Opinion Magazine
Number of visits: 9680529
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અદાલત ગુનેગાર પાસે સમય માગે એવો તો આ પહેલો દાખલો હતો

રમેશ ઓઝા|Opinion - Opinion|13 December 2020

૧૮ મી એપ્રિલ, ૧૯૧૭. ગાંધીજીને ચંપારણમાં મોતીહારીની અદાલતમાં બપોરે બાર વાગ્યે હાજર થવાનું હતું. જેલ જવાની તૈયારી તો તેમણે બે દિવસ પહેલાં ૧૫મી એપ્રિલે હજુ તેઓ મુઝફ્ફ્રપુર હતા ત્યારે જ કરી લીધી હતી. જ્યારે તેમણે જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી અલગ કરી ત્યારે જ તેમણે તેમના બિહારના નેતાઓને પૂછ્યું હતું કે, “જો મને જેલમાં મોકલવામાં આવે તો તમે શું કરશો?” કેટલાક નેતાઓ ચૂપ રહ્યા. એક નેતાએ કહ્યું કે તેઓ પોતાના સ્થાને પાછા ફરશે અને વકીલાત કરશે. માત્ર બાબુ ધરણીધરે કહ્યું કે આપ જેલ જશો એ પછી હું ત્યાં સુધી લોકોની વચ્ચે કામ કરતો રહીશ, જ્યાં સુધી મને ધારા ૧૪૪ હેઠળ નોટિસ આપવામાં નહીં આવે. “અને નોટિસ મળશે પછી?” ગાંધીજીના આ પ્રશ્નના જવાબમાં ધરણીધર બાબુએ કહ્યું કે ત્યારે તેઓ તેમની જગ્યાએ કોઈને આ કામ જારી રાખવા માટે ગોઠવીને આદેશ મુજબ ચંપારણ છોડીને જતા રહેશે. કમ સે કમ થોડો સમય સુધી જે કામ હાથ ધર્યું છે એ ચાલુ રહેશે. ગાંધીજીએ તેમની વાત સાંભળી લીધી પણ કોઈ પ્રતિક્રિયા આપી નહીં.

સમયસર અદાલત જવા માટે ગાંધીજી નીકળ્યા ત્યારે બાબુ ધરણીધર અને બાબુ રામનવમી પ્રસાદ ગાંધીજીની સાથે હતા. તેમણે રસ્તામાં ગાંધીજીને કહ્યું કે બીજા શું કરશે એની તો અમને ખબર નથી, પણ અમે બે જણે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી અમને જેલ મોકલવામાં નહીં આવે ત્યાં સુધી અમે કામ ચાલુ રાખીશું અને ચંપારણ છોડીને નહીં જઈએ. આ અમારો સંકલ્પ છે. ગાંધીજીએ સાંભળીને ઉત્સાહપૂર્વક હિન્દીમાં કહ્યું: “બસ અબ કામ બન ગયા.” ગાંધીજીને ખાતરી હતી કે બેના વીસ અને વીસના બસો થવાના છે. જેમ ભયનું સંક્રમણ થાય છે એમ નિર્ભયતાનું પણ થતું હોય છે. તેમનામાં નિર્ભયતાને સંક્રમિત કરવાની ક્ષમતા હતી.

તેઓ જ્યારે અદાલત પહોંચ્યા ત્યારે અદાલતનું વિશાળ પ્રાંગણ લોકોથી છલોછલ ભરેલું હતું. આટલા ટૂંકા ગાળામાં લોકોને કઈ રીતે જાણ થઈ એનું આશ્ચર્ય હતું. લોકો દર્શન કરવા માટે પડાપડી કરતા હતા અને એમાં સરકારી કર્મચારીઓ અને પોલીસકર્મી પણ હતા. અલબત્ત, તેઓ દૂરથી પ્રણામ કરતા હતા. આ બાજુ સરકારી વકીલો કાયદાના મોટા થોથા લઈને આવ્યા હતા. તેમને એમ કે આ માણસ પોતે બેરિસ્ટર છે એટલે પોતાના બચાવમાં કાયદાઓ ટાંકીને દલીલોનો મારો ચલાવશે એટલે વળતી દલીલ કરવા કાયદાનાં પુસ્તકોમાંથી કાયદાઓ અને ચુકાદાઓ ટાંકવા જરૂરી બનશે. પણ ગાંધીજી જ્યારે અદાલતમાં પ્રવેશ્યા ત્યારે તેમના હાથમાં કોઈ કાયદાનું પુસ્તક નહોતું. જેલમાં લઈ જવા માટેના સામાનની થેલી હતી.

પહેલાં ગાંધીજી સામેનું આરોપનામું સંભળાવવામાં આવ્યું. એ પછી સરકારી વકીલ કાંઈ કહે એ પહેલાં ગાંધીજીએ કહ્યું કે તેઓ અદાલત સમક્ષ ટૂંકું નિવેદન કરવા માગે છે. જજસાહેબે જ્યારે મંજૂરી આપી ત્યારે ગાંધીજીએ કહ્યું: “ભારતીય દંડસંહિતાની ધારા ૧૪૪નું ઉલ્લંઘન કરીને મેં કોઈ મોટો ગુનો કર્યો છે, એવી સરકાર તરફ્થી રજૂઆત કરવામાં આવી છે. વાસ્તવમાં સરકારનું આ ખોટું અનુમાન છે, પરંતુ બને કે શાસકોને આવી કોઈ માહિતી મળી હોય. હું અહીં સત્ય જાણવા આવ્યો છું. ગળીનું વાવેતર કરતા ગરીબ ખેડૂતોને ન્યાય મળે એમ શાસકો ઈચ્છતા હોય તો હું એમાં મદદરૂપ થવા આવ્યો છું. મારો ઉત્પાત મચાવવાનો ઈરાદો નથી. ઈરાદો સત્યશોધનનો છે અને એ મારો અધિકાર છે અને માટે હું આદેશનું પાલન કરી શકું એમ નહોતો અને અત્યારે પણ હું આદેશનું પાલન કરવાનો નથી. હું અદાલતને કહેવા માગું છું કે હું સ્વેચ્છાએ ચંપારણ છોડીને જવાનો નથી. મને પકડીને ચંપારણની બહાર મોકલી આપવામાં આવશે તો હું પાછો આવીશ. કોઈ પણ આત્મસન્માન ધરાવનાર વ્યક્તિ આ જ માર્ગ અપનાવે.

માટે હું પ્રતિવાદ કે દલીલો કરીને અદાલતનો સમય વેડફ્વા માગતો નથી. મેં જે કર્યું છે એ ગુનો હોય તો અદાલત મને સજા કરે જે હું સ્વીકારી લઇશ. હું બચાવ કરવાનો નથી. સજાથી બચવા કોઈ પ્રયાસ કરવાનો નથી. સજાનું પ્રમાણ ઘટાડવામાં આવે એવી માગણી પણ હું કરવાનો નથી. દંડ ભરવા માટે મારી પાસે પૈસા નથી અને ભરવાનો પણ નથી. અદાલત મને સજા કરી શકે છે.”

હવે? લગભગ પંદર મિનિટમાં મુકદ્દમો પૂરો. જજે અને સરકારી વકીલોએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવી રીતે કોઈ આરોપી આરોપ કબૂલ કરીને સામે ચાલીને સજાની માગણી કરે, એટલું જ નહીં એ ગુનો હું ફરી ફરી કરીશ એમ પણ કહે. જજ વિચારમાં પડી ગયા, હવે કરવું શું? જજે અત્યંત નમ્રતાપૂર્વક ગાંધીજીને કહ્યું, કહ્યું નહીં પૂછ્યું, કે ચુકાદો હું બપોર પછી ત્રણ વાગ્યે આપું તો ચાલે? બપોર પછી અદાલત પાછી મળી ત્યારે જજે કહ્યું કે તેઓ ૨૧મી તારીખે ચુકાદો આપશે અને ત્યાં સુધી આરોપી સો રૂપિયાની જમાનત ભરી દે. ગાંધીજીએ કહ્યું કે મારી પાસે કોઈ જમાનતદાર નથી અને હું જમાનતની રકમ ભરવાનો પણ નથી.

ફરી એકવાર મુશ્કેલી. ગુનેગાર આદાલત પાસે સમય માગે એવી તો અનેક ઘટના જોઈ હશે, પણ અદાલત ગુનેગાર પાસે સમય માગે એવો તો આ પહેલો દાખલો હતો. સમય એટલા માટે માગવો પડયો હતો કે જજ શું કરવું એનો નિર્ણય લઈ શકતા નહોતા અને બીજી બાજુએ આરોપીએ ગુનો કબૂલ કરીને ગુનો વારંવાર કરતા રહેવાનું કહી દીધું હતું. કાયદા મુજબ ગુનેગારને ફરી ગુનો કરવા માટે અદાલત મોકળાશ આપી શકે નહીં અને જજસાહેબ સજા કરી શકે એમ નહોતા. ગાંધીજીએ જજની મૂંઝવણનો ઉકેલ કાઢતા કહ્યું કે તેઓ ૨૧મી તારીખ સુધી ચંપારણનાં ગામડાંઓનો પ્રવાસ નહીં કરે.

૨૧મી એપ્રિલે અદાલત શું ફેંસલો કરે એનું કોઈ મહત્ત્વ જ રહ્યું નહોતું. ગાંધીજીનો વિજય થઈ ચૂક્યો હતો. બ્રિટિશ તાજના ગુનેગારે કહ્યું હતું કે હું જે કરું છું એ ગુનો હોય તો એ ગુનો હું વારંવાર કરવાનો છું, પણ અદાલત કોઈ કારણે તાત્કાલિક સજા કરી શકે એમ ન હોય તો ગુડવિલના ભાગરૂપે હું બે દિવસ ગુનો નહીં કરીને ન્યાયતંત્રને મદદ કરીશ. આ અભૂતપૂર્વ ઘટના હતી. આખો દેશ આશ્ચર્યચક્તિ થઈને ગાંધીજીથી અંજાઈ ગયો હતો. લડતનું આવું પણ સ્વરૂપ હોય એવું કોઈએ વિચાર્યું નહોતું. બે દિવસમાં ગાંધીજી ઉપર દેશભરમાંથી અભિનંદનનો વરસાદ વરસ્યો. ૨૧મી તારીખે અદાલતે પણ ગાંધીજીને નિર્દોષ છોડી મૂક્યા. ધારા ૧૪૪ પાછી ખેંચવામાં આવી અને ગાંધીજીને મદદ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

ચંપારણનો સત્યાગ્રહ અન્ય સત્યાગ્રહોની માફ્ક જમીન ઉપર સંઘર્ષ કરીને લડવામાં આવેલો સત્યાગ્રહ નહોતો. એ ખરું જોતા અદાલતમાં પણ લડવામાં આવ્યો નહોતો. એ એક અઠવાડિયું પણ નહોતો ચાલ્યો. આમ છતાં ય એ વિલક્ષણ સત્યાગ્રહ હતો. એ વિલક્ષણતા એ હતી કે આંખમાં આંખ પરોવીને નિર્ભયતાપૂર્વક બોલો અને તેની કિંમત ચૂકવવા તૈયાર હોવ તો અડધી લડાઈ તો લડયા વિના જ જીતી શકાય છે. એ વિલક્ષણતા જોઇને ભારતના નેતાઓ અને પ્રજા અંજાઈ ગયાં હતાં. રાજેન્દ્રબાબુએ કહ્યું છે એમ ભારતના ઇતિહાસમાં આવું પહેલી વાર જોવા મળ્યું હતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 ડિસેમ્બર 2020

Loading

‘ડૅલ્લી ક્રાઇમ’ને ઇન્ટરનેશનલ ઍમી અવૉર્ડ : ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’ ફરી એકવાર ચર્ચામાં

રૂપાલી બર્ક|Opinion - Opinion|12 December 2020

૨૩ નવેમ્બર, ૨૦૨૦ના દિવસે ઓ.ટી.ટી. (ઓવર ધ ટોપ) પ્લૅટફોર્મ નૅટફ્લિ્ક્સ ઇન્ડિયા પર પ્રસારિત થયેલી વાસ્તવિક ઘટના પર આધારિત વૅબ સિરીઝ ‘ડૅલ્લી ક્રાઇમ’ને બૅસ્ટ ડ્રામા સિરીઝ તરીકે પ્રતિષ્ઠિત ૪૮મો ઇન્ટરનેશનલ ઍમી અવૉર્ડ એનાયત થયો. પ્રથમ વખત એક ભારતીય શોને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ થઈ હરખની વાત. આ પ્રસંગે ભારતમાં ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’(વિષમય પુરુષત્વ)ની ચર્ચાએ વેગ પક્ડયો. વિમેન્સ સ્ટડીઝ અને જેન્ડર સ્ટડીઝના અભ્યાસક્રમોમાં વર્ગખંડ પુરતા સીમિત ખ્યાલે વાસ્તવિક જીવન સાથે તાલમેલ સાધ્યો. આપણે ત્યાં આ વિષય ઝાઝો ચર્ચાતો નથી. દૈનિકો અને અન્ય અનેક માધ્યમોમાં ‘ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી’નો પુરતો જથ્થો પિરસતી દર્શાવતી નૅટફ્લિ્ક્સની જ વૅબ સિરીઝ ‘પાતાલ લોક’ની ખૂબ બોલબાલા રહી એટલી બોલબાલા ‘ડૅલ્લી ક્રાઇમ’ને ઍમી અવૉર્ડ મળ્યા છતાં નથી થઈ. એનું કારણ પુરુષપ્રધાન સમાજ અથવા જેને અંગ્રેજીમાં ‘the power of patriarchy’ કહે છે — પુરુષપ્રધાન સમાજની સત્તા. એ સત્તા ટકાવી રાખવામાં જે મદદ કરે એની વાહવાહ ને જે જોખમ ઊભું કરે અથવા બદનામી કરે એને યેનકેન પ્રકારે ઢાંકવા/દબાવી દેવાનો પ્રયત્ન કરવો. ગુનાહિત પુરુષ/પુરુષોને કે સ્ત્રી/સ્ત્રીઓને છાવરવાનાં જ ના હોય. સ્ત્રીએ હિંમત અને હોંશિયારીથી કાર્ય સફળતાપૂર્વક કર્યું હોય તો એને મુક્ત મને શાબાશી આપવાની જ હોય. એમ, સકારાત્મક પુરુષત્વ આવકાર્ય છે. બધા પુરુષો ખરાબ નથી જ હોતા. વાંધો નકારાત્મક પુરુષત્વ સામે છે એ પણ એટલો જ અગત્યનો મુદ્દો છે.

‘ડૅલ્લી ક્રાઇમ’ નિર્ભયાકાંડ* (અહેવાલોમાં સતત આ જ નામથી ઘટનાનો ઉલ્લેખ થવાથી લોકોની સ્મૃતિમાં આ જ નામ અંકાયેલું છે માટે લેખમાં વાપરવામાં આવ્યું છે.) તરીકે કુખ્યાત, અત્યંત પાશવી અને શરમજનક સામૂહિક બળાત્કાર પર બનેલી વૅબ સિરીઝ છે. હાલમાં, ખાસ કરીને લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો ત્યારથી ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મોનું ચલણ ખૂબ વધી ગયું છે. હાઇ સ્પીડ ઇન્ટરનૅટ કનૅકશન દ્વારા આ માધ્યમ ફિલ્મ અને ટેલીવિઝનની સામગ્રી દર્શાવે છે. આ માટે કૅબલ કે સૅટૅલાઇટ કનૅકશનની આવશ્યકતા હોતી નથી.

ભારતના પ્રસારણના કાયદાના દાયરાની બહાર હોવાના કારણે આ પ્લૅટફોર્મો પર બેશુમાર હિંસા, અભદ્ર ભાષા અને સૅક્સ દર્શાવતી વૅબ સિરીઝની, ખાસ કરીને મોબાઇલ પર સહેલાઈથી આવી સામગ્રીનો ઉપભોગ કરી શકતાં યુવાનો પર થતી ચિંતાજનક અસરની ખૂબ ટીકા થયેલી છે. તાજેતરમાં જ ઓ.ટી.ટી પ્લૅટફોર્મો પર દર્શાવાતી ભારતીય વૅબ સિરીઝને ભારતના પ્રસારણ કાયદાના દાયરામાં આવરી લેવામાં આવી છે એ આવકારદાયક છે. જો કે, આથી આવી સામગ્રી પર સાવ જ રોકટોક લાગી શકવાની નથી એ સર્વસામાન્ય જ્ઞાનની બાબત છે.

વિશ્વભરમાં સમાજને ખોખલો કરી નાખતી અસંખ્ય બદીઓ ને દૂષણો હોય છે. સ્થળ-કાળ સાથે એ બદલાતાં-વિકસતાં રહે છે. અહીં વૅબ સિરીઝનો રિવ્યુ લખવાનો નહીં પરંતુ દેશમાં એક પછી એક બનતી આવી ઘટનાઓ, હાથરસકાંડ ને આવી કંઇક કેટલી ય ઘટનાઓના મૂળમાં રહેલા વિષામય પુરુષત્વ વિશે ધ્યાન દોરવાનો હેતુ છે.  ‘ડૅલ્લી ક્રાઇમ’ લૉકડાઉન દરમ્યાન જોયેલી. દેશની અને વિશ્વભરની મહિલાઓની જેમ હું પણ નિર્ભયાકાંડથી જડમૂળથી હચમચી ગયેલી. આ તો અત્યારે ચર્ચામાં આવે છે પરંતુ મેં ત્યારે જ નોંધેલું કે સામૂહિક બળાત્કાર જેવી ઘટના હોવા છતાં જાતિય હિંસા કે સૅક્સનો સમ ખાવાનો એક પણ સીન નહીં. તે વખતે ઓ.ટી.ટી. પરની સામગ્રી પર સૅન્સરશીપ નહોતી તેમ છતાં. એને બદલે કેસને કેવી રીતે ત્વરા અને ખંતથી માનવીય દૃષ્ટિકોણ રાખીને મહિલા પોલીસ ઑફિસરના વડપણ હેઠળ ઉકેલવામાં આવ્યો એ બાબત સતત કેન્દ્રમાં છે. આ બાબત બિરદાવવા લાયક છે અને એનું સંપૂર્ણ શ્રેય એનાં ખૂબ સંવેદનશીલ લેખક-દિગ્દર્શક રિચી મહેતાને આપવો પડે જે એમની સુજ્ઞતા માટે જાણીતા છે. લેખક-દિગ્દર્શકની કાળજીપૂર્વકની માવજત એકેએક સીનમાં દેખાઈ આવે છે. જાગૃત સૌ દર્શકો સહકુટુંબ (પુખ્ત વયના દીકરા-દીકરીઓ માટે સાંપ્રત સમયના સમાજ શિક્ષણનો એક સ્રોત બને એમ છે.) જોઈ શકાય એવી આ વૅબ સિરીઝ છે.

પિતૃસત્તા, જાતિય સતામણી, ઘરેલુ હિંસા જેવા વિષયો પર ક્યારેક વ્યાખ્યાન કે લેખ અપાય/લખાય છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે ૮ ડિસેમ્બરના ‘દિવ્ય ભાસ્કર’ની ‘મધુરિમા’ પૂર્તિની કવર સ્ટોરીમાં એષા દાદાવાળા અને મેઘા જોશીના લેખ પ્રકાશિત થયા છે, જેનાથી મારી ચર્ચાને વિશ્વસનીય બનાવવામાં મદદ મળી છે. પોતાના લેખના સમાપનમાં એષા દાદાવાળા લખે છે, “તમે આ ત્રણેય ઘટના તમારા દીકરાને વંચાવજો. એને સમજાવજો કે હજારો લોકો વચ્ચે તારી પ્રેમિકાને કે પત્નીને ડાયમંડની રીંગ નહીં પહેરાવી શકે તો કંઈ નહીં પણ હજારો લોકો વચ્ચે એનું અપમાન કરવાનો અધિકાર તને નથી જ. એને એવું પણ સમજાવજો કે સ્ત્રીદાક્ષિણ્ય એ એના શિક્ષિત અને સંસ્કારી હોવાનો પુરાવો છે. દીકરીને સ્ત્રીસંસ્કાર શીખવતાં તમામ માબાપે હવે ફરજિયાતપણે દીકરાને સ્ત્રીદાક્ષિણ્યના પાઠ પણ ભણાવવા જ પડશે.” લેખ લખાવાનો ચાલુ જ છે ત્યાં આજે ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં કાળજુ કંપાવી નાખે એવી ઘૃણાસ્પદ ઘટનાનો અહેવાલ છે. સુરતમાં ૧૦ વર્ષની બાળકીએ બૂમ પાડીને, પુરુષના હાથ પર બચકું ભરીને ૨૪ વર્ષના પુરુષનો બળાત્કારનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો તો પુરુષે ઈંટથી બાળકીને માથા પર ગંભીર ઈજા પહોંચાડી જેથી બાળકીનું મૃત્યુ થયું. હત્યા બાદ પુરુષે એના મિત્ર સાથે દારૂ પીધો. વિષમય પુરુષત્વનું આનાથી વરવું ઉદાહરણ કયું હોઈ શકે? બાળકીના કુટુંબીજનોએ પોલીસને માહિતી આપી કે સ્કૂલમાં પોલીસ અને એક સ્વયંસેવી સંસ્થાના સહિયારા આયોજન મારફતે શિખવાડ્યું હોવાથી બાળકીને પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબરો મોઢે હતા અને ‘સારા’ અને ‘ખરાબ’ સ્પર્શ વિશે પણ એને ખ્યાલ હતો.

ક્યાં સુધી શાહમૃગવૃતિ રાખીને આ સળગતા પ્રશ્નને અવગણ્યા કરીશું? સામાન્ય રીતે આપણા જેવા રૂઢિચુસ્ત સમાજોમાં આવી ચર્ચાને નજરઅંદાજ કરવામાં અથવા દબાવી દેવામાં અથવા વખોડી કાઢવામાં આવતી હોય છે. “આવી બધી નકામી વાતો પશ્ચિમમાં બહુ ચાલે છે, એમના ત્યાં બધું બે-લગામ ચાલતું હોય એટલે એમને સમસ્યાઓ ઘણી હોય. આપણે ત્યાં આવું નથી” અથવા “આ બધું ભૂસું મગજમાંથી કાઢી નાખો. આમ સુખી નહીં થવાય” આવાં વાક્યો સંભળાતાં હોય છે. હકીકતે, આમ, સત્યને સ્વીકારવાની તૈયારી ના રાખવી અથવા સત્યનો સ્વીકાર હોય પણ કબૂલવામાં પેટમાં ચૂંક આવતી હોય છે. આવું એટલા માટે કે પુરુષપ્રધાન સમાજમાં પુરુષની પ્રતિષ્ઠા જોખમાય ને, ખરાબ દેખાય. આવી ટૂંકી દૃષ્ટિ આપણા સૌ માટે નુકશાનકારક છે. તંદુરસ્ત સમાજ માટે સારા-નરસા બધાંને સ્વીકારી ને જરૂરી હોય તે પગલાં લેવાવાં જ જોઈએ. રોજબરોજની ઘટનાઓના અહેવાલોના સંદર્ભમાં, આ બાબતની તંદુરસ્ત અને નિષ્પક્ષ ચર્ચા ખૂબ ઈચ્છનીય છે. આ વિષયો પર સ્ત્રીઓના જેટલા લેખ વાંચવા મળે છે એટલા પુરુષો દ્વારા લખેલા મળતા નથી એ હકીકત છે.

આ સંદર્ભે મેઘા જોશીનો લેખ ખૂબ પ્રસ્તુત છે. એમનાં મુજબ, “આમ તો, ૨૦૨૦નો અંત હોય કે એક દસકા બાદ ૨૦૩૦ના અંત સમયે આ વિચાર કરવાનો આવે તો રોજ અનેક મોરચે લડતી સ્ત્રીને સૌથી પહેલી ઈચ્છા બળાત્કાર અને જાતિય સતામણીના અંતની થાય. દરેક પરિવારને જુવાન થતી દીકરીના શિયળની ચિંતા કરવાને બદલે તેના અભ્યાસ, કારકિર્દી અને સ્વાવલંબન અંગે ચર્ચા કરવાનો અવકાશ વધે એ જરૂરી છે. આ વર્ષ પૂરું થવા સાથે દસ-બાર વર્ષની પારકી દીકરીને કામુક નજરે જોતા અને તક મળ્યે અડપલાં કરી લેતા ‘પુરુષાતન’નો કંઈક ઉપાય થાય તો કેવું સારું. પાડોશી હોય કે વ્યવસાયના સ્થળે સાથી કર્મચારી હોય, નજર વડે પીછો કરતા દરેક ‘નર’નો પીછો છૂટી શકે. ઘરની ચાર દીવાલો વચ્ચે સ્ત્રીના અપમાન અને ધોલધપાટના કિસ્સા ઘટે અને ઉંબરો ઓળંગી દરેક યુવતીને તેનાં સ્વપ્નને જીવવા માટે જાતને બચાવવાની મથામણમાં ના પડવું પડે એવી ઈચ્છા આ લખનારની માત્ર નથી, પરંતુ ભારતમાં થયેલ એક સર્વેનાં પરિણામનો અર્ક છે.”

દર વર્ષે ૨૫ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમ્યાન જાતિય અને જેન્ડર આધારિત અન્ય હિંસાને લગતી કર્મશીલતાને બિરદાવવા માટે વ્યાખ્યાનો/ગોષ્ઠીઓ વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. (સંદર્ભસૂચિમાં ૧૨મા ક્રમે આપેલી લિંકમાં ઍશિયાના દેશોમાં આ સમસ્યાને લગતાં અનેક સ્તરે લેવાતાં પગલાંના વ્યાપનો ખ્યાલ મેળવી શકાશે.) આખી વાતને યોગ્ય પરિપેક્ષમાં સમજવા માટે થોડાં સૈદ્ધાંતિક મુદ્દા જોઈએ. અંગ્રેજીમાં sex અને gender એમ બે જુદા શબ્દો છે. ગુજરાતીમાં હજુ બન્ને વર્ગો માટે એક જ શબ્દ — જાતિ-લિંગ વપરાશમાં છે. જન્મ વખતે વ્યક્તિની શારીરિક રચના, ક્રોમોઝોમ અને જાતિ-લિંગ સંબંધી દેખીતી લાક્ષણિક્તાઓને આધારે વ્યક્તિની જાતિ-લિંગ અથવા સૅક્સ નકકી થાય છે એટલે કે નર કે નારી. જ્યારે સામાજિક ધોરણે વ્યક્તિનું જેન્ડર ઘડવામાં આવે છે એટલે કે ફૅમિનિટી (સ્ત્રી જેવું) કે મૅસ્ક્યુલિનિટી (પુરુષ જેવું). ટૂંકમાં, સામાજિક ધોરણે જે નિયમો અને વર્તનો પર સંમતિ હોય તે મુજબ વર્તવું એ જેન્ડર. બીજા શબ્દોમાં, જેન્ડર એટલે વ્યક્તિ પોતાના દેહથી સ્વતંત્ર જે ઓળખ ઊભી કરે તે. આમાં બીજા વર્ગો ઉમેરાયા છે જેને થર્ડ જેન્ડર (ત્રીજી જાતિ-લિંગ) કહે છે. વળી, જાતિય અભિગમ જૅન્ડરથી પર છે જેમાં સ્ટ્રેટ એટલે કે પારંપારિક અથવા LGBTQ+ સ્પૅક્ટ્રમ પરના કોઇ પણ વર્ગમાં હોય એવાંનો સમાવેશ થાય છે. જે વ્યક્તિઓ જન્મે નક્કી થયેલી જાતિ-લિંગમાં જ રહે છે એમને cisgender કહેવામાં આવે છે જ્યારે જન્મે નિર્ધારિત જાતિ-લિંગમાંથી બીજી જાતિ-લિંગમાં ઓળખ ઊભી કરે છે એને transgender કહેવામાં આવે છે. આ વિષય ખૂબ વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારીત છે અને તજ્જ્ઞોનો વિષય છે. અહીં સપાટી પરની સમજણ જ આપવી શક્ય છે. વિશ્વમાં જે પ્રકારે જાતિયતાના વ્યવહારો બદલાઈ રહ્યા છે — એની અસરો, જાતિ-લિંગ સંબંધી જે ગુનાઓ બની રહ્યા છે, વગેરે સમજવા માટે આ ઉલ્લેખ જરૂરી છે.

હવે, પિતૃસત્તાને કારણે પુરુષત્વને પ્રોત્સાહન મળે છે અને બદલામાં પુરુષત્વ પિતૃસત્તાને ટકાવી રાખે છે એવો સીધો અર્થ થયો. એટલે ઘણે અંશે પુરુષો એમના સ્તરના (જ્ઞાતિ-જાતિ-વર્ગ) અન્ય પુરુષો દ્વારા આચરેલી હિંસાને છાવરે છે અને એમના બચાવમાં ઊતરી પડે છે. વિસ્તારે ચર્ચા કરવા બેસીએ તો પાર ન આવે એટલો વિશાળ વિષય છે એટલે ટૂંકમાં કહીએ તો પુરુષત્વના મુખ્ય બે પ્રકાર છે. વર્ચસ્વ અથવા પ્રભુત્વ દર્શાવતું પુરુષત્વ (હૅજીમૉનિક મૅસ્ક્યુલિનિટી) જે ખાસ કરીને પોતાનાથી નીચી જાતિના પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વગેરે નબળી વ્યક્તિઓ પર જ્યારે દમન-ઉત્પીડન અને હિંસાની હદ પાર કરીને પુરુષત્વ લાદવામાં આવે છે એને વિષમય પુરુષત્વ (ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી) કહેવાય છે. સહેજ વિચાર કરતાં આપણને સેંકડો દાખલા દેખાશે. આ તત્ત્વ હિંસાથી થતા શિકાર માટે છે એટલું જ હાનિકારક એ વ્યક્તિ માટે પણ છે. નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જતો પુરુષ એની પત્ની સાથે મારઝૂડ કરે અથવા વાતેવાતે પોતાના નાની વયના સંતાન ઉપર ધાક જમાવે (નાના બાળકોમાં પથારી પલાળવા પાછળનું આ મુખ્ય કારણ છે.) પત્ની રિસાઈને ચાલી જાય કે પોલીસમાં ફરિયાદ કરે અથવા અંતિમ પગલું ભરી લે. સંતાન પુખ્ત થઈને નિષ્ફળ વ્યક્તિ બને કે બાગી બની અવળા રસ્તે જતો/જતી રહે. બીજી તરફ, કજિયાળી કે હિંસક પત્ની કે માતા તરીકે સ્ત્રી પણ ‘ટૉક્સિક ફેમિનિટી’(વિષમય નારીત્વ)નું ઉદાહરણ પુરું પાડે છે.

આ બાબત સમજવા માટે ફ્લૉરિડા યુનિવર્સિટીમાં ડિપાર્ટમૅન્ટ ઑફ પૉલિટિક્સ ઍન્ડ ઈન્ટરનૅશનલ રિલૅશન્સમાં ભણાવતા સ્ક્યુલૉસની વ્યાખ્યા અહીં ઉપયોગી રહેશે :

આ ખ્યાલનો સાર્વત્રિક સ્વીકારાયેલો અર્થ નથી, પરંતુ સામાન્ય રીતે ‘વિષમય પુરુષત્વ’ને સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને વધુ બહોળા અર્થમાં સમાજ માટે હાનિકારક પુરુષત્વ સાથે સંબંધિત અંદરોઅંદર સંકળાયેલાં ધોરણો, માન્યતાઓ અને વ્યવહારોના સમૂહ સાથે સાંકળવામાં આવે છે … આવા પુરુષત્વનાં લક્ષણોમાં અતિસપ્રધાત્મક્તા, વ્યક્તિપ્રધાન આત્મનિર્ભરતા (આજકાલ અળગાપણાની હદે), હિંસા તરફી ઝુકાવ અથવા મહત્તા (વાસ્તવિક કે ડિજિટલ, લોકો કે કોઈ પણ જીવતી કે નિર્જીવ વસ્તુ સામે), લડાયક અતિઅભિમાન (સ્ત્રીઓ ઉપર પિતૃશાસન લાદવું) જાતિ-લિંગ સંબંધી વિરોધ-વૃત્તિ દ્વારા દર્શાવાતી પુરુષની ગુરુતા, સ્ત્રીદ્વેષ, સૅક્સ-જેન્ડર આધારિત ઓળખ અને ભૂમિકાની રૂઢિચુસ્ત વિભાવનાઓ, વિષમલિંગીપણા અને જન્મ નિર્ધારિત જાતિ-લિંગમાં કાયમ રહેવાના વલણને કુદરતી અને ચઢિયાતું માનવું, સ્ત્રીઓનું ધ્યાન મેળવવાનો અધિકાર હોવો, સ્ત્રીને જાતિય ઉપભોગની ચીજ માનવી, સ્ત્રીઓને બાલિશ ગણવી, સ્ત્રીઓ બિનઅનુભવી, જાગૃતિ કે પ્રભાવના અભાવવાળી ગણીને એમની સાથે વ્યવહાર કરવો અને સ્ત્રીઓ પાસે નમ્રતા, આજ્ઞાંકિતપણાની અને યુવાન દેખાવની અપેક્ષા રાખવી, આ બાબતોનો સમાવેશ થાય છે. દરેક દાખલામાં આ બધાં જ લક્ષણો હોય એવું જરૂરી નથી, પરંતુ સામાન્ય રીતે જ્યારે ‘વિષમય પુરુષત્વ’વિશે લોકો વાત કરે છે ત્યારે આ અર્થમાં કરતાં હોય છે.

હી-મૅનની છબિ ધરાવતાં પ્રૅસિડન્ટ ટ્રમ્પના સંદર્ભે સ્ક્યૂલૉસ બહુ રસપ્રદ અર્થઘટન કરે છે, “ટૉક્સિક મૅસ્ક્યુલિનિટીની માનસિકતાએ જ ડૉનલ્ડ ટ્રમ્પને વિજય અપાવ્યો છે …  વિષમય પુરુષત્વ માત્ર પુરુષત્વનું ઝેરીપણું પ્રતિબિંબિત કરે છે … જીવન અને જીવન ટકાવતી ચીજ-વસ્તુઓ અને સેવાઓના બજારીકરણને પ્રાધાન્ય આપે એવો મૂડીવાદી માનસિક્તાનો આગ્રહ રાખતો સમાજ આપણે જેટલો વિકસાવીશું એટલી હદે એનો વિષમય સાક્ષાત્કાર પુરુષત્વ મારફતે થતો રહેશે. વિષમય પુરુષત્વ એનાં કારણો અને અસરોને લીધે વિષમય બને છે. એ સામાજિક વાયરસ છે અને ભારે ચેપી છે. નવઉદાર અસ્મિતાના રાજકારણમાં અને કૉર્પોરેટ નારીવાદમાં આપણે જોઇએ છીએ કે સ્ત્રીઓને અને જેન્ડરના પ્રસ્થાપિત નિયમો ન પાળતા લોકોને પણ એનાં કારણો અને અસરોથી ચેપ લાગે છે.

સમાજ દ્વારા, સમાજ પુરુષપ્રધાન હોય છે (કેરળ અને નાગાલૅન્ડના કહેવાતા માતૃસત્તાક સમાજોમાં પણ સત્તા પુરુષોના હાથમાં હોય છે), પુરુષને સ્પર્ધા આવકારવાનું શિખવાડવામાં આવે છે. હી-મૅન હોવું. પુરુષ હોવું એટલે કદી નબળા કે ભોળું ન હોવું, હંમેશાં પોતા પર કાબૂ હોવો, ખરેખર જરૂર ના હોય ત્યારે પણ હિંસક હોવું — બોલવું, ચાલવું, ઊઠવું, બેસવું, દૈહિકભાષા, અવાજ, વગેરેને પોતાની હાજરીનો અનુભવ કરાવવા માટે વાપરવા, કદી પરવાનગી માંગવાની જરૂર ના હોવી, “ના, ખરેખર મને આ પોસાય એમ નથી” એવું કહેવાનો કદી વારો ના આવવો. પરિણામે, પુરુષ માનતો થઈ જાય છે કે સ્ત્રીઓ, સમલૈંગિક પુરુષો, સામાજિક રીતે પછાત પુરુષો જેવા છે એવો હું દેખાવવો કે વર્તતો હોવો જોઈએ નહીં ને એમ બંદૂકો, ક્રૂરતા, સ્ત્રીદ્વેષ, દાદાગીરી અને સમાજના ભોગે વિકૃત આનંદ આકાર લેતા જાય છે. મહદ્અંશે આ ખ્યાલો કુટુંબ, બરોબરિયા, સમવ્યવસાયીઓ, પોતાની જ્ઞાતિના સભ્યો અને સાવ અજાણી વ્યક્તિઓ પાસેથી પણ શિખાતા હોય છે. ચલચિત્રો અને ટૅલિવિઝન પર પુરુષો અને સ્ત્રીઓનું સાંસ્કૃતિક પ્રતિનિધિત્વ, શ્રમ બજાર સંબંધી વિવિધ વ્યવહારો આત્મસાત કરેલા આચરણના આ નિયમોને પ્રભાવિત કરનારાં બીજાં શક્તિશાળી પરિબળો છે. દા.ત. અમુક કામ “મરદ”ને શોભે એવાં ગણવામાં આવે છે તો અમુક કામ સામાજિક પ્રતિષ્ઠાને અનુરૂપ માનવામાં આવે છે; આમ, જૅન્ડર સંબંધી ઓળખમાં વર્ગ સંબંધી વિરોધ ભળી જાય છે. તો વળી, અમુક કામ ને નગણ્ય માનવામાં આવે છે તેથી સ્ત્રીઓ કે યંત્રો દ્વારા કરાવવા યોગ્ય ગણવામાં આવે છે. જેટલા અંશે વ્યક્તિગત પુરુષો આ ખ્યાલોને સામાજિક સમર્થન મેળવતા કે પુરસ્કૃત થતાં જુએ છે એટલા કઠોર અને ઝેરી બનતા જાય છે. એટલે સમાજ નકારાત્મક પુરુષત્વને પોષે છે અને જ્યારે એનું હિચકારું પરિણામ આવે છે ત્યારે એ જ સમાજ ચોંકી જાય છે. આ વિષચક્રને તોડવું જરૂરી છે એવું નથી લાગતું?

પુરુષો માટેની રેઝર બ્લેડ વગેરે બનાવતી જિલૅટ કંપનીની જાહેરખબરના અંતે પુરુષો છેડતી કરનારાને પડકારતા, દીકરીઓને પ્રૉત્સાહન આપતા અને મારામારીઓ રોકતા દર્શાવાયા છે. જેવી આ જાહેરખબર સોશ્યલ મીડિયા પર મુકાઈ કે તરત જ યુદ્ધ શરૂ થઈ ગયું અને એને ટેકો જાહેર કરતા સંદેશાઓની સાથે આ જાહેરખબરના, કંપની અને એનાં ઉત્પાદનોના બહિષ્કારની માંગ પણ ઊભી થઈ. યુટ્યુબ પર જાહેરખબરને ૧,૭૦૦ લાઇક્સ સામે ૧૦,૦૦૦ થમ્સ ડાઉન મળ્યાં. ૧,૧૮૮ પુરુષોના અભ્યાસનું તારણ એ આવ્યું કે આજના આધુનિક પુરુષોને સૉફ્ટ સ્કીલ્સના શિક્ષણની સખ્ત જરૂર છે. પ્રગતિશીલ વિષયો પર પોતાની જાહેરખબરો તૈયાર કરવા માટે પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલે જ્યારે ‘વિષમય પુરુષત્વ’ પર જાહેરખબર દર્શાવી ને હોબાળો મચ્યો ત્યારે બ્રૅન્ડ ઍડવાયઝરી ફર્મ ક્રચફિલ્ડ ઍન્ડ પાર્ટનર્સના ડિન ક્રચફિલ્ડે કહ્યું કે “આ વિષયને છેડીને પ્રૉક્ટર ઍન્ડ ગૅમ્બલે પલિતો હાથમાં લીધો છે.” અમૅરિકાની આ ઘટના દર્શાવે છે કે આ સમસ્યા વિશ્વવ્યાપી છે.

‘ડૅલ્લી ક્રાઇમ’ને ઍમી અવૉર્ડ મળ્યો તે અવસરે રિચી મહેતા અને અસલી ઘટનામાં પ્રસંશનીય ફરજ અદા કરેલી એવાં ડિ.સી.પી. છાયા શર્માની ભૂમિકામાં વર્તિકા ચતુર્વેદી તરીકે રૉલ કરનાર શેફાલી શાહ સાથેની વાતચીતમાં બરખા દત્તે બન્નેને ‘ગેમ ચેન્જર’ કહ્યાં તે કેવળ ભારત તરફથી ઍમીના પ્રથમ વિજેતા તરીકે નહીં પરંતુ સામૂહિક બળાત્કારની ખૂબ પ્રસ્તુત સમસ્યા (જેને કારણે ભારતના બળાત્કાર સંબંધી કાયદાઓમાં ભારેખમ ફેરફારો યુદ્ધના ધોરણે લાગુ કરવામાં આવ્યા.) પર સિરીઝ લખવા-બનાવવા-અભિનય કરીને સમાજનો સડો કહી શકાય એવા સત્ય પર પ્રકાશ પાડવા માટે પણ. નિર્ભયાકાંડ વખતે નિરજ કુમાર પોલીસ કમિશ્નર હતા, તે નિવૃત્ત થયા બાદ રિચી મહેતા એમને પોતાની એક બીજી ફિલ્મ માટે સંશોધન કરતી વખતે મળ્યાં હતાં. વાતચીત દરમ્યાન નિરજ કુમારે રિચી મહેતાને સુચવ્યું કે એમનો વિચાર પડતો મુકીને નિર્ભયાકાંડ પર ફિલ્મ બનાવવું વધું કારગર સાબિત થશે. ચાર વર્ષના સઘન સંશોધન બાદ એમણે પટકથા લખી. અવૉર્ડ મળ્યા બાદની ઍકસૅપ્ટન્સ સ્પીચમાં કહ્યું, “આ પ્રૉજૅક્ટની આગેવાની મહિલાઓએ કરી, સિરીઝને ફાઇનૅન્સ કરી, શક્ય બનાવી અને રીલીઝ કરી મહિલાઓએ, ગુનો ઉકેલ્યો મહિલાઓએ, એ મહિલાઓ અને બીજી બધી મહિલાઓ જેમને સેંકડો પુરુષોની હિંસા સહન કરવાની આવે છે અને પાછા સમસ્યાનો ઉકેલ લાવવાનું પણ એમના માથે આવે છે, એ તમામ મહિલાઓને આ અવૉર્ડ અર્પણ કરું છું. છેલ્લે, નીડર ને અથાક એવાં માતા આશાદેવી અને એમની દીકરી જ્યોતિ સિંગ. તમારો અને દુનિયાએ તમને જે પીડા આપી એનો વિચાર આવ્યા વગરનો એક પણ દિવસ જતો નથી. હું આશા કરું છું કે અમારામાંના કોઈ પણ આ ઘટનાને ભૂલે નહીં.” અંગત ધોરણે સામાજિક પ્રતિબદ્ધતા માટે જાણીતાં શેફાલી શાહે કહ્યું, “રિચીએ મારી આગળ રોલનો પ્રસ્તાવ મુક્યો કે તરત જ મેં હા પાડી કારણ કે આ વાતમાં મને વિશ્વાસ હતો.” સિરીઝમાં શેફાલી શાહના અભિનયમાં એની લાગણીની સચ્ચાઈ પારાવાર ઝળકે છે.

શોશા ચેનલ પરની મુલાકાતમાં યુવાન મહિલા પોલીસ ઑફિસર નીતિ સિંગની ભૂમિકા ભજવનાર રસિકા દુગ્ગલને પુછવામાં આવે છે કે ઘણાં લોકોએ ટીકા કરી છે કે ‘ડૅલ્લી ક્રાઇમ’થી ભારતની છબી ખરડાઈ છે. (હિન્દી સિનેમાના બજાર પ્રેરિત પ્રોડ્યુસરોના પૈસે બનતી મસાલા ફિલ્મોમાં બૉક્સ ઑફિસ પર હિટ કરવા માટે સૅક્સ અને હિંસાની ભરમાર હોય છે. જો આ વિષય પર હિન્દી સીનેજગતમાં કમર્શ્યલ ફિલ્મ બની હોત તો કેવી હોત એની કલ્પના કરવી અઘરી નથી.  નવાઈ એ છે કે એ ફિલ્મોને વખોડવામાં આવતી નથી. વિશ્વભરમાં હિન્દી સિનેમાનું પાગલપન જબરદસ્ત છે. શું ત્યાં ભારતની છબી ખરડાતી નથી? અહીં એ સમજવાનું છે કે આવી દુર્ઘટનાઓ માત્ર ભારતમાં નહીં વિશ્વમાં સર્વત્ર બને છે.) ઉત્તરમાં દુગ્ગલ કહે છે, “આ ઘટનાના કારણે દેશના બળાત્કાર સંબંધી કાયદામાં તાત્કાલિક ધોરણે ફેરફાર કરવામાં આવ્યા. આવી કહાણીઓ કહેવાવી જ જોઈએ. ભલે આ સિરીઝના કેન્દ્રમાં આરોપીઓને પકડવાની પોલીસની કાર્યવાહી હતી, પરંતુ સાથોસાથ આપણા જેવા સમાજમાં રહેતી સ્ત્રીઓના જીવનને તપાસે છે, દૈનિક ધોરણે સ્ત્રીઓને જે પડકારોનો સામનો કરવો પડે છે, જે સ્ત્રીદ્વેષનો (misogyny) સામનો કરવો પડે છે એ દર્શાવે છે. હું માનું છું કે દૈનિક ધોરણે સ્ત્રીઓને પોતાની જાતિ કે લિંગને લીધે જે પૂર્વગ્રહ અથવા વિરોધ-વૃત્તિની (sexism), ભેદભાવની ઝીંક ઝીલવી પડે છે એ કહાણીઓ કહેવાવી જ જોઈએ. આવું એટલા માટે કે ૨૦૧૨માં બનેલો આટલો હિંસક ગુનો બની શકે છે એ વિશ્વાસ સમાજને બેસે.”

વિષમય પુરુષત્વ માત્ર સ્ત્રીઓ માટે ઉપાધિ સર્જતું નથી. રેગિંગ, લિંચીંગ, યુદ્ધ પણ વિષમય પુરુષત્વનાં ઉદાહરણ છે. રાજીવ ભાર્ગવ નોંધે છે, “પુરુષત્વની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે એવું બીજું મહત્ત્વનું પાસું જે સામાજિક હિંસા દ્વારા પ્રદર્શિત થાય છે, એ માન્યતા છે કે નૈતિક વ્યવસ્થા જાળવી રાખવા માટે ‘ખરા પુરુષો’ સીધાં જવાબદાર છે. એનાં રખેવાળો હોવાના કારણે જ્યારે પણ વ્યવસ્થા જોખમાય ત્યારે એમણે એને કાબૂમાં કરવી પડે.”  ઝીણવટથી વિચારીએ તો ‘નૈતિક વ્યવસ્થા’નો અર્થ ‘પિતૃસત્તા’ સમજાશે. પુરુષોને પણ આ માનસિક્તાથી એટલું જ જોખમ છે. પોતાનાથી નીચી કે જુદી જ્ઞાતિ, ધર્મ, વંશના પુરુષો પર થતા અત્યાચાર આનું ઉદાહરણ છે.

આવી જ ખૂબ મહત્ત્વની અને આવકારદાયક ચર્ચા ફે. ડી’સોઝાએ હાલ જ એમની યુટ્યુબ ચૅનલ પર કરી એ સાંભળવા લાયક છે. પ્રસ્તાવના બાંધતાં એ કહે છે : “સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા, સ્ત્રી વિરુદ્ધ સમાજની અન્યાયી વ્યવસ્થાની વાત આપણે કરીએ જ છીએ પરંતુ પુરુષો પ્રત્યે પણ સમાજનું વલણ ઘણી બધી વખત અન્યાયી હોય છે, એ વિશે આપણે વાત કરતાં નથી. ટૉક્સિક મૅસ્ક્ટુલિનિટીનો ખ્યાલ હાલ ચલણમાં આવ્યો છે. માલબરો મૅન, ક્લીન્ટ ઇસ્ટવુડ કાઉબૉય, માચો, રૅડ બ્લડૅડ, ગુસ્સાવાળો, કંઈ પણ નોનસન્સ ચલાવી નહીં લેતો, કોઈ સંવેદન વ્યક્ત નહીં કરતો, મક્કમ, મજબૂત — પુરુષ કેવો હોવો જોઈએ તે અંગેનો રૂઢિચુસ્ત ખ્યાલ. એવું વર્તન સ્ટાઇલીશ છે અને હાનિકારક નથી એ માન્યતા આપણી ખોટી છે. બલકે, આપણ જે બધું કરીએ છીએ અને જોઈએ છીએ તે તમામ ક્ષેત્રમાં પ્રસરી ગયેલું છે. જાહેરખબરોનું ઉદાહરણ લઈએ. જાહેરખબરો અને જીવન પરસ્પર પ્રભાવથી સંકળાયેલાં છે એ જાણીતું છે. જાહેરખબરો દ્વારા ‘પુરુષ બનો’, ‘પુરુષ કેવો હોવો જોઈએ એનું ઉદાહરણ બનો’ — એવો સંદેશો આપવામાં આવતો હોય છે. છોકરા/તરુણો, નબળા પુરુષો પર આવી જાહેરખબરોની કેવી અસર થાય? … વિશ્વમાં ૧૮થી ૩૦ વર્ષના સૌથી વધુ યુવાન પુરુષો આપણા દેશમાં છે. એમને શું શિખવાડવામાં આવે છે? એ શિક્ષણનું પરિણામ શું હોય છે? એની એમના પર, એમના કુટુંબો પર, એમની આજુબાજુના લોકો પર, એમની આજુબાજુની સ્ત્રીઓ પર શું અસર થાય છે?”

આ બાબત ખૂબ ચિંતા ઉપજાવનારી છે. શું કરી શકાય? જાણવા જેવી બાબત એ છે કે ઓબામા ફાઉન્ડેશનના નેજા હેઠળ પ્રૅસિડન્ટ ઓબામાએ ૨૦૧૪માં ‘માય બ્રદર્સ કિપર’ ઝુંબેશનો પાયો નાખ્યો. આ ઝુંબેશ અંતર્ગત અશ્વેત છોકરાઓ અને યુવાનો માટે સુરક્ષિત અને સહાયક સમાજોની રચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેથી એમને પોતાનું મૂલ્ય થયાની લાગણી જન્મે અને તક માટે માર્ગો ખૂલે. એમણે કહ્યું, “પુરુષ હોવાનો પ્રથમ અર્થ છે સારા મનુષ્ય હોવાનો, એટલે કે જવાબદાર, મહેનતુ, ઉદાર, માનવંતું અને કરુણામય હોવું. પુરુષ હોવું એટલે બીજાને દબાવવું, નીચા પાડવું, વર્ચસ્વ જમાવવું — આ જૂનવાણી ખ્યાલ છે.”  હિ-મૅન, મુછોનો સવાલ, ‘મર્દોવાલી બાત’-વાળી વિચારધારાનું સમર્થન કરતાં પુરુષો-સ્ત્રીઓને ગળે ના ઊતરે એવી આ વાત છે. આ ઝુંબેશોમાં તેઓ પોતાની ઓળખાણ મિશેલના પતિ તરીકે આપે છે. આમ કરવાથી પુરુષત્વના ખોટા ખ્યાલની સમજ ઉપજે છે. પરિણામે, હિંસા અને ઘણી સમસ્યાઓ ઘટી જાય એ હકિકત છે. ‘કર ભલા તો હો ભલા.’  અનુકરણ કરવા જેવી પહેલ છે. પરંતુ દુ:ખની વાત એ છે કે આવા વલણ અને મૂલ્યો, જે મહાપુરુષોનાં ઉપદેશોમાં કહેવાતાં રહ્યાં છે એને સ્વીકારાતા નથી કારણ કે એને નબળાઈ તરીકે જોવા માટે પુરુષોનાં મન બાળપણથી જ કેળવેલા હોય છે. માર ખાઈને નહીં મારીને આવવાની ટેવ પાડેલી હોય છે.

સાર એ છે કે ખેંચતાણમાં આખું આયખું નીકળી જશે ને તો ય પાર નહીં આવે. આનંદ હણાઈ જશે એ નફામાં. સૌ પ્રથમ આપણે મનુષ્યો છીએ. આ દૂષણ કોરોના વાયરસ કે હવામાન પરિવર્તનથી ઓછું ઘાતક નથી. ઘણા પ્રયત્નો કરી શકાય એમ છે. આ ચર્ચામાંથી જ કેટલા ય વિચારો આવી શકે છે. ચાલો, આપણે દરેક આપણી પહોંચમાં હોય એટલી પરિસ્થિતિમાં પરિવર્તન આણવાનો પ્રયત્ન કરીએ. સન્માન, સહકાર, સમાનતા, સમભાવ, સમતાનાં મૂલ્યોને આલિંગીએ અને જીવનને માણવા લાયક બનાવીએ. પ્રૅસિડન્ટ ઑબામાએ એમની ઝુંબેશના એક કાર્યક્રમમાં સુચવ્યું તેમ, “જો તમને તમારી શક્તિમાં આત્મવિશ્વાસ હોય તો કોઈને નીચા પાડીને મારી સામે શક્તિપ્રદર્શન કરવાની જરૂર નથી, કોઈને ઉપર ઉઠાવીને મને બતાવો.”

* શરૂઆતના તબક્કામાં બળાત્કાર પીડિતા તરીકે જ્યોતિની ઓળખ છુપાવવા નિર્ભયાનું ઉપનામ આપવામાં આવેલું. પાછળથી જ્યોતિની માતાએ એમની દીકરીને અસલી નામથી સંબોધવાનું સૂચન કરેલું. 

~

સંદર્ભસૂચિ

1. એષા દાદાવાળા. ‘તમે કેટલા શિક્ષિત છો એ તમારામાં રહેલું સ્ત્રીદાક્ષિણ્ય નક્કી કરે છે’. ૮ ડિસેમ્બર, ૨૦૨૦. મધુરિમા, દૈનિક દિવ્ય ભાસ્કર.

2. મેઘા જોશી. ‘સેક્સ્યૂઅલ શોષણના અંતથી સ્વતંત્ર ઓળખના આરંભ સુધી: ૨૦૨૦ના અંતે સરેરાશ સ્ત્રી શું ઈચ્છે છે?’. ૮ ડિસેમ્બર, ૨૦૨૦. મધુરિમા, દૈનિક દિવ્ય ભાસ્કર.

૩. internationalemmys YouTube channel

4. janmatsamachar.com

5. The Female Voice, Mojo Story youtube channel

6. SHOWSHA News18 YouTube channel

7. Faye D’Souza YouTube channel. Toxic Masculinity: The Damage it Does.

8. Sculos, Bryant W. (2017) "Who’s Afraid of ‘Toxic Masculinity’?," Class, Race and Corporate Power: Vol. 5 : Iss. 3 , Article 6. DOI: 10.25148/       CRCP.5.3.006517

Available at: https://digitalcommons.fiu.edu/classracecorporatepower/vol5/iss3/6

9.  Markou, Theo. (2019) “Understanding Toxic Masculinity and Hegemonic Masculinity through the Simpsons.” medium.com

10. Ciccotta, Tom. (2017)  “Florida Professor Blasts the Toxic Masculine Capitalism of ‘Beauty and the Beast’. breitbart.com

11. Jaffe, Adi. (2020) “Men Will Be Men: The Troubling Origin of Toxic Masculinity”. 

psychologytoday.com

12.  The 10th Asia Pacific Conference on Reproductive and Sexual Health & Rights

http://www.facebook.com/APCRSHR10/videos/204839741106395

13.  The Times of India, December 9, 2020. “Ten year old girl killed after she resisted man’s attempt to rape”.

14. Hsu, Tiffany. January 15, 2019. “Gillette Ad With a #MeToo Edge Attracts Support and Outrage”. nytimes.com

15. www.obama.org

16.  Ruiz-grossman, Sarah. February 20, 2019. “Barack Obama Talks About Toxic Masculinity And ‘Being A Man”. huffpost.com

17. Bhargava, Rajeev. August 27, 2019. “India’s culture of toxic masculinity”. thehindu.com

e.mail : rupaleeburke@yahoo.co.in  

પૂર્તિ :

એષા દાદાવાળા લિખિત ‘તમે કેટલા શિક્ષિત છો એ તમારામાં રહેલું સ્ત્રીદાક્ષિણ્ય નક્કી કરે છે’. -૦૮ ડિસેમ્બર, ૨૦૨૦. ‘મધુરિમા’, દૈનિક “દિવ્ય ભાસ્કર”.

મેઘા જોશી લિખિત ‘સેક્સ્યૂઅલ શોષણના અંતથી સ્વતંત્ર ઓળખના આરંભ સુધી: ૨૦૨૦ના અંતે સરેરાશ સ્ત્રી શું ઈચ્છે છે?’. ૦૮ ડિસેમ્બર, ૨૦૨૦. ‘મધુરિમા’, દૈનિક “દિવ્ય ભાસ્કર”.

Loading

ચલ મન મુંબઈ નગરી—74

દીપક મહેતા|Opinion - Opinion|12 December 2020

પહેલું ગુજરાતી અખબાર અને સામયિક શરૂ થયેલાં મુંબઈમાં

મુંબઈમાં ત્રણ ગુજરાતી અખબાર શરૂ થયા પછી શરૂ થયું પહેલું મરાઠી છાપું

પહેલું મરાઠી અખબાર છપાયું હતું એક ગુજરાતીના પ્રેસમાં

૧૮૧૨માં શરૂ કરેલું છાપખાનું દસ વરસમાં તો આખા મુંબઈ શહેરમાં જાણીતું થઇ ગયું હતું અને ધમધોકાર ચાલતું હતું. પણ ફરદુનજી શેઠનો જીવ બેચેન. હવે નવું શું કરવું? અને પારસીઓ કહે તેમ ફરદુનજીના ભેજામાં એક નવો કીડો ચવડી આયો, ગુજરાતી છાપું કાઢવાનો. આપણા દેશમાં અખબારની શરૂઆત બંગાળથી થઇ. ૧૭૮૦ના જાન્યુઆરીની ૨૯મી તારીખે શરૂ થયેલ ‘બેન્ગાલ ગેઝેટ’ એ આપણા દેશનું પહેલવહેલું અખબાર. તેમાંથી પ્રેરણા લઈને ૧૭૮૫ના ઓક્ટોબરની ૧૨મી તારીખે મદ્રાસ(આજનું ચેન્નાઈ)થી શરૂ થયું ‘મદ્રાસ કુરિયર’. મુંબઈનો નંબર ત્રીજો. ૧૭૮૯માં શરૂ થયું ‘બોમ્બે હેરાલ્ડ.’ ૨૦મી સદીના બીજા દાયકા સુધી તે ચાલતું હતું. આ અખબારના બધા સ્થાપકો અંગ્રેજ હતા. તેમાં એક બાજુથી પત્રકાર અને બ્રિટિશ પાર્લામેન્ટના સભ્ય જેમ્સ મેકેન્ઝી મેકક્લીનનો સમાવેશ થતો હતો તો બીજી બાજુથી બોમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ફ્રેંક બિમન(પછીથી સર બિમન)નો પણ સમાવેશ થતો હતો. કોઈ પણ અદાલાતના કોઈ પણ ન્યાયાધીશ આવી કોઈ જાહેર પ્રવૃત્તિ સાથે જોડાય એવી આજે તો કલ્પના પણ ન થઇ શકે. પણ એ જમાનામાં એવો બાધ નહોતો. ૧૭૯૧માં તેનું નામ બદલાયું. નવું નામ ‘બોમ્બે ગેઝેટ.’ ૧૯૧૧માં સર ફિરોઝશાહ મહેતા અને બેન્જામિન હોર્નિમેને આ છાપું ખરીદવાનો પ્રયત્ન કરેલો પણ સર ફ્રેંક બિમને એ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો. એટલે પછી એ બન્નેએ ૧૯૧૩માં ‘બોમ્બે ક્રોનિકલ’ શરૂ કર્યું.

મુંબઈ ઈલાકાનું પહેલવહેલું અખબાર ‘ધ બોમ્બે ગેઝેટ’ 

અંગ્રેજી અખબારો જોઇને ‘દેશી’ ભાષાઓમાં પણ અખબાર નીકળવા લાગ્યાં. ૧૮૧૮માં સિરામપુરથી શરૂ થયેલું બંગાળી ભાષાનું ‘સમાચાર દર્પણ’ એ ‘દેશી’ ભાષાઓમાં પહેલવહેલું છાપું. તે પછી ઊર્દૂ, હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, વગેરે ભાષાઓમાં અખબાર પ્રગટ થયાં. ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખથી ફરદુનજીએ શરૂ કર્યું ‘શ્રી મુમબઈનાં શમાચાર.’ ગુજરાતી ભાષાનું તે પહેલવહેલું અખબાર. એ પછી છેક દસ વરસે મરાઠી ભાષાનું પહેલું અખબાર ‘દર્પણ’ મુંબઈથી શરૂ થયું. પણ આમ થવાનું કારણ શુ? પહેલું કારણ એ કે એ વખતે મુંબઈમાં મરાઠી કરતાં ગુજરાતી છાપકામ માટેની સગવડો વધુ હતી. એ ક્ષેત્રે પારસીઓએ પહેલ કરેલી એટલું જ નહિ, પછીનાં વારસોમાં છાપકામનો સારો એવો વિકાસ કર્યો હતો. બીજું કારણ એ કે એ વખતે પણ મુંબઈમાં સારા એવા પ્રમાણમાં ગુજરાતી વેપારીઓ હતા, જે વાંચી-લખી શકતા હતા. તેમને દેશના અને દેશાવરોના વેપાર અંગેના સમાચારો જાણવામાં રસ હતો. આથી જ ૧૯મી સદીનાં બધાં ગુજરાતી છાપાંમાં વેપાર-ધંધા અંગેના સમાચારોને ખાસ મહત્ત્વ અપાતું. ૧૯મી સદીમાં શરૂ થયેલાં લગભગ બધાં ગુજરાતી છાપાં અંગ્રેજીમાં મજકૂર ભાગ્યે જ છાપતાં. જ્યારે ૧૮૩૨માં  બાળશાસ્ત્રી જાંભેકરે શરૂ કરેલું ‘દર્પણ’ દ્વિભાષી હતું, તેમાં મજકૂર બે કોલમમાં સામસામે અંગ્રેજી અને મરાઠીમાં છપાતો. તેનો પહેલો અંક ૧૮૩૨ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. અને એ છપાયો ક્યાં હતો, ખબર છે? કાવસજી નામના ગુજરાતીના કાલબાદેવી રોડ પર આવેલા ‘મેસેન્જર પ્રેસ’માં! એ પછી પણ તે ‘બોમ્બે કુરિયર’ પ્રેસમાં છપાતું હતું.

૧૮૩૨માં શરૂ થયેલું પહેલું મરાઠી અખબાર ‘દર્પણ’

બાળશાસ્ત્રી જાંભેકરનો જન્મ ૧૮૧૨માં. માત્ર ૩૪ વરસની ઉંમરે ૧૮૪૬ના મે મહિનાની ૧૭મી તારીખે અવસાન. જન્મ રત્નાગિરિ જિલ્લાના એક ગામડામાં. મુંબઈ આવીને અંગ્રેજી, સંસ્કૃત અને બીજી ભાષાઓ શીખ્યા. તેઓ મરાઠી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, કન્નડ, બંગાળી, ગ્રીક, લેટિન, અંગ્રેજી, અને ફ્રેંચ જેવી ભાષા જાણતા હતા. એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઇ ત્યારે તેના બધા અધ્યાપકો અંગ્રેજ હતા, પણ તેમને મદદ કરવા માટે મરાઠી-ગુજરાતી આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક થઇ હતી. જાંભેકાર પહેલા મરાઠી આસિસ્ટન્ટ પ્રોફેસર. મરાઠી ભાષાનું પહેલવહેલું સામયિક ‘દિગ્દર્શન’ પણ તેમણે જ ૧૮૪૦માં શરૂ કર્યું હતું. એ વખતે પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી સમાજ સુધારાની ચળવળના તેઓ સમર્થ ટેકેદાર હતા. બાળશાસ્ત્રીની જન્મ તારીખ તો કોઈને ખબર નથી, પણ ‘દર્પણ’ પત્ર તેમણે છઠ્ઠી જાન્યુઆરીએ શરૂ કરેલું એટલે છેલ્લાં ઘણાં વર્ષોથી મહારાષ્ટ્ર સરકાર એ દિવસને ‘મરાઠી પત્રકારિત્વ દિવસ’ તરીકે ઉજવે છે.

બાળશાસ્ત્રી જાંભેકર

એ જમાનાના મુંબઈની આજે તો કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. એ વખતે લોકલ ટ્રેન, બસ, મોટર, કે ટ્રામ જેવાં વાહનો નહોતાં. નહોતી તાર, ટપાલ કે ટેલિફોનની સગવડ. હજી ઈલેક્ટ્રીસિટી જ આવી નહોતી એટલે વીજળીથી ચાલતાં કોઈ યંત્રો નહોતાં. રસ્તાઓ ધૂળિયા અને સાંકડા હતા. નહોતી યુનિવર્સિટી કે નહોતી કોલેજો. આજે તો જોતજોતામાં હજારો નકલ છપાઈ જાય એવાં યંત્રો આપણાં છાપાં વાપરે છે. પણ તે વખતે તો છાપવા માટે હાથ વડે ચલાવવાનું લાકડાનું દાબ-યંત્ર વપરાતું. એક-એક પાનાની એક-એક નકલ હાથ વડે છાપવી પડતી. દરેક નકલ છાપતાં પહેલાં બ્રશ વડે ટાઈપના બાંધેલા પાના પર શાહી લગાડવાની. પછી સંભાળીને તેના પર કાગળ મૂકવાનો. પછી લાકડાનો દાબ – પ્રેસ કાગળ પર ફેરવવાનો. છાપખાના માટે અંગ્રેજીમાં ‘પ્રિન્ટીંગ પ્રેસ’ શબ્દ વપરાય છે તેના મૂળમાં આ લાકડાનો દાબ પ્રેસ રહેલો છે. આજે વપરાય છે તેવી તાબડતોબ સૂકાઈ જતી શાહી ત્યારે નહોતી. એટલે એક બાજુ છાપેલા કાગળ પરની શાહી પૂરેપૂરી સુકાઈ જાય પછી તેની બીજી બાજુ પર છાપી શકાતું. આપણા દેશનો ઇતિહાસ ઘણો લાંબો છે, પણ કદાચ એટલે જ ઇતિહાસની ઉપેક્ષા આપણા સ્વભાવમાં વણાઈ ગઈ છે. એટલે એ જમાનામાં વપરાતા દાબ-પ્રેસ તો આપણે ક્યાંથી સાચવ્યા હોય? પણ જર્મનીમાં આવેલા મુદ્રણ અંગેના ગટેનબર્ગ મ્યુઝિયમમાં ૧૯મી સદીના આરંભે વપરાતા યંત્રના નમૂના જોવા મળે છે તેવું જ કોઈ યંત્ર એ વખતે વપરાતું હશે.

લાકડાનો દાબ પ્રેસ

એક ૧૫-૧૬ વરસની ઉંમરનો છોકરડો. નામ હતું નવરોજજી દોરાબજી ચાનદારૂ. છોકરો હતો હોંશીલો અને હોંશિયાર. પહેલાં ફરદુનજી પાસેથી કામ શિએખ્યો. થોડો વખત બોમ્બે ગેઝેટ છાપખાનામાં કામ કરી અંગ્રેજીનો અનુભવ લીધો. પછી ૧૮૩૦માં પોતાનું છાપખાનું શરૂ કર્યું. અને એ જ વરસના સપ્ટેમ્બરની પહેલીથી પોતાનું ‘મુંબઈ વરતમાંન’ નામનું ગુજરાતી અઠવાડિક શરૂ કર્યું. પછી તેનું નામ બદલીને ‘મુંબઈનો હલકારુ અને વરતમાંન’ રાખ્યું. અને ૧૮૩૩ના નવેમ્બરની પહેલી તારીખથી ફરી નામ બદલ્યું, ‘મુંબઈનાં ચાબુક.’ ગુજરાતી ભાષાનું આ બીજું અખબાર, અને તે પણ શરૂ થયું મુંબઈથી. ૧૮૫૯ના મે મહિનાની ૨૭મી તારીખે બાવન વરસની ઉંમરે અવસાન થયું ત્યાં સુધી નવરોજજીએ આ છાપું સંભાળ્યું.

૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે મુંબઈથી ત્રીજું ગુજરાતી અખબાર શરૂ થયું, ‘શ્રી મુમબાઈનાં જામે જમશેદ.’ એ વખતે મુંબઈમાં પારસી પંચાયત અંગે ઊહાપોહ ચાલી રહ્યો હતો. પંચાયતની વાત પણ લોકો પાસે મૂકવી જોઈએ એમ સર જમશેદજી જીજીભાઈને લાગ્યું. એટલે શરૂ થયું ‘જામે જમશેદ’. જો કે સરસાહેબ પોતે પડદા પાછળ જ રહ્યા, અને પારસી પંચાયતના સેક્રેટરી પેસ્તનજી માણેકજી મોતીવાળાને જ પહેલા તંત્રી તરીકે આગળ કર્યા. એ જમાનામાં અખબારોની માલિકી વખતોવખત બદલાતી રહેતી. એ રીતે આ ત્રણેની માલિકી બદલાતી રહી.

આપણી ભાષાના પત્રકારત્વની વાત કરતી વખતે ઘણુંખરું અમદાવાદથી ૧૮૫૪માં શરૂ થયેલા ‘બુદ્ધિપ્રકાશ’ને પહેલવહેલું માસિક ગણવાનો ચાલ છે. અને અમદાવાદથી પ્રગટ થયેલું એ પહેલું માસિક એની પણ ના નહિ. વળી આજ સુધી તે ચાલુ રહ્યું છે. પણ ગુજરાતી ભાષાનું એ પહેલું માસિક નહિ. એ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈથી ગુજરાતી સામયિકો (જેને માટે એ જમાનામાં ‘ચોપાનિયાં’ શબ્દ વપરાતો) પ્રગટ થતાં હતાં. ખુદ ‘બુદ્ધિપ્રકાશ’ના પહેલા અંકમાંથી આ વાતનો આડકતરો પુરાવો મળી રહે છે. પહેલા અંકમાં ‘પ્રસ્તાવના અથવા દીબાચો’ મથાળા નીચે પ્રગટ થયેલા લખાણમાં કહ્યું છે: ‘જેટલાં મુંબઈનાં વરતમાન અથવા ચોપાનિયાં આવે છે, તેને લોકો ગપાઊંસ કહે છે.’ એટલે કે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈમાં ગુજરાતી સામયિકો (ચોપાનિયાં) પ્રગટ થતાં હતાં અને રેલવે વગરના એ જમાનામાં અમદાવાદ સુધી પહોંચતાં હતાં. મુંબઈથી જ ગુજરાતીનું પહેલું સામયિક પ્રગટ થયું, ૧૮૪૦માં. એનું નામ ‘વિદ્યાસાગર’. અને એ શરૂ કર્યું હતું નવરોજી માસ્તરે. પણ એ જ પહેલું સામયિક એમ ખાતારીપૂર્વક કઈ રીતે કહી શકાય? એ જમાનાના અગ્રણી પત્રકાર અને સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ લખ્યું છે: ‘ગુજરાતી જબાનમાં વિદ્યા અને હુન્નર સંબંધી માસવારી ચોપાનિયાં અગાઉ પ્રગટ થતાં નહોતાં. એ કારણસર મિ. નવરોજીનું ‘વિદ્યા સાગર’ ચોપાનિયું પહેલવહેલું જ નીકળ્યું હતું.’ (સરળતા ખાતર ભાષા-જોડણી સુધારી લીધાં છે.)

નવરોજી માસ્તર

પણ આ નવરોજી હતા કોણ? ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે ભરૂચમાં જન્મ. ભરૂચમાં થોડું ભણ્યા પછી સુરત જઈ લંડન મિશનરી સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ૧૮૩૦માં મુંબઈ આવી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ભણી લીધા પછી એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. બાળશાસ્ત્રી જાંભેકર એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં નિમાયા ત્યારે નવરોજ બન્યા તેમના મદદનીશ. બાળશાસ્ત્રીના અવસાન પછી તેમની જગ્યાએ નવરોજી નિમાયા. આમ, મુંબઈમાં પ્રોફેસર બનનાર તેઓ પહેલવહેલા ગુજરાતી. છોકરાઓ તેમને ‘નવરોજી માસ્તર’ તરીકે ઓળખાતા. ટૂંકી માંદગી ભોગવીને ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે નવરોજીનું મુંબઈમાં અવસાન થયું. તેમણે લગભગ આખી જિંદગી લોકોપયોગી કામોમાં કાઢી હોવા છતાં ૧૮૮૪માં જાહેર માનપત્ર આપવા મળેલી સભામાં તેમણે કહ્યું હતું: ‘મેં કોઈ બહુ મોટી સેવા કરી છે એમ હું પોતે માનતો નથી. પણ મેં જો થોડી ઘણી સેવા પણ કરી હોય તો તેમ કરીને મેં કોઈ દેશના લોકો પર ઉપકાર કર્યો નથી. સમાજના એક નાચીઝ સભ્ય તરીકે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.’ 

આમ, ૧૯મી સદીના મધ્ય ભાગ સુધીમાં તો મુંબઈમાં ગુજરાતી અખબારો અને સામયિકોનું કામકાજ ધમધોકાર ચાલતું હતું, પણ આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં? છેક ૧૮૪૯ સુધી ત્યાં એક પણ અખબારનું નામનિશાન સુધ્ધાં નહોતું! ૧૮૪૯માં ‘વરતમાન’ નામનું અઠવાડિક શરૂ થયું. તે દર બુધવારે પ્રગટ થતું એટલે લોકો તેને ‘બુધવારિયું’ તરીકે ઓળખતા. અને એ શરૂ કરનાર હતા એક ગુજરાતપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. તેમણે ૧૮૪૮માં સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ દ્વારા તે શરૂ કર્યું. એ વખતે આ સોસાયટીનો બધો કારભાર અંગ્રેજોના હાથમાં હતો. અને છતાં મુંબઈ સરકારને આ ‘વરતમાન’માં છપાતાં લખાણો સામે વાંધો પડ્યો. એટલે કોઈ પણ સરકારી અમલદારે તેની સાથે સંબંધ રાખવો નહિ એવો હુકમ સરકારે કર્યો. એટલે એ છપાતું હતું તે પ્રેસના માલિક બાજીભાઈ અમીચંદે તે પોતાના હાથમાં લઇ લીધું. પણ ૧૮૬૪ પછી તે ચાલુ રહ્યું હોય તેવું જાણવા મળતું નથી. અને છતાં આપણાં ભાષા, સાહિત્ય, પત્રકારત્વના ઇતિહાસ અને વિવેચનમાં એવા વિરલાઓ પણ જોવા મળે છે કે જે છેક ૧૮૪૯માં શરૂ થયેલા ‘વરતમાન’ને આપણી ભાષાનું પહેલું અખબાર ગણાવે છે! કેમ? કારણ એ અમદાવાદથી શરૂ થયું હતું.

મુંબઈમાં ગુજરાતી છાપખાનાં આવ્યાં તેને પગલે છાપેલાં પુસ્તકો, અખબારો, અને સામયિકો આવ્યાં. અને એની મદદથી અને એની પાછળ પાછળ આવ્યું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0952,0962,0972,098...2,1102,1202,130...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved