતાનની એક વર્ષની ફી ભરે છે, તેના કરતાં અડધી રકમમાં તેમનું સમગ્ર શિક્ષણ પૂરુ થઈ ગયું હતું. તેવી જ રીતે સરકારી હોસ્પિટલ જે સામાન્ય માણસ માટે જ છે પણ તે હોસ્પિટલમાં જતાં સામાન્ય માણસને ડર લાગે છે. જ્યાં જીવન મળવાનું છે ત્યાંથી મોત મળશે તેવી આશંકા આપણને થાય. છતાં તેને આપણે ગુજરાત મૉડેલ કહીએ છીએ.

ગુજરાતના નેતાઓ રસ્તા ઉપર કોરોનાકાળમાં પણ રાજકીય રેલી કાઢી શકે પણ બેરોજગાર વ્યક્તિ નોકરી માટે અને ખેડૂત પોતાના પાકવીમા માટે જો રસ્તા ઉપર ઊતરે તો તેમની 144 કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવે. આ પણ આપણું ગુજરાત મૉડેલ છે. આમ ઉત્તમમાંથી અતિઉત્તમ થવા માટે આપણે હજી ઘણું બધું કરવાનું બાકી છે, અને આપણી નબળાઈઓ તથા નિષ્ફળતાનો સ્વીકાર જ આપણને એક નવી સવાર તરફ લઈ જશે, પરંતુ આપણે બીજાં રાજ્યોની સરખામણીમાં ઉત્તમ છીએ તેવો સંતોષ લેવા લાગીશું, તો તે દાઉદ કરતાં લતીફ સારો છે તેવું કાંઈક કહેવા જેવું થશે.

e.mail : prashantdayal.26@gmail,com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 11

Loading

દલિતો અને બહુજનોએ સત્તાના ’લાઇફ-જેકેટ’ની ભૂમિકા નકારી દેવી જોઈએ

આર. રામ|Opinion - Opinion|27 September 2020

છેલ્લાં વર્ષોમાં ભારતમાં ઘણાં આંદોલનો થયાં. જેમ કે નિર્ભયા આંદોલન, ભ્રષ્ટાચારવિરોધી આંદોલન, જે.એન.યુ.નું ‘ન્યુ ઇન્ડિયા’ આંદોલન, ટોળાંની હિંસાનો મામલો, સાહિત્યકારો દ્વારા એવોર્ડ-વાપસી, સી.એ.એ. – એન.આર.સી. વિરોધ વગેરે. પરંતુ આ આંદોલનોમાં દલિતો જોડાયા નહીં, કારણ કે દલિત-પછાત વર્ગના કેટલાક બૌદ્ધિક ઠેકેદારોએ સમાજને આ ચળવળોથી દૂર રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે આ બધા ઉચ્ચ જાતિના ઉદારવાદીઓનાં મહોરાં છે અને આ આંદોલનોમાં જોડાવાથી દલિતોને કોઈ ફાયદો થશે નહીં. તેમની દલીલ હતી કે જ્યારે દલિતોને અન્યાય થાય છે ત્યારે આ કથિત ઉચ્ચ જાતિના ઉદારવાદીઓ તેમના સમર્થનમાં આગળ આવતાં નથી.

જો કે એ હકીકત છે કે હૈદરાબાદ યુનિવર્સિટીના હોનહાર દલિત યુવાન રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યાના વિરોધમાં અને બીજી એપ્રિલના ભારત બંધમાં ડાબેરીઓ અને ઉદારવાદીઓ જોડાયા હતા. દલિતો સાથે ખભેખભા મિલાવીને તેમણે 'જય ભીમ-લાલ સલામ'ના નારા લગાવ્યા, ત્યારે દલિત-પછાત સમાજના આ કહેવાતા બૌદ્ધિક ઠેકેદારોને પેટમાં દુખ્યું હતું. કારણ કે તે જાણી ગયા હતા કે આ રીતે કહેવાતા ઉચ્ચ સમાજના ઉદારવાદીઓ દલિતોનાં સમર્થનમાં આવતા રહેશે તો એક દિવસ તેમની બૌદ્ધિક ઠેકેદારી જોખમમાં મૂકાશે. આ વલણનો તાજેતરનો કિસ્સો સુપ્રીમ કૉર્ટના વરિષ્ઠ વકીલ તેમ જ માનવઅધિકાર તથા નાગરિક સમાજના અગ્રણી પ્રશાંત ભૂષણ સાથે સંબધિત છે. તેમને સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશોની ટ્વીટર પર ટીકા કરવા બદલ અદાલતની અવમાનનાના કેસમાં  દોષી ઠેરવવામાં આવ્યા. પ્રશાંત ભૂષણ સતત આ સરકારની વિરુદ્ધ, લોકશાહી સંસ્થાઓની અને ખાસ કરીને ન્યાયતંત્રની નબળાઈઓ સામે અવાજ ઉઠાવતા આવ્યા છે. પ્રશાંત ભૂષણે ભા.જ.પ.ના નેતાના પુત્રની મોંઘી મોટરબાઇક પર સવારી કરતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેની તસવીર પર સવાલ ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના આ જાહેર વર્તન બાબતે તેમણે ઉઠાવેલા સવાલ ચર્ચાનો વિષય બન્યા. પ્રશાંત ભૂષણ સામેનો કેસ તેમની વિરુદ્ધના ખુન્નસ અને  તેમને પાઠ શીખવવાના આશયનું પરિણામ છે.

ઑગસ્ટ ૧૪, ૨૦૨૦ન રોજ  સુપ્રીમ કૉર્ટની ત્રણ જ્જોની ખંડપીઠે ભૂષણને દોષી ઠેરવ્યા હતા અને તે પછી  સજા કરી. આ ચુકાદા વિરુદ્ધ દેશ અને દુનિયાના  હજારો ન્યાયવિદો અને લોકશાહી ચાહકોએ  અવાજ ઉઠાવ્યો અને ભૂષણના સમર્થન આવ્યા હતા. દેશનાં સામાન્ય લોકોમાં પણ આ મુદ્દે અસંતોષ અને નારાજગી જોવા મળી હતી..

આ તમામની વચ્ચે દલિત અને પછાત સમાજના ઠેકેદારો ફરી આગળ આવ્યા. તેમણે વર્ષ ૨૦૧૭માં દલિત ન્યાયાધીશ કર્ણનને અદાલતના અપમાનના કેસમાં થયેલી સજાની યાદ અપાવી અને દલિતોને પ્રશાંત ભૂષણના કેસથી દૂર રહેવાની શિખામણ આપી. તેના કારણમાં તેમણે જણાવ્યું કે જ્યારે ૨૦૧૭માં જસ્ટિસ કર્ણનની વિરુદ્ધમાં અદાલતના અપમાનની કાર્યવાહી કરવામાં આવી અને તેમને છ માસની સજા કરવામાં આવી ત્યારે પ્રશાંત ભૂષણે ટ્વીટ દ્વારા ખુશી વ્યક્ત કરી હતી.

એવું કહેવામાં આવ્યું કે દલિતોને પ્રશાંત ભૂષણ પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હોવી જોઈએ. કારણ કે તેમણે દલિત જજ કર્ણનના સજાના મામલામાં ખુશી વ્યક્ત કરી હતી. દલિત અને પછાત વર્ગના સ્વયંઘોષિત નેતાઓનું કહેવું હતું કે પ્રશાંત ભૂષણ કથિત ઉચ્ચ જ્ઞાતિના છે અને સત્તાના વાતાવરણમાં રહેતા શક્તિશાળી સમુદાયમાંથી આવે છે. ઠેકેદારોના મતે આ ઉચ્ચ જાતિઓનો અંદરોઅંદરનો મામલો છે, જેની સાથે દલિત અને પછાત વર્ગને કોઈ સંબધ ન હોવો જોઈએ.

આ સંદર્ભે પ્રથમ વાત એ છે કે અહીં પ્રશાંત ભૂષણના વ્યક્તિગત મૂલ્યોનો કે અપમાનનો પ્રશ્ર નથી. પરંતુ બંધારણના આત્માને બચાવવાનો અને ન્યાયતંત્રની સ્વતંત્રતાના રક્ષણનો પ્રશ્ર છે. લોકશાહીમાં આમ આદમી જ પ્રહરીની મુખ્ય ભૂમિકામાં હોય છે અને જો ન્યાયતંત્રની નિષ્પક્ષતા પૂર્ણપણે સમાપ્ત થાય તો તેનો સીધો પ્રભાવ દલિતો-વંચિતો અને ગરીબો પર જ પડશે. આ વર્ગોને જે  થોડાઘણા ન્યાયની આશા હોય તે અદાલતો પાસેથી જ રહે છે.

એક પરિપક્વ લોકશાહી અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એ કોઈ કોરી કલ્પના નથી. બલકે તેને રોજબરોજના રોજિંદા સંઘર્ષ દ્વારા તેને પ્રાપ્ત કરવાની, બચાવવાની અને મજબૂત કરવાની હોય છે. આ સંઘર્ષમાં વંચિત વર્ગો અને દલિત-પછાતો મોખરે રહેવા જોઈએ. બહાનાં કાઢીને તેનાંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરવો ન જોઈએ અને સત્તાધીશોને મોકળું મેદાન આપતા રહીને પાછલા બારણેથી – આડકતરી રીતે સત્તાધીશોને લાભ પહોંચાડવાથી બચવું જોઈએ.

હવે જસ્ટિસ કર્ણનના મામલાને સમજવાની કોશિશ કરીએ. વર્ષ ૨૦૦૯માં જસ્ટિસ કર્ણનની મદ્રાસ હાઈકૉર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી. તે સમયે કે.જી. બાલકૃષ્ણન્‌ સર્વોચ્ચ અદાલતના પહેલા દલિત મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી જસ્ટિસ કર્ણન અસ્થાયી અને વર્ષ ૨૦૧૧માં કાયમી જજ બન્યા હતા. ત્યાર બાદ કર્ણને ન્યાયતંત્રમાં જાતિગત ભેદભાવનાં પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે એક પત્રકાર પરિષદ બોલાવી અને તેમના જ સાથી ન્યાયાધીશો પર જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો, પરંતું આ માટે તેમણે ન્યાયતંત્રને મળેલા અધિકારોનો ઉપયોગ ન કર્યો. મદ્રાસ હાઈકૉર્ટમાં ન્યાયાધીશ હતા તે દરમિયાન જસ્ટિસ કર્ણને ઘણીબધી વખત પોતાની સાથે આચરાતા જાતિગત ભેદભાવનો સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ દરેક વખતે તેઓ ન્યાયપાલિકાના સિદ્ધાંતો અને પોતાના જજ હોવાના ગૌરવને બાજુ પર હડસેલીને ઊડઝૂડ વર્તન કરતા રહ્યા. વર્ષ ૨૦૧૫માં જજોની નિયુક્તિ સંબંધી એક કેસની સુનાવણી દરમિયાન તે અદાલતમાં પહોંચી ગયા અને પોતાને  પક્ષકાર બનાવવાની  માંગ  કરવા માંડ્યા.

મદ્રાસ હાઈકૉર્ટના ૨૧ ન્યાયાધીશોએ સુપ્રીમ કૉર્ટમાં કર્ણન વિરુદ્વ ફરિયાદ કરી હતી. વિવાદોને કારણે વર્ષ ૨૦૧૬માં તેમની કોલકાતા હાઇકૉર્ટમાં બદલી કરવામાં આવી. પરંતુ તેમણે પોતે જ તેમની બદલી પર સ્ટે ઑડર મૂકી દીધો હતો. આ બાબતે જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કર્ણનને નોટિસ મોકલી ત્યારે તેમણે તેમના વર્તન બદલ માફી માંગી અને સ્વીકાર્યું કે તેમનું માનસિક સતુંલન ઠીક નથી. તે પછી તેમણે કોલકાતા હાઇકોર્ટમાં ચાર્જ સંભાળી લીધો. પરંતુ ત્યાં પણ તેમણે ૨૦ જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, જેથી તેમની સામે અદાલતી અવમાનની કાર્યવાહી કરવામાં આવી.

કર્ણનને સજા કરવાનો બદલે અને તેમની સામે મહાભિયોગ(ઇમ્પીચમેન્ટ)ની કાર્યવાહી કરવાને બદલે, તેમને સીધા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની બાબત આજે ય ચર્ચાસ્પદ છે. શક્ય છે કે  તેમના વિશેષાધિકારનો ભંગ કરવામાં આવ્યો હોય. પરંતુ તેમના કિસ્સામાં તે દલિત હોવા કરતાં તેમની વર્તણૂકની ભૂમિકા વિશેષ હતી. તેમના આરોપો, એક તરફી નિર્ણયો અને ન્યાયિક પ્રક્રિયાઓના અવમાનનો એ મામલો છે. એક વકીલ તરીકે કે ન્યાયાધીશનો કાર્યકાળ અને છ મહિનાની સજા પૂરી થયા બાદ જાતિવાદ સામે કે દલિત મુદ્દાઓ પર કર્ણન તરફથી કશું સાંભળવા મળ્યું નથી. આ દરમિયાન  કે પછી પણ તેઓ કોઈ આંદોલન કે જાહેર ચર્ચાઓમાં જોવા મળ્યા નથી..

આ વિવરણ વાંચીને કોઈને પણ લાગશે કે લેખકે એક તરફી જ માહિતી આપી છે અને જસ્ટિસ  કર્ણનના પક્ષને સમજવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. એ ચોક્કસ શકય છે કે જસ્ટિસ કર્ણને જે સવાલો ઉઠાવ્યાં હતા તે તમામ સાચા પણ હોય. કર્ણનથી પહેલાં પણ ન્યાયતંત્રમાં જાતિવાદ અને ભ્રષ્ટાચારનો પ્રશ્નો ઉઠતો રહ્યો છે. પરંતુ કર્ણને આ પ્રશ્ન માટે જે રીત અપનાવી હતી તેનાં કારણે બધી ચર્ચા ભ્રષ્ટાચાર અને ન્યાયતંત્રમાં જાતિ ભેદભાવથી ફંટાઈને કર્ણનનાં વ્યવહાર, તેમના અસંગત નિર્ણયો અને પ્રક્રિયા પર કેન્દ્રિત થઈ ગઈ. પોતાના વ્યવહાર થકી કર્ણને જ મુખ્ય મુદ્દા બાજુ પર ધકેલી દીધા અને તેમની વ્યક્તિગત ચર્ચા જ કેન્દ્રમાં રહી. આ રીતે તેમણે ન્યાયતંત્રમાં જાતિગત ભેદભાવના મુદ્દાને પણ નુકસાન કર્યું હતું. જો કર્ણનને મદ્રાસ હાઈકૉર્ટમાં જાતિવાદનો સામનો કરવાનો આવ્યો હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું અને લોકો સમક્ષ તેમનો પ્રશ્ન મૂકી, લોકોને જાગ્રત કરી લોકસમર્થન મેળવવું જોઈતું હતું. તેને બદલે તે જજની ખુરશીને ચીટકી પણ રહ્યા અને વિચિત્ર વર્તન કરીને એક ગંભીર મુદ્દાને મજાકરૂપ બનાવી મૂક્યો.

અહીં પાયાનો સવાલ એ પણ ઊભો થાય છે કે દલિતોના મુદ્દાઓને રજૂ કરવાનો અધિકાર કોને છે? શું ચૂંટણી પહેલાં રામદાસ આઠવલે કે ચિરાગ પાસવાનની ભીતર રહેલો દલિત જાગી ઊઠે અને તેઓ કહેવા માંડે કે તેમની સાથે જાતિઆધારિત ભેદભાવ થઈ રહ્યો છે. તો શું દલિતોએ ઊંધું ઘાલીને તેમની વાત માની લેવી જોઈએ? 

ભારતમાં જાતિવાદ એ કોઈ સામાન્ય સમસ્યા નથી. આ આપણા સમાજનો મૂળભૂત આંતરિક વિરોધાભાસ છે. તેનો ઉપાય બધાએ શોધવાનો છે. કર્ણન જેવા લોકો તેમની રીતભાતને કારણે જાતિવાદ સામેના સંધર્ષને નબળો પાડવાનું કામ કરે છે. વંચિત વર્ગોમાં જાતિના નામે દરેક ખોટી વ્યક્તિને ટેકો આપવાનો અને દરેક બીજી જાતિની વ્યક્તિનો આંધળો વિરોધ કરવાનું વલણ અંત્યત ઘાતક છે,  જે જાતિવાદ સામેની લડતને નબળી પાડે છે.

પ્રશાંત ભૂષણ પરનો અદાલતી અવમાનનો મુદ્દો અભિવ્યક્તિની આઝાદી પર અંકુશનો તો છે જ, પરંતુ તે મૂળભૂત રીતે તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઊભો કરે છે. દેશની લોકશાહીમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિએ પ્રશાંત ભૂષણના સમર્થનમાં ઊભા રહેવું જોઈએ. દલિત-બહુજનનોએ જાતિના નામ પર સત્તાપક્ષના આડકતરા સમર્થક — લાઇફ જેકેટ — બનવાનો જોરદાર ઈન્કાર કરી દેવો જોઈએ.

[સૌજન્ય – ‘જનચૌક’, અનુવાદ : દીપ્તિકા ડોડીઆ]

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 21 સપ્ટેમ્બર 2020; પૃ. 12-14

Loading

...102030...2,1622,1632,1642,165...2,1702,1802,190...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved